Monday, May 26, 2025

આપણા હક પર ઓછાયો

અલી ખાન મહમુદાબાદના કેસમાં સર્વોચ્ચ અદાલતે નાગરિક અધિકારોના રખેવાળ તરીકેની તેની હેસિયતને ધોખો પહોંચાડ્યો છે. 

પ્રતાપભાનુ મહેતા, ઇન્ડિયન એક્સપ્રેસ, 23-5-25

હરિયાણા રાજ્ય વિરુદ્ધ અલી ખાન મહમુદાબાદના કેસમાં સર્વોચ્ચ અદાલતના હુકમને પગલે, બંધારણીય મૂલ્યોની ખેવના કરનારા તમામ લોકોના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું હશે. ન્યાયાધીશોએ પ્રોફેસર ખાનને જામીન આપવા જેટલી દયા દાખવી. [હકીકતમાં] તેમની ધરપકડ સ્વતંત્રતાના રક્ષણનાં આપણાં સાવ નીચાં ધોરણોએ પણ વિવાદાસ્પદ ઠરે એવી છે. પ્રોફેસરને રાહત આપતો હુકમ [પણ] વાણીસ્વાતંત્ર્યના રક્ષણને ઘસારો પહોંચાડનારો છે. આપણે હવે એવા બંધારણ-રાજમાં આવી પહોંચ્યા છીએ, જ્યાં જામીન એ જાણે અદાલતની સખાવતી ઉદારતા બની ગઈ છે અને તે પણ એવી રીતે અપાય છે કે તેનાથી વધુ દમન માટેની જમીન તૈયાર થાય.

આવું લાગવાનાં ઘણાં કારણ છે. સૌપ્રથમ તો, અદાલતના હુકમમાં મુકવામાં આવેલી શરતો પોતે અધિકારોના અકારણ ઇન્કાર જેવી છે. અધ્યાપક ખાનને પાસપોર્ટ જમા કરાવવાનું અને હમણાં કંઈ પણ નહીં લખવાનું કહેવામાં આવ્યું છે. એટલી રાહત છે કે તે જેલમાં નથી. પરંતુ, હકીકતમાં સર્વોચ્ચ અદાલતે તેમને અચોક્કસ મુદત માટે સજા ફટકારી જ દીધી છે—એવી સજા, જેને તે લાયક નથી. સર્વોચ્ચ અદાલત, પ્રક્રિયાના નામે જે રીતે સામાજિક અંકુશનો ઉપયોગ કરવામાં આવે છે અને સ્વતંત્રતા પર કાપ મુકવામાં આવે છે, તે ન સમજવા જેટલી નાદાન હોય, એ માનવું અઘરું છે. કાયદા માટે પ્રક્રિયા બહુ મહત્ત્વની છે અને તેને યોગ્ય રીતે પાર પાડવામાં આવે તો તે કાનૂની રક્ષણનો મહત્ત્વનો ઘટક બની શકે છે. પરંતુ ભારતમાં પ્રક્રિયા કોઈ જાતનું રક્ષણ આપતી નથી, એ છૂપું નથી. તે એક એવી વિચારસરણી છે કે કાનૂનનો વ્યવસાય પણ ન્યાય અને હકને લગતી મહત્ત્વની બાબતોને ધૂંધળી કરી નાખવા માટે તેની ઓથે છૂપાઈ જાય છે. એ પણ છાનું નથી કે નિયત પ્રક્રિયા પોતે જ સજારૂપ છે. એ પણ ખાનગી નથી કે પ્રક્રિયાવાદનું ઓઠું ખાસ કરીને ન્યાયાધીશો દ્વારા ખપમાં લેવાતી મનગમતો નિર્ણય લેવાની છૂટ સાથે એકદમ સુસંગત છે. માટે, અદાલત પ્રક્રિયાકેન્દ્રી ન્યાયનું કોઈ સ્વરૂપ એનાયત કરવાના ઓછાડ તળે આ શરતો મુકે, ત્યારે હકીકતમાં આખા સવાલના કેન્દ્રમાં રહેલા પ્રાથમિક અધિકારોના રક્ષણ અંગે તે અપ્રામાણિક બને છે. કોઈ ગુના માટે નહીં, પણ પોતાના સામાન્ય હકના પ્રયોગ બદલ જેની ધરપકડ થઈ હોય એવા નાગરિક માટે, જામીનની શરતો આકરી હોય તો, તેના હકના રક્ષણ માટેની પ્રક્રિયા પણ વાણીસ્વાતંત્ર્યને અવરોધરૂપ બને છે.

