Thursday, May 15, 2025
સિંહ સાથે સંવાદ
થોડા સમય પહેલાં હાસ્યલેખક મિત્ર નટવર પંડ્યાએ સિંહ સામે મળે તો શું કરવું, એ વિશે લખ્યું હતું. તે વાંચ્યા પછી વિચાર આવ્યો કે સિક્કાની બીજી બાજુ વિશે પણ વિચારવું જોઈએઃ સિંહ સામે મળે તો શું ન કરવું?
દેશકાળ અને માણસે માણસે તેના જવાબ
અલગ હોઈ શકે છે. જેમ કે, સવા સો વર્ષ પહેલાંનાં ગુજરાતમાં કોઈને કહેવાનું થાત કે
સિંહ સામે મળે તો તેની સાથે ‘ત્હારું’ લખાય કે ‘તારું’, નર્મદ મહાન કે દલપત—એવી બધી ‘સાક્ષરી’ ચર્ચા ન કરવી. સિંહને—અને ખરું પૂછો તો, ઘણાખરા
માણસોને પણ—વધારાના ‘હ’કારથી કશો ફરક નથી પડતો. જોકે, હવે આવી સલાહ જરા સમજીવિચારીને આપવી પડે. કારણ
કે, અત્યારે હકારાત્મકતાનો-પોઝિટિવ થિંકિંગનો-પ્રેરણાનો-મોટિવેશનનો વાયરસ અમુક
અર્થમાં અને અમુક ક્ષેત્રોમાં કોરોના કરતાં વધારે આતંક મચાવી રહ્યો છે. કોઈ ‘હ’કારાત્મક અને હકારાત્મક વચ્ચે ભેળસેળ કરી નાખે, તો
પછી નબળી-પોલી-જૂઠી હકારાત્મકતા સામેનો વિરોધ દેશદ્રોહ કેમ નથી, તેના ખુલાસા કરતાં
ફરવું પડે.
વાત જરા આડા પાટે ચડી ગઈ. આવું
સિંહ સામે મળે તો ન કરવું. કારણ કે, માણસ સામે મળે ત્યારે સિંહના મનમાં લગભગ
એવા જ પ્રકારની લાગણી થાય છે, જેવી ઘણા
કવિઓને સામે મળેલા સંભવિત શ્રોતાને જોઈને થાયઃ તૂટી પડવાની. અને તૂટી પડવાના
મામલે, સિંહો મોક ડ્રિલમાં માનતા નથી—સિવાય કે તે સરકસના હોય. કારણ કે, તેમને મોટા
સમુદાયને મૂરખ બનાવવાની કે તેમને ગમે તે રીતે રિઝવવાની જરૂર હોતી નથી.
ઘણા લોકો એવા હોય છે કે જેમને સામે
કોણ છે, તેનાથી કશો ફરક પડતો નથી. તેમને જે કહેવાનું હોય તે કહીને જ જંપે (કે
છોડે) છે. તેમનું કહેવાનું પ્રી-રેકોર્ડેડ સંદેશા જેવું હોય છે. આવા લોકોએ સિંહ
સામે મળે ત્યારે ખાસ સાચવવું. કારણ કે, સિંહને કોઈની પણ મનકી બાત સાંભળવાની ટેવ કે
જરૂર હોતી નથી—અને તેનાં વખાણ કરવાની તો બિલકુલ નહીં. કારણ કે, સિંહ પર
ઇડી-સીબીઆઇ-આઇટીની રેડ પાડવાનું વ્યવહારમાં શક્ય નથી અને કેટલાક સિંહપાલકો
નેતાપાલકો પણ હોય, તો પછી આખો મામલો ઘરપરિવારનો- આંતરિક થઈ જાય છે.
એક જ્ઞાતિવિશેષ માટે (સત્ય-આધારિત)
રમૂજ પ્રચલિત છે કે સાંભળનારને તે વ્યક્તિની જ્ઞાતિ વિશે શી રીતે ખબર પડે? જવાબ બહુ સહેલો છે. એ જ્ઞાતિવિશેષની
વ્યક્તિ વાતચીતની શરૂઆતમાં જાતે જ હોંશે હોંશે પોતાની જ્ઞાતિનું એલાન કરી દેશે. (આ
કિસ્સામાં બંધબેસતી પાઘડી પહેરવી આવકાર્ય છે. કેમ કે, તે સ્વજાગૃતિનું પ્રતીક હોઈ
શકે છે.) આવા જ્ઞાતિગૌરવગ્રસ્ત લોકોએ પણ સિંહની સામે સાચવવું. કેમ કે, સિંહોમાં કે
ગમે તેટલાં હિંસક પ્રાણીઓમાં પણ હિંસાનું એક ધોરણ હોય છે. તે ગમે તેટલી લોહિયાળ
હોય, પણ જ્ઞાતિના ભેદભાવ જેટલી ક્રૂર નથી હોતી.
