Monday, October 27, 2025

મંત્રીમંડળની બેઠક

 સામાન્ય રીતે કકળાટ કાળીચૌદશના દિવસે કાઢવાનો રિવાજ છે, પણ ગુજરાતમાં મંત્રીંમંડળની પુનઃરચના ચૌદશથી પહેલાં થઈ ગઈ. મંત્રીમંડળમાં કોણ આવ્યું ને કોણ ગયું, કોણ પડ્યું ને કોણ ચડ્યું, એવી બધી ચર્ચા (સાદી ભાષામાં, ચૌદશ) બહુ થઈ. નવા મંત્રીમંડળનો ઉત્સાહ મંત્રીઓને હોય એનાં કરતાં વધારે તો મિડીયાને વધારે હતો. ઘરે પ્રસંગ હોય તો પણ ન કરે, એટલી તૈયારી અને દોડધામ કેટલાક મિડીયાવાળા કરી રહ્યા હતા. ક્યાં કેવી તૈયારી ચાલી રહી છે, તેનું મિનીટેમિનીટનું રિપોર્ટિંગ થઈ રહ્યું હતું. તેનું એક કારણ કદાચ એ પણ હોય કે મિડીયાવાળા જાણે છે, એક વાર મંત્રીઓ તેમનું ખાતું સંભાળી લે, ત્યાર પછી મિડીયાવાળાને રિપોર્ટિંગની તક નહીં મળે. ખરેખર તો, મંત્રીને પોતાને કશું કરવાની તક મળશે કે કેમ, તે પણ સવાલ.

મનમાં નવોઢા જેવી મૂંઝવણો અને લોટરી જીતનારા જેવો રોમાંચ અનુભવતા મંત્રીઓની પહેલી અનૌપચારિક બેઠક થાય, તો તે કેવી હોય? થોડી કલ્પનાઃ

અધિકારીઃ નમસ્કાર. નવા મંત્રીમંડળમાં આપ સૌનું સ્વાગત છે.

મંત્રી 1: તમે કોણ? તમારી ઓળખાણ ન પડી. મંત્રી જેવા તો લાગતા નથી...

મંત્રી 2: એટલે તમે કહેવા શું માગો છો? મંત્રીઓ માણસ કરતાં જુદા લાગે?

ખૂણામાંથી અવાજ: કોને ખબર? બહુ વફાદાર હોય તો કદાચ ગળામાં...

અધિકારીઃ (વાક્ય કાપીને) મારો હોદ્દો તમારે જાણવાની જરૂર નથી. મારું કામ તમને નવી જગ્યાએ સારી રીતે ગોઠવી આપવાનું છે.

મંત્રી 3 (મંત્રી 4ને, ગુસપુસ અવાજે) : બોલો, આપણને એમ કે અમિતભાઈ બધું ગોઠવે છે, પણ અહીં તો આ ભાઈ બધું ગોઠવવાનો દાવો કરે છે. ગાંધીનગરનું પાણી...

મંત્રી 4: (એવા જ સ્વરે) હજુ તો આપણે આપણી ચેમ્બર પણ જોઈ નથી. એકદમ અસંતુષ્ટ થઈ જવાની જરૂર નથી.

અધિકારીઃ શાંતિ, શાંતિ. મારી વાત સાંભળીને કોઈ ખરાબ ન લગાડતા...

(બધા, એકસાથે) : અમને તો હવે પ્રેક્ટિસ પડી ગઈ છે. અમે મતદારો સિવાય બીજા કોઈની વાતનું ખરાબ લગાડતા નથી.

અધિકારી: વેરી ગુડ. તો તમારું ભવિષ્ય બહુ ઉજ્જવળ છે. સૌથી પહેલાં તો મારે તમને એ કહેવાનું કે તમને તમારી જગ્યા બતાવી દેવામાં આવે, ત્યાર પછી ટેવાતાં વાર ન લગાડતા.

મંત્રી 3 (ઉશ્કેરાઈને): જગ્યા બતાવી દેવામાં આવે એટલે? અમારી જગ્યા બતાવનાર તમે કોણ?

મંત્રી 4 (મંત્રી 3ને, હાથ દબાવીને, ધીમેથી) : હમણાં શાંતિ રાખો. આ તો ચિઠ્ઠીનો ચાકર છે. તેના હાથમાં કશું નથી.

મંત્રી 3: તો આપણે પણ એનાથી ક્યાં જુદા છીએ? આપણા હાથમાં શું છે?

મંત્રી 1: કેમ વળી? ગાડી, બંગલો, લાલ બત્તી, આર્થિક લાભો, આર્થિક લાભો મેળવવાની તક...

મંત્રી 3: એ બધું તો સમજ્યા, પણ માથે લટકતી તલવાર નહીં? અડધી રાતે દિલ્હીથી ફોન આવે તો નોકરી જતી રહે.

અધિકારી: આપસાહેબોએ આ રીતે વાત ન કરવી જોઈએ. આપ સૌ પ્રજાના સેવકો છો...

(બધા, સામુહિક રીતે હસે છે અને હસતાં હસતાં બેવડ વળી જાય છે.)

ખૂણામાંથી અવાજઃ આ અમિતભાઈનું નામ પ્રજા ક્યારથી થયું?

(અધિકારી અવાજની દિશામાં જોવા પ્રયાસ કરે છે, પણ કોઈ દેખાતું નથી.)

અધિકારીઃ આપમાંથી કોઈ ભૂતપ્રેતમાં માનો છો?

(બધા સમુહસ્વરે) : ના, અમે તો મોદીસાહેબ અને અમિતભાઈ એ બેમાં જ માનીએ છીએ.

અધિકારી: છોડો એ વાત. હું તમને ખાસ એ કહેવા માગતો હતો કે તમારી પાસે સમય ઓછો છે, એટલે જલદી ગોઠવાઈ જાવ એવી ઉપરથી ખાસ સૂચના છે.

મંત્રી 1: તમે ચિંતા ન કરતા, અમે ક્યાં ક્યાં કેવી રીતે ગોઠવવું એની વેતરણમાં જ છીએ.

અધિકારી: હું ગોઠવી લેવાની નહીં, કામકાજમાં ગોઠવાઈ જવાની વાત કરું છું. આમ તો તમારા ભાગે ખાસ કંઈ આવશે નહીં...

મંત્રી 2: એટલે?

અધિકારી: જ્યારથી જનરલ નોલેજના પેપરમાં રાજ્યના મંત્રીઓ વિશે સવાલ પૂછાતા બંધ થઈ ગયા ત્યારથી રાજ્યના મંત્રીમંડળનાં નામ વિશે કોઈને ખબર હોતી નથી. તમે જ્યાં જાવ ત્યાં તમારે કહેવું પડશે કે હું ફલાણા ખાતાનો મંત્રી. ત્યારે લોકોને થશે કે તમે અસ્તિત્વ ધરાવો છો.

મંત્રી 3: પણ ખાતાના અધિકારીઓ?

અધિકારી: તમે તો જાણો જ છો, ગઈ વખતે અધિકારીઓ મંત્રીઓના ફોન ઉઠાવે એવું કહેવા માટે પરિપત્ર કાઢવો પડ્યો હતો...

મંત્રી 5 (મંત્રી 3ને) : બસ, આ જ સાંભળવું હતું ને તમારે? સાંભળી લીધું ને?

અધિકારી : એમાં કોઈએ માઠું લગાડવાની જરૂર નથી. તમારા કોઈ પ્રત્યે સાહેબને અવિશ્વાસ હોત તો તમે અહીં બેઠા ન હોત. તમારે યાદ એટલું જ રાખવાનું કે તમે કોઈ પણ બાબતમાં ફાઇનલ ઓથોરિટી નથી. તમે અધિકારીને સૂચના આપવા જાવ, ત્યાર પહેલાં તેમને ઉપરથી સૂચના મળી પણ ગઈ હોય.

મંત્રી 3: તો પછી મંત્રીપદાને શું કરવાનું?

મંત્રી 5: તમે કહેતા હો તો ઉપર કહેવડાવી દઉં. બીજા લાઇનમાં તૈયાર જ છે.

અધિકારી: શાંતિ..શાંતિ... સાહેબ, આજે સપરમા દિવસે કોઈએ માઠું લગાડવાનું નથી. આજે તો મારે તમને બધાને મોં મીઠું કરાવીને, સાહેબની વફાદારીની કસોટીમાં હેમખેમ પાર ઉતરો એવી શુભેચ્છા સાથે તમારી જગ્યાએ લઈ જવાના છે. એક વાર તમે તમારી જગ્યાએ પહોંચો. ગુજરાતનું પછી જોઈ લઈશું.

(એ સાથે જ મિટિંગ પૂરી થાય છે અને સૌ એક ખૂણામાં રહેલી મોટી તસવીરને પાયલાગણ માટે લાઇન લગાડે છે.)

Saturday, October 18, 2025

ન જોયેલા વડીલોની સ્મૃતિ

નામઃ કેશવલાલ કીલાભાઈ દેસાઈ. તેમના પુત્ર ચંદુલાલ કેશવલાલ દેસાઈ અને ચંદુલાલનાં પુત્રી સ્મિતા તે મારાં મમ્મી.

નામઃ ચુનીલાલ ગોરધનદાસ કોઠારી. તેમના પુત્ર ચીમનલાલ ચુનીલાલ કોઠારી. અમારા ઘરે આવેલા મિત્રોએ ઘરની કેટલીક ચીજવસ્તુઓથી માંડીને ક્રોકરી પર CCK અથવા ચી.ચુ.કો. લખેલું જોયું હશે, તે ચીમનલાલ કોઠારી અને તેમના પુત્ર અનિલકુમાર તે મારા પપ્પા.

અમારા બંને ભાઈઓમાં બીરેન છ વર્ષે મોટો. છતાં, તેણે એકેય દાદાને જોયા ન હતા—ચીમનલાલને પણ નહીં ને ચંદુલાલને પણ નહીં. એટલે પરદાદાઓને જોવાનો તો પ્રશ્ન જ નહીં. પરંતુ એ બંને પરદાદાઓની સ્થૂળ યાદગીરી ઘરમાં સચવાઈ રહી હતી, જેની તરફ થોડા સમય પહેલાં ધ્યાન પડ્યું.

અમારાં બંને ઘરે (મહેમદાવાદ અને વડોદરા) જૂની ચીજવસ્તુઓ બહુ સારી રીતે સચવાઈને રહી હોય. તેમાં કેટલાંક વાસણ પણ ખરાં. એવાં થોડાં વાસણમાં જર્મન સિલ્વરના ચાર લોટા અમે રાખ્યા હતા અને દાદાજીના જમાનાના સીસમના બે માળના કબાટની ઉપરની ખાલી જગ્યામાં તેમને ગોઠવ્યા હતા. થોડા મહિના પહેલાં તેમને લૂછવા માટેનીચે ઉતાર્યા. અમને હતું કે બંને દાદાઓના સમયના બબ્બે લોટા છે, પણ ધ્યાનથી જોતાં દાદાઓના નામ ઉપરાંત તેની પર પરદાદાઓનું નામ પણ લખાયેલું મળી આવ્યું. એટલે કે, તે પરદાદાઓ પાસેથી દાદાઓને, પછી તેમનાં સંતાનોને અને તેમની પાસેથી લગભગ એક-સવા સદીની સફર કરીને અમારા સુધી પહોંચ્યા હતા.



ચારેય લોટાના તળીયે (હા ભઈ, આ ગાંધીનગર-દિલ્હીના નથી. એટલે તળીયાવાળા લોટા છે.) તેની કંપનીનું નામ હતું. તેમાં ત્રણ નામ એકસરખાં, પણ ચોથું અલગ હતું. Lallobhoy Ambaram Parekh. લલ્લુભાઈ અંબારામ પારેખ. મારી એવી છાપ હતી કે bhoy સામાન્ય રીતે વોરાજીઓ લગાડતા હોય, પણ આમાં તો એવું લાગતું નથી. તેમના નામના લોગોની નીચે વંચાય છેઃ Made in Germany.

ચાર લોટા પાછા સાફ કરીને, પરદાદાઓ સાથે આડકતરી મુલાકાતના આનંદ સાથે પાછા મુક્યા, પણ તેમના તરફ જોવાની દૃષ્ટિ બદલાઈ છે. જેમનો ચહેરો પણ જોયો નથી એવા કેશવલાલ કીલાભાઈ અને જેમનું ફક્ત ચિતરેલું પોટ્રેટ જોયું છે એવા ચુનીલાલ ગોરધનદાસના અણસાર હવે તેમાં આવે છે.

Friday, October 17, 2025

બીરેન કોઠારીએ ગઈ કાલે પપ્પા વિશે લખ્યું હતું. કાલે (16 ઓક્ટોબર) પપ્પાનો જન્મદિવસ હતો. અમે બંને આમ તો તારીખટાણાં પાળવામાં બહુ આગ્રહી નહીં. મને તો તારીખો પણ યાદ રહેતી નથી.

