Wednesday, April 26, 2023
દાંતનો દુખાવો
આસ્તિકો માને છે કે ‘દાંત આપનાર ચાવણું (ચવાણું નહીં) પણ
આપશે.’ તે વિશે
મતમતાંતર હોઈ શકે છે, પણ એક વાત નક્કી છેઃ દાંત આપનાર દાંતનો દુખાવો પણ આપે છે. (દાંતમાં
દાઢનો પણ સમાવેશ ગણી લેવો)
એવી કથા સાંભળેલી કે ઇસુ ખ્રિસ્તને વધસ્તંભે લઈ જતા હતા, ત્યારે એક માણસને તેના દુખતા દાંતની પરવા હતી. આ વાત ભલે તે માણસની અસંવેદનશીલતાની ટીકા માટે હોય, પણ એક વાત નકકી છેઃ તે કથા રચનારને પોતાને કદી દાંતનો દુખાવો નહીં થયો હોય. બાકી, તેને સમજાયું હોત કે દાંતના દુખાવાની પીડા ઉપડ્યા પછી માણસને ઇસુ ખ્રિસ્તના નહીં, પોતાના વધસ્તંભની પીડા પણ ગૌણ લાગી શકે. કારણ કે, તે પીડા અભૂતપૂર્વ હોય છે.
મહાન સર્જકો પરકાયાપ્રવેશ કરીને બીજાનાં મનોજગત આલેખી શકે છે, પણ સ્વાનુભવ વિના બીજાના દાંતની પીડાનું આલેખન લગભગ અશક્ય છે. તે સચ્ચાઈ પહેલી વાર દાંતની પીડા ઉપડે ત્યારે જ સમજાય છે. સાથે એ પણ ખ્યાલ આવે છે કે આપમુઆ વિના સ્વર્ગે ભલે ન જવાય, પણ નરકે તો જઈ શકાય છે. કેમ કે, દાંતમાં ઉપડેલી ભયંકર પીડા સદેહે નરકનો અનુભવ કરાવે એવી હોય છે.
દાંતનો દુખાવો ઉપડવાનું કોઈ તત્કાળ કારણ હોય એવું જરૂરી નથી. માણસ હસતો-રમતો હોય અને અચાનક તેની મુખરેખાઓ વંકાઈ જાય છે, મોંમાંથી હળવો સીસકારો નીકળી જાય છે. તેને થાય છે કે અચાનક મોંમાં જઈને કોણ પીડાબોમ્બ ફોડી આવ્યું. જડબું આમતેમ હલાવીને, તે પીડા પર કાબૂ મેળવવા પ્રયાસ કરે છે. ત્યારે તેને ખ્યાલ નથી હોતો કે યે તો અભી ઝાંકી હૈ.
ઘણા કિસ્સામાં પીડા બેસી જાય છે, પણ કેટલીક વાર સમય જતાં દુખાવાની માત્રા વધવા લાગે છે અને માણસને સમજાતું નથી કે તેની સાથે આ શું અને શા માટે થઈ રહ્યું છે. પહેલી વાર પ્રેમમાં પડનાર જેવી વિશિષ્ટ, મૂંઝવણભરી અનુભૂતિ તેને થાય છે. ન બેસવાથી સારું લાગે, ન ચાલવાથી, ન સુવાથી સારું લાગે, ન જાગવાથી, પણ આ પીડા મીઠી નહીં, અસહ્ય હોય છે. કર્મફળમાં માનતા લોકોને થાય છે કે નક્કી ગયા જન્મનાં કર્મો આ જન્મે આંટી ગયાં લાગે છે. પ્રામાણિક માણસો પોતાનાં આ જન્મનાં કર્મો વિશે વિચારતા થઈ જાય છે.
સામાન્ય માણસોને દાંતના ડોક્ટરની જરૂર પડતી નથી. એટલે ફેમિલી ડોક્ટર હોય, તેમ દાંતના ફેમિલી ડોક્ટર, કમ સે કમ અમુક ઉંમર સુધી, હોતા નથી. બીજી તરફ દુખાવાગ્રસ્તની પીડા એવા અસહ્ય સ્તરે પહોંચે છે કે તેને પકડ, સાણસી, હથોડી જેવાં ઘરગથ્થુ ઓજારો વડે દુખતા દાંતનું ઉચ્છેદન કરી નાખવાના વિચાર આવે છે. પહેલાં દુખાવો કાબૂમાં રાખવા અને પછી તેની માત્રા ખૂબ વધી જતાં, દુખાવો સહી શકાય તે માટે તે મોમાં લવિંગ રાખે છે, પાણી ભરેલું રાખે છે, દુખતો ભાગ બહારથી ને અંદરથી દબાવી જોવા પ્રયાસ કરે છે, એ તરફ બરફનો ગાંગડો રાખે છે—પરંતુ દુખતો દાંત ગાંઠતો નથી.
પરિવારજનોમાંથી કોઈને દાંતના દુખાવાનો અનુભવ ન હોય તો તેમને નવાઈ લાગે છે કે આને અચાનક શું થઈ ગયું? આટલી બધી હાયવોય કેમ કરે છે? દાંતની અસર મગજ પર થાય કે કેમ, એ વિશે પણ તે ઇન્ટરનેટ પર સર્ચ કરી જુએ છે. પરંતુ ઘરમાં એકાદ અનુભવી હોય તો તે તરત સમજી જાય છે અને દાંતના ડોક્ટરને ફોન કરે છે. દુખાવાનો પ્રકાર જાણ્યા પછી, દર્દીને તપાસતાં પહેલાં તે દુખાવાશામક ગોળી આપે, ત્યારે દર્દીને પહેલાં તો શંકા જાય છે. તેને લાગે છે કે આટલી અમથી ગોળીથી મરણતોલ લાગતો દુખાવો શી રીતે મટશે? પણ તેને બંદૂકની ગોળીની અસર યાદ આવતાં, તે ગોળીના કદને બદલે તેની અસર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ‘હવે મારાં દુઃખોનો અંત હાથવેંતમાં છે’ એવી હાશ અનુભવે છે. તેના દુઃખનો ઇન્ટરવલ પડ્યો છે અને ધ એન્ડ તો હજુ ઘણો દૂર છે—એ કઠોર વાસ્તવિકતાથી તે અજાણ હોય છે.
ગોળીઓથી દુખાવો શમી ગયા પછી દર્દીને આવતો પહેલો વિચાર એ હોય છે કે ‘હવે ડોક્ટરને ત્યાં જવાની શી જરૂર?’ પણ ભારે ગોળીઓની ઓસરતી અસર અને સંભવિત આડઅસરથી તેની સાન ઠેકાણે આવે છે અને કાશીએ કરવત મુકાવવા જતો હોય એવી ગંભીર તૈયારી સાથે તે ડોક્ટર પાસે જવા તૈયાર થાય છે. ઘણા લોકોએ દાંતના ડોક્ટરની કામગીરી જોઈ નથી હોતી. એટલે તેમના મનમાં અવનવાં કલ્પનાચિત્રો રચાય છે, જેમાં તે દોડતો હોય અને દાંતના ડોક્ટર પક્કડ હાથમાં લઈને તેની પાછળ દોડતા હોય, પાછળ તેમનો આખો સ્ટાફ પણ ધસી આવતો હોય અથવા દવાખાનાનો યુનિફોર્મ પહેરેલા ચાર લોકોએ તેને પકડ્યો હોય અને દાંતના ડોક્ટર હાથમાં હથોડી ને ડિસમિસ લઈને, તેમના દાંત દેખાય એવું અટ્ટહાસ્ય કરતા હોય. દાંતના ડોક્ટરો ને દવાખાનાં વિશે સાંભળેલી રમૂજો યાદ આવી જાય છે અને ‘ડોક્ટર મારી ચીસ સાંભળીને નાસી ગયેલા લોકોનું બિલ મારી પાસેથી વસૂલ નહીં કરે ને’—એવો વિચાર પણ આવી જાય છે.
આવી મનોસ્થિતિમાં દાંતના દવાખાને
પહોંચ્યા પછી શરૂ થતા નવા અનુભવની વાત આવતા અઠવાડિયે.
Monday, April 17, 2023
ગાંધીજી આજે પણ પ્રસ્તુત છે. આ રહ્યાં તેનાં દસ કારણ : રામચંદ્ર ગુહા
(ગાંધીજીની હત્યાની 75મી તિથીએ રામચંદ્ર ગુહાએ લખેલા લેખનો ગુજરાતી અનુવાદ. મૂળ લેખની લિન્ક )
કારણ 1
ગાંધીજીએ ભારતને અને જગતને અન્યાયી સત્તાધીશો
સામે હિંસાના પ્રયોગ વિના લડવાનું સાધન આપ્યું. નવાઈની વાત એ છે કે સત્યાગ્રહના
વિચારનો જન્મ જોહાનિસબર્ગના એમ્પાયર થિએટરમાં સપ્ટેમ્બર 11, 1906ના રોજ થયો હતો,
જ્યાં રંગભેદગ્રસ્ત કાયદાનો વિરોધ કરવા માટે ગાંધીજીના નેતૃત્વ હેઠળ ભારતીયોની સભા
મળી હતી. તેનાં 95 વર્ષ પછી ત્રાસવાદીઓએ વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર ઉડાડી દીધું. બે 9/11 : એકમાં અહિંસક
લડતના રસ્તે ન્યાયની માગણી તથા અંગત બલિદાન; બીજામાં હિંસા
અને બળપ્રયોગના રસ્તે શત્રુને ડારવાનો ઇરાદો.
ઇતિહાસે દર્શાવી આપ્યું છે કે અન્યાયનો મુકાબલો કરવાના મામલે બીજા વિકલ્પોની સરખામણીમાં સત્યાગ્રહ વધારે નૈતિક તેમ જ વધારે અસરકારક નીવડ્યો છે. દક્ષિણ આફ્રિકામાં અને ભારતમાં તેના પ્રયોગો પછી ગાંધીજીની એ પદ્ધતિનું અનુકરણ બીજાં ઘણાં ઠેકાણે થયું, જેમાં અમેરિકામાં કાળા લોકોએ આદરેલી નાગરિક અધિકારોની લડત સૌથી નોંધપાત્ર હતી.
કારણ 2
દેશ અને દેશની સંસ્કૃતિ માટેનો ગાંધીજીનો પ્રેમ,
જેના કારણે તેમાં રહેલી અનેક વિકૃતિઓને ઓળખીને તેને સુધારવા માટે તેમણે પ્રયાસ
કર્યો. ઇતિહાસકાર સુનિલ ખીલનાનીએ એક વાર કહ્યું હતું કે ગાંધીજી ફક્ત અંગ્રેજો
સામે જ નહીં, ભારત સામે પણ લડી રહ્યા હતા. ગાંધીજી તેમના-આપણા સમાજમાં રહેલી
ઊંડી અને વ્યાપક અસમાનતાને પિછાણતા હતા. અસ્પૃશ્યતા
સામેની તેમની ઝુંબેશ ભારતીયોને સ્વરાજ માટે વધુ લાયક બનાવવાની ઇચ્છાનું પરિણામ
હતી. તે નખશીખ નારીવાદી ન હોવા છતાં, મહિલાઓને જાહેર જીવનમાં આણવા માટે તેમણે ઘણું
કર્યું.
કારણ 3
ધર્મિષ્ઠ હિંદુ હોવા છતાં તેમણે ધર્મના આધારે
નાગરિકતાના ખ્યાલનો ઇન્કાર કર્યો. જ્ઞાતિપ્રથાએ હિંદુઓને ઊભા વહેર્યા છે, તો ધર્મે ભારતને આડું વહેર્યું છે. આ ઊભા અને
ઘણી વાર ઐતિહાસિક રીતે આમનેસામને રહેલા વિભાગો વચ્ચે સેતુ બનાવવા માટે ગાંધીજી મથતા
રહ્યા. હિંદુ-મુસલમાન એકતા તેમની કાયમી નિસબત રહી. એના માટે તે જીવ્યા અને આખરે, તેના માટે મૃત્યુ વહોરવા પણ તૈયાર રહ્યા.
કારણ 4
ગુજરાતી સંસ્કૃતિમાં તરબોળ હોવા છતાં અને
ગુજરાતી ભાષા પર તેમનું પ્રભુત્વ હોવા છતાં, તે સંકુચિત
પ્રાંતવાદી ન હતા. પોતાના સિવાયના ધર્મો માટે તેમના મનમાં આદરપ્રેમ હતાં. એવી જ
રીતે ગુજરાતી સિવાયની ભાષાઓ માટે પણ તેમના મનમાં આદરભાવ રહ્યો. ભારતના ધાર્મિક અને
ભાષાકીય વૈવિધ્ય માટેની તેમની સમજ વિદેશનિવાસ દરમિયાન વધારે ઊંડી બની, જ્યાં તેમના સાથીદારો તરીકે હિંદુઓની સાથોસાથ
મુસલમાનો અને પારસીઓ પણ હતા, ગુજરાતીઓની સાથે
તમિલો પણ હતા.
