Sunday, July 03, 2022
સુરતમાં અસંતુષ્ટ-સંવાદ
કહેવતમાં સુરતના જમણની વાત હતી, પણ થોડા દિવસ પહેલાં સુરતનું શરણ સમાચારોમાં આવ્યું. સૌ જાણે છે તે પ્રમાણે, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના કેટલાક અસંતુષ્ટ ધારાસભ્યોનું એક ટોળું સુરતના શરણે આવ્યું હતું. સદીઓ પહેલાં શિવાજીએ રાજકીય કારણોસર સુરત લુંટ્યું હતું. વર્તમાનકાળમાં શિવસેનાને ‘લુંટવા’ માટે તેના ધારાસભ્યો સુરત આવ્યા. હવે અડધું કાઠિયાવાડ બનેલા સુરતે ધારાસભ્યોની ‘સ્વર્ગ ભુલાવે’ એવી મહેમાનગતિ કરી-ન કરી, ત્યાં આખા ધણને આસામ હાંકી જવામાં આવ્યું. એટલે સુરતના યજમાનો પાસે તોતિંગ બિલની બાકી રકમ સિવાય ખાસ કંઈ રહ્યું નહીં.
યોગભ્રષ્ટ આત્માઓ માટે એમ કહેવાય છે કે તે બહુ પવિત્ર હોવા છતાં, એકાદ ભૂલની સજા તરીકે તેમને એક વાર પૃથ્વી પર મોકલવામાં આવે છે. એવી જ રીતે, શિવસેનાના પથભ્રષ્ટ ધારાસભ્યોને થોડા સમય જલસા જ કરવાના હોય. છતાં, કદાચ કોઈ નાનકડા પાપને કારણે તેમને થોડા સમય પૂરતું સુરતમાં અવતરવું પડ્યું હશે. સુરત એવું ખરાબ શહેર નથી કે ત્યાં આવવું સજારૂપ લાગે. પણ ગુજરાતમાં ટેકનિકલી દારૂબંધી છે અને સુરત ટેકનિકલી ગુજરાતમાં જ છે. કેટલાક જાણકારોના મતે, પથભ્રષ્ટ આત્માઓને ટેકનિકલ બાબતો નડી ગઈ હશે. એટલે તે ટૂંક સમયમાં આસામ જવા રવાના થઈ ગયા.
સાચું કારણ જે હોય તે, અટકળનો વિષય એ છે કે સુરતમાં રહેલા એ ધારાસભ્યો વચ્ચે અંદરોઅંદર કેવી વાતો થતી હશે? કેટલાક કાલ્પનિક સંવાદ.
આગેવાનઃ ભાઈઓબહેનોંઓંઓંઓં.
આગેવાનનો પીએઃ આપણે બધા ભાઈઓને જ ઉઠાવ્યા છે સાહેબ. બહેનો
તો...
આગેવાનઃ (ખોંખારીને) પ્રિય ભાઈઓ, આખરે આપણે પહોંચ્યા ખરા.
સભ્ય-૧ : એંહ, વાત તો આપણે મંત્રીમંડળમાં પહોંચવાની થઈ હતી ને તમે સુરત
પહોંચ્યાની ખુશાલી મનાવવા બેસી ગયા.
પીએઃ શાંતિ રાખો સાહેબો. શાંતિ રાખો.
સભ્ય-૨ :
ખોટ્ટી વાત નહીં કરવાની. આપણે નીકળ્યા ત્યારે ફક્ત બેગ રાખવાની જ વાત થઈ હતી.
શાંતિનું કોઈએ કહ્યું ન હતું.
સભ્ય-૩ (આગેવાન તરફ જોઈને) : આને તમે સમજાવો. મોં સંભાળીને વાત કરે. આજે શાંતિ રાખવાની વાત કરે છે. કાલે
ધીરજ રાખવાનું કહેશે. ધીરજ રાખવી હોત તો મુંબઈ શું ખોટું હતું? બીજું કશું નહીં તો, અત્યારે બાર તો ચાલુ હોત અને નિરાંતે દુઃખહર પીણાના ટેકે લોકશાહીની
તંદુરસ્તીનું ચિંતન કરતા હોત.
આગેવાનઃ (પીએને, ખાલી ખાલી ખખડાવતાં) કેટલા વર્ષથી તું સર્વિસમાં છું? સાહેબો સાથે કેવી રીતે વાત થાય, એટલું ભાન નથી પડતું?
(સભ્યો તરફ જોઈને) એનું તમારે બહુ મન પર ન લેવું.
સભ્ય-૩ :
ઉદ્ધવ માટે પણ અમને એવું જ કહેવામાં આવતું હતું કે એનું તમારે બહુ મન પર ન લેવું.
દરેક વાતની એક હદ હોય કે નહીં?
પીએઃ (ધીમેથી) તમારી માગણીઓની ક્યાં હદ છે?
આગેવાન પીએ તરફ જોઈને તેમને ચૂપ રહેવાનો ઇશારો કરે છે. પીએ
ચૂપચાપ ખૂણામાં જઈને કશીક ખુસરપુસર કરે છે, એટલે થોડી વારમાં એક બોટલ હાજર થાય છે. પીએ તેમાંથી ગ્લાસ ભરીને હોઠે માંડે
છે. એટલામાં—
સભ્ય-૧ :
(તપાસના-પૂછપરછના ભાવથી) અલ્યા,
શું કરે છે?
સભ્ય-૨ :
તેનો હોદ્દો સાર્થક કરી રહ્યો છે—તે પીએ છે.
સભ્ય-૩:
તો આપણે ઘાસ કાપી રહ્યા છીએ?
એ પીએ છે, તો આપણે સભ્ય છીએ.
સભ્ય-૧ :
એ જ તો પ્રોબ્લેમ છે...આપણે સભ્ય છીએ ને લોકો આપણા વિશે કેવું કેવું ધારે છે.
આગેવાનઃ શાંતિ, શાંતિ. લોકો આપણા વિશે કેવું ધારે છે, એ વિચારવા બેસીએ તો રાજકારણમાં રહેવાય જ નહીં.
પી.એ. :
લોકો જે ધારતા હોય તે સાચું હોય તો પણ, તેના વિશે વિચારવું ન જોઈએ. જાહેર જીવન કંઈ
લજામણીના છોડ માટે થોડું છે? થોરિયા
જેવા થવું પડે, સમજ્યા?...મને નવાઈ લાગે છે કે હજુ સુધી કોઈ પક્ષે થોરિયાનું સિમ્બોલ કેમ માગ્યું
નહીં હોય? (આગેવાન તરફ જોઈને) આપણે સાહેબ અલગ
પક્ષ રચવાનો થાય તો એ સિમ્બોલ વિશે વિચારી શકાય. કેમ લાગે છે આઇડીયા?
સભ્ય-૧ :
એટલે આપણે સાહેબ નવો પક્ષ રચવાના?
તો હું એનો ખજાનચી.
આગેવાનઃ હજુ જોતા જાવ. બહુ ખેલ બાકી છે. પણ છેલ્લે જીત
સત્યની જ થશે.
સભ્ય -૧-૨-૩ : હાય હાય... સત્યની જીત થશે,
તો આપણું શું થશે?
તમે આવું અશુભ ન બોલો.
આગેવાનઃ તમે લોકો સમજતા નથી. એ તો એવું જ કહેવાય. કહેવાનું
કે ‘હું ગુનેગાર હોઉં તો મને ચાર રસ્તે
ફાંસીએ લટકાવી દેજો.’
