Thursday, January 05, 2017

રૂ.19,700 કરોડનાસીધા સવાલ

રાજ્ય સરકારની એક પેટ્રોલિયમ કંપની છે. તે મોટા ફાયદાનો દાવો કરીને એક ધંધો શરૂ કરે છે. દાવો ખુદ મુખ્ય મંત્રીએ કર્યો છે. એટલે તેને અનુરૂપ કંપનીમાં કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. પણ કશો ફાયદો નથી. નકરું દેવું થાય છે.

ફાયદો થવાનો પણ નથી. કારણ કે પાયામાંથી નુકસાનનો ધંધો છે એવું નિષ્ણાતો કહી ચૂક્યા છેછતાં કંપની પ્રોજેક્ટમાં રૂપિયા નાખ્યા કરે છે. કારણ કે રૂપિયા કંપનીના નથી. (મોટે ભાગે જાહેર ક્ષેત્રની બેન્કોના છે.)જેમાંથી સરવાળે કશું નીપજવાનું નથી એવાં કામ પેટે કંપની કોન્ટ્રાક્ટ આપે. એટલે કોન્ટ્રાક્ટના સાચાખોટા મહેનતાણા પેટે  બીજી કંપનીઓને કમાણી થાય. બીજી કંપનીઓ કોની છે ને ખાસ તો તેના સાચા લાભાર્થી કોણ છે, તે જાણવા મળતું નથી. પરંતુ સત્તાવાર રીતે જેટલી માહિતી મળે છે, તે આઘાતનો જબ્બર આંચકો આપવા માટે પૂરતી છે:રાજ્ય સરકારની કંપની 11 વર્ષમાં રૂ. 19,700 કરોડનું દેવું કરીને બેઠી છે, પ્રોજેક્ટમાંથી એક પૈસાની આવક થઇ નથી અને તેને હદે ખોટના ધંધામાં ઉતારનાર મુખ્ય મંત્રી હવે વડાપ્રધાન બનીને દેશનો ઉદ્ધાર કરવામાં વ્યસ્ત છે.

ખોટના ધંધા કરતી કંપનીને રૂ.19,700 કરોડ જેટલી રકમ ધીરી કોણે? મોટો હિસ્સો જાહેર ક્ષેત્રની બેન્કોએ. મતલબ, બેન્કોને ખાલી કરવામાં વિજય માલ્યા એકલા નથી. ખરેખર તો માલ્યા જેવા એકાદ જાણીતા બદનામને લીધે બીજા બધાને બહુ ફાયદો થાય છે. લોકો વિજય માલ્યાની વાર્તાઓ સાંભળીને, કકળાટ મચાવીને પોઢી જાય છે. અને માલ્યા કરતાં મોટા ખેલાડીઓ છૂટા ફરે છે. તે લોકોને દેખાતા નથી અને સચ્ચાઇને નજરઅંદાજ કરતા પોસ્ટ-ટ્રુથ જમાનામાં, ઘણા લોકોને સામે ઊભેલી હકીકત ધરાર જોવી નથી.

અહીં જે કંપનીની વાત છે તે ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન- GSPC.  વાઇબ્રન્ટ ગુજરાતનાં બીજાં અનેક હાડપિંજરોની જેમ મામલો ભૂલાઇ ચૂક્યો હતો, પણ ગયા સપ્તાહે GSPCનો સૌથી ખર્ચાળ અને તેને ખાડામાં ઉતારનાર આખેઆખો પ્રોજેક્ટ ONGC ખરીદી લીધો છે. એટલે નવેસરથી GSPCનું રૂ.19,700 કરોડનું દેવું ચર્ચામાં આવ્યું છે. એવું દેવું, જેનું વાર્ષિક વ્યાજ રૂ.1,800 કરોડ થાય છે.  GSPCના મહાખોટ કરનારા પ્રોજેક્ટને ONGC આશરે 1 અબજ ડોલર (રૂ.6,750 કરોડ)માં ખરીદ્યો છે. સિવાય GSPC દ્વારા ભવિષ્યમાં થનારી ગેસની બીજી કેટલીક શોધો પેટે આશરે રૂ.1,500 કરોડ ઠરાવાયા છે. બધું મળીને ONGC GSPCને 1.2 અબજ ડોલર (આશરે રૂ. 8,160 કરોડ) ચૂકવવાનો નિર્ણય લીધો છે.