કારણ 5
તે દેશભક્ત હોવાની સાથે વૈશ્વિક પણ હતા. ભારતીય
સંસ્કૃતિની સમૃદ્ધિ અને તેના વારસાની કદર કરવાની સાથે તેમને એ પણ ખ્યાલ હતો કે
વીસમી સદીમાં કોઈ પણ દેશ કૂવામાંનો દેડકો બનીને રહી શકે નહીં. બીજાના આયનામાં
જાતને જોવાના પણ ફાયદા હોય છે. તેમની પર ભારતીય તેમ જ પાશ્ચાત્ય બંને પ્રકારના
પ્રભાવ હતા. તેમના તાત્ત્વિક અને રાજકીય દૃષ્ટિબિંદુમાં તોલ્સ્તોય અને રસ્કિન
જેટલા જ ગોખલે અને રાયચંદભાઈ (શ્રીમદ્ રાજચંદ્ર) હતા. વિવિધ વંશીય ઓળખ ધરાવતા લોકો
સાથે તેમની ગાઢ દોસ્તી થઈ. તેમાં હેન્રી અને મિલિ પોલાક, હર્મન કેલનબેક અને સી.એફ. એન્ડ્રુઝ જેવા તેમના
મિત્રોનો સમાવેશ થાય. તે સૌએ તેમના અંગત અને જાહેર જીવનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી.
અહીં થોભીને એટલું અંકે કરવું જોઈએ કે ગાંધીજીના વારસા જેવી આ પાંચ બાબતો ન હોત, તો સ્વતંત્ર ભારતે કદાચ સાવ જુદો રસ્તો લીધો હોત. ગાંધીજી હિંસાને બદલે સંવાદને પ્રાધાન્ય આપતા હતા, એટલે (નિર્ણયો લેવામાં હિંસાનો રસ્તો અપનાવનારા એશિયા અને આફ્રિકાના મોટા ભાગના દેશોની માફક) ભારતમાં એકપક્ષીય આપખુદશાહી રાજ્યવ્યવસ્થાને બદલે બહુપક્ષીય લોકશાહી સ્થપાઈ. ગાંધીજી અને ડો. આંબેડકર જેવા લોકોએ જાતિ અને જ્ઞાતિની સમાનતા પર ભાર મૂક્યો હોવાને કારણે, તે સિદ્ધાંતોનો ભારતના બંધારણમાં સમાવેશ થયો. ગાંધીજી અને જવાહરલાલ નેહરુએ ધાર્મિક અને ભાષાકીય સ્વતંત્રતાનો આગ્રહ રાખ્યો હોવાથી, બીજા ઘણા દેશોમાં બન્યું તેનાથી વિપરીત, ભારતે કોઈ એક ધર્મ કે ભાષાના ચડિયાતાપણાને આધારે નાગરિકતા નક્કી ન કરી.
આંબેડકર અને નેહરુના દાખલા પરથી સ્પષ્ટ થાય છે
તેમ, લોકશાહી મૂલ્યો અને સમાવેશક રાજકીય સંસ્કાર
કેવળ ગાંધીજીની દેન હતી, એવું કહેવાનો આશય નથી. અલબત્ત, વ્યક્તિગત નેતાગીરી અને લોકશાહી, સાંસ્કૃતિક વિવિધતા તથા સામાજિક સમાનતા અંગે
વારંવારના આગ્રહ થકી ગાંધીજીની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી.
કારણ 6
ગાંધીજી જમાના કરતાં આગળ રહેલા પર્યાવરણવાદી
હતા. અવિરત વૃદ્ધિ અને ગ્રાહકવાદથી કેવો ધબડકો સર્જાશે તેનો અંદાજ તેમને હતો.
ડિસેમ્બર 1928માં તેમણે લખ્યું હતું, ‘ઈશ્વર હિંદુસ્તાનને યંત્રયુગથી અને સંસારને
યંત્રમય હિંદુસ્તાનથી બચાવો. આજે એક મૂઠી જેટલી કોમ (ઇંગ્લેન્ડ) આર્થિક લૂંટને
પંથે ચડી આખા જગતની જંગલી અભણ ગણાતી કોમોના પેટ ઉપર પગ મૂકીને બેઠેલી છે. જો 33
કરોડ લોકોની પ્રજા આ માર્ગે ચડે તો આખા સંસારને વેરાન કરી નાખે.’ આ એકદમ સાચું ભવિષ્યદર્શન છે. પશ્ચિમે આરંભેલા
અઢળક મૂડી, અઢળક સંસાધનો અને અઢળક
ઊર્જા હજમ કરી જતા ઔદ્યોગિકીકરણના રસ્તે આગળ ચાલતા ચીન અને ભારતને કારણે ખરેખર
દુનિયા ઉજ્જડ થઈ જવાનો ખતરો છે. પોતાના જીવન અને કાર્યમાં ગાંધીજીએ સંયમ અને
જવાબદારીની હિમાયત કરી, જેના વ્યાપક
સ્તરે સ્વીકાર ઉપર પૃથ્વીનું ભવિષ્ય આધાર રાખે છે.
કારણ 7
ગાંધીજીમાં નીતનવા પ્રસંગો અને અનુભવો સાથે
વિકસવાની અને ઉત્ક્રાંત થવાની ક્ષમતા હતી. વિખ્યાત અર્થશાસ્ત્રી જોન કેન્સના નામે
ચડેલું એક અવતરણ છે, ‘હકીકતો બદલાય, ત્યારે હું મારું
મન પણ બદલું છું. તમારું કેમ છે?’ હકીકતમાં
ગાંધીજીએ 1934માં કહ્યું હતું, ‘મારાં વચનોમાં સર્વકાળે અવિરોધ હોવો જ જોઈએ એવો
આગ્રહ કદી રાખ્યો નથી. જે ક્ષણે મને જે સત્ય ભાસે તે પ્રમાણે હું બોલું ને આચરું
તો મારાં વાણી ને આચરણમાં ગમે એટલા વિરોધો બતાવવામાં આવે એની મને પરવા નથી.‘
પોતાના જીવનકાળ દરમિયાન ગાંધીજીએ ખાસ કરીને
ત્રણ મહત્ત્વની બાબતોમાં તેમના વિચાર બદલ્યા.
એ ત્રણ બાબતો હતીઃ વંશીયતા (રેસ), જ્ઞાતિ (કાસ્ટ) અને જાતિ (જેન્ડર). આ ત્રણે
મુદ્દે અગાઉ તેમના મનમાં રહેલા પૂર્વગ્રહોને બદલે તેમણે વધારે પ્રગતિશીલ ભૂમિકા
અપનાવી. સભાન વિચાર વગરના વંશવાદી વલણથી શરૂઆત કરીને તે વંશવાદના મુખ્ય વિરોધી
બન્યા. જ્ઞાતિઆધારિત ઊંચનીચના ભદભાવને અચકાતાં-ખચકાતાં પડકાર આપવાનું શરૂ કર્યા
પછી તેમણે તેનો સીધો અને ખુલ્લો પ્રતિકાર કર્યો. મહિલાઓને બિનરાજકીય ભૂમિકામાં
રાખતાં રાખતાં છેવટે તેમણે મહિલાઓને સંપૂર્ણપણે જાહેર જીવનમાં અને આઝાદીની લડાઈમાં
સામેલ કરી.
કારણ 8
ગાંધીજીમાં અનુયાયીઓમાંથી નેતા બનાવવાની ગજબ
ફાવટ હતી. તે પ્રતિભાને પિછાણતા, તેને
પોષતા-વિકસાવતા અને પછી તેને સ્વતંત્રપણે આગળ જવા દેતા. તેમની આસપાસ ઉમેટેલા
અનુયાયીઓમાંથી કેટલાય સ્વતંત્રપણે ઇતિહાસના ઘડવૈયા બન્યા. તેમના અનુયાયીમાંથી નેતા
બનેલા લોકોમાંથી કેટલાંક મહત્ત્વનાં નામઃ જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ, કમલાદેવી
ચટ્ટોપાધ્યાય, સી. રાજગોપાલાચારી, ઝાકિર હુસૈન, જે.બી. કૃપાલાણી, જે.સી. કુમારપ્પા, સરલાદેવી (કેથરીન મેરી હેલમેન) અને બીજા ઘણા.
ભાવિ નેતાઓ ઉછેરી શકવાની ગાંધીજીની ક્ષમતા
ભારતના સૌથી પ્રભાવશાળી ત્રણ વડાપ્રધાનોની સરખામણીએ વિરોધાભાસ સર્જે છે. જવાહરલાલ
નેહરુ, ઇન્દિરા ગાંધી અને નરેન્દ્ર મોદી ચરિત્ર અને
રાજકીય વિચારધારાની રીતે ઘણા જુદા છે. પરંતુ પક્ષ, સરકાર અને દેશને
પોતાની સાથે-પોતાના સમાનાર્થી તરીકે સાંકળી દેવાની બાબતમાં તે સરખા છે. ઇન્દિરા
ગાંધી સત્તાના વ્યક્તિકરણને નેહરુ કરતાં ઘણું આગળ લઈ ગયાં અને મોદી તેને ઇન્દિરા
ગાંધી કરતાં પણ બહુ આગળ લઈ ગયા. એ ત્રણે પોતાને અનિવાર્ય અને તેમનું સ્થાન કોઈ લઈ
ન શકે એવાં માનતાં હતાં. તેમણે પછીની પેઢીના નેતાઓ ઊભા કરવાની દિશામાં ભાગ્યે જ
કંઈ કર્યું. (રાજકારણ સિવાય ભારતના કોર્પોરેટ જગતના વડાઓ અને સ્વૈચ્છિક સંસ્થાના
વડાઓમાં પણ સત્તાના વ્યક્તિકરણની લાક્ષણિકતા જોવા મળે છે, જે સંસ્થાને પોતાની સાથે એકરૂપ બનાવી દે છે.)
કારણ 9
ગાંધીજીમાં વિરોધી મત ધરાવનારનો દૃષ્ટિકોણ
જોવા-સમજવાની અને તેમની સાથે સંવાદ સાધીને સન્માનભર્યા સમાધાન સુધી પહોંચવાની
તૈયારી હતી. એટલે, આંબેડકર અને ઝીણા જેવા રાજકીય વિરોધીઓ સાથે અને દક્ષિણ
આફ્રિકામાં તેમ જ ભારતમાં શાહી પ્રતિનિધિઓ સાથે તે ધીરજપૂર્વક વર્ષો સુધી સમાધાનની
ભોંય ભાંગવાના પ્રયાસ કરતા રહ્યા. તેમને અણગમા કે તીવ્ર નાપસંદગી કેવળ બૌદ્ધિક અને
રાજકીય હતાં, અંગત નહીં –અને તે પણ ઉકેલી શકાય એવી તેમને આશા હતી. મનમાં દુર્ભાવ
સંઘરી રાખવાની ક્ષમતા તેમનામાં ન હતી.
કારણ 10
ગાંધીજીનું રાજકીય જીવન સંપૂર્ણપણે પારદર્શક
હતું. આશ્રમમાં કોઈ પણ જઈ શકતું, તેમની સાથે ચર્ચા કરી શકતું અને છેવટે થયું પણ
એવું કે એક માણસ સાવ સરળતાથી તેમની નજીક પહોંચી ગયો અને તેમની હત્યા કરી નાખી.
તેમના કે આપણા સમયમાં સુરક્ષાની જંજાળો વચ્ચે જીવતા નેતાઓની સરખામણીમાં તે કેટલો
મોટો વિરોધાભાસ કહેવાય.
ગાંધીજીના જીવનમાંથી મેં તારવેલા બોધપાઠ ફક્ત આ દેશ માટે જ પ્રસ્તુત છે એવું નથી. અલબત્ત, ધાર્મિક બહુમતીવાદની આબોહવામાં, અપમાન અને બુરાઈથી ગ્રસ્ત રાજકીય સંસ્કૃતિમાં, જૂઠાણાં અને અસત્યો ફેલાવતા નેતાઓ અને સરકારોની વચ્ચે, પ્રાકૃતિક પર્યાવરણના સત્યાનાશની સાથે, વ્યક્તિભક્તિના માહોલમાં ભારતને કદાચ તેની સૌથી વધારે જરૂર છે.
Friday, March 31, 2023
પાણીપૂરીનું પોલિટિક્સ
ભારતના વડાપ્રધાને જાપાનના વડાપ્રધાનને પાણીપૂરી ખવડાવી, એટલે પાણીપૂરીને પ્રસાર માધ્યમોમાં સ્થાન મળ્યું. હિંદીભાષીઓ પાણીપૂરીને ગોલગપ્પા કહે છે, પણ વડાપ્રધાન અને ગપ્પા—એ બંને શબ્દો સાથે મુકવાથી દંડાત્મક કાર્યવાહીની પૂરી સંભાવના રહે છે. માટે, તેને પાણીપૂરી કહેવાનું જ ઠીક રહેશે.
