Sunday, August 20, 2017

ભાગલાની દાનવતા વચ્ચે માનવતાની મહાગાથાઃ મૂળસોતાં ઊખડેલાં

ભારતની આઝાદીના સિક્કાની બીજી બાજુ છેઃ દેશના ભાગલા. સવાલ ફક્ત ભૌગોલિક ભાગલાનો હોત તો એ કારુણી કદાચ આટલી ઊંડી ન હોત, પણ ધર્મઆધારિત રાજકારણે કોમી હિંસાને ભડકાવી. તેના કારણે સરહદની બન્ને બાજુ ભયંકર હિંસા થઈ. માણસજાત પરથી અને ખાસ કરીને પુરુષજાત પરથી ભરોસો જ ઉઠી જાય એવા સેંકડો બનાવ બન્યા. ભવિષ્યની પ્રજાએ કોમી ઝેરના રાજકારણથી કેમ બચીને ચાલવું જોઈએ, તેના પૂરતા બોધપાઠ વિભાજન સમયની હિંસામાં પડેલા હતા.

ભાગલા વખતની કંપાવનારી કથાઓની વાત થાય ત્યારે યોગ્ય રીતે જ સઅાદત હસન મંટોની વાર્તાઓનો ઉલ્લેખ થાય છે, પરંતુ મંટોની વિભાજનકથાઓના પ્રેમીઓમાંથી કેટલા ગુજરાતી વાચકોએ કમળાબહેન પટેલનું નામ સાંભળ્યું હશે? અલબત્ત, તેમાં નામ ન સાંભળનારાનો કશો વાંક નથી. એટલું જ કે તે કમળાબહેનના ઉત્તમ પુસ્તકથી વંચિત રહી ગયા તેનો એક ગુજરાતી વાચક તરીકે અફસોસ થાય છે.  અહીં કમળાબહેન અને મંટો વચ્ચે લખાણના વિષય સિવાય બીજી કોઈ બાબતે સરખામણી કરવાનો ઇરાદો નથી. છતાં, માનવમનના અંધારા ઓરડા ખોલી આપતી અને સમભાવના અજવાળે તેનો પરિચય કરાવતી મંટોની કલમની માફક, કમળાબહેનનું લખાણ હચમચાવી મૂકે એવું છે--શૈલીની કે સાહિત્યિકતાની રીતે નહીં, પણ તેની સામગ્રી અને કમળાબહેનના પોતાના અનુભવોને લીધે.

ભાગલા વખતે હિંદુ-શીખો અને મુસ્લિમોમાંથી કોણે હિંસાની શરૂઆત કરી ને કોણે વધુ હિંસા કરી એવા હિસાબો કાઢવાનું વ્યર્થ છે. હકીકત એ હતી કે બન્ને પક્ષે ભાન ભૂલીને હિંસા આચરી અને તેનો સૌથી વધારે પ્રમાણમાં ભોગ બની સ્ત્રીઓ. પુરુષપ્રધાન વિચારસરણીમાં સ્ત્રીને સંપત્તિ ગણવામાં આવતી હોવાથી, પુરુષોને પાઠ ભણાવવા માટે પણ સ્ત્રીઓ પર અત્યાચાર કરવામાં આવે છે. ભાગલા વખતે તેમાં એક ઓર સ્તર ઉમેરાયું. બીજા ધર્મની સેંકડો સ્ત્રીઓને બળજબરીથી ઉપાડી જવાઈ. બાળકોનાં પણ અપહરણ થયાં. ચોતરફ અંધાધૂંધી મચી હોય અને સૌ પોતાનું સંભાળવામાં પડ્યાં હોય, ત્યારે અપહૃત સ્ત્રી-બાળકોની સમસ્યા કોણ હાથમાં લે? અને એ પણ દુશ્માનવટથી છૂટા પડેલા દેશ સાથે?