ને પોલીસ માત્ર પૂછપરછ કરવા આવે તો પણ ભાડૂતી લોકોને રસ્તા પર ઉતારીને કકળાટ મચાવી
દેવાનો.
સભ્ય-૧ :
અને સત્ય?
આગેવાનઃ સત્ય એટલે શું? એ તો સાપેક્ષ છે. મારું સત્ય અને તમારું સત્ય, તમારું સત્ય અને તમારા સાથીદારનું સત્ય, આપણું સત્ય અને સ્પીકરનું સત્ય, આપણા જૂના નેતાનું સત્ય ને નવા સાહેબનું સત્ય, રાજ્યપાલનું સત્ય ને મુખ્ય મંત્રીનું સત્ય અલગ અલગ હોઈ શકે છે. એટલે આપણી જીત
થાય તો કહી દેવાનું કે સત્યની જીત થઈ.
સભ્ય-૨ :
અને કોઈ કારણસર આપણા પાસા પોબાર ન પડે તો?
આગેવાનઃ તો કહી દેવાનું કે આખરે સત્યની જ જીત થશે, પણ હજી આખર ક્યાં આવી છે?
(સૌ કપડાં ઉતારીને...ના, ગૃહમાં નહીં...સ્વિમિંગ પુલમાં જાય છે)
Tuesday, June 28, 2022
સર્વોચ્ચ અદાલતના નામે
(તંત્રીલેખ, ઇન્ડિયન એક્સપ્રેસ, 26 જૂન, 2022)
સુપ્રીમ
કોર્ટ ન હોત તો ગુજરાતના 2002ના કેસોમાં ન્યાય હાથતાળી દેતો રહ્યો હોત. એટલે જ,
(સુપ્રીમ કોર્ટનો) તાજેતરનો ચુકાદો અને પોલીસ દ્વારા થયેલો તેનો ઉપયોગ અકળાવનારા
સવાલ ઊભા કરે છે.
ગુજરાતમાં 2002માં થયેલી કોમી હિંસાની લાંબી, ત્રાસદાયક અને હજુ ઉઘડી રહેલી ન્યાયપ્રક્રિયામાં સર્વોચ્ચ અદાલતે પ્રશંસનીય ભૂમિકા ભજવી છે. ઘણા કિસ્સામાં તેના વચ્ચે પડવાને કારણે ન્યાયપ્રક્રિયાની ગાડી પાટા પર રહી છે, સત્તાધીશોના દબાણથી તે સલામત રહી છે. સર્વોચ્ચ અદાલતની દરમિયાનગીરીને કારણે, હિંસાનો ભોગ બનેલા તેમ જ હિંસાનો ભોગ બન્યા પછી જીવિત રહેલા લોકો ન્યાયપ્રક્રિયાના નિષ્પક્ષ અને ન્યાયી અંતની આશા રાખી શક્યા છે. એ જ કારણથી શનિવારના રોજ થયેલી કર્મશીલ તિસ્તા સેતલવાડની અને ગુજરાતના ભૂતપૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારની ધરપકડો ખેદજનક છે. તેમની વિરુદ્ધની એફઆઇઆરમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા અને તેના પરિશિષ્ટમાંથી ઘણી સામગ્રી ટાંકવામાં આવી છે.
શુક્રવારે
સુપ્રીમ કોર્ટે 2002માં ગુજરાતના ઉચ્ચ સત્તાધીશો દ્વારા કોઈ વ્યાપક કાવતરું રચાયું
હોવાના આરોપોનું ખંડન કર્યું અને તત્કાલીન મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીની આગેવાની
હેઠળની ગુજરાત સરકારને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (સીટ) દ્વારા અપાયેલી ક્લીન
ચિટને બહાલી આપી. આ કેસ નીકળી જ જવાનો હતો એ પહેલેથી નક્કી હતું, એવું કહી શકાય.
કારણ કે કથિત કાવતરાબાજીનો છેડો છેક મુખ્ય મંત્રીની કચેરી સુધી પહોંચતો હોય એ
પુરવાર કરવાનું બહુ કઠણ હતું. આ કેસ ન્યાયપાલિકામાં ટકી શકે એવા પુરાવાના જોરે
નહીં, પણ હિંસામાં પાયમાલ થયેલાઓની વ્યથાને કારણે આટલે સુધી પહોંચ્યો હોઈ શકે. એ જ
ચુકાદામાં જોકે સુપ્રીમ કોર્ટ ચિંતાજનક રીતે એક ડગલું આગળ વધી. તેના ચુકાદાના
આધારે નોંધાયેલી એફઆઇઆરમાં અદાલતના ચુકાદામાંથી ટાંકવામાં આવેલો હિસ્સો આ પ્રમાણે
હતોઃ ‘આખરે, આ કેસ ગુજરાત
રાજ્યના કેટલાક અસંતુષ્ટ અધિકારીઓએ બીજાઓ સાથે મળીને કરેલો સનસનાટી સર્જવાનો
પ્રયાસ હોય એવું લાગે છે... (તેનો આશય) દેખીતી રીતે, ગુપ્ત યોજનાઓ પાર પાડવાના
હેતુથી, ચરુ ઉકળતો રાખવા માટેનો... (જણાય છે)...પ્રક્રિયાના દુરુપયોગ સાથે
સંકળાયેલા સૌ કોઈને અદાલતમાં ખડા કરીને તેમની સામે કાનૂની રાહે કામ ચલાવવું જોઈએ.’ આ ચુકાદો આવ્યાના બીજા દિવસે સવાલ
છેઃ અદાલતના ચુકાદામાંથી લીટીઓ ઉપાડીને જે રીતે ઇરાદાપૂર્વક હેરાનગતિની શરૂઆત
કરવામાં આવી છે, એ તરફ અદાલત આંખમીંચામણાં તો નહીં કરે. (નહીં કરે ને?)
શ્રીકુમાર અને સેતલવાડના કિસ્સામાં કાયદાએ કાયદાનું કામ કરવું જોઈએ. પરંતુ અદાલતના ચુકાદામાંથી ઉતારા લઈને કરાયેલી એફઆઇઆરમાં અને 2002ના કેસોમાં અરજદારોની પડખે ઊભા રહેલા લોકો સામે તત્કાળ પોલીસપગલાં લેવા ચુકાદો વપરાયો, તેમાં પ્રશ્નો તો છે. અદાલતે શુક્રવારે જે કહ્યું અને શનિવારે પોલીસે તેમાંથી પોતાનાં પગલાં માટે જે અર્થ લીધો, તેના કારણે અત્યાર સુધીની હકીકતનું જાણે શીર્ષાસન થઈ ગયું. આખરે, આ એ જ અદાલત હતી, જેણે 2002ની હિંસામાં ન્યાય થાય તે માટે સંખ્યાબંધ અભૂતપૂર્વ પગલાં લીધાં હતાં. તપાસમાં ગંભીર ક્ષતિના આરોપોના પગલે સુપ્રીમ કોર્ટે કેટલાક કેસોની કાર્યવાહી અટકાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી હતી અને સંવેદનશીલ કેસોની સુનવણી માટે ખાસ ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરીને તેની કામગીરી પર દેખરેખ રાખી હતી. સુપ્રીમ કોર્ટે એ વાત પણ સુનિશ્ચિત કરી હતી કે કેસો ગુજરાતની બહાર ખસેડવામાં આવે, જેથી ન્યાય થઈ શકે. તેના વચ્ચે પડવાને કારણે ગોધરાકાંડ પછી થયેલાં રમખાણોના આશરે બે હજાર કેસ નવેસરથી ખુલ્યા હતા. હકીકતમાં બે દાયકા પહેલાં થયેલી કોમી હિંસાના પીડિતો અને હિંસામાંથી જીવતા બચી ગયેલા લોકો માટે ન્યાય મેળવવાના કર્મશીલો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાષ્ટ્રિય માનવ અધિકાર પંચ સહિતનાં સૌ કોઈના પ્રયાસોમાં સુપ્રીમ કોર્ટ જ કેન્દ્રસ્થાને હતી.
