Tuesday, January 10, 2017

આપણે શું પેદા કરીશું? નોબેલ-સહાયકો?

વિદ્યાસહાયકો’ની ભૂમિ એવા ગુજરાતમાં નવ-નવ નોબેલ સન્માનિતો આવવાના સમાચાર બેવડી લાગણી જગાડે છે. પહેલી તો, સ્વાભાવિક રીતે જ આનંદની અને ‘આવા મહેમાન આપણે આંગણે ક્યાંથી?’ની. અર્થશાસ્ત્રનાં (અને શાંતિ માટેનાં) નોબેલ સન્માન વિવાદાસ્પદ હોઈ શકે છે, પણ ગુજરાતની મુલાકાતે આવેલા મહાનુભાવો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને તબીબીશાસ્ત્ર જેવા નક્કર વિજ્ઞાનક્ષેત્રના શોધકો છે. સત્તાવાર નિવેદનમાં એવું કહેવાયું છે કે નવ નોબેલ-સન્માનિતો પહેલી વાર આ રીતે કોઈ દેશમાં કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે.

અભિભૂત થવા માટે અને ગુજરાતી તરીકેના ગૌરવથી છાતી ફુલાવી દેવા માટે આટલું પૂરતું નથી?  એના જવાબનો આધાર વાસ્તવિકતા સાથેના તમારા સંબંધ પર છે. એક સમૂહ ગૌરવતરસ્યો-ગૌરવઘેલો છે. તે ગુજરાતમાં દસ વર્ષ (એકંદરે) નિયમિત વરસાદ આવે, તો એ બદલ પણ ગૌરવ અનુભવી શકે છે અને વરસાદ આવતાં પહેલાં, આયોજનના અભાવને કારણે જીવ કેવા તાળવે ચોંટ્યા હતા, તે સહેલાઈથી ભૂલી જાય છે. આ વર્ગની આંખો ઝાકઝમાળ અને રોશનીથી એવી ટેવાઈ ગઈ છે કે કુદરતી પ્રકાશ તેમનાથી ખમાતો નથી. ગુજરાતના ગૌરવનો-ગુજરાતની અસ્મિતાનો તેમનો ખ્યાલ સદંતર સરકારી છે. આ સમૂહ ગુજરાત અને ગુજરાત સરકારને એક માને છે. ‘ગુજરાત એટલે ગુજરાતના લોકો’ એવું સમીકરણ કોઈ તેમને યાદ કરાવે તો તેમને વાંધા પડે છે. ‘ગુજરાત એટલે ગુજરાતના લોકો’ એવું કહેનાર ‘ગુજરાતવિરોધી’માં ગણાઈ જાય, એ ગુજરાતની સરકાર-સ્પોન્સર્ડ અસ્મિતાએ ફેલાવેલું પ્રદૂષણ છે - અને એ બાબતમાં સરકારની સફળતા નોંધપાત્ર છે.

કાશ, એવી સફળતા સરકારને શિક્ષણક્ષેત્રે નક્કર કામગીરી કરવામાં મળી હોત - અથવા જેટલી મહેનત - આવડત આભાસ ઉભો કરવામાં વાપરી, તેટલી ખરેખર કામ કરવામાં વાપરી હોત, તો ગુજરાતનો ઉદ્ધાર થઈ ગયો હોત. પરંતુ ગુજરાતના શિક્ષણની સ્થિતિ સૌ જાણે છે. એ જુદી વાત છે કે બધા એ વિશે બૂમો પાડતા હોવા છતાં અને તેનાથી સીધી કે આડકતરી રીતે પીડિત હોવા છતાં, તેમાં સરકારની સીધી અને ઉઘાડી જવાબદારીની વાત થતી નથી. શિક્ષણના નામે સરકાર કાર્યક્રમબાજીમાં પડી જાય, અવનવા ઉત્સવો અને પ્રોજેક્ટના આંકડાના ખડકલા કરે, પણ જમીની પરિણામ? વ્યક્તિગત રીતે જાણવું હોય તો વાલીઓને પૂછવું અને વ્યાપક રીતે જોવું હોય, તો ‘પ્રથમ’ જેવી સંસ્થાના શિક્ષણની ગુણવત્તા સૂચવતા વાર્ષિક અહેવાલ જોવા.