એ મહાકાર્ય મૃદુલા સારાભાઈએ ઉપાડ્યું. અંબાલાલ સારાભાઈનાં પુત્રી અને ડૉ. વિક્રમ સારાભાઈનાં બહેન મૃદુલા ગાંધીવાદી કાર્યકર્તા અને પંડિત જવાહરલાલ નહેરુના અત્યંત નિકટના વર્તુળમાં ગણાતાં. તેમની નિસબત અને પહેલથી ભારત અને પાકિસ્તાન વચ્ચે અપહૃત સ્ત્રી-બાળકો પાછા મેળવવા બાબતે સત્તાવાર કરાર થયા.
ગાંધીજી સાથે મૃદુલા સારાભાઈ/ Mridula Sarabhai with Gandhiji

આ કામગીરીમાં મૃદુલાબહેનને કેટલીક પ્રતિબદ્ધ બહેનોનો સાથ મળ્યો. તેમાંના એક એટલે નડિયાદમાં જન્મેલાં અને મૂળ સોજીત્રાનાં કમળાબહેન પટેલ. તેમણે મુખ્યત્વે પાકિસ્તાનમાં, એકંદરે અસહકારી અને વિરોધી વલણ ધરાવતી સરકારની સાથે પનારો પાડીને, સ્ત્રીબાળકોની પુનઃપ્રાપ્તિનું જે કામ કર્યું, તેના અનુભવો તેમણે 'મૂળસોતાં ઊખડેલાં’ શીર્ષક હેઠળ આલેખ્યા. ગુજરાતી વાચકોના કમભાગ્યે ઝવેરચંદ મેઘાણી આઝાદી પહેલાં અવસાન પામ્યા હતા. બાકી, તેમની કમળાબહેન સાથે મુલાકાત થઈ હોત અને કમળાબહેનના 'મૂળસોતાં ઊખડેલાં’ સહિતના અનુભવો મેઘાણી જેવા પ્રચંડ સર્જકને મળ્યા હોત તો આપણને 'માણસાઈના દીવા’ની કક્ષાનું, છતાં સાવ જુદા જ વિષયનું ગુજરાતી પુસ્તક મળ્યું હોત.

એ ભલે શક્ય ન બન્યું, પણ તેનાથી 'મૂળસોતાં ઊખડેલાં’નું મૂલ્ય જરાય ઓછું થતું નથી. તેમાં આલેખાયેલા સ્ત્રીઓ-બાળકોના પુનઃપ્રાપ્તિકાર્યમાં સ્ત્રીઓની ભૂમિકા મુખ્ય હતી, તે નોંધપાત્ર છે અને ગાંધીયુગમાં જાહેર જીવનમાં સ્ત્રીઓની સામેલગીરી સૂચવે છે. પાકિસ્તાનમાં સ્થિતિ અલગ હતી. કમળાબહેને લખ્યું હતું,'પાકિસ્તાન જોઈતા પ્રમાણમાં સ્ત્રી કાર્યકર્તાઓ મેળવવામાં સફળ રહ્યું નહીં. કોઈ પણ ક્ષેત્રે તેમ જ વહીવટી કામ કરી શકે એવી સ્ત્રી કાર્યકર્તાઓ પાકિસ્તાનમાં તે સમયે આંગળીને વેઢે ગણી શકાય એટલી જ હતી. પાક સ્ત્રી કાર્યકર્તાઓની જવાબદારીઓ નિભાવવાનો ભાર ઘણી વખત અમારા તંત્ર પર આવી પડતો. દેશ, ધર્મ, કોમ ઇત્યાદિના ભેદથી ઉપર જઈ અમારા તંત્રની બહેનોએ આ જવાબદારીઓ સફળતાથી પાર પાડી...’

પારકી (પાકિસ્તાનની) ભૂમિ પર, અપહરણ કરાયેલી સ્ત્રીઓને પાછી લાવવાની કામગીરી કેવી હતી, તેનાં વિગતવાર ઉદાહરણની વાત કરતાં પહેલાં, તેનો સાધારણ, ઉપરછલ્લો અંદાજ કમળાબહેનના શબ્દોમાં, ‘ઘર, કુટુંબથી દૂર છાવણીજીવનની કઠણાઈઓ વેઠતાં, પોલીસટુકડી સાથે સમય-કસમયે દૂરદૂરનાં ગામોમાં પુનઃપ્રાપ્તિ માટે જવાનું અને મોટે ભાગે 3-4 કિલોમીટર જેટલું અંતર પગે કાપવાનું. (વાહન ગામ સુધી ન લઈ જવાનો ઉદ્દેશ પોલીસ આવવાની ગંધ લાગતાવળગતાઓને જાય એટલે અપહૃત સ્ત્રીઓને આઘીપાછી કરાતી તે ટાળવાનો હતો.) અપહરણકર્તાને ત્યાં જઈ પોલીસ દમદાટી કરે પણ કાર્યકર્તા બહેનો તો ત્યાં હાજર સર્વની સાથે ભારોભાર સભ્યતા દાખવતી. સૌથી કઠિનતમ કાર્ય તો છળી ગયેલી અપહૃતાના સાંત્વન આપી, સમજાવી, મનાવી પોતાની સાથે આવવા તૈયાર કરવાનું રહેતું. અપહરણકર્તા અને તેમના મિત્રો તરફથી વખતોવખત જાન લેવાની ખુલ્લી ધમકીઓ કાર્યકર્તા બહેનોને મળતી. હર પળે તેમને જાનના જોખમના ભય નીચે જીવવાનું રહેતું.’