ગુજરાતમાં 2002ના કેસોમાંથી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા થયેલી ફરજચૂકના ગંભીર સવાલ ઊભા થયા હતા. (એવી સ્થિતિમાં) કોઈ એક કેસ નીકળી જાય, તે બાબત (2002ની) હિંસાની જવાબદારી નક્કી કરવાની અને ન્યાય મેળવવાની આખી લડત સામેના તળિયાઝાટક આરોપનામાની ભૂમિકા ન બનવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે એ પણ વિચારવું જોઈએ કે એક ચોક્કસ કિસ્સામાં હિંસાનો ભોગ બનીને તેનો દરવાજો ખટખટાવનારાની અરજ ટકી શકી નહીં, તેના કારણે ન્યાયપ્રક્રિયાનું નાળચું અરજદારોની સામે તકાઈ જાય એ વાત, બંધારણીય પ્રક્રિયા અને મૂલ્યોના શાણપણભર્યા સંરક્ષક તરીકેની સુપ્રીમ કોર્ટની ભૂમિકાને અને તેના દરજ્જાને છાજે એવી છે કે નહીં.
મૂળ અંગ્રેજી લેખની લિન્કઃ https://indianexpress.com/article/opinion/editorials/supreme-court-judicial-system-7992775/
Thursday, June 23, 2022
માથું ખંજવાળવા વિશે
અને માથું છે તો ખંજવાળ પણ છે. પીઠની ખંજવાળ સૌથી કઠણ ગણાય છે. એકબીજાની પીઠ ખંજવાળવાનો સાહિત્યજગતમાં ઘણો મહિમા છે, તેના કારણે એવું બન્યું હશે? ખબર નથી. તેની સરખામણીમાં માથાની ખંજવાળ સહેલી છે.
ના, અહીં માથાની ખંજવાળ મટાડવાનું સહેલું છે, એવો દાવો નથી. તેને સંતોષવાનું આસાન છે. કારણ કે માથું ખંજવાળવા માટે આપણા હાથને કાનૂનના હાથ જેટલા લાંબા કરવા પડતા નથી. સહેજ હાથ ઊંચો કર્યો-ન કર્યો, કોઈની નજર પડી-ન પડી, ત્યાં માથું ખંજવાળી લેવાય છે. બીજો માણસ ધ્યાનથી ન જોતો હોય તો તેને ખ્યાલ ન આવે કે સામેવાળાએ વાળ સરખા કર્યા કે માથું ખંજવાળ્યું.
ભાષાના આગ્રહીઓને એવો સવાલ થાય કે માણસ વાળ ખંજવાળે છે કે માથું? આ તો એવી વાત થઈ કે તમે સુરતમાં રહો છો કે ગુજરાતમાં? સવાલના ગંભીર જવાબ માટે તેના મૂળ સુધી જવું પડે અને તેના મૂળ સુધી જવા માટે વાળનાં મૂળ સુધી જવું પડે. તે સાથે જ સમજાઈ જશે કે વાળ ખંજવાળતાં અનાયાસે માથું ખંજવાળાઈ જાય છે. કારણ કે, સુરત ગુજરાતમાં-ગુજરાતના નકશા પર છે અને વાળ માથામાં-માથાની સપાટી પર છે.
માથામાં ખંજવાળ સામાજિક રીતભાત અને સભ્યતાની દૃષ્ટિે અશોભનીય ગણાય છે. જાહેરમાં વાળ ખંજવાળવાથી સામાજિક વિવેચકો ખંજવાળનાં કારણો વિશે અટકળો છૂટી મૂકે છેઃ ‘માથામાં ખોડો થયો હશે. થાય જ ને. સ્વભાવ સાવ પિત્તળ છે તે...’ અથવા ‘માથાની અંદરના ભાગમાં ઠાંસી ઠાંસીને ભરેલી દુષ્ટતા બહાર ઉભરાતી હશે. એટલે ખંજવાળ આવતી લાગે છે.’ અથવા ‘માથામાં જૂઓ પડી હશે. બિચારી જૂઓને પણ જુઓ ને, ક્યાં ક્યાં પડવું પડે છે...’ કર્મના સિદ્ધાંતના અને કેરીના પ્રેમી કહી શકે છે, ‘નક્કી એકલાં એકલાં કેરીઓ ખાધી હશે. પછી જૂઓ ના પડે તો શું થાય?’
માથાની ખંજવાળ રોગ ગણાતી નથી. એટલે, તેની દવા આપનારા હજારો ‘ડોક્ટર’ હોય છે. દરેક માણસ પાસે (બીજાના) માથાની ખંજવાળ શી રીતે દૂર થાય, તેના અકસીર ઇલાજો હોય છે. બસ, તે પોતાની ખંજવાળ દૂર કરી શકતા નથી. તેમ કરવા માટે તેમની નિષ્ફળતા નહીં, ઉદારતા કારણભૂત છે. તે પોતે પોતાની ખંજવાળ મટાડી દે, તો બીજાને તેમના ખંજવાળવિષયક જ્ઞાનની અજમાઈશ કરવાની તક ક્યાં મળે?
‘હું ક્યાં કોઈ દિવસ જૂઠું બોલું છું.’ એવું કહેતા જૂઠ્ઠાઓની જેમ, કેટલાક તો વળી પોતાનું માથું ખંજવાળતાં ખંજવાળતાં બીજાએ તેમની માથાની ખંજવાળ શી રીતે મટાડવી, તેની સલાહ આત્મવિશ્વાસપૂર્વક આપતા હોય છે. તે વિરોધાભાસ પ્રત્યે કોઈ તેમનું ધ્યાન દોરે, ત્યારે તે વ્યથિત થઈને કહી શકે છે, ‘જોયું? ભલાઈનો જમાનો જ નથી રહ્યો. કોઈનું સારું કરવા જઈએ તો આભાર માનવાને બદલે ઉલટા આપણી સામે આંગળી ચીંધે છે. શું કહેવું આ પ્રજાને?’
આ કે તે, એકેય પ્રજાને કશું કહી શકાતું નથી. એટલે ખંજવાળ અને ખંજવાળ મટાડવાના નુસખાનો ઉપદેશ આપવાની ખંજવાળ અવિરત ચાલતાં રહે છે. ઘણા લોકો એટલી જોરથી માથું ખંજવાળતા હોય છે કે તે ક્યાંક અંદર સુધી પહોંચી ન જાય—એવી બીક લાગે છે. બીજા કેટલાક તેમના નુસખાથી માથાની ખંજવાળ મટી જવાની ખાતરી એટલા ભારપૂર્વક આપે છે કે તેનાથી ખંજવાળ ભેગું ક્યાંક માથું પણ ન જતું રહે, એવી આશંકા જાગે છે.
બગાસું ખાવાની, આળસ મરડવાની કે ઉંઘી જવાની પ્રક્રિયા જેમ શારીરિક ઉપરાંતના અર્થો ધરાવે છે, એવું જ માથું ખંજવાળવાનું પણ કહી શકાય. કોઈની વાત સાંભળતી વખતે માથું ખંજવાળવાથી એવી છાપ પડે છે કે સામેવાળાની વાત મગજમાં ઉતરી રહી નથી. કદાચ થોડું માથું ખંજવાળીએ તો સામેવાળાની વાત માટે અંદર ઉતરવાનો રસ્તો થાય. મૂંઝાઈને માથું ખંજવાળવું એ સામેવાળાની વાતને અઘરી, ગુંચવાડાભરી કે વિચિત્ર જાહેર કરવાનો અહિંસક રસ્તો હોઈ શકે છે.
