Tuesday, October 30, 2018

આખરે, Ph. D. અને થોડી અંગત વાતો


'આથી જાહેર કરવામાં આવે છે કે....' એવી રીતે શરૂ થતું ગુજરાત વિદ્યાપીઠનું સત્તાવાર જાહેરનામું ગઈ કાલે મળ્યું. એ સાથે મારી Ph. D.  થવાની સફર સફળતાપૂર્વક પૂરી થઈ.
***

Ph. D.માં કુલ ત્રણ વર્ષ વીત્યાં, પણ આ પ્રક્રિયાની શરૂઆત છ વર્ષ પહેલાં થઈ હતી. એક દિવસ મિત્ર લલિત લાડ (મન્નુ શેખચલ્લી) સાથે 'ગુજરાત સમાચાર'ની ઑફિસની નીચે ચા પીતા-ગપ્પાંગોષ્ઠિ કરતા ઊભા હતા. ત્યારે ગુજરાતી પત્રકારત્વ વિશે ચર્ચા નીકળી. વાત ફંટાતી ફંટાતી એવા મુકામે પહોંચી, જ્યાં ચોક્કસ સંદર્ભે એવું લાગ્યું કે કંઈક કરવું જોઈએ. ત્યારે એવો તરંગ આવ્યો કે Ph. D. કરવું જોઈએ.

પણ હું રહ્યો B. Sc. અને એ પણ રસાયણશાસ્ત્રનો. તેમાંથી પત્રકારત્વમાં Ph. D. કેવી રીતે થવાય? 'માસ્ટર કી' જેવા મિત્ર હસિત મહેતાને પૂછ્યું. તેમણે કહ્યું કે થવાય, પણ એ પહેલાં માસ્ટર્સ થવું પડે. એટલે માસ્ટર્સનાં બે ને Ph. D.નાં ઓછામાં ઓછાં બે વર્ષ. આ તો પહેલા જ પગલે વિધ્ન. પછી તપાસ કરી કે માસ્ટર્સ ક્યાં થાય? અને કૉલેજ ગયા વિના ક્યાં થઈ શકે? પત્રકારત્વનાં અધ્યાપક મિત્રદંપતિ અશ્વિન ચૌહાણ અને સોનલ પંડ્યાને પૂછ્યું. એક-બે ઠેકાણાં શોધ્યાં. નવું વર્ષ શરૂ થવાની તૈયારી હતી. એટલે ફાઇનલ તપાસ માટે ગુજરાત યુનિવર્સિટીનાં પત્રકારત્વ વિભાગનાં અધ્યક્ષ તરીકે સોનલ પંડ્યાને મળ્યો. તેમણે એક-બે ઠેકાણાં બતાવીને કહ્યું કે એ તો છે જ, પણ તમે અહીં પત્રકારત્વ શા માટે નથી કરતા?

ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વની કૉલેજ છે ને ત્યાં માસ્ટર્સના બે કોર્સ ચાલે છે, એ ખ્યાલ હતો જ. ત્યાં લેક્ચર્સ લીધેલાં. એકાદ વાર પેપર પણ કાઢ્યું હતું. પરંતુ મેં સાચું કારણ કહ્યું : 'તમારે ત્યાં તો પ્રવેશપરીક્ષા આપવી પડે… ને એમાં પ્રવેશ ન મળે તો?’ સવાલ અહમ્ ઘવાવાનો નહીં, વાસ્તવિક હતો. જે આશયથી માસ્ટર્સ કરવાનું નક્કી કર્યું છે તેમાં પહેલા જ પગથીયે ઠેસ આવે તો પછી આગળનું બધું ડગમગી જાય. પણ સોનલબહેને સમજાવ્યો એટલે મેં યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં પ્રવેશપરીક્ષા આપવાનું નક્કી કર્યું. સલામતીના પગલારૂપે મેં બંને કોર્સની પ્રવેશપરીક્ષા આપી. સવારે MMCJ ની અને બપોરે MDCની.

