Wednesday, April 13, 2022
ચોક્સી ઉર્ફે અજય પરીખ
![]() |
જૂની દુકાને વેપારી મુદ્રામાં અજય પરીખ ઉર્ફે ચો્કસી |
જીવતાં પ્રિયજનો વિશે લખતી વખતે એક વાત બહુ યાદ રાખવી પડેઃ એ હજુ જીવે છે અને લાંબું જીવવાનાં છે. એટલે તેમના વિશે એવું ને એટલું જ લખવું, જે બંને પક્ષો જીરવી શકે. હા, ટીકા જીરવવી પ્રમાણમાં ઓછી અઘરી છે, પણ વખાણ જીરવવાં અઘરાં છે.
ચોક્સી ઉર્ફે ચોક્સીકાકા ઉર્ફે પરમ મિત્ર અજય પરીખને જોકે બધું એકસરખું પચી જાય. ઓડકાર પણ ન આવે. હા, ક્યારેક ગુસ્સો કરે તો લગભગ શાકાહારી કહેવાય એવાં બે-ચાર સ્વસ્તિવચનો ચોપડાવે ને પૂરું. આપણને થાય કે ભલા માણસ, આવું કરવાનું? ગુસ્સો તો સરખો કરવો હતો. પણ એ ચોક્સી છે. તેમને ગુસ્સો કરતાં શીખવાડીએ તો પણ શીખે નહીં ને પ્રેમ કરતાં શીખવાડવું ન પડે.
અમારા—બીરેનના અને મારા—મહેમદાવાદના મિત્ર અજય પરીખ ઉર્ફે ચોક્સીની આજે વર્ષગાંઠ છે. આમ તો મહેમદાવાદના એ બધા મિત્રોની મંડળી (IYC) બીરેનના સહાધ્યાયીઓની. તેમાં મારો પ્રવેશ ઘણો મોડો થયેલો. પણ જેમની સાથે સૌથી પહેલાં ફાવતું થયું તેમાંના એક ચોક્સી.
ધીમે ધીમે બીરેનને અને બીજા મિત્રોને સંજોગોવશાત્ મહેમદાવાદ છોડીને બીજા ગામમાં-દેશમાં વસવાનું થયું. છેવટે મહેમદાવાદમાં અમે બે રહી ગયા. પણ પચીસ-ત્રીસ વર્ષ પહેલાંનો એક આખો ગાળો એવો હતો, જ્યારે બધા મિત્રો વિપુલ રાવલના 17, નારાયણ સોસાયટીમાં આવેલા બંગલે નિયમિત રાત્રે મળતા, ગપ્પાં મારતા અને છૂટા પડતા. વિપુલનું બિંદુ સાથે લગ્ન થયું, તેમને ત્યાં નીલ આવ્યો, એ બધો સમય ચોક્સી અને હું અચૂકપણે રાત્રે વિપુલના ઘરે જતા. તેમનાં મમ્મી-પપ્પા અને બહેન ટીની (મનીષા રાવલ-કાકા) સાથે પણ અમારો સત્સંગ ચાલતો હોય. ઘરે જવાનું એ હદે નિયમિત કે શિયાળો હોય તો શાલ લઈને અને ચોમાસું હોય તો છત્રી લઈને, પણ જવાનું એટલે જવાનું. એ લોકો ઘરે ન હોય તો પણ અમે જઈએ, કમ્પાઉન્ડની નાની ઝાંપલી ખોલીને હિંચકે બેસીએ ને પાછા આવીએ.
બારમા ધોરણ પછી મારે એડમિશન લેવાનું થયું ત્યારે મારી સાથે બીરેન નહીં, ચોક્સી હતા. બીરેન વડોદરા હોય અને આમ પણ, અમદાવાદનું અને ખરેખર તો ગમે ત્યાંનું કોઈ પણ કામ હોય તો એ ચોક્સીને જ કરવાનું હોય. તેમાં કશી ચર્ચા ન હોય. મિત્ર પ્રદીપ પંડ્યા રોજ અમદાવાદ જતા હતા, પણ તેમના નાના ભાઈ માટે બૂટ લાવવાના હોય તો તે પણ ચોક્સી લાવે. એ વખતે ચોક્સી ઇન્કમટેક્સ ટોફેલના કે એવા કશાક ક્લાસ ભરતા હતા. એટલે કાલુપુર સ્ટેશનેથી 47 નંબરની બસમાં બેસીને તે ઇન્કમટેક્સ જાય. મારું એમ.જી.સાયન્સમાં એડમિશન થયું, એટલે શરૂઆતના દિવસોમાં એ જ બસમાં તેમની સાથે હું જતો.
મહેમદાવાદની મિત્રમંડળીના મિત્ર મુકેશ પટેલને ગંભીર બીમારી માટે મુંબઈ ડોક્ટરને બતાવવા જવાનું થયું ત્યારે તેમની સાથે ચોક્સી અને હું મુંબઈ ગયા હતા. મુંબઈના એ ખ્યાતનામ ડોક્ટરે બધા કેસ જોઈ લીધા પછી અમને બંનેને એકલા બોલાવીને અમારી સમક્ષ માઠા સમાચાર બ્રેક કર્યા ત્યારે અમે બંને હાલી ગયા હતા. ચોક્સી કઠણ માણસ નથી. દેખીતા સંવેદનશીલોની યાદીમાં એ ન આવે. પણ તેમનામાં રહેલી ઋજુતાની ઘણા લોકો ભીરુતા સાથે ખોટી ભેળસેળ કરે છે. ચોક્સીને જેમના પ્રત્યે બહુ લાગણી હતી તે બિહારીકાકા ગુજરી ગયા તે રાત્રે હું તેમના ઘરે સૂતો હતો. ત્યારે મેં તેમની લાગણીવશતા જોઈ છે.
પરંતુ ચોક્સીનો સામાન્ય વ્યવહાર બધા સાથે હળવામળવાનો. એક સમયે તેમની દેખાદેખીમાં મેં બધાને તેમનાં વિશિષ્ટ સંબોધનો (જય સ્વામીનારાયણ, જય મહાદેવ, જયશ્રી કૃષ્ણ વગેરે)થી બોલાવવાનો પ્રયત્ન પણ કરી જોયો હતો. પછી મને થયું કે એ ચોક્સી માટે જ બરાબર છે. મને નહીં ફાવે. પત્રકારત્વમાં આવતાં પહેલાંના મારા એક વર્ષના બેકારીના ગાળામાં તેમની દુકાન મારા માટે મજબૂત ઠેકાણું હતી. સવારે પોસ્ટ ઓફિસેથી ટપાલ લઈને, લાયબ્રેરીમાંથી પુસ્તક લઈને તેમની દુકાને જવાનો, ચા પીવાનો અને ક્યારેક નાસ્તો કરવાનો નિત્ય ક્રમ હતો. એક વર્ષના એ ગાળામાં હું હતાશામાં ન સરી પડ્યો, તેમાં તેમની કહી બતાવ્યા વગરની હૂંફનો પણ ફાળો હતો.
ચોક્સી આમ રૂઢિચુસ્ત, પણ તેમને અમારા નીતિનિયમ વગરના ઘરમાં બહુ ફાવે. બેસતા વર્ષના દિવસે સવારે મિત્રોને ત્યાં જઈ આવ્યા પછી બપોરે એ અમારા ઘરે આવે અને આરામ કરે. ત્રીસ વર્ષ પહેલાં મહેમદાવાદમાં સેન્ડવીચની નવાઈ હતી ત્યારે, ઘરે સેન્ડવીચ બને તો ચોક્સીને અચૂક કહેવાનું. તેમના વિના સેન્ડવીચનો કાર્યક્રમ અમને અધૂરો લાગે. એવું કંઈ પણ હોય તો એમ થાય કે ચોક્સીને બોલાવો. તેમના વિશે બીરેને ફેસબુક પર તેની પોસ્ટમાં જે લખ્યું છે તેનું પુનરાવર્તન કરતો નથી. હવે તો તેમનાં પત્ની રશ્મિકા ઉપરાંત કેનેડા ગયેલા પુત્ર અર્પ અને અમદાવાદમાં ભણતા પુત્ર જય સાથે પણ દોસ્તી થઈ છે તેનો વધારાનો આનંદ છે.
મને સંબંધો પર લેબલ મારવાનું ગમતું નથી. એટલે તેમને મોટા ભાઈ જેવા કે એવું કશું કહ્યું નથી. એ પરમ મિત્ર છે ને તેનાથી વધારે કોઈ લેબલની જરૂર નથી.
હું પ્રામાણિકતાપૂર્વક માનું છું કે ચોક્સીએ—અને પછીનાં વર્ષોમાં બિનીત મોદીએ—મારું, અમારું એટલું બધું કામ, એટલા બધા પ્રેમભાવે કર્યું છે કે હવે તે અમારું એક પણ કામ ન કરે તો પણ અમે તેમના એટલા જ ઋણી રહીએ. તે મિત્રો છે, એટલે આવો હિસાબકિતાબ કરતા નથી. પણ કેટલીક વસ્તુઓ ઔપચારિકતાનો ખચકાટ મૂકીને પણ કહેવાવી જોઈએ. એટલે આ કહી.
Monday, April 04, 2022
ફોંતરાં-ચિંતન
મથાળાના બે અર્થ થાયઃ ફોંતરાં જેવું ચિંતન અથવા ફોંતરાં વિશે ચિંતન. તેમાંથી પહેલા અર્થ વિશે સુજ્ઞ ગુજરાતી વાચકો જાણે છે. ઓર્ગેનિક ખાણીપીણીને લીધે ફોંતરાના ગુણ સમજેલા કેટલાક લોકો તો માને છે કે એવા ચિંતનની ફોંતરાં સાથે સરખામણી કરવામાં ફોંતરાંનું અપમાન થાય છે. બીજી તરફ અનેક વાંચનારાંને (પહેલા પ્રકારના) ફોંતરાં-ચિંતનનું એટલું બંધાણ થઈ ચૂક્યું છે કે હસતાં હસતાં નહીં તો ટીકા કરતાં કરતાં પણ તે ફોંતરાં-ચિંતન વાંચે છે ને ‘હવે પહેલાં જેવું નથી રહ્યું’—એવો અહેસાસ વધુ એક વાર કરીને સંતોષ માને છે.