પપ્પા 2008માં ગયા. એ અરસામાં કોઈએ, ભૂલતો ન હોઉં તો 'નવનીત સમર્પણ'ના દીપક દોશીએ, પપ્પા વિશે લખવા કહ્યું હતું. એકાદ પાનું લખ્યું હશે, પણ આગળ વધી ન શક્યો. લાગણીવશતાને કારણે નહીં. બસ, એમ જ. ન લખાયું.
*
મહેમદાવાદમાં સાંજે ટ્રેનો બોલે એટલે કુટુંબોમાં ક્યાંક ને ક્યાંક કોઈ કહે,'પપ્પાની ગાડી બોલી.' અમદાવાદથી આવતી બે ટ્રેનો--પહેલો ફાસ્ટ (સૌરાષ્ટ્ર જનતા) અને બીજો ફાસ્ટ (અમદાવાદ જનતા-હવે લોકશક્તિ) તરીકે ઓળખાય. ત્યાર પહેલાં અમદાવાદથી વડોદરાને બદલે આણંદ સુધી જતી અને એટલે 'અડધિયું' કહેવાતી લોકલ આવે. પપ્પા એવી કોઈ ટ્રેનમાં આવે. અમે ત્યારે જૂના ઘરમાં પહેલા માળે રહેતાં હતાં. ત્રણ રૂમને આવરી લેતી, જ્યાં અમે ક્રિકેટ રમતા હતા એવી વિશાળ, બાલ્કનીમાં અમે ઊભા હોઈએ. ઘરથી ખાસ્સે દૂર, ગોપાળદાસના બાલમંદિર આગળથી પપ્પા આવતા દેખાય એટલે હું દાદરા ઉતરીને તેમને લેવા સામો પહોંચું. બેગ ઉંચકાતી થયા પછી તેમની બેગ પણ લેતો હોઈશ.
મેં જોયેલા તેમના મોટા ભાગના દિવસ સંઘર્ષના હતા. સાવ બાળપણમાં તે વડોદરા જતા હતા અને ફર્સ્ટ ક્લાસમાં અપડાઉન કરતા હતા. એ જાહોજલાલી થોડો સમય રહી. ત્યારે તે વડોદરાથી મોટાં જાંબુ લાવતા અને વડોદરા 'એપેક્સ'માંથી એક એવી વસ્તુ લાવતા, જે બદામપુરી જેવી હોવા છતાં, સ્વાદમાં તેનાથી થોડી અલગ ને વધુ સારી આવતી હતી. (તે સ્વાદ મોહનલાલ મીઠાઈવાલાથી માંડીને ભાવનગરની બદામપુરીમાં શોધ્યો, પણ મળ્યો નથી. કદાચ તેની સાથે ભળી ગયેલો બાળપણનો સ્વાદ ખૂટતો હશે?) ગૌરી વ્રત વખતે તે વેણીઓ લાવતા--અમારે એકેય બહેન ન હોવા છતાં. નીચે રહેતી નાનજીની દીકરીઓ તે વેણી લગાડતી. વડોદરાથી તે પારસ જાંબુ લાવ્યા હોય અને સ્ટીલની સૌથી મોટી થાળીમાં એ જાંબુ દડ દડ કરતાં પડતાં હોય, એ દૃશ્ય આ લખતી વખતે પણ હું જોઈ શકું છું.
તેમની પાસે જેટલાં કપડાં હતાં, એટલાં કદાચ અમારા બંને ભાઈઓ પાસે મળીને નહીં હોય. તે બધાં લેટેસ્ટ ફેશનનાં. બીરેને લખ્યું છે તેમ, ટેસ્ટ ઊંચો. રૂપિયા સામે જુએ નહીં. તેમનાં કપડાં મહેમદાવાદના તેમના કેટલાય મિત્રો પહેરતા. તેમાંથી એક મિત્ર છેવટ સુધી પડખે રહ્યા. તેમનું શરીર કથળ્યું અને વટ ભૂતકાળ બન્યો, ત્યારે પેલા મિત્ર સ્થાનિક રાજકારણમાં ખાસ્સા આગળ વધ્યા હતા. છતાં, તે ચહીને પપ્પાને મળવા આવતા અને અમને બહુ ઉલટથી કહેતા કે 'મારી તો તે ઘડીએ સ્થિતિ નહીં, પણ હું અનિલભાઈનાં કપડાં પહેરવા લઈ જતો હતો.' એ વખતે ડ્રેસિંગ સેન્સમાં મહેમદાવાદમાં મહેશભાઈ મુખી અને પપ્પા, એ બે જણની ગણના થતી. જૂની ફિલ્મોમાં રસ પડ્યા પછી ધીમે ધીમે જાણ્યું કે કોઈ કાળે પપ્પાને પોતે થોડા ચંદ્રમોહન જેવા લાગે છે, એવું માનવું ગમતું. (ચંદ્રમોહન ત્રીસી-ચાળીસીના દાયકાના, અત્યંત પ્રભાવશાળી આંખો ધરાવતા અભિનેતા હતા) પપ્પાના પિતરાઈઓ મુંબઈમાં રહે. એટલે પપ્પા ભલે મહેમદાવાદમાં, પણ તેમની બધી સ્ટાઇલ અને રીતભાત મુંબઈનાં.
પપ્પાઃ અનિલકુમાર કોઠારી, મહેમદાવાદ, જુનિયર ચેમ્બર, 1967
પપ્પા વિશે આટલું લખીએ ને તેમના ગુસ્સાની વાત ન આવે, તે કેમ બને? સગાવહાલાંમાં એ તેમના ગુસ્સા માટે જાણીતા હતા. અમને ભાઈઓને તેમના ગુસ્સાનો લાભ નહીંવત્ મળ્યો હશે, પણ મમ્મીને તેમનો તાપ ઘણો વેઠવાનો આવ્યો. મોટા ભાગની જિંદગી આર્થિક સંઘર્ષ, પોતાના વિશેના અને કુટુંબ વિશેના અમુક ખ્યાલો અને પછી લાંબો સમય તબિયત કથળવાને કારણે આવેલી થોડીઘણી પરવશતા—તેનાથી તેમનો ગુસ્સો ઓર વધ્યો હતો. ગુસ્સો જેટલો ખરાબ હતો, પ્રેમ એટલો જ પ્રગટ હતો. બંને પુત્રવધુઓ સાથે તે અતિશય માયાળુ રીતે વર્તતા.
પ્રકૃતિએ તે ભલા, મદદગાર અને પછેડી કરતાં પગ બહાર રહે એ રીતે જીવનારા હતા. બીજાને મદદરૂપ થવામાં પણ એવા. વ્યવસાય કરવા માટે જે કેટલાંક લક્ષણ જોઈએ એ તેમનામાં ન હતાં. એટલે, તેમાં તે સાવ નિષ્ફળ નીવડ્યા. ત્યાર પછી નોકરી કરી. છેલ્લે પૈતૃક જમીનમાં ગણોતધારા હેઠળ થયેલા કેસમાં કોર્ટના ધક્કા ખાવાનું પણ તેમના ભાગે આવ્યું. અમે તેમને એ અવસ્થામાં જોતા અને સંતાપ પામતા. અમે મનોમન ગાંઠ પણ વાળી કે આપણે કદી ધંધો નહીં કરીએ. ઉપરાંત, તેમના ગુસ્સાનો વારસો મારામાં આવ્યો. તેની પર સભાનપણે કામ કરતાં કરતાં, તેને નાબૂદ તો કરી શક્યો નથી, પણ ખાસ્સા અંકુશ સુધી પહોંચ્યો છું.
અમારા બંને ભાઈઓનાં જીવન પાટે ચડી ગયેલાં અને સુખી જોઈને, બીરેનની દીકરીને મોટી થતી જોઈને તે ગયા તેનો સંતોષ છે. છેલ્લી પાંચ-છ દિવસની બીમારી પછી તેમની વિદાય બધાં માટે મુક્તિરૂપ હતી. કનુકાકાના દેહદાન પછી અમારી કૌટુંબિક પરંપરા બની ગયેલી પદ્ધતિ પ્રમાણે પપ્પાના દેહનું પણ મેડિકલ હોસ્પિટલમાં દાન કર્યું હતું. એક જ વાનમાં હું તેમના દેહની સાથે કરમસદ જતો હતો ત્યારે શોકપૂર્વક નહીં, પણ સ્મરણપૂર્વક મનમાં કેટકેટલી પટ્ટી ચાલી હતીઃ સ્ટીલની થાળીમાં દડતાં જાંબુની, દોડીને સામેથી તેમની બેગ લેવા જવાની, બીમારી પછી નિયમિત રીતે તેમનું બ્લડપ્રેશર માપવાની, પલાંઠી વાળીને બેસવાની તકલીફ પડતી હોવા છતાં, તેમની અમારી સાથે જૂનું, વિશિષ્ટ પ્રકારનું (પિનબોલની જૂની આવૃત્તિ જેવું) કેરમ રમવાની...
પપ્પાઃ અનિલકુમાર કોઠારી, અજાણી વ્યક્તિ સાથે
*
થોડાં વર્ષ પહેલાં એક વાર વિદ્યાનગરની વી.પી. સાયન્સ કોલેજમાં વિઠ્ઠલભાઈ પટેલ વિશે બોલવા જવાનું હતું. વક્તવ્ય પહેલાં વિવિધ કોલેજોના આચાર્ય અને બીજા હોદ્દેદાર સાથે પરિચય તથા ચાપાણી ચાલતાં હતાં. ત્યારે દેસાઈ અટકધારી એક વડીલે (તેમનું નામ ભૂલી ગયો છું, પણ તે તિલાના દેસાઈના દાદા થાય) મારા પરિચયમાં મહેમદાવાદ સાંભળીને મને પૂછ્યું,‘અનિલભાઈ કોઠારી તમારા કંઈ થાય?’ મેં કહ્યું,‘હા. પપ્પા.’
એ સાંભળીને તે મારા પપ્પાના એવા સ્વરૂપની વાત કરવા લાગ્યા, જે મેં કદી સાંભળ્યું જ ન હતું. તે અને પપ્પા સોનાવાલા હાઇસ્કૂલમાં સાથે ભણતા અને ક્રિકેટ રમતા હતા. એટલે તેમણે મને પપ્પાની ક્રિકેટની રમત વિશે અને બીજી થોડી વાત કરી. તે દિવસે એટલો બધો રોમાંચ થયો હતો, જાણે ગયેલા પપ્પા ફરી પાછા, તેમના કિશોર સ્વરૂપે મારી આગળ પ્રગટ થયા હોય.
આજે આ લખતી વખતે ફરી, જરા જુદી રીતે, એવું જ અનુભવી રહ્યો છું.

Saturday, October 11, 2025

સૂચિત નવા ઉત્સવ

 આઠ વર્ષ સુધી આકરો જીએસટી વસૂલ કર્યા પછી, સરકારે કેટલીક ચીજોમાં જીએસટી ઘટાડ્યો અને તેને બચત-ઉત્સવ તરીકે ઉજવવાનો પ્રચાર શરૂ કરી દીધો છે. તે ધ્યાનમાં રાખતાં ભવિષ્યમાં સરકાર દ્વારા જાહેર કરી શકાય એવા બીજા કેટલાક ઉત્સવ.

ખાડોત્સવઃ પહેલાં ફક્ત ચોમાસામાં રસ્તા ખરાબ થતા હતા, પરંતુ ન્યાયપ્રેમી સરકારને લાગ્યું કે ત્રણે ઋતુમાં ફક્ત ચોમાસાની બદનામી થાય તે ઠીક નહીં. એટલે પછી એવી વ્યવસ્થા ગોઠવાઈ કે બધી ઋતુમાં રસ્તા ખાડાગ્રસ્ત જ રહે છે. સરકારના પાળેલા અથવા સરકાર દ્વારા પળાવા ઉત્સુક ચિંતકો કહી શકે કે ખાડા એ તો મનની સ્થિતિ છે. મનમાં ખોટ કે દેશદ્રોહી લાગણીઓ ન હોય તો ખાડા નડતા નથી. તેમને સહેલાઈથી અવગણી શકાય છે. નાના ખાડા આવે તો વાહનને સહેજ બાજુ પરથી કાઢીને ખાડા ટાળી શકાય અને મોટા ખાડા આવે તો તેને ખાડા ગણવાને બદલે રસ્તાની ન્યૂ નોર્મલ સ્થિતિ તરીકે સ્વીકારીને તેમાં કશી ફરિયાદ વિના વાહન ચલાવી શકાય.