પાણીપૂરી અને
વડાપ્રધાન વચ્ચેનો સૌથી મોટો તફાવત એ છે કે પાણીપૂરીને લોકપ્રિયતા મેળવવા માટે
જૂઠું બોલવું પડતું નથી, ધિક્કારના મસાલાની જરૂર પડતી નથી, સામાજિક-અસામાજિક
પ્રસાર માધ્યમોમાં સતત છવાયેલા રહેવું પડતું નથી અને પોતાના જયજયકાર માટે (બીજાના)
લાખો રૂપિયાનો ધુમાડો કરવો પડતો નથી. કદી સાંભળ્યું કે પાણીપૂરીની લોકપ્રિયતા માટે
આખો સાયબર સેલ નિભાવવામાં આવે છે? અને તેની પરથી
વોટ્સએપ પર સતત ગેરમાહિતીનો પ્રવાહ વહેતો કરવામાં આવે છે?
હકીકત એ પણ છે કે
પાણીપૂરીને વડાપ્રધાનપદે બેસાડી શકાતી નથી. એટલે તેને વડાપ્રધાનપદના વિકલ્પ તરીકે
રજૂ કરવાનો કોઈ ઇરાદો નથી. તે જાણીને પાણીપૂરીને પણ હાશ થવી જોઈએ કે તેણે રાજદ્રોહ
કે ત્રાસવાદવિરોધી કાયદા જેવી કોઈ કાર્યવાહીનો ડર રાખવાની જરૂર નથી. વડાપ્રધાનના
વિરોધમાં પોસ્ટર લગાડનારા સામે આકરી કાર્યવાહી થઈ જતી હોય તો તેમના વિકલ્પ તરીકે
રજૂ થનારે કેટલી તૈયારી રાખવી પડે?
પાણીપૂરીનાં
સાંસ્કૃતિક પાસાંની વાત કરીએ તો, સૌપ્રથમ તે ભારતીય સંયુક્ત કુટુંબપ્રથાના
મહિમાનું પ્રતિક છે. નામ તેનું ભલે પાણીપૂરી હોય, પણ તેમાં ચણા, બટાટા, મસાલો,
ખાટી ચટણી, ગળી ચટણી, પાણી વગેરે ભેગાં ન થાય ત્યાં સુધી તેનો સ્વાદ આવતો નથી.
સંયુક્ત કુટુંબની જેમ સંયુક્ત પાણીપૂરીના પ્રશ્નો હોય છે. ચટણી વધારે પડી જાય,
મસાલો ઓછો પડે, ચણા ચડ્યા ન હોય—ટૂંકમાં, સંયુક્ત કુટુંબની જેમ સભ્યો જેટલા વધારે,
એટલી તેમાંથી એકાદના વંકાવાની સંભાવના પણ વધારે. છતાં, માણસ એક વાર ગાંઠ વાળે કે ‘ગમે તે થાય, મને સંયુક્ત કુટુંબ જ ગમે.’ તો બધી મુશ્કેલીઓ ગૌણ થઈ જાય છે. એવું જ પાણીપૂરીનું
પણ છે. તેના ઘટકો ગમે તેટલા આડાઅવળા થાય, પણ છેવટે પાણીપૂરી તો પાણીપૂરી જ રહે છે.
સવાલ સાચા
પ્રેમનો છે. લૈલામજનુ જેવી અનેક પ્રેમકહાનીઓનાં મુખ્ય બે પાત્રો બહુ સુંદર હતાં,
એવું ક્યાંય લખેલું નથી. તે પાત્રો એકબીજાને બહુ સુંદર લાગતાં હતાં. કારણ કે તે
એકબીજાના પ્રેમમાં હતાં. પાણીપૂરી અને તેમના પ્રેમીઓનો પણ એવો જ નાતો હોય છે. બિનપ્રેમીઓને
તે કદી સમજાતું નથી. પ્રેમીઓને ભાવે સારી પાણીપૂરી, પણ ચાલે ગમે તે પાણીપૂરી.
પોતાને ભાવતા સ્વાદ કરતાં સાવ જુદી પાણીપૂરી મળી જાય તો પણ, તે પડ્યું પાનું (કે
પાણી) નિભાવી લેવાની સહિષ્ણુતા-ઉદારતાથી, જેવી મળે તેવી પાણીપૂરીનો આનંદ માણે છે. વચ્ચે
વચ્ચે ‘યું હોતા તો ક્યા હોતા’ એવી ફરિયાદો કરે ખરા,
પણ ટીકા કરતાં કરતાં મોંમાં પાણીપૂરી ઓરવાનું ચાલુ રહે છે.
આધુનિક પાશ્ચાત્ય સભ્યતાએ ભારતીય પરંપરા સામે જે કેટલાક પાયાના પડકાર ઊભા
કર્યા છે, તેમાંનો એક છેઃ પાણીપૂરી ખાવી શી રીતે? ભારતીય
પદ્ધતિમાં ભોજન માટે હાથનો ઉપયોગ થાય છે. પાણીપૂરી ખાવા માટે હાથના પણ વિશિષ્ટ
કૌશલ્યની જરૂર પડે છે. જેમ કે, માણસ જેવો આકાર ધરાવતા યંત્રમાનવને રોટલી કે દાળભાત
ખાતાં શીખવવું ઓછું અઘરું હશે, પણ તેને પાણીપૂરી ખાવાનું શીખવવું ભારે કઠણ નીવડી
શકે છે. પાણી ભરેલી પૂરી પર હાથનું દબાણ એટલું હોવું જોઈએ કે પૂરી છટકે નહીં, પણ
દબાણ એટલું વધારે ન હોય કે પૂરી ફસડાઈ પડે. ડીશમાં પડેલી પૂરીને કયા ખૂણેથી પકડવી,
ત્યાર પછી હાથને કોણીથી કયા ખૂણે વાળવો કે જેથી પૂરીની અંદર રહેલું સત્ત્વ બહાર
પડી ન જાય અને પૂરી મોં સુધી લઈ જતી વખતે હાથનો ખૂણો કેટલો રાખવો—આવા સવાલ
એન્જિનિયરિંગમાં પૂછાતા ન હોય, પછી ભારત રોબોટિક્સમાં ક્યાંથી આગળ આવે?
પૂરીના કદમાપ
વિશે પણ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. એટલે
લોકો મન ફાવે એટલી નાની-મોટી પૂરીઓ બનાવે છે. કેટલીક પૂરીઓ એટલી મોટી અને ફુલેલી
હોય છે કે સીધોસાદો માણસ મહંમદઅલી ઝીણા બનીને વિચારવા માંડે, ‘આના ભાગલા કરવા જોઈશે.’ પણ સૌ જાણે છે કે ભાગલાનું કામ સૈદ્ધાંતિક
રીતે ગમે તેટલું સહેલું લાગે, વ્યવહારમાં તેમાં કકળાટનો પાર નથી હોતો. એટલે, મોટા
ભાગના લોકો, મોં કરતાં પૂરી ગમે તેટલી મોટી હોય તો પણ, પૂરીની એકતા-અખંડિતતાનો ભંગ
કર્યા વિના, તેને મોમાં ઠાંસવાનો પ્રયાસ કરે છે. ઘણાખરા કિસ્સામાં પૂરી અંદર ઘુસી
તો જાય છે, પણ ખાનારનું મોં થોડા સમય પૂરતું બંધ થઈ જાય છે. ક્યારેક પૂરી મોંમાં
જાય તે પહેલાં જ તેનું વિસર્જન થઈ જાય છે. તેની અંદરનું પાણી ડીશમાં રેલાય છે, પણ
ખાનાર હિંમત હાર્યા વિના, પૂરીનો જેટલો હિસ્સો મોંમાં જાય એટલો ઘુસાડવાનો પ્રયાસ
કરીને, તે પૂરીને ખવાયેલી જાહેર કરે છે.
કોચિંગ ક્લાસનો
ધમધમતો ધંધો ધરાવતા ભારતમાં પાણીપૂરી બનાવવાના ક્લાસ ચાલતા હોય તે સંભવ છે, પણ હજુ
સુધી કોઈને પાણીપૂરી કેમ ખાવી તેના ક્લાસ ખોલવાનો વિચાર આવ્યો નથી. બાકી, તેની
જરૂર ફક્ત જાપાનના વડાપ્રધાન જેવા વિદેશીઓને જ નહીં, પૂરીના મોટા કદ અને
ચિત્રવિચિત્ર આકારથી પીડીત ભારતીયોને પણ પડી શકે છે.
Sunday, March 12, 2023
મોહનથાળ કે ચીકી?
ખરેખર, આપણામાંથી ઘણા લોકોને કયો મુદ્દો મહત્ત્વનો, તે સમજાતું નથી. વારે વારે બંધારણીય સંસ્થાઓની સ્વાયતત્તા પર પડેલી તરાપનો કકળાટ કરનારા, સરકાર પર તપાસસંસ્થાઓના દુરુપયોગનો આરોપ મુકનારા, સરકાર જૂઠું બોલે છે એવું કહેનારા—આવા અનેક પ્રકારના લોકો અંબાજીના પ્રસાદમાં મોહનથાળને પદભ્રષ્ટ કરીને ચીક્કીને બેસાડી દીધી, ત્યારે મૌન છે. તેમનું રૂંવાડું પણ નથી ફરકતું. તેમને દંભી બૌદ્ધિકો નહીં તો બીજું શું કહેવાય?
મોહનથાળ-ચીકી વિવાદે ધાર્મિકતાને વિશાળ અને વ્યાપક બનાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. પહેલાં ધાર્મિકતાની વ્યાખ્યામાં ‘મંદિર વહીં બનાયેંગે’ જેવાં સૂત્રોનો સમાવેશ થતો હતો, તે વિસ્તરીને હવે ‘મોહનથાળ વહીં બનાયેંગે’ સુધી પહોંચ્યો છે. તે દર્શાવે છે કે ભક્તો પછાત રહી જવાને બદલે, જમાના સાથે તાલ મિલાવી રહ્યા છે. પહેલાં ‘પરસાદિયા ભગત’ જેવા શબ્દપ્રયોગો કોઈની ટીકા માટે વપરાતા હતા અને ધર્મસ્થાનોમાં પ્રસાદના મહત્ત્વ વિશે ચર્ચા કરનારા ભૂખ્ખડ કે ખાઉધરામાં ખપી જતા હતા. તેને બદલે, અંબાજીમાં પ્રસાદના મુદ્દે ધર્મયુદ્ધનાં મંડાણ જેવો માહોલ ગયા સપ્તાહે સર્જાયો. પ્રસાર માધ્યમોએ પણ પૂરી ગંભીરતાથી, નાગરિક અધિકારોના સંરક્ષણ માટે કટિબદ્ધ થઈને, મોહનથાળ-ચીકી વિવાદમાં ઝંપલાવ્યું. કેટલાકે ઇન્વેસ્ટિગેટિવ જર્નલિઝમ ઉર્ફે ખોજી પત્રકારિતાનો અભરાઈએ ચડાવેલો સંસ્કાર યાદ કરીને પ્રસાદના કોન્ટ્રાક્ટથી માંડીને મોહનથાળના ઇતિહાસ સુધીની શોધખોળ આદરી.
બિનગુજરાતીઓ ભલે ટીકા કરતા કે ગુજરાતીઓને આંદોલન કરતાં નથી આવડતું. હકીકત એ છે કે કયા મુદ્દે આંદોલન થાય, તેની પ્રાથમિકતા ઘણા ગુજરાતીઓમાં સ્પષ્ટ રીતે અંકિત હોય છે. તેમને ખબર છે કે ગુજરાત વિદ્યાપીઠમાં સરકારને અનુકૂળ કુલપતિને બેસાડી દેવાય કે પછી પરીક્ષાનાં પેપર-બેપર ફૂટે તેની બહુ હાયવોય કરવાની ન હોય. બહુ એવું લાગે તો થોડું બૂમરાણ કરીને સરકી જવાનું. પણ મોહનથાળ-ચીકી તો સનાતન ધર્મનો પ્રાણપ્રશ્ન છે. નરેન્દ્રભાઈ કે અમિતભાઈ જ્યાં સુધી કંઈ ન કહે, ત્યાં સુધી એ મુદ્દે ખુલીને વિરોધ કરવો, એ ધાર્મિક ફરજ છે, એવું ઘણાને લાગે છે.