ફોંતરાં-ચિંતનની સરખામણીમાં અસલી ફોંતરાંની વાત જુદી છે. જેમ કે, સિંગનાં કે ચણાનાં ફોંતરાં. સીતાફળના પ્રેમી હોય એવા દરેક જણને એકાદ વાર તો વિચાર આવ્યો જ હશે કે બીયા વગરનાં સીતાફળ કેમ નથી આવતાં? એવી જ રીતે, ઉદારીકરણ પહેલાંના યુગમાં સીંગ-ચણા ખાતી વખતે ઘણાખરાને એકાદ વાર તો એવો વિચાર આવ્યો જ હશે કે ‘અત્યારે ભગવાન પ્રસન્ન થઈને કંઈક માગવાનું કહે તો હું માગું, હે ભગવાન, આ સીંગ-ચણાનાં ફોંતરાં કાઢી આપો.’ આ લાગણીમાં અતિશયોક્તિ છે, પણ તે સાવ બિનપાયાદાર નથી.
ફોંતરાંવાળી ખારી સિંગ કે ફોંતરાંવાળા ચણા ખાવા બેઠેલા જણની મનોદશા જરા કલ્પી જુઓ. તેની 90 ટકા શક્તિ, તેનું 90 ટકા ધ્યાન સિંગ કે ચણાને રક્ષણાત્મક આવરણ પૂરું પાડતાં ફોંતરાંનો નિકાલ શી રીતે કરવો તેમાં હશે. હથેળીમાં સિંગ કે ચણા ભરેલા હોય, પણ એક-એક દાણો ફોંતરું કાઢીને, તપાસ્યા વિના મોંમાં મુકી ન શકાય—જેમ, એરપોર્ટ પર સિક્યોરિટીવાળો એક-એક જણને બધા બેગબિસ્તરા કઢાવીને તપાસ્યા વિના અંદર આવવા ન દે.
કપ અને હોઠ વચ્ચેના અંતરની જેમ, ફોંતરાવાળા ખાદ્યપદાર્થ અને મોં વચ્ચે પણ બસ હાથ ચલાવવા જેટલું જ અંતર હોય, ત્યારે ફોંતરાં વચ્ચે આડા હાથ દઈને ઊભાં રહે છે—જાણે સીંગ-ચણાની તે છેલ્લી સુરક્ષાહરોળ હોય. એવા સમયે અધીરા કે ઝીણવટના પ્રેમી ન હોય એવા લોકો ફોંતરાં કાઢવાની ઝંઝટમાં પડ્યા વિના, સીધેસીધા ખાવાની શરૂઆત કરી દે છે. એ દૃશ્ય જોઈને આગ્રહી લોકોનો જીવ કકળે છે. તે બોલી ઉઠે છે, ’અરે, અરે. ફોંતરાં તો કાઢવાં હતાં? એમ ને એમ જ...?’
ખાનાર બોલવાને બદલે કામ કરવામાં માનતા હોય તો તેમને આવી ચોખલિયાગીરીનો જવાબ આપવામાં રસ પડતો નથી. જવાબો આપવામાં સમય બગાડવાને બદલે તે ફોંતરાંયુક્ત સીંગ-ચણાના બીજા બે-ત્રણ ફાકડા મારવાનું વધારે પસંદ કરે છે. પરંતુ ફાકડા મારવા બેસી જનારામાંથી કેટલાક વિચારશીલ ટાઇપના હોય છે. તે, મોંમાં ઓરેલા સીંગ-ચણા ચાવતાં ચાવતાં, ફોંતરાં કાઢવાનો અનુરોધ કરનારને સમજાવે છે, ‘જુઓ, તમારી લાગણી સાથે હું સંમત છું. સૈદ્ધાંતિક રીતે તમારી વાત ખોટી છે એવું નથી. પણ તમે વિચાર કરો. આપણે જ્યાં બેઠાં છીએ ત્યાં હું ફોંતરાં કાઢવા બેસું તો શું થાય? હથેળીમાં સીંગ (કે ચણા) લઈને હું મસળવાનું ચાલુ કરું એટલે હમણાં ફોંતરાં જુદાં પડી જાય, પણ પછી હું હથેળીમાં ફૂંક મારીશ તો એ બધાં ફોંતરાં પતંગીયાં બનીને આપણી આજુબાજુ ઉડવા લાગશે. ત્યારે તમે જ મને ઠપકો આપશો—અને ડસ્ટ બીન વાપરવાનું તો આપણી સંસ્કૃતિમાં કહ્યું નથી. ડસ્ટ બીન પાશ્ચાત્ય પ્રથા છે. સરવાળે, ફોંતરાં કાઢીને પછી તમારા જેવા ઘણાને નારાજ કરવા, એના કરતાં ફોંતરાં કાઢ્યા વિના તમને એકને નારાજ કરવા, એ વિશ્વશાંતિ માટે વધારે લાભદાયી નથી? શું કહો છો?’
આવું ગહન ચિંતન સાંભળીને ફોંતરાં કાઢવાના આગ્રહી માથું ખંજવાળવા લાગે છે. બીજા પ્રકારના વિચારશીલો બે ડગલાં આગળ વધીને સામેવાળાને તેમના અજ્ઞાન બદલ શરમમાં નાખતાં કહે છે, ‘ઓહો, એનો અર્થ એ થયો કે તમને ખબર નથી લાગતી.’ આવું સાંભળીને ફોંતરાં નહીં કાઢ્યાની ટકોર કરનાર મૂંઝાય છે. તે સ્વસ્થતા પાછી મેળવે તે પહેલાં જ ફોંતરાભેર બુકડો મારી ગયેલો જણ કહે છે, ‘જુઓ, તમે એ તો માનો છો ને કે કોઈ પણ વસ્તુ કૃત્રિમ કરતાં કુદરતી સ્વરૂપે વધારે સારી? જેમ કે, ખાતર. રસાયણ કરતાં સેન્દ્રીય વધારે સારું કે નહીં?’
સામેવાળો ન છૂટકે હકારમાં ડોકું ધુણાવતાં સવાલ પાછળ રહેલો તર્ક સમજવાની કોશિશ કરે છે, પણ તે પોતાના પ્રયાસમાં આગળ વધી શકે તે પહેલાં દલીલનો ઉત્તરાર્ધ આવે છે, ’ફોંતરાં એ તો અસલી ચીજ છે-ગુણકારી કુદરતી તત્ત્વ છે. તમે કોઈ દિવસ સાંભળ્યું કે ઘોડાએ ચણા ખાતાં પહેલાં ફોંતરાં કઢાવ્યાં? અને ફોંતરાંવાળા ચણા ખાવાથી તેની તબિયત શબ્દાર્થમાં ઘોડા જેવી રહે છે કે નહીં? તેનો અર્થ શો થયો? એ જ કે ઘોડા જેવી તબિયત રાખવી હોય તો ચણા ને બીજું આવું જે કંઈ હોય તે ફોંતરાં સાથે ખાવ. ફોંતરાં ઓર્ગેનિક છે, કુદરતી છે, સત્ત્વશીલ છે... આપણે અન્નતપસ્યાના એ મુકામે પહોંચવાનું છે, જ્યાં આપણે સીંગ-ચણા કાઢી નાખીને ફક્ત ફોંતરાં ખાઈએ અને દુનિયા સમક્ષ ઉપદેશથી નહીં, પણ આચરણથી ફોંતરાંનું મહત્ત્વ સ્થાપિત કરીએ.’ આ વાતમાં વજન ઉમેરવા માટે ‘અમેરિકાની એક યુનિવર્સિટીના સર્વેમાં જાણવા મળ્યું હતું કે...’ અથવા ‘આયુર્વેદમાં લખ્યું છે કે...’ એવા ટેકા મૂકી શકાય.
કેમ કે, પોસ્ટ-ટ્રુથ યુગમાં ફોંતરાં સત્ય છે ને સીંગ-ચણા મિથ્યા.
Wednesday, March 16, 2022
સામુદાયિક અત્યાચારો, નાગરિકધર્મ અને ફિલ્મની ભૂમિકા
કાશ્મીરમાં હિંદુ પંડિતો પર થયેલો અત્યાચાર, દિલ્હીમાં શીખો પર થયેલો અત્યાચાર, ગુજરાતમાં મુસ્લિમો પર થયેલો અત્યાચાર અને આવા બીજા બધા જ અત્યાચારોને એકબીજાની સામે મૂકીને, તેમના સામસામા છેદ ઉડાડી શકાય નહીં.
એક અત્યાચારની વાત થાય ત્યારે, નાગરિક તરીકે આપણે તેની સામે બીજા અત્યાચારનું પત્તું ઉતરીને, પહેલા અત્યાચારને નકારી શકીએ નહીં.
જેમ કે, કોઈ કાશ્મીરની વાત કરે ત્યારે 'તમે 2002માં ક્યાં હતા?' અને કોઈ 2002ની વાત કરે ત્યારે 'તમે પંજાબમાં ક્યાં હતા?' એવું નાગરિકો તરીકે ન પૂછાય. એ ધંધો રાજકીય પક્ષોનો છે. કારણ કે, તેમને ન્યાય અપાવવામાં નહીં, મત અંકે કરવામાં રસ હોય છે.
નાગરિકો પર સામુહિક કે સામુદાયિક ધોરણે થયેલા અત્યાચારના કિસ્સામાં ન્યાયની માગણી માટે, તમામ ન્યાયપ્રેમી નાગરિક સમુદાયોએ હાથ મિલાવવા પડે. બધા લોકો દરેક વખતે સક્રિય કે બોલકું સમર્થન આપી ન શકે તો કમ સે કમ, મૂક સમર્થન તો આપી જ શકે. તેની પાછળનો આશય એટલો કે કોઈ અત્યાચારને ઢાંકવા માટે બીજા અત્યાચારોનો ઉપયોગ ન થાય.
***
જુદા જુદા પ્રકારના અત્યાચારનો વિરોધ કરનારા પંજા લડાવવાને બદલે હાથ મિલાવે તો?
