Tuesday, April 29, 2025
થોડું અંદર ઉતરીને, થોડું વિચારધારા વિશે...
મોદીપ્રેમી/મુસલમાનવિરોધી લોકોની લાક્ષણિકતા એ છે કે તેમનો વિરોધ કરનારા બધા તેમને ડાબેરી, હિંદુવિરોધી, દેશદ્રોહી, કોંગ્રેસી લાગે છે.
તેમના વલણનો વિરોધ કરનારા લોકોમાં કેટલા પ્રકારો અને પેટાપ્રકારો હોઈ શકે એની તેમને ખબર જ નથી અથવા તે યાદ કરવા માગતા નથી.
ડાબેરી કોને કહેવાય, તે વિશેનું અજ્ઞાન જોકે ગુજરાતમાં જ્ઞાનપીઠવિજેતા સુધી પહોંચેલું છે. વર્ષો પહેલાં એવા એક વિજેતાએ કોઈને મારી ઓળખાણ આપતાં કહ્યું હતું,'આ ઉર્વીશ કોઠારી. ડાબેરી છે, પણ સારું લખે છે.'
હવે તમે જ કહો, તેમની આ દશા હોય, તો ફેસબુક પરના લોકોનો શો વાંક કાઢવો?
હકીકતમાં, મારા જેવા ઘણા લોકો કોઈ જડ વિચારધારામાં માનતા નથી. ડાબેરી એટલે હળવાથી આત્યંતિક ક્રમમાં જઈએ તો, સમાજવાદી, સામ્યવાદી, માઓવાદી અને તેમના અસંખ્ય પેટાપ્રકારો. હું નથી આંબેડકરવાદી, નથી ગાંધીવાદી. મને ગાંધી અને આંબેડકર બંને બહુ ગમે છે, ફૂલે તો મારા માટે હીરો છે, પણ ગમતા લોકો સાથે, પાયાના-મૂળભૂત ન હોય એવા મુદ્દે,અસંમતિ હોઈ શકે અને હોય છે. છતાં, તેમને, ગાંધી-આંબેડકરને, દિલથી ચાહી શકાય છે.
વિચારધારાના અર્થમાં હું સેક્યુલર પણ નથી. કારણ કે, વિચારધારા એને કહેવાય, જે સભાનતાથી અપનાવી હોય. મારી સાદી સમજ સહઅસ્તિત્ત્વમાં, સમાનતામાં અને માનવતામાં માનવાની છે. એ સમજ આખી જિંદગી ઘડતાં રહેવું પડે છે. શાસનનો-સ્થાપિત હિતોનો શક્ય એટલો વિરોધ, એ તેનો એક ભાગ છે. તેનો અંત નથી.
આ સમજ સતત ફાઇનટ્યુન કરવી પડે છે અને છેવટે તો, ઉપર જઈએ પછી જ નક્કી થાય કે 100માંથી કેટલા માર્ક આવ્યા. પણ આવી જે કંઈ સમજ છે તેને સેક્યુલરિઝમ, સ્યુડો-સેક્યુલરિઝમ, વામપંથ, ડાબેરી, હિંદુત્વવિરોધી--એવું બધું કહેવાય, એ તો આવી સમજથી જેમને તકલીફ થતી હતી ને થાય છે, તેમણે આપેલાં લેબલ છે. એટલે જ, એવાં લેબલ મને કદી અડતાં નથી.
ઘણા લોકો માને છે કે મારો એકમાત્ર ધંધો ને કામ ને હોબી મોદીને ગાળો દેવાની છે. સ્વાભાવિક રીતે જ આવા લોકોની સામાન્ય સમજના ગંભીર પ્રશ્નો હોય છે (એ તો આપણે ઉપર જોયું.) બાકી, રોજ પા-અડધા કલાકની મારી ફેસબુકચર્યા જોઈને અને તેમાં પણ બીજું કંઈ યાદ રાખ્યા વિના, ફક્ત મોદીની ટીકા યાદ રાખીને પછી, તે આવો અભિપ્રાય બાંધે તો તેમાં હું કશી મદદ કરી શકું નહીં. હકીકત એમ છે કે, મારા અનેક પ્રકારના રસ અને લખાણમાંથી મોદીપ્રેમીઓને ફક્ત મોદીની ટીકા જ 'સ્પર્શી' જાય છે અને મારો ફક્ત એટલો જ ભાગ યાદ રહી જાય છે.