અદાલતે આ કેસ માટે ત્રણ સભ્યોની ખાસ તપાસ ટુકડી (SIT) નીમી છે. હવે, આ ટુકડી તપાસમાં મદદરૂપ થાય એવી ઇચ્છા હોઈ શકે. આપણી ન્યાય પરંપરા આ પ્રકારની કાનૂની વિંડબનાને પ્રોત્સાહન આપે છે. પરંતુ હવે એવી ભયંકર રમૂજી સ્થિતિની કલ્પના કરો, જેમાં ત્રણ વરિષ્ઠ પોલીસ અફસરો બે ફકરાની એક પોસ્ટમાંથી કોઈ વિશિષ્ટ પ્રકારની ઉશ્કેરણી ઉકેલવાની કોશિશ કરતા હોય, કેમ જાણે તે પોસ્ટમાં કોઈ કોયડો લખાયેલો હોય. એચ.એમ. સીરવઈએ એક ન્યાયાધીશ વિશે માર્મિક રીતે કહ્યું હતું, તેમને નથી કાયદો આવડતો કે નથી અંગ્રેજી આવડતું. આપણે ધારી લઈએ કે આપણા હાલના ન્યાયાધીશોને કાયદો અને અંગ્રેજી બંને આવડે છે. તે એટલા સક્ષમ છે કે ખાનની પોસ્ટનો અર્થ, તેમાં રહેલી કોઈ અસ્પષ્ટતા અને તે કાયદાનો ભંગ કરનારી છે કે નહીં એ પાંચ જ મિનિટમાં નક્કી કરી શકે. પરંતુ તેમણે પોતાના અધિકારનો ઉપયોગ કરીને જેવું છે તેવું કહી દેવાને બદલે, SITનો રસ્તો લીધો, તે બે બાબત સૂચવે છેઃ પહેલું, તે નિર્દોષતાની પૂર્વધારણાને હડસેલો મારે છે. મતલબ, નાગરિક તરીકે તમે તમારા અધિકારનો ઉપયોગ કરો ત્યારે તમારે જ તમારી નિર્દોષતા પુરવાર કરવી પડશે. ખાનની પોસ્ટમાં કશી સંભવિત ઉશ્કેરણી છે એવું સૂચન જ નિર્દોષતાની પૂર્વધારણાને હડસેલો મારે છે અને સૂચવે છે કે અદાલત પોતાનો બચાવ કરવા ઇચ્છતા નાગરિકને નહીં, પણ સરકારને પૂરતી મોકળાશ આપવા માગે છે. આર્ટિકલ 19નું અદાલતે ન્યાયશાસ્ત્રની રીતે કરેલું અર્થઘટન, બીજાં વિશેષણો વિના કહીએ તો, વિસંગત કહેવાય એવું છે. પરંતુ કેટલીક બાબતોમાં તે એનાથી પણ ઘણું વધારે ખરાબ છે. એ તો દેખીતું છે કે વાણીના (અભિવ્યક્તિના) સંપૂર્ણ સ્વાતંત્ર્ય જેવું કશું હોતું નથી. પરંતુ ભારતના કાયદા પ્રમાણે પણ, તેની પરના અંકુશો દેખીતી ઉશ્કેરણી અને જાહેર શાંતિના ભંગ જેવી બાબતોને ધ્યાનમાં રાખીને જ, એટલો સાંકડો વ્યાપ ધરાવતા જ હોવા જોઈએ.

