Thursday, June 12, 2025
‘ગાંધી પછીનું ભારત’ની પ્રકાશન-કથા (2) : "સાડા ત્રણ મહિનામાં પહેલા ભાગનો અનુવાદ પૂરો થઈ શકે."
'ગાંધી પછીનું ભારત'ની પ્રકાશન કથા (1)
બપોરે રામચંદ્ર ગુહાને મળ્યા પછી રાત્રે ઘરે પહોંચીને તેમને ઇ-મેઇલ લખ્યો. તેમાં મળવાનો આનંદ વ્યક્ત કરવા ઉપરાંત, ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ના ગુજરાતી અનુવાદની વાતનો ઉલ્લેખ કર્યો હતો. બીજા દિવસે ગુહાનો મેઇલ આવી ગયો. તેમાં લખ્યું હતું, Go ahead with the Gujarati translation of “India After Gandhi”. આમ, 20 ઓક્ટોબર 2016થી ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ના ગુજરાતી અનુવાદની ઘડિયાળ શરૂ થઈ (જે સમય જતાં ઘડિયાળને બદલે કેલેન્ડર બની જવાની હતી) તે વખતે ‘સાર્થક જલસો-7’ (નવેમ્બર 2016)નું કામ ચાલતું હશે, એટલે વચ્ચે ખાડો પડ્યો. પણ 11 ડિસેમ્બર, 2016ના રોજ પુસ્તકનાં પહેલાં ત્રણેક પાનાંનો અનુવાદ કરીને મેં ‘સાર્થક’ના સાથીદારોને મોકલ્યો. સાથે લખ્યું હતુઃ
“આ સાથે ઇન્ડિયા આફ્ટર ગાંધીનાં પહેલાં ત્રણ પાનાંનો અનુવાદ મોકલું છું. અખતરા લેખે આજે મેં કરી જોયો, જેથી સમયનો ખ્યાલ આવે. આટલું કરતાં મને એક કલાક થયો. અનુવાદ વિશે તમારી ટિપ્પણીઓ જણાવશો. આ પુસ્તક આપણે કરવું જોઈએ, એવું મને લાગે છે. અનુવાદ કરનાર કોઈ સરસ મળે અને આપણે [થયેલા અનુવાદ પર] ઓછામાં ઓછી મહેનત કરવી પડે, તો અનુવાદ માટે આપવાની આપણી તૈયારી છે. બાકી, હું અને દીપક કરી લઇએ. બીરેનને રસ અને સમય હોય તો તેને સાંકળી શકીએ... આપણે બે ભાગમાં આ કામ કરવાનું છેઃ ઇન્ડિયા આફ્ટર ગાંધી, ઇન્ડિયા આફ્ટર નેહરુ. પહેલા ભાગનાં 384 પાનાં છે. આપણે બે જણ કરીએ અને રોજનાં બે પાનાં અચૂક કરવાં એવા નિયમ સાથે કરીએ તો એક જણનાં અઠવાડિયાનાં 14 અને મહિનાનાં આશરે 60 પાનાં થાય. એટલે એક જણ ત્રણ મહિનામાં આશરે 180 પાનાં કરે. બે જણ કરે તો 360 પાનાં થાય. આમ સાડા ત્રણ મહિનામાં અનુવાદનું કામ પૂરું થઇ શકે.”
કેવું ભવ્ય, આશાવાદી અને વાંચવામાં સારું લાગતું, છતાં ભાગ્યે જ પાર પડે એવું આયોજન 😊 . પરંતુ આપણું ધાર્યું ક્યાં કંઈ થાય છે. છેવટે તો અનુવાદ કરનારા કરે એ જ થાય. દીપક-બીરેનને સમય અને રસરુચિના અભાવે સંકળાવાનું ન બન્યું. યાદ છે ત્યાં સુધી, નીલેશભાઈ (રૂપાપરા)ને પણ પૂછી જોયું હતું. પરંતુ આ કામ એટલું લાંબું હતું કે કોઈને પણ તે હાથમાં લેતાં સ્વાભાવિક ખચકાટ થાય. છેવટે દિલીપભાઈ ગોહિલને અમે વાત કરી. દિલીપભાઈ ગુજરાતી ‘ઇન્ડિયા ટુડે’ના કોપી એડિટર રહી ચૂક્યા હતા. તેમનો અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ બહુ સારો. દિલીપભાઈ જોડેની દોસ્તીમાં ભૂતકાળમાં ચડાવઉતાર રહ્યા હતા, પણ તેમના કામની ગુણવત્તા વિશે બેમત ન હતો. એટલે અમે વ્યાવસાયિક ધોરણે આ કામ આગળ વધારવાનું નક્કી કર્યું. ત્યાં સુધીમાં મે પહેલું પ્રકરણ શરૂ કરી દીધું હતું. એટલે, મૂળ યોજના પ્રમાણે, પહેલા ભાગનાં પ્રકરણ હું કરું ને બાકીના ભાગ (બીજા મિત્રોને બદલે) દિલીપભાઈ કરે એવું ઠર્યું.
![]() |
દિલીપ ગોહિલઃ સાર્થક જલસો-9ના મિલન મેળાવડામાં (ફોટોઃ ઇશાન કોઠારી) |
પુસ્તકના બે ભાગનું નામ અલગ અલગ (ઇન્ડિયા
આફ્ટર ગાંધી, ઇન્ડિયા આફ્ટર નેહરુ) રાખવાનો ખ્યાલ
હિંદી અનુવાદ પરથી આવ્યો હતો. ગુહા સાથે વાત થઈ ત્યારે તેમને કહ્યું હતું કે ગુજરાતીમાં
આટલું દળદાર પુસ્તક (એકાદ હજાર પાનાંનું) ચાલે નહીં. તેના બે ભાગ કરવા પડે. ત્યારે
તેમણે કહ્યું હતું કે હિંદી અનુવાદ બે ભાગમાં છે અને તેને બે અલગ નામ પણ આપવામાં
આવ્યાં છે. પુસ્તકના ભાગ પણ સહજ રીતે એવા બની આવ્યા છે કે આઝાદીથી નહેરુના શાસનકાળ
સુધીનું એક પુસ્તકમાં આવે અને તેમના મૃત્યુ પછીના ગાળાનું બીજું પુસ્તક થાય.