હું કાશ્મીરી પંડિતોને ન્યાય મળવો જોઈએ એ વાતમાં સંપૂર્ણપણે સંમત છું અને તે માટે બધી સરકારો પાસેથી જવાબ ઇચ્છું છું અને તેમની નિષ્ફળતાઓ પછી મોડે મોડેથી પણ ન્યાય થતો જોવા ઇચ્છું છું.
હું 2002માં જે લોકોની હત્યા થઈ તેમના માટે ન્યાયની માગણીમાં સામેલ છું. અને તે માટે તત્કાલીન રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અને ત્યાર પછીની બધી સરકારો પાસેથી જવાબ ઇચ્છું છું અને મોડે મોડેથી પણ ન્યાય થતો જોવા ઇચ્છું છું. (આ બે પ્રસંગ તો જાણીતાં ઉદાહરણ તરીકે.)
મુશ્કેલી ત્યારે થાય છે, જ્યારે કાશ્મીરી પંડિતો માટે ન્યાય માગનારા આખી વાતમાં ભાજપની ભૂમિકા, જવાબદારી અને નિષ્ક્રિયતા પ્રત્યે આંખ આડા કાન કરે. 2002 માટે ન્યાય માગનારા કોંગ્રેસની ભૂમિકા, જવાબદારીની અને નિષ્ક્રિયતા બાજુ પર રાખીને જ વાત કરવા ઇચ્છે.
આ લક્ષણ ન્યાયપ્રિય નાગરિકોનાં નહીં, પક્ષના 'વફાદાર' કાર્યકરોનાં અથવા આખી કરુણતાની રાજકીય કે બીજી રીતે રોકડી કરી લેનારાનાં છે. (અહીં વફાદારનું વિશેષણ હકારાત્મક અર્થમાં નથી. ) એવા અભિગમથી પીડિતોને ન્યાય નથી મળતો, પણ તેમની પીડાનો વેપાર થઈ જાય છે.
***
સામુદાયિક અત્યાચાર દર્શાવતી ફિલ્મોની વાત આવે ત્યારે, તે ફિલ્મ બનાવનારનો આશય શો છે, તે સૌથી અગત્યનું છે. આશય ફિલ્મ પરથી નક્કી કરી શકાય છે. દા.ત.
- સંવેદન જગાડતી ફિલ્મઃ તેનો આશય દર્શકોને એક પ્રકારનો અત્યાચાર બતાવીને, એવા તમામ પ્રકારના અત્યાચારો સામે લોકોને સંવેદનશીલ બનાવવાનો હોઈ શકે. તેવી ફિલ્મ તમામ પ્રકારના અત્યાચારો સામે મક્કમતાથી લડવાની પ્રેરણા આપી શકે. 'શિન્ડલર્સ લીસ્ટ' આવી એક ફિલ્મ છે, જેમાં ક્રૂરતમ વાતાવરણમાં પણ બે સમુદાયોને બ્લેક એન્ડ વ્હાઇટમાં વહેંચી દેવાયા નથી. તે ફિલ્મમાં બધેબધા યહુદી પીડિત નથી અને બધા જર્મન વિલન નથી. સંવેદના જગાડવા માટે બનાવાયેલી ફિલ્મની એ ખાસિયત હોય છે.
- દસ્તાવેજીકરણ ધરાવતી ફિલ્મઃ તેમાં અન્યાય સામે ન્યાયની લડત જીવંત રાખવા માટે ઘટનાઓનું યથાતથ આલેખન કરાયું હોય છે. આખા ઘટનાક્રમનાં શક્ય એટલાં વધુ પાસાં રજૂ કરવામાં આવે છે. રજનીશ વિશેની સિરીઝ 'વાઇલ્ડ વાઇલ્ડ વેસ્ટ' (નેટફ્લિક્સ) તેનું ઉત્તમ ઉદાહરણ છે.
- ધિક્કારકેન્દ્રી ફિલ્મઃ કેટલાક મુસલમાન ધર્મગુરુઓ મુસલમાનવિરોધી હિંસાનાં ચુનંદાં દૃશ્યોનો ઉપયોગ મુસલમાન યુવાનોને તમામ હિંદુઓ સામે ઉશ્કેરવા માટે કરતા હોવાનું જાણ્યું છે. એવી જ રીતે, હિંદુવિરોધી હિંસાનાં દૃશ્યો બતાવીને હિંદુઓને બધા મુસલમાનો સામે ઉશ્કેરવાનો ધંધો પણ થાય છે. આ પ્રકારની ફિલ્મોનો આશય ન્યાયનો કે દસ્તાવેજીકરણનો નહીં, ધાર્મિક કે રાજકીય નેતાગીરીના લાભાર્થે સમાજમાં ધિક્કારની બોલબાલા કરવાનો હોય છે. આવી ફિલ્મ બનાવનારા દાવો તો પહેલા બે પ્રકારનો કરે છે, પણ તે પ્રકારોની મૂળભૂત શરતોનું તેમાં પાલન થતું નથી. આવી ફિલ્મોનો આશય ઘાની દવા કરવાનો નહીં, ઘા વકરાવવાનો હોય છે, જેથી રાજકીય, ધાર્મિક અને આર્થિક સહિતનાં અનેક સ્થાપિત હિતોનું કામ થઈ જાય.
***
વિશ્લેષણ માટે 'કાશ્મીર ફાઇલ્સ' ને કોઈ અલગ નિયમ કે માપદંડથી માપવાની જરૂર નથી. ઉપર જણાવેલા સામાન્ય નિયમો પૂરતા છે.
શાંતિથી વાંચજો, વિચારજો અને યોગ્ય લાગે તો શેર કરજો.
Thursday, March 10, 2022
આજનાં પરિણામ પછીઃ એક સંવાદ
આજનાં પરિણામથી તમને દુઃખ તો બહુ થયું હશે, નહીં? કોંગ્રેસ ક્યાંય જીતી નહીં...
ભાજપના ટીકાકારો કોંગ્રેસી કે આપવાળા જ હોય, એવું સમીકરણ તમને બહુ
ફાવે એવું છે. તમનેય અંદરથી ખબર છે કે એ બધે લાગુ પડતું નથી. પણ તમેય શું કરો? તમારે તો વફાદારીપૂર્વક લાઇન ચલાવવી પડે ને.
હકીકતમાં, કોંગ્રેસ સહિતના કોઈ પણ પક્ષની જીતથી ખુશી થાય એવો પ્રશ્ન જ નથી. દેશને સડસડાટ નીચે લઈ જતી ભાજપી નેતાગીરી જીતી તેનું દુઃખ છે. એને તો હવે જાણે દેશને વધારે નીચે લઈ જવાનો પરવાનો મળી ગયો હોય એવું લાગશે.
અને સમાજવાદી પાર્ટી જીતી હોત તો દેશ ઊંચો ચડત?
ના, વધુ નીચો ઉતરતો અટકત અને ભાજપી નેતાગીરીની બિનધાસ્ત બેશરમી પર થોડો અંકુશ આવત. હાથરસ-લખમીપુર જેવાં ઠેકાણે પણ જીતી ગયા પછી બાકી શું રહ્યું?
તમને ભાજપ અને મોદી સામે આટલો બધો વાંધો કેમ છે?
તેમની કાર્યપદ્ધતિ, બિનલોકશાહી વલણ, વહીવટી આવડતના નામે લોચાલાપશી અને સત્તાના સંપૂર્ણપણે કેન્દ્રીકરણને કારણે. પણ એ તમને અત્યાર સુધી ન સમજાયું હોય તો હવે સમજાવું મુશ્કેલ છે. કોરોનામાં બધા પ્રકારની અગવડો વેઠ્યા પછી પણ લોકોને એ ન સમજાતું હોય, તો હવે ક્યારે સમજાશે?
તો શું ભાજપને મત આપનારા બધા મૂરખ છે?
ના, મૂરખ શબ્દ યોગ્ય નથી. ભાજપને મત આપનારામાંથી ઘણા એવા હશે, જેમને ધર્મના નામે અને/અથવા મુસ્લિમો પ્રત્યે ધિક્કારના નામે ઊઠાં ભણાવી શકાય-તેમનામાં રહેલા નકારાત્મક ભાવોને સુદૃઢ કરીને તેને પક્ષના ફાયદા માટે વાળી શકાય. ભાજપી નેતાગીરીને એ કામ બરાબર ફાવે છે અને એ કામ માટે તેમની પાસે અઢળક સંસાધનો, સંગઠન, શક્તિ તથા વૃત્તિ છે.
અને વિપક્ષોની ભૂમિકા?
બેશક, વિપક્ષો તો જવાબદાર ખરા જ. કેમ કે, હજુ તે પોતપોતાના વ્યક્તિકેન્દ્રી વર્તુળમાંથી બહાર આવી શકતા નથી. મારા જેવા ઘણા લોકોને ખેદ અને ચિંતા એ વાતનાં છે કે ભાજપ સરકાર થકી સમાજ અને દેશને લાંબા ગાળાનું નુકસાન થઈ ચૂક્યું છે-હજુ થઈ રહ્યું છે. પણ વિપક્ષોને તેમની સત્તા અને કારકિર્દી સિવાય બીજી કશી ચિંતા નથી. સમાજ અને દેશ માટે ઊભાં થયેલા જોખમોની ગંભીરતા વિપક્ષોને અડતી નથી. એટલે તે અહમ્ મૂકીને ભાજપ સામે એક થઈ શકતા નથી.
પણ ઘણા વિશ્લેષકો કહે છે કે ભાજપને ધિક્કારના રાજકારણનો નહીં, તળીયાના સ્તરે કરેલી કામગીરીનો બદલો મળ્યો છે.
આવાં કારણો જીત પછી શોધવાનું વધારે સહેલું પડે છે. પણ ઉત્તર પ્રદેશમાં અને યોગીરાજમાં દેખીતા ધિક્કાર, ભય તથા કુશાસનના વાતાવરણને ઠંડા કલેજે નજરઅંદાજ કરીને, "તળીયાના સ્તરે કરેલી કામગીરી"ના વખાણ કરવા જેટલી 'સ્થિતિસ્થાપકતા' મારામાં નથી અને તેનો આનંદ છે.
તો તમે હવે શું કરશો?
