Saturday, March 05, 2022

ઉડતું મચ્છર જોઈને

‘તમે ઉડતું મચ્છર જોયું છે?’— આ એવો સવાલ છે કે ‘કાશ્મીરમાં હિંદુવિરોધી/દિલ્હીમાં શીખવિરોધી હિંસા વખતે તમે ક્યાં હતા?’ મતલબ, આ એવો પ્રશ્નપથ્થર છે, જે જવાબ મેળવવા માટે નહીં, પ્રશ્ન ફેંકવા માટે પૂછાય છે. ઉડતું મચ્છર તમે જોયું હોય તો રાજી થવાની જરૂર નથી ને ન જોયું હોય તો દુઃખી થવાની જરૂર નથી. અંગ્રેજીમાં કહેણી છે કે કેકના અસ્તિત્વનો પુરાવો તેને ખાઈને જ મેળવી શકાય. એવી રીતે, ઉડતું મચ્છર જોયું હોય કે ન જોયું હોય, તેના હોવાનો પુરાવો તેના ચટકા થકી મેળવી શકાય.  

તમે ઉડતો હાથી જોયો હોય તો બરાબર છે. બાકી, ઉડતું મચ્છર જોવામાં શી ધાડ મારવાની? હા, મચ્છરને ઉડતાં પહેલાં ડ્રાઇવિંગ (એટલે કે ફ્લાઇંગ) લાઇસન્સ લેવું પડતું હોય અને તેના માટે હવામાં આઠડો પાડવો પડતો હોય તો થાય કે તમે જોયેલું મચ્છર સાયબર સેલનું કોઈ ઉપદ્રવી મચ્છર નથી, પણ ‘સ્કીલ ઇન્ડિયા’ જેવી કોઈ સ્કીમ હેઠળ ઉડ્ડયનનો પરવાનો મેળવ્યા પછી, આત્મનિર્ભરતાની રાષ્ટ્રિય ઝુંબેશના ભાગરૂપે બહાર પડેલું, ભણેલું તો નહીં પણ ગણગણેલું, મચ્છર છે.

ઘણા મચ્છરદ્વેષીઓ એવું માને છે કે મચ્છરને માણસજાત સાથે જૂની અદાવત છે. એટલે તે માણસને ડંખ મારીને, શબ્દાર્થમાં માણસનું લોહી પીને બદલો છે. પરંતુ એ વાત રાજકીય પક્ષો દ્વારા બે જૂથો વચ્ચેની ખાઈ પહોળી કરવા માટે અપનાવાતી તરકીબ જેવી છે. હકીકતમાં મચ્છર મનુષ્ય સિવાયનાં પ્રાણીઓને પણ કરડે છે. પરંતુ તે પ્રાણીઓ માણસની જેમ (આવો લેખ) લખી કે બોલી શકતાં નહીં હોવાથી તેમની માણસદ્વેષી તરીકેની છાપ દૃઢ બને છે અને ઇમેજ મેનેજમેન્ટ માટે એજન્સી રોકવાનો મચ્છરોમાં હજુ રિવાજ પડ્યો લાગતો નથી.

ઓફિસમાં કે ઘરમાં બેઠકની આસપાસ ઉડતાં મચ્છરો જોઈને કોઈ પરંપરાપ્રેમીને થાય છે કે તે કેટલું અંતર કાપીને આવ્યાં હશે? તેમને અતિથી ગણીને ‘આવો,બેસો, ચાપાણી કરો’—એવો કોઈ વિવેક કર્યા વગર તેમની હત્યાના પ્રયાસોમાં લાગી જવું કેટલું શોભાસ્પદ કહેવાય? આપણી સંસ્કૃતિનો જરાય વિચાર નહીં કરવાનો? મચ્છરો ગમે ત્યાં જઈ શકે છે- ભલભલા સત્તાધીશોની આસપાસ ઉડી શકે છે. સત્તાધીશોની આસપાસ બણબણતા ઘણા લોકો પણ વિશ્લેષણની દૃષ્ટિથી જોતાં મચ્છર જેવા લાગી શકે એ જુદી વાત છે.
વીવીઆઇપીઓની ઝેડ પ્લસ સુરક્ષા પણ મહાનુભાવોની આસપાસ ફરતાં મચ્છરોનું શું ઉખાડી લેવાની હતી?
સાંસ્કૃતિક અસ્મિતાના રાજકીય ઘૂંટડા પીનારાં મચ્છર એવો દાવો કરી શકે છે કે તેમને ફુદાં ટાઇપ ન સમજી લેવાં. એ તો ખરેખર ગરુડનાં વંશજ છે. ઉત્ક્રાંતિ થયા પછી ધીમે ધીમે તેમના પૂર્વજો ઘસાતા ગયા અને છેવટે આ સ્થિતિ આવી. અલબત્ત, આવી હળવી અવસ્થાને કારણે જ તે ટકી ગયાં અને ટકી રહ્યાં છે.—આવું કોઈએ કહ્યું નથી, પણ વોટ્સએપના સંસારમાં આવું અવતરણ ડાર્વિનથી માંડીને ડમડમબાબા સુધીના કોઈ પણ નામે ચડાવી શકાય છે.

ભક્તિની જેમ મચ્છરના ઉડ્ડયનના બે પ્રકાર હોય છેઃ સકામ અને નિષ્કામ. સકામ ઉડ્ડયન કરનારાં મચ્છરો ઘણુંખરું સામાજિક હોય છે. તે જાણે છે કે તે માણસને નહીં કરડે તો તેમને સમાજમાં મોં બતાવવા જેવું નહીં રહે. એટલે તે ઉડતાં દેખાય તેની થોડી વારમાં માણસના શરીરના કોઈ ભાગ પર ખંજવાળ શરૂ થાય છે. ત્યાં હાથ ફેરવતાં માલૂમ પડે છે કે આ તો કોઈ મોરલો (કે મચ્છર) કળા કરી ગયો. નિષ્કામ ઉડ્ડયન કરનારાં મચ્છર જરા વધારે ઊંચી આધ્યાત્મિક ભૂમિકા ધરાવે છે. નિરંજન ભગતની કવિતા ‘હું તો બસ ફરવા આવ્યો છું’ની જેમ, તેમની ફિલસૂફી હોય છેઃ હું ક્યાં આને કે તેને કરડવા આવ્યો છું? હું તો બસ ઉડવા આવ્યો છું.

મચ્છર આસપાસ ઉડતું હોય ત્યારે માણસની પહેલી વૃત્તિ તેને અવગણવાની થાય છે. માણસ વિચારે છે કે ‘આ તો મચ્છર છે—શબ્દાર્થમાં મચ્છર. એમ કંઈ તેને ભાવ થોડો અપાય? આવા કંઈક માનવમચ્છરોને હું ગણકારતો નથી તો આ મચ્છરની શી વિસાત?’ પણ ધીમે ધીમે મચ્છર નજીક આવે છે અને બોમ્બ નાખતાં પહેલાં શહેર પર એક ચકરાવો મારી લેતા બોમ્બર વિમાનની જેમ, તે કશું પણ કર્યા વિના કાનની નજીકથી પસાર થઈ જાય છે. તેનાથી માણસને ખીજ ચડે છે અને થાય છે કે આને તો હું મચ્છરની જેમ મસળી નાખું. (કારણ કે એ મચ્છર જ છે) પણ આવાં મચ્છરોની સામે હાથ ઉઠાવવો એ શાનકે ખિલાફ ન કહેવાય?

પ્રચંડ ધાર્મિક વૃત્તિ ધરાવતા લોકો એમ પણ માની શકે છે કે સામાન્ય રીતે ગુરુઓ ગુરુમંત્ર આવી રીતે કાનમાં આપતા હોય છે. તો શું મચ્છર માનવજાતને કોઈ ગુરુમંત્ર તો આપવા માગતું નથી ને? ક્યાંક એવું ન થાય કે તે કોઈ ઉપયોગી જીવનદર્શન મંત્ર તરીકે આપવા માગતું હોય અને માણસને તેની ભાષા ન સમજાતી હોય. પરંતુ થોડી વારમાં સ્પષ્ટ થઈ જાય છે કે મચ્છરને શરૂઆતમાં અવગણવામાં ભૂલ થઈ હતી. તેનું એ જ વખતે ઠંડા કલેજે એન્કાઉન્ટર કરી નાખ્યું હોત તો કદાચ...

આ એવો વળાંક છે કે જ્યાંથી કેટલાક પોલીસકર્મીઓએ સાહેબોને ખુશ કરવા માટે કરેલાં એન્કાઉન્ટરને વાજબી ઠરાવવાની દિશામાં હોંશભેર આગળ વધી શકાય છે.

Wednesday, February 23, 2022

કમરપટો કસતાં...

નેતાઓ પ્રજાને ઉશ્કેરવાના ધંધામાં પડ્યા, તે પહેલાં તેમનો પ્રિય ટાઇમપાસ પ્રજાને ઉપદેશ આપવાનો હતો. છાશવારે તે લોકોને કહેતા કે ‘આપણે પ્રગતિ કરવા માટે કમર કસવી પડશે.‘ કમર કસવા માટે કમર પર બંધાતો કમરપટો-બેલ્ટ કસવો પડે. પણ તે સમયે ઘણાખરા નેતાઓ ધોતી પહેરતા અથવા પેન્ટ પર બેલ્ટ પહેરતા નહીં. એટલે કમર કસવાની વાત તેમને લાગુ પડતી નહીં. બીજી તરફ, મોટી સંખ્યામાં લોકોના પેટની હાલત એવી રહેતી કે ગમે તેટલો સાંકડો કમરપટો પણ પહોળો પડે. તેના છેલ્લા કાણામાં અણી ભરાવ્યા પછી પણ પટો કમર ફરતે વીંટળાવાને બદલે ઢીલો ને ઢીલો જ રહે. એટલે સરવાળે પ્રજા કમર કસવાની નિષ્ફળ કોશિશ કરતી અને નેતાઓ સફળતાપૂર્વક પ્રગતિ કરતા હતા.