આવી માનસિક તૈયારી સાથે દિલીપભાઈએ અને મેં કામ શરૂ કર્યું. આટલાં વર્ષે મનમાંથી નીકળી ગયું હતું, છતાં આ લખતી વખતે જૂના ઇ-મેઇલ જોઈને થયું કે શરૂઆતમાં કામ બરાબર ચાલતું હતું. ડિસેમ્બર 2016ના મારા એક મેઇલમાં એવો પણ ઉલ્લેખ છે કે ‘અમે માર્ચ 2017 સુધીમાં પહેલા ભાગનું કામ પૂરું કરી દઈશું.’ ત્યારે એવું પણ વિચાર્યું હતું કે કદાચ પહેલો ભાગ થઈ જાય તો, બીજા ભાગની રાહ જોયા વિના, તેને પ્રગટ કરી શકાય. દરમિયાન, વર્ષ 2017માં રામચંદ્ર ગુહા પુસ્તકની બીજી આવૃત્તિની તૈયારી કરતા હતા. તેમાં તેમણે એક પ્રકરણ અને નવી, લાંબી પ્રસ્તાવના ઉમેર્યાં હતાં. આ વાતની જાણ તેમણે મને પણ કરી અને કહ્યું કે દસ વર્ષ પછી થઈ રહેલી પુસ્તકની આવૃત્તિમાં નવી સામગ્રી આવી રહી છે. ફેબ્રુઆરી 2017માં નવા ઉમેરાની જે વર્ડ ફાઇલ તેમણે તેમના અંગ્રેજી પ્રકાશકોને જે મોકલી હતી, એ જ અમને પણ મોકલી આપી. જોકે, અમારા માટે એ કામ હજુ દૂર હતું. કારણ કે અમે પહેલો ભાગ પૂરો કરવામાં હતા.
![]() |
સાર્થક જલસો-8નો સંપાદકીય |
માર્ચ-એપ્રિલ આવ્યા એટલે ‘સાર્થક જલસો’ના આઠમા અંકનું કામ શરૂ થયું અને અનુવાદ સહિતનું બીજું કામ બાજુ પર મુકાઈ ગયું. એ જ અરસામાં અશ્વિની ભટ્ટની નવલકથાઓના હકો પણ તેમના પરિવારે સાર્થક પ્રકાશનને આપ્યા. અશ્વિની ભટ્ટની નવલકથાઓના ચાહક અને તેમના અંગત પરિચયમાં આવ્યા પછી તેમના વ્યક્તિત્વના પ્રેમી એવા અમારા માટે એ બહુ મોટી વાત હતી. એટલે ‘સાર્થક જલસો-8’ના સંપાદકીયમાં પોતપોતાની રીતે અત્યંત મોટાં ગણાય એવાં બે નામ હવે ‘સાર્થક’માં વાંચવા મળશે, એવા સમાચાર જાહેર કર્યા. એટલેથી ન અટકતાં એવું પણ લખ્યું કે ‘(તેનો) પહેલો ભાગ બે-ત્રણ મહિનામાં અને બીજો ભાગ વર્ષના અંત સુધીમાં વાચકો સમક્ષ મૂકવાનો ખ્યાલ છે.’ અંકના ઉઘડતા પાને ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ના અનુવાદની આખા પાનાની જાહેરાત પણ છપાઈ હતી. તેમાં લખ્યું હતું, ‘તેનો પહેલો ભાગ જુલાઇ 2017 સુધીમાં પ્રગટ થશે.’
તો પછી જુલાઇ 2017 લંબાઈને છેક મે 2025 સુધી કેમ પહોંચી?
(ક્રમશ-)
Wednesday, June 11, 2025
કાળાધોળા વાળ
આ જગતમાં સમસ્યાઓ ઘણી છે ને વધી રહી છે, પણ ગમે તેટલી સમસ્યાઓ ગમે તેટલી માત્રામાં વધે, તેમના મુખ્ય બે પ્રકાર જેમના તેમ રહેવાનાઃ ખાલી પેટની સમસ્યાઓ અને ભરેલા પેટની સમસ્યાઓ. તેમાંથી ખાલી પેટની સમસ્યાઓ વિશે ખાલી કે ખાલી ખાલી કે ભરેલી પણ વાતો કરનારા લોકો ગુજરાતમાં—અને હવે ભારતમાં—ડાબેરી, સામ્યવાદી, વામપંથી, લિબરલ વગેરે વિશેષણોથી ઓળખાય છે, જ્યારે ભરેલા પેટની સમસ્યા અને તેના ઉકેલની વાતો કરનારા લાખોકરોડો કમાય છે.
માટે, સ્વાભાવિક રીતે જ, શાણા માણસે ભરેલા પેટની સમસ્યા વિશે જ વાત કરવી જોઈએ. એવી સમસ્યાઓની યાદી નાની નથી. એક વાર એવી સમસ્યાથી ‘પીડિત’ની દૃષ્ટિએ વિચારતાં તે સમસ્યા અતિ ગંભીર પણ લાગી શકે. જેમ કે, એસીમાંથી ટપકતું પાણી અથવા હિંચકામાંથી બોલતો કિચુડ કિચુડ અવાજ અથવા ગાલ પર થતાં ખીલ... એ યાદીમાં સ્થાન પામતી એક સમસ્યા એટલે માથામાં જોવા મળતા કાળાધોળા વાળ.
