Thursday, June 19, 2025

ગરમી અને ચા

થોડા દાયકા પહેલાં ગામના રેલવે સ્ટેશનના ટી સ્ટોલ પર એક જૂનું પાટિયું વાંચવા મળતું હતું. ચા એ નિશા (નશા) વગરની પ્યાલી છે. તે શિયાળામાં ઠંડક ને ઉનાળામાં ગરમી આપે છે. તે વાંચીને ચા પ્રત્યે તો ઠીક, તે લખનારના ચા પ્રત્યેના ભક્તિભાવ વિશે માન ઉપજ્યું હતું. ચા-પ્રેમી હોવા છતાં મને આવો મહાન વિચાર ન આવ્યો એવો અહેસાસ પણ થયો હતો.

લોકો પર આખેઆખી રામાયણ-ભાગવતની કથાઓ સાંભળ્યાની કશી અસર થતી નથી, તો મારી પર એક પાટિયાની અસર થાય, એવી અપેક્ષા વધુ પડતી ગણાય. છતાં, ચા-પક્ષની મજબૂત રજૂઆત તરીકે એ લખાણ યાદ રહી ગયું. કવિ દલપતરામે પોતાના માટે રૂડી ગુજરાતી વાણીરાણીનો વકીલ છું એવું ભરદરબારમાં કહ્યું હતું. તેમ, રૂડી આદુવાળી ચાહ-રાણીનો વકીલ છું –એવું ગાવાનો વારો આવે, ત્યારે પાટિયાના લખાણનો ઉપયોગ કરવો, એવું વિચારી રાખ્યું હતું. પણ લોકશાહીમાં દરબારો તો ગુંડાઓ ને મત્રીઓ જ ભરે છે ને ત્યાં ચાનાં વખાણ જેવી બિનઉપજાઉ પ્રવૃત્તિને કોઈ સ્થાન હોતું નથી.

દુનિયામાં બુદ્ધના, ઇસુ ખ્રિસ્તના, ગાંધીજીના વિરોધીઓ (ટીકાકારો નહીં, વિરોધીઓ) હોઈ શકે, તો ચાની શી વિસાત? ચાના વિરોધીઓ ચોક્કસ વર્ગ ટાંપીને બેઠો હોય છે કે ક્યારે લાગ મળે ને ચાની નિંદા શરૂ કરીએ. એવા લોકો માટે ઉનાળો સૌથી અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. કારણ કે, સવારના નવ વાગ્યાથી આકરો તડકો શરૂ થાય અને શહેરોમાં તો રાત્રે પણ ગરમ પવન આવતો હોય. આફતને પોતાની વિચારધારાના પ્રચાર માટે વાપરી લેવાની નવાઈ રહી નથી. એ માનસિકતા પ્રમાણે, કેટલાક લોકો કહે છે,લમણું તપી ગયું ને શરીર પરથી પરસેવાના રેલા જાય છે. બોલો, આવામાં કંઈ ચા પીવાતી હશે?’ આટલું બોલાયા પછી પણ ઓડિયન્સ પર ધારી અસર ન પડે, આસપાસ રહેલા લોકોને ચાના નકામાપણા વિશે ખાતરી ન થાય, તો તે વાતમાં વજન ઉમેરીને કહે છે,બોલો, આવી ગરમીમાં ચા પીનારા મૂરખા કહેવાય કે નહીં?’

પોતાનો ધાર્યો જવાબ ઓડિયન્સ પાસેથી મેળવવાની તરકીબ સારી છે, પણ તે દરેક વખતે અસરકારક નીવડતી નથી. આવો સવાલ પૂછાય ત્યારે આસપાસ બેઠેલામાંથી એક વર્ગ એવો હોય છે, જે બરાબર સમજે છે કે આવા સવાલ જવાબની અપેક્ષાએ પૂછાતા નથી. એટલે તે સવાલ સાંભળ્યો-ન સાંભળ્યો કરે છે અને હવે પછીની ચા મેળવવાની વેતરણમાં પડી જાય છે. બીજો વર્ગ એવો હોય છે, જેને ફેસબુક-પ્રજાતિ કહી શકાય. એ વર્ગના લોકો આવો સવાલ સાંભળીને કહે છે, મૂરખા? અરે, જેવાતેવા નહીં, એક નંબરના મૂરખા. તમારી વાત એકદમ સાચી છે. સો ટકા સંમત. એવામાં બીજો અવાજ આવે છે,ચા તે ચા. બીજા બધા વગડાના વા. ચાને ગરમી સાથે નહીં, ચાહના સાથે-ચાહત સાથે સંબંધ છે. જેમની ચાહના કાચી, તેમને જ ચા નડે. બાકી બધાને ફળે. એ સાંભળીને, તદ્દન વિરોધી લખાણમાં હોંશે હોંશે સૂર પુરાવી આવેલા ફેસબુક-પ્રજાતિના સભ્ય ટહુકે છે, વાહ. કેટલી સરસ વાત. સો ટકા સંમત.

આવા સંવાદોથી ગરમીમાં ચાની અસર વિશે જાણવા મળે, તેના કરતાં ઉભયચર એવી ફેસબુક પ્રજાતિ વિશે વધારે જાણવા મળે છે. (તે બંને અંતિમોના અભિપ્રાયોમાં એકસરખી હોંશથી ટાપશી પુરાવતી હોવાથી તેમના માટે ઉભયચર જેવું નામકરણ પસંદ કર્યું છે.) જોકે, ઉભયચરોના અભિપ્રાયથી ચા-ચર્ચામાં કશી પ્રગતિ થતી નથી. ખરું જોતાં, ચાપ્રેમીઓ પર આવા કોઈ સંવાદોની કશી અસર થતી નથી. કારણ કે, ચાહના ઋતુઆધારિત હોય, એવી કલ્પના સુદ્ધાં તેમને ચાના દ્રોહ અને ચાહનાદ્રોહ સમાન લાગે છે.

એક વર્ગ એવો પણ છે, જે બોલો, આવી ગરમીમાં ચા પીવાય?’ એવો સવાલ કરનારની સામે ધારીને જુએ છે. સવાલકર્તા જરા ઓઝપાય તો ઠીક, ન ઓઝપાય તો તે કહે છે,તમારા મતે ગરમીમાં શું પીવું જોઈએ?’

ચાની ઇચ્છનિયતા સામે સવાલ ઉઠાવનાર જરા જોશમાં આવે છે. તેને થાય છે કે આ જણ ડગુમગુ લાગે છે. તેને બે-ચાર સવાલના જોરદાર જવાબ આપી દઈશું તો તે પણ માનતો થઈ જશે કે ગરમીમાં ચા ન પીવાય. એટલે, તે કહે છે,સરસ સવાલ છે. ખરેખર, સરસ સવાલ. જુઓ, એવું છે કે ગરમીમાં અસંખ્ય વિકલ્પો છે. તૈયાર શરબત, છાશ, બાફલો, લીંબુપાણી, જ્યુસ, શેક, કોલ્ડ કોફી...અરે, ચા વિના ન જ ચાલે એવું હોય તો આઇસ ટી...બોલો.

આટલી લાંબી યાદી આપ્યા પછી તેને આશા જાગે છે કે સવાલ પૂછનાર હમણાં તેના આપેલા વિકલ્પોમાંથી એકાદ પર ટીક કરશે અને તેને ચાની આસક્તિમાંથી છોડાવ્યાનું પુણ્ય હાંસલ થશે. સામેવાળો પણ રીઢો હોવાથી, તે થોડી વાર મૌન રાખે છે અને એવું લગાડે છે, જાણે તે ચાના વિકલ્પો વિશે વિચાર કરી રહ્યો છે. છેવટે, તેના ચહેરા પર વિચારપ્રક્રિયા પૂરી થયાનો સંતોષ પ્રગટે છે અને તે ફાઇનલ જવાબ આપવા તત્પર થાય છે. ચાવિરોધી જણ ઉત્કંઠાથી જવાબ સાંભળવા કાન માંડે, ત્યારે રીઢો જણ કહે છે,તમે આપેલા બધા જ વિકલ્પ બહુ સરસ છે, પણ તમારા માટે હું શી રીતે નક્કી કરી શકું? એક કામ કરો. એ વિકલ્પોમાંથી તમને જે સહેલાઈથી મળે, એ તમે પી લો, પણ મારા માટે તો એક ચા જ. બિલકુલ ઉતાવળ નથી.’ 

Thursday, June 12, 2025

‘ગાંધી પછીનું ભારત’ની પ્રકાશન-કથા (2) : "સાડા ત્રણ મહિનામાં પહેલા ભાગનો અનુવાદ પૂરો થઈ શકે."

'ગાંધી પછીનું ભારત'ની પ્રકાશન કથા (1)

બપોરે રામચંદ્ર ગુહાને મળ્યા પછી રાત્રે ઘરે પહોંચીને તેમને ઇ-મેઇલ લખ્યો. તેમાં મળવાનો આનંદ વ્યક્ત કરવા ઉપરાંત, ઇન્ડિયા આફ્ટર ગાંધીના ગુજરાતી અનુવાદની વાતનો ઉલ્લેખ કર્યો હતો. બીજા દિવસે ગુહાનો મેઇલ આવી ગયો. તેમાં લખ્યું હતું, Go ahead with the Gujarati translation of “India After Gandhi”.  આમ, 20 ઓક્ટોબર 2016થી ઇન્ડિયા આફ્ટર ગાંધીના ગુજરાતી અનુવાદની ઘડિયાળ શરૂ થઈ (જે સમય જતાં ઘડિયાળને બદલે કેલેન્ડર બની જવાની હતી) તે વખતે સાર્થક જલસો-7 (નવેમ્બર 2016)નું કામ ચાલતું હશે, એટલે વચ્ચે ખાડો પડ્યો. પણ 11 ડિસેમ્બર, 2016ના રોજ પુસ્તકનાં પહેલાં ત્રણેક પાનાંનો અનુવાદ કરીને મેં સાર્થકના સાથીદારોને મોકલ્યો. સાથે લખ્યું હતુઃ

આ સાથે ઇન્ડિયા આફ્ટર ગાંધીનાં પહેલાં ત્રણ પાનાંનો અનુવાદ મોકલું છું. અખતરા લેખે આજે મેં કરી જોયો, જેથી સમયનો ખ્યાલ આવે. આટલું કરતાં મને એક કલાક થયો. અનુવાદ વિશે તમારી ટિપ્પણીઓ જણાવશો. આ પુસ્તક આપણે કરવું જોઈએ, એવું મને લાગે છે. અનુવાદ કરનાર કોઈ સરસ મળે અને આપણે [થયેલા અનુવાદ પર] ઓછામાં ઓછી મહેનત કરવી પડે, તો અનુવાદ માટે આપવાની આપણી તૈયારી છે. બાકી, હું અને દીપક કરી લઇએ. બીરેનને રસ અને સમય હોય તો તેને સાંકળી શકીએ... આપણે બે ભાગમાં આ કામ કરવાનું છેઃ ઇન્ડિયા આફ્ટર ગાંધી, ઇન્ડિયા આફ્ટર નેહરુ. પહેલા ભાગનાં 384 પાનાં છે. આપણે બે જણ કરીએ અને રોજનાં બે પાનાં અચૂક કરવાં એવા નિયમ સાથે કરીએ તો એક જણનાં અઠવાડિયાનાં 14 અને મહિનાનાં આશરે 60 પાનાં થાય. એટલે એક જણ ત્રણ મહિનામાં આશરે 180 પાનાં કરે. બે જણ કરે તો 360 પાનાં થાય. આમ સાડા ત્રણ મહિનામાં અનુવાદનું કામ પૂરું થઇ શકે.

કેવું ભવ્ય, આશાવાદી અને વાંચવામાં સારું લાગતું, છતાં ભાગ્યે જ પાર પડે એવું આયોજન 😊 . પરંતુ આપણું ધાર્યું ક્યાં કંઈ થાય છે. છેવટે તો અનુવાદ કરનારા કરે એ જ થાય. દીપક-બીરેનને સમય અને રસરુચિના અભાવે સંકળાવાનું ન બન્યું. યાદ છે ત્યાં સુધી, નીલેશભાઈ (રૂપાપરા)ને પણ પૂછી જોયું હતું. પરંતુ આ કામ એટલું લાંબું હતું કે કોઈને પણ તે હાથમાં લેતાં સ્વાભાવિક ખચકાટ થાય. છેવટે દિલીપભાઈ ગોહિલને અમે વાત કરી. દિલીપભાઈ ગુજરાતી ઇન્ડિયા ટુડેના કોપી એડિટર રહી ચૂક્યા હતા. તેમનો અંગ્રેજીમાંથી ગુજરાતી અનુવાદ બહુ સારો. દિલીપભાઈ જોડેની દોસ્તીમાં ભૂતકાળમાં ચડાવઉતાર રહ્યા હતા, પણ તેમના કામની ગુણવત્તા વિશે બેમત ન હતો. એટલે અમે વ્યાવસાયિક ધોરણે આ કામ આગળ વધારવાનું નક્કી કર્યું. ત્યાં સુધીમાં મે પહેલું પ્રકરણ શરૂ કરી દીધું હતું. એટલે, મૂળ યોજના પ્રમાણે, પહેલા ભાગનાં પ્રકરણ હું કરું ને બાકીના ભાગ (બીજા મિત્રોને બદલે) દિલીપભાઈ કરે એવું ઠર્યું.