એ જ, જે 2002થી કરતો આવ્યો છું. સાચું લાગે તે લખવાનું, તક મળ્યે તેના વિશે વાત કરવાની અને સ્વસ્થતાની સાથોસાથ જુસ્સો ટકાવી રાખતા જીવનના બીજા આનંદો માણવાનું ચાલુ રાખવાનું.
ટૂંકમાં, તમે નહીં સુધરો, એમ ને?
સુધરવું એ તો બહુ મહત્ત્વનું કામ છે. મારા જેવા સામાન્ય નાગરિકને બદલે દેશના વડાપ્રધાન એ બાબતમાં પહેલ કરે તો દેશને બહુ ફાયદો થાય.
Saturday, March 05, 2022
ઉડતું મચ્છર જોઈને
‘તમે ઉડતું મચ્છર જોયું છે?’— આ એવો સવાલ છે કે ‘કાશ્મીરમાં હિંદુવિરોધી/દિલ્હીમાં શીખવિરોધી હિંસા વખતે તમે ક્યાં હતા?’ મતલબ, આ એવો પ્રશ્નપથ્થર છે, જે જવાબ મેળવવા માટે નહીં, પ્રશ્ન ફેંકવા માટે પૂછાય છે. ઉડતું મચ્છર તમે જોયું હોય તો રાજી થવાની જરૂર નથી ને ન જોયું હોય તો દુઃખી થવાની જરૂર નથી. અંગ્રેજીમાં કહેણી છે કે કેકના અસ્તિત્વનો પુરાવો તેને ખાઈને જ મેળવી શકાય. એવી રીતે, ઉડતું મચ્છર જોયું હોય કે ન જોયું હોય, તેના હોવાનો પુરાવો તેના ચટકા થકી મેળવી શકાય.
તમે ઉડતો હાથી જોયો હોય તો બરાબર છે. બાકી, ઉડતું મચ્છર જોવામાં શી ધાડ મારવાની? હા, મચ્છરને ઉડતાં પહેલાં ડ્રાઇવિંગ (એટલે કે ફ્લાઇંગ) લાઇસન્સ લેવું પડતું હોય અને તેના માટે હવામાં આઠડો પાડવો પડતો હોય તો થાય કે તમે જોયેલું મચ્છર સાયબર સેલનું કોઈ ઉપદ્રવી મચ્છર નથી, પણ ‘સ્કીલ ઇન્ડિયા’ જેવી કોઈ સ્કીમ હેઠળ ઉડ્ડયનનો પરવાનો મેળવ્યા પછી, આત્મનિર્ભરતાની રાષ્ટ્રિય ઝુંબેશના ભાગરૂપે બહાર પડેલું, ભણેલું તો નહીં પણ ગણગણેલું, મચ્છર છે.
ઘણા મચ્છરદ્વેષીઓ એવું માને છે કે મચ્છરને માણસજાત સાથે જૂની અદાવત છે. એટલે તે માણસને ડંખ મારીને, શબ્દાર્થમાં માણસનું લોહી પીને બદલો છે. પરંતુ એ વાત રાજકીય પક્ષો દ્વારા બે જૂથો વચ્ચેની ખાઈ પહોળી કરવા માટે અપનાવાતી તરકીબ જેવી છે. હકીકતમાં મચ્છર મનુષ્ય સિવાયનાં પ્રાણીઓને પણ કરડે છે. પરંતુ તે પ્રાણીઓ માણસની જેમ (આવો લેખ) લખી કે બોલી શકતાં નહીં હોવાથી તેમની માણસદ્વેષી તરીકેની છાપ દૃઢ બને છે અને ઇમેજ મેનેજમેન્ટ માટે એજન્સી રોકવાનો મચ્છરોમાં હજુ રિવાજ પડ્યો લાગતો નથી.
ઓફિસમાં કે ઘરમાં બેઠકની આસપાસ ઉડતાં મચ્છરો જોઈને કોઈ પરંપરાપ્રેમીને થાય છે કે તે કેટલું અંતર કાપીને આવ્યાં હશે? તેમને અતિથી ગણીને ‘આવો,બેસો, ચાપાણી કરો’—એવો કોઈ વિવેક કર્યા વગર તેમની હત્યાના પ્રયાસોમાં લાગી જવું કેટલું શોભાસ્પદ કહેવાય? આપણી સંસ્કૃતિનો જરાય વિચાર નહીં કરવાનો? મચ્છરો ગમે ત્યાં જઈ શકે છે- ભલભલા સત્તાધીશોની આસપાસ ઉડી શકે છે. સત્તાધીશોની આસપાસ બણબણતા ઘણા લોકો પણ વિશ્લેષણની દૃષ્ટિથી જોતાં મચ્છર જેવા લાગી શકે એ જુદી વાત છે.
વીવીઆઇપીઓની ઝેડ પ્લસ સુરક્ષા પણ મહાનુભાવોની આસપાસ ફરતાં મચ્છરોનું શું ઉખાડી લેવાની હતી?
સાંસ્કૃતિક અસ્મિતાના રાજકીય ઘૂંટડા પીનારાં મચ્છર એવો દાવો કરી શકે છે કે તેમને ફુદાં ટાઇપ ન સમજી લેવાં. એ તો ખરેખર ગરુડનાં વંશજ છે. ઉત્ક્રાંતિ થયા પછી ધીમે ધીમે તેમના પૂર્વજો ઘસાતા ગયા અને છેવટે આ સ્થિતિ આવી. અલબત્ત, આવી હળવી અવસ્થાને કારણે જ તે ટકી ગયાં અને ટકી રહ્યાં છે.—આવું કોઈએ કહ્યું નથી, પણ વોટ્સએપના સંસારમાં આવું અવતરણ ડાર્વિનથી માંડીને ડમડમબાબા સુધીના કોઈ પણ નામે ચડાવી શકાય છે.
ભક્તિની જેમ મચ્છરના ઉડ્ડયનના બે પ્રકાર હોય છેઃ સકામ અને નિષ્કામ. સકામ ઉડ્ડયન કરનારાં મચ્છરો ઘણુંખરું સામાજિક હોય છે. તે જાણે છે કે તે માણસને નહીં કરડે તો તેમને સમાજમાં મોં બતાવવા જેવું નહીં રહે. એટલે તે ઉડતાં દેખાય તેની થોડી વારમાં માણસના શરીરના કોઈ ભાગ પર ખંજવાળ શરૂ થાય છે. ત્યાં હાથ ફેરવતાં માલૂમ પડે છે કે આ તો કોઈ મોરલો (કે મચ્છર) કળા કરી ગયો. નિષ્કામ ઉડ્ડયન કરનારાં મચ્છર જરા વધારે ઊંચી આધ્યાત્મિક ભૂમિકા ધરાવે છે. નિરંજન ભગતની કવિતા ‘હું તો બસ ફરવા આવ્યો છું’ની જેમ, તેમની ફિલસૂફી હોય છેઃ હું ક્યાં આને કે તેને કરડવા આવ્યો છું? હું તો બસ ઉડવા આવ્યો છું.
મચ્છર આસપાસ ઉડતું હોય ત્યારે માણસની પહેલી વૃત્તિ તેને અવગણવાની થાય છે. માણસ વિચારે છે કે ‘આ તો મચ્છર છે—શબ્દાર્થમાં મચ્છર. એમ કંઈ તેને ભાવ થોડો અપાય? આવા કંઈક માનવમચ્છરોને હું ગણકારતો નથી તો આ મચ્છરની શી વિસાત?’ પણ ધીમે ધીમે મચ્છર નજીક આવે છે અને બોમ્બ નાખતાં પહેલાં શહેર પર એક ચકરાવો મારી લેતા બોમ્બર વિમાનની જેમ, તે કશું પણ કર્યા વિના કાનની નજીકથી પસાર થઈ જાય છે. તેનાથી માણસને ખીજ ચડે છે અને થાય છે કે આને તો હું મચ્છરની જેમ મસળી નાખું. (કારણ કે એ મચ્છર જ છે) પણ આવાં મચ્છરોની સામે હાથ ઉઠાવવો એ શાનકે ખિલાફ ન કહેવાય?
પ્રચંડ ધાર્મિક વૃત્તિ ધરાવતા લોકો એમ પણ માની શકે છે કે સામાન્ય રીતે ગુરુઓ ગુરુમંત્ર આવી રીતે કાનમાં આપતા હોય છે. તો શું મચ્છર માનવજાતને કોઈ ગુરુમંત્ર તો આપવા માગતું નથી ને? ક્યાંક એવું ન થાય કે તે કોઈ ઉપયોગી જીવનદર્શન મંત્ર તરીકે આપવા માગતું હોય અને માણસને તેની ભાષા ન સમજાતી હોય. પરંતુ થોડી વારમાં સ્પષ્ટ થઈ જાય છે કે મચ્છરને શરૂઆતમાં અવગણવામાં ભૂલ થઈ હતી. તેનું એ જ વખતે ઠંડા કલેજે એન્કાઉન્ટર કરી નાખ્યું હોત તો કદાચ...
આ એવો વળાંક છે કે જ્યાંથી કેટલાક પોલીસકર્મીઓએ સાહેબોને ખુશ કરવા માટે કરેલાં એન્કાઉન્ટરને વાજબી ઠરાવવાની દિશામાં હોંશભેર આગળ વધી શકાય છે.
Wednesday, February 23, 2022
કમરપટો કસતાં...
નેતાઓ પ્રજાને ઉશ્કેરવાના ધંધામાં પડ્યા, તે પહેલાં તેમનો પ્રિય ટાઇમપાસ પ્રજાને ઉપદેશ આપવાનો હતો. છાશવારે તે લોકોને કહેતા કે ‘આપણે પ્રગતિ કરવા માટે કમર કસવી પડશે.‘ કમર કસવા માટે કમર પર બંધાતો કમરપટો-બેલ્ટ કસવો પડે. પણ તે સમયે ઘણાખરા નેતાઓ ધોતી પહેરતા અથવા પેન્ટ પર બેલ્ટ પહેરતા નહીં. એટલે કમર કસવાની વાત તેમને લાગુ પડતી નહીં. બીજી તરફ, મોટી સંખ્યામાં લોકોના પેટની હાલત એવી રહેતી કે ગમે તેટલો સાંકડો કમરપટો પણ પહોળો પડે. તેના છેલ્લા કાણામાં અણી ભરાવ્યા પછી પણ પટો કમર ફરતે વીંટળાવાને બદલે ઢીલો ને ઢીલો જ રહે. એટલે સરવાળે પ્રજા કમર કસવાની નિષ્ફળ કોશિશ કરતી અને નેતાઓ સફળતાપૂર્વક પ્રગતિ કરતા હતા.
સ્વાભાવિક છે કે જે પ્રજા સરખી રીતે કમરપટો કસી શકે નહીં, તે આગળ આવી શકે નહીં. એમાં ને એમાં ભારત પાછળ રહી ગયું. આવી થિયરી હાસ્યાસ્પદ લાગતી હોય તો તેનો મતલબ એ થયો કે ‘છેલ્લાં સિત્તેર વર્ષમાં ભારતમાં કશું થયું નથી’—એવો ગંભીરતાપૂર્વક થતો ને સતત દોહરાવાતો દાવો તમે સાંભળ્યો નથી. પણ વાત હાસ્યાસ્પદ દાવાની નહીં, કમરપટા ઉર્ફે બેલ્ટની છે.
કમરપટાની ચર્ચામાં સૌથી પહેલો સવાલ એ થવો જોઈએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રતિક જેવો બેલ્ટ પહેરવાની જરૂર શી છે? પરંપરાપ્રેમીઓ કહેશે કે ‘જૂના વખતમાં આવતા ચાંદીના કંદોરા કે કટિબંધ એક પ્રકારના બેલ્ટ જ હતા.’ પરંતુ બેલ્ટને ભારતીય સંસ્કૃતિનું અંગ જાહેર કરવા માટે એટલું પૂરતું નથી. ક્યાંય એવું વાંચવામાં નથી આવ્યું કે મહાભારતના યુદ્ધમાં લડતી વખતે કર્ણનો બેલ્ટ ઢીલો પડી ગયો, એટલે કર્ણ મુંઝાયો. પણ તીર છોડવા કરતાં બેલ્ટ ટાઇટ કરવાની જરૂરિયાત વધારે તાતી હતી. એટલે ધનુષ્ય બાજુ પર મૂકીને જેવો તે બેલ્ટ સરખો કરવા ગયો કે એક તીર આવ્યું અને...
રામાયણમાં પણ ક્યાંય એવું જોવા નથી મળ્યું કે કુંભકર્ણ માટે ખાસ પ્રકારનો, ટ્રીપલ એકસ્ટ્રા સાઇઝનો બેલ્ટ ખાસ જાવાથી કે સુમાત્રાથી મંગાવવામાં આવતો હતો અને તેનો એક બેલ્ટ એટલો મોંઘો પડતો કે તેમાં રાવણની લંકાના એક આખા પરિવારનું એક વર્ષ સુધી ગુજરાત ચાલી રહે.
બેલ્ટને અસલીને બદલે નકલી, નક્કરને બદલે નબળી પરંપરામાં સ્થાપિત કરવા હોય તો, રામાયણ-મહાભારતને બદલે વર્તમાનકાળની વાત કરીએ. વેશભૂષાના મામલે અભિનેતાઓના વરણાગીપણાને ક્યાંય ઝાંખું પાડી દે એવા વર્તમાન વડાપ્રધાને અત્યાર સુધી હજારો કપડાંમાં લાખો ફોટા પડાવ્યા હશે, સૂટથી માંડીને સાડી સુધીના પોશાક તેમણે પહેરેલા કે વીંટાળેલા જોવા મળશે, પણ ક્યાંય બેલ્ટ જોવા મળતો નથી અથવા કોઈકે જોયો પણ હોય તો તે ચર્ચાનો વિષય બન્યો નથી. તેમણે તેમનું નામ છપાવેલો સૂટ પહેર્યો ત્યારે તે એવો જ, તેમના નામની છપાઈવાળો ખાસ બેલ્ટ તૈયાર કરાવી શક્યા હોત. પણ તે એટલા વિવેકી અને સાદગીમાં માનનારા છે કે તેમણે એવું ન કર્યું. તેમના ટીકાકારોને એ નહીં દેખાય. કારણ કે તે કમરપટો કસીને તેમની પાછળ પડી ગયા છે.
બેલ્ટનો મહિમા સમજવાનું સહેલું, પણ સમજાવવાનું અઘરું છે. કારણ કે ‘જો દિખતા હૈ વહ બિકતા હૈ’ના જમાનામાં તે ઘણી વાર ધ્યાન ખેંચે એ રીતે દેખાતો નથી. ભવ્ય ઇમારત જોઈને તેનાં વખાણ કરનારા મકાનના પાયાનાં ગુણગાન ગાતા નથી. એવી જ નિયતિ ક્યારેક બેલ્ટની છે. તે અધોવસ્ત્રને સ્થાનભ્રષ્ટ નહીં થવા દેવાનું અતિ મહત્ત્વનું કામ કરે છે. છતાં, તે પહેલી નજરે દેખાય નહીં તો તેના વિશે પૂછરપછ થતી નથી. ‘અરે વાહ, તમારું પેન્ટ તો સરસ ટકી રહ્યું છે ને કંઈ? કઈ કંપનીનો બેલ્ટ પહેર્યો છે?’—એવું કોઈ પૂછતું નથી. હકીકતમાં, ગમે તેવાં મોંઘાદાટ કપડાં પહેરીને ફરનાર માણસને જો તેનો બેલ્ટ દગો દે, તો તેની આબરૂ જોખમમાં આવી પડે. પેન્ટ થોડું ખૂલતું હોય ત્યારે તો ખાસ. પરંતુ બેલ્ટ પોતે પહેરનારની આબરૂના રક્ષણના ઢોલ પીટ્યા વિના કે જાહેરમાં દેખાવાની પરવા કર્યા વિના ચૂપચાપ પોતાની ફરજ બજાવ્યે જાય છે. ઝાકઝમાળના જમાનામાં આવી મૂક સેવાની કે આવા મૂકસેવકની નોંધ કોણ લે?
ઉદારીકરણના જમાનામાં સીધાસાદા બેલ્ટથી માંડીને ચોક્કસ પ્રાણીઓ ચામડામાંથી તૈયાર કરાયેલા મોંઘાદાટ બેલ્ટ મળે છે. તેમાંથી કેટલાક બેલ્ટની કિંમત એટલી વધારે હોય છે કે તે ખરીદ્યા પછી શરીર પર ધારણ કરવા માટેનું બીજું કશું ખરીદવાનું બજેટ બાકી ન રહે. મોંઘું ઘડિયાળ પહેર્યા પછી માણસ વારે ઘડીએ સમય જોઈને લોકોનું ધ્યાન ઘડિયાળ તરફ ખેંચી શકે છે, પણ એ તરકીબ બેલ્ટમાં કામ લાગતી નથી. વારેઘડીએ બેલ્ટ ખોલીને બંધ કરવા જતાં, વધારે ખવાઈ ગયું છે અથવા શરીર વધી ગયું હોવાથી બેલ્ટથી અકળામણ થઈ રહી છે—એવાં, શાનમાં ઘટાડો કરનારાં અર્થઘટનો નીકળી શકે છે.
બેલ્ટ ગમે તેટલો મોંઘો હોય, પણ તે માથે પહેરી શકાતો નથી. જેનું સ્થાન જ્યાં હોય ત્યાં જ તે શોભે, એવો સંદેશો બેલ્ટમાંથી લઈ શકાય અને તે નેતાઓ માટે લાગુ પાડી શકાય. પરંતુ ગમે તેટલો સારો બેલ્ટ માથે ન પહેરાય એટલું સમજતા લોકો, કોઈ પણ નેતાને માથે ન ચડાવાય એટલું સમજી શકતા નથી. તે બેલ્ટની કે માથાની કે નેતાની નહીં, લોકશાહીની કઠણાઈ છે.
Wednesday, February 02, 2022
ઠંડી ક્યાં લાગે છે?
ગેરસમજ થાય તે પહેલાં સ્પષ્ટતાઃ મથાળાનો સવાલ ‘ઠંડી ક્યાં છે જ? ઠંડી ક્યાં લાગે જ છે?’—એવા અર્થમાં વાંચવાનો નથી. સવાલનો અર્થ છેઃ ઠંડી છે તો ખરી, પણ એ શરીરમાં ચોક્કસપણે ક્યાં લાગે છે?
બને કે સ્પષ્ટતા કરવા માટે પૂછાયેલો બીજો સવાલ વધારે ગુંચવનારો લાગે. ઘણા લોકોને થાય કે આ તે કંઈ સવાલ છે? ઠંડી તરસ થોડી છે કે ગળામાં જ લાગે? ઠંડી ભૂખ થોડી છે કે પેટમાં જ લાગે? એ તો શરીરના અંગેઅંગમાં, આખા શરીરમાં વર્તાય છે. તમારા મનમાં પણ આ પ્રકારનો જવાબ ઉગ્યો હોય તો મનની સપાટી પર તરવાને બદલે સહેજ ઊંડે ડૂબકી મારી જોજો. એમ કરતાં ખ્યાલ આવશે કે ઠંડી લોકોને જુદી જુદી જગ્યાએ લાગી શકે છે. ઓછીવત્તી અસર બધે હોય, પણ ઠંડીનો મુખ્ય મારો ચોક્કસ ઠેકાણે થાય છે. જેમ કે, કેટલાક લોકોને માથામાં ઠંડી લાગે છે. તે સ્વેટર પહેરે કે ન પહેરે, એવું બને કે બહાર ખુલ્લામાં તે ચડ્ડો પહેરીને ઊભા હોય, પણ તેમણે માથું ટોપીથી સુરક્ષિત કરી દીધું હશે. તેમને પૂછવામાં આવે કે ‘પગ ખુલ્લા ને માથે ટોપી?’ તો તે કહી શકે છે કે ‘જેના માટે જે ભાગ વધારે કિમતી હોય તેનું ધ્યાન રાખવું પડે.’ પૂછનાર માથાભારે હોય તો તે સામે કહી શકે, ‘ખરી વાત છે. જે ભાગ ખાલી હોય ત્યાં પવન ભરાવાની બીક વધારે લાગે.’
પરંપરાગત માતાઓ માને છે કે ઠંડીનો સૌથી ઘાતક હુમલો તેમના સંતાનના માથામાં અને છાતીમાં થાય છે. એટલે તે ‘ભૂલો ભલે બીજું બધું...’ની તર્જ પર, ‘બીજું જે કરવું હોય તે કરજે, પણ બહાર નીકળું ત્યારે માથું ને છાતી બરાબર ઢાંકજે.’—એવી સૂચના અચૂક આપે છે. કિશોર-યુવાન સંતાનોને આ શીખામણ જૂનવાણીપણાની નિશાની લાગે છે. તેમને થાય છે, ‘જમાનો ક્યાંનો ક્યાં નીકળી ગયો અને મમ્મી હજુ માથું-છાતી ઢાંકવાની સૂચનાઓમાંથી ઊંચી નથી આવતી. અમારા ગ્રુપમાં તો લોકો ખુલ્લા માથે, બે બટન ખુલ્લાં રાખીને બાઇક પર સોની સ્પીડે નીકળે છે. તેમને જોઈને શિયાળો ઠૂંઠવાઈ જતો હશે. પણ મમ્મીને એ કેમ સમજાવવું?’ જોશમાં સૂચના અવગણ્યા પછી ભૂલેચૂકે તાવ-શરદી થયાં તો તેના માટે ખુલ્લા માથે ફરવાનું કારણભૂત ન હતું, એ સમજાવવામાં તેમને ભરશિયાળે પરસેવો પડી જાય છે.
નાક એ શરદીનું મુખ્ય સ્થાનક છે. ત્યાં ઠંડી અલગથી લાગે કે ન લાગે, પણ ગમે ત્યાં ઠંડી લાગે, તેની છેવટની અસર નાક પર દેખાય છે. નાક ઠરી જવાથી માંડીને સજ્જડ થઈ જવા સુધીનાં પરિણામ માટે શિયાળામાં નાકે તેના કોઈ વાંકગુના વિના તૈયાર રહેવું પડે છે. કોરોનાકાળમાં લોકોને નાક ઢાંકતા માસ્કની થોડીઘણી ટેવ પડી. બાકી તે મહદ્ અંશે ખુલ્લું રહેતું અંગ હતું. તેને ઢાંકવું પણ શી રીતે? માથા પર ટોપી હોઈ શકે, કાન પર પટ્ટી હોઈ શકે, ગળામાં મફલર હોઈ શકે, પણ નાકને અલગથી કેવી રીતે ઢંકાય?
ગળા પરથી યાદ આવ્યું. કેટલાક ગુજરાતીઓને ગળા પર શિયાળાની સૌથી વધારે અસર થાય છે. તેના ઇલાજ તરીકે તે ગળાની અંદર પ્રતિબંધિત પ્રવાહી રેડીને તેને ગરમી આપવાનો પ્રયાસ કરે છે. પરંતુ સરકાર તે પ્રયાસોને આરોગ્યલક્ષી તરીકે જોઈ-પ્રમાણી શકતી નથી. એટલે ગળાની અંદર લાગતી ઠંડીની જાહેર ચર્ચા ટાળવામાં આવે છે અને ચૂપચાપ તેના ઉપાય તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.
કેટલાંક પરિવારોમાં કાન બંધ રાખવાનું બહુ માહત્મ્ય હોય છે. કારણ કે શિયાળાના સૂસવતા પવનો તેમના કર્ણપટલ પર સીધો હુમલો કરે છે. કાન, ગળું અને નાક કેવી રીતે સંકળાયેલાં છે, તેનો વૈજ્ઞાનિક હવાલો આપીને તે કહે છે કે ‘કાનમાં પૂમડાં નાખી દીધાં, પછી જખ મારે છે શિયાળો.’ તેમનો જોસ્સો જોઈને લાગે કે તે ફક્ત પૂમડાંના જોરે ક્યાંક એવરેસ્ટ સર કરવા ન ઉપડી જાય. પૂમડાં તેમના કાનનો એવો અવિભાજ્ય હિસ્સો લાગે છે, જાણે કવચ-કુંડળ સાથે જન્મેલા કર્ણની જેમ તે પૂમડા સાથે આ પૃથ્વી પર આવ્યા હોય. પૂમડા પરની તેમની લગભગ ધાર્મિક કહી શકાય એવી શ્રદ્ધાનો રંગ તે બીજા પૂમડાં-નાસ્તિકોને લગાડવા કોશિશ કરે છે. પણ ચબરાક લોકો સામેથી પૂમડાંનો મહિમા શરૂ થતાં પહેલાં પોતાના કાનમાં કાલ્પનિક પૂમડાં નાખી દે છે.
છાતીમાં ઠંડી ભરાઈ જતી રોકવા માટે સ્વેટર-જેકેટ જેવા ચીલાચાલુ ઉપાય ઘણી વાર અપૂરતા નીવડે છે. ત્યારે જરૂરિયાત સંશોધનની માતા બને છે અને ટુ-વ્હીલર ચલાવતી વખતે પાછળ લટકાવવાની બેગ છાતીસરસી ચાંપવાથી માંડીને શર્ટની અંદર ગડી વાળેલાં છાપાં મુકવાના મૌલિક નુસખા લોકો અજમાવે છે. માનવીની ગતિ જેમ જીવનથી મરણ સુધીની, તેમ છાપાની અનિવાર્ય ગતિ પ્રેસથી પસ્તી સુધીની હોય છે. તેમાં વચ્ચે આવો સાર્થક મુકામ આવી જાય અને છાપું કોઈની ઠંડી દૂર કરી શકે તો ગરીબ વર્ગની સમસ્યાઓને વાચા નહીં આપવાનું તેનું પાપ ઠીક ઠીક અંશે હળવું બની શકે છે.
એ સિવાય હાથે, પગે અને ગમે ત્યાં ઠંડી લાગે ત્યાં સુધી વાંધો નથી. પરંતુ મોંઘા ભાવનું પેટ્રોલ ભરાવવાથી માંડીને સરકારની બીજી અયોગ્ય નીતિથી કોઈને ‘ટાઢ ચડે’ તો? તેનો જવાબ નાગરિકોએ જાતે શોધવાનો અને મેળવવાનો રહે છે.
Tuesday, January 25, 2022
છીંક આવે ત્યારે
ફિલસૂફો કહે છે કે માણસ સારો કે ખરાબ હોતો નથી, એ ફક્ત હોય છે. કંઈક એવું જ છીંક અને બગાસાં જેવી ક્રિયાઓ વિશે કહી શકાય. તે પણ સારી કે ખરાબ, ઇચ્છનીય કે અનિચ્છનીય નથી હોતી. તે ફક્ત હોય છે. તેમની સકારાત્મક કે નકારાત્મક અસરોનો આધાર તે ક્રિયાઓના સમય, સ્થળ, પદ્ધતિ, અવાજ જેવી ઘણી બાબતો પર આધારિત હોય છે. બગાસું અને છીંક બંને સામાન્યપણે નિર્દોષ ક્રિયાઓ ગણાય છે, પણ મોં અને નાકથી ફેલાતા કોરોના વાયરસે, બીજી ઘણી બાબતોની જેમ આ બંને ક્રિયાઓ સાથે સંકળાયેલી નિર્દોષતા છીનવી લીધી છે.
ગાંધીજીએ કહ્યું હતું કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. એવી જ રીતે, જનમાનસમાં છીંક શરદી થવાની નિશાની ગણાય છે. કોઈ આરોગ્યપ્રેમીની હાજરીમાં એકાદ સરખી છીંક આવી નથી કે તે શરૂ થઈ જશે, ‘તું એક કામ કર. રોજ સવારે વિક્સનો નાસ લે, સૂંઠની ગોળી ખા, ગરમ પાણીના કોગળા કર, હૂંફાળું પાણી પી, ચાના મસાલામાં આદુની સાથે તજ-લવિંગનો ભૂકો પણ થોડો નાખ, ગળા પર ગરમ પાણીની કોથળીથી શેક કર, બહાર નીકળવાનું થાય છાતીમાં ને માથામાં પવન ભરાય નહીં એવી રીતે બાંધી દેજે અને કાનમાં પૂમડાં નાખવાનું ભૂલતો નહીં.’ આ સલાહ એક્સપ્રેસનો છેલ્લો ડબ્બો છીંક ખાનારને સૌથી વાજબી લાગે છે. તેને થાય છે કે કાનમાં પૂમડાં નાખવાં બેશક ગુણકારી નીવડ્યાં હોત—ખાસ કરીને, છીંક ખાધા પછી તરત નાખી દીધાં હોત તો આટલી બધી સલાહો સાંભળવામાંથી મુક્તિ મળી ગઈ હોત.
એક જ રચનાને ઉસ્તાદ ગાયકો જેમ જુદા જુદા સૂરતાલમાં રજૂ કરી શકે છે, તેવું જ અદાયગી-વૈવિધ્ય છીંકના મામલે જોવા મળે છે. છીંક ખાવી એ સાંસ્કૃતિક ઘટના ગણાવી જોઈએ. કેમ કે, તેમાં પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના ભેદ સ્પષ્ટ થઈ જાય છે. પ્રાચીન ભારતીય પરંપરાનો વાવટો વટભેર લહેરાતો રાખનારા લોકો છીંક ખાતી વખતે એટલો મોટો અવાજ કરે છે કે આજુબાજુ કોઈ છોકરું રડતું હોય તો તે ડઘાઈને ચૂપ થઈ જાય અને શાંત રહેલાં છોકરાં ગભરાઈને રડવાનું શરૂ કરી દે. તેમની છીંકના અવાજથી પ્રસરતા ધ્વનિતરંગો એટલા શક્તિશાળી હોવાનો ભાસ થાય છે કે આજુબાજુની બારીઓના કાચની ચિંતા થાય. ‘આ...ચ્છુ’, ‘આ...ચ્છી’, ‘છુ...’, ‘છી...’ જેવા જુદા જુદા ઉદ્ગારો સાથે છેડાતી છીંકની બંદીશ કદરદાનોને મુગ્ધ અને બાકીનાને ક્ષુબ્ધ કરે છે. પાશ્ચાત્ય પરંપરામાંથી સૂક્ષ્મતાનો-સટલિટીનો મહિમા નવેનવો જાણી લાવનારા લોકો છીંકના પ્રચંડ અવાજ અને તેના કર્તા પ્રત્યે મોં મચકોડે છે. પરંતુ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આટઆટલાં બલિદાન શું એવી લોકશાહી માટે આપ્યાં હતાં, જ્યાં માણસ સુખેથી અને પૂરી આઝાદીથી છીંક પણ ન ખાઈ શકે? એવો વિચાર આઝાદીનો અમૃત મહોત્સવ ન હોય તો પણ આવવો લાજમી છે.
જૂના સમયનાં યુદ્ધો વખતે યોદ્ધાઓના શંખનાદથી શત્રુસૈન્યોમાં કંપ ફેલાતો હોવાનાં વર્ણન વાંચ્યાં છે. શક્ય છે કે પ્રાચીન કથાકારોએ છીંકનાદનો મહિમા કરવો ન પડે, એટલે રૂપક તરીકે શંખનાદની વાત કરી હશે. બાકી, અમુક પ્રકારના છીંકનાદ શત્રુનાં ગાત્રો શિથિલ કરી દે તેમાં કોઈ બેમત નથી. માતેલો સાંઢ છીંકોટા નાખે એવી રીતે થતા કેટલાક છીંકનાદ એટલા વિસ્ફોટક હોય છે કે કોઈ સંવેદનશીલ આત્માને જાહેર શાંતિના ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાવવાનું મન થઈ આવે. એવા છીંકવીરો બહાર નીકળે ત્યારે તેમણે ખાસ પ્રકારનાં સાયલેન્સર ધારણ કરવાં જોઈએ અને એવું ન કરે તો ટ્રાફિક પોલીસ તેમની પાસેથી દંડ વસૂલ કરી શકે—એવી માગણી હજુ સુધી થઈ નથી. તે સૂચવે છે કે લોકો ગમે તે કહે, પણ સહિષ્ણુતાનો જમાનો સાવ આથમી ગયો નથી.
જમાનો બદલાતાં છીંક ખાતી વખતે સભ્યતા જાળવવાની બોલબાલા વધી. એટલે લોકોએ નાક પર રૂમાલ દાબીને છીંક ખાવાનું શરૂ કર્યું. તેના કારણે આપોઆપ નાક પર સાયલેન્સર લગાડ્યું હોય એવું પરિણામ મળવા લાગ્યું. એમ કરવા જતાં નાકની અભિવ્યક્તિ સ્વતંત્રતા રૂંધવાનો અપરાધભાવ થઈ શકે, પણ જાહેર શાંતિ માટે એટલું તો અનિવાર્ય અનિષ્ટ ગણાય. ફક્ત અવાજ ઓછો કરવાથી સંતોષ ન માનતાં, કેટલાક લોકો પશ્ચિમના અનુકરણમાં એક ડગલું આગળ વધ્યા અને જેટલી વાર છીંક ખાય તેટલી વાર ‘એક્સક્યૂઝ મી’ કે ‘સોરી’ જેવા શબ્દો બોલવા લાગ્યા. તે બોલે ત્યાં સુધી તો સમજ્યા, બીજાએ પણ એવું કરવું જોઈએ, એવી અપેક્ષા તે રાખવા લાગ્યા. તેના કારણે એક તરફ, શરીરનો જેની પર કાબૂ નથી એવો છીંકનો અવાજ આવી રહ્યો હોય ને તેની સાથે ‘એક્સક્યૂઝ મી’ ભળે. એટલે સામેવાળાને ઘણી વાર ‘હાક...ક્યૂઝ મી’ કે ‘ક્યૂઝ..હાક..છી’ જેવું કંઈક સંભળાતું હોય છે.
ધરતીકંપના આંચકાની તાકાત રિક્ટર સ્કેલમાં મપાય છે, એવી જ રીતે છીંકની તાકાત માપવા માટેનો કોઈ સ્કેલ હોવો જોઈએ. કારણ કે ઘણીખરી છીંકો સામાન્ય હોય છે, પણ ક્યારેક એવી છીંક આવે છે, જે આખું અસ્તિત્વ ધરમૂળમાંથી હચમચાવી નાખે છે. સ્થિર ઊભેલો કે બેઠેલો માણસ અમદાવાદના ઝૂલતા મીનારાની જેમ કંપનો અનુભવે છે. છતાં, સ્કેલના અભાવે છીંકની ગંભીરતા બીજા લોકો સુધી પહોંચતી નથી ને છીંક ખાનારને અસંસ્કૃત વર્તનની ગુનાઈત લાગણી બદલ શરમાવું પડે છે.
Wednesday, January 19, 2022
ડોર બેલ સભ્યતા
સંસ્કૃતિચર્ચામાંથી બહાર નીકળીને જોતાં ડોર બેલનાં બીજાં પાસાં ભણી ધ્યાન જાય. જેમ કે, ડોર બેલનો અવાજ. પહેલાં ડોર બેલનો પણ એક જ પ્રકારનો રણકાર સાંભળવા મળતો હતો—સીધોસાદો, શુષ્ક બઝર જેવો. તે સાંભળીને એવું લાગે, જાણે કોઈ બેસૂરો માણસ ખરજભર્યા કંઠે ગાવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યો છે. પરંતુ કેટલાક નેતાઓની ન્યૂસન્સ વેલ્યુ એ જ તેમની વિશેષતા હોય છે, તેમ એ પ્રકારના ડોર બેલની કર્કશતાનો જ મહિમા હતો. તેમનો કર્કશ અવાજ અવગણી શકાય એવો ન હતો. એટલે ‘અમને તો બેલ સંભળાયો જ નહીં’—એવા બહાના માટે જગ્યા રહેતી ન હતી. તેમ છતાં કોઈ એવું કહે તેમણે ‘ખરા ઉંઘણશી તમે તો’—એવા હળવા ઠપકા માટે તૈયાર રહેવું પડતું હતું.
ધીમે ધીમે ડોર બેલના રણકારમાં વૈવિધ્ય આવવા લાગ્યું. કોઈનો અવાજ પંખીના ટહુકા જેવો, તો કોઈનો સંગીતની સુરાવલિ જેવો. પરંતુ ડોર બેલ સંગીતની સૌથી મોટી મર્યાદા એ હતી કે તેમાં વોલ્યુમ કન્ટ્રોલનું બટન ન હતું. એટલે એક વાર મોટા અવાજવાળો ડોર બેલ ઘરમાં ફીટ થઈ ગયો, પછી તેની સાથે પડ્યું પાનું નિભાવવું પડે. તે પ્રેક્ટિસ દાંપત્યજીવનમાં ખપ લાગી કે નહીં, તેનાં સમાજશાસ્ત્રીય સંશોધનો થયાં નથી. છતાં, કહી શકાય કે ડોર બેલનો અવાજ નિભાવી લેવામાંથી ખીલેલી ક્ષમતાના જોરે કંઈક દાંપત્યજીવનો નભી ગયાં હશે.
ડોર બેલનો અવાજ કેટલો મોટો આવે છે એના કરતાં, એ કેટલો મોટો લાગે છે, તે બાબત વધારે અગત્યની બની રહેતી હતી. દિવસના વ્યસ્ત સમયે, વાહનોની આવનજાવન વખતે સામાન્ય અવાજવાળો લાગતો ડોર બેલ બપોરના કે રાતના સન્નાટામાં એકાંતનો ગેરલાભ લઈને બરાડા પાડતો હોય એટલો મોટો સંભળાતો હતો. તેના અવાજથી પડોશના ઘરનાં લોકો પણ ઉઠી જશે, એવી શંકા જતી હતી.
ડોર બેલ રોજિંદા જીવનનો ભાગ બન્યો, એટલે તેની સાથે આચારસંહિતા અને સભ્યતા-એટિકેટ જોડાયાં. ડોર બેલ કેવી રીતે વગાડાય અને કેવી રીતે ન વગાડાય તેના વણલખ્યા નિયમ બન્યા. ડોર બેલની એટિકેટ બાબતે કેટલાક લોકોનું કડક વલણ જોતાં એવું લાગતું કે તેમનું ચાલ્યું હોત તો ડોર બેલના નિયમભંગનો ગુનો તેમણે ઇન્ડિયન પીનલ કોડમાં સામેલ કરાવ્યો હોત. સાથોસાથ, કેટલાક લોકો ડોર બેલ પર અને સરવાળે અંદર રહેતા લોકોના કાન પર જે અત્યાચાર કરતા હતા, તેને ધ્યાનમાં લેતાં ડોર બેલ વિશેની આઇપીસીની કલમો આવકારદાયક પણ લાગી હોત.
કેટલાક લોકો ડોર બેલ જોઈને ભૂરાંટા થતા હતા. ક્યાંક ગયા પછી તે બારણાનું સર્વેક્ષણ કરતા અને જેવી ઘંટ દોરેલી સ્વિચ તેમની નજરે પડે કે તરત તેમની આંખો ચમકી ઉઠતી. તેમાં એવો ભાવ ઝબકી જતો કે ‘હવે ખબર પાડી દઉં છું બારણાં બંધ કરીને અંદર ભરાઈ બેટ્ટમજીઓને’ તે ડોર બેલની સ્વિચ એવી રીતે દબાવતા, જાણે તેના સળંગ સૂરમાંથી આખું ગીત બનાવી કાઢવાનું હોય. એક વાર, બે વાર, ત્રણ વાર... દરવાજો ન ખુલે ત્યાં સુધી તે બેલ દબાવવાનું ચાલુ રાખતા. તેમના સારા નસીબે બારણું બંધ હોવાથી અંદર રહેલા અને બેલના ઉપરાછાપરી અવાજથી ઉશ્કેરાઈને બારણું ખોલવા આવતા લોકોના ચહેરાના હાવભાવ કે મનમાં ઉગતાં સ્વસ્તિવચનો તેમને દેખાતાં-સંભળાતાં નહીં. ઘરમાલિક બારણે પ્રગટ થાય ત્યારે બેલમારક સમજતા કે યજમાન દરવાજો ખોલવા આવ્યા છે. પરંતુ ઘણા કિસ્સામાં યજમાન મુઠ્ઠી વાળીને, દાંત ભીંસીને ‘કોણ મંડ્યો છે?’ તેની તપાસ કરવા આવતા હતા અને પરિચિત ચહેરો જોઈને મનમાં ઉઠેલા લાગણીના તરંગો પર અંકુશ મેળવી લેતા. તેના લીધે સામાજિક સંબંધોનું પોત અને કાયદોવ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેતાં.