‘કાળાધોળા’ તો સભ્ય પ્રયોગ છે. હકીકતમાં તે કાબરચીતરા કે ખીચડી વાળ પણ કહેવાય છે. તે સમસ્યાની શરૂઆત માથામાં પહેલો સફેદ વાળ દેખાવાની સાથે થાય છે. જો બીજું કોઈ સફેદ વાળ પ્રત્યે ધ્યાન દોરે, તો માણસને પહેલાં વિશ્વાસ પડતો નથી. યાદ આવે છે કે ‘હજુ તો મને અમુક જ વર્ષ થયાં છે ને સફેદ વાળ? હમારી જેલમેં સુરંગ?’ તેને થાય છે, નક્કી રસ્તામાં જતી વખતે ક્યાંકથી લોટ-બોટ ઉડ્યો હશે ને એકાદ વાળ ઉપર લપેટાઈ ગયો હશે. તે સહેજ માથું ખંખેરવા જેવું પણ કરે છે, એટલે એકલદોકલ વાળ કોતરોમાં ઉતરી જતા બહારવટિયાની જેમ કાળા વાળના જંગલમાં ક્યાંક દબાઈ-દટાઈ જાય છે. પછી માણસ ખચકાતાં ખચકાતાં અરીસામાં જુએ છે, પણ હોરર ફિલ્મોમાં થાય છે તેમ, એક દૃશ્યમાં અરીસામાં પાછળ કોઈ ઊભેલું દેખાય ને બીજા દૃશ્યમાં અરીસો ખાલીખમ. એવું જ સફેદ વાળનું થાય છે. માથામાં ક્યાંય ભયપ્રેરક સફેદીકી ચમકાર ન જોઈને માણસનો જીવ હેઠો બેસે છે.
શાસકોની જેમ સફેદવાળધારી પણ સમસ્યાને છુપાવી દઈને તેને ઉકલી ગયેલી ગણી લે છે. શાસકો તેમનાં જૂઠાણાંની મદદથી એ ખેલ લાંબો ચલાવી શકે છે, જ્યારે સફેદ વાળના કિસ્સામાં એવું બનતું નથી. થોડા વખત પછી તે ફરી દેખા દે છે. ત્યારે માનવવસ્તીમાં દીપડાએ દેખા દીધી હોય એવો ધ્રાસ્કો શબ્દાર્થમાં કાળા માથાના માનવીનમા મનમાં પડે છે. તેને થાય છે કે આ વાળની વસ્તી વધશે તો શું હું એક દિવસ ‘કાળા માથાનો માનવી‘ એટલે કે માણસ પણ મટી જઈશ? કેમ કે, સામાન્ય માણસનો ઉલ્લેખ કરતી વખતે કદી ‘ધોળા માથાનો’ કે ‘કાબરચીતરા માથાનો’ એવું કહેવાતું નથી.
સફેદ વાળ એક વાર નિર્ણયાત્મક રીતે, મક્કમતાથી અને ‘હું તો ક્યાંય જવાનો નથી’ની પ્રતીતિ સાથે માથામાં દેખાઈ જાય, ત્યાર પછી તેના અસ્તિત્વનો ઇન્કાર કરી શકાતો નથી. નરી આંખે દેખાતી ચીજનું અસ્તિત્વ નકારવાના મામલે બધા પાસે સરકાર જેટલી સુવિધા હોતી નથી. છતાં, તે સરકારમાંથી પ્રેરણા લઈને નેરેટિવ તો બદલી જ શકે છે. એટલે, માણસ વિચારે છે, ‘હજુ તો મારે છૂટાછવાયા જ સફેદ વાળ દેખાય છે, જ્યારે ફલાણાભાઈ કે અમુક બહેન તો મારાથી પાંચ વર્ષ નાનાં છે. છતાં તેમનું આખું માથું ખીચડી થઈ ગયું છે.’ બીજાના દુઃખે સુખી થવાનો આ રસ્તો ટૂંકા ગાળા માટે કામ કરી શકે, પણ ધીમે ધીમે મનમાં સત્યનો ઉદય થાય છે કે પાકિસ્તાન ગમે તેટલું ખરાબ હોય, ફક્ત એટલી હકીકતથી આપણે સારા થઈ જતા નથી. આપણે આપણી સારપ સ્વતંત્રપણે સિદ્ધ કરવી પડે છે. ટૂંકમાં, માથામાં વધી રહેલા સફેદ વાળ માટે નેરેટિવ બદલ બદલ કરવાથી કામ નહીં ચાલે.
ત્યાર પછીનો એક આખો ગાળો એવો વીતે
છે, જ્યારે માથામાં કાળા અને ધોળા વાળ વચ્ચે વર્ચસ્વ માટેનું યુદ્ધ ચાલતું હોય
એવું લાગે. સારી વાત એ છે કે તે ‘કોલ્ડ વોર’ (શીત યુદ્ધ) છે. એટલે તેમાં માથાને કે તેની અંદર કંઈ હોય તો તેને પણ કશી ઇજા
પહોંચતી નથી. તે સમયગાળામાં ઘણા લોકો ડાઇ કહેતાં કલપનો સહારો લઈને સફેદ વાળને
બળજબરીથી કાળા બનાવવાનો પ્રયાસ કરે છે. તે અમુક રીતે, બ્લેકમેઇલરની માગણી સંતોષવા
જેવું બની રહે છે. તેનો કદી છેડો આવતો જ નથી. પછી એવો તબક્કો આવે છે કે હવે ડાઇ
બંધ કરી દઈશું તો વધારે ખરાબ લાગશે.
કેટલાક લોકો બ્લેકમેઇલિંગને તાબે થવાને બદલે કાળા વાળ વતી બહાદુરીપૂર્વક હારનો સ્વીકાર કરે છે અને સફેદ વાળને જાણે કહે છે, ‘જાવ, તમારે જેટલું વધવું હોય તેટલું વધો. બલ્કે, ઝડપથી વધીને આખું માથું તમારા રંગમાં રંગી નાખો. જેથી કમ સે કમ કાબરચીતરા વાળમાંથી તો મુક્તિ મળે.’ ડાઇ સામે વિવિધ કારણોસર વાંધો ધરાવતા લોકો મહેંદીના શરણે જાય છે. તેમના માટે ‘મહેદી રંગ લાગ્યો’—એ શબ્દોનો અર્થ બદલાઈ જાય છે અને જતે દહાડે તેમના વાળ નહીં કાળા, નહીં ધોળા, પણ મહેંદી રંગના થાય છે.