સાંભળીને સૌથી પહેલો વિચાર આવે કે અઢળક નફો કરતી કેન્દ્ર સરકારની કંપની ONGC રાજ્ય સરકારની સલવાઇ ગયેલી GSPCનો મોક્ષ કરી નાખ્યો. સોદાની વિગતો જાહેર થયા પછી GSPCના દેવાનું શું થયું, તેની સ્પષ્ટ થઇ હતું. એક આશંકા એવી પણ હતી કે GSPCનું દેવું પણ ઓઢીને ONGC તેને સંપૂર્ણપણે ઉગારી લેશે.


પરંતુ ગઇ કાલના એક અહેવાલ પ્રમાણે, GSPC- ONGC સોદામાં રૂ.19,700 કરોડના દેવાનો સમાવેશ થતો નથી. ONGCનો દાવો એવો છે કે GSPC દ્વારા ઉભી કરવામાં આવેલી માળખાગત સુવિધાઓ ખરીદીને તેમાંથી કમાણી કરી શકે છે. દાવો સાચો હોય તો પણ, ONGC હવે ઝાઝા વિલંબ વિના ગેસનો ધારેલો જથ્થો હસ્તગત કરીને, તેના રૂ.6,750 કરોડના રોકાણને વાજબી ઠરાવવાનું રહેશે.

GSPC-ONGC સોદામાં ધારો કે કશો ગોટાળો હોય, તો પણ અત્યંત મહત્ત્વના મુદ્દા ઊભા રહે છે, જેના જવાબ તત્કાલીન મુખ્ય મંત્રી-વર્તમાન વડાપ્રધાને અને સંબંધિત અધિકારીઓએ લોકોને આપવાના રહે છે.

1.  રૂ.19,700 કરોડનું દેવું થયું, તો રકમ GSPC ક્યાં અને કેવી રીતે ખર્ચી? ONGC અત્યારના ભાવ પ્રમાણે માળખાકીય સુવિધાઓ સહિત બધો સરવાળો કરીને GSPCને રૂ.6,750 કરોડ ચૂકવવાનું ઠરાવ્યું છે. તો બાકીના આશરે રૂ.13,000 કરોડનો ખર્ચ GSPC ક્યાં કર્યો? (અને તેનો મોટો હિસ્સો આખરે કોની તિજોરીમાં પહોંચ્યો?)  માળખાકીય સુવિધાઓની સ્થાપનકિંમત કરતાં વેચાણકિંમત ઓછી ગણીએ તો પણ, તફાવત રૂ.13,000 કરોડ જેટલો હોય?

2. GSPC તરફથી કોન્ટ્રાક્ટનાં કામ પૂરતો અનુભવ હોય એવી કંપનીઓને કેમ અપાયાં? તેના અસલી લાભાર્થી કોણ હતા?

3. વર્ષ 2005માં મુખ્ય મંત્રીપદેથી નરેન્દ્ર મોદીએ 20 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસનો જથ્થો મળ્યાનો દાવો કર્યો હતો. બે વર્ષમાં ગેસનું જથ્થાબંધ ઉત્પાદન શરૂ થઇ જશે એવો તેમનો વાયદો હતો. પછી ડાયરેક્ટરેટ ઓફ હાઇડ્રોકાર્બન્સે તપાસ કરીને કહ્યું કે ગેસનો જથ્થો આશરે 2 ટ્રિલયન ક્યુબિક ફીટ (મોદીના દાવા કરતાં 90 ટકા ઓછો) છે. ONGCના ભૂતપૂર્વ વડા અશોક વર્માએ લખ્યું છે કે બે ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસમાંથી અડધો કાઢી શકાય એમ છેઅને તે પણ સીધેસીધો નીકળી શકે એમ નથી. કારણ કે,તેમાં ટેકનોલોજીના પ્રશ્નો પૂરેપૂરા ઉકલ્યા નથી.