મુદ્દાઆધારિત મૂલ્યાંકનના નામે, નરેન્દ્ર મોદીની આરતી ઉતારીને, તેમની કથિત કુશળતાના કી-બોર્ડસિપાહી બનીને, અમિત શાહ વિશે કદી કશું ન ઉચ્ચારીને, પછી સરકારના કે સરકારી તંત્રના છોંતરા કાઢી નાખવા--એવા ખેલ ગુજરાતમાં બહુ વખતથી ચાલે છે. યુટ્યુબ ચેનલોમાં પણ, જૂજ અપવાદોને બાદ કરતાં એ લગભગ ધોરણ બની ગયું છે. આખરે તો, પાપી વ્યૂનો સવાલ છે.
હું સમજું છું કે મોદી-શાહને સાચવી લઈને, વારેતહેવારે તે કેવા મહાન છે તેની બિરદાવલીઓ ગાઈ લેવી એ કસદાર ધંધો છે. એવા ધંધાર્થીઓ વિશે મારે કશું કહેવાનું નથી. કારણ કે, તે ધંધાદારીઓ છે અને તેમનું વિશ્લેષણ ન હોય.
હું સમજું છું કે સરકારનું બહુ દબાણ હોઈ શકે છે. હું કોઈને શહીદ બનવાની સલાહ નથી આપતો. જેનો આટલો મોટો હિસ્સો સારાસારવિવેક ગિરવે મુકીને બેઠો હોય, એવી પ્રજા માટે શહીદ ન થવાય--એટલી સમજણ મને પણ પડે છે. તેનો અર્થ એવો નહીં કે મોદી-શાહની આરતીઓ ઉતારીને, બાકીના તંત્ર કે સરકારની છાલ કાઢીને બહાદુરીના ફડાકા મારવાના. પણ બહુ મોટી સંખ્યામાં વાચકો આવા ખેલ પારખી શકતા નથી, એ હકીકત છે--પ્રજાકીય લક્ષણ કહી શકાય એટલી વ્યાપક હકીકત.
જોકે, ગુજરાતી પ્રજાને તેજાબી કલમ કે તેજાબી અભિપ્રાયો કે છોતરા કાઢી નાખવાના નામે મૂરખ બનાવવાનો ને પોતે કેવા બહાદુર છે તે દેખાડવાનો ખેલ આજકાલનો નથી. મારું એવું ખાનગી અને બિનઆધારભૂત છતાં પાયાદાર 'સંશોધન' છે કે ગુજરાતની પ્રજાને કેટલી આસાનીથી મૂરખ બનાવી શકાય છે, તેની જાણ નેતાઓ કરતાં પણ પહેલાં આપણા ઘણા કટારલેખકોને થઈ ગઈ હતી. એટલે વાચકો-દર્શકો આગળ તટસ્થતાના નામે આરતીઓ ઉતારવાનો, સાચવીને ટીકા કરવાનો ને ધૂર્તતાને બહાદુરી તરીકે રજૂ કરવાનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, યુ નો.
મોદીની કે શાસનની ટીકા કરવામાં મને કદી બહાદુરીનો અનુભવ નથી થયો. મારે મન એ કેવળ પ્રતીતિનો--મને જે લાગે છે તે કહેવાનો--મામલો છે. એથી ઓછો નહીં. એથી વધારે નહીં. તે કોઈ અદૃશ્ય કે દૃશ્ય વાચકવર્ગને કે શ્રોતાવર્ગને ધ્યાનમાં રાખીને, કે તેમને અંકે કરવા માટે કરાતી કસરત નથી.
હા, એવું બને છે કે ટીકા કરવા લાયક બધી બાબતોની એકસરખી તીવ્રતાથી ટીકા કરી શકાતી નથી. સમય, સંજોગો, પૂરતી જાણકારીનો અભાવ, બીજી પ્રતિકૂળતાઓથી માંડીને પ્રાથમિકતા જેવાં ઘણાં પરિબળો તેમાં કામ કરે છે. મંત્રી ન હોય એવા માણસ માટે આવું કરવું ફરજિયાત નથી, એ બાબતે હું નિશ્ચિત અને નિશ્ચિંત છું.
મને એક બાબતનું સૌથી વધારે ગૌરવ છેઃ મેં કદી કોઈના પણ હીન, માનવતાવિરુદ્ધ કામનો બચાવ કર્યો નથી, તેને છાવર્યું નથી કે તેને ધોકા પડતા હોય ત્યારે તેમના બચાવ ખાતર ધ્યાન બીજે ભટકાવવા દોડી ગયો નથી. મોદીપ્રેમીઓ તેમના વિચારવિરોધીઓ માટે જાતજાતનાં અને સમજ વગરનાં વિશેષણો વાપરવાની સાથેસાથે ક્યારેક આવી રીતે પણ પોતાની જાતનું મૂલ્યાંકન કરી જુએ.
બને કે તેમને પોતાના વિશે કંઈક વધુ જાણવાનું મળે.
Labels:
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment