Wednesday, January 11, 2017

સરકારી અધિકારીઓનો વાઇબ્રન્ટ નોબેલ સંવાદ

(બોોલ્યુંચાલ્યું માફ)
વાઇબ્રન્ટ ગુજરાતના દ્વિવાર્ષિક સરકારી મહાધુમ્રોત્સવમાં આ વર્ષે નોબેલ પારિતોષિકથી સન્માનિત નવ વિજ્ઞાનીઓને બોલાવવામાં આવ્યા હતા. તેમની હારોહાર સાહેબ પોતાના હાથના પંજા પાડી આવ્યા. એ ઘટના પછીની ‘ભાવિ વ્યૂહરચના’ વિશે ચુનંદા અધિકારીઓની બેઠક મળે, તો તેમાં કેવી ભાવસભર ચર્ચા થાય? તેનો વાસ્તવિક લાગે એવો કાલ્પનિક અહેવાલ.

અધિકારી ૧ઃ તમે સૌ જાણો છો કે આપણે શાના માટે મળ્યા છીએ. સાહેબે નવ નોબેલવીરો સાથે હાથના પંજા તો પાડી દીધા, પણ તેમના ટીકાકારોએ હવે ‘અંગુઠાછાપ’ જેવો નવો શબ્દ લાવ્યા છેઃ‘પંજાછાપ’. એ મહેણાં મારે છે કે નોબેલવાળાની હરોળમાં પંજો પાડવો, એ બેશરમ ધુસણખોરી કહેવાય. (બીજા અધિકારી સામે જોઇને આગળ વધારવા ઇશારો કરે છે)

અધિકારી ૨ઃ આમ કહેવું એ ફક્ત ગુજરાતનું જ નહીં, હવે તો દેશનું અપમાન છે.  દેશવિરોધીઓ હજુ એ હકીકત સ્વીકારી શકતા નથી કે સાહેબ નોબેલ લીધા વિના જવાના નથી.  આપણી ચર્ચાનો મુદ્દો પણ એ જ છે કે સાહેબને કયા ક્ષેત્રનો નોબેલ મળવો જોઇએ.

અધિકારી ૧ઃ સાહેબને કયા ખાનામાં મુકવા એની મીઠી મુંઝવણ થાય છે. કેમ કે, તે નોબેલનાં બધાં ખાનાંમાં બંધ બેસે છે. સૌથી પહેલાં સૌથી જાણીતા વિષયની- સાહિત્યની વાત કરીએ.

અધિકારી ૩ઃ વિચાર આ ધન્ય છે. સાહેબનો કવિતાસંગ્રહ તેમને સાહિત્યનું નોબેલ અપાવવા માટે પૂરતો છે.

અધિકારી ૭ : એ કાવ્યસંગ્રહને ટાગોરના ‘ગીતાંજલિ’ની હરોળમાં મુકવો હોય તો નવી આવૃત્તિમાં તેનું નામ બદલીને ‘અસત્યો સાથે તું પ્રભુ પરમ તેજે જ લઇ જા’ એવું કરવું જોઇએ. તેનાથી ભારતીય સંસ્કૃતિનો ટચ પણ લાગશે.

બધા અધિકારીઓ (સમુહમાં) : બ્રિલિયન્ટ..

અધિકારી ૭ઃ  અને તેમના કાવ્યસંગ્રહને નોબેલ આપવા સામે કોઇને વાંધો હોય તો, ત્યાર પછી તેમનો બીજો સંગ્રહ આવ્યો નથી એ માટે પણ તેમને સાહિત્યનો નોબેલ મળી શકે.

(અધિકારી ૧-૨નાં ભવાં તંગ થાય છે. પણ તે ચૂપ રહે છે.)

અધિકારી ૧(સાંભળ્યું-ન સાંભળ્યું કરતો ખોંખારો ખાઇને) : શાંતિ માટેનો નોબેલ તો એમને ક્યારનો મળવો જોઇતો હતો...

અધિકારી ૨ઃ ૨૦૦૨ પછી ગુજરાતમાં એકેય રમખાણ થયું નથી એ કેટલી મોટી સિદ્ધિ છે.

અધિકારી ૭ઃ સાચી વાત છે. સાહેબ મુખ્ય મંત્રી હોય ને એકેય રમખાણ ન થાય...એ સિદ્ધિ કહેવાય... એમ જ ને? પણ સાહેબ મુખ્ય મંત્રી ૨૦૦૧માં થયા ન હતા?

અધિકારી ૧ઃ (કડક અવાજે અધિકારી ૭ને) તમને આ મિટિંગ માટે કોણે બોલાવ્યા?

અધિકારી ૭ઃ સોરી સાહેબ, હું તો ફક્ત ડાઉટ ક્લીઅર કરતો હતો, જેથી પ્લાનિંગમાં ક્લેરિટી રહે.

અધિકારી ૩ઃ તમે આ બધી વાતો કરો છે, પણ નોટબંધીમાં તો સાહેબને બબ્બે નોબેલ મળે તેમ છે.

અધિકારી ૧-૨ઃ બબ્બે શાના? અમે તો ફક્ત અર્થશાસ્ત્રના નોબેલની ગણતરી માંડી હતી.

અધિકારી ૩ઃ સાહેબની એ તો કમાલ છે. તેમનું એક લક્ષ્ય બીજા લોકો માટે હોય છે ને બીજું લક્ષ્ય પોતાના માટે. નોટબંધીથી અર્થશાસ્ત્રનો નોબેલ મળે એમાં કશી કમાલ નથી. પણ સવા અબજના દેશને બે મહિનાથી લાઇનમાં ઊભો રાખી દીધો છે. છતાં દેશમાં વ્યાપક સ્તરે  શાંતિ સ્થપાયેલી રહી, એ જેવીતેવી સિદ્ધિ છે? તેના માટે નોબેલથી ઓછું કંઇ ન હોઇ શકે.