સ્વાભાવિક છે કે જે પ્રજા સરખી રીતે કમરપટો કસી શકે નહીં, તે આગળ આવી શકે નહીં. એમાં ને એમાં ભારત પાછળ રહી ગયું. આવી થિયરી હાસ્યાસ્પદ લાગતી હોય તો તેનો મતલબ એ થયો કે ‘છેલ્લાં સિત્તેર વર્ષમાં ભારતમાં કશું થયું નથી’—એવો ગંભીરતાપૂર્વક થતો ને સતત દોહરાવાતો દાવો તમે સાંભળ્યો નથી. પણ વાત હાસ્યાસ્પદ દાવાની નહીં, કમરપટા ઉર્ફે બેલ્ટની છે.

કમરપટાની ચર્ચામાં સૌથી પહેલો સવાલ એ થવો જોઈએ કે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રતિક જેવો બેલ્ટ પહેરવાની જરૂર શી છે? પરંપરાપ્રેમીઓ કહેશે કે ‘જૂના વખતમાં આવતા ચાંદીના કંદોરા કે કટિબંધ એક પ્રકારના બેલ્ટ જ હતા.’ પરંતુ બેલ્ટને ભારતીય સંસ્કૃતિનું અંગ જાહેર કરવા માટે એટલું પૂરતું નથી. ક્યાંય એવું વાંચવામાં નથી આવ્યું કે મહાભારતના યુદ્ધમાં લડતી વખતે કર્ણનો બેલ્ટ ઢીલો પડી ગયો, એટલે કર્ણ મુંઝાયો. પણ તીર છોડવા કરતાં બેલ્ટ ટાઇટ કરવાની જરૂરિયાત વધારે તાતી હતી. એટલે ધનુષ્ય બાજુ પર મૂકીને જેવો તે બેલ્ટ સરખો કરવા ગયો કે એક તીર આવ્યું અને...

રામાયણમાં પણ ક્યાંય એવું જોવા નથી મળ્યું કે કુંભકર્ણ માટે ખાસ પ્રકારનો, ટ્રીપલ એકસ્ટ્રા સાઇઝનો બેલ્ટ ખાસ જાવાથી કે સુમાત્રાથી મંગાવવામાં આવતો હતો અને તેનો એક બેલ્ટ એટલો મોંઘો પડતો કે તેમાં રાવણની લંકાના એક આખા પરિવારનું એક વર્ષ સુધી ગુજરાત ચાલી રહે.

બેલ્ટને અસલીને બદલે નકલી, નક્કરને બદલે નબળી પરંપરામાં સ્થાપિત કરવા હોય તો, રામાયણ-મહાભારતને બદલે વર્તમાનકાળની વાત કરીએ. વેશભૂષાના મામલે અભિનેતાઓના વરણાગીપણાને ક્યાંય ઝાંખું પાડી દે એવા વર્તમાન વડાપ્રધાને અત્યાર સુધી હજારો કપડાંમાં લાખો ફોટા પડાવ્યા હશે, સૂટથી માંડીને સાડી સુધીના પોશાક તેમણે પહેરેલા કે વીંટાળેલા જોવા મળશે, પણ ક્યાંય બેલ્ટ જોવા મળતો નથી અથવા કોઈકે જોયો પણ હોય તો તે ચર્ચાનો વિષય બન્યો નથી. તેમણે તેમનું નામ છપાવેલો સૂટ પહેર્યો ત્યારે તે એવો જ, તેમના નામની છપાઈવાળો ખાસ બેલ્ટ તૈયાર કરાવી શક્યા હોત. પણ તે એટલા વિવેકી અને સાદગીમાં માનનારા છે કે તેમણે એવું ન કર્યું. તેમના ટીકાકારોને એ નહીં દેખાય. કારણ કે તે કમરપટો કસીને તેમની પાછળ પડી ગયા છે.

બેલ્ટનો મહિમા સમજવાનું સહેલું, પણ સમજાવવાનું અઘરું છે. કારણ કે ‘જો દિખતા હૈ વહ બિકતા હૈ’ના જમાનામાં તે ઘણી વાર ધ્યાન ખેંચે એ રીતે દેખાતો નથી. ભવ્ય ઇમારત જોઈને તેનાં વખાણ કરનારા મકાનના પાયાનાં ગુણગાન ગાતા નથી. એવી જ નિયતિ ક્યારેક બેલ્ટની છે. તે અધોવસ્ત્રને સ્થાનભ્રષ્ટ નહીં થવા દેવાનું અતિ મહત્ત્વનું કામ કરે છે. છતાં, તે પહેલી નજરે દેખાય નહીં તો તેના વિશે પૂછરપછ થતી નથી. ‘અરે વાહ, તમારું પેન્ટ તો સરસ ટકી રહ્યું છે ને કંઈ? કઈ કંપનીનો બેલ્ટ પહેર્યો છે?’—એવું કોઈ પૂછતું નથી. હકીકતમાં, ગમે તેવાં મોંઘાદાટ કપડાં પહેરીને ફરનાર માણસને જો તેનો બેલ્ટ દગો દે, તો તેની આબરૂ જોખમમાં આવી પડે. પેન્ટ થોડું ખૂલતું હોય ત્યારે તો ખાસ. પરંતુ બેલ્ટ પોતે પહેરનારની આબરૂના રક્ષણના ઢોલ પીટ્યા વિના કે જાહેરમાં દેખાવાની પરવા કર્યા વિના ચૂપચાપ પોતાની ફરજ બજાવ્યે જાય છે. ઝાકઝમાળના જમાનામાં આવી મૂક સેવાની કે આવા મૂકસેવકની નોંધ કોણ લે?

ઉદારીકરણના જમાનામાં સીધાસાદા બેલ્ટથી માંડીને ચોક્કસ પ્રાણીઓ ચામડામાંથી તૈયાર કરાયેલા મોંઘાદાટ બેલ્ટ મળે છે. તેમાંથી કેટલાક બેલ્ટની કિંમત એટલી વધારે હોય છે કે તે ખરીદ્યા પછી શરીર પર ધારણ કરવા માટેનું બીજું કશું ખરીદવાનું બજેટ બાકી ન રહે. મોંઘું ઘડિયાળ પહેર્યા પછી માણસ વારે ઘડીએ સમય જોઈને લોકોનું ધ્યાન ઘડિયાળ તરફ ખેંચી શકે છે, પણ એ તરકીબ બેલ્ટમાં કામ લાગતી નથી. વારેઘડીએ બેલ્ટ ખોલીને બંધ કરવા જતાં, વધારે ખવાઈ ગયું છે અથવા શરીર વધી ગયું હોવાથી બેલ્ટથી અકળામણ થઈ રહી છે—એવાં, શાનમાં ઘટાડો કરનારાં અર્થઘટનો નીકળી શકે છે.

બેલ્ટ ગમે તેટલો મોંઘો હોય, પણ તે માથે પહેરી શકાતો નથી. જેનું સ્થાન જ્યાં હોય ત્યાં જ તે શોભે, એવો સંદેશો બેલ્ટમાંથી લઈ શકાય અને તે નેતાઓ માટે લાગુ પાડી શકાય. પરંતુ ગમે તેટલો સારો બેલ્ટ માથે ન પહેરાય એટલું સમજતા લોકો, કોઈ પણ નેતાને માથે ન ચડાવાય એટલું સમજી શકતા નથી. તે બેલ્ટની કે માથાની કે નેતાની નહીં, લોકશાહીની કઠણાઈ છે.  

Wednesday, February 02, 2022

ઠંડી ક્યાં લાગે છે?

ગેરસમજ થાય તે પહેલાં સ્પષ્ટતાઃ મથાળાનો સવાલ ‘ઠંડી ક્યાં છે જ? ઠંડી ક્યાં લાગે જ છે?’—એવા અર્થમાં વાંચવાનો નથી. સવાલનો અર્થ છેઃ ઠંડી છે તો ખરી, પણ એ શરીરમાં ચોક્કસપણે ક્યાં લાગે છે?

બને કે સ્પષ્ટતા કરવા માટે પૂછાયેલો બીજો સવાલ વધારે ગુંચવનારો લાગે. ઘણા લોકોને થાય કે આ તે કંઈ સવાલ છે? ઠંડી તરસ થોડી છે કે ગળામાં જ લાગે? ઠંડી ભૂખ થોડી છે કે પેટમાં જ લાગે? એ તો શરીરના અંગેઅંગમાં, આખા શરીરમાં વર્તાય છે. તમારા મનમાં પણ આ પ્રકારનો જવાબ ઉગ્યો હોય તો મનની સપાટી પર તરવાને બદલે સહેજ ઊંડે ડૂબકી મારી જોજો. એમ કરતાં ખ્યાલ આવશે કે ઠંડી લોકોને જુદી જુદી જગ્યાએ લાગી શકે છે. ઓછીવત્તી અસર બધે હોય, પણ ઠંડીનો મુખ્ય મારો ચોક્કસ ઠેકાણે થાય છે. જેમ કે, કેટલાક લોકોને માથામાં ઠંડી લાગે છે. તે સ્વેટર પહેરે કે ન પહેરે, એવું બને કે બહાર ખુલ્લામાં તે ચડ્ડો પહેરીને ઊભા હોય, પણ તેમણે માથું ટોપીથી સુરક્ષિત કરી દીધું હશે. તેમને પૂછવામાં આવે કે ‘પગ ખુલ્લા ને માથે ટોપી?’ તો તે કહી શકે છે કે ‘જેના માટે જે ભાગ વધારે કિમતી હોય તેનું ધ્યાન રાખવું પડે.’ પૂછનાર માથાભારે હોય તો તે સામે કહી શકે, ‘ખરી વાત છે. જે ભાગ ખાલી હોય ત્યાં પવન ભરાવાની બીક વધારે લાગે.’