‘દેશમાં અત્યારે લોકશાહીના નામે શું ચાલી રહ્યું છે? ’ એવો સવાલ કોઈને પૂછી જોજો. માણસ સારાખરાબની સમજવાળો-સંવેદનશીલ હશે તો તે માથું ખંજવાળવા લાગશે અને એ રીતે નહીં બોલીને જાહેર કરશે કે ‘કંઈ સમજાય એવું-કંઈ બોલાય એવું નથી.’ તેનો બીજો અર્થ એ પણ નીકળે કે ખંજવાળવા માટે માથું હેમખેમ રાખવું હોય તો એ સવાલની ચર્ચા નહીં કરવામાં સાર છે.
જૂની કહેવત હતીઃ સર સલામત તો પઘડીયાં બહોત. હવે પાઘડીઓ ભલે ન રહી, ખંજવાળ તો છે. એટલે કહી શકાયઃ સર સલામત તો ખંજવાળ બહોત.
Tuesday, June 14, 2022
શેરડીનો રસાસ્વાદ
સંત કબીરે—ના, પેલી મોંઘી અંગ્રેજી નિશાળવાળા નહીં, અસલી સંતે—લખ્યું હતું કે બિચારા ગોરસ (માખણ)વાળાને ઘરે ઘરે ફરીને માખણ વેચવું પડે છે, જ્યારે મદિરાવાળાને એ મહેનત કરવાની જરૂર નથી. લોકો તેને શોધતા આવી ચઢે છે. કળી યુગમાં ગોરસ હવે ‘અમુલ’નાં પેકેટમાં અને દુકાનમાં જ વેચાય છે. ગરજાઉ લોકોએ તેને ખરીદવા જવું પડે છે, પણ શેરડીના રસ જેવું દિવ્ય પીણું વેચનારે ઘરે ઘરે ફરવું પડે છે. બધે કદાચ એવો રિવાજ ન હોય, પણ ઘણા ઠેકાણે શેરડીનાં હરતાંફરતાં રસઘર જોવા મળે છે.
વર્ષો સુધી શેરડીનો રસ યાદ કરતાં શેરડી પીલવાના હાથથી ચલાવવાના સંચા (કોલાં) અને તેની સાથે બાંધેલો ઘુઘરીઓનો રણકાર યાદ આવતો હતો. છેલ્લા કેટલાક સમયથી એ મધુર રણકારનું સ્થાન ડીઝલ એન્જિનની ધમધમાટીએ લીધું છે. પહેલાં ડીઝલ એન્જિનનો ઉપયોગ કૂવામાંથી પાણી ખેંચવા માટે થતો હતો. હવે તે શેરડીમાંથી રસ ‘ખેંચવા’ માટે વપરાય છે.
પહેલાં શેરડીનો રસ કાઢવાની શાસ્ત્રીય પ્રક્રિયા હતી—રેકોર્ડ પ્લેયર પર રેકોર્ડ મુકવા જેવી. તે લોખંડનું મોટું ચક્ર, તેને ફેરવવાનો હાથો, વચ્ચે ફરતા બે કાળમીંઢ નળાકાર—આમ તો આખો મામલો ઔદ્યોગિક સંસ્કૃતિની યાદ અપાવે એવો શુષ્ક અને યાંત્રિક હોય, પણ તેમાં વચ્ચે શેરડીના સાંઠા દાખલ થતાં જ કૃષિ સંસ્કૃતિની મહેક આવવા માંડતી હતી. ‘ઓર્ગેનિક’ શબ્દ ત્યારે ફક્ત કેમિસ્ટ્રી માટે વપરાતો હતો. એટલે સંચાવાળા તેમના રસને ‘ઓર્ગેનિક’ તરીકે ઓળખાવીને વધારે રૂપિયા ખંખેરતા ન હતા અને ‘હાઇજેનિક’ તરીકે ઓળખાવીને લૂંટફાટ ચલાવતા ન હતા. બાકી, કેટલાક નામીચાં રેસ્ટોરાંમાં શેરડીના રસના એક પ્યાલાનો ભાવ વાંચ્યા પછી સવાલ થાય કે આ લોકો રસની સાથે રસ કાઢવાનું મશીન મફત આપતા હશે કે શું?
વર્તમાન સમયમાં જેવી અંતિમવાદની બોલબાલા અગાઉ હોત તો ‘વીગન’ લોકો શેરડીના રસ સામે વાંધો પાડી શકત. સાંઠાને નિર્મમ રીતે પીલી નાખવાની સાંકેતિક હિંસા ઓછી લાગતી હોય, એવા લોકો કહેત, ’સંચાની આજુબાજુ કેટલી બધી માખીઓ બણબણે છે. તેમાંની એકાદ પણ વચ્ચે આવી ગઈ તો? આપણને શી ખબર પડે?’
વિચારધારાને કદી એકલા સોરવતું નથી. એટલે આ પ્રકારના લોકો શેરડીના રસના બહિષ્કારની ઝુંબેશ ચલાવત અને શેરડી ઉગાડવામાં કેટલું પાણી વેડફાય છે અને અમુકતમુક પ્રાંતમાં લોકો પાણીના અભાવે કેવા ટળવળે છે તે વિશે, રસના સંચાની સામે ઊભા રહીને, લોકોને જાગ્રત કરતા હોત—અને શક્ય છે કે, રસ પીવા આવનારામાંથી કોઈ વધારે સલુકાઈથી તેમને સમજાવત તો તેમાંથી કેટલાક લોકો એક પ્યાલો રસ પીને ઘરભેગા થઈ જાત.
સારું છે, શેરડીનો રસ ચર્ચવાનો નહીં, પીવાનો અને માણવાનો મામલો છે. સાહિત્યના વિદ્યાર્થીઓએ શેરડીના રસ સાથે ‘કલાપી’ની કવિતા ‘ગ્રામ્યમાતા’ પૂરતો જ સંબંધ રાખવો પડે છે, તેમાં વિદ્યાર્થીઓનું અને ખાસ તો શેરડીના રસનું હિત છે. બાકી, ‘ગ્રામ્યમાતા’ને બદલે શેરડીના રસનું વિવેચન શરૂ થાય તો?
સૌથી પહેલાં તેને ‘લોકપ્રિય’ કહીને તેના પ્રત્યે છૂપો કે પ્રગટ તુચ્છકાર વ્યક્ત કરવામાં આવે અને તેના રસાસ્વાદ-વિવેચનમાં સમય બગાડવાની કશી જરૂર નથી, એવું સિદ્ધ કરવામાં આવે. બહુ દબાણ થાય તો પછી શેરડીના રસને સાહિત્યના કયા યુગમાં મુકવો, તેના વિશે ચર્ચા કરવી પડે. ‘શેરડીના રસનું યુગનિર્ધારણ’ જેવા બે-ચાર સેમિનાર કર્યા પછી ને તે સેમિનારોના અંતે તેમાં રખાયેલા ભોજન સિવાય બીજા કોઈ વિષય પર વિગતે ચર્ચા ન થવાથી, થોડા ખંતીલા લોકો યુગનિર્ધારણનું કામ હાથ પર લે ને પંડિત યુગથી શરૂ કરીને અનુઆધુનિક યુગમાં શેરડીને ગોઠવવાનો પ્રયત્ન કરી જુએ. ચર્ચાની શરૂઆત સ્વાભાવિક રીતે જ, શેરડી ભારતમાં ક્યાંથી આવી અને સુધારક યુગમાં રસ કાઢવાના સંચા હતા કે નહીં, ત્યાંથી થાય.
