Monday, June 24, 2019

ડોક્ટરઃ યમદૂત? દેવદૂત? કે 'માણસ’?

બંગાળમાં પડેલી ડોક્ટરોની હડતાળ તો આટોપાઈ ગઈ, પણ એ નિમિત્તે ઊભા થયેલા કેટલાક મુદ્દા મમતા વિરુદ્ધ મોદીના રાજકારણમાં રગદોળાયા વિના વિચારવા જેવા છે. સૌથી પહેલી વાત એ કે અધ્યાપકો, વકીલો, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, એન્જિનિયર, પત્રકાર ...આ બધાની જેમ 'ડોક્ટર' તરીકેની ઓળખ વ્યાવસાયિક છે--વ્યક્તિલક્ષી નહીં. કોઈ માણસ અધ્યાપક હોય તેનાથી એટલું સિદ્ધ થાય છે કે તે ભણાવવાનું કામ કરે છે. તે સારું જ (કે ખરાબ જ) ભણાવે તે જરૂરી નથી. તે વિદ્વાન હોય જ (કે ન જ હોય) એ જરૂરી નથી. તે માણસ તરીકે સરસ જ (કે ખરાબ જ) હોય તે જરૂરી નથી.

એવી જ રીતે, ડોક્ટર એટલે યમદૂત કે ડોક્ટર એટલે દેવદૂત, ડોક્ટર એટલે સેવાભાવી-પરગજુ કે ડોક્ટર એટલે ચીરી લેનારા--એવું સામાન્યીકરણ શી રીતે કરી શકાય? કેમ કે, મુખ્ય આધાર માણસ શો વ્યવસાય કરે છે તેની પર નહીં, માણસનાં માણસ તરીકેનાં લક્ષણ કેવાં છે તેની પર હોય છે.

કોઈ સ્વસ્થ માણસ રાજીખુશીથી જેમ વકીલ પાસે જતો નથી, તેમ ડોક્ટર પાસે પણ જતો નથી. એમાંય ડોક્ટર પાસે પહોંચેલો માણસ અનિવાર્યપણે શારીરિક અસ્વસ્થ હોય છે. તેથી ડોક્ટરની ભૂમિકા 'હાઈ રિસ્ક, હાઇ રીટર્ન'વાળી બને છે. જોકે, રિસ્ક તેમાં મોટે ભાગે દર્દીનું હોય છે અને ડોક્ટરની કામગીરી ઉમદા હોય તો, વળતર તરીકે નાણાં ઉપરાંત સાજા થયેલા દર્દીનો અને તેનાં સગાંસંબંધીનો અહોભાવ મળે છે. કેટલાક ડોક્ટરોને માથે તેજવર્તુળ સાથે રજૂ થવાનું બહુ ગમતું હોય છે. પોતાના વિશેની સદંતર ખોટી, ગેરરસ્તે દોરનારી અને ભ્રામક છબી તે ઉપસાવે છે અને 'ડોક્ટર એટલે દેવદૂત' એવા ખોટા સામાન્યીકરણને તે પોષે છે. સ્વાભાવિક છે કે આ ઊંચી અપેક્ષા જૂજ ડોક્ટરો જ સંતોષી શકે--અને તે પણ ડોક્ટર તરીકે નહીં, માણસ તરીકેના તેમના ગુણો થકી. બાકીના ડોક્ટરોના વર્તનને દેવદૂત જેવા ઊંચા આદર્શની ફૂટપટ્ટીથી માપીને સામા છેડે ગણી કાઢવામાં આવે છે--અને છાપ એવી ઊભી કરવામાં આવે છે, જાણે સમાજમાં ફક્ત ડોક્ટરો જ ખરાબ (કે બીજાની સરખામણીએ વધુ ખરાબ) છે.

ડોક્ટરોની ખોદણી કરતી વખતે એ વિચારવું ન જોઈએ કે આખરે ડોક્ટરો આવે છે ક્યાંથી? અને તેમનાં દર્દીની મજબૂરીનો ફાયદો ઉઠાવી લેવાનાં લખ્ખણ લાવે છે ક્યાંથી? બેશરમ થવાની નફ્ફટાઈ કે બેધડક છેતરપીંડી કરવાની નૈતિક હિંમત તે ક્યાંથી લાવે છે?

જવાબ છેઃ આપણી પાસેથી. આપણા સમાજ પાસેથી.

ડોક્ટરો આ જ સમાજની પેદાશ છે, જ્યાં પ્રામાણિકતાનું મૂલ્ય ઘસાઈ ચૂક્યું છે, માનવતા નબળાઈમાં ખપે છે, યેનકેનપ્રકારેણ રૂપિયા ભેગા કરવા, કાયદાની ઐસીતૈસી કરવી--આ બધી આવડત ગણાય છે. ડોક્ટર બનતાં પહેલાં જીવનના અઢી-ત્રણ દાયકા વ્યક્તિ જે મૂલ્યવ્યવસ્થા વચ્ચે ગાળે તે ડોક્ટર બન્યા પછી અચાનક ભૂંસાઈ જાય? કારણ કે ડોક્ટરનો વ્યવસાય પવિત્ર છે અને તે હિપોક્રેટીસના સોગંદ લઈને કામગીરીની શરૂઆત કરે છે?

નૈતિકતા નેવે મૂકીને કામ કરતાં ડોક્ટરોને હિપોક્રેટીસના સોગંદનો હવાલો આપવો, તે સરેરાશ નેતાને બંધારણનો હવાલો આપવા જેવું છે. તેનાથી હવાલો આપનારને સારું લાગી શકે છે, પણ સામેવાળાને તેનો કશો ફરક નથી પડતો. કારણ કે તે હિપોક્રેટીસના સોગંદ કે બંધારણનું હાર્દ પાળવા ધંધામાં નથી આવ્યા. (ડોક્ટરોને ન્યાય ખાતર એટલું કહેવું જોઈએ કે સામાન્ય અનુભવ પ્રમાણે, સારા નેતાઓ કરતાં સારા ડોક્ટરોનું પ્રમાણ વધારે લાગે છે.)