દિલીપ ગોહિલઃ સાર્થક જલસો-9ના મિલન મેળાવડામાં (ફોટોઃ ઇશાન કોઠારી)

પુસ્તકના બે ભાગનું નામ અલગ અલગ (ઇન્ડિયા આફ્ટર ગાંધી, ઇન્ડિયા આફ્ટર નેહરુ) રાખવાનો ખ્યાલ હિંદી અનુવાદ પરથી આવ્યો હતો. ગુહા સાથે વાત થઈ ત્યારે તેમને કહ્યું હતું કે ગુજરાતીમાં આટલું દળદાર પુસ્તક (એકાદ હજાર પાનાંનું) ચાલે નહીં. તેના બે ભાગ કરવા પડે. ત્યારે તેમણે કહ્યું હતું કે હિંદી અનુવાદ બે ભાગમાં છે અને તેને બે અલગ નામ પણ આપવામાં આવ્યાં છે. પુસ્તકના ભાગ પણ સહજ રીતે એવા બની આવ્યા છે કે આઝાદીથી નહેરુના શાસનકાળ સુધીનું એક પુસ્તકમાં આવે અને તેમના મૃત્યુ પછીના ગાળાનું બીજું પુસ્તક થાય.

આવી માનસિક તૈયારી સાથે દિલીપભાઈએ અને મેં કામ શરૂ કર્યું. આટલાં વર્ષે મનમાંથી નીકળી ગયું હતું, છતાં આ લખતી વખતે જૂના ઇ-મેઇલ જોઈને થયું કે શરૂઆતમાં કામ બરાબર ચાલતું હતું. ડિસેમ્બર 2016ના મારા એક મેઇલમાં એવો પણ ઉલ્લેખ છે કે અમે માર્ચ 2017 સુધીમાં પહેલા ભાગનું કામ પૂરું કરી દઈશું. ત્યારે એવું પણ વિચાર્યું હતું કે કદાચ પહેલો ભાગ થઈ જાય તો, બીજા ભાગની રાહ જોયા વિના, તેને પ્રગટ કરી શકાય. દરમિયાન, વર્ષ 2017માં રામચંદ્ર ગુહા પુસ્તકની બીજી આવૃત્તિની તૈયારી કરતા હતા. તેમાં તેમણે એક પ્રકરણ અને નવી, લાંબી પ્રસ્તાવના ઉમેર્યાં હતાં. આ વાતની જાણ તેમણે મને પણ કરી અને કહ્યું કે દસ વર્ષ પછી થઈ રહેલી પુસ્તકની આવૃત્તિમાં નવી સામગ્રી આવી રહી છે. ફેબ્રુઆરી 2017માં નવા ઉમેરાની જે વર્ડ ફાઇલ તેમણે તેમના અંગ્રેજી પ્રકાશકોને જે મોકલી હતી, એ જ અમને પણ મોકલી આપી. જોકે, અમારા માટે એ કામ હજુ દૂર હતું. કારણ કે અમે પહેલો ભાગ પૂરો કરવામાં હતા.

સાર્થક જલસો-8નો સંપાદકીય

માર્ચ-એપ્રિલ આવ્યા એટલે સાર્થક જલસોના આઠમા અંકનું કામ શરૂ થયું અને અનુવાદ સહિતનું બીજું કામ બાજુ પર મુકાઈ ગયું. એ જ અરસામાં અશ્વિની ભટ્ટની નવલકથાઓના હકો પણ તેમના પરિવારે સાર્થક પ્રકાશનને આપ્યા. અશ્વિની ભટ્ટની નવલકથાઓના ચાહક અને તેમના અંગત પરિચયમાં આવ્યા પછી તેમના વ્યક્તિત્વના પ્રેમી એવા અમારા માટે એ બહુ મોટી વાત હતી. એટલે સાર્થક જલસો-8ના સંપાદકીયમાં પોતપોતાની રીતે અત્યંત મોટાં ગણાય એવાં બે નામ હવે સાર્થકમાં વાંચવા મળશે, એવા સમાચાર જાહેર કર્યા. એટલેથી ન અટકતાં એવું પણ લખ્યું કે (તેનો) પહેલો ભાગ બે-ત્રણ મહિનામાં અને બીજો ભાગ વર્ષના અંત સુધીમાં વાચકો સમક્ષ મૂકવાનો ખ્યાલ છે. અંકના ઉઘડતા પાને ઇન્ડિયા આફ્ટર ગાંધીના અનુવાદની આખા પાનાની જાહેરાત પણ છપાઈ હતી. તેમાં લખ્યું હતું, તેનો પહેલો ભાગ જુલાઇ 2017 સુધીમાં પ્રગટ થશે.

તો પછી જુલાઇ 2017 લંબાઈને છેક મે 2025 સુધી કેમ પહોંચી?

(ક્રમશ-)


Wednesday, June 11, 2025

કાળાધોળા વાળ

આ જગતમાં સમસ્યાઓ ઘણી છે ને વધી રહી છે, પણ ગમે તેટલી સમસ્યાઓ ગમે તેટલી માત્રામાં વધે, તેમના મુખ્ય બે પ્રકાર જેમના તેમ રહેવાનાઃ ખાલી પેટની સમસ્યાઓ અને ભરેલા પેટની સમસ્યાઓ. તેમાંથી ખાલી પેટની સમસ્યાઓ વિશે ખાલી કે ખાલી ખાલી કે ભરેલી પણ વાતો કરનારા લોકો ગુજરાતમાં—અને હવે ભારતમાં—ડાબેરી, સામ્યવાદી, વામપંથી, લિબરલ વગેરે વિશેષણોથી ઓળખાય છે, જ્યારે ભરેલા પેટની સમસ્યા અને તેના ઉકેલની વાતો કરનારા લાખોકરોડો કમાય છે.

માટે, સ્વાભાવિક રીતે જ, શાણા માણસે ભરેલા પેટની સમસ્યા વિશે જ વાત કરવી જોઈએ. એવી સમસ્યાઓની યાદી નાની નથી. એક વાર એવી સમસ્યાથી પીડિતની દૃષ્ટિએ વિચારતાં તે સમસ્યા અતિ ગંભીર પણ લાગી શકે. જેમ કે, એસીમાંથી ટપકતું પાણી અથવા હિંચકામાંથી બોલતો કિચુડ કિચુડ અવાજ અથવા ગાલ પર થતાં ખીલ... એ યાદીમાં સ્થાન પામતી એક સમસ્યા એટલે માથામાં જોવા મળતા કાળાધોળા વાળ.

કાળાધોળા તો સભ્ય પ્રયોગ છે. હકીકતમાં તે કાબરચીતરા કે ખીચડી વાળ પણ કહેવાય છે. તે સમસ્યાની શરૂઆત માથામાં પહેલો સફેદ વાળ દેખાવાની સાથે થાય છે. જો બીજું કોઈ સફેદ વાળ પ્રત્યે ધ્યાન દોરે, તો માણસને પહેલાં વિશ્વાસ પડતો નથી. યાદ આવે છે કે હજુ તો મને અમુક જ વર્ષ થયાં છે ને સફેદ વાળ? હમારી જેલમેં સુરંગ?’ તેને થાય છે, નક્કી રસ્તામાં જતી વખતે ક્યાંકથી લોટ-બોટ ઉડ્યો હશે ને એકાદ વાળ ઉપર લપેટાઈ ગયો હશે. તે સહેજ માથું ખંખેરવા જેવું પણ કરે છે, એટલે એકલદોકલ વાળ કોતરોમાં ઉતરી જતા બહારવટિયાની જેમ કાળા વાળના જંગલમાં ક્યાંક દબાઈ-દટાઈ જાય છે. પછી માણસ ખચકાતાં ખચકાતાં અરીસામાં જુએ છે, પણ હોરર ફિલ્મોમાં થાય છે તેમ, એક દૃશ્યમાં અરીસામાં પાછળ કોઈ ઊભેલું દેખાય ને બીજા દૃશ્યમાં અરીસો ખાલીખમ. એવું જ સફેદ વાળનું થાય છે. માથામાં ક્યાંય ભયપ્રેરક સફેદીકી ચમકાર ન જોઈને માણસનો જીવ હેઠો બેસે છે.

શાસકોની જેમ સફેદવાળધારી પણ સમસ્યાને છુપાવી દઈને તેને ઉકલી ગયેલી ગણી લે છે. શાસકો તેમનાં જૂઠાણાંની મદદથી એ ખેલ લાંબો ચલાવી શકે છે, જ્યારે સફેદ વાળના કિસ્સામાં એવું બનતું નથી. થોડા વખત પછી તે ફરી દેખા દે છે. ત્યારે માનવવસ્તીમાં દીપડાએ દેખા દીધી હોય એવો ધ્રાસ્કો શબ્દાર્થમાં કાળા માથાના માનવીનમા મનમાં પડે છે. તેને થાય છે કે આ વાળની વસ્તી વધશે તો શું હું એક દિવસ કાળા માથાનો માનવી એટલે કે માણસ પણ મટી જઈશ? કેમ કે, સામાન્ય માણસનો ઉલ્લેખ કરતી વખતે કદી ધોળા માથાનો કે કાબરચીતરા માથાનો એવું કહેવાતું નથી.

સફેદ વાળ એક વાર નિર્ણયાત્મક રીતે, મક્કમતાથી અને હું તો ક્યાંય જવાનો નથીની પ્રતીતિ સાથે માથામાં દેખાઈ જાય, ત્યાર પછી તેના અસ્તિત્વનો ઇન્કાર કરી શકાતો નથી. નરી આંખે દેખાતી ચીજનું અસ્તિત્વ નકારવાના મામલે બધા પાસે સરકાર જેટલી સુવિધા હોતી નથી. છતાં, તે સરકારમાંથી પ્રેરણા લઈને નેરેટિવ તો બદલી જ શકે છે. એટલે, માણસ વિચારે છે, હજુ તો મારે છૂટાછવાયા જ સફેદ વાળ દેખાય છે, જ્યારે ફલાણાભાઈ કે અમુક બહેન તો મારાથી પાંચ વર્ષ નાનાં છે. છતાં તેમનું આખું માથું ખીચડી થઈ ગયું છે. બીજાના દુઃખે સુખી થવાનો આ રસ્તો ટૂંકા ગાળા માટે કામ કરી શકે, પણ ધીમે ધીમે મનમાં સત્યનો ઉદય થાય છે કે પાકિસ્તાન ગમે તેટલું ખરાબ હોય, ફક્ત એટલી હકીકતથી આપણે સારા થઈ જતા નથી. આપણે આપણી સારપ સ્વતંત્રપણે સિદ્ધ કરવી પડે છે. ટૂંકમાં, માથામાં વધી રહેલા સફેદ વાળ માટે નેરેટિવ બદલ બદલ કરવાથી કામ નહીં ચાલે.

ત્યાર પછીનો એક આખો ગાળો એવો વીતે છે, જ્યારે માથામાં કાળા અને ધોળા વાળ વચ્ચે વર્ચસ્વ માટેનું યુદ્ધ ચાલતું હોય એવું લાગે. સારી વાત એ છે કે તે કોલ્ડ વોર (શીત યુદ્ધ) છે. એટલે તેમાં માથાને કે તેની અંદર કંઈ હોય તો તેને પણ કશી ઇજા પહોંચતી નથી. તે સમયગાળામાં ઘણા લોકો ડાઇ કહેતાં કલપનો સહારો લઈને સફેદ વાળને બળજબરીથી કાળા બનાવવાનો પ્રયાસ કરે છે. તે અમુક રીતે, બ્લેકમેઇલરની માગણી સંતોષવા જેવું બની રહે છે. તેનો કદી છેડો આવતો જ નથી. પછી એવો તબક્કો આવે છે કે હવે ડાઇ બંધ કરી દઈશું તો વધારે ખરાબ લાગશે.

કેટલાક લોકો બ્લેકમેઇલિંગને તાબે થવાને બદલે કાળા વાળ વતી બહાદુરીપૂર્વક હારનો સ્વીકાર કરે છે અને સફેદ વાળને જાણે કહે છે, જાવ, તમારે જેટલું વધવું હોય તેટલું વધો. બલ્કે, ઝડપથી વધીને આખું માથું તમારા રંગમાં રંગી નાખો. જેથી કમ સે કમ કાબરચીતરા વાળમાંથી તો મુક્તિ મળે. ડાઇ સામે વિવિધ કારણોસર વાંધો ધરાવતા લોકો મહેંદીના શરણે જાય છે. તેમના માટે મહેદી રંગ લાગ્યો—એ શબ્દોનો અર્થ બદલાઈ જાય છે અને જતે દહાડે તેમના વાળ નહીં કાળા, નહીં ધોળા, પણ મહેંદી રંગના થાય છે.

તેનાથી કાળાધોળાની સમસ્યાનો ઉકેલ નથી આવતો, પણ સાહિર લુધિયાનવીએ કહ્યું હતું તેમ, એક ખૂબસુરત મોડ આપીને આખી વાતને છોડી શકાય છે.