પરંતુ આ તો થાય ત્યારે ખરું. તે પહેલાં લોકલાગણી જો ઉશ્કેરાય અને સરકાર પાસે જવાબ માગે, તો તેને બીજા પાટે ચડાવવા ગામેગામ ખાડોત્સવનો આરંભ કરી શકાય. તેના માટે અખિલ ભારતીય રાષ્ટ્રીય ખાડા સંઘ જેવી, ટૂંકમાં ખાડાસંઘ તરીકે ઓળખાય એવી સંસ્થા પણ સ્થાપી શકાય. પેજપ્રમુખો તો ઓલરેડી નીમેલા જ છે અને ચૂંટણી સિવાય તે સામાન્ય રીતે નિરાંતમાં હોય છે. તેમને ખાડાસંઘના સ્થાનિક પ્રમુખનો નવો હોદ્દો તથા વધારાનો ચાર્જ આપી શકાય. તેમની જવાબદારી એ કે તેમના વિસ્તારમાં આવેલા ખાડા વિશે લોકોના મનમાં રહેલો અસંતોષ કે ફરિયાદ દૂર થાય, લોકો ખાડાને રાષ્ટ્રવાદી સરકારની નગણ્ય આડઅસર તરીકે સ્વીકારતા અને સમય જતાં તેનું ગૌરવ અનુભવતા થાય. તે માટે પહેલાં દર અઠવાડિયે, પછી દર પખવાડિયે અને પછી દર મહિને ગામેગામ, વિસ્તારવાર ખાડોત્સવ અંતર્ગત ખાડાપૂજન શરૂ કરે. તે માટે ખાડાસ્તોત્ર રચવામાં આવે, તેને એકાદ સરકારી ગાયક પાસે ગવડાવીને આખા રાજ્યમાં તેનું વિતરણ કરવામાં આવે અને ખાડાસ્તોત્ર કે ખાડાપૂજનનો વિરોધ કરનારાને હિંદુવિરોધી, રાષ્ટ્રદ્રોહી, સેક્યુલર જાહેર કરવામાં આવે. એમ કરવાથી ખાડા પ્રત્યે જોવાનો લોકોનો દૃષ્ટિકોણ બદલાઈ જશે અને કેટલાક તો પોતાના વિસ્તારમાં ખાડોત્સવ ઉજવી શકાય એટલા ખાડા કેમ નથી, તેની ફરિયાદ કરતા થશે.

પુલોત્સવઃ સાંભળવામાં કોઈને ફૂલોત્સવ કે fool-ઉત્સવ લાગે તો એવી ગેરસમજ આવકાર્ય છે. આ ઉત્સવ અંતર્ગત રાજ્યભરમાં જેટલા મોટા, નાના, કાચા પુલ હજુ પડી નથી ગયા, તેમની વસ્તી ગણતરી કરવામાં આવે અને તેના આંકડા જોરશોરથી જાહેર કરવામાં આવે. ત્યાર પછી પાળેલાં માધ્યમો દ્વારા એવા અહેવાલ કરાવવામાં આવે કે આખા રાજ્યમા કુલ અમુક હજાર પુલ છે અને તેમાંથી માંડ પાંચ-સાત પુલ તૂટ્યા, તો તેની ટકાવારી કેટલી ઓછી થાય? અને રાજ્યના 99 ટકાથી પણ વધારે પુલો સલામત હોય ત્યારે ક્યાંક ક્યાંક પુલો તૂટે તો સરકારને માથે માછલાં ધોવાનું કેટલું યોગ્ય ગણાય? અને તે વાંકદેખાપણાની તથા સરકારવિરોધી એટલે કે દેશવિરોધી માનસિકતાની નિશાની નથી?

સાજા રહેલા પુલોની ગણતરી કરીને તેના આંકડા એક વાર બહાર પાડી દીધા પછી શું? પુલો તો વચ્ચે વચ્ચે તૂટતા રહેવાના અને નાના હોબાળા થતા રહેવાના. તેમને અંકુશમાં રાખવા માટે, પુલોની વસ્તી ગણતરી થતી હોય તેને સમાંતર જ, સાજાસમા રહેલા પુલોનું પૂજન શરૂ કરાવવું, તેમની સલામતી માટે હવન કરાવવો અને આખું ગામ જમાડવું. ઉપરાંત, સાજાસમા રહેલા પુલો અને તેના થકી સ્થાપિત થતી સરકારની કાર્યક્ષમતા વિશે નિશાળોમાં નિબંધસ્પર્ધાઓ યોજવી, કોલેજોમાં સરકારમાન્ય અને સરકારી કૃપાવાંચ્છુક એવા વક્તાઓનાં ભાષણો ગોઠવવાં, જેમાં તેમણે દરેક સાજા રહેલા પુલ માટે નરેન્દ્ર મોદીની મહાન નેતાગીરી શી રીતે જવાબદાર છે, તે વિવિધ દાખલાદલીલો, ઉદાહરણો, વિજ્ઞાન-ઇતિહાસ-ભૂગોળ આદિનાં ઉદાહરણો આપીને સમજાવવું. આવી પ્રવૃત્તિમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓને એકસ્ટ્રા દસ માર્ક આપવા.

શ્વાસોત્વઃ નોટબંધી અને કોરોના જેવા મહામારીઓ છતાં દેશના બહુમતી લોકો હજુ શ્વસી રહ્યા છે-જીવી રહ્યા છે, તે આ સરકારની સંવેદનશીલ નીતિને આભારી છે. સરકારે ધાર્યું હોત તો તે શ્વાસ પર 18 ટકા ને ઉચ્છવાસ પર 12 ટકા જીએસટી નાખી શકી હોત અને આઠ વર્ષ પછી બંનેના જીએસટી દર ઘટાડીને પાંચ ટકા કરવાની જાહેરાત સાથે શ્વાસોત્વની જાહેરાત કરી હોત. તેને બદલે સરકારે શ્વાસ-ઉચ્છવાસ પર કોઈ પણ પ્રકારનો કરવેરો રાખ્યો નથી,

સરકારે શ્વાસોચ્છવાસનાં વાર્ષિક રીટેર્ન ભરવાની જોગવાઈ ઊભી કરી નથી, એ પણ તેની નાગરિકવત્સલતાની નિશાની છે. બાકી, સરકાર ધારે તો દર વર્ષે તમે કેટલા શ્વાસ લીધા અને કેટલા ઉચ્છવાસ, તેનું સરકારમાન્ય હોસ્પિટલમાં સરકારમાન્ય તબીબ પાસેથી પ્રમાણપત્ર લઈને, તેને સરકારી વેબસાઇટ પર અપલોડ કરવાનો નિયમ કાઢી શકે.

તે પગલામાં અસરકારતા ઓછી લાગતી હોય અને નાગરિકો પાસે વિચારી શકવાનો સમય બચતો હોય તો, સરકાર એવું પણ કહી શકે કે શ્વાસ લેતાં પહેલાં હૃદયના ધબકારા ઝીલતું સરકારી યંત્ર છાતી પર પહેરો, તેની સાથે તમારાં આધાર કાર્ડ-પાન કાર્ડ-મોબાઇલ નંબર લિન્ક કરો અને દર મહિને તે નવેસરથી લિન્ક કરતા રહો. જે આવું નહીં કરે તેને નાગરિક આરોગ્યનાં સરકારી પગલાંનો વિરોધ કરવાના ગુનાસર દંડ કરવામાં આવશે.

છ મહિના પછી આ પગલું પાછું ખેંચીને પણ સરકાર શ્વાસોત્વ ઉજવી શકે.

Friday, October 10, 2025

હોર્ડિંગબાજી અને મસ્કાબાજી

 રાજકારણીઓના હોર્ડિંગનો ત્રાસ છેલ્લા ઘણા સમયથી બહુ વધી ગયો છે. હમણાં જગદીશ પંચાલ (વિશ્વકર્મા) નામના એક મંત્રીને ભાજપના પ્રદેશપ્રમુખ બનાવવામાં આવ્યા, ત્યાર પછી તેમને અભિનંદન આપતાં હોર્ડિંગોનું ઘોડાપૂર આવ્યું છે.

બે દાયકા પહેલાં હોર્ડિંગ અને મોટાં કટ આઉટનું ચલણ દક્ષિણ ભારતના રાજકારણમાં ઘણું હતું. તેનું એક કારણ એ હતું કે ત્યાંના ઘણા નેતા (MGR, NTR, જયલલિતા, કરુણાનિધિ) ફિલ્મલાઇનમાંથી આવતા હતા. નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા, એટલે તેમણે પર્સનાલિટી કલ્ટ--પોતાનો સંપ્રદાય ઊભો કરવાના આક્રમક પ્રયાસ તરીકે, હોર્ડિંગબાજીનો (પણ) સહારો લીધો. મોદી મુખ્ય મંત્રી બન્યા તેનાં થોડાં વર્ષ પછી, મૂળ અમદાવાદની પણ દક્ષિણ ભારતમાં કામ કરતી એક મિત્ર મળવા આવી હતી. તેને રાજકારણ સાથે ખાસકંઈ લેવાદેવા નહીં, પણ તેણે પૂછ્યું હતું કે 'આપણે ત્યાં સાઉથ જેવું ક્યારથી થઈ ગયું? જ્યાં ને ત્યાં ચાર રસ્તે નરેન્દ્ર મોદીનાં જ હોર્ડિંગ લાગ્યાં છે...'
હવે લોકો જગદીશભાઈ પંચાલને મસકાબાજી કરવા માટે તેમનાં અઢળક હોર્ડિંગ લગાડી રહ્યા છે. ત્યારે નાગરિક તરીકે ખાસ બે સૂચન છેઃ

1. દરેક હોર્ડિંગ પર તેના ભાડાનો આંકડો એક ખૂણે, મોટા અક્ષરે જાહેર કરવામાં આવે.
2. તે ભાડું ચૂકવાયું હોય તો તે કોણે અને કયા ખાતામાંથી ચૂકવ્યું છે, તે પણ હોર્ડિંગ પર જ જાહેર કરવામાં આવે, જેથી પ્રજાને ખબર પડે કે આ જયજયકાર કેવી રીતે થઈ રહ્યો છે.
આ સિવાય બીજી બે આડવાતઃ

1. જગદીશભાઈનું નામ હજુ ગુજરાત સરકારના GAD વિભાગની વેબસાઇટ પર રાજ્યકક્ષાના મંત્રીમંડળની યાદીમાં 'જગદીશ પંચાલ' તરીકે જ બોલે છે. (જુઓ સ્ક્રીન શોટ). તો પછી મહામંત્રી બન્યા પછી તેમનું નામ જગદીશ વિશ્વકર્મા શી રીતે થઈ ગયું? તેનો જગદીશભાઈ કે પક્ષ તરફથી કોઈ ખુલાસો થયો હોય તો તે જોવામાં આવ્યો નથી. માટે, જો હોય તો અહીં લિન્ક આપવા વિનંતી.
એક મિત્રે આપેલું તાર્કિક કારણ એવું છે કે 'વિશ્વકર્મા' અટક લખાવવાથી જ્ઞાતિનાં સમીકરણોમાં પંચાલ ઉપરાંતના બીજા સમુદાયો પણ આવરી શકાય છે. કારણ જે હોય તે, પણ તે જગદીશભાઈએ કે તેમને રાજ્યકક્ષાના મંત્રીપદેથી ઉપાડીને પ્રદેશપ્રમુખપદે બેસાડી દેનારાએ જાહેર કરવું જોઈએ.
2. જગદીશ વિશ્વકર્માનો ગુજરાતીમાં આદરયુક્ત ઉલ્લેખ કરવો હોય તો શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા કહેવું પૂરતું છે, પણ રાજકારણમાં ચમચાગીરીની બોલબાલા હોય છે. એટલે કેટલાં બધાં હોર્ડિંગમાં તેમનો ઉલ્લેખ 'જગદીશભાઈ વિશ્વકર્માજી' તરીકે કરવામાં આવે છે.
હવે કલ્પના કરો, જગદીશભાઈ કાલે ઉઠીને 'વિશ્વકર્મા'ને બદલે 'સોનેજી' અટક અપનાવે, તો હોર્ડિંગમાં તેમની ચમચાગીરી માટે શું લખવાનું? જગદીશભાઈ સોનેજીજી?
ટૂંકમાં, હે નેતાઓ, મસ્કા મારવામાં ને અભિનંદન આપવામાં પાછળ ન રહી જવાય કે મોળા ન દેખાઈ જવાય તેની હડી કાઢવામાં થોડું, સાદું ભાષાકીય વિવેકભાન તો રાખો.
--અને પેલું, હોર્ડિંગનો ખર્ચ જાહેર કરવાનું ભૂલતા નહીં.

Tuesday, September 23, 2025

પ્રાણીઆલમના પ્રતિભાવ

 ગયા સપ્તાહે વડાપ્રધાનની 75મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી. ફિલ્મ-વેપારઉદ્યોગ અને રમતગમતથી માંડીને ઘણાં ક્ષેત્રોના લોકોએ સાચી, ખોટી, ભયપ્રેરિત, લાલચપ્રેરિત, કૃપાવાંચ્છુ, (હૃદયસ્પર્શીની જેમ) ચરણસ્પર્શી...એમ અનેક રંગઝાંયવાળી શુભેચ્છા વડાપ્રધાનને પાઠવી-- અથવા ઘણાએ, કેટલાકના મતે, આઇટી સેલ તરફથી મોકલાયેલી રેડીમેડ શુભેચ્છા પોતાના સોશિયલ મિડીયા અકાઉન્ટ પર શેર કરી.