પરંપરાગત માતાઓ માને છે કે ઠંડીનો સૌથી ઘાતક હુમલો તેમના સંતાનના માથામાં અને છાતીમાં થાય છે. એટલે તે ‘ભૂલો ભલે બીજું બધું...’ની તર્જ પર, ‘બીજું જે કરવું હોય તે કરજે, પણ બહાર નીકળું ત્યારે માથું ને છાતી બરાબર ઢાંકજે.’—એવી સૂચના અચૂક આપે છે. કિશોર-યુવાન સંતાનોને આ શીખામણ જૂનવાણીપણાની નિશાની લાગે છે. તેમને થાય છે, ‘જમાનો ક્યાંનો ક્યાં નીકળી ગયો અને મમ્મી હજુ માથું-છાતી ઢાંકવાની સૂચનાઓમાંથી ઊંચી નથી આવતી. અમારા ગ્રુપમાં તો લોકો ખુલ્લા માથે, બે બટન ખુલ્લાં રાખીને બાઇક પર સોની સ્પીડે નીકળે છે. તેમને જોઈને શિયાળો ઠૂંઠવાઈ જતો હશે. પણ મમ્મીને એ કેમ સમજાવવું?’ જોશમાં સૂચના અવગણ્યા પછી ભૂલેચૂકે તાવ-શરદી થયાં તો તેના માટે ખુલ્લા માથે ફરવાનું કારણભૂત ન હતું, એ સમજાવવામાં તેમને ભરશિયાળે પરસેવો પડી જાય છે.  

નાક એ શરદીનું મુખ્ય સ્થાનક છે. ત્યાં ઠંડી અલગથી લાગે કે ન લાગે, પણ ગમે ત્યાં ઠંડી લાગે, તેની છેવટની અસર નાક પર દેખાય છે. નાક ઠરી જવાથી માંડીને સજ્જડ થઈ જવા સુધીનાં પરિણામ માટે શિયાળામાં નાકે તેના કોઈ વાંકગુના વિના તૈયાર રહેવું પડે છે. કોરોનાકાળમાં લોકોને નાક ઢાંકતા માસ્કની થોડીઘણી ટેવ પડી. બાકી તે મહદ્ અંશે ખુલ્લું રહેતું અંગ હતું. તેને ઢાંકવું પણ શી રીતે? માથા પર ટોપી હોઈ શકે, કાન પર પટ્ટી હોઈ શકે, ગળામાં મફલર હોઈ શકે, પણ નાકને અલગથી કેવી રીતે ઢંકાય?

ગળા પરથી યાદ આવ્યું. કેટલાક ગુજરાતીઓને ગળા પર શિયાળાની સૌથી વધારે અસર થાય છે. તેના ઇલાજ તરીકે તે ગળાની અંદર પ્રતિબંધિત પ્રવાહી રેડીને તેને ગરમી આપવાનો પ્રયાસ કરે છે. પરંતુ સરકાર તે પ્રયાસોને આરોગ્યલક્ષી તરીકે જોઈ-પ્રમાણી શકતી નથી. એટલે ગળાની અંદર લાગતી ઠંડીની જાહેર ચર્ચા ટાળવામાં આવે છે અને ચૂપચાપ તેના ઉપાય તરફ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે.

કેટલાંક પરિવારોમાં કાન બંધ રાખવાનું બહુ માહત્મ્ય હોય છે. કારણ કે શિયાળાના સૂસવતા પવનો તેમના કર્ણપટલ પર સીધો હુમલો કરે છે. કાન, ગળું અને નાક કેવી રીતે સંકળાયેલાં છે, તેનો વૈજ્ઞાનિક હવાલો આપીને તે કહે છે કે ‘કાનમાં પૂમડાં નાખી દીધાં, પછી જખ મારે છે શિયાળો.’ તેમનો જોસ્સો જોઈને લાગે કે તે ફક્ત પૂમડાંના જોરે ક્યાંક એવરેસ્ટ સર કરવા ન ઉપડી જાય. પૂમડાં તેમના કાનનો એવો અવિભાજ્ય હિસ્સો લાગે છે, જાણે કવચ-કુંડળ સાથે જન્મેલા કર્ણની જેમ તે પૂમડા સાથે આ પૃથ્વી પર આવ્યા હોય. પૂમડા પરની તેમની લગભગ ધાર્મિક કહી શકાય એવી શ્રદ્ધાનો રંગ તે બીજા પૂમડાં-નાસ્તિકોને લગાડવા કોશિશ કરે છે. પણ ચબરાક લોકો સામેથી પૂમડાંનો મહિમા શરૂ થતાં પહેલાં પોતાના કાનમાં કાલ્પનિક પૂમડાં નાખી દે છે.

છાતીમાં ઠંડી ભરાઈ જતી રોકવા માટે સ્વેટર-જેકેટ જેવા ચીલાચાલુ ઉપાય ઘણી વાર અપૂરતા નીવડે છે. ત્યારે જરૂરિયાત સંશોધનની માતા બને છે અને ટુ-વ્હીલર ચલાવતી વખતે પાછળ લટકાવવાની બેગ છાતીસરસી ચાંપવાથી માંડીને શર્ટની અંદર ગડી વાળેલાં છાપાં મુકવાના મૌલિક નુસખા લોકો અજમાવે છે. માનવીની ગતિ જેમ જીવનથી મરણ સુધીની, તેમ છાપાની અનિવાર્ય ગતિ પ્રેસથી પસ્તી સુધીની હોય છે. તેમાં વચ્ચે આવો સાર્થક મુકામ આવી જાય અને છાપું કોઈની ઠંડી દૂર કરી શકે તો ગરીબ વર્ગની સમસ્યાઓને વાચા નહીં આપવાનું તેનું પાપ ઠીક ઠીક અંશે હળવું બની શકે છે.

એ સિવાય હાથે, પગે અને ગમે ત્યાં ઠંડી લાગે ત્યાં સુધી વાંધો નથી. પરંતુ મોંઘા ભાવનું પેટ્રોલ ભરાવવાથી માંડીને સરકારની બીજી અયોગ્ય નીતિથી કોઈને ‘ટાઢ ચડે’ તો? તેનો જવાબ નાગરિકોએ જાતે શોધવાનો અને મેળવવાનો રહે છે.
 

Tuesday, January 25, 2022

છીંક આવે ત્યારે

ફિલસૂફો કહે છે કે માણસ સારો કે ખરાબ હોતો નથી, એ ફક્ત હોય છે. કંઈક એવું જ છીંક અને બગાસાં જેવી ક્રિયાઓ વિશે કહી શકાય. તે પણ સારી કે ખરાબ, ઇચ્છનીય કે અનિચ્છનીય નથી હોતી. તે ફક્ત હોય છે. તેમની સકારાત્મક કે નકારાત્મક અસરોનો આધાર તે ક્રિયાઓના સમય, સ્થળ, પદ્ધતિ, અવાજ જેવી ઘણી બાબતો પર આધારિત હોય છે. બગાસું અને છીંક બંને સામાન્યપણે નિર્દોષ ક્રિયાઓ ગણાય છે, પણ મોં અને નાકથી ફેલાતા કોરોના વાયરસે, બીજી ઘણી બાબતોની જેમ આ બંને ક્રિયાઓ સાથે સંકળાયેલી નિર્દોષતા છીનવી લીધી છે.

ગાંધીજીએ કહ્યું હતું કે ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. એવી જ રીતે, જનમાનસમાં છીંક શરદી થવાની નિશાની ગણાય છે. કોઈ આરોગ્યપ્રેમીની હાજરીમાં એકાદ સરખી છીંક આવી નથી કે તે શરૂ થઈ જશે, ‘તું એક કામ કર. રોજ સવારે વિક્સનો નાસ લે, સૂંઠની ગોળી ખા, ગરમ પાણીના કોગળા કર, હૂંફાળું પાણી પી, ચાના મસાલામાં આદુની સાથે તજ-લવિંગનો ભૂકો પણ થોડો નાખ, ગળા પર ગરમ પાણીની કોથળીથી શેક કર, બહાર નીકળવાનું થાય છાતીમાં ને માથામાં પવન ભરાય નહીં એવી રીતે બાંધી દેજે અને કાનમાં પૂમડાં નાખવાનું ભૂલતો નહીં.’ આ સલાહ એક્સપ્રેસનો છેલ્લો ડબ્બો છીંક ખાનારને સૌથી વાજબી લાગે છે. તેને થાય છે કે કાનમાં પૂમડાં નાખવાં બેશક ગુણકારી નીવડ્યાં હોત—ખાસ કરીને, છીંક ખાધા પછી તરત નાખી દીધાં હોત તો આટલી બધી સલાહો સાંભળવામાંથી મુક્તિ મળી ગઈ હોત.

એક જ રચનાને ઉસ્તાદ ગાયકો જેમ જુદા જુદા સૂરતાલમાં રજૂ કરી શકે છે, તેવું જ અદાયગી-વૈવિધ્ય છીંકના મામલે જોવા મળે છે. છીંક ખાવી એ સાંસ્કૃતિક ઘટના ગણાવી જોઈએ. કેમ કે, તેમાં પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના ભેદ સ્પષ્ટ થઈ જાય છે. પ્રાચીન ભારતીય પરંપરાનો વાવટો વટભેર લહેરાતો રાખનારા લોકો છીંક ખાતી વખતે એટલો મોટો અવાજ કરે છે કે આજુબાજુ કોઈ છોકરું રડતું હોય તો તે ડઘાઈને ચૂપ થઈ જાય અને શાંત રહેલાં છોકરાં ગભરાઈને રડવાનું શરૂ કરી દે. તેમની છીંકના અવાજથી પ્રસરતા ધ્વનિતરંગો એટલા શક્તિશાળી હોવાનો ભાસ થાય છે કે આજુબાજુની બારીઓના કાચની ચિંતા થાય. ‘આ...ચ્છુ’, ‘આ...ચ્છી’, ‘છુ...’, ‘છી...’ જેવા જુદા જુદા ઉદ્ગારો સાથે છેડાતી છીંકની બંદીશ કદરદાનોને મુગ્ધ અને બાકીનાને ક્ષુબ્ધ કરે છે. પાશ્ચાત્ય પરંપરામાંથી સૂક્ષ્મતાનો-સટલિટીનો મહિમા નવેનવો જાણી લાવનારા લોકો છીંકના પ્રચંડ અવાજ અને તેના કર્તા પ્રત્યે મોં મચકોડે છે. પરંતુ આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ આટઆટલાં બલિદાન શું એવી લોકશાહી માટે આપ્યાં હતાં, જ્યાં માણસ સુખેથી અને પૂરી આઝાદીથી છીંક પણ ન ખાઈ શકે? એવો વિચાર આઝાદીનો અમૃત મહોત્સવ ન હોય તો પણ આવવો લાજમી છે.  