કેટલાક લોકો બહુ સામાજિક હોય છે.
તેમને લાગે છે કે સારી રીતે, સન્નિષ્ઠતાથી બોલવાચાલવાથી ઉભરાતી ગટરથી માંડીને ગ્લોબલ
વોર્મિંગ સુધીની બધી સમસ્યાઓ ઉકેલી શકાય છે. એવા લોકો સિંહને મળે તો બને કે તે
સિંહણની તબિયત વિશે કે તેમનાં બાળકો આજકાલ પરદેશના કયા ઝૂમાં છે, એ પૂછી બેસે અને
પછી લગે હાથ પોતાનાં પરદેશનિવાસી સંતાનોનો બાયો-ડેટા વર્ણવવાનું શરૂ કરી દે. એવા
લોકો પર, ન કરે નારાયણ ને સિંહ હુમલો કરે, તો પણ બદનામી તો સિંહની જ થાય. હિંસક તો
સિંહ જ ગણાય. કોઈને એવો વિચાર ન આવે કે સિંહ પેલા ભાઈના સંતાનચાલીસાથી પણ ખિજાયો
હોઈ શકે.
કેટલાકને એવો વહેમ હોય છે કે તે કોઈની પણ વાંત શાંતિથી સાંભળીને, તેમને યથાયોગ્ય સલાહ આપવાની ક્ષમતા ધરાવે છે. તેમના મનમાં તેમનું પોતાનું સ્થાન કોઈ નિષ્ણાત મનોચિકિત્સક કે માનસશાસ્ત્રીથી કમ નથી હોતું. તે લોકો સિંહની ત્રાડ સાંભળીને પણ દોટ મૂકવાને બદલે એવું વિચારતા હોય કે ‘તે ભલે ગુસ્સે થાય, હું તેને અભિવ્યક્ત થવાની પૂરેપૂરી તક આપીશ. તેને જજ નહીં કરું.’, તો તેમણે એક વાત યાદ રાખવી જોઈએઃ તે વેળાસર સિંહથી વિરુદ્ધ દિશામાં દોટ નહીં કાઢે તો, અમસ્તી પણ પછી તેમને એકેય તક મળવાની નથી.
પહેલાં કહેવાતું હતું કે માણસ
સોશ્યલ એનિમલ (સામાજિક પ્રાણી છે.) હવે કહી શકાય કે તે ‘સોશ્યલ મિડીયા એનિમલ’ (સોશ્યલ મિડીયામાં રાચતું પ્રાણી) છે. સોશ્યલ મિડીયાના જમાનામાં બધા જ ઇન્ફ્લુઅન્સર છે. (એક નિર્દોષ સવાલઃ ‘ઇન્ફ્લુઅન્સર’ શબ્દથી ઇન્ફ્લુએન્ઝાની-મહામારીની
યાદ આવે છે?) એવા સ્વઘોષિત ઇન્ફ્લુઅન્સર સિંહની સામે આવી જાય, તો તેમનો આત્મવિશ્વાસ જોઈને
સિંહ પણ કદાચ બે ઘડી મોળો પડી જાય. ઇન્ફ્લુઅન્સર પોતાના ફોલોઅર્સ, લાઇક્સ, તેમાંથી
મળતા રૂપિયાપૈસા, પ્રસિદ્ધિ અને તેના કારણે થઈ રહેલો જયજયકાર—ટૂંકમાં, તેમને લાગતી
માનસિક અસલામતી સિવાયનું બધું—ગણાવવા બેસે, તો સિંહને પણ થાય કે તેનો અવતાર એળે
ગયો.
ઇન્ફ્લુસરના ક્ષણિક પ્રભાવમાંથી બહાર આવ્યા પછી, શક્ય છે કે સિંહ (‘દીવાર’ ફિલ્મનો સંવાદ) ‘મેરે પાસ મા હૈ’ એટલું પણ ન બોલે. તે બોલ્યા વિના દર્શાવી શકે છે કે ઇન્ફ્લુએન્સર પાસે બધું જ હશે, પણ પોતાની પાસે એક થપાટમાં સામેવાળાના આખા જીવન પર ગંભીર ઇન્ફ્લુઅન્સ પાડી શકે, એવો ધારદાર-વજનદાર પંજો છે.
અલબત્ત, મોટા ભાગના લોકોના જીવનમાં
સામે સિંહ કરતાં કૂતરું મળે એવી સંભાવનાઓ ઘણી વધારે હોય છે. ત્યારે શું કરવું, તેની
વાત ફરી ક્યારેક.
✨✨
ReplyDelete