પછી તેમને કોઈ સમજાવે કે ‘સાહેબો, યુગનિર્ધારણ તમતમારે કર્યે રાખજો, પણ પહેલાં રસ પીને સ્વાદનિર્ધારણ તો કરો.’ એટલે સાહેબલોકો કોઈ સાહિત્ય સંસ્થાની બહાર રહેલા શેરડીના રસની દુકાને જાય, જ્યાં સાહિત્યસંસ્થા કરતાં વધારે લોકો આવતા હોય. તે જોઈને સાહેબોને હાશ થાય કે જ્યાં સુધી શેરડીના સંચે આવે છે એટલા ટોળાબંધ લોકો સાહિત્ય સંસ્થામાં નથી આવતા, ત્યાં સુધી સાહિત્ય લોકપ્રિયતાની માઠી અસરોથી સલામત છે.
રસેચ્છુકોમાંથી બહારની દુનિયા સાથે પનારો પાડી જાણતા એક જણ કોને કયા પ્રકારનો રસ જોઈશે તેની પૂછપરછ કરે, તો તેમને ગૂંચવાડો થઈ શકે. કેમ કે, શેરડીના રસવાળાને ‘બે પંડિત, એક ગાધી, ત્રણ આધુનિક ને અક અનુઆધુનિક રસ આપજે’—એવું કહેવાય નહીં. ક્યારેક એવું પણ બને કે આદતવશ રસવાળાને એવો ઓર્ડર આપી દીધો, તો શેરડીનો સંચો ચલાવનાર જણ તેમને કહે, “સાહેબો, શેરડીનો રસમાં યુગવિભાજનથી સૌંદર્યબોધ નિષ્પન્ન નહીં થાય. તેના માટે તમારે માપદંડો અને વિવેચનનાં ઓજાર બદલવાં પડશે. યુગલક્ષીને બદલે કૃતિલક્ષી અભિગમ અપનાવવો પડશે.’
આ ભાષા સાંભળીને ચકિત થયેલા સાહેબો વધુ પૂછપરછ કરે, તે પહેલાં રસવાળો ઉપસ્થિત સાહેબોમાંથી એકાદને કહેશે, ‘સાહેબ, ભૂલી ગયા? હું તમારો જ વિદ્યાર્થી હતો, પણ નોકરી માટે આપવાના થતા પચીસ-પચાસ લાખ રૂપિયા ક્યાંથી કાઢવા. એટલે આ સંચો શરૂ કર્યો છે. તમારે એકના એક કૂચા વર્ષોવર્ષ ચાલે. મારે તો સાહેબ દર વખતે નવી શેરડી નાખવી પડે છે. પણ તમારા આશીર્વાદથી ધંધો સારો ચાલે છે.’
--અને રસાસ્વાદને બાજુએ મૂકીને ક્ષેત્રવિવેચન શરૂ થઈ જાય.
Tuesday, June 07, 2022
ટાળો કંટાળો
ભગવાન બુદ્ધે ગૌતમીને નકામી ગૂંચવી મારી. મૃત પુત્રને જીવતો કરવાની વિનંતી સાથે પહોંચેલી ગૌતમીને તેમણે કહ્યું હતું, “જે ઘરમાં કોઈનું મૃત્યુ ન થયું હોય, ત્યાંથી દાણા લઈ આવ.” એને બદલે બુદ્ધે કહ્યું હોત કે “જે ઘરમાં કોઈ માણસને કદી કંટાળો ન આવ્યો હોય, ત્યાંથી દાણા લઈ આવ” તો પણ તેમનું કામ થઈ ગયું હોત. કારણ કે, જે જન્મે છે, તે મરે છે—એટલી જ અફર હકીકત છે કે, જે જન્મે છે, તે સૌ ક્યારેક અચૂક કંટાળે છે.
કંટાળો ઐચ્છિક પ્રવૃત્તિ નથી. મૃત્યુ નહીં પામવાની જેમ, નહી કંટાળવાનું પણ માણસના હાથમાં હોતું નથી. કોઈ એવું થોડું વિચારે કે “ચાલો, કંટાળીએ.” અથવા “હમણાંથી કંટાળ્યે બહુ વખત થઈ ગયો છે. હવે કંટાળવું પડશે.” પ્રેમ માટે ફિલ્મી કવિ કહે છે કે તે “કિયા નહીં જાતા, હો જાતા હૈ”. કંટાળા માટે પણ એ સાચું છે. તેને લાવવો પડતો નથી. તે વણનોતર્યો આવી ચડે છે. તે દૃષ્ટિએ કંટાળો આત્મનિર્ભર હોય છે. તેમાં કેમ? શું? કેવી રીતે? મને જ કેમ?—એવા સવાલો અપ્રસ્તુત છે. ફિલ્મી ગીતમાં અને હિંદી ભાષામાં પણ થોડી છૂટછાટ લઈને ગાઈ શકાય, ‘દુનિયામેં હમ આયે હૈં તો કંટાળના હી પડેગા”.
કંટાળો અનેક રીતે આવી શકેઃ બહુ આનંદમાં-સુખમાં રહેવાથી કંટાળો આવે, બહુ દુઃખમાં રહેવાથી કંટાળો આવે, મધ્યમ સ્થિતિમાં રહેવાથી કંટાળો આવે અને રોજેરોજ સ્થિતિ બદલાયા કરતી હોય, તેનો પણ કંટાળો આવી શકે. ટૂંકમાં, જે જેમ છે, તેમ હોવા માત્રથી કંટાળો આવી શકે. આવો કંટાળો નિર્દોષ અને સામાન્ય હોય છે. તેની કોઈ નોંધ લેતું નથી કે નોંધ લેવડાવતું નથી. કેમ? સીધી વાત છે. એવી નોંધ લેવા-લેવડાવવાનો કંટાળો આવે છે, એટલે.
કંટાળો ક્યાં આવે છે? તેવા સવાલનો જવાબ શોધતાં માલૂમ પડે છે કે કંટાળો હાથમાં (લખવાનો) આવે, પગમાં (ઉભા રહેવાનો-ચાલવાનો-દોડવાનો) આવે, મોંમાં (ખાવાનો) આવે, આંખમાં (જોવા-વાંચવાનો) આવે, પણ સૌથી મોટો ને ખતરનાક કંટાળો મનમાં આવે છે. એક વાર તે મનમાં ઘૂસ્યા પછી ધીમે ધીમે શરીરનાં બધાં અંગો પર કબજો જમાવતો જાય છે અને થોડી વારમાં તો એવું લાગે છે, જાણે શરીરના અણુએ અણુમાં, રોમેરોમમાં ચૈતન્યને બદલે કંટાળો સમાયેલો હોય અને તે બહાર આવીને, બીજાનું ધ્યાન ખેંચવા પ્રયાસ કરતો હોય.
કોઈ માણસ કંટાળેલો છે કે નહીં, તે નક્કી કરવું ક્યારેક સહેલું છે ને ક્યારેક અઘરું. કેટલાક લોકો પોતાના કંટાળાને, નામ આગળ લગાડાતા પદ્મશ્રી જેવા લટકણિયાની માફક, છાતી પર લટકાવેલો રાખે છે. કોઈ દૂરથી તેમને જુએ તો પણ ખ્યાલ આવી જાય કે આ કંટાળેલો આત્મા લાગે છે. તળાવમાં પથરાતી લીલની ચાદરની જેમ, તેના આખા ચહેરા પર કંટાળાની ચાદર પથરાઈ ગઈ હોય છે.