શુભેચ્છા આપવામાં ‘વનતારા’નાં પ્રાણીઓનો પણ સમાવેશ થતો હતો—એવી સ્ટોરી હજુ સુધી કોઈએ કરી ન હોય, તો તેનો અર્થ એટલો જ થયો કે રિપોર્ટરો આળસુ થઈ ગયા છે અને તેમનું કામ, આ બાબતમાં પણ, સરખી રીતે કરતા નથી. અનંત અંબાણીએ ઊભું કરેલું પ્રાણી સંગ્રહાલય કમ સારવાર કમ પુનર્વસન કમ...કમ...કમ...કેન્દ્ર ‘વનતારા’ સામાન્ય માણસની પહોંચની બહાર હોય અને તે કેન્દ્રની તો ઠીક, તેનાં પ્રાણીઓની વાત કરતી વખતે પણ કેસ થઈ જવાની બીક લાગે, એવો શાનદાર હુકમ અદાલતે જારી કરી દીધો હોય, ત્યારે ‘વનતારા’નાં પ્રાણીઓને મળવાનો મોહ જતો કરવો પડ્યો. તેને બદલે બીજાં કેટલાંક પ્રાણીઓની લાગણી જાણવાનો વિચાર કર્યો.

પછી સવાલ આવ્યો ભાષાનો. તે માટે આંખ મીંચીને ધ્યાન ધરવાનો પ્રયાસ કરતાં, મનના આકાશમાં આકાશવાણી થઈ. પહેલાં તો લાગ્યું કે ક્યાંક આકાશવાણીમાં પણ વડાપ્રધાનને શુભેચ્છા ન સંભળાય. પછી યાદ આવ્યું કે આ ‘પ્રસારભારતી’વાળી સરકારી આકાશવાણી નથી. એટલે તેને એવી જરૂર નહીં પડે.

પછીનો ટૂંકસાર એટલો કે કામચલાઉ ધોરણે પશુપક્ષીઓની બોલી સમજવાનો મેળ પડી ગયો અને શરૂ થઈ મુલાકાતો.

આપણે ત્યાં ઘરની બહાર નીકળ્યા પછી, જેને મળવા માટે નહીં, પણ ન મળવા માટે પ્રયત્ન કરવો પડે એવું પ્રાણી એટલે ગાય.  સામે જ એક ગાય દેખાઈ એટલે સંવાદ શરૂ થઈ ગયો. 

લેખકઃ હાય ગાય.

ગાયઃ હું તો, ગાય્ઝવાળી નહીં, ખરેખર ગુજરાતીવાળી ગાય છું, પણ વાંધો નહીં. બોલો...

લેખકઃ તમને ખબર છે કે 75મી...

ગાયઃ તમે પણ વર્ષગાંઠની વાત કરવા આવ્યા છો? અરેરે...જન્મદિનની શુભેચ્છાવાળાં છાપાંનાં પાનાં હજુ સુધી પચ્યાં નથી. સખ્ખત ઓવરઇટિંગ થઈ ગયું. પેડમાં ગુડગુડ બોલે છે. કેટલાં બધાં પાનાં હતાં.

લેખકઃ એ તો ઠીક છે, પણ બીજું કંઈ?

ગાયઃ હા, મને અખબારોની બહુ ચિંતા થાય છે.

લેખકઃ એ તો જોઈ-વિચારી શકતા દરેક જણને થાય છે.

ગાયઃ એમ નહીં, પણ ડિજિટલ મિડીયાને કારણે અખબારો સાવ બંધ જ થઈ જશે, તો અમારું શું થશે? (નીચે પડેલો છાપાનો ટુકડો બતાવીને, એકદમ ટોલ્સ્ટોય-અંદાજમાં) ત્યારે ચાવીશું શું?

ગાયને ચિંતા કરતી મુકીને આગળ જતાં સામેથી ભૂંડ આવતું દેખાયું. તેને કશું પૂછું તે પહેલાં જ તે મારી તરફ ધસ્યું અને પડકાર કર્યો, ‘ખબરદાર, 75 વર્ષ વિશે એક શબ્દ પણ બોલતાં પહેલાં મારી સાથે ચર્ચા કરવી પડશે ને તેમાં મને હરાવવો પડશે.’

તેને કહેવું પડ્યું કે મને સોશિયલ મિડીયા પર અગાઉનો બહોળો અનુભવ છે. એટલે હવે તેમાં પડવા માગતો નથી.

‘એમ કહો ને કે તમે મારી સામે હાર કબૂલો છો અને હું જે મહિમાગાન કરું છું એવું સ્વીકારો છો.’ અને જવાબ સાંભળવાની તસ્દી લીધા વિના, વિજયી ઉત્સાહ સાથે તે ભૂંડોની એક ટોળીમાં ભળી ગયું.

થોડે આગળ જતાં એક ઊંટનો ભેટો થયો. મને જોઈને તે ઊભું રહ્યું.

ઊંટ (ગુસપુસ અવાજે) : તમને ખબર છે, 75મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણીને ઉતારી પાડવા માટે લોકો કેવાં કેવાં જૂઠાણાં ફેલાવે છે, કેવા ખોટેખોટા દાવા કરે છે કે સેલિબ્રિટીઓએ લખેલી વાતો ખરેખર તેમણે લખી જ નથી. ઉપરથી તૈયાર થઈને આવેલી કથાઓ પરથી પોતાનું નામ કાઢી નાખીને બાકીનો ભાગ તેમણે સોશિયલ મિડીયા પર ચોંટાડી દીધો. બોલ, આ ટીકાખોરો કેટલા હળાહળ જૂઠા છે. કોઈને નીચા પાડવા માટે આટલું બધું જૂઠું ને બેફામ બોલાય? આપણા ભારતીય સંસ્કારો આવું શીખવાડે છે?

લેખકઃ આ તો અવળું થયું. મારે તમને સવાલ પૂછવાનો હતો એને બદલે તમે મને પૂછી રહ્યા છો. પણ તમે તમારા પૂર્વજ વિશેની પેલી કવિતા તો સાંભળી જ હશે ને...અન્યનું તો એક વાકું...

ઊંટ (ઉત્સાહથી સૂર પુરાવતાં) : અન્યનું તો એક વાંકું, આપનાં છપ્પન છે...

લેખકઃ અઢાર નહીં?

ઊંટઃ એ આંકડો જૂનો થયો. આ નવો આંકડો છે.

આવું બધું સાભળીને હું ગુંચવાતો હતો, ત્યાં સામેથી શાણી બકરી આવી.

લેખકઃ હેલો બકરીબેન, તમને તો ખબર હશે 75મી...

બકરીઃ (સવાલ પૂરો થવા દીધા વિના): તમારું ગુજરાતી બહુ કાચું લાગે છે. બાકી, તમે મને ઓળખી કાઢી હોત. હું પેલી નવલરામની બકરી છું, જેને બેટડો પરણાવવાનો બહુ હરખ હતો ને હોંશે હોંશે જાન કાઢી હતી.

લેખકઃ હા, હા, એમાં છેલ્લે એવું કંઈ આવતું હતું ખરું કે 'ભેંસ, ભુંડણ ને ઊંટડી, ઘેટી, ઘોડી, ગધેડી/ ગાય, બિલાડી, ઊંદરડી ને એક કૂતરીયે તેડી/ વાંદરીઓ નથી વીસર્યાં; દસ-વીસ આ કૂદે/ માથે સામટાં થઈ સૌ, સાત સૂરને છૂંદે.’

બકરીઃ બિલકુલ બરાબર. આટલી ખબર છે તો એ પણ ખબર હશે કે નવલરામે કંઈ તે ખરેખર મારા બેટડાની જાન માટે થોડું લખ્યું હતું? એ તો અનેક પ્રસંગે લાગુ પાડી શકાય.

નવલરામે 'ધન ધન બકરી! ન કોઈની, જાન તારા તો જેવી!’ કહ્યું હતું. મારે બકરીને કઈ જાન વિશે 'ધન ધન' કહેવાનું, તેનો જવાબ આપ્યા વિના બકરીએ ચાલતી પકડી.

Tuesday, September 09, 2025

દેશદ્રોહી વરસાદ

જૂના રાજમાં કેટલીક વસ્તુઓ બાળપણથી જ એવી ખોટી શીખવવામાં આવતી હતી કે એ ભણેલું બાળક મોટું થયા પછી દેશનું આદર્શ નાગરિક ન બની શકે. જેમ કે, વરસાદનો મહિમા અને વરસાદ વિશેના નિબંધો. વિદ્યાર્થી અવસ્થાથી જ વરસાદ કેટલો ઉપકારક છે અને વરસાદ પડવાથી ધરતી કેલી લીલી ચાદર ઓઢી લે છે ને દેડકા કેવા ડ્રાંઉ ડ્રાંઉ બોલે છે ને નદીઓ કેવી છલકાઈ ઉઠે છે—આવું બધું માથે મારવામાં આવતું હતું. તેમાં દેશનું શું ભલું થાય, એવો સવાલ કોઈ પૂછતું ન હતું. પરિણામે, આવું શીખેલાં બાળકો મોટાં થાય ત્યારે મૂંઝાયઃ કેમ કે, વરસાદની મોસમમાં ગામના રસ્તા પર ખાડા પડે, રસ્તા ધોવાઈ જાય, ઠેર ઠેર પાણી ભરાઈ જાય, રસ્તા પર ટ્રાફિક જામ થતાં લોકો અટવાઈ પડે—આવી બધી વરસાદની દુષ્ટતાઓથી તે અજાણ હોય. એટલે, તે સીધાં વરસાદને બદલે સરકારનો વાંક કાઢવા બેસી જાય. વર્ષ 2014 પછી સરકારનો વાંક કાઢવો એ દેશદ્રોહ છે અને કોઈ પણ મુદ્દે સરકારનો વાંક હોઈ શકે નહીં—આટલી સાદી વાત જૂના કુસંસ્કારોને લીધે લોકોના મનમાં ઘૂસતી નથી.

કોઈ પ્રકૃતિપ્રેમી દલીલ કરશે કે આ બધું થાય તેમાં વરસાદનો શો વાંક? પુલો ને રસ્તા તો વગર વરસાદે પણ તૂટી પડે છે, જાહેર સુવિધાઓ વગર વરસાદે પણ ખોટકાઈ જાય છે...આવી દલીલોથી ભોળવાઈ જવું નહીં અને યાદ રાખવું કે સરકાર ઇચ્છે તે સિવાયનું કંઈ પણ વિચારવું એ પણ દેશદ્રોહનો જ એક પ્રકાર છે. વિચારવું કદાચ થોડો હળવો ગુનો હોઈ શકે, પણ કોઈને વિચારવા માટે પ્રેરવા, એ દુષ્ર્પેરણાનો સૌથી ખરાબ પ્રકાર છે. એટલે, આ બંને ગુનાથી બચીને, સરકારમાન્ય સારા નાગરિક બનવું.

વરસાદનો વાંક કેમ નહી? સો વાર વાંક. સાહેબલોકો કેટલા મોટાં મોટાં વિકાસનાં કામો કરીને અને તેના દ્વારા તેમની અને તેમની ટોળકીની સમૃદ્ધિમાં કેટલો અધધ વધારો કરીને દેશને આગળ લઈ જવાનો પ્રયાસ કરે છે. જરૂર પડ્યે આખા દેશના વિધાનસભ્યો અને સંસદસભ્યોને ખરીદી શકાય એટલું ભંડોળ એકઠું કરવા માટે નાનાંમોટાં વિકાસકાર્યો પૂરાં ન પડે. તેના માટે સતત દેશમાં ઝંડીઓ બતાવતા રહેવું પડે, ઉદ્‌ઘાટનો કરતાં રહેવું પડે, રોડ શો કરવા પડે, દિવસમાં દસ-પંદર વાર કપડાં બદલવાં પડે અને પચીસ-પચાસ એન્ગલથી ફોટા પડાવવા પડે. આટલી તનતોડ મહેનત દિવસના અઢાર-વીસ કલાક કોઈ કરતું હોય, તો તેની સામે તૂટેલા રોડ ને તૂટેલા પુલ ને ભરાયેલાં પાણી જેવા ફાલતુ મુદ્દાની ફરિયાદ કરવી એ દેશદ્રોહની હદનું નગુણાપણું નથી?

માણસોને એવા નગુણાપણા માટેનું નિમિત્ત વરસાદ પૂરું પાડે છે. એટલે વરસાદને મથાળામાં દેશદ્રોહી કહ્યો છે. હવેના સમયમાં કોઈને દેશદ્રોહી ઠરાવ્યા પછી, તે દેશદ્રોહી નથી તે સામેવાળાએ સાબીત કરવાનું રહે છે. પરંતુ વરસાદ તરફથી હજુ સુધી એવો એક પણ પુરાવો, સોગંદનામા ઉપર કે તે વિના પણ, આપવામાં આવ્યો નથી. આથી, ખાતરીપૂર્વક કહી શકાય કે વરસાદ દેશદ્રોહી છે, એટલું જ નહીં, તે પોતે પણ, જાહેરમાં નહીં તો મનોમન, એવું કબૂલતો લાગે છે. આ વાંચીને જૂના જમાનાના સંવેદનશીલ લોકોને થશે કે વરસાદ વિશે જરા વધારે પડતું આકરું લખી નાખ્યું. પણ ના, વરસાદની દયા ખાવાની બિલકુલ જરૂર નથી. કુદરતી ન્યાયની કે લોકશાહીની કે બંધારણીય મૂલ્યોની કે સાદા વિનયવિવેકની દયા ખાવી દેશદ્રોહ-સમકક્ષ હોય, ત્યાં વરસાદ વળી શું લાવ્યો?