તેનાથી કાળાધોળાની સમસ્યાનો ઉકેલ નથી આવતો, પણ સાહિર લુધિયાનવીએ કહ્યું હતું તેમ, એક ખૂબસુરત મોડ આપીને આખી વાતને છોડી શકાય છે.
Sunday, June 08, 2025
India After Gandhiના ગુજરાતી અનુવાદ ‘ગાંધી પછીનું ભારત’ની પ્રકાશન-કથા (1)
‘ગાંધી પછીનું ભારત’–એટલે કે ‘India After Gandhi’ના ગુજરાતી અનુવાદનો યાદગાર સમારંભ 18 મે, 2025ની સાંજે યોજાયો, પુસ્તકના પ્રકાશનનો કાર્યક્રમ સામાન્ય બાબત છે, કાર્યક્રમ બહુ સરસ થયો હોય, તો બે-ચાર દિવસ સુધી યાદ રહે, પરંતુ રામચંદ્ર ગુહાના પુસ્તક ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’નો ગુજરાતી અનુવાદ પ્રગટ થયે ત્રણેક અઠવાડિયાં થયાં. છતાં, એ પ્રસંગનો આનંદ અને ત્યારે થયેલો સંતોષ હજુ સંપૂર્ણપણે ઓસર્યાં નથી.
આવું કેમ?
તેનો એક જવાબ
એટલે આ પ્રકાશન-કથા.
*
વર્ષ 2009. ભારતીય પ્રકાશનજગતમાં નવો ઇતિહાસ રચાયો. તે વર્ષે રામચંદ્ર ગુહા દ્વારા લખાનારા ગાંધીજી બે ભાગના જીવનચરિત્ર સહિત કુલ 7 પુસ્તકોના હક માટે પ્રકાશકોએ હોડ લગાવી હતી. મામલો રૂ. એક કરોડની ઉપર પહોંચી ગયો હતો, પણ છેવટે રામચંદ્ર ગુહા અને તેમના એજન્ટે ‘પેન્ગ્વિન ઇન્ડિયા’ના કામને ધ્યાનમાં રાખીને, તેને રૂ. 97 લાખની એડવાન્સ રકમ પેટે એ હક આપ્યા. ભારતીય પ્રકાશનક્ષેત્રે આટલી મોટી રકમ એડવાન્સ ચૂકવાઈ હોય, તેવું અગાઉ કદી બન્યું ન હતું.
![]() |
સ્ટોરીની લિન્ક |
ગુહા વિદ્વાન-અભ્યાસપૂર્ણ લેખક તરીકે પ્રતિષ્ઠિત હતા, પણ તેમને પાંડિત્યપૂર્ણ-એકેડેમિક લેખકમાંથી ઇતિહાસકાર તરીકે લોકપ્રિય બનાવનાર અને તેમને એક જુદી જ કક્ષા-ભ્રમણકક્ષામાં મુકનારું પુસ્તક હતું ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’. તેની પહેલી આવૃત્તિ 2007માં પ્રગટ થઈ હતી. તેની ભારે સફળતાના પગલે વર્ષ 2009માં તેમનાં આગામી પુસ્તકોના હક માટે વિક્રમસર્જક રકમ એડવાન્સ તરીકે ચૂકવાઈ. ત્યાર પછીના ગાળામાં રામચંદ્ર ગુહાએ બીજાં કેટલાંક પુસ્તક લખ્યાં. ગાંધીજીની જીવનકથાનો પહેલો ભાગ ‘ગાંધી બીફોર ઇન્ડિયા’ પણ પ્રગટ થયો. ત્યાર પછી તેના બીજા ભાગ (1915-1948)નું કામ શરૂ થયું.
વર્ષ 2016. ગુહા ગાંધીજીના જીવનચરિત્ર (1915-1948)નું ઘણુંખરું કામ પૂરું કરી ચૂક્યા હતા, ત્યારે તેમને આશરે 500 પત્રોનો એક જથ્થો મળ્યો. તેમાં ગાંધીજી પર આવેલા કે ગાંધીજીના અનુયાયીઓએ એકબીજાને લખેલા ગુજરાતી પત્રો હતા. ગુહાને થયું કે તેમનું કામ તો પૂરું થઈ ગયું છે, છતાં આ પત્રોમાં શું છે તે પણ એક વાર જોઈ લેવાય તો સારું.
બેંગ્લોરસ્થિત ગુહા કોઈ અનુવાદકની શોધમાં હતા, ત્યારે તેમના જ શહેરમાં રહેતા જાણીતા પત્રકાર-લેખક આકાર પટેલે તેમને મારું નામ આપ્યું. આકાર પટેલ ‘દિવ્ય ભાસ્કર’માં ગ્રુપ એડિટર હતા તે અરસામાં (2006-07) મને તેમની સાથે કામ કરવાની તક મળી હતી. હું ત્યારે ભાસ્કરમાં ઓપ-એડ પેજ કરતો હતો. તે પરિચયના અને ત્યારની છાપના આધારે આકારે ગુહાને મારા વિશે કહ્યું હશે અને મારો નંબર આપ્યો. એટલે એક દિવસ ગુહાનો ફોન આવ્યો.
જેમને હંમેશાં પ્રિય-આદરણીય લેખક તરીકે જોયા હોય અને દુન્યવી સફળતા-પ્રસિદ્ધિના અર્થમાં પણ જે સેલિબ્રિટી હોય, એવા લેખકનો સામેથી ફોન આવે એટલે સૌથી પહેલાં તો સુખદ આશ્ચર્યનો આંચકો લાગે. તે શમ્યા પછી તેમણે કામ અંગે કહ્યું ત્યારે મેં તેમને પ્રેમથી કહ્યું, ‘આમ તો હવે અનુવાદનો સમય મળતો નથી, પણ એક તો આ કામ ગાંધીજીનું છે અને બીજું, તમારું છે, એટલે હું તે કરીશ.’ મેં તેમની સાથે એ પણ સ્પષ્ટતા કરી કે ‘મારું અંગ્રેજીનું જ્ઞાન વર્કિંગ છે. ગાંધીજી જેવું લખે એવા અંગ્રેજીમાં તમારે અનુવાદ જોઈતા હોય તો તે કરવાની મારી ક્ષમતા નથી.’ પણ તેમને એવી જરૂર ન હતી. તેમને તો પત્રોમાં શું લખાયું છે એ જ જાણવું હતું.