કેટલાક લોકો બારણે બેલ રાખતા, પણ બારણની સાથે બેલ પણ બંધ રહેતો. તે દબાવ્યા પછી વાગ્યો કે નહીં, તેના વિશે વગાડનારને અવઢવ રહેતી. બીજી વખત બેલ મારવામાં ક્ષોભ થાય, પણ પહેલી વારનો બેલ વાગ્યો કે નહીં, તેની અવઢવ ચાલુ હોય. ત્યારે વારેઘડીએ બેલ દબાવી જોયા પછી, બારણે ટકોરા મારી જોયા પછી દરવાજો ન ખુલતાં પાછું જવું પડ્યું હોય એવા કિસ્સા પણ અશક્ય ન હતા. એવી સ્થિતિમાં ‘હું બેલ મારું છું’ એવો માણસનો કર્તાભાવ ઓગળી જતો અને ‘બેલ વગાડનાર હું કોણ? એ તો ઇશ્વરેચ્છા હશે તો જ વાગશે’ એવી આધ્યાત્મિક ભૂમિકા તે પ્રાપ્ત કરતો હતો.
Tuesday, January 04, 2022
બગડાનું વર્ષ
આમ તો એનું કશું મહત્ત્વ નથી. છતાં વર્તમાન સમયમાં જે રીતે સાવ ફાલતુ, ક્ષુલ્લક અને જૂઠી વાતોને પણ આદરણીય વડાપ્રધાનના કુશળ નેતૃત્વ હેઠળ થયેલી જાહેર કરવામાં આવે છે, એ પરંપરામાં કહી શકાયઃ 2022ના નવા વર્ષના આંકડામાં એક જ આંકડો ત્રણ વાર આવે છે.
જોયું? આને કહેવાય ચમત્કાર. નહેરુ જેવા નહેરુ ને ગાંધીજી જેવા ગાંધીજી પણ આવો ચમત્કાર કરી શક્યા ન હતા, જે માનનીય વર્તમાન (કે વર્તમાન માનનીય?) વડાપ્રધાનશ્રીના પ્રતાપી નેતૃત્વને કારણે શક્ય બન્યું છે. થોડા વખત પહેલાં ચાર ગ્રહો એક લાઇનમાં દેખાતા હતા, ત્યારે કોઈ ચેનલે એવું કેમ નહીં કહ્યું હોય કે ‘જોયું? સાહેબે ગ્રહો જેવા ગ્રહોને કેવા લાઇનમાં ઊભા રાખી દીધા?’ શક્ય છે કે ત્યારે ચેનલોનું ધ્યાન કાશીમાં થયેલા ઉત્સવમાં પરોવાયેલું હોય. કાશી પરથી યાદ આવ્યુઃ પહેલાં કાશીનું મરણ અને સુરતનું જમણ વખણાતું હતું. પરંતુ સાહેબશ્રીએ જે રીતે ચચ્ચાર વાર કપડાં બદલીને આખા સમારંભને નવી ઊંચાઈ પ્રદાન કરી, ત્યાર પછી ‘સુરતનું જમણ અને કાશીનાં પહેરણ’ એવી કહેણી પ્રચલિત બની શકે છે.
એક જ વર્ષમાં એક આંકડો ત્રણ વાર આવતો હોય, એવું અગાઉ 1999માં, ત્યાર પહેલાં 1888માં, તેની પહેલાં 1777માં એવી રીતે થયું હતું ને હવે 2111માં થશે. તેનાથી જ્યોતિષના નામે, અંકશાસ્ત્રના નામે અને બીજાં અનેક નામે અષ્ટમપષ્ટમ ચલાવનારા સિવાય બીજા કોઈને કશો ફરક પડે તેવો સંભવ નથી. કારણ કે વગર ત્રણ બગડે ગયું વર્ષ અગાઉનાં બે વર્ષ બગડેલાં જ છે. હવે 2022 પડીકામાં શું લઈને આવ્યું છે, તેની ચિંતામિશ્રિત ઉત્સુકતા છે. 2021ના છેલ્લા દિવસ ગણાઈ રહ્યા હતા અને 2022 પહોંચવામાં હતું, ત્યારે કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપે તેના સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દીધી. 2021માં છેલ્લે છેલ્લે ફરી એક વાર કોરોનાના કેસ નોંધાવા અને વધવા લાગ્યા. વધારો એટલો મોટો ન હતો કે સરકારને તે અસરકારક રીતે ‘મેનેજ કરવાના’,એટલે કે છુપાવવાના, કામે લાગી જવું પડે. સરકારની ઉદારતાને કારણે પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જાણવા પણ મળ્યું કે ઓમિક્રોનના કેસ ખરેખર વધી રહ્યા છે.
કેસ વધ્યા એટલે સરકારે ફરી વાર શહેરોમાં રાત્રે કરફ્યૂની જાહેરાત કરી છે. પુરાણકથાઓમાં આવતું હતું કે રાક્ષસી તાકાતોનું જોર રાત્રે બહુ વધી જાય. ભીમપુત્ર ઘટોત્કચની કથામાં પણ એવું કહેવાતું હતું કે ઘટોત્કચ રાત્રે સૈન્ય લઈને આવતો અને હાહાકાર મચાવતો હતો. પરંપરા સાથે અનુસંધાન રાખવા આતુર વહીવટી તંત્રે આવા કોઈ કારણસર રાત્રે કરફ્યૂ રાખ્યો હશે? ખબર નથી. કેમ કે, દિવસના સમયે રાજકીય કાર્યક્રમો બેરોકટોક અને બેફામપણે ચાલે છે. રાજનેતાઓને એવો આત્મવિશ્વાસ હોઈ શકે છે કે ‘અમારી ઘાતક શક્તિ સામે વાઇરસિયાનો શો ક્લાસ? અમે તો લોકોને વગર સ્પર્શે તેમના રૂંવે રૂંવે એવો ચેપ ફેલાવી દઈએ કે તે અંદરોઅંદર અવિશ્વાસ કરે ને લડી મરે.’ તેમની આવી આત્મનિર્ભરતા અસ્થાને નથી. એટલે જ, રાજનેતાઓની ઘાતક શક્તિને સામાન્ય લોકોએ પોતાના હિસાબે અને જોખમે જ અવગણવી.
નેતાઓ એક તરફ સાવચેતીનાં પગલાંની વાતો કરે અને બીજી તરફ તોતિંગ રેલીઓ-સભાઓ કરે, ત્યારે ઘણાને ગુસ્સો આવે છે. તેમને થાય છે કે ‘અમારે પ્રસંગોમાં ઓછાં માણસ બોલાવવાનાં અને તમે મન ફાવે એટલી ભીડ ભેગી કરો, એમ?’ આવો બળાપો કાઢનારા લોકો નેતાઓનો લોકશાહીપ્રેમ સમજી શકતા નથી. તેમને લાગે છે કે નેતાઓ પોતાની સત્તાનો મન ફાવે તેમ ઉપયોગ કરે છે. હકીકતમાં નેતાઓ લોકો સાથે એટલું મજબૂત જોડાણ અનુભવે છે—ખાસ કરીને ચૂંટણીનું વાતાવરણ જમાવવાનું હોય ત્યારે—કે તે લોકોનો વિરહ બિલકુલ સહન કરી શકતા નથી. નેતાઓ લોકોને મળે નહીં, તો આ જ લોકો ફરિયાદ કરતા હોય છે કે ‘નેતાઓ એક વાર મત લઈ ગયા પછી પાંચ વર્ષે દેખાય છે.’ બીજી તરફ, નેતાઓ લોકમિલન યોજે ત્યારે તેની સામે પણ આંગળીચીંધણું કરવામાં આવે છે. તો નેતાઓ બિચારા કરે શું? તે કંઈ લોકોની માફક પોતાની મરજીના માલિક નથી. તેમને તો જે પ્રમાણે ચાવી ભરવામાં આવે, તેટલાં ડગલાં અને તે પણ ઉપરથી નક્કી કરાયેલી દિશામાં ચાલવું પડે. આ બાબતે બહુ તો તેમના પ્રત્યે અનુકંપા સેવી શકાય-તેમની દયા ખાઈ શકાય. પણ તેમની ટીકા? એ તો હળાહળ અમાનવીય પ્રતિક્રિયા ગણાય.
નેતાઓ તેમના સાહેબોનાં ચાવીવાળાં રમકડાં છે, એવું સ્વીકારવામાં જેમને અપમાન કે માનહાનિ લાગતાં હોય તેમણે સમજવું જોઈએ કે દરેક જણ છેવટે તો તેના ‘સાહેબ’નું—એટલે કે કબીર જેમને ‘સાહેબ’ કહેતા હતા તે ઇશ્વરનું—ચાવીભરેલું રમકડું છે. નેતાઓ બંને ‘સાહેબ’ વચ્ચે ભેળસેળ કરી નાખે, તો તેને તેમની ગફલત નહીં, વફાદારી ગણીને રાજી થવું જોઈએ. લોકોએ વિચારવું જોઈએ કે ‘ચાલો, તે લોકોને ભલે નહીં, પણ કોઈકને વફાદાર તો છે. આજકાલ સાહેબને વફાદાર છે, તો કોઈક વાર લોકોને પણ વફાદાર થશે.’ પણ વફાદારીનો ગુણ જ ન હોય, એવા લોકો પાસેથી કશી આશા રાખી શકાતી નથી.
ગુજરાતીમાં ટનના ભાવે ખડકાતું ચિંતન, સેમી-ચિંતન, નેનો-ચિંતન વગેરે પ્રકારનું સાહિત્ય સતત વેઠ્યા પછી આટલું જ્ઞાન પણ પ્રગટે નહીં, તો બીજા કોઈનો વાંક કાઢવાનો શો મતલબ?