આ સરકારમાં જે પ્રકારની મૌલિકતા ધરાવતા મંત્રીઓ અને બીજા લોકો છે, તે જોતાં હજુ સુધી કોઈએ એવો આરોપ કેમ નહીં કર્યો હોય કે વરસાદ એ વિરોધ પક્ષોનું કાવતરું છે?’ ખરેખર તો, પાકિસ્તાનનું કાવતરું એ શબ્દપ્રયોગ વધારે રોમાંચક લાગે છે, પણ હમણાંથી એ બહુ ચલણમાં નથી અને દેશમાં થતી કોઈ પણ ખરાબ બાબત માટે વિરોધ પક્ષોની જવાબદારી ગણતા અને તેમને સવાલો પૂછતા મહાતટસ્થ લોકોનો એક સમુહ ફૂલ્યોફાલ્યો છે, એટલે, વરસાદના અને તેમાં લોકોને પડતી હાલાકીના ગુનેગાર તરીકે વિપક્ષોને દોષી ગણવા-ગણાવવામાં જ ઔચિત્ય છે.

વરસાદ વિશેના આરોપો સરકાર પ્રત્યેના દ્વેષથી પ્રેરિત છે, એ સાવ સહેલાઈથી સાબીત કરી શકાય. હજુ સુધી ક્યારેય સરકારના કોઈ મંત્રી, ખાસ અધિકારી કે હોદ્દેદાર તરફથી ફરિયાદ સાંભળી કે આ વરસાદમાં આપણી માળખાકીય સુવિધાઓની ખાનાખરાબી થઈ ગઈ છે? એ લોકો પણ આ જ રસ્તા પર ફરે છે. છતાં, તેમને કોઈ ફરિયાદ નથી. તેનો અર્થ એ થયો કે તેમની દેશભક્તિ સાબૂત છે અને વરસાદ તેમને દેશદ્રોહ આચરવા માટે માટે ઉશ્કેરી શક્યો નથી. તેમણે વરસાદની, અને વિપક્ષોની ચાલબાજીને ઊંધી પાડીને સરકારના જયજયકારનો વાવટો ફરકતો રાખ્યો છે.

આટલું વાંચ્યા પછી કોઈને સવાલ થાય કે વરસાદ આવો વિલન છે, તો હજુ સુધી તેની ધરપકડ શા માટે થઈ નથી? બાકી, આ સરકાર તો ઇચ્છે તેની, ઇચ્છે તેવા નકલી પુરાવા ઊભા કરીને, ઇચછે તે આરોપસર ધરપકડ કરી શકે છે અને તેને જામીન ન મળે તેવી જ નહીં, તેની જામીનઅરજીની સુનાવણી સુદ્ધાં ન થાય તેવી વ્યવસ્થા પણ કરી શકે છે.

પછી સવાલ પૂછનારને વિચાર આવી શકે છે કે, વરસાદની ભલે ધરપકડ ન થઈ હોય, તેના જેવા બીજા દેશદ્રોહીઓની ખબર તો સરકાર અને તેનાં વાજિંત્રો ખબર લઈ જ રહ્યાં છે. આવશે, કદીક વરસાદનો પણ વારો આવશે.


Thursday, August 28, 2025

ચૂંટણી (પ્ર)પંચ

ચૂંટણી પંચના સાહેબ લોકોએ કરેલી પ્રેસ કોન્ફરન્સમાં તેમણે જે રીતે સવાલોના સીધા જવાબ આપવાને બદલે, વાતને ગુંચવવાની અને ગોળ ગોળ ફેરવવાની કોશિશ કરી, તે જોઈને ઘણા પ્રભાવિત થયા ને કેટલાક પ્રેરિત પણ. એ અર્થમાં તેને ‘મોટિવેશનલ’ પણ કહી શકાય. હવે નેતાઓ ને તેમના પાળીતા સાહેબલોકો જે રીતે સાદાં ધારાધોરણોની અને કુદરતી ન્યાયના સિદ્ધાંતોની ધજા કરતા હોય છે, તે જોતાં હાસ્યવ્યંગના લેખકો માટે કશું કરવાનું બાકી રહેતું નથી. કેમ કે, હાસ્યવ્યંગમાં જ થઈ શકે એવી અતિશયોક્તિ એ લોકો ગંભીર મોઢે ને પૂરી ગંભીરતા સાથે તેમના વર્તન અને નિવેદનોમાં આચરે છે.


ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ પરથી પ્રેરાઈને તેમના અંદાજમાં એક સંવાદની કલ્પના કરી જોઈએ. તેમાં ટેબલની એક તરફ ચૂંટણી પંચના મોટા સાહેબ હોય ને બીજી તરફ જિજ્ઞાસુઓના પ્રશ્નો. મુમુક્ષુઓ માટે આ કાલ્પનિક સંવાદ કૃષ્ણ-અર્જુન સંવાદ કરતાં પણ વધારે બોધપ્રદ બની શકે છે.

સવાલઃ તમારા હાથ ગંદા કેમ છે?

ચૂંટણી પંચઃ અમારા હાથ? ને ગંદા? કેવી પાયા વગરની વાત કરો છો. અમારે તો હાથ જ નથી.


પ્રઃ (ટેબલ નીચે છુપાવેલા તેમના હાથના બહાર દેખાતા થોડા હિસ્સા તરફ આંગળી ચીંધીને) તો આ શું છે?

ચૂંપઃ (છુપાવેલા હાથ બહાર કાઢ્યા વિના, એ તરફ ઇશારો કરીને) ઓહો, આને તમે હાથ કહો છો...અચ્છા, તો એનું શું છે?

પ્રઃ એનું શું છે એ વાત પછી. પહેલાં એ તો કહો કે તમે એને હાથ નથી કહેતા?

ચૂંપઃ અમે આ શરીર વિશે કોઈ પણ પ્રકારનો મોહ ધારણ કરતા નથી. તમે ભલે કહો કે આ હાથ અમારા છે, પણ ખરેખર તો એ અમારા નહીં, ઉપરવાળાના છે.

પ્રઃ અને મગજનું પણ એવું જ હશે ને?

ચૂંપઃ (ચૂપચાપ બોલ્યા વિના સવાલ પૂછનારનું ધ્યાન પાછળ લટકતા તેમના સાહેબલોકોના ફોટા તરફ દોરે છે)

પ્રઃ પણ તમારા હાથ ગંદા કેમ છે? તમારા તો એકદમ ચોખ્ખા હોવા જોઈએ.

ચૂંપઃ તમે અમારા પગ તરફ કે કાન તરફ કે આ ટેબલ તરફ જોતા લાગો છો. એ તમને કદાચ ગંદું લાગતું હશે. બાકી, અમારા હાથ જરાય ગંદા નથી.

પ્રઃ પણ અહીં બેસતાં પહેલાં અને છેલ્લા ઘણા મહિનાથી અમે જોઈએ છીએ કે જ્યારે પણ આપણે મળીએ ત્યારે તમારા હાથ ગંદા જ હોય છે.

ચૂંપઃ એવું હોય તો તમારે અમને એ જ વખતે કહેવું જોઈતું હતું.. અત્યારે કહેવાનો શો અર્થ?.

પ્રઃ અત્યારે તો એટલા માટે કહ્યું કે તે અત્યારે પણ ગંદા છે.

ચૂંપઃ તમારી સવાલ પૂછનારાની આ જ તકલીફ છે. તમે પહેલાં નક્કી કરી લો કે અમારા હાથ પહેલાં ગંદા હતા કે અત્યારે ગંદા છે? હવે એવું ન કહેતા કે પહેલાં પણ ગંદા હતા ને અત્યારે પણ ગંદા છે.

પ્રઃ બરાબર, એમ જ છે. અમારું એમ જ કહેવાનું હતું.

ચૂંપ (બીજા લોકો તરફ જોઈને, હાંસીથી): જોયું? આ લોકો સમક્ષ સહેજ ઢીલું મૂકીએ, ચાર સવાલ પૂછવા દઈએ, તેમાં કેવા ચઢી વાગે છે? ભલમનસાઈનો તો જમાનો જ નથી રહ્યો.

કહેવાતા તટસ્થોનું કોરસઃ હાઆઆઆ, ખરી વાત છે હોં ભાઈ. ભલમનસાઈનો તો જમાનો જ નથી રહ્યો. સો ટચની વાત કહી.

પ્રઃ ભલમનસાઈની આટલી બધી ચિંતા છે તો તમારા સંતાડેલા હાથ બહાર કાઢીને ટેબલ પર મુકી દો. એટલે વાર્તા પૂરી. આપણા બન્નેમાંથી કોણ સાચું તે નક્કી થઈ જશે.

ચૂંપઃ એમ તે કંઈ થાય? અમારા નીતિનિયમો હોય છે. અમારે કાયદા અને પ્રક્રિયાઓનું ધ્યાન રાખવું પડે. એમ તમે કહો, એટલે હાથ ટેબલ પર મુકવા માંડીએ તો અમારી ગરિમાનું શું થાય?

પ્રઃ એવો કોઈ કાયદો નથી, જે તમને તમારા હાથ ખુલ્લા કરતાં રોકે. એ તો તમે કાયદાની ઓથે છુપાવાની કોશિશ કરી રહ્યા છો.

ચૂંપઃ અમે કશું ખોટું કર્યું નથી ને અમે કોઈથી બીતા નથી. અમારા માટે બધા સરખા છે ને અમે કોઈની સાથે ભેદભાવ રાખતા નથી.

કહેવાતા તટસ્થોનું કોરસઃ વાહ, ધન્ય છે તમારી સિદ્ધાંતપ્રિયતાને.

પ્રઃ તો પછી એક વાર હાથ ખુલ્લા કરીને બતાવી દેતાં આટલી બીક કેમ લાગે છે?

ચૂંપઃ બીકનો ક્યાં સવાલ છે? અમે ભલભલું કરતાં બીતા નથી, તો હાથની શી વિસાત? હમણાં સાહેબને કહીશું તો ડોનાલ્ડ ટ્રમ્પ ને શી જિનપિંગના હાથ લઈ આવશે. પછી જોયા કરજો બેઠાં બેઠાં...

પ્રઃ તેમના હાથ જોઈને અમારે શું કરવું છે? અમારા માટે તો આપણા દેશનું ભવિષ્ય મહત્ત્વનું છે અને તેનો એક આધાર તમારા હાથમાં છે, જે તમે બતાવવા તૈયાર નથી.

ચૂંપઃ તમે બહુ લપ કરો છો. એક કામ કરો, તમે સોગંદનામા પર એવું જાહેર કરો કે અમારા હાથ ગંદા છે.

પ્રઃ પછી?

ચૂંપઃ તે અમારા સ્વચ્છતા વિભાગના કારકુનને રૂબરૂ જઈને આપી આવો.

પ્રઃ પછી?

ચૂંપઃ પછી શું? તેનો વારો આવશે અને તમારા સોગંદનામાના લખાણમાં કશો ખાંચો નહીં કાઢી શકીએ તો તેની ઉપર આગળ કાર્યવાહી કરીશું.

પ્રઃ આગળ કાર્યવાહી એટલે?

ચૂંપઃ અમારા સાહેબના સાહેબનું માર્ગદર્શન લઈશું કે આ સોગંદનામાનું શું કરવાનું છે?

પ્રઃ પછી?

ચૂંપઃ જે જવાબ આવે તે તમને કે તમારી ભાવિ પેઢીને પહોંચાડી દઈશું. ન્યાયપૂર્વક, યોગ્ય પ્રક્રિયાઓ અનુસરીને કામ કરવામાં વાર તો લાગે ને.

Tuesday, August 12, 2025

અલવિદા, તુષારભાઈ

મુંબઈમાં અશ્વિનીભાઈ-નીતિભાભી સાથે ડો. તુષારભાઈ અને તેમની દીકરી, 2012

'ઇન્ડિયા આફ્ટર ગાંધી'ના ગુજરાતી અનુવાદ 'ગાંધી પછીનું ભારત'ના પ્રકાશન સમારંભમાં, રામ ગુહાની પાછળ ત્રીજી લાઇનમાં તુષારભાઈ, 2025

આજે ડો. તુષાર શાહની વિદાયના સમાચાર મળ્યા. કેટલાક સ્નેહીઓ એવા હોય છે, જેમને મળવાનું ઓછું થયું હોય, પણ જ્યારે મળીએ ત્યારે તેમનો ઉમળકો સ્પર્શ્યા વિના ન રહે. તુષારભાઈ એવા એક જણ હતા. 