નવ નોબેલ સન્માનિતોને એક સાથે બોલાવીને છાકો પાડી દેવા માગતી ગુજરાત સરકારે રાજ્યનું શિક્ષણ વર્ષોથી વિદ્યાસહાયકો-અધ્યાપકસહાયકોના હવાલે કર્યું છે. રૂપાળાં નામ ધરાવતા આ હોદ્દા સરકારી રાહે પાંચ વર્ષ સુધી થતા સત્તાવાર શોષણનો પર્યાય છે. વાઇબ્રન્ટ જેવા ઓચ્છવોમાં કરોડોનાં આંધણ કરતી અને દુનિયાભરમાં પોતાની આર્થિક આગેકૂચના ડંકા વગાડાવતી ગુજરાત સરકાર પાસે પોતાની ભાવિ પેઢી તૈયાર કરવા માટેના રૂપિયા નથી. નોબેલ સન્માનિતોનું એક સેશન સરકારી શોષણનો ભોગ બનેલા વિદ્યાસહાયકો-અધ્યાપકસહાયકો સાથે પણ ન થવું જોઈએ જેથી તેમને ખબર પડે કે તેમણે ક્યાં અને કોને પ્રેરણા આપવાની છે. મેડિકલ ક્ષેત્રે નોબેલ સન્માન મેળવનારને કોઈ એ પણ કહેજો કે તમે અમુક કૉલેજમાં અમુક ગેંગના સાહેબોની સામે પડીને પાસ તો થઈ બતાવો - નોબેલ તો બહુ દૂરની વાત છે.

જશ લેવા માટે દોડી પડતી સરકારની મૂળભૂત પ્રકૃતિ જૂઠું બોલવાની હોય છે. શિક્ષણ એક એવું ક્ષેત્ર છે, જેમાં સરકાર ગમે તેટલાં જૂઠાણાં ચલાવે, પણ નાગરિકો અસલિયત જાણતા હોય છે. કારણ કે, શાળામાં ભણતાં બાળકો, તેમાં કામ કરતા કર્મચારીઓ-શિક્ષકો-અધ્યાપકો વ્યાપક નાગરિક સમુદાયમાંથી આવે છે. છતાં, આ સૌ કોઈ શિક્ષણક્ષેત્રની પોતાની મુશ્કેલીઓ માટે સરકારનો કાન પકડવા જેટલાં સંગઠિત કે અસરકારક બની શકતાં નથી.

સિલિકોન વેલીમાં દબદબો ધરાવતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નૉલોજી (આઈ.આઈ.ટી.)ના એન્જિનિયરોની આખી પેઢીમાંથી ઘણાનાં પ્રાથમિક ભણતર સરકારી-મ્યુનિસિપાલિટીની નિશાળોમાં થયાં હતાં. કોઈ પણ દેશના સાચા વિકાસ અને સાચી પ્રગતિ માટે તેની જાહેર નિશાળો અને જાહેર આરોગ્યની વ્યવસ્થાની ‘તબિયત’ તપાસવી પડે. ગુજરાતમાં સરકારી નિશાળોની ઉડી ગયેલા બલ્બ જેવી હાલત કરવામાં સરકાર સિવાય બીજા કોને જવાબદાર ઠેરવી શકાય? શોપિંગ સેન્ટરની જેમ અને ઘણી જગ્યાએ તો ખરેખર શોપિંગ સેન્ટરોમાં ખૂલી ગયેલી શાળાઓ શું સરકારની મંજૂરી વિના ચાલે છે? અને એવી શાળાઓ માટે જવાબદારી કોની? તોતિંગ ફી લેતી ખાનગી નિશાળોમાં સંચાલકો દ્વારા થતું શિક્ષકોનું શોષણ અને પૂરતી લાયકાત વગરના શિક્ષકો - આવાં બધાં પાપ નોબેલસન્માનિતો આવ્યાના રાજીપામાં ભૂંસી નાખવાનાં?

ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં આચાર્યો અને અધ્યાપકોની અઢળક જગ્યાઓ ખાલી છે. છઠ્ઠા પગારપંચનો તોતિંગ પગાર લેનારા અધ્યાપકોમાંથી ઘણા કામચોરી કરે છે અને અધ્યાપકસહાયક તરીકે પાંચ વર્ષ સુધી મામૂલી પગારે રખાયેલો જણ તૂટી મરે છે. ખાનગી કૉલેજોમાં ચાલતી શોષણખોરી અને ગેરરીતિઓ, માફિયાનાં રાજ અને ટોળકીઓનાં શાસનમાં પહેલો ભોગ શિક્ષણની ગુણવત્તાનો લેવાય છે. કૉલેજના આચાર્યો કે વિભાગીય વડાઓને સંચાલકો આગળ લળી પડતા કે તેમની દાઢીમાં હાથ નહીં, પોતાનું આખેઆખું અસ્તિત્ત્વ સમાવી દેતા જોઈને હસવું કે રડવું એ સમજાતું નથી. એક સમયે સારા અધ્યાપકો અને સારી ગુણવત્તા ધરાવતી કેટલીક યુનિવર્સિટીઓની અવદશા માટે સરકારોને કેમ જવાબદાર ન ઠેરવવી? અને ‘આ સ્થિતિને સુધારવા માટે તમે શું કરવા ઇચ્છો છો? અથવા શું કર્યું?’ એવા સવાલ શિક્ષણમંત્રીને કે મુખ્યમંત્રીને કેમ ન પૂછવા?