આ લખાતું હતું ત્યાં સુધી સરકાર આખા મુદ્દામાં દાખલ થઈ ન હતી. સરકારને પણ ખબર હોય છે કે લોકશાહી-બંધારણીય સંસ્થાઓ જેવા મુદ્દામાં તો ઉપરવાળો-ઉપરવાળા બેઠા છે. બીબીસી જેવા હજાર આવે તો પણ કશું ઉખડવાનું નથી. પણ મોહનથાળના મુદ્દે એવી ખાતરી નથી. કારણ કે, તે લોકોની ધાર્મિક લાગણીનો સવાલ છે—અને ધાર્મિક લાગણીનો જીન સાથે હોય ત્યાં સુધી જ સારો. તે સામે પડે તો તકલીફ. એ જ કારણથી, આ લેખ તમારા સુધી પહોંચશે ત્યાં સુધીમાં લગભગ ફરી એક વાર પ્રસાદ તરીકે મોહનથાળ શરૂ થઈ ચૂક્યો હશે—અને ચીકીવાળા ભાઈની ભક્તિ ફળશે, તો બંને પ્રસાદ પણ રહી શકે છે.
પ્રસાદવિવાદના ઉકેલ અંગે વિચારતાં કેટલાક વિકલ્પ સૂઝ્યા. જેમ કે, મોહનથાળ હટાવવો જ હોય તો નવો જે કોઈ પ્રસાદ રાખવામાં આવે, તેનું નામ ‘મોદીથાળ’ રાખવું જોઈએ. સરદાર પટેલ સ્ટેડિયમમાંથી સરદાર પટેલનું નામ હટાવીને નરેન્દ્ર મોદીનું નામ મુકી દેવાયા પછી પણ લોકોને વાંધો પડતો નથી, તો સરદાર પટેલની સરખામણીમાં મોહનથાળની શી વિસાત? મૂળ સવાલ ભક્તોને સંતોષવાનો છે. તો ‘મોદીથાળ’ નામ જુદા પ્રકારના પણ એટલા જ વિશાળ એવા ભક્તસમુદાયને સહેલાઈથી પ્રસન્ન કરી શકશે અને બે-ચાર દહાડામાં ઘણાખરા લોકો ભૂલી પણ જશે કે અંબાજીમાં પ્રસાદ તરીકે ક્યારેક મોહનથાળ અપાતો હતો. સોશિયલ મિડીયા ઉપર પણ એવો પ્રચાર શરૂ થઈ જશે કે મોહનથાળનું મૂળ નામ ‘મોદીથાળ’ જ હતું અને અંબાજીના ગબ્બર પર પહેલાં તે જ અપાતો હતો. પછી જવાહરલાલ નેહરુએ ગાંધીજીની યાદમાં તેનું નામ ‘મોહનથાળ’ પાડ્યું. એટલે હવે તેનું નામ ફરી એક વાર ‘મોદીથાળ’ કરવામાં આવે, તો તે ઐતિહાસિક રીતે ઉચિત છે અને કોંગ્રેસે ભ્રષ્ટ કરેલા ઐતિહાસિક ગૌરવની પુનઃસ્થાપના કરવા બરાબર છે.
ઉપરની થિયરી કલ્પનાને બદલે ઐતિહાસિક હકીકત તરીકે વોટ્સએપ પર વાંચવા મળે તો નવાઈ પામવી નહીં, એવી ચેતવણી પણ અહીં આપી દેવી જરૂરી છે. બીજો વિકલ્પ પણ એટલો જ સહેલો અને અસરકારક લાગે છે. વર્તમાન સરકારની સમસ્યાઉકેલની પદ્ધતિને તે બંધબેસતો પણ છે, એટલે તેમાં ઉપર પૂછવું પડે એવો પણ લાગતું નથી. એક સમસ્યાને ઉકેલવા માટે સરકારનું સામાન્ય વલણ બીજા નવા વિવાદ ઉભા કરીને લોકોનું ધ્યાન તે દિશામાં દોરી જવાનું હોય છે. વિચારો કે એક તરફ મોહનથાળ-ચીકીનું ઠેકાણું ન પડ્યું હોય ત્યાં રણછોડરાયના ડાકોરમાં ગોટા મળતા બંધ થઈ જાય તો?
સ્વાભાવિક છે, ડાકોરમાં ગોટા મળતા બંધ થાય તેને કોંગ્રેસનું, ડાબેરીઓનું, માઓવાદીઓનું, હિંદુવિરોધીઓનું કે ચીનનું કાવતરું તો ગણાવી શકાય નહીં. કારણ કે, ગોટા તો બહાર દુકાન પર વેચાતા મળે છે. પણ ગોટા ડાકોરની અને ડાકોરના ઠાકોરની સાથે એટલા અભિન્નપણે જોડાઈ ગયેલા છે કે તેને ધાર્મિક લાગણીનો મુદ્દો ગણાવવામાં કે બનાવવામાં જરાય અતિશયોક્તિ ન લાગે-જરાય તકલીફ ન પડે. મોહનથાળની સાથે ગોટાની પુનઃસ્થાપના જેવા બબ્બે મહાપડકારો સનાતન ધર્મના ભક્તો સામે ખડા થાય, ત્યારે તેમની મુંઝવણનો પાર ન રહે. એક જમાનામાં ગાંધીજીના નમક સત્યાગ્રહમાં લોકો ઠેકઠેકાણે મીઠું પકવતા હતા, તેમ લોકો અંબાજીમાં મોહનથાળ ને ડાકોરમાં ગોટા બનાવવા માંડે...
--અને ચોતરફ
સનાતન ધર્મનો જયજયકાર થઈને સતયુગ વ્યાપી રહે.
Friday, February 24, 2023
જુદા છે વિચારો સમોસે સમોસે
ભારતની લોકશાહી સાથે સૌથી જૂનો સંબંધ ધરાવતી જૂજ વાનગીઓમાં સમોસાનો સમાવેશ કરવો પડે. ‘એક કચોરી, દો સમોસા/ ---- તેરા ક્યા ભરોસા’—એ ભારતીય ચૂંટણીઓમાં વપરાતાં સૌથી જૂનાં સૂત્રોમાંનું એક છે. તેનો આશય ભલે સમોસાના બહુમાનનો નહીં, સૂત્રમાં જેનું નામ આવતું હોય તે નેતાના અપમાનનો હોય. છતાં, સમોસા વિના એ સૂત્ર, એ સૂત્ર વિના ચૂંટણી અને ચૂંટણી વિના ભારતની લોકશાહી અધૂરાં છે. એટલે તર્કશાસ્ત્રના ન્યાયે સમોસા વિના ભારતની લોકશાહી અધૂરી છે.
સમોસાનાં
કદ-રૂપ-રંગ-સ્વાદ-ચટણી-આરોગવાની પદ્ધતિ ઇત્યાદિમાં જોવા મળતું વૈવિધ્ય પણ લોકશાહી
ભારતની યાદ અપાવે છે. વડાપ્રધાન જ્યાં સુધી ‘એક દેશ, એક સમોસું’ એવું સૂત્ર ન આપે ત્યાં સુધી,
લોકશાહીની તો સલામતીની તો ખાતરી નથી, પણ સમોસાનું વૈવિધ્ય સલામત છે.
કેટલાક
સમોસા કદમાં એટલા મોટા હોય છે કે તેમને ફાઇટર વિમાનમાંથી બોમ્બની જગ્યાએ ફેંકવામાં
આવે તો વગર ધડાકે તે કોઈનું લમણું તોડી શકે અથવા તેની અણીદાર ધાર બોમ્બની કરચની
જેમ ખૂંતી શકે. તેના સાવ સામા છેડે, અમદાવાદમાં જેને ‘નવતાડના સમોસા’ તરીકે ઓળખાતા સમોસા આવે. તેમનું કદ
એટલું ટચૂકડું હોય છે કે જો તાતાની નેનો કાર ચાલી ગઈ હોત તો થોડાં વર્ષમાં નવતાડના
સમોસા ‘નેનો સમોસા’ તરીકે ઓળખાતા થઈ જાત.
અંગ્રેજીમાં
‘ગ્રામર નાઝી’ તરીકે ઓળખાતા, ગુજરાતીમાં ભાષાઝનૂની
કહી શકાય એવા લોકોને સવાલ થશે કે સમોસાના બહુવચન પર અનુસ્વાર આવે કે નહીં? ભાષાની
ચિંતા કરવા જેવી છે, પણ ચોવીસે કલાક ભાષાની ચિંતા કરવાથી ચિતા કરનારની માનસિક
પરિસ્થિતિ બીજાએ ચિંતા કરવી પડે એવી થઈ શકે છે. અને સમોસાને લાગે વળગે છે ત્યાં
સુધી, તેના બહુવચન પર અનુસ્વાર આવે કે નહીં, તેના કરતાં ઘણા વધારે ગંભીર પ્રશ્નો
સમોસાસૃષ્ટિમાં વિદ્યમાન છે.
શરણાઈ
વર્ષો સુધી જુગલબંદીનું વાદ્ય ગણાતું હતું. પરંતુ ઉસ્તાદ બિસ્મિલ્લાખાને તેને
એકલવાદ્ય તરીકે પ્રતિષ્ઠા અપાવી. એવી જ રીતે, ચટણીની જુગલબંદીમાં શોભતા સમોસાને
એકલવાનગીનો દરજ્જો અપાવવા માટે કેટલાક ફરસાણિસ્ટો કૃતનિશ્ચયી હોય છે. ‘ફરસાણિસ્ટ’ સાચો શબ્દ છે કે નહીં, તેની ચિંતા
કરવાને બદલે, તેમના દ્વારા થતો દાવો સાચો છે કે નહીં, તે સમોસાપ્રેમીઓ માટે વધારે
મહત્ત્વનો સવાલ છે.
કેટલાક,
ખાસ કરીને રેલવે સ્ટેશન પર સ્ટોલ ધરાવતા, લોકો બિનધાસ્ત ચટણી વગરના સમોસા વેચે છે.
તેમાં ચટણીનું સ્થાન ગૌરવ લે છે. કોઈ નવોસવો જણ સમોસા લીધા પછી ચટણીની માગણી કરે,
ત્યારે તેણે સ્ટોલધારકના ચહેરા પર એવો તમતમાટ પથરાઈ જાય છે, જાણે માગનારે તેની
આબરૂ પર હાથ નાખ્યો હોય. તે લાગણી જો ભૌતિક સ્વરૂપ ધારણ કરે, તો એકાદ હજાર ટેટાની
લૂમ જેટલી ધડબડાટી બોલે. પરંતુ નવોદિત ગ્રાહક લાગણીની લિપિ સમજતો નથી. તેના
લાભાર્થે, માંડ સંયમ ધરીને, સ્ટોલધારક તેને સમજાવે છે, ‘ભાઈ, આ તો ફલાણાના સમોસા છે. તેમાં
ચટણી ન આવે.’
ગ્રાહકને
વળી કમતિ સુઝે અથવા તે નવેનવો ગ્રાહકસુરક્ષાના પાઠ ભણીને આવ્યો હોય તો તે વળતી
દલીલ કરશે, ‘અરે,
એવું તે થોડું ચાલે? આખી
દુનિયા સમોસા જોડે ચટણી આપે છે.’ આ
બોલતી વખતે તેના અવાજમાં રહેલો રણકો ‘સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને તે હું લઈને જંપીશ’—એ સ્તરનો હોય છે. સ્ટોલમાલિક
ગમ્મતના મૂડમાં હોય તો કહી શકે કે ‘સાવ
ખોટી વાત. કારણ કે સમોસા આખી દુનિયામાં મળતા જ નથી.’ પરંતુ સમોસા સાથે ચટણીની માગણીથી
થયેલા સ્વમાનભંગના અહેસાસમાં તેની હાસ્યવૃત્તિને બહાર નીકળવાની જગ્યા મળતી નથી.
એટલે તે ટૂંકમાં, કડકાઈથી જવાબ આપે છે, ‘દુનિયા આપતી હોય તો આપે. અમારે ત્યાં એવો રિવાજ નથી. કોઈને પણ પૂછી
જુઓ.’
મોટા
ભાગની દુકાનોમાં સમોસાની સાથે એક કે વધુ પ્રકારની ચટણી અપાય છે. ત્યાં ઢચુપચુ
માનસિકતા ધરાવતા ગ્રાહકનો ઘણોખરો સમય ચટણીનું પ્રમાણ નક્કી કરવામાં વીતે છે, લાલ
ચટણી નાખ્યા પછી એવું લાગે છે કે સ્વાદ વધારે ગળ્યો થઈ ગયો ને લીલી ચટણી નાખ્યા
પછી તે વધારે તીખો લાગે છે. આમ ને આમ ‘દો આરઝુમેં કટ ગયે, દો ઇંતઝારમેં’ જેવું થાય છે અને સમોસું પૂરું થઈ
જાય છે. ત્યાર પછી ગ્રાહકને ખ્યાલ આવે છે કે શરૂઆતમાં બંને ચટણીઓ સાથે નખાવી દીધા
પછી, તેણે ચટણીનાં પાત્રોથી દૂર ખસી જવાની જરૂર હતી.