અધિકારી ૨ઃ એમ તો રસાયણશાસ્ત્રમાં સાહેબને ક્યારનો નોબેલ મળી જવો જોઇતો હતો. પણ આ લોકોને આપણી કદર જ નથી હોતી. જુઓને, ગાંધીજીને પણ નોબેલ ન જ આપ્યો ને.

અધિકારી ૫ઃ (માથું ખંજવાળતાં) રસાયણશાસ્ત્રમાં એટલે...એક્ઝેક્ટલી કેવી રીતે?

અધિકારી ૧ઃ કેમ? ભૂલી ગયા? ગુજરાતમાં સાહેબે અલગથી લેબોરેટરી સ્થાપીને રીસર્ચ કરવાની ક્યાં જરૂર
છે? ગુજરાત પોતે વિશ્વની સૌથી મોટી ઓપન લેબોરેટરી છે. તેમાં સાહેબે કેવા ઘૂમધડાકાબંધ પ્રયોગો કરેલા છે. પણ નોબેલવાળા સમજે ત્યારે ને.

અધિકારીઓઃ (સમુહ ઉદ્‌ગારમાં) જિનીયસ...

અધિકારી ૨ઃ ભૌતિકશાસ્ત્ર- ફિઝિક્સમાં એમનું પ્રદાન તો બહુચર્ચિત છે જ. તેના વિશે ઘણું લખાઇ ચૂક્યું છે. પણ સાહેબ પોતે તેના માટે જશ લેવા નથી માગતા.

અધિકારી ૧ઃ મહાન વિજ્ઞાનીઓ પોતપોતાની ભાષામાં જ વિજ્ઞાનનાં સંશોધનો રજૂ કરે છે. એમ સાહેબે આપણી રાષ્ટ્રભાષામાં કહ્યું હતું, ‘હર ક્રિયાકી પ્રતિક્રિયા હોતી હૈ.’ ન્યૂટને એમાં જરા ઉમેરો કરીને ગતિનો ત્રીજો નિયમ બનાવી દીધો.

અધિકારી ૧ઃ કોઇ માણસ વહેલો જન્મી જાય એ જ એની કમાલ? ને કોઇ મોડો જન્મે એ તેનો વાંક? ન્યૂટન જેવી વૈચારિક ઊંચાઇ ધરાવનાર જણને ફિઝિક્સનો નોબેલ નહીં મળે તો કોને મળશે?

અધિકારી ૩ઃ નોબેલ નોબેલ પુરસ્કારનો હજુ એક વિષય રહ્યો- મેડિસીન.

(અધિકારી ૧-૨ એકબીજા સામે જોઇને ગહન વિચારમાં ડૂબી જાય છે.)

અધિકારી ૭ઃ તમે પણ શું, સાહેબો? એમાં તો સાહેબનો દાવો સૌથી વધારે મજબૂત છે.

અધિકારીઓઃ કેવી રીતે?

અધિકારી ૭ઃ સાહેબ તેમના ઑર્ગેનિક એનેસ્થેસિયાનો વર્ષોથી પ્રયોગ કરી રહ્યા છે. એમાં કોઇ કેમિકલ વપરાતું નથી અને તેની અસર પણ મર્યાદિત નથી. એની સૌથી મોટી ખૂબી એ છે કે એનેસ્થેસિયાની અસર નીચે રહેલા લોકોને ખબર પણ પડતી નથી. તેમને એવું જ લાગે છે કે તે સામાન્ય સ્થિતિમાં છે. આવા લોકો આગળ ઘટનાઓનાં ગમે તેટલાં ઑપરેશન કરો, ચીરફાડ કરીને અંદરનું બઘું બતાવો, પણ તે ઉંહકારો સરખો કરતા નથી.

અધિકારી ૧ઃ આ તો સુશ્રુત અને ચરક પછી મેડિકલ ક્ષેત્રે ભારતની સૌથી મહત્ત્વની શોધ કહેવાય. હજુ સુધી કોઇનું ધ્યાન કેમ નહીં ગયું હોય?

અધિકારી ૭ઃ કોઇનું એટલે કોનું? નોબેલવાળાનું?

અધિકારી ૨ઃ હા.

અધિકારી ૭ઃ (બેઠક પરથી ઉભા થતાં) સીધી વાત છે...આ કેસ, નોબેલનો નહીં, ઑસ્કારનો છે... ત્યાં એક્ટર-ડાયરેક્ટરથી માંડીને સાઉન્ડ રેકોર્ડિંગ, સીનેમેટોગ્રાફી, સ્પેશ્યલ ઇફેક્ટ્‌સ જેવી બધી કેટેગરીમાં તેમની સામે કોઇ ટકી નહીં શકે... વિચારી જોજો.

(અધિકારી ૭ની વિદાય સાથે બધા અધિકારીઓ ઑસ્કાર એવોર્ડનાં નોમિનેશન માટે શી વિધી છે, તેની ચર્ચા કરવા લાગે છે.)

5 comments:

  1. Thank you Urmish sir, very creative

    ReplyDelete
  2. આફરીન આફરીન.....
    drame article માટે 100 માંથી 101 Sir.

    ReplyDelete
  3. No Wonder! Everyone of us (A to Z) are silent spectators! No dissent in the hall of fame!

    ReplyDelete