તેમની જાહેર ઓળખ કાર્ડિયોલોજિસ્ટ તરીકેની, પણ મારા જેવા કેટલાક લોકો માટે તેમની મુખ્ય ઓળખ અશ્વિનીભાઈ (અશ્વિની ભટ્ટ)ના પ્રેમી તરીકેની થઈ. અશ્વિનીભાઈ બહુ મઝાથી અને તેમના અંદાજમાં કહેતા કે તેમને બાય પાસ કરાવવાની હતી અને હોસ્પિટલમાં એડમિટ થવાનું હતું, તેની આગલી સાંજે તેમના બંગલાની ડોરબેલ વાગી. તેમણે જઈને બારણું ખોલ્યું તો કોઈ અજાણ્યા સજ્જન, ઝભ્ભા-લેંઘામાં સજ્જ, બારણે ઊભા હતા. પહેલી નજરે પ્રભાવશાળી ન લાગે. અશ્વિનીભાઈને થયુંં કે હશે કોઈ વાચક. ભાઈએ ઓળખાણ પણ એવી જ આપી કે સાહેબ, તમારો વાચક છું. પછી ધીમે રહીને કહ્યું કે મારું નામ ડો. તુષાર શાહ. ત્યારે ગુરુને થયું, ઓહો, કાલે આપણે જેને ત્યાં જવાનું છે, તે જ આજે આપણે ત્યાં. 

પછી તો બંને વચ્ચેનો સ્નેહસંબંધ બહુ ખીલ્યો. તુષારભાઈ અશ્વિનીભાઈની અત્યંત કાળજી રાખતા હતા. અશ્વિનીભાઈ થકી મારે પણ તુષારભાઈ સાથે ક્યારેક ફોન પર વાતચીત ને ક્યારેક રૂબરુ મુલાકાતનો સંબંધ થયો. તુષારભાઈ મૃદુભાષી, એક-બે વાક્યો બોલીને હસે. ઘણી વાર શબ્દોને બદલે હાસ્યથી પણ કામ ચલાવે. તેમની હાજરી વરતાવા ન દે. 

અશ્વિનીભાઈ છેલ્લી વાર અમદાવાદ-ભારત આવ્યા અને અવિનાશભાઈ પારેખ દ્વારા આયોજિત 'જો આ હોય મારું છેલ્લું પ્રવચન' માટે મુંબઈ જવાનું થયું, ત્યારે તબિયતની બહુ ગરબડ હતી. તે મુંબઈ જઈ શકશે કે નહીં, એવી શંકા હતી. પરંતુ અશ્વિનીભાઈ એમ હાર માને નહીં. છેવટે, અશ્વિનીભાઈ-નીતિભાભીની સાથે ડો.તુષારભાઈ પણ મુંબઈ ગયા. કાર્યક્રમ સુખરૂપ પાર પડ્યો અને તેના શીર્ષકને કમનસીબ રીતે સાચું ઠેરવતો હોય તેેમ, અશ્વિનીભાઈનું તે છેલ્લું પ્રવચન જ બની રહ્યો. 

અશ્વિનીભાઈની સ્મૃતિમાં જે પુસ્તક કરવાનું છે (જેનો મોટા ભાગનો હિસ્સો તૈયાર છે. તેમના પુત્ર નીલ પાસેથી કેટલીક સામગ્રી આવે તેની રાહ છે.) તેમાં પણ તુષારભાઈએ હાથેથી કાગળ પર લખીને આપ્યું હતું. તે વાંચીને મેં કહ્યું હતું કે આ તો બહુ ટૂંકું છે. તમારી પાસે નિરાંતે વાત કરવી પડશે. 

પણ એવી નિરાંત કદી આવી નહીં. તેમની સાથેની છેલ્લી મુલાકાત અમારા 'ગાંધી પછીનું ભારત'ના પ્રાગટ્ય-સમારંભમાં થઈ. તે સજોડે આવ્યા હતા, બહુ પ્રેમથી મળ્યા અને શાંતિથી મળવાનું બાકી રહ્યાના અહેસાસ સાથે છૂટા પડ્યા. અગાઉ કેન્સર સાથે ભારે આત્મબળથી ઝઝૂમી ચૂકેલા તુષારભાઈના ઓચિંતા, એકાદ દિવસની ટૂંકી માંદગી પછી અણધાર્યા, અવસાનના સમાચાર નીલ પાસેથી જાણીને આંચકો લાગ્યો અને અત્યાર લગી મનમાં ઝીલાયેલી તેમની અનેક છબીઓ સહેજ ભીનાશમાં તરવરી રહી. 

Thursday, July 17, 2025

મુસાફરીમાં સીટ-શેરિંગ

બેઠકોની વહેંચણી માટે વપરાતો સીટ-શેરિંગ આમ તો રાજકારણનો શબ્દ છે. સામાન્ય માણસે વિવિધ પક્ષો વચ્ચે થતી સીટ-શેરિંગની તકરારો વિશે ફક્ત સમાચારોમાં જ વાંચવાનું હોય છે. તે વાંચીને લોકોને એવું પણ થાય છે કે આ રાજકીય પક્ષો આટલું અમથું કામ સંપીને, સુમેળ ને સમજૂતીથી કેમ કરી શકતા નથી? આવા વિચારથી નેતાઓ જ ખરાબ છે. બાકી, વી, ધ પીપલમાં તો કંઈ કહેવાપણું નથી એવો લોકોનો ખ્યાલ દૃઢ થાય છે, પરંતુ ટ્રેન કે બસમાં મુસાફરી કરવાનો પ્રસંગ આવે ત્યારે તે માન્યતાની કસોટી થાય છે. (છકડા કે શેર-રીક્ષા જેવાં વાહનોમાં સીટ-શેરિંગ ભારતની યોગ પરંપરાનું ઉજ્જવળ અનુસંધાન હોવાથી, અહીં તેની વાત નથી.)

બસ કે ટ્રેનમાં અનરીઝર્વ્ડ બેઠક પર એટલે કે કોઈ પ્રકારનાં વિભાજન વગરની સળંગ જગ્યા ધરાવતી બેઠક પર કબજો જમાવવાની ખેંચતાણ અસ્તિત્વના સંઘર્ષ જેવી ભીષણ હોઈ શકે છે. તે જોઈને મારે તેની તલવાર અને બળીયાના બે ભાગ જેવી કહેવતોનાં નવાં સ્વરૂપ મનમાં ઊભરે છે. જેમ કે, પહોળા થઈને બેસે તેની સીટ અને બળીયાની બે સીટ જેટલી જગ્યા. જનરલ ડબ્બામાં કે બસોમાં થતી આવી ખેંચતાણ જોઈને રીઝર્વ્ડ બેઠકો ધરાવતા લોકો વિચારે છે,આપણી પ્રજા સુધરી નહીં...લોકોમાં મેનર્સ જેવું કંઈ છે જ નહીં. પરંતુ તે પોતાની રીઝર્વ કરેલી બેઠક પર પહોંચે ત્યારે તેમની મેનર્સની અને સુધરેલા હોવાની કસોટી શરૂ થાય છે.

બેઠક ત્રણ જણ માટે નિર્ધારિત હોય, પણ તે સળંગ સ્વરૂપની હોય ત્યારે ઘણા લોકો ચીનની વિસ્તારવાદી શૈલીને અનુસરીને આખી બેઠક પર પોતાનો મહત્તમ પથારો ફેલાવવાનો પ્રયાસ કરે છે. બારી તરફ તો જેનું બુકિંગ હોય તેને જ બેસવા મળે, પણ તે સિવાયની જગ્યામાં પોતાના શારીરિક કદ કરતાં વધુ જગ્યા કેવી રીતે અંકે કરી શકાય, તેની કશ્મકશ કેટલાક ઉત્સાહીઓના મનમાં સતત ચાલતી રહે છે. આવી વૃત્તિમાં તે કશું ખોટું જોતા નથી, બલકે એ તેમનો આરક્ષણ-સિદ્ધ અધિકાર અને વેલ્યુ ફોર મની--ખર્ચેલા રૂપિયાનો કસ કાઢવાનું વલણ છે, એવું તે માને છે અને આવી વૃત્તિ જેનામાં ન હોય તેને બેદરકાર કે અણઆવડતવાળા ગણે છે.

રીઝર્વેશનના રૂપિયા વસૂલ કરવાની ભાવના ધરાવનારા લોકોમાંથી કેટલાકને કુદરતે તેમની વૃત્તિને અનુરૂપ દેહયષ્ટિ આપી હોય છે. તે કશું પણ વધારાનું કર્યા વિના ફક્ત બેસે તેનાથી જ એક માણસ રોકે તેના કરતાં વધારે જગ્યા રોકાઈ જાય છે. પરંતુ કુદરત પાસેથી મળેલા દેહનું તો શું થઈ શકે? સવાલ શરીરના પ્રમાણમાં અકુદરતી રીતે વધુ જગ્યા રોકનારા લોકોનો હોય છે. એવા જણ બેઠક નજીક આવે એટલે નિર્દોષતાથી, એકદમ, ધબ દઈને બેસી જવાને બદલે પહેલાં ઊભાં ઊભાં બેઠકનું નિરીક્ષણ કરે છે. ત્યાં કોઈ પહેલેથી બેઠેલું હોય તો તેણે કેટલી જગ્યા રોકી છે, કેટલી જગ્યા બાકી છે, તેના મહત્તમ હિસ્સા પર શી રીતે કબજો જમાવી શકાય—આવી ગણતરી તેમના મનમાં ચાલે છે. પહેલેથી બેઠેલા જણ પર જમાદારી ચાલી શકે તેમ છે કે નહીં, તેનો પણ અંદાજ બાંધવા તે પ્રયાસ કરે છે. કામ બળથી પાર પાડી શકાશે કે કળ, તેની સંભાવનાઓ વિશે પણ તે વિચારે છે.

તેમના મનમાં આવા બધા વ્યૂહ એટલી આસાનાથી અને કશા આયાસ વિના ગોઠવાતા હોય છે કે તેમને જોનારને એનો ખ્યાલ સુદ્ધાં આવતો નથી. તેમની મુખરેખા નિશ્ચલ હોય છે. એક વાર બેઠક પર ગોઠવાયા પછી તે જરૂર કરતાં પહોળા થઈને બેસે છે અને કેટલોક સામાન પણ બેઠક પર આજુબાજુમાં રાખે છે. બેઠેલામાંથી કેટલાક સ્વાભાવિક રીતે જ કંઈક રસ અને કંઈક ઉચાટથી તેમની ગતિવિધિ જોતા હોય છે. તેમની સમક્ષ બેસનાર એવો દેખાવ રાખે છે, જાણે આ તો બધું કામચલાઉ છે. એક વાર ગાડી બરાબર ઉપડે, એટલે તે વિસ્તાર સંકોરીને તે બરાબર બેસશે અને સામાન પણ યોગ્ય સ્થાને મુકી દેશે. ધીરજવાનો એવો આશાવાદ સેવે છે, પણ કોઈ અધીરીયા ધીરજ ગુમાવે અને નવાગંતુકને સરખા બેસવા કે સામાન બેઠક પરથી બીજે મુકવા સૂચવી જુએ, તો પાણીપતનું પહેલું યુદ્ધ છેડાવાની પૂરી સંભાવના રહે છે.

સળંગ બેઠકને બદલે ચેરકાર પ્રકારની બેઠકોમાં પાણીપતની આવી કશી સંભાવના લાગતી નથી. સામાન્ય માણસ વિચારે છે, આ બેઠકોમાં સારું. દરેકની બેઠક જોડાયેલી છતાં અલગ. વળી, તેની આસપાસ હેન્ડલ હોય એટલે હદ પણ અંકાયેલી. એટલે ખેંચતાણની ને આપણી બેઠક પર બીજાની દખલની શક્યતા જ નહીં. પરંતુ એક વાર આવી બેઠકો ધરાવતા રીઝર્વ્ડ ડબ્બામાં મુસાફરી કર્યા પછી ભોળા જણનો ભ્રમ ભાંગી જાય છે. તેમનો નંબર પેશકદમીખોર જણની સાથે આવે ત્યારે તે જુએ છે કે તે બેઠા પછી સૌથી પહેલાં તો પાડોશી સાથેના સહિયારા હેન્ડલ પર આખો હાથ જમાવી દે છે. કમરથી નીચેનો હિસ્સો તો મર્યાદિત જગ્યામાં સમાવવાનો હોય છે, પણ ઉપરના હિસ્સાને તે બાજુની બેઠકની હદમાં લઈ જવાનો પ્રયાસ કરે છે અને પોતાના પગ સામેની જગ્યા પર ટેસથી પગ લાંબા કરીને, સામાન બાજુવાળાની બેઠક નીચે ગોઠવવા પેરવી કરે છે.

ત્યારે ભોળા જણને સમજાય છે કે કાળા માથાનો માણસ ગમે તેટલી કૃત્રિમ રચનાઓ કરે, પણ વૃત્તિઓ, ખાસ કરીને આવી વૃત્તિઓ, તેમનો રસ્તો શોધી જ લે છે.