Sunday, June 08, 2025

India After Gandhiના ગુજરાતી અનુવાદ ‘ગાંધી પછીનું ભારત’ની પ્રકાશન-કથા (1)

ગાંધી પછીનું ભારત–એટલે કે ‘India After Gandhi’ના ગુજરાતી અનુવાદનો યાદગાર સમારંભ 18 મે, 2025ની સાંજે યોજાયો, પુસ્તકના પ્રકાશનનો કાર્યક્રમ સામાન્ય બાબત છે, કાર્યક્રમ બહુ સરસ થયો હોય, તો બે-ચાર દિવસ સુધી યાદ રહે, પરંતુ રામચંદ્ર ગુહાના પુસ્તક ‘ઇન્ડિયા આફ્ટર ગાંધી’નો ગુજરાતી અનુવાદ પ્રગટ થયે ત્રણેક અઠવાડિયાં થયાં. છતાં, એ પ્રસંગનો આનંદ અને ત્યારે થયેલો સંતોષ હજુ સંપૂર્ણપણે ઓસર્યાં નથી.

આવું કેમ?

તેનો એક જવાબ એટલે આ પ્રકાશન-કથા.

*

વર્ષ 2009. ભારતીય પ્રકાશનજગતમાં નવો ઇતિહાસ રચાયો. તે વર્ષે રામચંદ્ર ગુહા દ્વારા લખાનારા ગાંધીજી બે ભાગના જીવનચરિત્ર સહિત કુલ 7 પુસ્તકોના હક માટે પ્રકાશકોએ હોડ લગાવી હતી. મામલો રૂ. એક કરોડની ઉપર પહોંચી ગયો હતો, પણ છેવટે રામચંદ્ર ગુહા અને તેમના એજન્ટે પેન્ગ્વિન ઇન્ડિયાના કામને ધ્યાનમાં રાખીને, તેને રૂ. 97 લાખની એડવાન્સ રકમ પેટે એ હક આપ્યા. ભારતીય પ્રકાશનક્ષેત્રે આટલી મોટી રકમ એડવાન્સ ચૂકવાઈ હોય, તેવું અગાઉ કદી બન્યું ન હતું.

સ્ટોરીની લિન્ક 

ગુહા વિદ્વાન-અભ્યાસપૂર્ણ લેખક તરીકે પ્રતિષ્ઠિત હતા, પણ તેમને પાંડિત્યપૂર્ણ-એકેડેમિક લેખકમાંથી ઇતિહાસકાર તરીકે લોકપ્રિય બનાવનાર અને તેમને એક જુદી જ કક્ષા-ભ્રમણકક્ષામાં મુકનારું પુસ્તક હતું ઇન્ડિયા આફ્ટર ગાંધી. તેની પહેલી આવૃત્તિ 2007માં પ્રગટ થઈ હતી. તેની ભારે સફળતાના પગલે વર્ષ 2009માં તેમનાં આગામી પુસ્તકોના હક માટે વિક્રમસર્જક રકમ એડવાન્સ તરીકે ચૂકવાઈ. ત્યાર પછીના ગાળામાં  રામચંદ્ર ગુહાએ બીજાં કેટલાંક પુસ્તક લખ્યાં. ગાંધીજીની જીવનકથાનો પહેલો ભાગ ગાંધી બીફોર ઇન્ડિયા પણ પ્રગટ થયો. ત્યાર પછી તેના બીજા ભાગ (1915-1948)નું કામ શરૂ થયું.

વર્ષ 2016. ગુહા ગાંધીજીના જીવનચરિત્ર (1915-1948)નું ઘણુંખરું કામ પૂરું કરી ચૂક્યા હતા, ત્યારે તેમને આશરે 500 પત્રોનો એક જથ્થો મળ્યો. તેમાં ગાંધીજી પર આવેલા કે ગાંધીજીના અનુયાયીઓએ એકબીજાને લખેલા ગુજરાતી પત્રો હતા. ગુહાને થયું કે તેમનું કામ તો પૂરું થઈ ગયું છે, છતાં આ પત્રોમાં શું છે તે પણ એક વાર જોઈ લેવાય તો સારું.

બેંગ્લોરસ્થિત ગુહા કોઈ અનુવાદકની શોધમાં હતા, ત્યારે તેમના જ શહેરમાં રહેતા જાણીતા પત્રકાર-લેખક આકાર પટેલે તેમને મારું નામ આપ્યું. આકાર પટેલ દિવ્ય ભાસ્કરમાં ગ્રુપ એડિટર હતા તે અરસામાં (2006-07) મને તેમની સાથે કામ કરવાની તક મળી હતી. હું ત્યારે ભાસ્કરમાં ઓપ-એડ પેજ કરતો હતો. તે પરિચયના અને ત્યારની છાપના આધારે આકારે ગુહાને મારા વિશે કહ્યું હશે અને મારો નંબર આપ્યો. એટલે એક દિવસ ગુહાનો ફોન આવ્યો.

જેમને હંમેશાં પ્રિય-આદરણીય લેખક તરીકે જોયા હોય અને દુન્યવી સફળતા-પ્રસિદ્ધિના અર્થમાં પણ જે સેલિબ્રિટી હોય, એવા લેખકનો સામેથી ફોન આવે એટલે સૌથી પહેલાં તો સુખદ આશ્ચર્યનો આંચકો લાગે. તે શમ્યા પછી તેમણે કામ અંગે કહ્યું ત્યારે મેં તેમને પ્રેમથી કહ્યું, આમ તો હવે અનુવાદનો સમય મળતો નથી, પણ એક તો આ કામ ગાંધીજીનું છે અને બીજું, તમારું છે, એટલે હું તે કરીશ. મેં તેમની સાથે એ પણ સ્પષ્ટતા કરી કે મારું અંગ્રેજીનું જ્ઞાન વર્કિંગ છે. ગાંધીજી જેવું લખે એવા અંગ્રેજીમાં તમારે અનુવાદ જોઈતા હોય તો તે કરવાની મારી ક્ષમતા નથી. પણ તેમને એવી જરૂર ન હતી. તેમને તો પત્રોમાં શું લખાયું છે એ જ જાણવું હતું.

મેં કામ કરવાની હા પાડી, એટલે તેમણે એક-બે પત્રો નમૂના લેખે મોકલ્યા. તેને ઉકેલીને અનુવાદ કરી આપ્યા પછી, થોડા દિવસમાં તેમણે એક કવર મોકલ્યું. તેમાં પત્ર સાથે પેન ડ્રાઇવ અને તંદુરસ્ત રકમનો ચેક આવી પહોંચ્યાં. ચેક જોઈને મેં તેમને ફોન કર્યો. કહ્યું કે તમે મને ઓળખતા નથી, તમે મારું કામ પણ સરખું જોયું નથી અને આ ચેક? અને તે પણ આટલી રકમનો? અને આટલી ઉતાવળે? એક વાર મને થોડું કામ કરીને તો મોકલવા દો. તેમણે કહ્યું કે એની કશી ચિંતા નથી. રૂપિયાની બાબતમાં તેમણે હસીને કહ્યું કે ગાંધીજીએ કોઈનું પણ શોષણ કરવાની ના પાડી છે.

અંગત અનુભવ ભલે નથી, પણ ઘણાખરા વિદ્વાનો અથવા જાણીતા માણસો એવું માનતા હોય છે કે દુનિયા તેમની સેવા કરવા સર્જાયેલી છે અને લોકોની સેવા લઈને તે લોકો પર ઉપકાર કરી રહ્યા છે. જ્યારે રામચંદ્ર ગુહા સાથે માર્ચ 2016માં થયેલા પહેલા જ પરિચય પછી તેમની સરળતા અને પ્રેમાળ અભિગમ ઊડીને આંખે વળગે એવાં હતાં.

ગુહાનું કામ હાથમાં લીધું ત્યારે બે અઠવાડિક કોલમો, રોજનો તંત્રીલેખ અને તંત્રીપાનાની જવાબદારી હતી. છતાં, નોકરિયાત માનસિકતા વિના, ગમતું કામ કરવાના આનંદને લીધે પહોંચી વળાતું હતું. એટલે, પત્રોના અનુવાદનું કામ તો માત્ર ને માત્ર ટ્રેનના અપડાઉનમાં જ પૂરું કર્યું. તે વખતે ટ્રેનમાં ફર્સ્ટ ક્લાસનો ડબ્બો આવતો હોવાથી, લેપટોપ પર કામ કરી શકાય એવી અનુકૂળતા મોટા ભાગે રહેતી હતી. બધા પત્રોનો અનુવાદ મોકલ્યા પછી તેમણે થોડા વધુ પત્રો મોકલ્યા અને મારી આનાકાની છતાં તેના અલગથી રૂપિયા આપ્યા. અને પુસ્તકના એકનોલેજમેન્ટમાં ઉલ્લેખ પણ કર્યો (જે વાંચીને શીલા ભટ્ટનો દિલ્હીથી ફોન આવ્યો હતો. તેમણે આનંદ અને કદાચ કંઈક આશ્ચર્યના ભાવ સાથે કહ્યું હતું કે રામ ગુહાએ તમારા નામનો ઉલ્લેખ કર્યો છે.)

*

કામ પૂરું થયાના થોડા અરસા પછી એક વાર ગુહાનો ફોન આવ્યો. તે ત્રણ દિવસ માટે અમદાવાદ આવવાના હતા. તેમાંથી એક દિવસ સવારે તેમની સાથે જમવાની વાત હતી. માઉન્ટન અને મહંમદની કહેણી તાજી કરે એવા એ સંવાદ પછી, તે અમદાવાદ આવ્યા ત્યારે અમે મળ્યા. જમ્યા. અત્યારે ઓસ્ટ્રેલિયા-સ્થિત પરમ મિત્ર નિશા પરીખ ત્યારે અમદાવાદમાં હતી. તેણે અને તેની મિત્ર શચિ સંઘવીએ મને ઇન્ડિયા આફ્ટર ગાંધીની (પહેલી આવૃત્તિ)ની તેમની કોપી આપી અને શક્ય હોય તો તેની પર ગુહાના હસ્તાક્ષર લાવવા કહ્યું.


ગુહા એટલા નિર્ભાર હતા કે અવનવી વાતો પછી તેમણે પુસ્તક પર બંનેનાં નામ લખીને સહી કરી આપી. બીજી ઘણી વાતોની વચ્ચે પુસ્તકની વાત નીકળતાં મેં કહ્યું, મને આ પુસ્તક વિશે એવું થાય છે કે તે ગુજરાતીમાં હોવું જોઈએ. તેમણે તરત, મને આશ્ચર્ય થાય એટલા ઉમળકાથી તૈયારી બતાવી. પછી બીજી વાતો થઈ. અડધા-પોણા કલાકની વાતચીત પછી અમે છૂટા પડ્યા. ત્યારે મારા મનમાં ફરી ફરીને એક જ સવાલ થતો હતોઃ રામચંદ્ર ગુહાએ ઇન્ડિયા આફ્ટર ગાંધીનું ગુજરાતી કરવાની ખરેખર હા પાડી હતી? કે મારા મોઢે ના પાડવી ન પડે, એટલે માટે હાએ હા કરી હશે?

(ક્રમશઃ)

Monday, June 02, 2025

'સફારી' : એક અંગત અંજલિ

'સફારી'ના એક અંકનું મુખપૃષ્ઠ

--અને એક વખત એવું પણ બન્યું કે, સફારી બંધ થયું.

નગેન્દ્ર વિજયના તંત્રીપદ હેઠળ શરૂ થયેલું, નગેન્દ્રભાઈના તંત્રીપદ-હર્ષલ પુષ્કર્ણાના સંપાદકપદ હેઠળ ફૂલેલુંફાલેલું અને  વર્ષ 2018માં હર્ષલને છોડવું પડ્યું ત્યાર પછી સંપાદકવિહોણું બનેલું સફારી છેવટે બંધ થયાના સમાચાર ગઈ કાલે મળ્યા. નગેન્દ્ર વિજયે તાજા અંકના તંત્રીલેખમાં તેની જાહેરાત કરી. સેંકડો વાચકોના માનીતા જ્ઞાનવિજ્ઞાનના માસિક તરીકે સફારીનો દબદબો એવો હતો કે સંખ્યાબંધ વાચકોએ પરિવારનું કોઈ સ્વજન ગુમાવ્યું હોય એવી ખોટ અને એવો આંચકો લાગ્યાં.

નગેન્દ્ર વિજયનું સ્કોપ વિશુદ્ધ વિજ્ઞાનસામયિક હતું અને વન મેન શો હતું, જ્યારે સફારી જ્ઞાનવિજ્ઞાનનું સામયિક. શરૂઆતનાં પાંચેક વર્ષને બાદ કરતાં તે નગેન્દ્ર વિજય અને હર્ષલ પુષ્કર્ણાની એક ને એક અગીયાર જેવી જુગલબંદીનું પ્લેટફોર્મ બન્યું. તેમાં રમતિયાળ શૈલીમાં પીરસાતી જાણકારી વાચકોને માહિતીની સાથોસાથ મનોરંજન ઉપરાંત કંઈક નવું, કંઈક નક્કર જાણવાની કીક આપતી હતી. સફારીના સરળ લાગતા લેખનનો જાદુ એવો હતો કે એકેએક વાક્યમાં કશીક બાંધી રાખનારી વાત હોય ને આગળ વાંચવાની ઉત્સુકતા બરકરાર રાખનારું તત્ત્વ.