મેં કામ કરવાની હા પાડી, એટલે તેમણે એક-બે પત્રો નમૂના લેખે મોકલ્યા. તેને ઉકેલીને અનુવાદ કરી આપ્યા પછી, થોડા દિવસમાં તેમણે એક કવર મોકલ્યું. તેમાં પત્ર સાથે પેન ડ્રાઇવ અને તંદુરસ્ત રકમનો ચેક આવી પહોંચ્યાં. ચેક જોઈને મેં તેમને ફોન કર્યો. કહ્યું કે ‘તમે મને ઓળખતા નથી, તમે મારું કામ પણ સરખું જોયું નથી અને આ ચેક? અને તે પણ આટલી રકમનો? અને આટલી ઉતાવળે? એક વાર મને થોડું કામ કરીને તો મોકલવા દો.’ તેમણે કહ્યું કે એની કશી ચિંતા નથી. રૂપિયાની બાબતમાં તેમણે હસીને કહ્યું કે ‘ગાંધીજીએ કોઈનું પણ શોષણ કરવાની ના પાડી છે.’
અંગત અનુભવ ભલે નથી, પણ ઘણાખરા વિદ્વાનો અથવા જાણીતા માણસો એવું માનતા હોય છે કે દુનિયા તેમની સેવા કરવા સર્જાયેલી છે અને લોકોની સેવા લઈને તે લોકો પર ઉપકાર કરી રહ્યા છે. જ્યારે રામચંદ્ર ગુહા સાથે માર્ચ 2016માં થયેલા પહેલા જ પરિચય પછી તેમની સરળતા અને પ્રેમાળ અભિગમ ઊડીને આંખે વળગે એવાં હતાં.
ગુહાનું કામ હાથમાં લીધું ત્યારે બે અઠવાડિક કોલમો, રોજનો તંત્રીલેખ અને તંત્રીપાનાની જવાબદારી હતી. છતાં, નોકરિયાત માનસિકતા વિના, ગમતું કામ કરવાના આનંદને લીધે પહોંચી વળાતું હતું. એટલે, પત્રોના અનુવાદનું કામ તો માત્ર ને માત્ર ટ્રેનના અપડાઉનમાં જ પૂરું કર્યું. તે વખતે ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસનો ડબ્બો આવતો હોવાથી, લેપટોપ પર કામ કરી શકાય એવી અનુકૂળતા મોટા ભાગે રહેતી હતી. બધા પત્રોનો અનુવાદ મોકલ્યા પછી તેમણે થોડા વધુ પત્રો મોકલ્યા અને મારી આનાકાની છતાં તેના અલગથી રૂપિયા આપ્યા. અને પુસ્તકના એકનોલેજમેન્ટમાં ઉલ્લેખ પણ કર્યો (જે વાંચીને શીલા ભટ્ટનો દિલ્હીથી ફોન આવ્યો હતો. તેમણે આનંદ અને કદાચ કંઈક આશ્ચર્યના ભાવ સાથે કહ્યું હતું કે રામ ગુહાએ તમારા નામનો ઉલ્લેખ કર્યો છે.)
*
કામ પૂરું થયાના થોડા અરસા પછી એક
વાર ગુહાનો ફોન આવ્યો. તે ત્રણ દિવસ માટે અમદાવાદ આવવાના હતા. તેમાંથી એક દિવસ
સવારે તેમની સાથે જમવાની વાત હતી. માઉન્ટન અને મહંમદની કહેણી તાજી કરે એવા એ સંવાદ
પછી, તે અમદાવાદ આવ્યા ત્યારે અમે મળ્યા. જમ્યા. અત્યારે ઓસ્ટ્રેલિયા-સ્થિત પરમ
મિત્ર નિશા પરીખ ત્યારે અમદાવાદમાં હતી. તેણે અને તેની મિત્ર શચિ સંઘવીએ મને ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’ની (પહેલી આવૃત્તિ)ની તેમની કોપી આપી અને શક્ય હોય તો
તેની પર ગુહાના હસ્તાક્ષર લાવવા કહ્યું.
ગુહા એટલા નિર્ભાર હતા કે અવનવી વાતો પછી તેમણે પુસ્તક પર બંનેનાં નામ લખીને સહી કરી આપી. બીજી ઘણી વાતોની વચ્ચે પુસ્તકની વાત નીકળતાં મેં કહ્યું, ‘મને આ પુસ્તક વિશે એવું થાય છે કે તે ગુજરાતીમાં હોવું જોઈએ.’ તેમણે તરત, મને આશ્ચર્ય થાય એટલા ઉમળકાથી તૈયારી બતાવી. પછી બીજી વાતો થઈ. અડધા-પોણા કલાકની વાતચીત પછી અમે છૂટા પડ્યા. ત્યારે મારા મનમાં ફરી ફરીને એક જ સવાલ થતો હતોઃ રામચંદ્ર ગુહાએ ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’નું ગુજરાતી કરવાની ખરેખર ‘હા’ પાડી હતી? કે મારા મોઢે ‘ના’ પાડવી ન પડે, એટલે માટે ‘હાએ હા’ કરી હશે?
(ક્રમશઃ)
Monday, June 02, 2025
'સફારી' : એક અંગત અંજલિ
![]() |
'સફારી'ના એક અંકનું મુખપૃષ્ઠ |
--અને એક વખત એવું પણ બન્યું કે, ‘સફારી’ બંધ થયું.