પરિણામની સવારે કૉલેજ ફોન કર્યો અને જરા આતુરતાથી પૂછ્યું કે 'શું છે? પાસ?’ સામેથી હસવાનો અવાજ સંભળાયો ('શું તમે પણ!’ પ્રકારનો). બંને કોર્સમાં પ્રવેશ મળી ગયો હતો. મેં MMCJ – માસ્ટર ઇન માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ પસંદ કર્યું. (બાય ધ વે, મારી પત્રકારત્વની પરીક્ષાનું પ્રવેશ ફૉર્મ લાવી આપનાર આદિમિત્ર બિનીત મોદીએ MMCJનું આખું નામ બહુ 'ઝેરી' બનાવ્યું છે : Master in Mass Carnage and Justification)

***

ત્યાર પછી બે વર્ષ માટે નવેસરથી કૉલેજકાળ શરૂ થયો, ૪૧ વર્ષની ઉંમરે. મારા ક્લાસમાં મોટા ભાગનાં છોકરા-છોકરીઓ હું B.Sc. થયો તે પછી જન્મેલાં હતાં. મોટા ભાગનાંને વાંચવાની કુટેવ ન હતી. એ વખતે હું ગુજરાત સમાચારમાં અઠવાડિયાની ત્રણ કોલમ અને રોજનો એક તંત્રીલેખ લખતો હતો. તેમાંથી ક્યારેક કોઈ લેખ વિશે નરેશ મકવાણાએ વાત કરી હશે. શૈલી ભટ્ટ શરૂઆતમાં જ આવીને મળી હતી અને મારા ક્લાસમાં હોવા વિશે આનંદ વ્યક્ત કર્યો હતો. બાકી બીજાં બધાં મારા લખાણ વિશે નિસ્પૃહ હતાં ને મારે પણ એમની પાસેથી માન્યતાની જરૂર ન હતી.  પ્રવેશ લીધો ત્યારથી એક વાતની ગાંઠ વાળી હતી કે પત્રકાર તરીકેની મારી ઓળખ કૉલેજના ઝાંપાની બહાર રહેશે. અહીં હું વિદ્યાર્થી તરીકે આવીશ, ભણીશ, બધા જ નિયમો પાળીશ, કશો વિશેષાધિકાર નહીં માગું અને Ph. D. થવા માટે જરૂરી પંચાવન ટકા લાવીને ચાલતી પકડીશ.

પહેલા છ મહિના બધું સામાન્ય ચાલ્યું. મહેમદાવાદથી આવવાનું. એટલે પહેલું લેક્ચર ચુકાઈ જાય. પછીનાં એક કે બે લેક્ચર ભરવાનાં. બાકાયદા બૅન્ચ પર બેસવાનું. (હા, નોટ નહીં બનાવવાની). આડાઅવળા સવાલ નહીં પૂછવાના. પહેલા સૅમેસ્ટર પછી આવ્યું બીજું સૅમેસ્ટર. તેમાં હતી જુદી જુદી વર્કશૉપ. તેમાંથી (હવે દિવંગત) નિમેષ દેસાઈએ પંદર દિવસ માટે કરાવેલી નાટકની વર્કશૉપ ટર્નિંગ પૉઇન્ટ બની. ક્લાસનાં વિદ્યાર્થીઓ વચ્ચેનો બરફ ઓગળ્યો અને પછી એ ઓગળેલો જ રહ્યો. વીસ વર્ષ નાનાં છોકરાછોકરીઓ સાથે દોસ્તી થઈ. તેમને દોસ્ત બનાવ્યાં.  એ અઘરું હતું, છતાં મારે મન પંચાવન ટકા લાવવા પછીનો બીજો એજેન્ડા આ ઊભો થયો હતો. એ સમજવું હતું કે આપણાથી વીસ વર્ષ નાનાં લોકો કેવી રીતે વિચારે છે, તેમની શક્તિઓ શી છે, મર્યાદાઓ શી છે. (એ બધાં મને 'સર' કહેતાં હતાં, પણ તેમને સમજાવવાની જરૂર ન લાગી. કારણ કે દોસ્તી થયા પછી એ શબ્દનો ભાર ખરી પડ્યો હતો)

નાટકના અનુભવ વિશે તો અલગથી બ્લોગ લખ્યો હતો. તેની લિન્ક મૂકું છું. http://urvishkothari-gujarati.blogspot.com/2013/02/blog-post_22.html મારા બંને હેતુ સિદ્ધ થયા. પંચાવન ટકા ઉપર માર્ક આવી ગયા અને મારાથી વીસ વર્ષ નાનાં લોકો સાથે દોસ્તી કરતાં આવડ્યું. પણ મૂળ કાર્યક્રમ તો Ph. D.નો હતો.
***