સમોસાનું
સ્વતંત્ર વાનગી તરીકે પ્રસ્થાપિત થવું ઘણાને ખૂંચે છે. એવા લોકો, વિકાસના નામે જેમ
ઝૂંપડાં ઢાંકી દેવામાં આવે છે કે અસલી સમસ્યાઓને સાવ ભળતાસળતા વિવાદો તળે સંતાડી
દેવામાં આવે છે એવી રીતે, સમોસાની સ્વતંત્રતાને બીજી અવનવી ચીજોથી ઢાંકી દેવાનો
પ્રયાસ કરે છે. એક ડિશમાં સમોસું લઈને, સૌથી પહેલાં તે સમોસાને બરાબર ભાંગી નાખે
છે. પછી તેમાં રગડો, દહીં, ડુંગળી, સેવ, કેચપ, લાલ-લીલી ચટણી, ભલું હોય તો ચીઝ અને
બીજું જે સૂઝે તે ઠપકારે છે. આવા સમોસાને ભવ્ય નામ આપીને તેની ઊંચી કિંમત વસૂલવામાં
આવે છે, પણ તેમાં સમોસાનો મૂળ સ્વાદ ખોવાઈ ગયો છે તે જણાવવામાં સ્ટોલમાલિકને અને
જાણવામાં ગ્રાહકને રસ નથી હોતો. એટલે સમોસાની સ્થિતિ પણ ભારતની લોકશાહી જેવી થાય
છે. તેનું અસ્તિત્વ હોય છે, પણ તેની ઉપર એટલા (કુ)સંસ્કાર થાય છે કે તેનો મૂળ
સ્વાદ શોધ્યો જડતો નથી.
Sunday, February 05, 2023
બીરેન વિશે...
![]() |
ફોટોઃ શચિ કોઠારી, 2011 |
વહેવાર તો એવો છે કે બીરેને (ગઈ કાલે)
મારી વર્ષગાંઠ નિમિત્તે લખ્યું (લિન્ક), તો મારે તેની વર્ષગાંઠે લખવું. પણ અમને
જાણનારા બધા જાણે છે—અને બીરેને લખ્યું પણ છે—કે અમારી વચ્ચે ‘વ્યવહાર’નો વ્યવહાર
નથી. એટલે થયું કે બીરેન વિશે થોડું તેના લખાણના અનુસંધાને જ લખી દઉં, જેથી ઉત્તરાર્ધ-સિક્વલ માટે ઉત્સુક મિત્રોને બહુ રાહ જોવી ન પડે.
***
મારા પહેલા સ્વતંત્ર પુસ્તક ‘સરદારઃ સાચો માણસ,
સાચી વાત’ (2005)ના અર્પણમાં મેં લખ્યું હતું, ‘વાચન-સંગીત-કળાના સંસ્કાર આપનાર મિત્રવત્ મોટાભાઈ બીરેનને’.
મહેમદાવાદ જેવા ગામમાં રહીને અમુક પ્રકારની રુચિ મારામાં ક્યાંથી આવી, તેવો સવાલ મને કદી થયો નથી. જવાબ મને ખબર છેઃ તે બીરેનમાંથી આવી છે.
પણ મહત્ત્વનો સવાલ છેઃ બીરેનમાં તે ક્યાંથી આવી? સમજની સફાઈ, કળા-સંગીત-સાહિત્ય-વાચન-લેખનની
રૂચિ...આ બધું તેનામાં ક્યાંથી આવ્યું?
કોઈ કહી શકે કે એ બધું તો જન્મજાત હોય. હું પણ
એવું જ માનું છું. તેમાં બીરેનની બે મુખ્ય સિદ્ધિ છે. 1) જન્મજાત ગુણોને તેણે પ્રગટ થઈને ઉછરવા-પાંગરવા દીધા અને તે ગુણોના
વૃદ્ધિવિકાસમાં પોતે જે કંઈ કરવાપણું હોય તે બધું કર્યું.
2) બે દાયકાથી વધુ સમય સુધી આઇપીસીએલની નોકરી કરવા
છતાં, તેણે પોતીકાપણું અને વિશેષતાઓ ન ખોયાં.
રૂપિયાપૈસાની, ઓવરટાઇમોની ને એવી બધી લ્હાયમાં
અટવાઈને, તેમાં જીવનસાર્થક્ય માની લેવાને બદલે,
જીવનમૂડી જેવી અસલી ચીજોને તેણે સદાય છાતીસરસી
ચાંપેલી રાખી. એ બધી ચીજોને તેણે બચાવી ને એ બધી ચીજોએ તેને બચાવ્યો.
છ વર્ષ નાના ભાઈ તરીકે શરૂઆતમાં મારી ભૂમિકા
ઝીલનારની હતી. તે બહુ ઝડપથી જોડીદારની થઈ. તેણે મને નાનો ગણવાનું બંધ કરીને
સરખેસરખો ગણવાનું શરૂ કર્યું. મોટાભાઈગીરી કરવાને બદલે તે સાથી, માર્ગદર્શક અને નિત્ય આગળ લઈ જનાર બન્યો. પત્રકારત્વમાં આવ્યાનાં
વર્ષો પહેલાંથી અમારે એટલું બધું બનતું કે સામાજિક પ્રસંગે ક્યાંક ગયા હોઈએ તો પણ
અમે એક બાજુ પર ઊભા રહીને કલાકો સુધી વાતો કરતા હોઈએ. એક વાર મિત્ર વિપુલ રાવલની
નાની બહેન ટીની--હવે મનિષા કાકા--એ પૂછ્યું પણ હતું, ‘તમે લોકો આટલી બધી શું વાતો કરો? ’ તેના કહેવાનો સૂર એવો હતો કે ભાઈબંધો આટલી વાત કરે તો સમજ્યા,
પણ બે ભાઈઓને આટલી બધી વાતો કરવાની હોય?
મનગમતા કલાકારોને મળવા મુંબઈ જવાનો ઉપક્રમ શરૂ
કર્યો ત્યારે હું 19નો, બીરેન 25નો. મુંબઈમાં ઇસ્ટ કઈ બાજુ ને વેસ્ટ કઈ
બાજુ કહેવાય, તેની મને ખબર ન પડે. ફોન પર વાત કરતાં
ફાવે નહીં. એ વખતે બીરેન સાથે હોય એટલે કશી ચિંતા નહીં. રૂબરૂ વાત કરવામાં મને
વાંધો ન આવે. પણ તે સિવાયનું બધું બીરેનના હવાલે.
બીરેનની રગ સહજ હાસ્યની. મારી સહજ વ્યંગની.
બીરેન એવી એવી વસ્તુઓ અને વાતોમાંથી, કેટલીક વાર તો
સાવ ફાલતુ લાગે એવી વાતમાંથી મમરો મુકીને રમૂજ પેદા કરી શકે, પણ તે અંગત વર્તુળોમાં-મિત્રોમાં. બાકી, તેની (સાચી) છાપ શાંત, સરળ, પ્રેમાળ, સમજુ જણની. અમારા બંનેમાંથી સત્તાવાર
રીતે હાસ્યલેખો લખવાની પહેલી તક મને મળી. ત્યાર પછી મારી દીકરીનો જન્મ થયો અને
બીરેન પરિવાર તેને જોવા આવ્યો, ત્યારે મેં બીરેનને કહ્યું હતું,
‘એની પર હાથ ફેરવજે, તારા જેવી સેન્સ ઓફ હ્યુમર આવે.’ હું એવી શુભેચ્છાઓ કે આશીર્વાદો ફળે
એમાં માનતો નથી. મેં ‘એવું થાય તો કેટલું સારું’ એ ભાવથી કહ્યું હતું, પણ ખરેખર એવું થયું છે અને એનો મને અનહદ આનંદ છે. બીરેનની ઘણી
રમૂજોમાં બીજાને પીચ પડે તે પહેલાં મારી દીકરીને એ પકડાઈ જાય છે.
બીરેનની દીકરી શચિ એટલે અમારા પરિવારમાં પહેલું
બાળક. મહેમદાવાદ ઉછરી, એટલે મને અત્યંત વહાલી. બાળકો સાથે
મારો પનારો નહીંવત્. બાળકો ભગવાનનું સ્વરૂપ કહેવાય, એ વાતમાં હું સંમત નહીં. છતાં, બિંદુ-વિપુલ રાવલના પુત્ર નીલ પર સૌથી પહેલાં વહાલ ઉપજ્યું. ત્યાર
પછી શચિ આવી. તે મારી થાળીમાંથી જમે. હિંચકે મારા ખોળામાં બેસીને સુએ. હવે શચિને
ત્યાં દીકરો છે. પણ શચિ માટેનો જૂનો ભાવ અકબંધ છે. શચિ-ઇશાન-આસ્થા વચ્ચેનું આત્મીય
સમીકરણ બીરેનની અને મારી જોડીને ફક્ત મજબૂત આધાર જ નહીં, વધારાનું બળ આપનારું નીવડ્યું છે. તેમાં હવે શચિના પતિ સિદ્ધાર્થનો
પણ ઉમેરો થયો છે. સોનલ અને કામિની વચ્ચેના સમીકરણે અમારી જોડીને કદી કસોટીરૂપ
અવસ્થામાં નહીં મુકવાનું અને પછી તો પરસ્પર મજબૂત ટેકારૂપ બનવાનું કામ કર્યું છે.
![]() |
(ડાબેથી) ઇશાન, આસ્થા, શચિ, નીલ (L to R) Ishan, Aastha, Shachi, Neel. 2012 |
બીરેને વીઆરએસ લીધી, ત્યાર પછી એ ઘરે રહીને કામ કરે છે. એટલે ઘણા લોકોને એવું લાગે છે કે બીરેન નિવૃત્ત છે અને એને ગમે ત્યારે ફોન કરાય. હકીકતમાં તે મારા કરતાં પણ વધારે પ્રવૃત્ત-વ્યસ્ત હોય છે. છતાં, ઘણી વાર એની પ્રકૃતિસહજ સૌમ્યતાને લીધે એ લોકોને કહી શકતો નથી કે ભાઈ, હું તમે ધારો છો એના કરતાં ઘણો વધારે વ્યસ્ત છું. હું બહાર (અમદાવાદ-નડિયાદ) જાઉં છું એટલે લોકોને વધારે વ્યસ્ત લાગું છું.
બીજું કારણ અમારી છાપનું પણ છે. વડીલ સગાંસ્નેહીઓ કહેતા કે બીરેન અમારા દાદા જેવો (ચીમનલાલ કોઠારી જેવો) છે—ફક્ત ચહેરેમહોરે નહીં, સૌમ્યતાની બાબતમાં. તે ગુણમાં મમ્મી (સ્મિતાબહેન કોઠારી)નો મજબૂત વારસો પણ ભળ્યો છે. સોનલ હંમેશાં કહે કે બીરેનભાઈ એટલે સ્મિતાબહેનની ‘દીકરી’. (લાગણી, બીજાની કાળજી રાખવાની વૃત્તિ, સૌમ્યતાના અર્થમાં અને મમ્મી સાથે નિરાંતે અનેક વિષયો પર વાતો કરવાની બાબતમાં)
મારી કિશોરાવસ્થાથી કોઈ શું વિચારે છે તેની પરવા નહીં કરવાની વૃત્તિ વિકસી, ત્યારે શરૂઆતમાં વૈચારિક મજબૂતી બીરેનની અને ઉદ્દંડતા મારી—એવી વહેંચણી હતી. પછી અમારી ચર્ચાઓમાંથી ઘણી સ્પષ્ટતાઓ થઈ, મારો વૈચારિક પાયો મજબૂત બન્યો. અત્યંત સાદગીથી, માત્ર પરિવારજનોની હાજરીમાં લગ્ન કરવાના અમારા બંનેના નિર્ણયમાં સૌથી વધારે મુશ્કેલી અને કસોટી બીરેનના લગ્ન વખતે થઈ. પછી મારું પણ એ જ રીતે લગ્ન થયું. પાંચ-સાત કુટુંબીજનોની હાજરીમાં. તે વખતના વિરોધ સામે અણનમ રહેવા જેટલી સજ્જતા અને મક્કમતા અમે કેળવી લીધી હતી. આજે પણ એ બંને લગ્નપ્રસંગો વિચાર પ્રમાણે આચરી શકવાનો ઊંડો સંતોષ આપે છે.