નગેન્દ્ર વિજયના તંત્રીપદ હેઠળ શરૂ થયેલું, નગેન્દ્રભાઈના તંત્રીપદ-હર્ષલ પુષ્કર્ણાના સંપાદકપદ હેઠળ ફૂલેલુંફાલેલું અને વર્ષ 2018માં હર્ષલને છોડવું પડ્યું ત્યાર પછી સંપાદકવિહોણું બનેલું ‘સફારી’ છેવટે બંધ થયાના સમાચાર ગઈ કાલે મળ્યા. નગેન્દ્ર વિજયે તાજા અંકના તંત્રીલેખમાં તેની જાહેરાત કરી. સેંકડો વાચકોના માનીતા જ્ઞાનવિજ્ઞાનના માસિક તરીકે ‘સફારી’નો દબદબો એવો હતો કે સંખ્યાબંધ વાચકોએ પરિવારનું કોઈ સ્વજન ગુમાવ્યું હોય એવી ખોટ અને એવો આંચકો લાગ્યાં.
નગેન્દ્ર વિજયનું ‘સ્કોપ’ વિશુદ્ધ વિજ્ઞાનસામયિક હતું અને ‘વન મેન શો’ હતું, જ્યારે ‘સફારી’ જ્ઞાનવિજ્ઞાનનું સામયિક. શરૂઆતનાં
પાંચેક વર્ષને બાદ કરતાં તે નગેન્દ્ર વિજય અને હર્ષલ પુષ્કર્ણાની એક ને એક અગીયાર
જેવી જુગલબંદીનું પ્લેટફોર્મ બન્યું. તેમાં રમતિયાળ શૈલીમાં પીરસાતી જાણકારી વાચકોને
માહિતીની સાથોસાથ મનોરંજન ઉપરાંત કંઈક નવું, કંઈક નક્કર જાણવાની ‘કીક’ આપતી હતી. ‘સફારી’ના સરળ લાગતા લેખનનો જાદુ એવો હતો કે એકેએક વાક્યમાં
કશીક બાંધી રાખનારી વાત હોય ને આગળ વાંચવાની ઉત્સુકતા બરકરાર રાખનારું તત્ત્વ.
‘લોકો લાંબું વાંચતા નથી’ એવા રટણનો જમાનો આવ્યા પછી પણ ‘સફારી’માં દસ-પંદર પાનાંના લેખ આરામથી છપાતા હતા. લખાણ ગમે તેટલું લાંબું હોય, પણ તે
(નગેન્દ્રભાઈનો શબ્દપ્રયોગ વાપરીને કહું તો, મમરાની ગુણ જેવું નહીં) ઠોસ હોય.
રમતિયાળ મથાળાં, અકલ્પનીય વિષયો, અવનવા વિભાગો, એક વાર વાંચવાનું શરૂ કર્યા પછી
લેખ પૂરો જ કરવો પડે એવી લખાવટ, જમાના સાથે કદમ મિલાવવાની તાસીર—આ બધી ખૂબીઓએ ‘સફારી’ને કલ્ટ સ્ટેટસ અપાવ્યું. તેનો વિશિષ્ટ ચાહકવર્ગ ઊભો
થયો અને લાંબા સમય સુધી, ઘણા કિસ્સામાં બીજી પેઢી સુધી ટક્યો.
*
‘સફારી’ અને નગેન્દ્રભાઈ સાથેની એક સમયની નિકટતા અને તેમની પાસેથી મને કેવું મહત્ત્વનું ભાથું મળ્યું, તેની વિગતે વાત ‘મારી પત્રકારત્વ-લેખનની સફર’ પુસ્તકમાં છે. અહીં તે લખવાનું ટાણું નથી. પરંતુ 1996થી નગેન્દ્રભાઈને ‘સફારી’ની ઓફિસે મળવાના સિલસિલાની શરૂઆત થઈ, ત્યાં સુધીમાં ‘સફારી’ જામી ગયું હતું, જોકે, આર્થિક સમૃદ્ધિ હજુ દૂર હતી. હર્ષલ ‘સફારી’ સાથે બરાબર ઓતપ્રોત થઈ ચૂક્યો હતો. નગેન્દ્રભાઈની શૈલી સીધી રીતે ઘડતરની નહીં. હર્ષલને સીધેસીધું કશું કહે નહીં. કહે તો ઇશારા ને ટૂંકાક્ષરીમાં કહે. બાકીનું ઉકેલી લેવાનું. છતાં, હર્ષલ તેની જાતને બરાબર ઘડી રહ્યો હતો. તે સમય એવો હતો જ્યારે નગેન્દ્રભાઈ એટલે ‘સફારી’ અને ‘સફારી’ એટલે નગેન્દ્રભાઈ—એવું સમીકરણ (યોગ્ય રીતે જ) પ્રચલિત હતું. મારા સહિતના ઘણા લોકો એવી ચિંતા પણ કરતા કે અવસ્થાનાં અથવા બીજાં કારણોસર નગેન્દ્રભાઈનું લખવાનું બંધ થશે, ત્યારે ‘સફારી’નું શું થશે?
‘સફારી’ની ઓફિસની નિયમિત મુલાકાતો પછી નગેન્દ્રભાઈ સાથે શિષ્યભાવે નિકટતા ઉપરાંત હર્ષલ સાથે પણ દોસ્તી થઈ. એમાં પણ 1999માં અમે નગેન્દ્રભાઈના તંત્રીપદ હેઠળ ‘સીટીલાઇફ’ પખવાડિક (અમદાવાદનું સીટી મેગેઝીન) સંભાળ્યું ત્યારથી વિશેષ. હર્ષલ મારાથી થોડો નાનો. તે સમયે તેને સૌથી મોટો ધક્કો મારનારું ચાલક બળ એ હતું કે ‘આ દુનિયાએ મારા પિતાની પ્રતિભાની કદર કરી નથી ને ક્યારેક અપમાન પણ કર્યું હશે. મારે એનો બદલો લેવો છે ને મારા પિતાનું સાચું મૂલ્ય આ દુનિયાને દેખાડી આપવું છે- આ દુનિયા સમજે છે એ ભાષામાં સફળ વ્યક્તિ તરીકે તેમને સ્થાપવા સ્થાપવા છે.’ આ મારું અર્થઘટન નથી. શબ્દફેરે આ મતલબની વાત અમારે ઘણી વાર થતી હતી.