4. તત્કાલની મુખ્ય મંત્રી મોદીના રાજમાં, ગેસના ખજાનાની જાહેરાત પછી, GSPC કશા અનુભવ વિના વિદેશોમાં ગેસબ્લોક ખરીદ્યા. તેમાં અગિયારમાંથી દસ બ્લોક પાછા આપી દેવા પડ્યા ને રૂ.1,700 કરોડ ચટણી થઇ ગયા.

5. માર્ચ, 2012માં રજૂ થયેલા કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ-કેગ-ના અહેવાલમાં જણાવાયું કે અનેક ભૂલભરેલાં રોકાણ અને વહીવટી નિર્ણયોને લીધે GSPCને રૂ.7,000 કરોડની ખોટ ગઇ. ( ખર્ચ ક્યાં વપરાયો ને તેનો નોંધપાત્ર હિસ્સો કોની તિજોરીમાં ગયો, સંતોષકારક રીતે સ્પષ્ટ થતું નથી.) અહેવાલમાં નોંધાયું હતું કે કંપનીએ ગેસ શોધવા પાછળ કરેલો વાસ્તવિક ખર્ચ મૂળ અંદાજ કરતાં લગભગ 13 ગણો વધારે હતો. 2016માં ફરી કેગે રૂ.19,700 કરોડના રોકાણ બદલ GSPCની ટીકા કરી અને કહ્યું કે માર્ચ 2011માં કંપનીનું દેવું રૂ.7,126 કરોડ હતું, જે ચાર વર્ષમાં વધીને  (લોકસભાની ચૂંટણી પહેલાં) માર્ચ 2015માં રૂ.19,700 કરોડ થયું છે.

2012માં કેગનો અહેવાલ આવ્યો ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય મંત્રી હતા. વખતે તેમણે અહેવાલની ગૃહમાં વિગતે ચર્ચા થાય તેવો વ્યૂહ ગોઠવ્યો હતો. હવે તે દેશના વડાપ્રધાન થઇ ગયા, એટલે મુખ્ય મંત્રી તરીકે તેમના રાજમાં થયેલા રૂ.19,700 કરોડના ગેરવહીવટની જવાબદારીથી પર થઇ ગયા ગણાય? ગેરરીતિનો તેમની પર ડાઘ સુદ્ધાં લાગેઘણા ભાવિક ને ઘણા ભોળા લોકો માટે આવા પ્રશ્નો અપ્રસ્તુત છે. તેમના માટે નરેન્દ્ર મોદીનું એકલા (પરિવાર વગરના) હોવું, તેમની પ્રામાણિકતાની સૌથી મોટી અને સંપૂર્ણ સાબિતી છે

ભડભડતી મહત્ત્વાકાંક્ષા પરિવાર જેટલું કે એના કરતાં પણ મોટું ભ્રષ્ટાચાર માટેનું પ્રેરક બળ હોઇ શકે છે, એટલી સાદી, બિનવ્યક્તિગત માનસશાસ્ત્રીય સચ્ચાઇ પણ તે સ્વીકારવા માગતા નથી

1 comment:

  1. Anonymous11:59:00 PM

    Your write-up and the issues, raised, loss to the Bankers, and depositors who had their saving accounts. Siphoning and adjusting to such great losses, could well be asked from Bankers, Apex Bank, catalysts who vouchsafe the interest of citizens hard earned funds. Honest economist's study and observation could further elaborate.

    ReplyDelete