જૂના સમયનાં યુદ્ધો વખતે યોદ્ધાઓના શંખનાદથી શત્રુસૈન્યોમાં કંપ ફેલાતો હોવાનાં વર્ણન વાંચ્યાં છે. શક્ય છે કે પ્રાચીન કથાકારોએ છીંકનાદનો મહિમા કરવો ન પડે, એટલે રૂપક તરીકે શંખનાદની વાત કરી હશે. બાકી, અમુક પ્રકારના છીંકનાદ શત્રુનાં ગાત્રો શિથિલ કરી દે તેમાં કોઈ બેમત નથી. માતેલો સાંઢ છીંકોટા નાખે એવી રીતે થતા કેટલાક છીંકનાદ એટલા વિસ્ફોટક હોય છે કે કોઈ સંવેદનશીલ આત્માને જાહેર શાંતિના ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાવવાનું મન થઈ આવે. એવા છીંકવીરો બહાર નીકળે ત્યારે તેમણે ખાસ પ્રકારનાં સાયલેન્સર ધારણ કરવાં જોઈએ અને એવું ન કરે તો ટ્રાફિક પોલીસ તેમની પાસેથી દંડ વસૂલ કરી શકે—એવી માગણી હજુ સુધી થઈ નથી. તે સૂચવે છે કે લોકો ગમે તે કહે, પણ સહિષ્ણુતાનો જમાનો સાવ આથમી ગયો નથી.

જમાનો બદલાતાં છીંક ખાતી વખતે સભ્યતા જાળવવાની બોલબાલા વધી. એટલે લોકોએ નાક પર રૂમાલ દાબીને છીંક ખાવાનું શરૂ કર્યું. તેના કારણે આપોઆપ નાક પર સાયલેન્સર લગાડ્યું હોય એવું પરિણામ મળવા લાગ્યું. એમ કરવા જતાં નાકની અભિવ્યક્તિ સ્વતંત્રતા રૂંધવાનો અપરાધભાવ થઈ શકે, પણ જાહેર શાંતિ માટે એટલું તો અનિવાર્ય અનિષ્ટ ગણાય. ફક્ત અવાજ ઓછો કરવાથી સંતોષ ન માનતાં, કેટલાક લોકો પશ્ચિમના અનુકરણમાં એક ડગલું આગળ વધ્યા અને જેટલી વાર છીંક ખાય તેટલી વાર ‘એક્સક્યૂઝ મી’ કે ‘સોરી’ જેવા શબ્દો બોલવા લાગ્યા. તે બોલે ત્યાં સુધી તો સમજ્યા, બીજાએ પણ એવું કરવું જોઈએ, એવી અપેક્ષા તે રાખવા લાગ્યા. તેના કારણે એક તરફ, શરીરનો જેની પર કાબૂ નથી એવો છીંકનો અવાજ આવી રહ્યો હોય ને તેની સાથે ‘એક્સક્યૂઝ મી’ ભળે. એટલે સામેવાળાને ઘણી વાર ‘હાક...ક્યૂઝ મી’ કે ‘ક્યૂઝ..હાક..છી’ જેવું કંઈક સંભળાતું હોય છે.

ધરતીકંપના આંચકાની તાકાત રિક્ટર સ્કેલમાં મપાય છે, એવી જ રીતે છીંકની તાકાત માપવા માટેનો કોઈ સ્કેલ હોવો જોઈએ. કારણ કે ઘણીખરી છીંકો સામાન્ય હોય છે, પણ ક્યારેક એવી છીંક આવે છે, જે આખું અસ્તિત્વ ધરમૂળમાંથી હચમચાવી નાખે છે. સ્થિર ઊભેલો કે બેઠેલો માણસ અમદાવાદના ઝૂલતા મીનારાની જેમ કંપનો અનુભવે છે. છતાં, સ્કેલના અભાવે છીંકની ગંભીરતા બીજા લોકો સુધી પહોંચતી નથી ને છીંક ખાનારને અસંસ્કૃત વર્તનની ગુનાઈત લાગણી બદલ શરમાવું પડે છે.

Wednesday, January 19, 2022

ડોર બેલ સભ્યતા

ભારતીય સંસ્કૃતિમાં ડોર બેલ ન હતા. ડેલીએ સાંકળો ખખડાવવાનો રિવાજ હતો અને જેમને ડેલીબંધ મકાનો ન હોય, ત્યાં મોટે ભાગે દરવાજા વિના કામ ચાલી જતું.  દરેક જૂની બાબતની પાછળ મહાન વૈજ્ઞાનિક રહસ્ય છૂપાયેલું હોય છે, એવું માનતા અને બીજાને મનાવવા સતત પ્રયત્નશીલ રહેતા લોકો કહી શકે છે,’ડેલીએ સાંકળ ખખડાવવાથી હાથના અને ખભાના સ્નાયુઓને કસરત મળતી હતી, બાવડાંના ગોટલા સુદૃઢ બનતા હતા-તેના માટે રૂપિયા ખર્ચીને જિમમાં જવાની જરૂર પડતી નહીં. સાંકળ ઝડપથી સંભળાય નહીં ને દરવાજો ખોલવામાં વાર લાગે તો દરવાજે ઉભેલા માણસમાં ધીરજનો ગુણ ખીલતો હતો. સાંકળ ડેલીના કમાડ પર પછાડવાથી હાથ ઉપરાંત કમાડ અને સાંકળની મજબૂતીની પણ ચકાસણી થઈ જતી. પણ આ બધું સમજે કોણ? લોકોને તો ઝટ ચાંપ દબાવી ને પટ બેલ વાગ્યો, એવું જ ફાવે. એમાં ને એમાં આપણી ભવ્ય, ગૌરવવંતી સંસ્કૃતિનું સત્યાનાશ નીકળી ગયું.’

સંસ્કૃતિચર્ચામાંથી બહાર નીકળીને જોતાં ડોર બેલનાં બીજાં પાસાં ભણી ધ્યાન જાય. જેમ કે, ડોર બેલનો અવાજ. પહેલાં ડોર બેલનો પણ એક જ પ્રકારનો રણકાર સાંભળવા મળતો હતો—સીધોસાદો, શુષ્ક બઝર જેવો. તે સાંભળીને એવું લાગે, જાણે કોઈ બેસૂરો માણસ ખરજભર્યા કંઠે ગાવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યો છે. પરંતુ કેટલાક નેતાઓની ન્યૂસન્સ વેલ્યુ એ જ તેમની વિશેષતા હોય છે, તેમ એ પ્રકારના ડોર બેલની કર્કશતાનો જ મહિમા હતો. તેમનો કર્કશ અવાજ અવગણી શકાય એવો ન હતો. એટલે ‘અમને તો બેલ સંભળાયો જ નહીં’—એવા બહાના માટે જગ્યા રહેતી ન હતી. તેમ છતાં કોઈ એવું કહે તેમણે ‘ખરા ઉંઘણશી તમે તો’—એવા હળવા ઠપકા માટે તૈયાર રહેવું પડતું હતું.

ધીમે ધીમે ડોર બેલના રણકારમાં વૈવિધ્ય આવવા લાગ્યું. કોઈનો અવાજ પંખીના ટહુકા જેવો, તો કોઈનો સંગીતની સુરાવલિ જેવો. પરંતુ ડોર બેલ સંગીતની સૌથી મોટી મર્યાદા એ હતી કે તેમાં વોલ્યુમ કન્ટ્રોલનું બટન ન હતું. એટલે એક વાર મોટા અવાજવાળો ડોર બેલ ઘરમાં ફીટ થઈ ગયો, પછી તેની સાથે પડ્યું પાનું નિભાવવું પડે. તે પ્રેક્ટિસ દાંપત્યજીવનમાં ખપ લાગી કે નહીં, તેનાં સમાજશાસ્ત્રીય સંશોધનો થયાં નથી. છતાં, કહી શકાય કે ડોર બેલનો અવાજ નિભાવી લેવામાંથી ખીલેલી ક્ષમતાના જોરે કંઈક દાંપત્યજીવનો નભી ગયાં હશે.
ડોર બેલનો અવાજ કેટલો મોટો આવે છે એના કરતાં, એ કેટલો મોટો લાગે છે, તે બાબત વધારે અગત્યની બની રહેતી હતી. દિવસના વ્યસ્ત સમયે, વાહનોની આવનજાવન વખતે સામાન્ય અવાજવાળો લાગતો ડોર બેલ બપોરના કે રાતના સન્નાટામાં એકાંતનો ગેરલાભ લઈને બરાડા પાડતો હોય એટલો મોટો સંભળાતો હતો. તેના અવાજથી પડોશના ઘરનાં લોકો પણ ઉઠી જશે, એવી શંકા જતી હતી.