‘સફારી’ની યુનિયન ફ્લેટ્સની જૂની ઓફિસે તો નગેન્દ્રભાઈની કેબિન કહેવાય એવું ભાગ્યે જ હતું. ફ્લેટનો એક રૂમ હતો, જે હજુ આજે પણ હું આંખ મીંચું તો જોઈ શકું છું. તેમનાં ટેબલ-ખુરશીની સામે થોડા અંતરે રહેલા પલંગ પર છાપાંના-સામયિકોના ઢગ પડ્યા હોય. ત્યાં જગ્યા કરીને બેસી જવાનું. ‘સીટીલાઇફ’ની શરૂઆત ત્યાંથી થઈ હતી. હર્ષલ ત્યારે લખતો હતો, પણ તે ઉપરાંતની બાબતોમાં અને કમ્પ્યુટરમાં તો સવિશેષ માહેર બની રહ્યો હતો.
એ જ વર્ષે 1999માં ‘આનંદમંગલ’ની ઓફિસ થઈ. પછીના એકાદ વર્ષમાં હું હર્ષલની આગેવાની હેઠળ વીસમી સદીની પચાસ મહત્ત્વની ઘટનાઓના પુસ્તક (સામયિકસ્વરૂપમાં)નું કામ કરી રહ્યો હતો. ત્યારે હર્ષલનું લખાણ ઘડાતું હતું, પણ હર્ષલે નગેન્દ્રભાઈને ફક્ત કહેવા ખાતર ગુરુપદે સ્થાપ્યા ન હતા. ધીમે ધીમે એવું થયું કે ઓફિસમાં હિસાબકિતાબ અને ઓફિસ મેનેજમેન્ટથી માંડીને મેગેઝીનના લે-આઉટ, માર્કેટિંગ અને પ્રકાશનના નવા આઇડીયા વિચારવાની સાથોસાથ લખવામાં પણ તેનું પ્રદાન વધતું ગયું. ધીમે ધીમે તે લેખો ઉપરાંત સુપર સવાલ, ફેક્ટફાઇન્ડર વિભાગના કેટલાક પ્રશ્નો અને બીજું પણ એકદમ ‘સફારી’ અંદાજમાં લખવા માંડ્યો—અને ‘સંપાદકનો પત્ર’ તો ખરો જ.
હર્ષલને સૌથી મોટી ખેવના એ વાતની હતી કે નગેન્દ્રભાઈની લેખક તરીકેની પ્રતિભાને માનપાન ઉપરાંત આર્થિક સમૃદ્ધિ ને નિરાંત મળવાં જોઈએ. સંઘર્ષનો ઓછાયો સુદ્ધાં તેમના માથે ન રહેવો જોઈએ. આ પડકાર ઓછો હોય તેમ, બીજો અને વધારે મોટો પડકાર નગેન્દ્ર વિજય જેવા પિતાની છાયામાં પોતાની સ્વતંત્ર પ્રતિભા વિકસાવવાનો હતો, જે ‘સફારી’ના ભવિષ્ય માટે બહુ જરૂરી હતું. અભિષેક બચ્ચન કે રોહન ગાવસ્કર કે અમિતકુમાર જેવા કિસ્સા બહુ સામાન્ય ગણાય છે અને તેમાં કોઈને નવાઈ પણ નથી લાગતી. પ્રતાપી પિતા સાથે સતત સરખામણીનું દબાણ તો વેઠનાર જ જાણે.
કામની જેમ વખતોવખતની ઉજવણીમાં પણ પરિવારની સામેલગીરી |
છતાં ગુજરાતી વાચકોનાં સારા નસીબે હર્ષલ અશક્ય લાગતો એ પડકાર ઝીલી શક્યો અને તેને અસાધારણ સફળતાથી પાર પાડી શક્યો. તેમાં તેની પત્ની ફાલ્ગુનીનો ભૂમિકા પણ અત્યંત મહત્ત્વની હતી. તે ખરા અર્થમાં હર્ષલની પત્ની ઉપરાંત સાથીદાર બની. હર્ષલે ‘સફારી’નું બાકીની બધી બાબતોનું સંપૂર્ણ સુકાન હાથમાં લીધું અને લેખ તથા સંપાદકીયમાં નગેન્દ્રભાઈના લેખોની સાથે ભળી જાય એવા લેખ લખવાની સિદ્ધિ પણ મેળવી લીધી. ક્યારેક નગેન્દ્રભાઈ લખી શક્યા ન હોય ત્યારે આખો અંક હર્ષલે કાઢ્યા હોય, એવી પણ સાંભરણ છે. એવી જ રીતે, નગેન્દ્રભાઈ સિવાય બીજું કોઈ લખી ન શકે એવા ‘એક વખત એવું બન્યું’ વિભાગના કેટલાક લેખ પણ આપદ્ ધર્મ તરીકે હર્ષલે લખ્યા હતા અને તે વાંચીને ભાગ્યે જ કોઈને લાગ્યું હશે કે હાથ બદલાયો છે.
‘સફારી’ માટે તેનું લખવાનું કેટલી હદે મહત્ત્વનું હતું તેનું એક ઉદાહરણઃ એક સમયે તેને મણકાની એવી કશીક ગંભીર તકલીફ થઈ કે તે બેસી પણ ન શકે. તો પછી લખવું શી રીતે? એટલે તેણે પોતાની કેબિનમાં એક પાટ મુકાવી અને તેની ઉપર વિશિષ્ટ ગોઠવણથી લેપટોપ મુકી શકાય અને સુતાં સુતાં લખી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી હતી. તે વખતનો ફોટો પણ મેં યાદગીરી તરીકે પાડ્યો હતો.