યોગ્ય દિશાના વાચનમાં પણ બીરેનના લીધે હું આગળ વધ્યો. શ્રીલાલ શુક્લની હિંદી વ્યંગ નવલકથા ‘રાગ દરબારી’ પહેલી વાર બીરેને વાંચીને પછી મને આગ્રહપૂર્વક વાંચવા આપેલી. તે 1990ના દાયકાની શરૂઆતનાં વર્ષો હશે. તેણે ખાસ કહ્યું હતું કે શરૂઆતનાં પાનાંમાં રસ ન પડે એવું લાગે તો પણ અચૂક વાંચજે. ત્યારથી ‘રાગ દરબારી’ની સંખ્યાબંધ ચીજો અમારી વચ્ચેના કાયમી રેફરન્સ પોઇન્ટ બની ગઈ. એવા બીજા પણ અનેક રેફરન્સ પોઇન્ટ છે, જેના ઉલ્લેખમાત્રથી અમે બીજી કશી પિંજણ વિના ટૂંકમાં સમજી જઈએ છીએ.
જૂનાં ગીતો હવે સાથે સાંભળવાનું ઓછું બને છે, પણ પહેલાં અનેક સેશનોમાં અમે ગીતો ભરપૂર માણ્યાં છે અને હજુ પણ શચિના સાસરે જવાનું થાય અને થોડા કલાકની મુસાફરી હોય ત્યારે એકાદ ટાઇમ અમે બહુ વખતથી સાથે બેસીને નહીં સાંભળેલાં ગીતો મુકીએ છીએ અને ફરી તે ગીતોનો અને તે ગીતો સાથે સાંભળવાનો આનંદ લઈએ છીએ.
ભણતરકાળમાં મિત્રોની કમી હતી ત્યારે બીરેનના-IYCના મિત્રો સાથે હું જુનિયર તરીકે હળતોભળતો થયો. મને ઊભા રહેવા માટે આત્મવિશ્વાસની જે ભોંયની જરૂર હતી, તેનો મોટો હિસ્સો બીરેનના સાથ ઉપરાંત જૂના ગીતસંગીતના શોખ-અભ્યાસે-વાચને આપ્યો, તો થોડો હિસ્સો IYCના મિત્રોની સોબતે પણ આપ્યો. મિત્ર વિપુલ રાવલનું ઘર IYCનો અડ્ડો હતું. હું પણ ત્યાંનો નિયમિત મુલાકાતી બન્યો અને છેવટ સુધી રહ્યો. છેલ્લે બીજા બધા બહાર નીકળી ગયા હતા ત્યારે ચોક્સી (અજય પરીખ) અને હું—અમે બંનેએ રાત્રે 17, નારાયણ સોસાયટીના ઘરે જવાનું ચાલુ રાખ્યું હતું.
બીરેનનો અને મારો ચહેરો મળતો આવે છે કે નહીં, તે અમારી વચ્ચેની કાયમી રમૂજનો બહુ જૂનો વિષય. પાછલાં વર્ષોમાં અમારી બંનેની ‘તંદુરસ્તી’ વધ્યા પછી અમારા ચહેરા સરખા હોવા વિશે અમને બહુ શંકા રહી નથી, પણ શરૂઆતમાં આવું કોઈ કહે ત્યારે અમે તેમાંથી બહુ રમૂજ લેતા હતા. શારીરિક સામ્યથી વિપરીત, અમારી વચ્ચે સ્વભાવનો બહુ મોટો તફાવત છે, એવું ઘણાને લાગે છે. તે છે પણ ખરો. એટલે, અમને અલપઝલપ મળનારને અમારી વચ્ચેના એકતાર-એકસૂરનો ખ્યાલ કદાચ ન પણ આવે. (અને એવું થાય ત્યારે અમે તેની પણ મઝા લઈએ) અમારા ટેમ્પરામેન્ટ-મિજાજ બહુ જુદા છે, પણ એ ફરક કેવળ અભિવ્યક્તિનો છે-વૈચારિક સ્પષ્ટતાનો નહીં, એ પકડાતાં ઘણાને વાર લાગે છે.
નહીં બોલાયેલું સમજવાની અને નહીં કહેવાયેલું સાંભળવાની અમારી સિદ્ધિ—સિદ્ધ કરેલી વૃત્તિ—અડીખમ છે. અમે બંને પચાસ વટાવી ગયા, સંતાનો મોટાં થઈ ગયાં, એટલે તોફાનની સંભાવના ધરાવતો સમયગાળો પૂરો થઈ ગયો છે અને તેમાં એ વૃત્તિનો કાંગરો પણ ખર્યો નથી. એટલે હવે એવી કોઈ શક્યતા નથી. હકીકત તો એ છે કે અમારા મનમાં એ વૃત્તિને સભાનપણે જાળવવાની કે રક્ષવાની અસલામતી કદી જાગી જ નથી.
કારણ કે, આ ખાલી ભાઈપણું નથી. ભાઈબંધી પણ છે—લોહીના સંબંધે સ્થપાયેલી ને દાયકાઓની તડકીછાંયડીમાંથી હેમખેમ પાર ઉતરેલી ભાઈબંધી.
Tuesday, January 31, 2023
ટીવી સ્ટુડિયોમાં ગાંધીજી
આવતી કાલે ગાંધીજીની હત્યાની તારીખ છે. ‘કેટલામી હત્યા?’ એવો સવાલ પૂછવો નહીં. પહેલી હત્યા પછી થયેલી હત્યાઓમાં હત્યારાઓનાં નામ પણ પૂછવાં નહીં. તેમાં જ લખનાર-વાંચનાર-છાપનારનું એટલે કે સમગ્ર સંસારનું હિત છે. નજીકના ભવિષ્યમાં આ તારીખ સત્તાવાર રીતે ‘પરાક્રમ દિવસ’ તરીકે જાહેર થઈ શકે છે. બિનસત્તાવાર રીતે તો કેટલાક લોકો તેને એવો ગણે જ છે.
જે દેશમાં ગોડસે અને ગાંધી એક ત્રાજવાના સામસામાં પલ્લામાં મુકાતાં હોય, એક માણસે કરેલી બીજાની હત્યાને ‘યુદ્ધ’—અને એ પણ ‘વિચારધારાનું યુદ્ધ’—જેવું લેબલ અપાતું હોય, ત્યાં કશી ઠેકાણાસરની ચર્ચા કરવાનું કામ અશક્યની હદે અઘરું છે. એના કરતાં, ટીવી એન્કરોની જેમ બૂમબરાડા પાડીને વાતચીત કરવી શું ખોટી? શરીરમાં મોંથી ઉપરના ભાગનું કોઈ પણ અંગ વપરાય નહીં અને તમાશાને તેડું ન હોય, એ ન્યાયે દર્શકો પણ મળી રહે.
એમ વિચારીને ગાંધીજીનું સ્મરણ કરતાં જ ગાંધીજી હાજર. તેમની સાથે સંવાદનો કાર્યક્રમ શરૂ થતાં પહેલાંની સ્ક્રીપ્ટ કંઈક આ પ્રમાણેની હતીઃ
‘આપણે સૌ જાણીએ છીએ કે આવતી કાલે ગાંધીજીની હત્યાને 75 વર્ષ પૂરાં થશે. તેનો અમૃત મહોત્સવ ઉજવવાની સરકાર તરફથી હજુ સુધી કોઈ સૂચના મળી નથી. અને અમે એકદમ વિશ્વસનીય ચેનલ છીએ- ફેક ન્યૂઝ ફેલાવતા નથી. સરકાર તરફથી જેટલું આવે એટલું જ ચલાવીએ છીએ, પણ અમારાં સૂત્રો તરફથી એવી માહિતી મળી છે કે ગાંધીજીની હત્યાનો આખો કેસ ગરબડવાળો છે. તેમની હત્યા કદી થઈ જ ન હતી, એવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અમારાં સૂત્રોને તેમનાં સૂત્રો તરફથી એવું જાણવા મળ્યું હોવાનું કહેવાતું હોય એવી આશંકા હોવાની અમને ખાતરી છે કે નથુરામ ગોડસે તે દિવસે દિલ્હીમાં હતો જ નહીં અને તેનું નામ ચોક્કસ વિચારધારાને બદનામ કરવાનું કાવતરું છે, જેથી કરીને વિશ્વમાં હિંદુઓ માટે નીચાજોણું થાય.’
‘અમારી ચેનલ પર કાયમ આવતા વિશેષજ્ઞના મતે, ભારતને બદનામ કરવાનું આ કાવતરું કોણે ઘડ્યું અને ક્યાં ઘડાયું તેની તપાસ ‘કાશ્મીર ફાઇલ્સ’ બનાવનાર ભાઈને સોંપી દેવાય, તો ટૂંક સમયમાં તે નવીનક્કોર અને સચ્ચાઈના ભારથી મુક્ત હકીકતો સાથે બહાર આવી શકે. ત્યાં સુધીમાં મુદ્દો ચાલતો રાખવા માટે ગાંધીજીને જ બોલાવવાનો વિચાર આવ્યો. તેના બે ફાયદા થાયઃ એક, એવો સંદેશો જશે કે અમે કોઈનાથી બીતા નથી અને મોટો રાષ્ટ્રપિતા અમારા શોમાં આવે તો તેની હાજરીમાં પણ અમે તેની એસીતૈસી કરી શકીએ છીએ.’
‘બીજો ફાયદો એ કે થોડા લોકોને એવું કહેવાની પણ તક મળશે કે અમે બંને બાજુનું બતાવીએ છીએ. તટસ્થતાનો આરોપ અમને મંજૂર નથી, પણ વૈવિધ્ય ખાતર અમે તટસ્થની ગાળ ખાવા પણ તૈયાર છીએ. આવી બહાદુરીભરી વિચારણા જ્યાં થતી હોય તે ચેનલ આપણી લોકશાહી માટે એટલે કે આપણા દેશ માટે એટલે કે આપણી સરકાર માટે એટલે કે આપણા વડાપ્રધાન માટે ગૌરવરૂપ છે, એવું કહેવામાં અમને જરાય સંકોચ થતો નથી. તે વાતના સંતોષ સાથે આજનો શો શરૂ કરીએ. શોમાં અમારી સાથે જોડાયા છે ખુદ ગાંધી. તેમને અમે છોડીશું નહીં. અણીદાર સવાલો પૂછીને એ બધું જ તેમની પાસેથી કઢાવીશું, જે તેમણે આજ સુધી ક્યાંય કહ્યું નહીં હોય. અરે, અમે તો તેમની પાસેથી એવું પણ કઢાવીશું, જે ખરેખર બન્યું પણ ન હોય. તે બાબતમાં અમારી આવડતની ખાતરીને કારણે તો તમે અમારો શો જોઈ રહ્યા છો.’
સવાલ (ગાંધીજી તરફ જોઈને) : વેલ કમ મિસ્ટર, ગાંધી. કડકડતી ઠંડીમાં તમે આટલાં ઓછાં કપડાંમાં? ક્યાંક રાહુલ ગાંધીની યાત્રામાંથી તો ...કે પછી રાહુલ ગાંધીને ઠંડીમાં ટી-શર્ટભેર ફરવાનો આઇડીયા જ તમે આપ્યો?
ગાંધીજીઃ (હસીને) સીધી કપડાંથી ને રાહુલ ગાંધીથી જ શરૂઆત?
સવાલઃ અમારે ત્યાં બધું કામકાજ એકદમ વ્યવસ્થિત, સૂચના પ્રમાણે જ થાય—અને અમારે ત્યાં નિયમ છે કે ઉત્તર ધ્રુવ પર બરફનો મોટો ટુકડો છૂટો પડે કેલિફોર્નિયામાં આગ લાગે, તો પણ રાહુલ ગાંધી પાસે જ એ દુર્ઘટનાઓનો ખુલાસો માગવો. આખરે લોકશાહીમાં જવાબદાર વિપક્ષ જેવું કંઈ હોય કે નહીં? અને સવાલ પૂછવા એ તો મિડીયા તરીકે અમારી ફરજ છે.
ગાંધીજીઃ ફરજ... (મોટેથી હસે છે) તમારી સેન્સ ઓફ હ્યુમર સારી છે.
સવાલઃ આપણે સમય બગાડ્યા વિના સીધા મુદ્દાની વાત પર આવીએ? અમને તો શંકા છે કે તમારી હત્યા થઈ જ ન હતી અથવા ગોડસેએ તમારી હત્યા કરી જ ન હતી. તેને બિચારાને ખોટો ફસાવાયો છે.
ગાંધીજીઃ (શાંતિથી) ગોળી કોને વાગી હતી?
સવાલઃ તમને જ વળી. પણ ગોળી ખાનાર સાચું જ બોલે એવું જરૂરી છે?
ગાંધીજીઃ જરૂરી તો કશું નથી—વડાપ્રધાન હળાહળ જૂઠું જ બોલે, એવું પણ જરૂરી નથી.
સવાલઃ ઓહો, તો તમે પણ અર્બન નક્સલોની ભાષા બોલતા થઈ ગયા? પણ યાદ રાખજો. આ સ્ટુડિયોમાં કોઈની હોંશિયારી ચાલી નથી. એક કલાક—ફક્ત એક કલાક તમે મારી સાથે વાત કરી જુઓ. તમે ગોડસે પર બંદૂક તાણી હતી અને ગોડસેએ સ્વબચાવમાં ગોળીબાર કર્યો, એવું લોકોના મનમાં ઠસાવી ન દઉં તો મારે આ ચેનલની નોકરી છોડી દેવાની. બોલો, છે મંજૂર?