લોકો લાંબું વાંચતા નથી એવા રટણનો જમાનો આવ્યા પછી પણ સફારીમાં દસ-પંદર પાનાંના લેખ આરામથી છપાતા હતા. લખાણ ગમે તેટલું લાંબું હોય, પણ તે (નગેન્દ્રભાઈનો શબ્દપ્રયોગ વાપરીને કહું તો, મમરાની ગુણ જેવું નહીં) ઠોસ હોય. રમતિયાળ મથાળાં, અકલ્પનીય વિષયો, અવનવા વિભાગો, એક વાર વાંચવાનું શરૂ કર્યા પછી લેખ પૂરો જ કરવો પડે એવી લખાવટ, જમાના સાથે કદમ મિલાવવાની તાસીર—આ બધી ખૂબીઓએ સફારીને કલ્ટ સ્ટેટસ અપાવ્યું. તેનો વિશિષ્ટ ચાહકવર્ગ ઊભો થયો અને લાંબા સમય સુધી, ઘણા કિસ્સામાં બીજી પેઢી સુધી ટક્યો.

*

સફારી અને નગેન્દ્રભાઈ સાથેની એક સમયની નિકટતા અને તેમની પાસેથી મને કેવું મહત્ત્વનું ભાથું મળ્યું, તેની વિગતે વાત મારી પત્રકારત્વ-લેખનની સફર પુસ્તકમાં છે. અહીં તે લખવાનું ટાણું નથી. પરંતુ 1996થી નગેન્દ્રભાઈને સફારીની ઓફિસે મળવાના સિલસિલાની શરૂઆત થઈ, ત્યાં સુધીમાં સફારી જામી ગયું હતું, જોકે, આર્થિક સમૃદ્ધિ હજુ દૂર હતી. હર્ષલ સફારી સાથે બરાબર ઓતપ્રોત થઈ ચૂક્યો હતો. નગેન્દ્રભાઈની શૈલી સીધી રીતે ઘડતરની નહીં. હર્ષલને સીધેસીધું કશું કહે નહીં. કહે તો ઇશારા ને ટૂંકાક્ષરીમાં કહે. બાકીનું ઉકેલી લેવાનું. છતાં, હર્ષલ તેની જાતને બરાબર ઘડી રહ્યો હતો. તે સમય એવો હતો જ્યારે નગેન્દ્રભાઈ એટલે સફારી અને સફારી એટલે નગેન્દ્રભાઈ—એવું સમીકરણ (યોગ્ય રીતે જ) પ્રચલિત હતું. મારા સહિતના ઘણા લોકો એવી ચિંતા પણ કરતા કે અવસ્થાનાં અથવા બીજાં કારણોસર નગેન્દ્રભાઈનું લખવાનું બંધ થશે, ત્યારે સફારીનું શું થશે?

સફારીની ઓફિસની નિયમિત મુલાકાતો પછી નગેન્દ્રભાઈ સાથે શિષ્યભાવે નિકટતા ઉપરાંત હર્ષલ સાથે પણ દોસ્તી થઈ. એમાં પણ 1999માં અમે નગેન્દ્રભાઈના તંત્રીપદ હેઠળ સીટીલાઇફ પખવાડિક (અમદાવાદનું સીટી મેગેઝીન) સંભાળ્યું ત્યારથી વિશેષ. હર્ષલ મારાથી થોડો નાનો. તે સમયે તેને સૌથી મોટો ધક્કો મારનારું ચાલક બળ એ હતું કે આ દુનિયાએ મારા પિતાની પ્રતિભાની કદર કરી નથી ને ક્યારેક અપમાન પણ કર્યું હશે. મારે એનો બદલો લેવો છે ને મારા પિતાનું સાચું મૂલ્ય આ દુનિયાને દેખાડી આપવું છે- આ દુનિયા સમજે છે એ ભાષામાં સફળ વ્યક્તિ તરીકે તેમને સ્થાપવા સ્થાપવા છે. આ મારું અર્થઘટન નથી. શબ્દફેરે આ મતલબની વાત અમારે ઘણી વાર થતી હતી.

સફારીની યુનિયન ફ્લેટ્સની જૂની ઓફિસે તો નગેન્દ્રભાઈની કેબિન કહેવાય એવું ભાગ્યે જ હતું. ફ્લેટનો એક રૂમ હતો, જે હજુ આજે પણ હું આંખ મીંચું તો જોઈ શકું છું. તેમનાં ટેબલ-ખુરશીની સામે થોડા અંતરે રહેલા પલંગ પર છાપાંના-સામયિકોના ઢગ પડ્યા હોય. ત્યાં જગ્યા કરીને બેસી જવાનું. સીટીલાઇફની શરૂઆત ત્યાંથી થઈ હતી. હર્ષલ ત્યારે લખતો હતો, પણ તે ઉપરાંતની બાબતોમાં અને કમ્પ્યુટરમાં તો સવિશેષ માહેર બની રહ્યો હતો.

એ જ વર્ષે 1999માં આનંદમંગલની ઓફિસ થઈ. પછીના એકાદ વર્ષમાં હું હર્ષલની આગેવાની હેઠળ વીસમી સદીની પચાસ મહત્ત્વની ઘટનાઓના પુસ્તક (સામયિકસ્વરૂપમાં)નું કામ કરી રહ્યો હતો. ત્યારે  હર્ષલનું લખાણ ઘડાતું હતું, પણ હર્ષલે નગેન્દ્રભાઈને ફક્ત કહેવા ખાતર ગુરુપદે સ્થાપ્યા ન હતા. ધીમે ધીમે એવું થયું કે ઓફિસમાં હિસાબકિતાબ અને ઓફિસ મેનેજમેન્ટથી માંડીને મેગેઝીનના લે-આઉટ, માર્કેટિંગ અને પ્રકાશનના નવા આઇડીયા વિચારવાની સાથોસાથ લખવામાં પણ તેનું પ્રદાન વધતું ગયું. ધીમે ધીમે તે લેખો ઉપરાંત સુપર સવાલ, ફેક્ટફાઇન્ડર વિભાગના કેટલાક પ્રશ્નો અને બીજું પણ એકદમ સફારી અંદાજમાં લખવા માંડ્યો—અને સંપાદકનો પત્ર તો ખરો જ.

હર્ષલને સૌથી મોટી ખેવના એ વાતની હતી કે નગેન્દ્રભાઈની લેખક તરીકેની પ્રતિભાને માનપાન ઉપરાંત આર્થિક સમૃદ્ધિ ને નિરાંત મળવાં જોઈએ. સંઘર્ષનો ઓછાયો સુદ્ધાં તેમના માથે ન રહેવો જોઈએ. આ પડકાર ઓછો હોય તેમ, બીજો અને વધારે મોટો પડકાર નગેન્દ્ર વિજય જેવા પિતાની છાયામાં પોતાની સ્વતંત્ર પ્રતિભા વિકસાવવાનો હતો, જે સફારીના ભવિષ્ય માટે બહુ જરૂરી હતું. અભિષેક બચ્ચન કે રોહન ગાવસ્કર કે અમિતકુમાર જેવા કિસ્સા બહુ સામાન્ય ગણાય છે અને તેમાં કોઈને નવાઈ પણ નથી લાગતી. પ્રતાપી પિતા સાથે સતત સરખામણીનું દબાણ તો વેઠનાર જ જાણે.

કામની જેમ વખતોવખતની ઉજવણીમાં પણ પરિવારની સામેલગીરી

છતાં ગુજરાતી વાચકોનાં સારા નસીબે હર્ષલ અશક્ય લાગતો એ પડકાર ઝીલી શક્યો અને તેને અસાધારણ સફળતાથી પાર પાડી શક્યો. તેમાં તેની પત્ની ફાલ્ગુનીનો ભૂમિકા પણ અત્યંત મહત્ત્વની હતી. તે ખરા અર્થમાં હર્ષલની પત્ની ઉપરાંત સાથીદાર બની. હર્ષલે સફારીનું બાકીની બધી બાબતોનું સંપૂર્ણ સુકાન હાથમાં લીધું અને લેખ તથા સંપાદકીયમાં નગેન્દ્રભાઈના લેખોની સાથે ભળી જાય એવા લેખ લખવાની સિદ્ધિ પણ મેળવી લીધી. ક્યારેક નગેન્દ્રભાઈ લખી શક્યા ન હોય ત્યારે આખો અંક હર્ષલે કાઢ્યા હોય, એવી પણ સાંભરણ છે. એવી જ રીતે, નગેન્દ્રભાઈ સિવાય બીજું કોઈ લખી ન શકે એવા એક વખત એવું બન્યું વિભાગના કેટલાક લેખ પણ આપદ્ ધર્મ તરીકે હર્ષલે લખ્યા હતા અને તે વાંચીને ભાગ્યે જ કોઈને લાગ્યું હશે કે હાથ બદલાયો છે.

સફારી માટે તેનું લખવાનું કેટલી હદે મહત્ત્વનું હતું તેનું એક ઉદાહરણઃ એક સમયે તેને મણકાની એવી કશીક ગંભીર તકલીફ થઈ કે તે બેસી પણ ન શકે. તો પછી લખવું શી રીતે? એટલે તેણે પોતાની કેબિનમાં એક પાટ મુકાવી અને તેની ઉપર વિશિષ્ટ ગોઠવણથી લેપટોપ મુકી શકાય અને સુતાં સુતાં લખી શકાય એવી વ્યવસ્થા ઊભી કરી હતી. તે વખતનો ફોટો પણ મેં યાદગીરી તરીકે પાડ્યો હતો.

એક સમયે આનંદમંગલની ઓફિસે હર્ષલની વિશિષ્ટ વ્યવસ્થા (ફોટોઃ ઉર્વીશ કોઠારી)

*

આખરે સંઘર્ષનો સમય ભૂતકાળ બન્યો અને આર્થિક સમૃદ્ધિનો દૌર શરૂ થયો. આંબાવાડીમાં સરસ ઓફિસ અને બોપલમાં બંગલો—તે નગેન્દ્રવિજયના લેખન અને હર્ષલના લેખન ઉપરાંત બાકીના મોરચે સફળ સંચાલનનું ઊજળું પરિણામ હતું. તે જોઈને નગેન્દ્રભાઈ પરિવારને થઈ હશે, એટલી જ ટાઢક મારા જેવા તેમના ઘણા ચાહકોને થઈ હતી. તે સમયે મારી સાથેના એક રેકોર્ડેડ ઇન્ટર્વ્યૂમાં નગેન્દ્રભાઈએ બહુ સચોટ રીતે કહ્યું હતું, ડોશી અંધારામાં બેસીને બખિયા (ટાંકા) લેતી હોય, પણ એને ખબર જ ન હોય કે સોયમાં દોરો નથી. હર્ષલ મારી જિંદગીમાં એ દોરો થઈને આવ્યો.

એક સમય એવો હતો, જ્યારે સફારીની મહિને આશરે 70 હજારથી પણ વધુ નકલો વેચાતી હતી. સફારી વાંચવું એ ગૌરવરૂપ ગણાતું હતું. મારા જેવા જણને તેમાં ક્યારેક પ્રગટી જતો ગાંધીજી પ્રત્યેનો અભાવ કે ગોડસે પ્રત્યેનો કંઈક ભાવ કે હિટલર પ્રત્યે પ્રગટ નહીં તો પણ છૂપો ભાવ ખટકતો, છતાં સફારીમાં એ સિવાય બીજું એટલું બધું આવતું હતું કે પેલો ખટકો ઓગળી જતો. સફારી ન વાંચ્યું હોત તો જ્ઞાનવિજ્ઞાનના અનેક વિષયોમાં રસ પડવાની શરૂઆત ન થઈ હોત. તેનું એ ઋણ કાયમ મનમાં અંકાયેલું રહેશે. 

કમ્પ્યુટરઃપ્રથમ પરિચય કે આસાન અંગ્રેજી જેવી લેખમાળાઓ, એક વખત એવું બન્યું, સુપરસવાલ અને સવાલજવાબની કોલમ જેવા જબરદસ્ત વિભાગો તો બરાબર, પણ જે વિષયમાં ઓછો રસ પડતો હોય તેનો લેખ (ભલે આખા અંકમાં સૌથી છેલ્લો) વાંચીએ ત્યારે પણ એમ થાય કે ઓહોહો, આ વિષયમાં પણ આટલું સરસ લખી શકાય? ‘સફારીની પરંપરા પ્રમાણે નગેન્દ્રભાઈ અને હર્ષલના અસલી નામ સાથેના લેખ તો માંડ એક કે વધીને બે હોય. બાકીના લેખોમાં તો ઉપનામો હોય. એટલે ક્યારેક નગેન્દ્રભાઈના લાગતા લેખ વિશે તેમની સાથે વાત કરીએ ત્યારે તે લેખ હર્ષલનો નીકળે એવું પણ બને અને ક્યારેક એનાથી ઉલટું પણ બને.

સફારીના 200મા અંકની ઉજવણી. (ફોટોઃ ઉર્વીશ કોઠારી)

હર્ષલ અને નગેન્દ્રભાઈ સાથેની સ્વતંત્ર નિકટતાને કારણે સફારીની ઓફિસની દશેરા પાર્ટીમાં કે બીજાં એવાં વિશેષ આયોજનોમાં સપરિવાર સામેલ થવાનું હોય. ત્યારે એ બધી બાબતોમાં પણ હર્ષલનું અત્યંત ચીવટપૂર્વકનું આયોજન જોવા મળે. નગેન્દ્રભાઈ પણ તેમનું ત્યારનું ચુસ્ત મરજાદીપણું છોડીને, આનંદપૂર્વક સામેલ થાય. તે જોઈને હર્ષલના ચહેરા પર ઝળકતી સંતોષ અને ગૌરવની લાગણીમાં શિષ્ય અને પુત્ર બંને એકાકાર થયેલા દેખાય.