કેટલાક ખેપાની વ્યૂહબાજો છાતી પર લટકાવેલા કંટાળાનો હથિયારની જેમ ઉપયોગ કરે છે. બલ્કે, હથિયાર તરીકે વાપરવા માટે જ તે સાચો-ખોટો કંટાળો છાતી પર ટાંગીને ફરતા હોય છે. કોઈ પણ માણસ થોડી વાત કરે, એકાદ કવિતા સંભળાવે કે કોઈ ફિલ્મનો રિવ્યુ આપવાનું ચાલુ કરે, એટલે તેના ચહેરા પર પથરાયેલો કંટાળો વધારે ઘટ્ટ સ્વરૂપ ધારણ કરવા લાગે છે. ‘પાયલ ને ઘાયલ’ની જેમ એવા ‘કંટાળેલ’ છુપ્યા છૂપાતા નથી. તે પોતાનું નિવેદન સ્પષ્ટ કરવા માટે વચ્ચે વચ્ચે એકાદ મોટું બગાસું પણ ખાઈ લે છે.
કંટાળાના કોઈ દેવતા હોય તો બગાસાને અચૂક તેમના હથિયાર તરીકે સ્થાપી શકાય. ગમે તેટલા નકામા ભાષણ કે કવિતા કે વાર્તાલાપ વિશે તત્કાળ અને અસરકારક રીતે કંટાળો વ્યક્ત કરવો હોય તો તેનો ટૂંકામાં ટૂંકો અને સૌથી સચોટ રસ્તો મોટેથી બગાસું ખાવાનો છે. એક અર્થમાં તે કુદરતી અને શારીરિક ક્રિયા ખરી, પણ ચોક્કસ સંજોગોમા તે કૃતિવિવેચનનો પ્રકાર બની રહે છે.
કાર્યક્ષમ લોકોને કંટાળા પ્રત્યે અને કંટાળતા લોકો માટે બહુ ખીજ હોય છે. તે લોકો કાર્યક્ષમતાના મહિમામાં સાનભાન ભૂલીને કંટાળા તથા કામગીરી વચ્ચેનો મરઘી અને ઇંડા જેવો સંબંધ સમજી શકતા નથી. તેમને લાગે છે કે આ લોકો કામ નથી કરતા, એટલે કંટાળેલા રહે છે. હકીકતમાં, તે લોકો કંટાળેલા હોવાથી, કામ કરવાનો ઉત્સાહ બતાવી શકતા નથી.
સંસ્કૃતમાં એ મતલબનું સુભાષિત હતું કે ભૂખ્યો માણસ શાં પાપ નથી કરતો. એ વાત કંટાળેલા મનુષ્યને પણ આબાદ લાગુ પડે છે. કંટાળેલો માણસ કે કંટાળાના આક્રમણ સામે ઝઝૂમી રહેલો માણસ પોતાની જીત અને કંટાળાની હાર માટે ગમે તેવું ખાવાનું ખાઈ શકે છે, ગમે તેવાં ભંગાર પિક્ચરો જોઈ શકે છે, ત્રાસદાયક ભાષણો હોંશે હોંશે સાંભળી શકે છે, ગમે તેવા નકામા માણસની સોબત કરી શકે છે, લોકોના હિતનું સત્યાનાશ વાળનારાને જૂઠા લોકોને મત આપી શકે છે. કારણ કે, યોગ્ય દિશામાં સક્રિય થવાનો-યોગ્ય કામ કરવાનો તેમને કંટાળો આવે છે.
કેટલાક લોકો એટલા બધા કાર્યક્ષમ હોય છે કે તેમની કાર્યક્ષમતા વિશે સાંભળવા માત્રથી કંટાળો આવે. અને કેટલાક લોકો એવી રીતે કાર્યક્ષમ હોય છે કે આપણને થાય, ‘એ થોડા કંટાળતા હોત અને આરામ કરતા હોત, તો કદાચ દેશનું વધારે ભલું થાત.’
Saturday, May 21, 2022
ફેસબુક-શ્રદ્ધાંજલિ
મૃત્યુ દુઃખદ ઘટના છે, પણ તેની સાથે સંકળાયેલી ઘણી ચીજો (જેમ કે, બેસણું) રમૂજી હોઈ શકે છે. ખાસ કરીને, જેમની વિદાયનો આઘાત ન હોય એવાં જણના બેસણામાં લગ્ન જેવી જ ચહલપહલ જોવા મળશે. તેમાં શરત એટલી હશે કે, ‘જો ભી કહીએ, સુરમેં કહીએ’ની જેમ, જે કંઈ કરો તે સફેદ કપડાં પહેરીને કરવાનું.
કોરોનાકાળમાં બેસણાં ટેલિફોનિક થઈ ગયા પછી, બેસણાંનો વ્યવહાર અને તેનાં વિધિવિધાન નવેસરથી નક્કી થયાં લાગતાં નથી. એટલે, ખરખરા માટે ફોન કરતી વખતે, વિડીયો કોલ ન હોય તો પણ, ફોન કરનારે સફેદ કપડાં પહેરવાં કે નહીં, તેના વિશેની માર્ગદર્શિકા આવી નથી. વધારે આગળ વધવું હોય તો, બેસણાનો ફોન કરતી વખતે મોબાઇલનું કવર સફેદ હોવુ જોઈએ કે નહીં, તે વિશે પણ વિચાર થવો જોઈએ. આ વાંચીને વ્યવહારુ લોકોને કદાચ ન ગમે કે તેમને ખરાબ પણ લાગી શકે. કારણ કે, ઘણા વ્યવહારુઓ બહુ નિયમચુસ્ત હોય છે. તે માને છે કે બેસણામાં ગમ્મત થાય, પણ બેસણાંની ગમ્મત ન થાય.
ફોન-બેસણાં ઓળખીતાંપાળખીતાં માટે હોય છે, પણ ફેસબુક પર કોઈના મૃત્યુની નોંધ મુકવામાં આવે, ત્યારે વિશિષ્ટ સ્થિતિ સર્જાય છે. મૃત્યુના સમાચાર અંગત વર્તુળમાંથી હોય કે જાહેર હસ્તીના, એક વાર ફેસબુક પર તે મુક્યા પછી નીચે બે હાથ જોડેલાં ઇમોજી આવી જાય છે. ત્યાં સુધી તો બરાબર છે. ઓફલાઇન બેસણામાં યજમાનને મળતી વખતે પણ હાથ જોડીને ‘જેશીક્રષ્ણ’ કે ‘જેસ્સામીનારાયણ’ જેવું કંઈક કહેવામાં આવે છે. (ફેસબુકયુગમાં મોટાં થયેલાંને એવું પણ લાગી શકે કે આ રીતે હાથ જોડનારાં લોકો ઇમોજીની કોપી કરી રહ્યાં છે.) પરંતુ જોડેલા હાથથી આગળ વધીને, છેલ્લાં થોડાં વર્ષોમાં ‘આરઆઇપી’ અને ‘ઓમ શાંતિ’નું ચલણ વધી ગયું છે.