(‘હે રામ’ના ઉદ્ગાર સાથે ગાંધીજીની ખુરશી ખાલી થઈ જાય છે.)
Tuesday, January 24, 2023
શરદી થઈ છે? એક કામ કરો...
શરદી-તાવ જેવી બિમારી લાગુ પડ્યા પછી, બિમારી જેટલું જ કે તેના કરતાં ખરાબ બીજું શું હોઈ શકે? જવાબ છેઃ બિમારી દૂર કરવાને લગતાં સૂચનો--દુનિયાની તમામ ઉપચારપદ્ધતિઓના નીચોડ જેવાં ઘરગથ્થુ, અનુભવસિદ્ધ, મૌલિક સૂચનો.
આવાં સૂચન કરનારાનાં માથાં પર શીંગડાં ઉગેલાં નથી હોતાં. તે આપણા જેવાં જ સીધાસાદાં માણસો હોય છે. તેમાંથી ઘણાં તો પ્રેમાળ અને સાચી લાગણીવાળાં પણ ખરાં. છતાં, તે સૂચનકર્તાની ભૂમિકામાં આવે એટલે ડોક્ટર જેકિલ અને મિસ્ટર હાઇડની પ્રખ્યાત કથાની જેમ તેમનું નવું સ્વરૂપ પ્રગટ થાય છે, જે ન થયું હોત તો તેમના માટે અને આપણા માટે પણ સારું, એવું બિમાર જણને લાગે છે.
‘પથ્થર એટલા પૂજે દેવ’—ની જેમ, સૂચનકર્તાઓનો એક વર્ગ એવો હોય છે કે જેમણે દર્દીને જોયો નથી કે સૂચનનો વરસાદ ચાલુ. અપચાથી એઇડ્સ સુધીના તમામ રોગમાં શું કરવું જોઈએ, એનાં સૂચનો તેમની વાણી થકી ધાણીફૂટ નીકળવા માંડે છે. ‘એક કામ કરો...’થી શરૂ થતી તેમની સૂચનસંહિતા સાંભળીને લાગે, જાણે સાક્ષાત્ ધન્વંતરિ પ્રગટ થયા છે અથવા તો મેડિકલ સાયન્સનાં બધાં પુસ્તકોના સરવાળાનું માનવસ્વરૂપ આવી પહોંચ્યું છે.
તેમનાં સૂચનોમાં સૌથી પ્રભાવશાળી બાબત તેમનું જ્ઞાન નહીં, તેમનો આત્મવિશ્વાસ હોય છે. વ્યાવસાયિક ડોક્ટરો બને ત્યાં સુધી ગેરન્ટી આપતા નથી—અને ગેરન્ટી માગવાનો આગ્રહ રાખે છે (‘ગેરન્ટી આપો કે તમારી સારવાર કરતાં તમને કશું થઈ ગયું તો તેના માટે તમે જ જવાબદાર હશો.’) સૂચનકારો એમ મોળા પડતા નથી. વાતની શરૂઆત જ તે ગેરન્ટીથી કરે છે. ‘મારું કહ્યું માનો... અકસીર ઇલાજ છે. અમુકતમુક ઉપાય કરવાથી તમારો રોગ ઊભી પૂંછડીએ નાસી ન જાય તો કહેજો.’ આવું બોલતી વખતે તેમને અને દર્દીને પણ ખાતરી હોય છે કે તેમના સૂચનનો અમલ કર્યા પછી રોગને પૂંછડી ન ઉગે અને તે ઊભી પૂંછડીએ ન ભાગે તો પણ, સૂચનકર્તા સામે કશાં પગલાં લઈ શકાવાનાં નથી ને તેમને કશું કહી શકાવાનું પણ નથી.
સૂચનકર્તાઓનું કાર્યક્ષેત્ર જ્યોતિષીઓ જેવું હોય છે. તેમની સાચી વાત દાયકાઓ સુધી ગણાવાય છે, પણ તેમની ખોટી પુરવાર થયેલી વાતો ભૂલી જવાની હોય છે. કેમ કે, તે લોકકલ્યાણાર્થે કહેવાયેલી હોય છે. ખોટી પડે તો પડે. તેની ફરિયાદ થોડી મંડાય? એમ આવી નાની નાની બાબતોને વિશ્વસનિયતા સાથે સાંકળવામાં આવે તો આ દુનિયામાં કોઈને કોઈની ઉપર વિશ્વાસ જ ન રહે. એટલે, બીજું કંઈ નહીં તો દુનિયાનું સત્ ટકાવી રાખવા માટે પણ, ખોટી પડેલી આગાહીઓની જેમ અકસીર ન નીવડેલાં સૂચનો યાદ રાખવાં હિતાવહ નથી.
સૂચનકર્તાઓના આત્મવિશ્વાસ માટે કશો આધાર હોવો જરાય જરૂરી નથી. છતાં, અભ્યાસના રસ ખાતર કહી શકાય કે તેમની વાતમાં મુખ્ય બે આધાર હોઈ શકે છેઃ સ્વાનુભવ અને પરાનુભવ. આ બંને શબ્દોને પણ તેના મૂળ અર્થમાં લઈ શકાય નહીં. કારણ કે, બંનેમાં ઉદારતાપૂર્વક કલ્પનાશીલતાનો વઘાર કરાયેલો હોય છે. તેમાંથી એવું આબાદ મિશ્રણ નીપજે છે કે પછી અનુભવ અને કલ્પના વચ્ચે દીવાલ ઊભી કરવાનું અશક્ય બની જાય છે.
સ્વાનુભવસિદ્ધ સૂચનકાર શરદીથી દદડતા જણ પર સૂચનો વરસાવતી વખતે ‘મને પણ એક વાર, તમારી જેમ જ, બહુ શરદી થઈ હતી’—એવી રીતે શરૂઆત કરે છે. ભૂમિકાના સ્તરે તેમાં એવું સૂચવાય છે કે ‘જુઓને, આપણે બંને સરખા.’ પણ બહુ ઝડપથી બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરી નાખતાં તે કહે છે, ‘જેવી મને શરદી થઈ કે તરત, બીજું કંઈ પણ કર્યા વિના, મેં ફલાણું લીધું કે ઢીકણું સૂંઘ્યું કે અમુક ક્રિયા કરી કે તમુક ઉકાળો પીધો. અને સાહેબ, અડધો કલાકમાં શરદી ગાયબ.’
ચાલુ વર્તમાનકાળમાં શરદીથી હેરાનપરેશાન જણને સૂચનકર્તાનો દાવો વ્રતકથાઓમાં આવતા પરચા જેવો લાગે છે. એવી કથાઓમાં છેલ્લે એક વાક્ય આવે છે, ‘અમુક ભગવાન કે માતા જેવા ઢીકણાને ફળ્યા એવા તમને પણ ફળજો.’ સૂચનકર્તાઓ આશાઅપેક્ષા નહીં, ખાતરી જ આપે છે કે ‘અમુક ઉપાય જેવો અમને ફળ્યો એવો તમને પણ ફળશે જ.’ પરોપકાર્થે સ્વાનુભવની કથા માંડીને બેઠા હોય એવા સૂચનકર્તાઓનો ભાવ એવો હોય છે કે ‘જુઓ, મેં તો તમને લાખેણો ઉપાય બતાવી દીધો. તમારે સ્વીકારવો હોય તો સ્વીકારો. પણ તમારામાં જ વેતા ન હોય તો પછી હું શું કરું ને શરદી પણ શું કરે?’
વાત સ્વાનુભવ કથાની હોય ત્યારે બીજો સવાલ વિશ્વાસનો આવીને ઊભો રહે છે. દરદી કુતૂહલ અને જિજ્ઞાસાથી પૂછી બેસે કે ‘શું વાત કરો છો? અમુકતમુક કરવાથી તમારી શરદી મટી ગઈ?’ ત્યારે સૂચનાકર્તાની લાગણી દુભાઈ શકે છે. તે છંછેડાઈને કહી શકે છે, ‘આ તો તમારા માટે લાગણી હતી એટલે કહ્યું. ન માનવું હોય તો ન માનશો.’ પછી અસંતોષ રહી જતાં ઉમેરી શકે છે, ‘તમે તો ભાઈ મોટા વિદ્વાન રહ્યાને. અમારા જેવાનું ક્યાંથી માનો?’ પોતાનું નાક વહેતું અટકાવવાના ચક્કરમાં ક્યાંક સામેવાળાની આંખ વહેવા ન લાગે, એ બીકે દર્દી બિચારો દબાણમાં આવી જાય છે. કેટલાક આગ્રહી સ્વાનુભવવાળા નિકટના કુટુંબી કે સ્નેહી હોય ત્યારે દર્દી તેમની હાજરીમાં જ, તેમણે સૂચવેલો ઉપચાર અપનાવી જુએ, એવો આગ્રહ રાખે છે. ત્યારે દર્દીને શરદી કરતાં સૂચન વધારે કારમાં લાગે છે.
Tuesday, January 17, 2023
ગૂજરાત વિદ્યાપીઠઃ કુલનાયક ખીમાણીનું રાજીનામું એટલે...
આખરે બે દિવસ પહેલાં ગૂજરાત વિદ્યાપીઠના કુલનાયક (વીસી) રાજેન્દ્રભાઈ ખીમાણીએ રાજીનામું આપ્યું.
હાઇકોર્ટના આદેશને પગલે તેમનું જવાનું તો નક્કી જ હતું.
એક અટકળ એવી હતી કે અમિત શાહ કદાચ તેમને કોર્ટના આદેશની અસરમાંથી બચાવી પણ લે.
બીજી, વધારે તાર્કિક, અટકળ એવી હતી કે અમિત શાહ તેમને બચાવવા માટે શું કામ પ્રયાસ કરે? તેમનો ઉપયોગ તો કેવળ વિદ્યાપીઠ હાંસલ કરવા પૂરતો જ હોય.
અને રાજેન્દ્રભાઈ સામે કશી કાર્યવાહી ન થાય, એ પણ તેમના માટે તો સરકારે કરેલી તરફેણ જ ગણાય, એવા આરોપ તેમની સામે છે.
***
વિદ્યાપીઠમાં આચાર્ય દેવવ્રત જેવા સરકારમાન્ય, સરકાર-અનુકૂળ અને રામદેવના અનુયાયી એવા કુલપતિ (ચાન્સેલર) નીમવા માટે ટ્રસ્ટીમંડળમાં ઠરાવ થયો અને બહુમતીથી પસાર થયો, તેમાં પ્રેરક બળ રાજેન્દ્રભાઈનું હતું.
સ્ટાફના પ્રતિનિધિઓને એવું સમજાવવામાં આવ્યું કે સરકારને અનુકૂળ નહીં થઈએ તો ગ્રાન્ટ નહીં આવે (કેમ જાણે ગ્રાન્ટ કોઈના પિતાશ્રીની મૂડીમાંથી આવવાની હોય) અને તમારા પગાર અટકશે. ભૂતપૂર્વ સાથીદારોને કહેવામાં આવ્યું કે આરોપોમાં તમે પણ સહઆરોપી બનશો.
ભૂતપૂર્વ સાથીદારો તો ન માન્યા ને વિરોધમાં થોડા મત પડ્યા. છતાં ઠરાવ બહુમતીથી પસાર થઈ ગયો અને આચાર્ય દેવવ્રત રાજ્યપાલ તરીકે નહીં, વ્યક્તિગત રીતે વિદ્યાપીઠના આજીવન કુલપતિ બની ગયા. ત્યાર પછી તેમણે જે મહાન સફાઈઝુંબેશ ઉપાડી, રાજ્યપાલભવનમાંથી તેની જે ભવ્ય યાદીઓ બહાર પડી અને છપાઈ, તે સૌ જાણે છે.
તો, સરવાળે શું થયું?
- રાજેન્દ્રભાઈએ વિદ્યાપીઠ સરકારના ચરણે ધરી દીધી. વિદ્યાપીઠના કુલપતિનું પદ ગાંધીવિચારધારાથી વિપરીત વિચારધારા ધરાવતા માણસ પાસે ગયું--અને તે પણ તે ભાઈ જીવે ત્યાં સુધી. તે પાપ રાજેન્દ્રભાઈની સક્રિય આગેવાની હેઠળ થયું. તરફેણમાં મત આપનારા એ પાપના ભાગીદાર.
- બદલામાં રાજેન્દ્રભાઈની સામે કશાં પગલાં નહીં લેવાય, એવી આશા કે આશ્વાસન હશે? ખબર નથી, પણ હાલમાં તો તેમણે કુલનાયકપદું છોડવું પડ્યું.