જેમ ડોક્ટરો, તેમ દર્દીઓ પણ આ જ સમાજમાંથી આવે છે અને સમાજમાં સ્વીકૃત બનેલાં મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. ડોક્ટરની સાચી કે ધારી લીધેલી ભૂલ બદલ તેમની પર હુમલો કરવો એ ખતરનાક રિવાજ છે. ડોક્ટર સામે કાર્યવાહી માટેના બીજા મંચ છે. પરંતુ વ્યાપક સચ્ચાઈ એ છે કે કોઈ પણ મુદ્દે, કોઈની પણ સામે કાયદો હાથમાં લેવાનું યોગ્ય નથી. જેમ ડોક્ટરો સામે કાયદો હાથમાં લેનારનો બધા વિરોધ કરે છે અને વિરોધ કરવો જોઈએ, તેમ બીજા લોકોની સામે કાયદો હાથમાં લેવામાં આવે, ત્યારે પણ બધાએ અને ડોક્ટરોએ એટલી જ ચિંતા કરવી જોઈએ. કેમ કે, સવાલ ડોક્ટરો પરના હુમલાનો ઓછો ને કાયદો હાથમાં લેવાનો વધારે છે.

ડોક્ટરો પર થતા હુમલા માટે દસ વર્ષની જેલ ને પાંચ લાખના દંડની જોગવાઈનું સૂચન છે. અત્યારે પણ ઘણાં રાજ્યોમાં ડોક્ટરો પર હુમલા માટે સજાની જોગવાઈ ધરાવતા કાયદા છે જ. ડોક્ટરોનાં મંડળો ભારે સજાની જોગવાઈ ધરાવતો કાયદો ઇચ્છતાં હોય તો (અને ન ઇચ્છતાં હોય તો પણ) તેમના પક્ષે મહત્ત્વનો સવાલ આત્મમંથનનો છે. તબીબી વ્યવસાય જે હદે બજારુ અને અપ્રમાણસરનો-બિનજરૂરી ઢબે મોંઘો બની રહ્યો છે, તેમાં ગામડાના અને ગરીબ દર્દીની વાત જ કયા મોઢે કરવી? શહેરના સમૃદ્ધ, બોલકા વર્ગના દર્દીઓ જ સરેરાશ ડોક્ટરોથી એકંદરે દુઃખી હોય છે. અપોઇન્ટમેન્ટ લીધા પછી પણ એક-બે કલાકના વેઇટિંગ ટાઇમથી માંડીને દર્દીઓ સાથે ઉભડક વાતચીત, અસંતોષકારક વ્યવહાર, પિતાશ્રીની ગાદી સાચવવા માટે મારીમચડીને રૂપિયા અને વગના જોરે ડોક્ટર બની ગયેલાઓની આવડતના ગંભીર પ્રશ્નો, ડોક્ટર અને ફાર્માસ્યુટિકલ કંપનીઓ વચ્ચેની ભ્રષ્ટ સાંઠગાંઠ...આ બધા એવા મુદ્દા છે, જેના માટે કશી જાસુસી કરવાની જરૂર નથી. આ બધું ઉઘાડેછોગ અને નરી આંખે જોઈ શકાય એ રીતે ચાલતું હોય છે.

ડોક્ટરોના બચાવ અંગે વાજબી રીતે ઉત્સાહી થઈ જતાં તેમનાં મંડળોને તેમની બિરાદરીના વધુમતી સભ્યોનાં આ બધાં અપલક્ષણો વિશે કશું કહેવાનું થાય છે? ડોક્ટરથી જાહેરખબર ન થાય—એવા એકાદ જૂના અને હવેના સમયમાં ઘણી હદે અપ્રસ્તુત બની ગયેલા કેટલાક નિયમો પર જ જાણે વ્યવસાયની બધી નૈતિકતાનો ભાર આવી જાય છે અને પૂંછડીઓનું ધ્યાન રાખવામાં હાથીના હાથી નીકળી જાય છે.

ડોક્ટરોની સલામતી બેશક અગત્યની છે. પણ ફક્ત ડોક્ટરોની જ શા માટે? ડોક્ટર વગર નથી ચાલતું, તેમ સફાઈ કામદાર વિના પણ સમાજને નથી ચાલતું. પરંતુ ગટર સાફ કરવા જતાં મોતને ભેટતા સફાઈ કામદારો વિશે સમાજને ચિંતા તો ઠીક, જાણ કરવા માટે પણ કેટલી મહેનત પડે છે અને ત્યાર પછી પણ લોકોને એ દિશામાં વિચારતા કરવાનું શક્ય બનતું નથી. સવાલ સામસામી તકલીફોનો છેદ ઉડાડીને આગળ વધી જવાનો નથી, પણ ઉપરછલ્લી બાબતો કે ઘટનાઓને બદલે મૂળભૂત મુદ્દા વિશે વિચારવાનો અને સંવેદના સંકોરવાનો છે. 

2 comments:

  1. Hiren Joshi8:27:00 PM

    Comparison you made in the last paragraph on the safety of a doctor and a janitor is valid; but Indian society for years have bestowed unmatched social status to the doctors. Common man in other profession is not going to get the same social respect or security. Neither does the administration see the non-doctors with similar views. So the humanity and general respect to the population has become rare commodity over the years. Probably it is a reflection of Indian society where a human life is too cheap!

    ReplyDelete
  2. ખૂબ સાચી વાત

    ReplyDelete