સફારીની ઓફિસ બોપલ ખસેડાયા પછીના થોડા સમયમાં બધું બદલાયું. હર્ષલને સફારી છોડવું પડ્યું. કળ વળવાની પણ રાહ જોયા વિના અને સફારીની હરીફાઈમાં બીજું માસિક કાઢવાના પ્રસ્તાવો ઠુકરાવીને, તેણે સ્થિતપ્રજ્ઞતાથી જિપ્સી કાઢ્યું, પોતાની સ્વતંત્ર પ્રતિભા એકડે એકથી સિદ્ધ કરી. છતાં, સફારી સાથેનો સંબંધ છૂટ્યો તે છૂટ્યો. તૂટ્યો તે તૂટ્યો. ત્યાર પછી... 

કોઈ ગમે તેટલું ઇચ્છે, છતાં વચ્ચેનો સમય કુદાવીને અગાઉના સમયમાં પાછા ફરવાનું શક્ય બનતું નથી. એવું શક્ય હોત, તો કદાચ સફારી હજુ ચાલુ હોત અને નવા જમાનામાં, નવા પડકારો વચ્ચે, નવા સ્વરૂપે ફૂલ્યુંફાલ્યું હોત, પણ એવું ન થયું.

--અને એક દિવસ એવું બન્યું કે... 

Monday, May 26, 2025

આપણા હક પર ઓછાયો

અલી ખાન મહમુદાબાદના કેસમાં સર્વોચ્ચ અદાલતે નાગરિક અધિકારોના રખેવાળ તરીકેની તેની હેસિયતને ધોખો પહોંચાડ્યો છે. 

પ્રતાપભાનુ મહેતા, ઇન્ડિયન એક્સપ્રેસ, 23-5-25

હરિયાણા રાજ્ય વિરુદ્ધ અલી ખાન મહમુદાબાદના કેસમાં સર્વોચ્ચ અદાલતના હુકમને પગલે, બંધારણીય મૂલ્યોની ખેવના કરનારા તમામ લોકોના શરીરમાંથી લખલખું પસાર થઈ ગયું હશે. ન્યાયાધીશોએ પ્રોફેસર ખાનને જામીન આપવા જેટલી દયા દાખવી. [હકીકતમાં] તેમની ધરપકડ સ્વતંત્રતાના રક્ષણનાં આપણાં સાવ નીચાં ધોરણોએ પણ વિવાદાસ્પદ ઠરે એવી છે. પ્રોફેસરને રાહત આપતો હુકમ [પણ] વાણીસ્વાતંત્ર્યના રક્ષણને ઘસારો પહોંચાડનારો છે. આપણે હવે એવા બંધારણ-રાજમાં આવી પહોંચ્યા છીએ, જ્યાં જામીન એ જાણે અદાલતની સખાવતી ઉદારતા બની ગઈ છે અને તે પણ એવી રીતે અપાય છે કે તેનાથી વધુ દમન માટેની જમીન તૈયાર થાય.

આવું લાગવાનાં ઘણાં કારણ છે. સૌપ્રથમ તો, અદાલતના હુકમમાં મુકવામાં આવેલી શરતો પોતે અધિકારોના અકારણ ઇન્કાર જેવી છે. અધ્યાપક ખાનને પાસપોર્ટ જમા કરાવવાનું અને હમણાં કંઈ પણ નહીં લખવાનું કહેવામાં આવ્યું છે. એટલી રાહત છે કે તે જેલમાં નથી. પરંતુ, હકીકતમાં સર્વોચ્ચ અદાલતે તેમને અચોક્કસ મુદત માટે સજા ફટકારી જ દીધી છે—એવી સજા, જેને તે લાયક નથી. સર્વોચ્ચ અદાલત, પ્રક્રિયાના નામે જે રીતે સામાજિક અંકુશનો ઉપયોગ કરવામાં આવે છે અને સ્વતંત્રતા પર કાપ મુકવામાં આવે છે, તે ન સમજવા જેટલી નાદાન હોય, એ માનવું અઘરું છે. કાયદા માટે પ્રક્રિયા બહુ મહત્ત્વની છે અને તેને યોગ્ય રીતે પાર પાડવામાં આવે તો તે કાનૂની રક્ષણનો મહત્ત્વનો ઘટક બની શકે છે. પરંતુ ભારતમાં પ્રક્રિયા કોઈ જાતનું રક્ષણ આપતી નથી, એ છૂપું નથી. તે એક એવી વિચારસરણી છે કે કાનૂનનો વ્યવસાય પણ ન્યાય અને હકને લગતી મહત્ત્વની બાબતોને ધૂંધળી કરી નાખવા માટે તેની ઓથે છૂપાઈ જાય છે. એ પણ છાનું નથી કે નિયત પ્રક્રિયા પોતે જ સજારૂપ છે. એ પણ ખાનગી નથી કે પ્રક્રિયાવાદનું ઓઠું ખાસ કરીને ન્યાયાધીશો દ્વારા ખપમાં લેવાતી મનગમતો નિર્ણય લેવાની છૂટ સાથે એકદમ સુસંગત છે. માટે, અદાલત પ્રક્રિયાકેન્દ્રી ન્યાયનું કોઈ સ્વરૂપ એનાયત કરવાના ઓછાડ તળે આ શરતો મુકે, ત્યારે હકીકતમાં આખા સવાલના કેન્દ્રમાં રહેલા પ્રાથમિક અધિકારોના રક્ષણ અંગે તે અપ્રામાણિક બને છે. કોઈ ગુના માટે નહીં, પણ પોતાના સામાન્ય હકના પ્રયોગ બદલ જેની ધરપકડ થઈ હોય એવા નાગરિક માટે, જામીનની શરતો આકરી હોય તો, તેના હકના રક્ષણ માટેની પ્રક્રિયા પણ વાણીસ્વાતંત્ર્યને અવરોધરૂપ બને છે.

અદાલતે આ કેસ માટે ત્રણ સભ્યોની ખાસ તપાસ ટુકડી (SIT) નીમી છે. હવે, આ ટુકડી તપાસમાં મદદરૂપ થાય એવી ઇચ્છા હોઈ શકે. આપણી ન્યાય પરંપરા આ પ્રકારની કાનૂની વિંડબનાને પ્રોત્સાહન આપે છે. પરંતુ હવે એવી ભયંકર રમૂજી સ્થિતિની કલ્પના કરો, જેમાં ત્રણ વરિષ્ઠ પોલીસ અફસરો બે ફકરાની એક પોસ્ટમાંથી કોઈ વિશિષ્ટ પ્રકારની ઉશ્કેરણી ઉકેલવાની કોશિશ કરતા હોય, કેમ જાણે તે પોસ્ટમાં કોઈ કોયડો લખાયેલો હોય. એચ.એમ. સીરવઈએ એક ન્યાયાધીશ વિશે માર્મિક રીતે કહ્યું હતું, તેમને નથી કાયદો આવડતો કે નથી અંગ્રેજી આવડતું. આપણે ધારી લઈએ કે આપણા હાલના ન્યાયાધીશોને કાયદો અને અંગ્રેજી બંને આવડે છે. તે એટલા સક્ષમ છે કે ખાનની પોસ્ટનો અર્થ, તેમાં રહેલી કોઈ અસ્પષ્ટતા અને તે કાયદાનો ભંગ કરનારી છે કે નહીં એ પાંચ જ મિનિટમાં નક્કી કરી શકે. પરંતુ તેમણે પોતાના અધિકારનો ઉપયોગ કરીને જેવું છે તેવું કહી દેવાને બદલે, SITનો રસ્તો લીધો, તે બે બાબત સૂચવે છેઃ પહેલું, તે નિર્દોષતાની પૂર્વધારણાને હડસેલો મારે છે. મતલબ, નાગરિક તરીકે તમે તમારા અધિકારનો ઉપયોગ કરો ત્યારે તમારે જ તમારી નિર્દોષતા પુરવાર કરવી પડશે. ખાનની પોસ્ટમાં કશી સંભવિત ઉશ્કેરણી છે એવું સૂચન જ નિર્દોષતાની પૂર્વધારણાને હડસેલો મારે છે અને સૂચવે છે કે અદાલત પોતાનો બચાવ કરવા ઇચ્છતા નાગરિકને નહીં, પણ સરકારને પૂરતી મોકળાશ આપવા માગે છે. આર્ટિકલ 19નું અદાલતે ન્યાયશાસ્ત્રની રીતે કરેલું અર્થઘટન, બીજાં વિશેષણો વિના કહીએ તો, વિસંગત કહેવાય એવું છે. પરંતુ કેટલીક બાબતોમાં તે એનાથી પણ ઘણું વધારે ખરાબ છે. એ તો દેખીતું છે કે વાણીના (અભિવ્યક્તિના) સંપૂર્ણ સ્વાતંત્ર્ય જેવું કશું હોતું નથી. પરંતુ ભારતના કાયદા પ્રમાણે પણ, તેની પરના અંકુશો દેખીતી ઉશ્કેરણી અને જાહેર શાંતિના ભંગ જેવી બાબતોને ધ્યાનમાં રાખીને જ, એટલો સાંકડો વ્યાપ ધરાવતા જ હોવા જોઈએ.

બીજું, કાનૂની સંસ્કૃતિમાં આવેલો બદલાવ ખતરનાક છે. તેનાથી એવી અપેક્ષા ઊભી થઈ છે કે વાણી સ્વાતંત્ર્ય ફક્ત સારી સારી બાબતોમાં જ હોવું જોઈએ. આ પ્રસંગ ખાનની પોસ્ટના ગુણદોષની ચર્ચાનો નથી. કેમ કે, સવાલ ખાનના ગુણદોષનો નહીં, તેમના અધિકારનો છે. દલીલ ખાતર કહી શકાય કે જાહેર વર્તુળોમાં ઘણાને આ પોસ્ટ બિનજરૂરી કે દેશપ્રેમવિહોણી લાગી શકે. એવું માનવાનો તેમનો અધિકાર છે. પરંતુ જેમની સામે ફરિયાદ થઈ છે તેમની પર લગભગ એવું દબાણ કરવામાં આવે કે તમારી અભિવ્યક્તિ દેશપ્રેમથી સભર છે એવું સાબિત કરો, તો બંધારણીય અને કાનૂની દષ્ટિએ તે ચિતાજનક છે. હકીકતમાં, સરકાર લોકોની અભિવ્યક્તિમાં દેશપ્રેમ શોધતી ફરે અને દરેક નાગરિકને તેનો દેશપ્રેમ સાબિત કરવા કહે, તેનાથી વધારે મોટી સાંકેતિક ઉશ્કેરણી (ડોગ વ્હીસલ) બીજી એકેય નથી. કેમ કે, એક તો દેશભક્તિ પોતે અસ્પષ્ટ વિષય છે. તેનાં ધોરણ કોણ નક્કી કરે? મને ખાતરી છે કે હાલનાં ધોરણો પ્રમાણે મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ અને કદાચ બી.આર. આંબેડકર સુદ્ધાં એક યા બીજા તબક્કે દેશભક્તિવિહોણા લાગી શકે. એક રીતે, આખો મામલો [પ્રાથમિક અધિકારને બદલે] દેશભક્તિ ભણી ધકેલીને અદાલતે જાણેઅજાણે અભિવ્યક્તિ કે સ્વતંત્રતાને રક્ષણ આપવાને બદલે વિચારધારાને સમર્થન આપ્યું છે  દેશભક્તિના માસ્તર બનીને તેના પાઠ ભણાવવાનું કામ અદાલતનું નથી.

પરંતુ આ આખો મામલો બીજી રીતે કંપારી જગાડે એવો છે. શરૂઆતમાં આ કિસ્સો સ્થાનિક નિયમભંગ તરીકે રજૂ કરવામાં આવ્યો. હરિયાણાના મહિલા પંચ અને સ્થાનિક ભાજપ નેતાઓએ છીછરો આનંદ લઈ લીધો. પરંતુ હવે બે વાત સ્પષ્ટ છે. એક, સરકાર તેના સર્વોચ્ચ સ્તરેથી આ આખા કિસ્સાને અને ખાનને દાખલારૂપ બનાવવા પ્રતિબદ્ધ હોય એવું લાગે છે. સરકાર સહેલાઈથી, બહુ એવું લાગે તો એફઆઇઆર દાખલ કરીને પણ, આખા મામલાને નીપટાવી શકી હોત. પરંતુ તેણે ખાનને નિશાન બનાવવાનો અકળાવનારો સિલસિલો જારી રાખ્યો. સામાજિક અંકુશ રાખવા માટે આ સરકાર એ રીતનો ઉપયોગ કરે છે. બીજું, નવા મુખ્ય ન્યાયાધિશ પાસે સોનેરી તક હતી—અદાલતને એવી બનાવવાની કે જેમાં ઉદાર ન્યાયશાસ્ત્રના સિદ્ધાંતો અપનાવાય અને ભારતીય કાનૂનને ઘડનારી વિસંગતીઓ તથા મનસ્વી નિર્ણયોને ફગાવી શકાય. તે તક તેમણે ગુમાવી દીધી છે.