ડોર બેલ રોજિંદા જીવનનો ભાગ બન્યો, એટલે તેની સાથે આચારસંહિતા અને સભ્યતા-એટિકેટ જોડાયાં. ડોર બેલ કેવી રીતે વગાડાય અને કેવી રીતે ન વગાડાય તેના વણલખ્યા નિયમ બન્યા. ડોર બેલની એટિકેટ બાબતે કેટલાક લોકોનું કડક વલણ જોતાં એવું લાગતું કે તેમનું ચાલ્યું હોત તો ડોર બેલના નિયમભંગનો ગુનો તેમણે ઇન્ડિયન પીનલ કોડમાં સામેલ કરાવ્યો હોત. સાથોસાથ, કેટલાક લોકો ડોર બેલ પર અને સરવાળે અંદર રહેતા લોકોના કાન પર જે અત્યાચાર કરતા હતા, તેને ધ્યાનમાં લેતાં ડોર બેલ વિશેની આઇપીસીની કલમો આવકારદાયક પણ લાગી હોત.

કેટલાક લોકો ડોર બેલ જોઈને ભૂરાંટા થતા હતા. ક્યાંક ગયા પછી તે બારણાનું સર્વેક્ષણ કરતા અને જેવી ઘંટ દોરેલી સ્વિચ તેમની નજરે પડે કે તરત તેમની આંખો ચમકી ઉઠતી. તેમાં એવો ભાવ ઝબકી જતો કે ‘હવે ખબર પાડી દઉં છું બારણાં બંધ કરીને અંદર ભરાઈ બેટ્ટમજીઓને’ તે ડોર બેલની સ્વિચ એવી રીતે દબાવતા, જાણે તેના સળંગ સૂરમાંથી આખું ગીત બનાવી કાઢવાનું હોય. એક વાર, બે વાર, ત્રણ વાર... દરવાજો ન ખુલે ત્યાં સુધી તે બેલ દબાવવાનું ચાલુ રાખતા. તેમના સારા નસીબે બારણું બંધ હોવાથી અંદર રહેલા અને બેલના ઉપરાછાપરી અવાજથી ઉશ્કેરાઈને બારણું ખોલવા આવતા લોકોના ચહેરાના હાવભાવ કે મનમાં ઉગતાં સ્વસ્તિવચનો તેમને દેખાતાં-સંભળાતાં નહીં. ઘરમાલિક બારણે પ્રગટ થાય ત્યારે બેલમારક સમજતા કે યજમાન દરવાજો ખોલવા આવ્યા છે. પરંતુ ઘણા કિસ્સામાં યજમાન મુઠ્ઠી વાળીને, દાંત ભીંસીને ‘કોણ મંડ્યો છે?’ તેની તપાસ કરવા આવતા હતા અને પરિચિત ચહેરો જોઈને મનમાં ઉઠેલા લાગણીના તરંગો પર અંકુશ મેળવી લેતા. તેના લીધે સામાજિક સંબંધોનું પોત અને કાયદોવ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેતાં.

કેટલાક લોકો બારણે બેલ રાખતા, પણ બારણની સાથે બેલ પણ બંધ રહેતો. તે દબાવ્યા પછી વાગ્યો કે નહીં, તેના વિશે વગાડનારને અવઢવ રહેતી. બીજી વખત બેલ મારવામાં ક્ષોભ થાય, પણ પહેલી વારનો બેલ વાગ્યો કે નહીં, તેની અવઢવ ચાલુ હોય. ત્યારે વારેઘડીએ બેલ દબાવી જોયા પછી, બારણે ટકોરા મારી જોયા પછી દરવાજો ન ખુલતાં પાછું જવું પડ્યું હોય એવા કિસ્સા પણ અશક્ય ન હતા. એવી સ્થિતિમાં ‘હું બેલ મારું છું’ એવો માણસનો કર્તાભાવ ઓગળી જતો અને ‘બેલ વગાડનાર હું કોણ? એ તો ઇશ્વરેચ્છા હશે તો જ વાગશે’ એવી આધ્યાત્મિક ભૂમિકા તે પ્રાપ્ત કરતો હતો.

Tuesday, January 04, 2022

બગડાનું વર્ષ

આમ તો એનું કશું મહત્ત્વ નથી. છતાં વર્તમાન સમયમાં જે રીતે સાવ ફાલતુ, ક્ષુલ્લક અને જૂઠી વાતોને પણ આદરણીય વડાપ્રધાનના કુશળ નેતૃત્વ હેઠળ થયેલી જાહેર કરવામાં આવે છે, એ પરંપરામાં કહી શકાયઃ 2022ના નવા વર્ષના આંકડામાં એક જ આંકડો ત્રણ વાર આવે છે. 

જોયું? આને કહેવાય ચમત્કાર. નહેરુ જેવા નહેરુ ને ગાંધીજી જેવા ગાંધીજી પણ આવો ચમત્કાર કરી શક્યા ન હતા, જે માનનીય વર્તમાન (કે વર્તમાન માનનીય?) વડાપ્રધાનશ્રીના પ્રતાપી નેતૃત્વને કારણે શક્ય બન્યું છે. થોડા વખત પહેલાં ચાર ગ્રહો એક લાઇનમાં દેખાતા હતા, ત્યારે કોઈ ચેનલે એવું કેમ નહીં કહ્યું હોય કે ‘જોયું? સાહેબે ગ્રહો જેવા ગ્રહોને કેવા લાઇનમાં ઊભા રાખી દીધા?’ શક્ય છે કે ત્યારે ચેનલોનું ધ્યાન કાશીમાં થયેલા ઉત્સવમાં પરોવાયેલું હોય. કાશી પરથી યાદ આવ્યુઃ પહેલાં કાશીનું મરણ અને સુરતનું જમણ વખણાતું હતું. પરંતુ સાહેબશ્રીએ જે રીતે ચચ્ચાર વાર કપડાં બદલીને આખા સમારંભને નવી ઊંચાઈ પ્રદાન કરી, ત્યાર પછી ‘સુરતનું જમણ અને કાશીનાં પહેરણ’ એવી કહેણી પ્રચલિત બની શકે છે.

એક જ વર્ષમાં એક આંકડો ત્રણ વાર આવતો હોય, એવું અગાઉ 1999માં, ત્યાર પહેલાં 1888માં, તેની પહેલાં 1777માં એવી રીતે થયું હતું ને હવે 2111માં થશે. તેનાથી જ્યોતિષના નામે, અંકશાસ્ત્રના નામે અને બીજાં અનેક નામે અષ્ટમપષ્ટમ ચલાવનારા સિવાય બીજા કોઈને કશો ફરક પડે તેવો સંભવ નથી. કારણ કે વગર ત્રણ બગડે ગયું વર્ષ અગાઉનાં બે વર્ષ બગડેલાં જ છે. હવે 2022 પડીકામાં શું લઈને આવ્યું છે, તેની ચિંતામિશ્રિત ઉત્સુકતા છે. 2021ના છેલ્લા દિવસ ગણાઈ રહ્યા હતા અને 2022 પહોંચવામાં હતું, ત્યારે કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપે તેના સ્વાગતની તૈયારીઓ શરૂ કરી દીધી. 2021માં છેલ્લે છેલ્લે ફરી એક વાર કોરોનાના કેસ નોંધાવા અને વધવા લાગ્યા. વધારો એટલો મોટો ન હતો કે સરકારને તે અસરકારક રીતે ‘મેનેજ કરવાના’,એટલે કે છુપાવવાના, કામે લાગી જવું પડે. સરકારની ઉદારતાને કારણે પ્રસાર માધ્યમો દ્વારા લોકોને જાણવા પણ મળ્યું કે ઓમિક્રોનના કેસ ખરેખર વધી રહ્યા છે.  

કેસ વધ્યા એટલે સરકારે ફરી વાર શહેરોમાં રાત્રે કરફ્યૂની જાહેરાત કરી છે. પુરાણકથાઓમાં આવતું હતું કે રાક્ષસી તાકાતોનું જોર રાત્રે બહુ વધી જાય. ભીમપુત્ર ઘટોત્કચની કથામાં પણ એવું કહેવાતું હતું કે ઘટોત્કચ રાત્રે સૈન્ય લઈને આવતો અને હાહાકાર મચાવતો હતો. પરંપરા સાથે અનુસંધાન રાખવા આતુર વહીવટી તંત્રે આવા કોઈ કારણસર રાત્રે કરફ્યૂ રાખ્યો હશે? ખબર નથી. કેમ કે, દિવસના સમયે રાજકીય કાર્યક્રમો બેરોકટોક અને બેફામપણે ચાલે છે. રાજનેતાઓને એવો આત્મવિશ્વાસ હોઈ શકે છે કે ‘અમારી ઘાતક શક્તિ સામે વાઇરસિયાનો શો ક્લાસ? અમે તો લોકોને વગર સ્પર્શે તેમના રૂંવે રૂંવે એવો ચેપ ફેલાવી દઈએ કે તે અંદરોઅંદર અવિશ્વાસ કરે ને લડી મરે.’ તેમની આવી આત્મનિર્ભરતા અસ્થાને નથી. એટલે જ, રાજનેતાઓની ઘાતક શક્તિને સામાન્ય લોકોએ પોતાના હિસાબે અને જોખમે જ અવગણવી. 

નેતાઓ એક તરફ સાવચેતીનાં પગલાંની વાતો કરે અને બીજી તરફ તોતિંગ રેલીઓ-સભાઓ કરે, ત્યારે ઘણાને ગુસ્સો આવે છે. તેમને થાય છે કે ‘અમારે પ્રસંગોમાં ઓછાં માણસ બોલાવવાનાં અને તમે મન ફાવે એટલી ભીડ ભેગી કરો, એમ?’ આવો બળાપો કાઢનારા લોકો નેતાઓનો લોકશાહીપ્રેમ સમજી શકતા નથી. તેમને લાગે છે કે નેતાઓ પોતાની સત્તાનો મન ફાવે તેમ ઉપયોગ કરે છે. હકીકતમાં નેતાઓ લોકો સાથે એટલું મજબૂત જોડાણ અનુભવે છે—ખાસ કરીને ચૂંટણીનું વાતાવરણ જમાવવાનું હોય ત્યારે—કે તે લોકોનો વિરહ બિલકુલ સહન કરી શકતા નથી. નેતાઓ લોકોને મળે નહીં, તો આ જ લોકો ફરિયાદ કરતા હોય છે કે ‘નેતાઓ એક વાર મત લઈ ગયા પછી પાંચ વર્ષે દેખાય છે.’ બીજી તરફ, નેતાઓ લોકમિલન યોજે ત્યારે તેની સામે પણ આંગળીચીંધણું કરવામાં આવે છે. તો નેતાઓ બિચારા કરે શું? તે કંઈ લોકોની માફક પોતાની મરજીના માલિક નથી. તેમને તો જે પ્રમાણે ચાવી ભરવામાં આવે, તેટલાં ડગલાં અને તે પણ ઉપરથી નક્કી કરાયેલી દિશામાં ચાલવું પડે. આ બાબતે બહુ તો તેમના પ્રત્યે અનુકંપા સેવી શકાય-તેમની દયા ખાઈ શકાય. પણ તેમની ટીકા? એ તો હળાહળ અમાનવીય પ્રતિક્રિયા ગણાય. 