***
રાજેન્દ્રભાઈ કહી શકે કે તેમણે વિદ્યાપીઠને બચાવી લીધી. નહીંતર ગ્રાન્ટ બંધ થઈ જાત અને સ્ટાફ પગાર વિના રવડી પડત અને વિદ્યાપીઠ બંધ થઈ જાત.
વિદ્યાપીઠના ટીકાકારો કહી શકે કે આમાં કશું ક્યાં નવું છે? વિદ્યાપીઠમાં તો પહેલેથી પુષ્કળ પોલંપોલ ચાલતું હતું.
--અને આ બંને વાતોમાં સત્યનો ઘણો અંશ હોઈ શકે. છતાં, તે આખા ચિત્રનો નાનકડો હિસ્સો છે.
આખું ચિત્ર એ છે કે કે જેવી હતી તેવી એક ગાંધીસંસ્થા વિરોધી વિચારધારાના સત્તાધીશોએ આંચકી લીધી અને તે પણ કોઈ પણ પ્રકારના પ્રજાકીય-નાગરિકી વિરોધ વિના.
***
અત્યાર સુધીના બનાવો પરથી સમજાય છે કે આ સરકાર એક જ ભાષા સમજે છેઃ વિરોધની.
સમેતશિખરને પ્રવાસનધામ ન બનાવાય, એવી જૈનોની માગણી તેમના વિરોધપ્રદર્શન પછી સ્વીકારાઈ. એ તેનો તાજો દાખલો છે.
ત્યાર પહેલાંનાં વિરોધ પ્રદર્શનો પણ યાદ કરી લો. એટલે ખ્યાલ આવી જશે કે વિરોધીઓ પ્રત્યે ગંદકી ફેલાવવા સિવાય, તેમને નહીં જેવા કારણોસર કે કારણવગર જેલમાં ખોસી દેવા સિવાય અને વિરોધીઓ સામે પાળેલાં પ્રાણીઓને છૂટાં મૂકી દીધા સિવાય, બીજું ખાસ કંઈ તેમને ફાવતું નથી.
આટલાં વર્ષ વિરોધ કરી કરીને અહીં પહોંચ્યા પછી હવે સાહેબલોકોથી કાયદાની હદમાં રહીને થતો વિરોધ પણ સહેવાતો નથી. હવે તો એ વિરોધ પ્રદર્શન વખતે ધરપકડને લગતા કાયદા પણ બદલવા માંડ્યા છે.
વિરોધથી ડરતા હોવાને કારણે તેમના પ્રયાસ એવા હોય છે કે કોઈ પણ ચીજ હડપ કરી લેતાં પહેલાં ત્યાંના સત્તાધીશોની ફાઇલો સાથે રાખવી અને ભય કે લાલચ કે બંનેના જોરે તેમને દબાવીને, વ્યાપક વિરોધ થાય તે પહેલાં કબજો જમાવી લેવો.
એવા સંજોગોમાં શિસ્તબદ્ધ, અહિંસક પણ આકરો વિરોધ પણ ન થાય, ત્યારે શું કહેવું?
***
વિરોધનો અર્થ એવો નથી કે બધાએ સડક પર ઉતરવું. જેને જે અનુકૂળ પડે તે કરે. પણ જેનો દાવો ને હોદ્દો વધારે મોટો, તેની જવાબદારી વધારે મોટી. બધા વિરોધની પહેલ ન કરે તો પણ, વાજબી રીતે થતા વિરોધને એક યા બીજી રીતે સહકાર તો આપે.
વિદ્યાપીઠ એ ટ્રસ્ટીઓના કે હોદ્દેદારોની મિલકત નથી. તેની છેવટની માલિકી સમાજની અને તેમાં પણ વિદ્યાપીઠ જેવી સંસ્થાઓના કિસ્સામાં, ગાંધીપ્રેમી હોય અથવા કમ સે કમ ગાંધીદ્વેષી ન હોય, એવા વ્યાપક જનસમુદાયની છે. 'આપણે શી લેવાદેવા?' એવું વિચારતાં પહેલાં આટલું મનમાં રાખજો.
બાકી તો, ગાંધીજી કહેતા હતા તેમ, તમારા રુદિયાનો રામ સૂઝાડે તેમ કરજો. રુદિયામાં રામના પાવક સ્મરણને બદલે 'જય શ્રી રામ'ની હિંસક નારાબાજી હોય તો જેવાં ગાંધીજીનાં, રામનાં ને દેશનાં નસીબ.
Tuesday, December 27, 2022
જામફળ પાકાં ખાવાં કે કાચાં?
ગુજરાતમાં કાયદેસર રીતે અને પરમિટ વિના જામની મનાઈ છે, પણ જામફળને કોઈ પ્રતિબંધક કાયદો લાગુ પડતો નથી. કારણ કે, મંત્રીઓ-ધારાસભ્યો જેમ નામના જ લોકસેવક હોય છે, તેમ જામફળ પણ નામનું જ જામ-ફળ છે. એ જુદી વાત છે કે જામફળ ભાવતાં હોય એ લોકોને તેમાંથી પણ જામ જેવી જ કીક આવે છે.
એક વાર ખુમચા પર જઈને કહ્યું, “પાકાં જામફળ આપો.” ત્યાં ઉભેલો કર્તાહર્તા સવાલ પાછળ મોટું અજ્ઞાન છુપાયેલું હોય અને એ તેને દેખાઈ ગયું હોય તેમ, હસીને કહે,”જામફળ તે કદી કાચાં હોતાં હશે?” સામે દેખાતાં લીલાંકચ્ચ જામફળ અને તેની વચ્ચે વચ્ચે વિરાજમાન પીળાં જામફળ છતાં, તેના દાવામાં રહેલો આત્મવિશ્વાસ જોઈને થયું કે આ માણસની પ્રતિભાનો અહીં વેડફાટ થઈ રહ્યો છે. તે વિદેશી બાબતોના મંત્રી જયશંકર પાસે કે તેમના પણ સાહેબ એવા વડાપ્રધાન પાસે હોવો જોઈએ. કેમ કે, ભારતની સરહદે ચીનની લશ્કરી કાર્યવાહી વિશે વાત કરતી વખતે તેમનો આત્મવિશ્વાસ એવો જ હોય છે.
પરંતુ જામફળવાળા પાસે તેનું આત્મવિશ્વાસભર્યું જૂઠાણું માથે મારવા માટે સાયબર સેલ કે ટીવી ચેનલો જેવી કોઈ વ્યવસ્થા ન હતી અને કાચા કે પાકા, એકેય જામફળનો રંગ કેસરી ન હતો. એટલે વાતને બીજો કોઈ વળાંક આપવાની પણ ગુંજાશ ન હતી. એટલે તે ચૂપચાપ પીળાં જામફળ ત્રાજવામાં મુકવા લાગ્યો.
”જામફળ તે કદી કાચાં હોતાં હશે?” તેને બદલે એવું ચોક્કસ કહી શકાય કે પાકાં જામફળની જેમ કાચાં જામફળનો પણ ચાહકવર્ગ હોય છે. પાકાં જામફળના પ્રેમી દૂરથી આવતી પાકાં જામફળની સુગંધથી મોહિત થાય છે અને તેને આરોગવા આતુર થઈ ઉઠે છે. એવા લોકોને જોઈને લાગે છે, જાણે તે હમણાં જ પાકું જામફળ ઉઠાવીને, સભ્યતા-બભ્યતાની પરવા કર્યા વિના, તેને બચકાં ભરવા માંડશે. કાચા જામફળના પ્રેમીઓ પ્રમાણમાં સભ્ય હોય છે. તે કાચા જામફળને બચકાટવા માંડતા નથી. તેની પાછળ તેમની પોતાના દાંત વિશેની ચિંતા પણ કારણભૂત હોઈ શકે. કેમ કે, કાચાં જામફળ કઠણ હોય છે. તેમને સીધું બચકું ભરવા જતાં, તે દાંતનો મજબૂત પ્રતિકાર કરે એવી સંભાવના હોય છે.
પાકાં જામફળના પ્રેમીઓને હંમેશાં વિસ્મય થાય છે કે કાચા જામફળમાં શું ખાવાનું? ‘વિસ્મય’—એ તો જાહેરમાં કહેવા માટે. બાકી મનોમન એવું જ થાય છે કે આ કાચાં જામફળ ખાનારા ક્યારે સુધરશે અને સભ્ય સમાજમાં-સમાજની મુખ્ય ધારામાં તેમનું સ્થાન પ્રાપ્ત કરશે? માણસ ગુફામાં રહેતો હતો ત્યારે કાચાં ફળફળાદિ-શાકભાજી ખાતો હતો. તે વાતને સદીઓ વીતી. હવે કાચાં જામફળ ખાઈને તે અવસ્થાની પોતાની જાતને અને બીજાને પણ યાદ અપાવવાની શી જરૂર?
પણ પ્રેમ કોને કહ્યો છે? કાચાં જામફળના પ્રેમીઓ પાસે આવેશપૂર્ણ દલીલ મોજુદ હોય છે. તે પાઠ્યપુસ્તકમાં આવતો વિજ્ઞાનનો કોઈ પ્રયોગ વર્ણવતા હોય તેમ કહે છે, ”એક મસ્ત લીલું જામફળ લો. તેને બરાબર ધોઈ નાખો. પછી એક છરી લો. તેને—એટલે કે, છરીને નહીં, જામફળને—છ-આઠ-દસ ટુકડામાં ક્ષમતાનુસાર કાપો. પછી તેની પર સ્વાદાનુસાર મીઠું, મરચું, ચાટ મસાલો વગેરે નાખો. અને પછી તેનું એક બટકું ભરી જુઓ.”
જામફળ પાકું ઉત્તમ કે કાચું, તે મુદ્દે જેમ તીવ્ર મતભેદ છે, તેમ ફળ મસાલા વિના ખાવું કે મસાલો નાખીને, તે મુદ્દે પણ આકરા અભિપ્રાયભેદ પ્રવર્તે છે. એક વર્ગ એવું માને છે કે ફળ ઉપર મસાલો નાખવો એ તેના ફળત્વનું અપમાન છે. કારણ કે, ત્યાર પછી ફળનો મૂળ સ્વાદ મરી જાય છે અને નકરો મસાલાનો જ સ્વાદ આવે છે. બંનેમાંથી એકેય પ્રકારનો અભિપ્રાય ન ધરાવતા જણને આ દલીલ સાચી લાગું લાગું થતી હોય, ત્યાં સામા પક્ષની દલીલ આવે છે, ”ના જોઈ હોય તો મોટી અસલીયતની પૂંછડીઓ. તમારે સ્વાદ સાથે કામ છે કે શુદ્ધતા સાથે? ફળના અસલ સ્વાદમાં મસાલો નાખવાથી ઉમેરો—જેને માર્કેટિંગવાળા વેલ્યુ એડિશન કહે છે તે—થતું હોય તો શો વાંધો?” તટસ્થ માણસને લાગે છે કે એ વાત પણ સાચી છે.
જામફળના મામલે પણ એવી સ્થિતિ સર્જાય છે. પાકા જામફળના પ્રેમીઓ કહે છે, ”મસાલાનો જ સ્વાદ લેવાનો બહુ ચટાકો હોય તો જામફળની શી જરૂર? થર્મોકોલ પર જ એ મસાલો નાખીને ચૂસી જાવ. રંગનો આગ્રહ હોય તો થર્મોકોલને ગોળ કાપીને લીલો રંગ કરી દેજો.” આવી વાત સાંભળીને કાચા જામફળના પ્રેમીઓ ન ઉશ્કેરાય તો જ નવાઈ. કાયદો અને વ્યવસ્થાના લાભાર્થે એટલું સ્પષ્ટ કરી લેવું જોઈએ કે કાચાં અને પાકાં ફળના પ્રેમીઓ વચ્ચે લડાઈનો સંજોગ ઊભો થાય, તો કાચાં ફળના પ્રેમીઓનું પલ્લું નમેલું રહી શકે છે. કારણ કે કાચાં ફળ ફક્ત ચાવવામાં જ નહીં, તેનો માર વેઠવામાં પણ કઠણ પડી શકે છે.
કાચાં-પાકાંનો પક્ષ ન લેવો પડે એટલે કેટલાક ‘યુનો’વાદીઓ એવું સમાધાન શોધે છે કે ”એક કામ કરને. અધકચરાં આપ, પણ એવાં આપજે કે બે દિવસમાં પાકી જાય.” આવું કરવાથી બંને પક્ષોને સંતોષી શકાશે એવું તેમને લાગે છે. પણ ઘરે પહોંચ્યા પછી ખ્યાલ આવે છે કે અધપાકાં જામફળથી તેમણે કાચાં-પાકાં બંનેના પ્રેમીઓને નારાજ કર્યા છે. ત્યારે તેમને ‘યુનો’ ની નિષ્ફળતાનું રહસ્ય સારી રીતે સમજાઈ જાય છે.