અને જેમનું અપહરણ થયું હોય એ સ્ત્રીઓની પીડાની શી વાત કરવી? ‘પોતાનાં સ્વજનો, પતિ, પિતા, ભાઈ વગેરેના હત્યારા સાથે ભયભર્યું જીવન એમણે ગુજારવાનું હતું. એટલું જ નહીં, પણ અપહરણકર્તા અને તેનાં કુટુંબીજનોનો ખુલ્લો તિરસ્કાર (વિધર્મી હોવાનો) નતમસ્તકે સહન કરી એ સૌની સેવામાં ખડે પગે રહેવું પડતું. એનું પોતાનું કહી શકાય એવું ત્યાં કોઈ જ ન હતું કે જેની પાસે તે પોતાનું દુઃખ ઠાલવી મન હલકું કરે. ધા નાખવા માટે કાયદો, કચેરી કે સરકાર એને માટે ન હતાં. કારાવાસમાંથી છૂટવાની આશાનું ઝાંખું કિરણ પણ તેની ક્ષિતિજમાં નજરે ન પડતું. પુનઃપ્રાપ્તિની યોજના શરૂ થઈ છે તે સાંભળીને આ કમભાગીઓને લાગેલું કે આ વળી તેમને ઓલામાંથી ચૂલામાં નાખવાને કોઈ તરકટ ઊભું કરવામાં આવ્યું હતું.’

અવિશ્વાસ ફક્ત પુનઃપ્રાપ્તિ યોજના માટે જ નહીં, પોતાનાં અસલી કુટુંબીજનો વિશે પણ રહેતો. સ્ત્રીઓને મોટી ચિંતા એ રહેતી કે એક વાર 'વિધર્મી પાસે ભ્રષ્ટ થયા પછી’ કુટુંબીજનો જ સ્વીકાર નહીં કરે તો પોતાનું શું થશે? તેના કારણે ઘણી સ્ત્રીઓ માંડ ગોઠવાયેલી નવી પરિસ્થિતિ છોડીને, પોતાનાં કુટુંબીજનો પાસે પાછા જવાનો ઇન્કાર કરતી હતી. ઘણી સ્ત્રીઓને રસ્તામાં બીજા કોઈના હાથે પડીને (પહેલી વાર કે કેટલાક સંજોગોમાં, વધુ એક વાર) વેચાઈ જવાનો પણ ડર લાગતો. ભારત પાછા ફર્યા પછી પોતાના કુટુંબ સાથે મેળમિલાપ થશે કે નહીં તેની અનિશ્ચિતતા રહેતી. ઘણી વાર કુટુંબના સભ્યો માટે વિવિધ છાવણીઓમાં તપાસ ચલાવવી પડતી.
આટલા ભયંકર સંજોગોની વચ્ચે અને પુરુષપ્રધાન માનસિકતાની શયતાની અભિવ્યક્તિ વચ્ચે માનવમનની ઋજુ અને અટપટી લાગણીઓ કેવી રીતે માર્ગ કાઢતી હતી, તેનાં થોડાં ઉદાહરણ બીજા ભાગમાં. 

3 comments:

  1. Very informative article. Heard about Mrudulaben and her work during partition, but Kamalaben was almost unknown. May I would like to read her book. It is difficult to obtain in USA. Will wait for the second part for more info. Thanks Urvish for such a nice article.

    ReplyDelete
  2. આટલું વાચ્યા પછી શું લખવું ,એજ નથી સમજાતું.અહીં શકય એટલું સમાવશો તો વધુ સારું.એક આખી પેઢી વિભાજનની વિભીષીકાથી અજાણ રહી ગઈ છે, ગઇગુજરી ભુલીને આગળ વધી જવું કદાચ માનવસહજ હશે તોપણ આવી વાત ભુલાવી ન જોઈએ.

    ReplyDelete