નેતાઓ તેમના સાહેબોનાં ચાવીવાળાં રમકડાં છે, એવું સ્વીકારવામાં જેમને અપમાન કે માનહાનિ લાગતાં હોય તેમણે સમજવું જોઈએ કે દરેક જણ છેવટે તો તેના ‘સાહેબ’નું—એટલે કે કબીર જેમને ‘સાહેબ’ કહેતા હતા તે ઇશ્વરનું—ચાવીભરેલું રમકડું છે. નેતાઓ બંને ‘સાહેબ’ વચ્ચે ભેળસેળ કરી નાખે, તો તેને તેમની ગફલત નહીં, વફાદારી ગણીને રાજી થવું જોઈએ. લોકોએ વિચારવું જોઈએ કે ‘ચાલો, તે લોકોને ભલે નહીં, પણ કોઈકને વફાદાર તો છે. આજકાલ સાહેબને વફાદાર છે, તો કોઈક વાર લોકોને પણ વફાદાર થશે.’ પણ વફાદારીનો ગુણ જ ન હોય, એવા લોકો પાસેથી કશી આશા રાખી શકાતી નથી. 

ગુજરાતીમાં ટનના ભાવે ખડકાતું ચિંતન, સેમી-ચિંતન, નેનો-ચિંતન વગેરે પ્રકારનું સાહિત્ય સતત વેઠ્યા પછી આટલું જ્ઞાન પણ પ્રગટે નહીં, તો બીજા કોઈનો વાંક કાઢવાનો શો મતલબ? 

Saturday, December 25, 2021

એક લગ્ન અને મૈત્રીકથાનો નવો ખંડ

ઘણાખરા લોકોને પોતપોતાની મૈત્રીકથાઓ હશે. તેમાંથી મોટા ભાગનાને એવું લાગતું હશે કે ‘બીજાં બધાં ગ્રુપ સારાં છે, પણ અમારા ગ્રુપની વાત જ જુદી છે.’ આવું ગૌરવ નિર્દોષ અને બિનહાનિકારક હોય છે. એટલે તેના વિશે કશા વાદવિવાદ કે દલીલ-પ્રતિદલીલ વિના, સૌ પોતપોતાના ગૌરવ સાથે આનંદપૂર્વક જીવે છે. આવાં મિત્રમંડળોમાં અમારા મિત્રમંડળનો પણ સમાવેશ થાય. અમારું એટલે બીરેનનું અને કાળક્રમે મારું મહેમદાવાદનું મિત્રમંડળ.

તેનું નામ ઇન્ટેલિજન્ટ યુથ ક્લબ (IYC) અત્યારે જૂનવાણી અને રમૂજી લાગે. ત્રણ-ચાર દાયકા પહેલાં તે નામકરણ થયું ત્યારે પણ તેમાં કશો ગંભીર દાવો ન હતો. ઔપચારિકતા ખાતર એ નામ પડાયું હતું અને તેનો એક સિક્કો બન્યો-બેન્ક ખાતું ખૂલ્યું, એટલે તે સત્તાવાર બન્યું. સ્કૂલકાળમાં સાથે ભણતા બીરેન અને તેના મિત્રોનું એ જૂથ. સ્કૂલ-કોલેજમાં ભણી રહ્યા પછી, કામધંધે લાગ્યા પછી, પરણીને સામાજિક રીતે સ્થિર થયા પછી, કેટલાક મિત્રો પરદેશ ગયા પછી, મિત્રસંતાનો પરણવાલાયક થયાં અને ગયા અઠવાડિયે વિપુલ રાવલના પુત્ર—અમારા લાડકા ભત્રીજા નીલનું યેશા સાથે લગ્ન થયું ત્યાં સુધી, લગભગ ચાર દાયકાના સમયગાળામાં IYCના મિત્રો સતત એકબીજા સાથે સંકળાયેલા રહ્યા છે.

નીલ અને યેશા,19-12-21, વડોદરા
નીલનાં લગ્નના આગલા દિવસે વિધિ વખતે વિપુલ-બિંદુ
આટલા લાંબા ગાળામાં એવા ઘણા વળાંક આવે, જ્યાં કશી કડવાશ વિના કે કશા પ્રયાસ વિના સાથ છૂટી જવાની સંભાવના રહે. ભૌગોલિક રીતે તો બધા જ અલગ પડી ગયાં હતાઃ બીરેન-કામિની વડોદરા, વિપુલ-બિંદુ રાવલ વિદ્યાનગર, અજય-રશ્મિકા પરીખ મણિનગર, મનીષ (મંટુ)-યત્ના શાહ વડોદરા, પ્રદીપ-જયશ્રી પંડ્યા અમેરિકા, તુષાર-અપર્ણા પટેલ અમેરિકા, મયુર-હેતલ પટેલ ઓસ્ટ્રેલિયા, વિજય-શેફાલી પટેલ કેનેડા. એક મિત્ર મુકેશ પટેલ દિવંગત થયા. તેમનાં પત્ની ગીતા વડોદરા. આ ઉપરાંત, નિકટના સંપર્કમાં નહીં રહેલા છતાં ગ્રુપના એક સમયના સભ્યની રૂએ પિયુષ-ભાવશ્રી શાહ અમદાવાદ. છતાં, એવા કેટલાક પ્રસંગ સભાનપણે ટાળવાને કારણે, અમુક રૂઢિઓ કંઈ નહીં તો રૂઢિ લેખે પણ ચાલુ રાખવાને કારણે, IYC ચારેક દાયકા પછી પણ અસ્તિત્વ ધરાવે છે.

આ મિત્રમંડળમાં બે-અઢી દાયકાથી હું જોડાયેલો છું—એ બધાથી છ-સાત વર્ષ નાનો હોવા છતાં. વિપુલ મહેમદાવાદ રહેતા હતા ત્યારે તેમનું 17, નારાયણ સોસાયટીનું ઘર IYCનું બિનસત્તાવાર હેડક્વાર્ટર હતું. રોજ રાત્રે ત્યાં જવાનો નિત્યક્રમ. શિયાળામાં શાલ ઓઢીને, ચોમાસામાં છત્રી લઈને પણ જવાનું ખરું. હું ત્યાં જતો થયો અને ધીમે ધીમે તેમની સાથે-તેમનામાં ભળ્યો. વિપુલની બહેન મનીષા (ટીની) મારાથી ત્રણેક વર્ષે નાની. તે પણ ઘરમાં બધા મિત્રોની અવરજવરને કારણે તેમની સાથે ભળતી. સમય જતાં મહેમદાવાદમાં હું એક જ રહ્યો. અજય પરીખ (ચોક્સી)ની દુકાન મહેમદાવાદમાં. એટલે તે મણિનગરથી અપ-ડાઉન કરે અને દિવસે મહેમદાવાદમાં હોય. તહેવારોમાં બીરેન પરિવાર, વિપુલ પરિવાર, ચોક્સી પરિવાર, મંટુ પરિવાર આ બધા મહેમદાવાદ આવે. સાથે વિપુલના મિત્રમાંથી અમારા એકદમ નિકટના મિત્ર બનેલા પૈલેશ શાહ (પહેલાં ખેડા, પછી નડિયાદ)નો પરિવાર પણ હોય. અમે 17, નારાયણ સોસાયટીના બંગલે મળીએ. સાથે બેસીએ. ત્યારે જ દિવાળી પૂરી થઈ હોય એવું લાગે. વચ્ચે વચ્ચે ક્યારેક કિર્તી-પારુલ પટેલ (અમેરિકા) જેવાં મિત્રો પણ આવી જાય અને તેમના નિમિત્તે શક્ય એટલી મિત્રમંડળીનું મિલન થાય.
દિવાળીના દિવસોમાં 17, નારાયણ સોસાયટીની અંદરનો માહોલઃ શચિએ પાડેલું સેલ્ફી. ફોટોમાં (ડાબેથી) બીરેન, વિપુલ, બિંદુ, ઉર્વીશ, આસ્થા, સોનલ, કામિની, જય, અર્પ, અજય, રશ્મિકા
...અને બહારનો માહોલઃ (ડાબેથી) રશ્મિકા, ફાલ્ગુની, બિંદુ, સોનલ, શચિ, નીલ, કવન, અર્પ

IYCના મિત્રોમાં પ્રકૃતિગત સામ્ય ખાસ નહીં. જૂના વખતમાં તેમણે કરેલાં એવાં મોટાં-યાદગાર પરાક્રમ કે તોફાનો પણ નહીં. (મુકેશ પટેલ અને અમુક અંશે તુષાર પટેલને બાદ કરતાં) એકંદરે નિરૂપદ્રવી, સીધી લીટીમાં કહેવાય એવી તેમની ગતિ. અમુકની મસ્તી ને અવળચંડાઈ હોય, પણ એથી વિશેષ નહીં. સાથે બેસીને નિરાંતે કોઈ મુદ્દા વિશે કે એકબીજાના કામકાજ વિશે કે જીવનસંઘર્ષ-જીવનપ્રસંગો વિશે ઠરીને વાત કરવાનો રિવાજ પણ નહીં. બધાં ભેગાં થાય એટલે જૂની શૈલીની ખેંચતાણ ચાલે. રમુજોમાંથી પણ ઘણી તો વીસ-પચીસ વર્ષથી ચાલતી હોય. નવી પેઢીને તેમાં ભાગ્યે જ રસ પડે. લોક ડાઉન દરમિયાન બીરેને IYCનાં જૂનાં સંભારણાં ઓડિયો સ્વરૂપે ગ્રુપમાં મુક્યાં ત્યારે મિત્રો કરતાં પણ ઘણો વધારે રસ તેમાં મિત્રોનાં સંતાનોને પડ્યો હતો. બાકી, IYC-મિત્રોનાં સંભારણાંની જૂની મૂડીમાં નવો ઉમેરો ઘણો ઓછો. પણ સારી કંપનીના જૂના શેર થોડા હોય તો પણ લાંબા ગાળે સ્થિર સમૃદ્ધિ ઊભી કરે, એવું IYCના કિસ્સામાં થયું.