‘ઓમ શાંતિ’ ફેસબુક પર આશ્વાસન-વચન તરીકે જેટલું સામાન્ય બન્યું, એટલું વ્યવહારમાં પ્રચલિત ન હતું. કોઈના મૃત્યુના સમાચાર સાંભળીને ‘ઓમ શાંતિ’ બોલનારા અગાઉ ખાસ જોવામાં આવ્યા ન હતા. ઉલટું, ‘ઓમ શાંતિ’ સાંભળીને ચોક્કસ પેઢીના લોકોને તો ઋષિ કપુરનું સુપરહિટ ગીત ‘ઓમ શાંતિ ઓમ’ યાદ આવતું હતું. ફેસબુક પર ‘ઓમ શાંતિ’ ધીમા પગલે આવ્યું અને હવે ખાસ્સું વ્યાપક છે. જોકે, ફેસબુક પર મરણના શિષ્ટાચારમાં સૌથી વધુ વપરાતું હોય તો તે આરઆઇપી.
સૌ જાણે છે કે તેનો અર્થ ‘રેસ્ટ ઇન પીસ’ થાય છે—અને તે એટલું બધું ચીલાચાલુ લાગે છે કે તેમાં મૌલિકતા ઉમેરવા માટે, ‘પીસ’ની જગ્યાએ બીજા શબ્દો ઉમેરવામાં આવે છે. જેમ કે, રેસ્ટ ઇન મ્યુઝિક, રેસ્ટ ઇન ક્રિકેટ...તેનો શો અર્થ થાય, એવો પ્રશ્ન અસ્થાને છે. મૌલિકતાનો મામલો હોય ત્યાં અર્થ શોધવા બેસવાથી વેદિયામાં ખપી જવાય. અને બાળકોનાં નવાં, ફેન્સી નામ પાડતી વખતે અર્થ શોધવાની જરૂર ન લાગતી હોય તો, મરણના મામલામાં ચૂંથ કરવાની શી જરૂર?
ફેસબુક પર નિયમિત રીતે હાજરી ધરાવતા લોકોને ખ્યાલ હશે કે અમુક પ્રકારની પોસ્ટમાં, શરૂઆતના પાંચ-સાત કમેન્ટ કરનારા જ પોસ્ટ વાંચતા હોય છે. ત્યાર પછીના કમેન્ટ કરનારા ઉપરની કમેન્ટ વાંચીને જ કામ ચલાવી લે છે. ઉપર આરઆઇપી લખ્યું હોય, એટલે બીજા લોકો પણ પોસ્ટ વાંચ્યા વિના ખરેખરે આવી જાય છે અને આરઆઇપી ચોંટાડીને આગળ વધી જાય છે. થોડો વખત આવું ચાલે એટલે મરણની પોસ્ટની નીચે આરઆઇપીની એવી લાઇન પડી જાય છે કે પોસ્ટ મુકનાર રેસ્ટલેસ (બેચેન) થઈ જાય.
આરઆઇપી લખનારા લોકોના મનમાં એ ત્રણ અક્ષર ટાઇપ કરવા પૂરતો પણ ગંભીરતાનો ભાવ હોય છે કે નહીં, તે વિશે સમાજશાસ્ત્રીઓએ હજુ સુધી સંશોધન કર્યું લાગતું નથી. ખરેખર તો. એવું સંશોધન બેસણામાં જનારા લોકો વિશે પણ કરવાનું બાકી જ હશે. કેમ કે, બેસણામાં પાંચ મિનિટ માટે ગયેલા લોકો પણ, તેમના કાબૂમાં જે નથી એવા વિષયોની ચિંતા અને ચર્ચા કરતા હોય, તો બિચારા ફેસબુકવાળાનો શો વાંક? તે એક જણના સ્ટેટસ પર આરઆઇપી લખતો હોય, ને બીજે ચાર ઠેકાણે તેણે યુદ્ધમેદાનમાં ઝંપલાવવાનું હોય, પોતાના કિમતી અને પવિત્ર વિચારોની ચકલી ચાલુ કરવાની હોય, (બીજાની) બહેનોની તસવીરો નીચે કયા શબ્દોમાં પ્રશંસા વ્યક્ત કરવી, જેથી બ્લોક ન થવાય—તેનો વિચાર કરવાનો હોય... આવી મલ્ટીટાસ્કિંગની મનોદશા વચ્ચે તે આરઆઇપી લખે, એટલું જ તેની સામાજિકતા અને સંવેદનશીલતા દર્શાવવા માટે પૂરતું નથી?
ફેસબુક મુખ્યત્વે લખવા માટેનું અને ફોટા મુકવા માટેનું માધ્યમ છે. તેમાં વાંચનારા ઓછા જ હોય છે. એટલે ક્યારેક કોઈ વયોવૃદ્ધની વર્ષગાંઠની પોસ્ટ પર પણ, વાંચવાની આળસે અને વ્યવહારુ બનવાનું છોડી નહીં શકવાની મજબૂરીએ, એક જણ આરઆઇપી લખી દે એટલે થયું. ફેસબુક-વ્યવહારુઓની નજર પોસ્ટ કરતાં પહેલાં કમેન્ટ પર જતી હોય છે. એટલે, વર્ષગાંઠ પર એક આરઆઇપી આવ્યા પછી, પાછળ આરઆઇપીની લાઇન પડી શકે છે. તે સ્થિતિ કોઈની વર્ષગાંઠની પાર્ટીમાં સફેદ ઝભ્ભો-લેંઘો કે સફેદ સાડી-ડ્રેસ પહેરીને પહોંચી જવા જેવી છે, પણ પ્રેમમાં, યુદ્ધમાં ને ફેસબુક પર બધું ચાલે—એવું લોકો માને છે. એટલે વાત હસવામાં નીકળી જાય છે. બર્થ ડેની પોસ્ટ પર આરઆઇપીની કમેન્ટની જેમ, આખેઆખું ફેસબુક હસવામાં નીકળી જાય તો વધારે ફાયદો ન થાય?
Wednesday, May 11, 2022
હાથ મિલાવવા વિશે
સામાન્ય રીતે એક કે બંને પક્ષ હાથ મિલાવી લીધા પછી સુયોગ્ય સમયે પોતપોતાનો હાથ પાછો ખેંચવાની શરૂઆત કરી દે છે. તેમાં કોઈને ખરાબ લાગતું નથી અને શિષ્ટાચાર જળવાઈ રહે છે. પણ કોઈ એક પક્ષ સહેલાઈથી હાથ છોડવા તૈયાર ન હોય, ત્યારે જાહેર શિસ્તનો અને ક્યારેક જાહેર શાંતિનો ભંગ થવાની નોબત આવે છે. ત્યાર પછી કેવળ હથેળીઓ જ નહીં, આખેઆખો હાથ અને તેના માલિકોને પણ છૂટા પાડવા પડે છે.
Friday, May 06, 2022
માથું દુઃખે ત્યારે
તમે
ભગવાનમાં માનો છો? જવાબ
ગમે તે હોય, તેનાથી અહીં કશો ફરક નથી પડવાનો. વાત એમ છે કે, જેમ ભગવાનનું અસ્તિત્વ
છે કે નહીં, તે ખાતરીથી પુરવાર કરી શકાતું નથી, એવી જ રીતે, માથાનો દુઃખાવો પણ છે
કે નહીં, તે ચકાસવું અશક્ય છે. ઘણા માટે ભગવાનનું અસ્તિત્વ કે તેનો ઇન્કાર પોતે
માથાના દુઃખાવાનું એક કારણ બની રહે છે, તે અલગ વાત છે.