મારે Ph. D. ગુજરાત વિદ્યાપીઠમાંથી, અશ્વિનભાઈના વિદ્યાર્થી તરીકે કરવું હતું. અશ્વિન ચૌહાણ જૂના મિત્ર, અચ્છા હાસ્યકાર, સરળ, પ્રેમાળ, ક્યારેક વાંક કાઢવાનું મન થાય એટલા સજ્જન, સતત વાંચતાલખતા. પણ એક જ મુશ્કેલી હતી. ૨૦૧૪માં હું માસ્ટર્સ થયો ત્યારે અશ્વિનભાઈને Ph. D.ની ગાઇડશીપ મળી ન હતી. પ્રક્રિયા ચાલુ હતી. આથી મેં એક વર્ષ જવા દીધું. બીજા વર્ષે ૨૦૧૫માં મેં ગુજરાત વિદ્યાપીઠની પ્રવેશપરીક્ષા આપી. પરીક્ષાર્થીઓ વધારે ને બેઠકો ઓછી--એવું હતું. પણ પ્રવેશ મળ્યો અને Ph. D.ની યાત્રા શરૂ થઈ.

પહેલો સવાલ આવ્યો : વિષય કયો રાખવો? લગભગ ૨૦૦૧થી હું જ્યોતીન્દ્ર દવે વિશે છૂટુંછવાયું પણ સતત કામ કરું છું, એ જાણતા મિત્રોએ ધાર્યું હતું કે હું જ્યોતીન્દ્ર દવે પર જ કામ કરીશ. પણ પરીક્ષામાં પાસ થયા પછી મારો વિચાર બદલાયો. છેલ્લા અઢી-ત્રણ દાયકાથી ગાંધીજી વિશે સતત કંઈક વાંચવાનું-સમજવાનું અને પત્રકારત્વમાં આવ્યા પછી લખવાનું થયું હતું. એટલે થયું કે જ્યોતીન્દ્ર પર તો હું વગર ભણ્યે કામ કરવાનો જ છું, તો ગાંધીજીને લગતા કોઈ વિષય પર કામ કરવું.  તેથી એક વધારાનું કામ પણ થાય. તેમાં ગાંધીજી અને પર્યાવરણ જેવા નિર્દોષ વિષયો હતા, પણ મને થયું કે હિંદુ-મુસ્લિમ સંબંધોમાં ગાંધીજીના વલણ વિશે અભ્યાસ કરીએ તો રસ પડે ને ઘણું જાણવાનું પણ મળે.

વિદ્યાપીઠમાં વિદ્યાર્થી બનવાનું એટલે વિદ્યાપીઠના અનુભવી મિત્ર કેતન રૂપેરાને સાથે લઈને ખાદીનો ઝભ્ભો-લેંઘો ખરીદ્યા. (સત્તાવાર કામ માટે જ્યારે પણ જવાનું થાય ત્યારે ખાદી પહેરવી પડે.) પહેલી વાર વિદ્યાપીઠનાં પત્રકારત્વનાં અધ્યાપકો સાથે વિષય નક્કી કરવા અંગે મળવાનું થયું ત્યારે પુનિતાબહેને (પુનિતા હર્ણેએ) અનુભવના આધારે કહ્યું કે વિષય સારો છે, પણ તેનો વ્યાપ થોડો ઓછો કરો. નહીંતર પહોંચી નહીં વળાય. તેમની વાત સાચી હતી. એ સ્વીકારીને વિષય રાખ્યો 'નવજીવન'માં ગાંધીજીના લેખોમાં હિંદુ-મુસ્લિમ સંબંધોનું નિરૂપણ.

ઓછામાં ઓછાં બે વર્ષ લેવાનાં હતાં. પણ મારે અઢી વર્ષ થયાં. વચ્ચે બીજાં અનેક કામ ચાલુ જ હતાં. છેવટે અૅપ્રિલમાં, સાર્થક જલસો-૧૦ના અંકના થોડા દિવસ પહેલાં, થિસીસ જમા કરાવી, થોડા વખત પહેલાં વાઇવા થયો અને ગઈ કાલે નૉટિફિકેશન આવતાં Ph. D.નું કામ પૂરું થયું. (સાર્થક જલસો-૧૧નો અંક આ અઠવાડિયે આવી જશે.)
***