બધા મિત્રોના પરિવારોમાં IYC મિત્રમંડળીનો મહિમા સ્વીકારાયેલો. ભૂતકાળમાં પ્રસંગોના આયોજનના કોન્ટ્રાક્ટ અપાતા ન હતા અને હાથ પણ છૂટો ન હોય, ત્યારે બધા મિત્રોએ એકબીજાને ત્યાં દિલથી-મહેનતપૂર્વક, સરસ રીતે આયોજનો પાર પાડ્યાં હોય. એ સિવાય પણ જરૂર પડે ત્યારે આ મિત્રોની હૂંફની હૈયાધારણ મનમાં હોય. તેમાંથી પૈલેશ શાહ જેવા લાગણીગત ઉપરાંત પ્રકૃતિગત રીતે પણ ખાંખતવાળા હોય. એટલે તેમનો લાભ બધાને વધારે પ્રમાણમાં અને સામાન્ય સંજોગોમાં પણ મળે. વર્ષો બલ્કે દાયકાઓ સુધી અજય પરીખ (ચોક્સી)નો એવો લાભ બધાને મળ્યો હોય.  

હવે બધા મિત્રો પંચાવન વટાવી ચૂક્યા છે અને ત્રણેક વર્ષમાં સાઠ પાર કરી જશે. ઘણાંખરાં સંતાનો લગ્નવયમાં પ્રવેશી ચૂક્યાં છે અને કેટલાંકનાં લગ્ન થઈ ગયાં છે. તે પ્રસંગોમાં પણ IYCનું સ્થાન અને દરજ્જો પરિવાર જેવાં રહ્યાં છે. લગ્નપ્રસંગોમાં કડાકૂટભર્યાં આયોજનો કરવાનો સમય જમાનાની રીતે અને ઉંમરની રીતે પણ વીતી ચૂક્યો છે. ત્યારે લગ્નોમાં અને બીજા પ્રસંગોમાં IYCના સભ્યોને પછીની પેઢીની સેવાનો લાભ મળવા માંડ્યો છે અને તે બહુ મીઠો લાગે છે.

IYCની દંતકથામિશ્રિત સત્યકથા વિશે વર્ષોથી દાખલા દેવાતા રહ્યા છે અને આદરમાન વ્યક્ત થતાં રહ્યાં છે, પણ આ પોસ્ટનો આશય નવી પેઢી વચ્ચેના મજબૂત જોડાણ વિશે આનંદ અને પોરસ વ્યક્ત કરવાનો છે. તેમને જુનિયર-IYC નહીં કહું. કારણ કે એ તેમની સાવ પ્રાથમિક ઓળખાણ ગણાય. તે બધાંને સાંકળતો મૂળભૂત દોર તેમના પપ્પાઓની દોસ્તીનો અને પછી પારિવારિક સંબંધોનો છે. પણ નવી પેઢી માટે એટલું કદી પૂરતું નથી હોતું. તેમણે પરસ્પર દોસ્તીનાં નવાં સમીકરણ તેમની રીતે નીપજાવ્યાં છે. તે એવાં ઉમળકાસભર, સમજદારીપૂર્વકનાં અને હળવાશભર્યાં છે કે આંખ ઠરે-મનમાં ટાઢક પહોંચે. નીલના લગ્ન નિમિત્તે સાથે રહેવાથી આ અહેસાસ વધારે દૃઢ થયો.

બીરેનની દીકરી શચિ લગ્નમાં આવી શકે તેમ ન હતી. પણ એ અને નીલ પહેલેથી બધાં સાથે સરસ રીતે સંકળાયેલાં રહ્યાં છે. લગ્ન પછી અને નીલના કિસ્સામાં અમેરિકા ગયા પછી પણ તેમણે વડીલો સાથે અને તેમનાથી નાનાં લોકો સાથે નાતો જાળવી રાખ્યો છે. પરંતુ નીલના લગ્નપ્રસંગે બીરેન-કામિનીનો પુત્ર ઇશાન, પૈલેશ-ફાલ્ગુનીના પુત્ર કવન- આકાશ, મંટુ-યત્નાની (પરણીને હૈદરાબાદ સ્થાયી થયેલી) મોટી પુત્રી ઊર્મિ, અજય-રશ્મિકાના પુત્રો (કેનેડાસ્થિત) અર્પ અને જય તથા અમારી (મારી-સોનલની) પુત્રી આસ્થા—આ બધાંએ તેમની વચ્ચેની નવેસરની આત્મીયતાનો પરિચય આપ્યો. ઉંમરનો તફાવત ભૂલાવીને તે જે રીતે સાથે રહ્યાં-આનંદ કર્યો, તેનાથી દોસ્તીનું નવું પ્રકરણ નહીં, તેમની દોસ્તીનો નવો ખંડ શરૂ થયો હોય એવું લાગ્યું. બધાં અઢાર વટાવી ચૂક્યાં હોવાથી અને તેમની વચ્ચે ઉંમરના તફાવત ભૂંસાઈ ગયા હોવાથી. જૂનાં વખતમાં એકમેક સાથે બહુ ફાવતું હોય એવાં પિતરાઈઓ ભેગા થઈને જેવી મઝા કરે, એવી ને એટલી મઝા તેમણે કરી. પુખ્ત વયનાં ને પોતપોતાનાં મિત્રવર્તુળો ધરાવતાં સંતાનો વચ્ચે આવી આત્મીયતા સહજ રીતે નીપજી આવી, તે નીલના લગ્નની (યેશા પછીની) સૌથી મોટી ઉપલબ્ધિ લાગે છે. એ પ્રસંગની અમારા માટે બીજી ઉપલબ્ધિ એટલે મનિષા (ટીની)ના પતિ વિજલભાઈ (ડો. વિજલ કાકા, વડોદરા) સાથેની નવેસરની દોસ્તી અને નિકટતા.
(L to R) કવન, જય, અર્પ, ઊર્મિ, નીલ, ઇશાન, આસ્થા, આકાશ, 19-12-21, વડોદરા
ઉપરની ગેંગના કેટલાક સભ્યો, 2006માં, અમારા જૂના ઘરેઃ (ડાબેથી) અર્પ, જય, નીલ, આસ્થા, કલ્પ (મયુર પટેલ), દીતિ (નીલેશ પટેલ), ઇશાન, આસ્થા
નીલના લગ્ન વખતે IYC 1.0ના ફોટા લેતા IYC 2.0 : (ડાબેથી) ડોલી (મુકેશ પટેલ), હર્ષ (પૈલેશનો ભત્રીજો), હર્ષનાં મમ્મી, ઊર્મિ, કવન, અર્પ, જય, ઇશાન, આસ્થા
નીલના લગ્નમાં જે છોકરાંઓની મંડળી જોઈને અમને મઝા આવી, એ લોકો જુનિયર-IYC નથી, ખરેખર તો તે IYCનું અપડેટેડ વર્ઝન IYC 2.0 છે. તે IYC મિત્રમંડળની સૌથી મોટી મૂડી છે અને બની રહેશે એવું લાગે છે. IYC 2.0નાં મિત્રો દેશદુનિયામાં ગમે ત્યાં રહે, પણ તેમની વચ્ચેનો સંપર્ક અને લાગણીનો સંબંધ સદા જળવાયેલી રહે-તેમની દોસ્તીનાં વર્ઝન સતત અપડેટ થતાં રહે એવી શુભેચ્છા.

અને રહી વાત સ્કૂલકાળથી દોસ્તી નિભાવીને છેક નિવૃત્તિના આરે આવેલા મૂળ IYCની. તે IYC 1.0માંથી અપગ્રેડ થઈને IYC 1.1 વર્ઝન સુધી પહોંચે એ હવે પછીનું લક્ષ્ય રાખવા જેવું છે. લખનાર તરીકે તે શુભેચ્છા છે અને IYC 1.0ના ભાગ તરીકે તે લાગણી પણ છે.

નીલના લગ્નમાં (ડાબેથી): અજય-રશ્મિકા, પિયુષ-ભાવશ્રી, બીરેન-કામિની, મનીષ (મંટુ)-યત્ના, વિપુલ, પૈલેશ-ફાલ્ગુની, ઉર્વીશ-સોનલ, ગીતા મુકેશ પટેલ, કિર્તી-પારૂલ
નીલ-યેશાની લગ્નવિધિ પૂરી થયા પછી(ડાબેથી):પારુલ પટેલ, યત્ના શાહ, ગીતા પટેલ, ભાવશ્રી શાહ, ફાલ્ગુની શાહ, કામિની કોઠારી, બિંદુ રાવલ, યેશા-નીલ, વિપુલ રાવલ, મનીષ શાહ, અજય પરીખ, પૈલેશ શાહ, ઉર્વીશ કોઠારી, બીરેન કોઠારી, પિયુષ શાહ, કિર્તી પટેલ (બેઠેલાં, ડાબેથી) રશ્મિકા પરીખ, સોનલ કોઠારી, ઊર્મિ શાહ, આસ્થા કોઠારી, કવન શાહ, જય પરીખ, ઇશાન કોઠારી, અર્પ પરીખ

Wednesday, December 22, 2021

વરઘોડો એટલે...