એ પણ સ્પષ્ટ છે કે અદાલત હોય, અફસરો હોય, પોલીસ હોય કે શિક્ષણજગત, બધા એક પ્રાથમિક બાબતનો ઇન્કાર કરી રહ્યા છે. દલીલ ખાતર માની લઈએ કે શિક્ષણજગતના 200 અગ્રણીઓઓ કરી છે તેમ, ખાનની પોસ્ટની ટીકા થવી જોઈતી હતી. તેમને એવી ટીકા કરવાનો અધિકાર છે. પરંતુ પહેલી તકે અદાલતી કાર્યવાહીમાં ઉતરી પડવું એ ધબડકાનો જ માર્ગ છે.

કમ સે કમ, જામીન હજુ શક્ય છે, એટલું દર્શાવવા માટે આપણે ન્યાયાધીશોના આભારી છીએ. પરંતુ તેમની ઉદારતા પણ આપણા હકો પર અમંગળ ઓછાયો પાડે છે.


Thursday, May 15, 2025

કેટલીક ટૂંકી નોંધોઃ ત્રાસવાદી હુમલો, ધર્મ, ટ્રોલિંગ અને જૂઠા જયજયકાર વિશે

 છેલ્લા થોડા વખતમાં ફેસબુક પર લખેલી અને અહીં સંઘરી મુકવા જેવી લાગેલી કેટલીક પોસ્ટનું સંકલન.

*

(17-4-25)