પણ સવાલ પૂછવાનું બાજુ પર રહ્યું, નાગરિક તરીકે આપણે તેમના જૂઠા દાવા ને જૂઠાં બણગાં સાંભળી લઈએ છીએ. એટલે તેમને ફાવતું જડે છે. અવનવા ઉત્સવોના ઘોંઘાટમાં તે વાસ્તવિકતાનો - અસંતોષનો અવાજ દબાવી દે છે. એ તેમની સફળતા જેટલી જ નાગરિકસમાજની નિષ્ફળતા છે.

બૂંદ સે બિગડી, હૌજ સે નહીં આતી - એ કહેણી જૂની થઈ. બ્રાન્ડિંગ, પોઝિશનિંગ અને ઇમેજ બિલ્ડિંગના - ટૂંકમાં, જે જેવું નથી તેવું દેખાડવાના - આ યુગમાં દરેક પ્રકારનો સડો ઢાંકવા માટેના રેશમી ગાલીચા મોજૂદ છે અને એવી કોઈ દુર્ગંધ નથી, જે મોંઘાંદાટ અત્તરની સુગંધ તળે દબાઈ ન જાય. વાઇબ્રન્ટ ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે કુલ 157 એમઓયુ થવાના છે. હજારો કરોડ રૂપિયાનાં રોકાણની વાત છે. બરાબર છે. પણ જે થવાનું છે તેનાં ઢોલ વગાડવાથી વર્તમાન સ્થિતિની જવાબદારીમાંથી સરકારને છુટ્ટી મળી જતી નથી. એવી જ રીતે, નોબેલ સન્માનિતોની હાજરી અને તેમના મહિમાનો ઉપયોગ શિક્ષણક્ષેત્રની કરુણ-શરમજનક - કૌભાંડી વાસ્તવિકતાઓને, સરકારના ગેરવહીવટ - તેની નિષ્ફળતાઓને ઢાંકવા માટે ન થાય, એની કાળજી રાખવા જેવી છે.

9 comments:

  1. ઠંડી ઠંડી કા મૌસમ આયા. આયા મૌસમ ગરમ ગરમ એમ ઓ યુ કા. વાહ ઉર્વીશ ભાઈ

    ReplyDelete
  2. Anonymous10:41:00 PM

    -અને એવી કોઈ દુર્ગંધ નથી,જે મોંઘાદાટ અત્તરની સુગંધ તળે દબાય ન જાય....સાચુ અને હવે તો અરેબિયા ના અત્તર શા માટે જોઇએ એ પણ કોઈને ખબર નથી!!

    ReplyDelete
  3. I really appreciate your views or should I say your verbal fight on the fake reality of our government! Please do continue to aware people with such 'naked-truths'.

    ReplyDelete
  4. Anonymous12:14:00 AM

    One of noble prize winners, mentioned about peace, is one of tenets od noble prize which is very against the premise of the role of this Government in Riots of 2002!

    ReplyDelete
  5. Anonymous12:14:00 AM

    One of noble prize winners, mentioned about peace, is one of tenets od noble prize which is very against the premise of the role of this Government in Riots of 2002!

    ReplyDelete
  6. કેટલાય ને ખબર ન હતી કે ૬ ઠ્્ઠા પગાર પંચ એમનેા આટલો બધો પગાર થઈ જશે. ને સામે પક્ષે વિદ્યા સહાયકો નું શોષણ થયું .

    ReplyDelete
  7. ઉર્વીશભાઈ જોરદાર...

    ReplyDelete
  8. Anonymous4:36:00 PM

    ઉત્તમ અને માહિતી સભર લેખ,
    પણ હું કે તમે વાંચીએ તો કાઈ નહીં વળે,
    જે દોષી છે એ વાંચે અને સ્વીકારે અને સુધારે તો કાંઈક થાય... નીરવ જાની.

    ReplyDelete