![]() |
એક સમયે આનંદમંગલની ઓફિસે હર્ષલની વિશિષ્ટ વ્યવસ્થા (ફોટોઃ ઉર્વીશ કોઠારી) |
*
આખરે સંઘર્ષનો સમય ભૂતકાળ બન્યો
અને આર્થિક સમૃદ્ધિનો દૌર શરૂ થયો. આંબાવાડીમાં સરસ ઓફિસ અને બોપલમાં બંગલો—તે
નગેન્દ્રવિજયના લેખન અને હર્ષલના લેખન ઉપરાંત બાકીના મોરચે સફળ સંચાલનનું ઊજળું
પરિણામ હતું. તે જોઈને નગેન્દ્રભાઈ પરિવારને થઈ હશે, એટલી જ ટાઢક મારા જેવા તેમના
ઘણા ચાહકોને થઈ હતી. તે સમયે મારી સાથેના એક રેકોર્ડેડ ઇન્ટર્વ્યૂમાં નગેન્દ્રભાઈએ બહુ સચોટ રીતે કહ્યું હતું, ‘ડોશી અંધારામાં બેસીને બખિયા (ટાંકા) લેતી હોય, પણ એને ખબર જ ન હોય કે સોયમાં
દોરો નથી. હર્ષલ મારી જિંદગીમાં એ દોરો થઈને આવ્યો.’
એક સમય એવો હતો, જ્યારે ‘સફારી’ની મહિને આશરે 70 હજારથી પણ વધુ નકલો વેચાતી હતી. ‘સફારી’ વાંચવું એ ગૌરવરૂપ ગણાતું હતું. મારા જેવા જણને તેમાં ક્યારેક પ્રગટી જતો ગાંધીજી પ્રત્યેનો અભાવ કે ગોડસે પ્રત્યેનો કંઈક ભાવ કે હિટલર પ્રત્યે પ્રગટ નહીં તો પણ છૂપો ભાવ ખટકતો, છતાં ‘સફારી’માં એ સિવાય બીજું એટલું બધું આવતું હતું કે પેલો ખટકો ઓગળી જતો. ‘સફારી’ ન વાંચ્યું હોત તો જ્ઞાનવિજ્ઞાનના અનેક વિષયોમાં રસ પડવાની શરૂઆત ન થઈ હોત. તેનું એ ઋણ કાયમ મનમાં અંકાયેલું રહેશે.
કમ્પ્યુટરઃપ્રથમ પરિચય કે આસાન અંગ્રેજી જેવી લેખમાળાઓ, ‘એક વખત એવું બન્યું’, સુપરસવાલ અને સવાલજવાબની કોલમ જેવા જબરદસ્ત વિભાગો તો બરાબર, પણ જે વિષયમાં ઓછો રસ પડતો હોય તેનો લેખ (ભલે આખા અંકમાં સૌથી છેલ્લો) વાંચીએ ત્યારે પણ એમ થાય કે ઓહોહો, આ વિષયમાં પણ આટલું સરસ લખી શકાય? ‘સફારી’ની પરંપરા પ્રમાણે નગેન્દ્રભાઈ અને હર્ષલના અસલી નામ સાથેના લેખ તો માંડ એક કે વધીને બે હોય. બાકીના લેખોમાં તો ઉપનામો હોય. એટલે ક્યારેક નગેન્દ્રભાઈના લાગતા લેખ વિશે તેમની સાથે વાત કરીએ ત્યારે તે લેખ હર્ષલનો નીકળે એવું પણ બને અને ક્યારેક એનાથી ઉલટું પણ બને.
સફારીના 200મા અંકની ઉજવણી. (ફોટોઃ ઉર્વીશ કોઠારી) |
હર્ષલ અને નગેન્દ્રભાઈ સાથેની સ્વતંત્ર નિકટતાને કારણે ‘સફારી’ની ઓફિસની દશેરા પાર્ટીમાં કે બીજાં એવાં વિશેષ આયોજનોમાં સપરિવાર સામેલ થવાનું હોય. ત્યારે એ બધી બાબતોમાં પણ હર્ષલનું અત્યંત ચીવટપૂર્વકનું આયોજન જોવા મળે. નગેન્દ્રભાઈ પણ તેમનું ત્યારનું ચુસ્ત મરજાદીપણું છોડીને, આનંદપૂર્વક સામેલ થાય. તે જોઈને હર્ષલના ચહેરા પર ઝળકતી સંતોષ અને ગૌરવની લાગણીમાં શિષ્ય અને પુત્ર બંને એકાકાર થયેલા દેખાય.
‘સફારી’ની ઓફિસ બોપલ ખસેડાયા પછીના થોડા સમયમાં બધું બદલાયું. હર્ષલને ‘સફારી’ છોડવું પડ્યું. કળ વળવાની પણ રાહ જોયા વિના અને ‘સફારી’ની હરીફાઈમાં બીજું માસિક કાઢવાના પ્રસ્તાવો ઠુકરાવીને, તેણે સ્થિતપ્રજ્ઞતાથી ‘જિપ્સી’ કાઢ્યું, પોતાની સ્વતંત્ર પ્રતિભા એકડે એકથી સિદ્ધ કરી. છતાં, ‘સફારી’ સાથેનો સંબંધ છૂટ્યો તે છૂટ્યો. તૂટ્યો તે તૂટ્યો. ત્યાર પછી...
કોઈ ગમે તેટલું ઇચ્છે, છતાં વચ્ચેનો સમય કુદાવીને અગાઉના સમયમાં પાછા ફરવાનું શક્ય બનતું નથી. એવું શક્ય હોત, તો કદાચ ‘સફારી’ હજુ ચાલુ હોત અને નવા જમાનામાં, નવા પડકારો વચ્ચે, નવા સ્વરૂપે ફૂલ્યુંફાલ્યું હોત, પણ એવું ન થયું.
--અને એક દિવસ એવું બન્યું કે...