જૂઠાણાં પર રાચનારા અને જૂઠાણાં પર સામ્રાજ્યો ઊભાં કરીને ટકાવનારાને બહુ બધા દુશ્મન લાગતા હોય છે. તેમાં પણ સ્વતંત્ર વિચારસરણી ધરાવતા લોકો ને એવી વિચારસરણી ખીલવતાં ઠેકાણાં તેમનાં કટ્ટર દુશ્મન હોય છે.
અમેરિકાની હાવર્ડ જેવી પ્રતિષ્ઠિત યુનિવર્સિટી ટ્રમ્પની આપખુદશાહીને તાબે ન થઈ એટલે ટ્રમ્પે તેનું કરોડો ડોલરનું ફંડિંગ અટકાવી દીધું.
ભારતમાં તેના માટે જુદા રસ્તા અપનાવાયા છે. સરકારી યુનિવર્સિટીઓમાં વિચારધારાવાળા ને લાયકાત વગરના લોકોને ઉપર બેસાડી દેવામાં આવે છે, જ્યારે ખાનગી યુનિવર્સિટીઓના માલિકો-ભાગીદારોને ડરાવવામાં આવે છે.
સરકારી શાળાઓ માટે એવી સ્થિતિ પેદા કરવામાં આવે છે કે તેમને ટકી રહેવાનું અઘરું પડી જાય અને ખાનગી નિશાળો ફૂલેફાલે.
આવું ધીમું ઝેર છેલ્લા ઘણા સમયથી એવું પ્રસર્યું અને સમાજના ઘણા લોકોને તેની સરત જ ન રહી. હવે તેનાં પરિણામ ભોગવવાનાં છે.
આ સ્થિતિ માટેની પહેલી ગુનેગાર સરકાર છે. ત્યાર પછી ગુનેગારોની યાદી લાંબી છે. તેમાં ઘણા અધ્યાપકોથી લઈને વાલીઓ અને સમાજના કહેવાતા અગ્રણી 'ભણેલાગણેલા' લોકોને સમાવેશ થાય છે.
શિક્ષણને બદલે જૂઠાણાંને, અભ્યાસકેન્દ્રી-વિદ્યાકીય ગૌરવને બદલે દ્વેષ અને મિથ્યાભિમાન-કેન્દ્રી ચીપિયાપછાડ ચાલે ત્યારે દેશને અલગથી, બહારના દુશ્મનની જરૂર નથી પડતી.
અમેરિકા અને ભારત તેનાં એવાં બે ઉદાહરણ છે.
*
(20-4-25)
સાદું નાગરિકશાસ્ત્રઃ
1. બંધારણ કાયદાની ઉપર છે.
2. સંસદે કાયદો બનાવવાનો હોય છે.
3. સર્વોચ્ચ અદાલતે બંધારણના હાર્દનું રક્ષણ કરવાનું હોય છે.
4. કોઈ પણ કાયદો બંધારણના હાર્દનું ભંગ કરતો લાગે, ત્યારે સર્વોચ્ચ અદાલત તેને કચરાટોપલીમાં નાખી શકે છે. તે આપખુદશાહી નથી, બંધારણીય સંમતુલા છે. અંગ્રેજીમાં તેને ચેકસ એન્ડ બેલેન્સીસ કહેવાય છે.
5. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો મેનેજ થઈ જાય, એ લોકશાહી માટે સૌથી મોટો ખતરો હોય છે.
6. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો સત્તાપક્ષ પ્રત્યે સાશંક રહે, તે લોકતંત્ર માટે અત્યંત જરૂરી છે. આ નિયમ તમામ પક્ષની સરકારોને લાગુ પડે છે.
7. વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને ચૂંટણીમાં ગરબડ માટે દોષી ઠેરવનાર ચુકાદો અલાહાબાદ હાઇકોર્ટના જસ્ટિસ જગમોહનલાલ સિંહાએ આપ્યો હતો. તેના માટે આજેય તેમને આદરથી યાદ કરાય છે.
8. આજે કોઈ ન્યાયાધીશ નિષ્પક્ષ ન્યાયિક તપાસ કરીને નરેન્દ્ર મોદીને કે અમિત શાહને દોષી ઠેરવે, એવી કલ્પના સુદ્ધાં કરી શકાય છે?
9. કટોકટીના વિરોધનાં ગીતડાં ગાતી વખતે યાદ રાખવાનું હોય છે કે એ ફક્ત ઇન્દિરા ગાંધીની જ નહીં, તમામ પ્રકારની આપખુદશાહીના વિરોધમાં હોય.
*
કોંગ્રેસે કરેલા એક પણ પાપનો બચાવ કર્યા વિના, વર્ષોથી મોદીની નીતિરીતિની આકરી ટીકા કરતો રહ્યો છું. તેેમની કરણીનાં પરિણામ કેવાં માઠાં આવશે, તેનો સામાન્ય સમજથી ખ્યાલ આપતો રહ્યો છું.
હવે તો એ બધી અમંગળ આશંકાઓ ભવિષ્ય મટીને વર્તમાન બની ચૂકી છે. તેમ છતાં, જે લોકો મોદીભક્તિમાં ડૂબકાં ખાય છે, આંખો પર બાંધેલા ભ્રમના કે દ્વેષના પાટા ખોલવા તૈયાર નથી અને એવી જ અવસ્થામાં દલીલો કરવા આવી પડે છે, એવા લોકોને મારે કશું જ કહેવાનું નથી.
કારણ કે, આ મુદ્દે તેમની સાથે સંવાદ કરી શકાય એ માટેની લાયકાત તેમણે ક્યારની ગુમાવી દીધી છે.
('આ મુદ્દે'--એ શબ્દો ખાસ નોંધવા. કારણ કે, આંખે પટ્ટી હોવાને કારણે ઘણાને ગુજરાતીમાં લખેલું પણ પૂરું વંચાતું નથી.)
*
(23-4-25)
ઇસ્લામની સૌથી વધુ બદનામી તેના નામે હત્યાકાંડો આચરતા ત્રાસવાદીઓએ પહોંચાડી છે. કોઈ પણ ધર્મ તેના નામે આચરાયેલાં પાપના દોષથી મુક્ત રહી શકે નહીં. એ ધર્મના ઠેકેદારોએ આવા હત્યાકાંડોનો વિરોધ કરવો રહ્યો. એ પ્રાયશ્ચિત તો ન હોઈ શકે, પણ પોતાના ધર્મના નામે જે ધંધા ચાલે છે, તેના અહેસાસ તરીકે જરૂરનું છે.
ત્રાસવાદી હુમલા ખાળવાનું કામ કોઈ પણ સરકાર માટે અઘરું હોય છે. છતાં, એવા હુમલા થાય ત્યારે સરકારી તંત્ર પાસે કડકાઈથી જવાબો માગવામાં આવે છે ને તેણે આપવા પણ પડે છે. સરકારનું કામ જવાબો આપવાનું છે. 2014 સુધી તો આ બાબતે એકમત હતો.
હવે આવું કંઈ થાય ત્યારે સરકાર ફરિયાદીની ભૂમિકામાં આવી જાય છે, તેનાં પ્રચારયંત્રો કરુણ ઘટનાક્રમોમાં સરકારની પણ કોઈ ભૂમિકા (કે તેનો અભાવ) હોઈ શકે, એવું વરતાવા દેતાં નથી. બહુ ધ્યાન રાખે છે કે વાત સરકારી તંત્રની સંભવિત નિષ્ફળતા તરફ ન વળે. સરવાળે, સરકારને બચાવવાનો અને ધાર્મિક સૌહાર્દ અને સમભાવની વાત કરનારને લોકોને વિલન તરીકે ચીતરવાનો કાર્યક્રમ જોશભેર શરૂ થઈ જાય છે.
ત્રાસવાદી હુમલામાં હિંદુઓને મારવામાં આવ્યા છે, એટલે જે તેનો બોલીને વિરોધ નથી કરતા, એ બધા મુસલમાનો આ ઘટનાના સમર્થક છે અથવા તેનાથી ખુશી અનુભવે છે--આવું સરળીકરણ સગવડીયું અને મહદ્ અંશે રાજકીય છે. ભાગલાનાં 77 વર્ષ પછી બધા મુસલમાનોને તેમની વફાદારી સાબીત કરવાનું કહેવામાં આક્રમક રાજકારણ કે ધર્મઝનૂન સિવાય બીજું કશું નથી. ત્રાસવાદીઓના હિંસક ધર્મઝનૂન સામે આપણું ધર્મઝનૂન પણ કમ નથી, એવું બતાવી દેવાના પ્રયાસોમાં સરવાળે રાજકીય ફાયદાથી વધારે કશું નીપજતું નથી. નરેન્દ્ર મોદીના રાજનાં આટલાં વરસમાં તેની ખાતરી થઈ જવી જોઈતી હતી, પણ નથી થઈ. કારણ કે, વેપન ગ્રેડ જૂઠાંણાંનો સતત, નિરંતર વરસાદ પડે છે.
નિવેદનો આપવાનું કામ સત્તાધીશોનું કે વિવિધ પક્ષના નેતાઓનું છે. સોશિયલ મિડીયા પર આવી ઘટનાઓનો વિરોધ કરવો કે ન કરવો--એ કોઈનું માપ ન હોઈ શકે. મારા મતે, માણસનું ખરું માપ એ છે કે તે કેવી અક્ષમ્ય ઘટનાઓનો અને તેના આચરનારાનો ખુલીને, ગૌરવભેર અને સક્રિય બચાવ કરે છે. અત્યારનું ઉદાહરણ આગળ વધારીએ તો, નિર્દોષ મુસલમાનોની હત્યા કે નિર્દોષ ખ્રિસ્તીઓની મારપીટ વખતે ચૂપ રહેનારા લોકો માટે કશું કહેવાનું હોતું નથી--હોઈ શકે નહીં, પણ એવી મારપીટ કે હત્યાનું ગૌરવ લેતા, તેમાં હિંદુત્વનો જયજયકાર જોતા કે આખી ઘટનાને બીજા પાટે ચડાવીને, અત્યાચારીઓના લાભાર્થે તેની ગંભીરતા મોળવી નાખતા લોકો ટીકાને પાત્ર બનવા જોઈએ. એવા લોકો પછી બીજાને તેમના મૌન બદલ આંતરવા કે સવાલો કરવા નીકળે ત્યારે થાય છે કે રહેવા દે ભાઈ. બહુ થયું.
માર્યા ગયેલાઓ ભલે હિંદુ હોય, તે કેવળ હિંદુ ન હતા. તે ભારતીય પણ હતા. તેમના અપમૃત્યુનું દુઃખ કેવળ હિંદુત્વનું રાજકારણ કરતાં સંગઠનોનું સુવાંગ ન હોઈ શકે. તે દેશના સામાન્ય નાગરિકોનું પણ છે, જેમને આ ઘટનામાંથી કશો રાજકીય લાભ તારવવાનો નથી કે રાજકીય નુકસાન થતું અટકાવવાનું નથી.
ઇસ્લામી ધર્મઝનૂનીઓના દેખતા અંધાપાને લીધે જેમને અકાળે મૃત્યુ આવી પડ્યું, તે સૌ મૃતકો ને તેમનાં પરિવારજનો માટે પ્રગટ કે મનોમન લાગણી અને પીડા અનુભવીએ. આ દેશના નાગરિક તરીકે એટલું તો કરી જ શકાય.
*
(28-4-25)
ઘણા વખતથી ચાલતો આખો ખેલ એ છે કે સ્વસ્થ વિચારની કોશિશ કરનારા સામે મોરચો માંડો, તેમનો આક્રમક વિરોધ કરો, તેમને મહેસૂસ કરાવો કે તે અનિષ્ટોના તરફી છે અને માટે અનિષ્ટ છે. તેમને અસંવેદનશીલ ઠરાવી દો, હિંદુઓના દુશ્મન ઘોષિત કરી દો, જાહેર કરી દો કે તેમને દેશની પરવા નથી. વગેરે વગેરે...
આ ખેલના મુખ્ય બે ફાયદા છેઃ સ્વસ્થ વિચારની કોશિશ કરનારા ઢીલાપોચા હોય તો શેહમાં આવી જાય. ઘણા કિસ્સામાં જોવા મળે છે તેમ, માનસિક ઢચપચુપણું અનુભવીને કે ચાલુ પ્રવાહ સાથે રહેવા કે કજિયાનું મોં કાળું કરીને સઢ ફેરવી પણ નાખે.
કારણ કે, ધિક્કાર ફેલાવનારા કેટલાક લોકો અર્ધસત્યોનો સગવડીયો ઉપયોગ કરવામાં માહેર હોય છે. તે એકાદબે ઠેકાણે એવાં લપસણાં અર્ધસત્યો લખી નાખે કે માણસ સહેજ ચૂક્યો તો લપસીને સીધો ધિક્કારના ખદબદતા ખાબોચિયામાં. અથવા તેને પોતાને જ કેટલાંક સાદાં સત્યો સમજાવી સમજાવીને એવો કંટાળો આવે કે આત્મસંશય થવા લાગે ને કંઈ નહીં તો માથાકૂટ ટાળવા પણ એ બધું બંધ કરી દે.
બીજો ફાયદો એ કે સ્વસ્થ વિચારની કોશિશ કરનારા લખતા બંધ ન થાય તો પણ, તેમની વિરુદ્ધ બખાળા કાઢીને પોતાની 'બિરાદરી' આગળ વટ પાડી શકાય કે જોયું, મેં પેલાનાં કે પેલીનાં કેવાં છોતરાં કાઢી નાખ્યાં.
આ બધી લીલામાં સામાજિક ઝેર અને હિંસકતા-ધિક્કારનું તત્ત્વ ન હોત, તો એ બાળલીલા લાગત. પણ અફસોસ.
*
(29-4-25)
મોદીપ્રેમી/મુસલમાનવિરોધી લોકોની લાક્ષણિકતા એ છે કે તેમનો વિરોધ કરનારા બધા તેમને ડાબેરી, હિંદુવિરોધી, દેશદ્રોહી, કોંગ્રેસી લાગે છે. તેમના વલણનો વિરોધ કરનારા લોકોમાં કેટલા પ્રકારો અને પેટાપ્રકારો હોઈ શકે એની તેમને ખબર જ નથી અથવા તે યાદ કરવા માગતા નથી.
તેમની ધિક્કારની વિચારધારાનો જે વિરોધ કરે, એ બધા ડાબેરી, વામપંથી વિચારધારાવાળા--એવું પણ કેટલાક માને છે. ડાબેરી એટલે શું ને ડાબેરી એટલે કોણ નહીં--એટલી સાદી સમજણ કે સ્પષ્ટતા તેમનામાં હોતી નથી. પણ સમજણનો બધો અભાવ તે ધિક્કારથી અને વ્યક્તિપૂજાથી સરભર કરી લે છે. એટલે તેમને કશી ખોટ સાલતી નથી.
ડાબેરી કોને કહેવાય, તે વિશેનું અજ્ઞાન જોકે ગુજરાતમાં જ્ઞાનપીઠવિજેતા સુધી પહોંચેલું છે. વર્ષો પહેલાં એવા એક વિજેતાએ કોઈને મારી ઓળખાણ આપતાં કહ્યું હતું,'આ ઉર્વીશ કોઠારી. ડાબેરી છે, પણ સારું લખે છે.' 😃 હવે તમે જ કહો, તેમની આ દશા હોય, તો ફેસબુક પરના લોકોનો શો વાંક કાઢવો?
હકીકતમાં, મારા જેવા ઘણા લોકો કોઈ જડ વિચારધારામાં માનતા નથી. ડાબેરી એટલે હળવાથી આત્યંતિક ક્રમમાં જઈએ તો, સમાજવાદી, સામ્યવાદી, માઓવાદી અને તેમના અસંખ્ય પેટાપ્રકારો. હું નથી આંબેડકરવાદી, નથી ગાંધીવાદી. મને ગાંધી અને આંબેડકર બંને બહુ ગમે છે, ફૂલે તો મારા માટે હીરો છે, પણ ગમતા લોકો સાથે, પાયાના-મૂળભૂત ન હોય એવા મુદ્દે,અસંમતિ હોઈ શકે અને હોય છે. છતાં, તેમને, ગાંધી-આંબેડકરને, દિલથી ચાહી શકાય છે.
વિચારધારાના અર્થમાં હું સેક્યુલર પણ નથી. કારણ કે, વિચારધારા એને કહેવાય, જે સભાનતાથી અપનાવી હોય. મારી સાદી સમજ સહઅસ્તિત્ત્વમાં, સમાનતામાં અને માનવતામાં માનવાની છે. એ સમજ આખી જિંદગી ઘડતાં રહેવું પડે છે. શાસનનો-સ્થાપિત હિતોનો શક્ય એટલો વિરોધ, એ તેનો એક ભાગ છે. તેનો અંત નથી.
આ સમજ સતત ફાઇનટ્યુન કરવી પડે છે અને છેવટે તો, ઉપર જઈએ પછી જ નક્કી થાય કે 100માંથી કેટલા માર્ક આવ્યા. પણ આવી જે કંઈ સમજ છે તેને સેક્યુલરિઝમ, સ્યુડો-સેક્યુલરિઝમ, વામપંથ, ડાબેરી, હિંદુત્વવિરોધી--એવું બધું કહેવાય, એ તો આવી સમજથી જેમને તકલીફ થતી હતી ને થાય છે, તેમણે આપેલાં લેબલ છે. એટલે જ, એવાં લેબલ મને કદી અડતાં નથી.
ઘણા લોકો માને છે કે મારો એકમાત્ર ધંધો ને કામ ને હોબી મોદીને ગાળો દેવાની છે. સ્વાભાવિક રીતે જ આવા લોકોની સામાન્ય સમજના ગંભીર પ્રશ્નો હોય છે (એ તો આપણે ઉપર જોયું.) બાકી, રોજ પા-અડધા કલાકની મારી ફેસબુકચર્યા જોઈને અને તેમાં પણ બીજું કંઈ યાદ રાખ્યા વિના, ફક્ત મોદીની ટીકા યાદ રાખીને પછી, તે આવો અભિપ્રાય બાંધે તો તેમાં હું કશી મદદ કરી શકું નહીં. હકીકત એમ છે કે, મારા અનેક પ્રકારના રસ અને લખાણમાંથી મોદીપ્રેમીઓને ફક્ત મોદીની ટીકા જ 'સ્પર્શી' જાય છે અને મારો ફક્ત એટલો જ ભાગ યાદ રહી જાય છે.
મુદ્દાઆધારિત મૂલ્યાંકનના નામે, નરેન્દ્ર મોદીની આરતી ઉતારીને, તેમની કથિત કુશળતાના કી-બોર્ડસિપાહી બનીને, અમિત શાહ વિશે કદી કશું ન ઉચ્ચારીને, પછી સરકારના કે સરકારી તંત્રના છોંતરા કાઢી નાખવા--એવા ખેલ ગુજરાતમાં બહુ વખતથી ચાલે છે. યુટ્યુબ ચેનલોમાં પણ, જૂજ અપવાદોને બાદ કરતાં એ લગભગ ધોરણ બની ગયું છે. આખરે તો, પાપી વ્યૂનો સવાલ છે.
હું સમજું છું કે મોદી-શાહને સાચવી લઈને, વારેતહેવારે તે કેવા મહાન છે તેની બિરદાવલીઓ ગાઈ લેવી એ કસદાર ધંધો છે. એવા ધંધાર્થીઓ વિશે મારે કશું કહેવાનું નથી. કારણ કે, તે ધંધાદારીઓ છે અને તેમનું વિશ્લેષણ ન હોય.