Monday, July 07, 2025

વરસાદનું ‘રાશી’ ભવિષ્ય

કહેવત તો એવી છે કે વહુ અને વરસાદને જશ નહીં, પણ એ યાદીમાં ત્રીજું નામ હવામાન ખાતાનું ઉમેરવા જેવું નથી? વરસાદની આગાહીનું શાસ્ત્ર ભડલી વાક્યો અને ટીટોડીનાં ઇંડાથી માંડીને સુપરકમ્પ્યુટર સુધી વિસ્તર્યું છે. છતાં, હવામાન ખાતાના ખાતામાં ખાસ કંઈ જશ જમા થતો હોય એવું જણાતું નથી.


ઇશ્વરની જેમ હવામાન ખાતાના મામલે મુખ્યત્વે ત્રણ પ્રકારના લોકો જોવા મળે છે. એક હોય છે ‘આસ્તિક’, જે હવામાન ખાતાની આગાહીમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે અને તેમની શ્રદ્ધા સાચી હોવાનો તેમને પૂરેપૂરો વિશ્વાસ હોય છે. તેમાંથી તેમને કોઈ ડગાવી શકતું નથી—ખુદ હવામાન ખાતું (એટલે કે તેમાં અંદરથી કામ કરતા માણસો) પણ નહીં. બીજા પ્રકારમાં ‘નાસ્તિક’ લોકો આવે છે, જેમને હવામાન ખાતા પર ઝાપટાંભાર તો શું, છાંટાભાર પણ વિશ્વાસ નથી. તે પ્રકારના લોકો માને છે કે હવામાન ખાતાની આગાહી સાચી પડી જાય તો તે કેવળ કાકતલીય ન્યાય—કાગડાનું બેસવું ને ડાળીનું પડવું—પ્રકારની ઘટના હોય છે. તેનો જશ ખાતાના માથે લાદીને ખાતાના માથાનો ભાર વધારવો ન જોઈએ.

આવું માનતા લોકો હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી હોય ત્યારે અચૂક બહાર જાય છે અને તેમની ‘નાસ્તિકતા’ પ્રદર્શિત કરવાનો મોકો છોડતા નથી. એમ કરવા જતાં ખરેખર ભારે વરસાદ પડે ને તેમને પલળવાનું થાય તો પણ તે કેવળ વરસાદથી જ પલળે છે—હવામાન ખાતાની આગાહીની સંભવિત ચોક્સાઈ તેમને પલાળી શકતી નથી.

ત્રીજો પ્રકારમાં એવા લોકો આવે છે, જેમને વરસાદની આગાહીમાં કશો રસ હોતો નથી અથવા તેનાથી કશો ફરક પડતો નથી. આવા ‘અજ્ઞેયવાદી’ લોકો હવામાન ખાતાની આગાહી વિશે જાણવાનો કદી પ્રયાસ કરતા નથી, હવામાન ખાતું આજના કે આવતી કાલના દિવસ વિશે શું કહે છે એવી દિલચસ્પી તેમને કદી થતી નથી. વોટ્સએપ- ફેસબુક-ટીવી ચેનલો પર ક્યાંક તેને લગતા સમાચાર આંખે-કાને ચડી પણ જાય, તો તે નાના રણમાં થયેલી ઘુડખરોની વસ્તી ગણતરીના સમાચાર સાંભળતા હોય, એટલી નિર્લેપતાથી સાંભળ્યું-ન સાંભળ્યું કરીને આગળ વધી જાય છે.

આમ તો ચોથો પણ એક પ્રકાર પાડી શકાય, જે પહેલી નજરે ત્રીજા પ્રકાર જેવો લાગે, પણ ફિલસૂફીની દૃષ્ટિએ તે વધારે ઉચ્ચ ભૂમિકા પર હોય છે. ક્યારેક તે વરસાદમાં ભીંજાયેલી અવસ્થામાં મળી જાય અને તેમને કોઈ ‘આસ્તિક’ પૂછે કે ‘ભલા માણસ, ઘેરથી નીકળતાં પહેલાં આગાહી જોઈ ન હતી? હવામાન ખાતાએ કહ્યું તો હતું કે આજે હળવાં ઝાપટાંની સંભાવના છે.’ લાગણી અને જ્ઞાનનું સંયોજન વ્યક્ત કરવા માટે બોલાયેલાં આ વચનો સાંભળીને ચોથા પ્રકારનો જણ પહેલાં તો બુદ્ધ જેવું કરુણાસભર સ્મિત કરશે. તે સ્મિતમાં ઘડીક તો સામેવાળાને આભારવશતાનો ભાવ લાગી શકે, પણ તે ગેરસમજ લાંબું ટકશે નહીં.

તરત કરુણામૂર્તિ કહેશે, ‘હું આવી આગાહીઓ-બાગાહીઓ જોવામાં માનતો નથી. એમ કંઈ આગાહીઓ જોઈને ઘેર થોડા બેસી રહેવાય? વરસાદ વરસાદનું કામ કરે ને આપણે આપણું કામ કરવાનું. એવા બધા પોપલાવિદ્યામાં પડીએ તો જીવાય જ નહીં.’ આવાં અસંદિગ્ધ, સ્પષ્ટ વચનો સાંભળીને, ઘડીભર પહેલાં જ્ઞાની તરીકે રજૂ થનાર ડગમગી જાય છે અને તાજો એનાયત થયેલો પોપલાપણાનો મુગટ ધારણ કરવો કે નહીં, તેની દ્વિધામાં પડી જાય છે.

કેટલાક ટીકાકારો હવામાન ખાતાની આગાહીને રાશિ ભવિષ્ય સાથે સરખાવે છે અને તેમાં ‘રાશિ’નો અર્થ ચરોતરી બોલી મુજબનો કરે છે. (ચરોતરમાં વસ્તુ ખરાબ હોય ત્યારે વેપારી કહે છે, ‘આ વખતે સાવ રાશી માલ આવ્યો છે.’) પોતાની ટીકામાં આંતરરાષ્ટ્રિય દૃષ્ટિકોણ ઉમેરીને તેને વધુ વજનદાર બનાવવા માટે તે બ્રિટન-અમેરિકાનાં હવામાન ખાતાંનાં દાખલા ટાંકે છે અને આપણા ખાતાની સરખામણીમાં તેમની આગાહીઓ કેવી જડબેસલાક હોય છે, તેનાં કેટલાંક (સાંભળેલાં) ઉદાહરણ પણ ટાંકે છે. તે સાંભળીને કેટલાકને વાંધો પડે છે. તેમને લાગે છે કે દલિતો પ્રત્યેના જ્ઞાતિઆધારિત દુર્વ્યવહારની જેમ, હવામાન ખાતાની ખોટી આગાહીઓ પણ આપણા દેશનો આંતરિક પ્રશ્ન છે અને તેનું આંતરરાષ્ટ્રીયકરણ કરવું જોઈએ નહીં.

ધારો કે, ખોટી આગાહીઓ બદલ આપણા ખાતાની ટીકા કરવી હોય તો પણ, તેના માટે બીજા દેશોનાં ખાતાંનાં વખાણ કરીને, ફક્ત ખાતાને બદલે આપણા આખા દેશને નીચો પાડવાની જરૂર નથી—એવી દલીલ, વ્યક્તિ-દેશ વચ્ચેનો ફરક ભૂંસી નાખનારા ઉત્સાહી દેશપ્રેમીઓ કરી શકે છે. તેમની પ્રતિક્રિયા પરથી એવું લાગે છે, જાણે ભારતના હવામાન ખાતાની ટીકા કરનાર લોકો ખાતાની વિરુદ્ધમાં ઇન્ટરનેશલ કોર્ટમાં કે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ફરિયાદ કરશે અને જોતજોતાંમાં ધોળા નિરીક્ષકોનાં ટોળાં હવામાન ખાતાની દેશભરની કચેરીઓ ઉપર ઉતરી પડશે. ઇરાન-ઇઝરાઇલ-અમેરિકા વચ્ચે સર્જાયેલા યુદ્ધ પ્રકારના સંજોગોમાં કોઈને એવી કલ્પના પણ આવી શકે કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સુધી ભૂલેચૂકે આ વાત પહોંચાડવામાં આવે અને તેમને સોલો ચડે તો તે, હવામાન ખાતાનો ખોટી આગાહીઓ કરતું અટકાવવા માટે તેની કચેરીઓ પર બોમ્બર વિમાનો મોકલવાનું વિચારી શકે છે.

વરસાદનું શાસ્ત્ર બહુ અટપટું છે અને ગ્લોબલ વોર્મિગને કારણે વાતાવરણના વંકાયેલા મિજાજમાં વરસાદનની આગાહી વધારે પેચીદી બની છે—એવી દલીલો વિજ્ઞાનમાં કામ લાગે, રાજકારણમાં નહીં. તેમાં તો આગાહી સાચી પડે ત્યારે તેનો જશ લેવાનો અને ખોટી પડે ત્યારે... તેની નિષ્ફળતા બીજા પર ઢોળી દેવાની, એવો રિવાજ નથી હોતો?



Tuesday, June 24, 2025

સર્વેક્ષણનું સર્વેક્ષણ

કોઈ પણ મોટી દુર્ઘટના થયા પછી મહાનુભાવો સર્વેક્ષણ માટે આવે છે, જેથી લોકોને એવું લાગે કે એ લોકો તેમની ફરજ અદા કરી રહ્યા છે. પૂર જેવી કુદરતી આફત હોય તો હવાઈ સર્વેક્ષણથી કામ ચાલી જાય છે. માથે ઉડતું હેલિકોપ્ટર જોઈને જમીન પરના લોકોને થાય છે કે ઉપરવાળો બધું જુએ છે. પરંતુ ઘણી વાર લોકોને ખાતરી કરાવવા માટે નીચે ઉતરવું પડે છે, સ્થળ પર જવું પડે છે અને જુદા જુદા એન્ગલથી ફોટા પણ પડાવવા પડે છે. ત્યારે લોકોને લાગે છે કે સર્વેક્ષણ બરાબર થયું.


મોટા સાહેબોનું કામ સર્વેક્ષણ કરવાનું છે, તો તેમનાથી નાના, પણ આમ બીજાથી મોટા એવા સાહેબોનું કામ સર્વેક્ષણનું આયોજન કરવાનું છે. કેવી રીતે થતું હશે તે આયોજન—એવો સવાલ મનમાં થયો અને મનના પડદે જાણે આયોજનની મિટિંગ શરૂ થઈ ગઈ.

(કોન્ફરન્સ રૂમમાં અધિકારીઓ બેઠા બેઠા મિટિંગના કારણ વિશે તર્કવિતર્ક કરી રહ્યા છે. હવે રોજેરોજ એટલા અકસ્માતો થાય છે ને ન બનવા જેવું બને છે કે મિટિંગ કયા કારણસર હશે, તેની કલ્પના કરી શકાતી નથી. એવામાં કોન્ફરન્સ રૂમનો દરવાજો ખુલે છે અને અધિકારીઓના મુખ્ય સાહેબ ધસમસતા દાખલ થઈને તેમની ખુરશી સંભાળે છે.)

મુખ્ય સાહેબ (મુ.સા.) : બહુ અરજન્ટ કામ માટે આ મિટિંગ બોલાવી છે. કાલે જ સાહેબ એક્સિડેન્ટ સાઇટની વિઝિટે આવી રહ્યા છે.

યુવાન અધિકારી: કઈ એક્સિડેન્ટ સાઇટ? પેલો પૂલ તૂટ્યો હતો ત્યાં? કે બોટ ડૂબી હતી ત્યાં? કે પછી દલિતો સાથે દુર્વ્યવહાર ...

મુ.સા. : (કડક અવાજે) દોઢ ડાહ્યા થવાની જરૂર નથી. મને તો સવાલ થાય છે કે તમે સરકારી નોકરી શી રીતે કરી શકો?

યુવાન અધિકારી : માફ કરજો સાહેબ, પણ સરકારી નોકરી એટલે સરકારની નોકરી નહીં, સરકાર વતી લોકોની નોકરી—અમને તો આવું શીખવેલું.

મુ.સા. : (તેમના સહાયક તરફ જોઈને, ધુંઆપુંઆ થતાં) મિટિંગ પછી તાત્કાલિક ટ્રેનિંગ સેન્ટરમાં ફોન જોડો અને આમની પણ કંઈક વ્યવસ્થા કરો. તેમનો ચાર્જ કોઈને આપવાની વ્યવસ્થા હું કરાવી દઉં છું. (ટેબલ પર પડેલા એક ગ્લાસમાંથી એક શ્વાસે પાણી ગટગટાવ્યા પછી) હવે આપણે મિટિંગના મૂળ મુદ્દા પર આવીએ. કાલે સાહેબ આવવાના છે. (એક અધિકારી તરફ જોઈને) તમે તો સિનિયર છો. તમને તો ખબર જ છે આપણો સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ...