બીજું, કાનૂની સંસ્કૃતિમાં આવેલો બદલાવ ખતરનાક છે. તેનાથી એવી અપેક્ષા ઊભી થઈ છે કે વાણી સ્વાતંત્ર્ય ફક્ત સારી સારી બાબતોમાં જ હોવું જોઈએ. આ પ્રસંગ ખાનની પોસ્ટના ગુણદોષની ચર્ચાનો નથી. કેમ કે, સવાલ ખાનના ગુણદોષનો નહીં, તેમના અધિકારનો છે. દલીલ ખાતર કહી શકાય કે જાહેર વર્તુળોમાં ઘણાને આ પોસ્ટ બિનજરૂરી કે દેશપ્રેમવિહોણી લાગી શકે. એવું માનવાનો તેમનો અધિકાર છે. પરંતુ જેમની સામે ફરિયાદ થઈ છે તેમની પર લગભગ એવું દબાણ કરવામાં આવે કે તમારી અભિવ્યક્તિ દેશપ્રેમથી સભર છે એવું સાબિત કરો, તો બંધારણીય અને કાનૂની દષ્ટિએ તે ચિતાજનક છે. હકીકતમાં, સરકાર લોકોની અભિવ્યક્તિમાં દેશપ્રેમ શોધતી ફરે અને દરેક નાગરિકને તેનો દેશપ્રેમ સાબિત કરવા કહે, તેનાથી વધારે મોટી સાંકેતિક ઉશ્કેરણી (ડોગ વ્હીસલ) બીજી એકેય નથી. કેમ કે, એક તો દેશભક્તિ પોતે અસ્પષ્ટ વિષય છે. તેનાં ધોરણ કોણ નક્કી કરે? મને ખાતરી છે કે હાલનાં ધોરણો પ્રમાણે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને કદાચ બી.આર. આંબેડકર સુદ્ધાં એક યા બીજા તબક્કે દેશભક્તિવિહોણા લાગી શકે. એક રીતે, આખો મામલો [પ્રાથમિક અધિકારને બદલે] દેશભક્તિ ભણી ધકેલીને અદાલતે જાણેઅજાણે અભિવ્યક્તિ કે સ્વતંત્રતાને રક્ષણ આપવાને બદલે વિચારધારાને સમર્થન આપ્યું છે  દેશભક્તિના માસ્તર બનીને તેના પાઠ ભણાવવાનું કામ અદાલતનું નથી.

પરંતુ આ આખો મામલો બીજી રીતે કંપારી જગાડે એવો છે. શરૂઆતમાં આ કિસ્સો સ્થાનિક નિયમભંગ તરીકે રજૂ કરવામાં આવ્યો. હરિયાણાના મહિલા પંચ અને સ્થાનિક ભાજપ નેતાઓએ છીછરો આનંદ લઈ લીધો. પરંતુ હવે બે વાત સ્પષ્ટ છે. એક, સરકાર તેના સર્વોચ્ચ સ્તરેથી આ આખા કિસ્સાને અને ખાનને દાખલારૂપ બનાવવા પ્રતિબદ્ધ હોય એવું લાગે છે. સરકાર સહેલાઈથી, બહુ એવું લાગે તો એફઆઇઆર દાખલ કરીને પણ, આખા મામલાને નીપટાવી શકી હોત. પરંતુ તેણે ખાનને નિશાન બનાવવાનો અકળાવનારો સિલસિલો જારી રાખ્યો. સામાજિક અંકુશ રાખવા માટે આ સરકાર એ રીતનો ઉપયોગ કરે છે. બીજું, નવા મુખ્ય ન્યાયાધિશ પાસે સોનેરી તક હતી—અદાલતને એવી બનાવવાની કે જેમાં ઉદાર ન્યાયશાસ્ત્રના સિદ્ધાંતો અપનાવાય અને ભારતીય કાનૂનને ઘડનારી વિસંગતીઓ તથા મનસ્વી નિર્ણયોને ફગાવી શકાય. તે તક તેમણે ગુમાવી દીધી છે.

એ પણ સ્પષ્ટ છે કે અદાલત હોય, અફસરો હોય, પોલીસ હોય કે શિક્ષણજગત, બધા એક પ્રાથમિક બાબતનો ઇન્કાર કરી રહ્યા છે. દલીલ ખાતર માની લઈએ કે શિક્ષણજગતના 200 અગ્રણીઓઓ કરી છે તેમ, ખાનની પોસ્ટની ટીકા થવી જોઈતી હતી. તેમને એવી ટીકા કરવાનો અધિકાર છે. પરંતુ પહેલી તકે અદાલતી કાર્યવાહીમાં ઉતરી પડવું એ ધબડકાનો જ માર્ગ છે.

કમ સે કમ, જામીન હજુ શક્ય છે, એટલું દર્શાવવા માટે આપણે ન્યાયાધીશોના આભારી છીએ. પરંતુ તેમની ઉદારતા પણ આપણા હકો પર અમંગળ ઓછાયો પાડે છે.


No comments:

Post a Comment