Ph. D. ની એકંદર, સરેરાશ કક્ષા વિશે હું કોઈ ભ્રમમાં નથી. Ph. D.માં લોકો કેવા ગોરખધંધા કરે છે ને કેવા હાથીના હાથી નીકળી જાય છે, એ તો સાર્થક જલસોના એક લેખનો (ઑલરેડી સોંપાયેલો) વિષય છે. ગુજરાતીમાં Ph. D. થયેલા દસ લીટી સાચું-સારું ગુજરાતી લખી ન શકે, તે જોયું છે ને એવું બીજા વિષયોમાં પણ હોય છે, એવું વિશ્વસનીય મિત્રો-વડીલો પાસેથી જાણ્યું છે. ઘણા લખનારાને એવો ભ્રમ હોય છે કે 'આપણું તો કામ જ એવું છે કે લોકો એની પર Ph. D. કરે.’  આવા ફાંકામાં પણ કશો દમ નથી. કેમ કે, કેવળ Ph. D. કરી નાખવાથી કે Ph. D. નો વિષય બનવાથી કશું સિદ્ધ થતું નથી.

મને સંતોષ એ વાતનો છે કે મારા Ph. D.ના કામમાં મને ઘણું જાણવા-સમજવાનું મળ્યું. અમુક બાબતોમાં સમજ વધારે બારીક-વધારે ઊંડી બની અને એ બહાને 'નવજીવન'ના ૧૯૧૯થી ૧૯૩૨ના અંક સળંગ જોવાના મળ્યા. સાથે મને એવું પણ લાગ્યું કે મારો થીસીસ પુસ્તકસ્વરૂપે પ્રગટ ન કરવો જોઈએ. વાચક તરીકે હું એવી અપેક્ષા રાખું કે મને ગાંધીજીના હિંદુ-મુસલમાન સંબંધો પરના વલણનો આખો આલેખ મળે. મારા થિસીસમાં એ ૧૯૧૯થી ૧૯૩૨ સુધીનો અને તે પણ 'નવજીવન'નાં લખાણ પૂરતો છે. તે સરસ છે, પણ પૂરતો નથી.

છેલ્લી વાત : છ વર્ષ પહેલાં Ph. D. કરવાનું વિચાર્યું અને વિચાર અમલમાં મૂક્યો, ત્યારથી નક્કી કર્યું હતું કે હું નામની આગળ અનિવાર્ય જરૂરિયાત નહીં હોય ત્યાં સુધી 'ડૉ.’ નહીં લખું. જે લખે છે તેની સામે મને કશો વાંધો નથી, પણ મારા મનમાં પહેલેથી એવું છે કે ડૉક્ટર તો મૅડિસીનના જ કહેવાય. એ મારી માન્યતા છે અને કશી ચર્ચા કે શાસ્ત્રાર્થ કર્યા વિના, મારા કિસ્સામાં તો હું એ પાળી જ શકું. એટલે અનિવાર્ય નહીં હોય ત્યાં સુધી પાળવાનો છું.

પરિવાર અને મિત્રોના અવિરત, અખૂટ પ્રેમ વિના બધું વ્યર્થ છે ને એના થકી બધું સાર્થક છે. એમના પ્રત્યેનો કાયમી ઋણભાવ અને સૌ શુભેચ્છકોનો આભાર. 

26 comments:

  1. ખૂબ ખૂબ અભિનંદન ઉર્વીશભાઈ.

    ReplyDelete
  2. ખૂબ અભિનંદન

    ReplyDelete
  3. Many congratulations, Urvishbhai. I really learnt a few lessons myself during your viva. Best wishes.

    ReplyDelete
  4. પી.એચ.ડી.ની પદવી માટે ખૂબ ખૂબ અભિનંદન ઉર્વીશભાઇ

    ReplyDelete
  5. Dear Dr. Urvish Kothari,
    many hearty congratulations on successfully obtaining the degree of Ph.d.
    you mentioned that you don't want to use Doctor prefix, but I think you deserve it and have earned it, so I addressed you as Doctor.

    ReplyDelete
  6. Congratulations Urvishbhai. This is very inspirational. Can you please write about how did you manage to keep a balance between studies (from Mehemdavad to Ahmedabad), professional commitments and also personal and social relations and day to day chores. It must have been a tough journey balancing all these while studying MA and PhD. Please do share that experience. As a reader I know that you don't like to boast about yourself. But what you have done is commendable so if you share your experience of balancing between all these aspects of life; That would enable people like me who wants to go out of my daily routine job and do something that matters.