હું સમજું છું કે સરકારનું બહુ દબાણ હોઈ શકે છે. હું કોઈને શહીદ બનવાની સલાહ નથી આપતો. જેનો આટલો મોટો હિસ્સો સારાસારવિવેક ગિરવે મુકીને બેઠો હોય, એવી પ્રજા માટે શહીદ ન થવાય--એટલી સમજણ મને પણ પડે છે. તેનો અર્થ એવો નહીં કે મોદી-શાહની આરતીઓ ઉતારીને, બાકીના તંત્ર કે સરકારની છાલ કાઢીને બહાદુરીના ફડાકા મારવાના. પણ બહુ મોટી સંખ્યામાં વાચકો આવા ખેલ પારખી શકતા નથી, એ હકીકત છે--પ્રજાકીય લક્ષણ કહી શકાય એટલી વ્યાપક હકીકત.
જોકે, ગુજરાતી પ્રજાને તેજાબી કલમ કે તેજાબી અભિપ્રાયો કે છોતરા કાઢી નાખવાના નામે મૂરખ બનાવવાનો ને પોતે કેવા બહાદુર છે તે દેખાડવાનો ખેલ આજકાલનો નથી. મારું એવું ખાનગી અને બિનઆધારભૂત છતાં પાયાદાર 'સંશોધન' છે કે ગુજરાતની પ્રજાને કેટલી આસાનીથી મૂરખ બનાવી શકાય છે, તેની જાણ નેતાઓ કરતાં પણ પહેલાં આપણા ઘણા કટારલેખકોને થઈ ગઈ હતી. એટલે વાચકો-દર્શકો આગળ તટસ્થતાના નામે આરતીઓ ઉતારવાનો, સાચવીને ટીકા કરવાનો ને ધૂર્તતાને બહાદુરી તરીકે રજૂ કરવાનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, યુ નો.
મોદીની કે શાસનની ટીકા કરવામાં મને કદી બહાદુરીનો અનુભવ નથી થયો. મારે મન એ કેવળ પ્રતીતિનો--મને જે લાગે છે તે કહેવાનો--મામલો છે. એથી ઓછો નહીં. એથી વધારે નહીં. તે કોઈ અદૃશ્ય કે દૃશ્ય વાચકવર્ગને કે શ્રોતાવર્ગને ધ્યાનમાં રાખીને, કે તેમને અંકે કરવા માટે કરાતી કસરત નથી.
હા, એવું બને છે કે ટીકા કરવા લાયક બધી બાબતોની એકસરખી તીવ્રતાથી ટીકા કરી શકાતી નથી. સમય, સંજોગો, પૂરતી જાણકારીનો અભાવ, બીજી પ્રતિકૂળતાઓથી માંડીને પ્રાથમિકતા જેવાં ઘણાં પરિબળો તેમાં કામ કરે છે. મંત્રી ન હોય એવા માણસ માટે આવું કરવું ફરજિયાત નથી, એ બાબતે હું નિશ્ચિત અને નિશ્ચિંત છું.
મને એક બાબતનું સૌથી વધારે ગૌરવ છેઃ મેં કદી કોઈના પણ હીન, માનવતાવિરુદ્ધ કામનો બચાવ કર્યો નથી, તેને છાવર્યું નથી કે તેને ધોકા પડતા હોય ત્યારે તેમના બચાવ ખાતર ધ્યાન બીજે ભટકાવવા દોડી ગયો નથી. મોદીપ્રેમીઓ તેમના વિચારવિરોધીઓ માટે જાતજાતનાં અને સમજ વગરનાં વિશેષણો વાપરવાની સાથેસાથે ક્યારેક આવી રીતે પણ પોતાની જાતનું મૂલ્યાંકન કરી જુએ.
બને કે તેમને પોતાના વિશે કંઈક વધુ જાણવાનું મળે.
*
(2-5-25)
સુરતમાં 'ગોડસેને ગાંધીકો ક્યૂં મારા'નો કાર્યક્રમ રદ થયો અને ટેકનિકલ કારણો આપીને આખી વાતને વાજબી ઠરાવવાની કોશિશ થઈ રહી છે.
ઓકે, તો ગોડસેએ ગાંધીજીની હત્યા કેમ કરી અને તેની પાછળ કેવા વિચાર કામ કરતા હતા, તેની વાત કરવી, એ આ દેશમાં લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ છે.
કેમ?
જવાબઃ કાર્યક્રમમાં જે બોલાય તે સોશિયલ મિડીયા પર ચડે ને કોઈ નારાજ થાય ને કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન ઊભો થાય તો? તેના કરતાં જે બોલાવાનું હોય તે પોલીસને પહેલેથી બતાવી દેવું જોઈએ.
મતલબ, હવે, આવા કાર્યક્રમમાં જે બોલાવાનું હોય તે પોલીસને પહેલેથી કહેવાનું. વધારે ચોખવટથી કહીએ તો, તેમની પાસેથી પાસ કરાવવાનું અને તેમને ખાતરી અપાવવાની કે આમાં કશું વાંધાજનક--એટલે કે સત્તાધીશોને વાંધો પડે એવું કંઈ નથી.
ઇંદિરા ગાંધીની કટોકટી વખતે આવું હતું. પછી નરેન્દ્ર મોદીના રાજ મુખ્ય મંત્રી હતા ત્યારે ધીમે ધીમે કરીને ગુજરાતમાં વિરોધ પ્રદર્શનો પર અઘોષિત પ્રતિબંધ મુકાઈ ગયો. વિરોધ પ્રદર્શન એટલે શું, એ જ ગુજરાતની પ્રજા ભૂલી ગઈ. પછી તેનો અફસોસ ક્યાંથી થાય?
પોલીસની દયા ખાવાનું મન થાય, પણ તે સામાન્ય પોલીસની. તેમના ઉપરીઓ ખુલીને જે નથી કહી શકતા તે એ કે, સત્તાપક્ષ નારાજ થાય એવું કંઈ ન કરશો. નહીં તો, સત્તાપક્ષનું સીધું કે આડકતરું સમર્થન ધરાવતા ગુંડા આવીને કાર્યક્રમના સ્થળે તોફાન મચાવશે ને અમે કંઈ નહીં કરી શકીએ. 'તમે સમજુ થઈને આવાં, અશાંતિ પ્રેરે એવાં આયોજનો કરો છો જ શા માટે?'
હવે તો ભલું પૂછવું, અહિંસાની વાત કરતાં પહેલાં પણ પોલીસની પરવાનગી લેવી પડશે? કારણ કે, અહિંસાની ખુલ્લેઆમ વાત કરવાથી હિંસા અને ધિક્કારમાં માનનારા લોકો નારાજ થાય અને કાર્યક્રમના સ્થળે તોડફોડ કરે તો લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ન થાય?
અને આપણને તો એમ કે પોલીસનું કામ ગુંડાગીરી-ધાંધલ-તોડફોડ કરતા લોકોને રોકવાનું, ટપારવાનું, અટકાવવાનું છે.
*
(3-5-25)
--તો ગુજરાતના અને દેશના લોકો,
આખી વાતમાંથી તમે શું સમજ્યા?
* તમે હિંદુ હો, પણ મુસલમાનોને ધિક્કારતા ન હો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ તમે નરેન્દ્ર મોદીની નીતિઓના ટીકાકાર હો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ ન્યાય માગવા માટે અહિંસક રીતે અવાજ ઉઠાવો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ મુખ્ય મંત્રીને કે કોઈ મંત્રીને જાહેરમાં અઘરા સવાલ પૂછો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, તમે લશ્કરી દળમાંથી હો અથવા તમે તમારું પરિવારજન ત્રાસવાદમાં ગુમાવ્યું હોય, તેમ છતાં તમે સહઅસ્તિત્ત્વની અને બધા મુસલમાનોને એક લાકડીએ નહીં હાંકવાની વાત કરતા હો, તો તમે અમારાવાળા હિંદુ નથી--અમારાવાળા રાષ્ટ્રવાદી નથી.
* તમે હિંદુ હો, પણ તમે સરકારો સામે અણીયાળા સવાલ ઊભા કરતી રમૂજો કરો-વ્યંગ કરો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ તમને હિંદુ ધર્મના નામે થતી બાવાઓની કપટલીલા કે બેશરમ વેપારધંધા સામે વાંધો પડતો હોય, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ બળાત્કારના ગુનેગાર બાવાને મળેલા જામીનની ટીકા કરો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ ખૂન અને બળાત્કારની સજા કાપીને આવેલા લોકોના સન્માનમાં ન જોડાવ, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ તમે સરકારના દરેક યુ ટર્નને સમર્થન ન આપો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો, પણ હિંદુ ધર્મની બધી મર્યાદાઓનો બીજા ધર્મોની મર્યાદાઓ સામે છેદ ન ઉડાડી શકાય એવું માનતા હો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
* તમે હિંદુ હો અને બીજા ધર્મોનાં ખરાબ તત્ત્વો સાથે સ્પર્ધામાં ન ઉતરાય એવું માનતા હો, તો તમે અમારાવાળા હિંદુ નથી.
ટૂંકમાં, તમે હિંદુ હો એટલું બિલકુલ પૂરતું નથી.
અસલ વાત તો એ છે કે તમે અમારાવાળા હિંદુ હોવા જોઈએ.
આટલું સમજવામાં કેટલી વાર લાગે?
*
(7-5-25)
બધી સ્ટોરી એક લીટીની નથી હોતી. જેમ કે,
‘ઓપરેશન સિંદૂર’—ત્રાસવાદી હુમલાની વળતી કાર્યવાહી તરીકે આવકારદાયક પગલું છે. દાવો કરાયા મુજબનાં લક્ષ્યાંક નિશાન બનાવાયાં હોય તો તે વધુ આનંદની વાત છે. આ પ્રકારની વળતી, સરહદપારનાં ચોક્કસ લક્ષ્યાંક સાથેની, મર્યાદિત સૈન્ય કાર્યવાહીને સમર્થન હોય જ.
રહી વાત વડાપ્રધાનનાં વખાણની. તો ‘ઓપરેશન સિંદૂર’ આવકારદાયક છે. તેનાથી વળતી કાર્યવાહીનો સંતોષ મળ્યો છે. આ પગલાનો આનંદ હોય, ઉન્માદ નહીં. તેના માટે ‘નિર્ણાયક’ કે એવાં બીજાં અતિશયોક્તિભર્યાં વિશેષણો ખડકીને, વડાપ્રધાનના જયજયકારમાં સરી પડવા જેવું નથી. કેમ કે, આવું પહેલી વારનું નથી. બાલાકોટ બધાને યાદ જ હશે. અને થોડા વખત પહેલાંનો આ અહેવાલ પણ રસ ધરાવનારે જોવો.
ત્રાસવાદી હુમલા પછી બધા મુસલમાનો પ્રત્યે ધિક્કાર ફેલાવવાનો ભરપૂર (અને સદ્‌ભાગ્યે નિષ્ફળ) પ્રયાસ થયો. હિમાંશી નરવાલે મુસલમાનોને ધિક્કારવાની ના પાડી તો તેમના વિશે સાવ છેલ્લી પાયરીનું લખાયું. આ બંને ઝુંબેશમાં સામેલ લોકો ‘ઓપરેશન સિંદૂર’ પછી છાતી ફુલાવતા ને બડાઈઓ મારતા દેખાય, ત્યારે વિચારજોઃ તેમનું ‘ભારત’ કયું છે અને શા માટે મારા જેવા ઘણા લોકોના ‘ભારત’ સાથે તેમના ધિક્કારકેન્દ્રી ‘રાષ્ટ્રવાદ’નો મેળ ખાતો નથી. પત્રકારો સમક્ષ વાત કરવા માટે વિંગ કમાન્ડર મોનિકા સિંઘની સાથે કર્નલ સોફિયા કુરેશી હતાં, તેનાથી પણ ધિક્કારના પ્રચારકો કંઈક સમજે તો સારું. હિમાંશી નરવાલના શાબ્દિક લિન્ચિંગ મામલે ચૂપ રહીને કરેલા મસમોટા પાપનું, સાવ નાનકડું પ્રાયશ્ચિત સરકારે કર્નલ કુરેશીને આગળ રાખીને કર્યું છે. તે દેખાડો હોય તો પણ આવકારદાયક છે.
મોક ડ્રિલના નામે ઘણા નાગરિકોને સાંકળતી બ્લેક આઉટની કાર્યવાહી બહુ ગળે ઉતરે એવી નથી. પહેલું કારણ તો એ કે હવેનાં યુદ્ધો જુદી રીતે લડાય છે. તેમાં બ્લેક આઉટની પ્રેક્ટિસની જરૂર હોય એવું સામાન્ય સમજથી તો લાગતું નથી. સૈનિક બાબતોના કોઈ નિષ્ણાત આવો અભિપ્રાય આપે તો જુદી વાત છે.
આશંકા તો એવી પડે કે તે સજાગતાને બદલે યુદ્ધજ્વર ચડાવવાનો કાર્યક્રમ હોઈ શકે. એવો જ્વર ચઢે એટલે સરકાર સામે સવાલો પૂછવાનો પારો માંડ થોડો ચડ્યો હોય તે પણ સાવ ઉતરી જાય. અગાઉ કોરોના વખતે સરકાર આ દાવ અજમાવી ચૂકી છે. એટલે તેની મથરાવટી પર ભરોસો બેસે તેમ નથી. પીડિતોના સવાલને ‘એજન્ડા’માં ખપાવવાનો અહંકાર શાસકોમાં આવી ચૂક્યો હોય, ત્યારે આવો લોકજ્વર તેમના માટે બહુ કામનો હોઈ શકે છે.
છેલ્લી વાતઃ 1971માં ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતાં ત્યારે, નરેન્દ્ર મોદીના વડાપ્રધાનપદ હેઠળ થયેલી સર્જિકલ સ્ટ્રાઇક કે જવાબી કાર્યવાહી કરતાં એક હજાર ગણી મોટી કાર્યવાહી થઈ હતીઃ પાકિસ્તાનનો એક આખો ટુકડો કપાઈને અલગ દેશ બન્યો હતો. તેનાં ત્રણ જ વર્ષમાં ઇન્દિરા ગાંધીનું કુશાસન ફાટીને ધુમાડે ગયું અને મોટી સંખ્યામાં લોકો ઇન્દિરાભક્તિમાં અંધ ન હતા. એટલે, દેશમાં વ્યાપક અસંતોષ ફાટી નીકળ્યો. કેટલાક ઘટનાક્રમો પછી 1975માં ઇન્દિરા ગાંધીએ સત્તા ટકાવવા માટે કટોકટી લાદવી પડી.
ટૂંકમાં, વડાપ્રધાને જે કર્યું એ તેમનું કામ હતું. જેટલું સારી રીતે કર્યું તેના માટે માપસરનાં અભિનંદન હોય, પણ એવા કામથી તેમની સામે ઊભા થયેલા બીજા અસંખ્ય મહત્ત્વના સવાલ મટી ન જાય.
જે આવો પ્રચાર કરતા હોય કે ‘મોદીએ પાઠ શીખવાડી દીધો. એટલે હવે તેમની ટીકા નહીં કરવાની- તેમને કશું પૂછવાનું નહીં. એ તો છે જ ગ્રેટ. તમને કદર નથી.’ તો એવા પ્રચારકોથી ચેતવું. કારણ કે તે રાષ્ટ્રભક્તિના નામે ખરેખર મોદીભક્તિ કરે છે. કાયદાની હદમાં રહીને મોદીભક્તિ કરવી તે વ્યક્તિનો લોકશાહી અધિકાર છે, પણ એ તેને રાષ્ટ્રભક્તિ ગણાવવા લાગે, ત્યારે તે અધિકાર મટીને છેતરપીંડી બને છે.
જય હિંદ.
*
(11-5-25)
વિક્રમ મિસરીને ટ્રોલ કરાયા તેનાથી કોઈને નવાઈ ન લાગવી જોઈએ.
થોડા દિવસ પહેલાં અહીં એક પોસ્ટમાં લખ્યું હતું તેમ, તમે 'અમારાવાળા હિંદુ' નથી, તો પછી તમે ગમે તે હો, કશો ફરક નથી પડતો. એટલે વહેમમાં રહેવું હોય તો તમારા હિસાબે ને જોખમે રહેજો.
અને એક ઓર વાતઃ ભૂલો ભલે બીજું બધું, પૉપૉની પીપૂડી વગાડવાનું ભૂલશો નહીં. આવા વખતે તો ખાસ નહીં. મોદી એ જ દેશ છે ને મોદીએ કમાલ કરી નાખી ને જોયું? કેવું બતાવી દીધું--એવી બધી કસીદાબાજી બહુ ઉપયોગી છે.
એક ઠેકાણું સાચવી લેવાથી અને વખતોવખત ત્યાં શાબ્દિક ચરણસ્પર્શ કરી લેવાથી, સ્થાનિક સરકારો ને વહીવટી તંત્રોના છોતરા ફાડવાના સીન નાખી શકાતા હોય અને કથિત બહાદુરીના ખેલ પાડી શકાતા હોય, તો સોદો ખોટો નથી.
પાર્ટ ટાઇમ જંબુરા, ફુલ ટાઇમ મદારી.
આપણા લોકોને તો આંખ સામે ચાલતું આટલું બધું નથી દેખાતું, ત્યાં આવા પાર્ટ ટાઇમ-ફુલ ટાઇમ રોલ જોવાની ને યાદ રાખવાની વૃત્તિ ક્યાંથી હોય?
અને એકલા પાર્ટટાઇમ જંબુરાઓનો પણ શો વાંક કાઢવો?
છાણના દેવને કપાસિયાની આંખો.
*
(13-5-25)
પોળની ક્રિકેટમાં પણ આવું ઘણી વાર બનતું.
એક ટીમ હારવા આવે, એટલે છેલ્લા થોડા બોલ બાકી હોય ત્યાં જ 'જીતી ગયા, જીતી ગયા'... કહીને બૂમરાણ મચાવે અને દોટ કાઢીને, કોઈ કશું વિચારે તે પહેલાં, સ્ટમ્પ ઉખાડીને મેદાનમાંથી બહાર ભાગી જાય.
પછી?
પછી શું? જીતનો જશ્ન. વિજયયાત્રા. વિજેતાનો જયજયકાર. વિજેતા કેવા મહાન ખેલાડી છે ને કેવા અપરાજેય છે તેની ગાથાઓ.
અને આ બધા સામે સવાલ કરો
તો તમે પોળવિરોધી, નેગેટિવ વિચારનારા, જીતનારાની ઇર્ષ્યા કરનારા 🙂