અધિકારી 1: હા સાહેબ, આપણા બધા કેમેરામેનોને કહી દીધું છે. એ સિવાયના બીજા થોડાને પણ બોલાવી મંગાવીશું, જેથી છેલ્લી ઘડીએ કોઈ માથાકૂટ નહીં.

અધિકારી 2: આને કહેવાય અગમચેતી. ખબર છે ને, એક વાર સાહેબ મંદિરના ગર્ભગૃહમાં હતા ને આપણો ફોટોગ્રાફર મૂર્તિની પાછળથી તેમના ફોટા પાડતો હતો, એ વખતે તેની ફ્લેશ બંધ થઈ ગઈ, ત્યારે આપણે કેવાં ડફણાં ખાવાં પડ્યાં હતાં...

અધિકારી 3: અને પેલું પણ...ખાલી ટનલની રિબન કાપી અને તેને ખુલ્લી મુકી, એટલે ફોટોગ્રાફરને થયું કે કામ પતી ગયું. એ ત્યાંથી પાછો વળી ગયો. પણ સાહેબ તો ખાલી ટનલમાં મોટી મેદનીનું અભિવાદન કરતા હોય એમ હાથ હલાવતા હતા. એ તો સારું છે, વિડીયોવાળો ત્યાં હતો. એણે વિડીયોની સાથે થોડા ફોટા પણ પાડી દીધા. બાકી...

મુ.સા. : બસ, બસ. હવે વધારે ઉદાહરણો આપવાની જરૂર નથી. એટલું યાદ રાખો કે આપણે ત્યાં આવું કશું ન થવું જોઈએ.

અધિકારી 4: સાહેબ, સૌથી પહેલાં તો મારું સજેશન છે કે ઘટનાસ્થળે જુદી જુદી હાઈટ ધરાવતાં બે-ત્રણ ટાવર ઊભાં કરાવવાં અને તેની પર આપણા ફોટોગ્રાફરો ને વિડીયોગ્રાફરોને ચડાવી દેવા. ત્યાંથી એવા અનયુઝવલ એન્ગલ મળશે કે સાહેબ ખુશ થઈ જશે.

અધિકારી 1: ટાવર ઊભાં ન કરવાં હોય તો ડ્રોન પણ વાપરી શકાય.

અધિકારી 4: પણ એમાં સિક્યોરિટી ક્લિયરન્સના વાંધા પડશે.

અધિકારી 2: સાહેબનો આઇડીયા સરસ છે. એની પરથી મને બીજો પણ વિચાર આવે છે કે જેમ હાઇટ માટે ટાવર કરાવીએ, તેમ નીચા એન્ગલ માટે ખાડા પણ કરાવીએ--જુદી જુદી સાઇઝના ખાડા. તેમાં ફોટોગ્રાફરોને ઉતારી દઈએ, તો પણ જોરદાર એન્ગલ મળશે.

ખૂણામાંથી અવાજ: અને સાહેબની વિઝિટ પતી ગયા પછી એ ખાડામાં લાજશરમ, ગરીમા, સભ્યતા બધું દફનાવી દેવાનું.
(મુ.સા. ડોળા કાઢીને યુવાન અધિકારી તરફ જુએ છે. તે ‘હું કંઈ નથી બોલ્યો સાહેબ’ એવી સ્પષ્ટતા ઇશારાથી કરે છે.)

અધિકારી 3: અને કાર્પેટનું શું કરીશું? શોકદર્શક કાળી કાર્પેટ રાખીએ?

મુ.સા. : (થોડું વિચારીને) એ પોલિસી ડીસીશન છે. આગળ પૂછવું પડે, પણ મને લાગે છે ત્યાં સુધી કાર્પેટની મંજૂરી નહીં મળે.

અધિકારી 3: (મુદ્દો સમજ્યા હોય તેમ ડોકું ધુણાવીને) વાત તો સાચી. લોકો ગમે તે કહે, પણ સાહેબ સંવેદનશીલ તો છે.

મુ.સા.: આપણે કંઈ પણ બોલતાં પહેલાં ધ્યાન રાખવું જોઈએ ને ઉપરીઓ વિશે ગમે તેવાં વિશેષણો વાપરવાનં ટાળવું જોઈએ. ઓકે? કાળી કાર્પેટ ફોટા બગાડે છે. આપણે ટ્રાયલ શૂટ કરીને રિઝલ્ટ મોકલાવ્યું હતું, પણ તેને મંજૂરી મળી નહીં... ઓકે, તો લગભગ બધાં પાસાં આપણે વિચારી લીધાં છે. હજુ આપણે બે કલાક પછી ફરી મળીએ છીએ. ત્યાં સુધી કશો સારો આઇડિયા સૂઝે તો કહેજો.

(મિટિંગ પૂરી થાય છે અને મુખ્ય સાહેબના ચહેરા પણ સર્વેક્ષણના સફળ આયોજનનો સંતોષ પથરાઈ જાય છે.)

Thursday, June 19, 2025

ગરમી અને ચા

થોડા દાયકા પહેલાં ગામના રેલવે સ્ટેશનના ટી સ્ટોલ પર એક જૂનું પાટિયું વાંચવા મળતું હતું. ચા એ નિશા (નશા) વગરની પ્યાલી છે. તે શિયાળામાં ઠંડક ને ઉનાળામાં ગરમી આપે છે. તે વાંચીને ચા પ્રત્યે તો ઠીક, તે લખનારના ચા પ્રત્યેના ભક્તિભાવ વિશે માન ઉપજ્યું હતું. ચા-પ્રેમી હોવા છતાં મને આવો મહાન વિચાર ન આવ્યો એવો અહેસાસ પણ થયો હતો.

લોકો પર આખેઆખી રામાયણ-ભાગવતની કથાઓ સાંભળ્યાની કશી અસર થતી નથી, તો મારી પર એક પાટિયાની અસર થાય, એવી અપેક્ષા વધુ પડતી ગણાય. છતાં, ચા-પક્ષની મજબૂત રજૂઆત તરીકે એ લખાણ યાદ રહી ગયું. કવિ દલપતરામે પોતાના માટે રૂડી ગુજરાતી વાણીરાણીનો વકીલ છું એવું ભરદરબારમાં કહ્યું હતું. તેમ, રૂડી આદુવાળી ચાહ-રાણીનો વકીલ છું –એવું ગાવાનો વારો આવે, ત્યારે પાટિયાના લખાણનો ઉપયોગ કરવો, એવું વિચારી રાખ્યું હતું. પણ લોકશાહીમાં દરબારો તો ગુંડાઓ ને મત્રીઓ જ ભરે છે ને ત્યાં ચાનાં વખાણ જેવી બિનઉપજાઉ પ્રવૃત્તિને કોઈ સ્થાન હોતું નથી.

દુનિયામાં બુદ્ધના, ઇસુ ખ્રિસ્તના, ગાંધીજીના વિરોધીઓ (ટીકાકારો નહીં, વિરોધીઓ) હોઈ શકે, તો ચાની શી વિસાત? ચાના વિરોધીઓ ચોક્કસ વર્ગ ટાંપીને બેઠો હોય છે કે ક્યારે લાગ મળે ને ચાની નિંદા શરૂ કરીએ. એવા લોકો માટે ઉનાળો સૌથી અનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે. કારણ કે, સવારના નવ વાગ્યાથી આકરો તડકો શરૂ થાય અને શહેરોમાં તો રાત્રે પણ ગરમ પવન આવતો હોય. આફતને પોતાની વિચારધારાના પ્રચાર માટે વાપરી લેવાની નવાઈ રહી નથી. એ માનસિકતા પ્રમાણે, કેટલાક લોકો કહે છે,લમણું તપી ગયું ને શરીર પરથી પરસેવાના રેલા જાય છે. બોલો, આવામાં કંઈ ચા પીવાતી હશે?’ આટલું બોલાયા પછી પણ ઓડિયન્સ પર ધારી અસર ન પડે, આસપાસ રહેલા લોકોને ચાના નકામાપણા વિશે ખાતરી ન થાય, તો તે વાતમાં વજન ઉમેરીને કહે છે,બોલો, આવી ગરમીમાં ચા પીનારા મૂરખા કહેવાય કે નહીં?’

પોતાનો ધાર્યો જવાબ ઓડિયન્સ પાસેથી મેળવવાની તરકીબ સારી છે, પણ તે દરેક વખતે અસરકારક નીવડતી નથી. આવો સવાલ પૂછાય ત્યારે આસપાસ બેઠેલામાંથી એક વર્ગ એવો હોય છે, જે બરાબર સમજે છે કે આવા સવાલ જવાબની અપેક્ષાએ પૂછાતા નથી. એટલે તે સવાલ સાંભળ્યો-ન સાંભળ્યો કરે છે અને હવે પછીની ચા મેળવવાની વેતરણમાં પડી જાય છે. બીજો વર્ગ એવો હોય છે, જેને ફેસબુક-પ્રજાતિ કહી શકાય. એ વર્ગના લોકો આવો સવાલ સાંભળીને કહે છે, મૂરખા? અરે, જેવાતેવા નહીં, એક નંબરના મૂરખા. તમારી વાત એકદમ સાચી છે. સો ટકા સંમત. એવામાં બીજો અવાજ આવે છે,ચા તે ચા. બીજા બધા વગડાના વા. ચાને ગરમી સાથે નહીં, ચાહના સાથે-ચાહત સાથે સંબંધ છે. જેમની ચાહના કાચી, તેમને જ ચા નડે. બાકી બધાને ફળે. એ સાંભળીને, તદ્દન વિરોધી લખાણમાં હોંશે હોંશે સૂર પુરાવી આવેલા ફેસબુક-પ્રજાતિના સભ્ય ટહુકે છે, વાહ. કેટલી સરસ વાત. સો ટકા સંમત.

આવા સંવાદોથી ગરમીમાં ચાની અસર વિશે જાણવા મળે, તેના કરતાં ઉભયચર એવી ફેસબુક પ્રજાતિ વિશે વધારે જાણવા મળે છે. (તે બંને અંતિમોના અભિપ્રાયોમાં એકસરખી હોંશથી ટાપશી પુરાવતી હોવાથી તેમના માટે ઉભયચર જેવું નામકરણ પસંદ કર્યું છે.) જોકે, ઉભયચરોના અભિપ્રાયથી ચા-ચર્ચામાં કશી પ્રગતિ થતી નથી. ખરું જોતાં, ચાપ્રેમીઓ પર આવા કોઈ સંવાદોની કશી અસર થતી નથી. કારણ કે, ચાહના ઋતુઆધારિત હોય, એવી કલ્પના સુદ્ધાં તેમને ચાના દ્રોહ અને ચાહનાદ્રોહ સમાન લાગે છે.

એક વર્ગ એવો પણ છે, જે બોલો, આવી ગરમીમાં ચા પીવાય?’ એવો સવાલ કરનારની સામે ધારીને જુએ છે. સવાલકર્તા જરા ઓઝપાય તો ઠીક, ન ઓઝપાય તો તે કહે છે,તમારા મતે ગરમીમાં શું પીવું જોઈએ?’

ચાની ઇચ્છનિયતા સામે સવાલ ઉઠાવનાર જરા જોશમાં આવે છે. તેને થાય છે કે આ જણ ડગુમગુ લાગે છે. તેને બે-ચાર સવાલના જોરદાર જવાબ આપી દઈશું તો તે પણ માનતો થઈ જશે કે ગરમીમાં ચા ન પીવાય. એટલે, તે કહે છે,સરસ સવાલ છે. ખરેખર, સરસ સવાલ. જુઓ, એવું છે કે ગરમીમાં અસંખ્ય વિકલ્પો છે. તૈયાર શરબત, છાશ, બાફલો, લીંબુપાણી, જ્યુસ, શેક, કોલ્ડ કોફી...અરે, ચા વિના ન જ ચાલે એવું હોય તો આઇસ ટી...બોલો.

આટલી લાંબી યાદી આપ્યા પછી તેને આશા જાગે છે કે સવાલ પૂછનાર હમણાં તેના આપેલા વિકલ્પોમાંથી એકાદ પર ટીક કરશે અને તેને ચાની આસક્તિમાંથી છોડાવ્યાનું પુણ્ય હાંસલ થશે. સામેવાળો પણ રીઢો હોવાથી, તે થોડી વાર મૌન રાખે છે અને એવું લગાડે છે, જાણે તે ચાના વિકલ્પો વિશે વિચાર કરી રહ્યો છે. છેવટે, તેના ચહેરા પર વિચારપ્રક્રિયા પૂરી થયાનો સંતોષ પ્રગટે છે અને તે ફાઇનલ જવાબ આપવા તત્પર થાય છે. ચાવિરોધી જણ ઉત્કંઠાથી જવાબ સાંભળવા કાન માંડે, ત્યારે રીઢો જણ કહે છે,તમે આપેલા બધા જ વિકલ્પ બહુ સરસ છે, પણ તમારા માટે હું શી રીતે નક્કી કરી શકું? એક કામ કરો. એ વિકલ્પોમાંથી તમને જે સહેલાઈથી મળે, એ તમે પી લો, પણ મારા માટે તો એક ચા જ. બિલકુલ ઉતાવળ નથી.’