    ReplyDelete
    Replies
    1. Thanks Darshan for kind words. I thought it's too personal. We can talk about it over a cup of tea or if you are not nearby, on phone.
      I can give you my mobile no. my e-mail : uakothari@gmail.com

      Delete
  7. અભિનંદન ઉર્વીશભાઇ

    ReplyDelete
  8. ખૂબ અભિનંદન દોસ્ત

    ReplyDelete
  9. Oh this is fantastic news dear Urvish! Congratulations my friend! For me, you were a Doctorate of Letters long before you got the official title. Reading your stuff has been a source of profound joy my friend! And the fact that you can do so with tremendous integrity and empathy for those who you write about and for, makes your output truly, truly special! Big, big hug!!! <3

    ReplyDelete
  10. ખુબ ખુબ અભિનંદન, ઉર્વીશભાઈ ! તમારી કલમ નો હું ચાહક છું , આપની સાથે સમત ન હોવા છતાં.

    ReplyDelete
  11. વાહ, ખુબ જ આનંદના સમાચાર. અભિનંદન.

    ReplyDelete
  12. ડો.સાહેબ હાર્દિક અભિનંદન.

    ReplyDelete
  13. Congratulations Urvishbhai

    ReplyDelete
  14. Congratulations, Urvishbhai!

    ReplyDelete
  15. Heartly congratulations sir

    ReplyDelete
  16. અતિશય આનંદ થયો. સાચા અર્થમાં આ ડિગ્રી મેળવનારાઓની ટકાવારી એકદમ ઓછી થઈ રહી છે ત્યારે તમે એક શાતાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું છે. ખુબ અભિનંદન, ડૉ. ઉર્વીશ કોઠારી( આ એક વાર 'ડૉ'. ઉદ્દબોધનની મજા લીધી, હવે પછી ઉર્વીશભાઈનું જ સંબોધન કરીશ.).

    ReplyDelete
  17. Many congratulations Sir,
    ૪૧ મે વર્ષે મે પણ અભ્યાસ ચાલુ જ રાખેલો છે મજા આવે હરહમેશ નીત નવું ભણવા શીખવા ની એ પણ વર્ગ ખંડ મા.
    I’m doing LLM from Sp uni,Bhagat & sonawala College. And have very big dream about my Ph.d in law but it’s very tuff for getting 55 % .. Ha ape kahu Ph.d ma kevu hambak ane duppal chale che please inform about all this glitter and matters in good faith...

    ReplyDelete
  18. આનંદ થઈ ગયો વાંચીને... અને તને પીએચડી થયેલો જાણીને... અભિનંદન...

    ReplyDelete
  19. Congratulations!☺💐🎂

    ReplyDelete
  20. Anonymous8:47:00 PM

    Congratulations Urvishbhai, I love your writing, it is simple like water and air, can not explain and I am not good writer too. Congratulations once again,
    Thanks,
    Manhar Sutaria

    ReplyDelete
  21. This comment has been removed by the author.

    ReplyDelete
  22. Anonymous10:10:00 PM

    અભિનંદન ઉર્વીશભાઈ.
    -રાજન શાહ ( નડીયાદ/વેન્કુવર)

    ReplyDelete
  23. Anonymous12:02:00 AM

    Congratulations Dr. ઉર્વીશભાઈ.

    આદરણીય ઉર્વીશભાઈ.
    નમસ્કાર.
    હું આપ શ્રી ને ઓળખતો નથી; પણ, આપની PHD યાત્રા નો આ લેખ વાંચ્યો. ખુબ જ અભિનંદન.
    મને ઘણા સમય થી "રામાયણ." પર PHD કરવાનો મનોમન વિચાર આવે છે. ક્યાંથી કેમ કરી શકાય એની ખબર નથી પડતી. જો આપ મને યોગ્ય માર્ગદર્શન આપો તો મારી આ યાત્રા આગળ વધી શકે.
    મારો contact No. - +91- 93133 52154.
    What's App. - +91- 99987 39526.
    +91- 97129 85521.
    આ મારા નંબર છે. આપ જ્યારે પણ આ મારો મેસેજ વાંચો ત્યારે આપ શ્રી મને ફોન કરી શકો છો.
    મારું નામ - શ્રી નવનીતકુમાર નિરંજની છે. સૌરાષ્ટ્ર માં અમરેલી જિલ્લા નાં કવિ કલાપી નાં લાઠી તાલુકા નાં ઈંગોરાળા એવા નાના ગામ માં રહ્યુ છું.
    શક્ય હોય તો મને ગાઈડ કરવા નમ્ર વિનંતી સહ અરજ....!.

    ReplyDelete