માથાનો દુઃખાવો આમ તો હળવી બિમારી અથવા બિમારીનું લક્ષણ કહેવાય, પણ ઘણા લોકો તેને સામાજિક પરિબળ કે અહિંસક સામાજિક હથિયાર તરીકે પણ જુએ છે અને વાપરે છે. માથાના દુઃખાવાના મુખ્યત્વે બે પ્રકાર છેઃ આવેલો અને કલ્પેલો. સાદા શબ્દોમાં કહેવું હોય તો, સાચો અને ખોટો. તેમાંથી સાચો દુઃખાવો મેડિકલ સાયન્સનો વિષય હોવાથી, તેની વાત કરીને વાંચનારને માથાનો દુઃખાવો આપવાનો કોઈ ઇરાદો નથી. રસ પડે એવો દુઃખાવો બીજા પ્રકારનો, કાલ્પનિક અથવા નોતરેલો છે.
ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે હૃદયની બિમારીથી માંડીને મોટા ભાગની બિમારીઓ માપી શકાય એવી હોય છે. ઘરેબેઠાં નહીં તો દવાખાને જઈને પણ તેનું માપ કાઢી શકાય છે સાદી, ઘરગથ્થુ બિમારીની વાત કરીએ તો, તાવ પણ માપી શકાય છે. એટલે જ, ભૂતકાળમાં પરાક્રમી વિદ્યાર્થીઓ શરીરનું તાપમાન વધારવાના જુદા જુદા નુસખા અપનાવીને સ્કૂલમાંથી ગાપચી મારતા હતા.
તે બધાની સરખામણીમાં માથાનો દુઃખાવો જાદુઈ ચિરાગમાંથી નીકળતા જીન જેવો છે. મનનો જીન ઘસીને તેને ગમે ત્યારે સેવામાં હાજર કરી શકાય છે. તેનો સૌથીર મોટો ઉપકાર એ છે કે તેને માપી શકાતો નથી. એટલે તે શ્રદ્ધાનો વિષય બની જાય છે અને કોઈની શ્રદ્ધાનો ભંગ કરવો, એ તેની ધાર્મિક લાગણી દુભાવવા સમકક્ષ બની શકે છે.
માથાનો સાચો દુઃખાવો ભલે પીડા આપતો, પણ હાજર કરાયેલો, ઐચ્છિક માથાનો દુઃખાવો ઘણી વાર અણગમતી પરિસ્થિતિમાંથી રાહત આપે છે. ઓફિસમાં કે અન્યત્ર માણસ માથું પકડીને બેસી જાય અથવા છડેચોક ટેબલ પર માથું ઢાળીને સુઈ જાય, એટલે જોનાર બોસ એટલું તો વિચારશે કે કુછ તો ગડબડ હૈ. બાકી આ રીતે સવિનય કાનુનભંગ કોઈ કરે નહીં.
છતાં, કડપ છોડ્યા વિના, સાવધાની રાખીને, પણ ઠપકાને બદલે પૂછપરછના અવાજે કારણ પુછવામાં આવે ત્યારે માથું પકડીને કે ઢાળીને બેઠેલું જણ દિલીપકુમારના અંદાજમાં ચહેરો ઊંચો કરીને પૂછનાર સામે જુએ છે. પછી કહે છે, ‘માથું, સર...’ તે સાંભળીને સાહેબ ગુંચવાય છે અને સામેવાળાએ કટાક્ષ કર્યો, રોષ વ્યક્ત કર્યો કે કશી માહિતી આપી, તે વિચારવાનો પ્રયાસ કરે છે. એવામાં વધુ સ્પષ્ટતા થાય છે, ‘હેડેક સર...માથું પકડાઈ ગયું છે.’
સાહેબ તેને શબ્દાર્થમાં લઈને કહે છે, ‘પકડાઈ ગયું છે? પણ એ તો તમે પોતે જ બે હાથે પકડ્યું છે. છોડી દો, એટલે છૂટી જશે.’ હવે માથું પકડીને બેઠેલો જણ દિલીપકુમારને બદલે મીનાકુમારીની ટ્રેજેડી ક્વિન અદામાં સાહેબ સામે જુએ છે અને કહે છે, ‘માથું ફાટફાટ થાય છે. સખ્ખત દુઃખે છે. માથામાં કોઈ હથાડો મારતું હોય એવું લાગે છે.’
‘યુ
મીન, હું બોલું ત્યારે?’
‘ના
સાહેબ, એ સિવાય પણ.’
દુઃખાવાગ્રસ્ત જણ સ્પષ્ટતા કરે છે. ‘નાનપણથી-સ્કૂલમાં હતો ત્યારથી પ્રોબ્લેમ છે, સર.’
‘સ્કૂલમાં
તો મને પણ હતો.’ સાહેબ
ચહેરા પર આવતું સ્મિત માંડ અટકાવીને કહે છે, ‘તમારે હજુ એ જ ચાલે છે?’
‘આ તો
સિરીયસ છે, સાહેબ. એક બાબા પાસે ગયો, ત્યારે તેમણે બ્રેઇન કેન્સરની શક્યતા વ્યક્ત
કરેલી અને જાપથી મટાડી દેવાની ગેરન્ટી આપેલી...વચ્ચે તમારી પાસે મેં લોન નહીં
માગેલી?’
સાહેબ
વિચારમાં પડે છે. માથાનો દુખાવો, સ્કૂલ, બ્રેઇન કેન્સર, બાબા—તેમાં પાછી લોન
ક્યાંથી આવી ગઈ? પણ તે
અનુભવી સાહેબ છે. જાણે છે કે બહુ વિચારીએ તો સાહેબ ન બનાય અને સાહેબ બન્યા પછી બહુ
વિચારવાનું ન હોય. એટલે તે તપાસ અધિકારીની માનદ્ ભૂમિકામાંથી તબીબી અધિકારીનો
કામચલાઉ હોદ્દો ધારણ કરે છે અને કહે છે, ‘તમારે બરાબર ધ્યાન રાખવુ જોઈએ. એ કંઈ ઓફિસનું કામ નથી કે તેમાં
લબાડગીરી ચાલી જાય, અન્ડરસ્ટેન્ડ?’
‘યસ સર’ માથું પકડીને બેઠેલું જણ કહે છે, ‘આવું ક્યારેક જ થાય છે.’
‘એમ તો,
હાર્ટ એટેક પણ ક્યારેક જ આવે છે. એટલે એને ગંભીરતાથી નહીં લેવાનો? તમારે ઘેર ઉપડવું હોય તો ઉપડો—અત્યારે
જ. તમારી અડધા દિવસની રજા ગણી લઈશું, બસ? અને ઘરે જતાં પહેલાં હોસ્પિટલે થઈને જજો. કદાચ કંઈક ટ્યુમર-બ્યુમર
નીકળે તો ગભરાતા નહીં. તમારી જગ્યા માટે દસેક અરજીઓ આવેલી, એ મેં રહેવા દીધી છે.
તમારી તબિયત આવી રહી...ગમે ત્યારે સ્ટ્રોક-બ્રોક આવે ને તમને કંઈ થઈ જાય તો? તમારે આરામ જ કરવો જોઈએ.’
દુઃખાવો ધરાવનાર માથાને સલુકાઈથી, ઉદારતાપૂર્વક રવાના કરવાની વ્યૂહરચના કેટલાક બોસને ફાવતી નથી. તે શંકા કરે છે અને કહે છે, ‘તમારા મોં પરથી તો લાગતું નથી કે...’
કર્મચારી
તેમને અટકાવીને કહે છે,’સાહેબ,
મોં નહીં, માથું દુઃખે છે. એવું હોય તો ડોક્ટર પાસે ચેક કરાવી લઈએ.’
તબીબી વિજ્ઞાને આટઆટલી પ્રગતિ કરી, તેમ છતાં માથાનો દુઃખાવો માપવાનું યંત્ર હજુ સુધી કેમ શોધાયું નથી, તેનો ખ્યાલ આવે છે?