કોઈ પણ દુન્યવી ચીજની જેમ વરઘોડાને મુખ્યત્વે બે રીતથી જોઈ શકાયઃ બહારથી અને અંદરથી—અને આ બંને દર્શન સાવ સામા છેડાનાં હોઈ શકે છે.

બહારથી જોનાર માટે વરઘોડો, સારામાં સારું વિશેષણ વાપરીને કહીએ તો ‘જોણું’ હોય છે અને આકરામાં આકરો શબ્દ વાપરીએ તો, ‘ન્યૂસન્સ’. નાનાં ગામ-નગરોમાં વર્ષો સુધી વરઘોડા જોવાની ચીજ ગણાતા હતા. મુખ્ય રસ્તા પર નીકળનારો વરઘોડો જોવા માટે દૂરની પોળોમાં કે સોસાયટીમાં રહેતા લોકો પણ આવી પહોંચતા હતા. વરઘોડાના રસ્તે ઓટલો કે પહેલા માળની અગાસી ધરાવતા લોકોને તેમના મકાનના ભૌગોલિક સ્થાનની રૂએ, ઇચ્છાએ કે અનિચ્છાએ, યજમાનપદ પ્રાપ્ત થતું હતું. દૂરથી ખાસ વરઘોડો જોવા આવેલા લોકોને ચા-શરબતનો વહેવાર ભલે ન કરવો પડે, પણ વરઘોડો જતાં પહેલાં અને તે પસાર થઈ ગયા પછી, થોડાંઘણાં ઓળખીતાં લોકો સાથે હસીને વાત તો કરવી પડે. ઘણી વાર તો એ વાતનો વિષય વર કે તેના પિતાશ્રી કે પરિવારના ‘વિશ્લેષણ’નો હોય, જેને કેટલાક ‘ખોદણી’ કે ‘કુથલી’ જેવાં તુચ્છકારજનક નામે ઓળખાવતા હોય છે.

વર્તમાન સમયમાં ચહીને વરઘોડા જોવા જવાની સંસ્કૃતિ, બીજી ઘણી સાંસ્કૃતિક બાબતોની જેમ, નામશેષ થઈ છે. એટલે લોકોને મુખ્યત્વે સડક પર રહીને વરઘોડા જોવાના થાય છે. માણસ રસ્તા પર વાહન લઈને કે વાહનમાં બેસીને જતો હોય અને આગળ વરઘોડો આવી જાય અથવા સામેથી વરઘોડો પ્રગટ થાય તો? પહેલી વાત તો એ કે, માણસની માનસિકતા ત્યારે વર કે ઘોડો કશું જોવાની હોતી નથી. એટલે વર, ઘોડો અને વરઘોડો એ ત્રણે પર તે મનોમન ખીજાઈ શકે છે. વરઘોડામાં વરનું સ્થાન ભારતના રાષ્ટ્રપતિ જેવું હોય છે. તે વરઘોડાનો ‘પ્રથમ નાગરિક’ ખરો. તેનાં માનપાન સૌથી વધારે. બધું તેના નામે થાય. છતાં, જે કંઈ થઈ રહ્યું છે તેમાં એ કંઈ કરી શકે નહીં અથવા એવું કરવાનું તેને ગમે નહીં. કારણ કે, તેને પણ જે થઈ રહ્યું હોય તે ગમતું હોય.

જૂની અંગ્રેજી વાર્તામાં એક રાજા દરિયાનાં મોજાં રોકે છે એવી વાત આવતી હતી. ઘોડાનશીન ભાઈ ઉર્ફે વરને પણ થોડી વાર માટે એવું લાગી શકે કે જોયું? બાઅદબ, બામુલાહિજા, હોશિયાર...નેકનામદાર, સેનાખાસખેલ, સમશેરબહાદુરની સવારી પસાર થઈ રહી છે અને આખ્ખો ટ્રાફિક તેને કુરનિશ બજાવતો ખડો થઈ ગયો છે. તેમની સરખામણીમાં, શબ્દાર્થમાં ઘોડા પર બેઠા હોવા છતાં, ધ્વન્યાર્થમાં જમીન પર પગ ધરાવતા વરભાઈઓના મનમાં મિશ્ર લાગણી હોયઃ એક તરફ ‘બમુલાહિજા’ વાળું ચાલતું હોય અને બીજી તરફ, દસ દિવસ પહેલાં શોપિંગ કરવા જતી વખતે, આવો જ એક વરઘોડો રસ્તામાં નડ્યો ત્યારે તેણે મનોમન કેવાં સ્વસ્તિવચનો કાઢ્યાં હતાં, એ પણ યાદ આવી શકે. પરંતુ મોં સહેરા પાછળ છુપાયેલું હોય કે સાફામાં અડધું ઢંકાયેલું હોય, એટલે તેની પર રહેલી અવઢવ કળી શકાતી નથી.

વરઘોડાની પાછળ ઉભેલો અને તેના પસાર થવાની રાહ જોનાર જણ મોબાઇલ પર ગેમ રમવાનો પ્રેમી હોય તો તેને વરઘોડામાં આસપાસનું ભાન ભૂલીને નાચતા લોકો, વિડીયો ગેમમાં આવતા અડચણ પેદા કરનારા પદાર્થો જેવા વધારે લાગે. તેને થાય કે તે પણ ગેમના કે સ્ટંટ ફિલ્મના અંદાજમાં દૂરથી વાહન દોડાવતું લાવે અને પછી તેને એવો કૂદકો મરાવે કે આખો વરઘોડો મોં ફાડીને જોયા કરે અને તેનું વાહન વરઘોડો કૂદીને બીજી તરફ નીકળી જાય. પરંતુ એવું શક્ય નથી હોતું. એટલે નાના વાહનના ચાલકો વરઘોડાની સાઇડ પરથી રસ્તો કરીને નીકળવાની વેતરણમાં રહે છે અને મોટા લમણે હાથ દઈને, મનોમન ગણગણાટી કરે છે, જેમાં પોલીસ, કાયદો, સભ્યતા, કોર્ટ, એકેએકને...એવા બધા શબ્દો મુખ્ય હોય છે. આ ક્ષણોમાં ધીરજ, સંયમ, સભ્યતા અને અહિંસા ન ખોનાર કામચલાઉ ધોરણે બુદ્ધ 2.0નો દરજ્જો હાંસલ કરે છે.

વરઘોડામાં રહીને બહારના ટ્રાફિકનું સંચાલન કરતા કેટલાક વરઘોડિયા બુદ્ધ થાઉં થાઉં કરતા લોકોને તેમના સંયમપથ પરથી ચલિત કરવાના ઘણા પ્રયાસ કરે છે. વરઘોડા થકી ગામઆખાનો ટ્રાફિક જામ કર્યા પછી, રાહદારીઓને ટ્રાફિકવિષયક આદેશો આપતા લોકો, લોકશાહીના ઉપદેશ આપતા આપખુદ શાસકો જેવા લાગે છે. પણ બંને કિસ્સામાં બેવડું ધોરણ એટલું ઉઘાડેછોગ હોય છે કે ધ્યાન દોરવાથી કશો ફરક પડતો નથી. ઉલટું, તકરાર થવાની સંભાવના રહે છે. એટલે પ્રગટપણે કજિયાનું અને મનોમન વરઘોડાનું મોં કાળું ગણીને માણસ સુખેદુઃખે વરઘોડો પસાર થઈ જાય તેની રાહ જોતો ઉભો રહે છે.

કદીક સમયનું ચક્ર ફરે અને વરઘોડાપીડિતને વરઘોડામાં જવાનો પ્રસંગ આવે ત્યારે મઝા થાય છે. યુદ્ધ શરૂ થતાં પહેલાં કુરુક્ષેત્રના મેદાનમાં ઉભેલા અર્જુનને જેમ સામે ઉભેલાં સગાંસ્નેહીઓ સાથે યુદ્ધના વિચારથી વિષાદયોગ થયો હતો, તેમ આ ભાઈને પણ વરઘોડાની પાછળ અટવાતાં કે સામેથી આવતાં સમદુઃખીયાં પ્રત્યે અનુકંપા થાય છે. પરંતુ વરઘોડામાં મોટાં અવાજે વાગતાં ગીતો અને તેની પર ઝૂમતા લોકોને લીધે સર્જાયેલા માહોલમાં વિચાર કરવા માટે અનુકૂળ વાતાવરણ હોતું નથી. એટલે પીડિત વરઘોડાની ભીડમાં ક્યાંક ખોવાઈ જવાનું પસંદ કરે છે. અલબત્ત, સમાનુભૂતિની આવી લાગણી ધરાવતા  લોકો જૂજ હોય છે. બાકીના માટે તો ડાન્સ કરવાનાં કે ટ્રાફિકનું સંચાલન કરવાનાં કામ તૈયાર હોય છે.

Monday, December 13, 2021

જમવા જવા વિશે

લગ્નની મોસમમાં કેટલાક સળગતા સવાલ ઉભા થાય છે. ના, લગ્ન તેમાંનો એક નથી. કારણ કે તેમાં એ તબક્કો થોડો પછી આવે છે. અહીં તો જેમનાં અથવા જેમના ઘરે લગ્ન નથી, એવા લોકો માટે સર્જાતા સવાલની વાત છે. તેમાંનો એક છેઃ જમવા જવું કે નહીં.

આટલું વાંચીને મોટા ભાગના લોકોને થશે કે ‘એંહ, આ તે કંઈ સમસ્યા છે? આપણે જમવા જઈએ તે સામા માણસ માટે કદાચ સમસ્યા હોઈ શકે, પણ આપણો તો જઈને, બૅટિંગ કરીને પાછા આવવાનું છે. તેમાં ક્યાં કશી મુશ્કેલી છે?’ આવો વિચાર ખોટો નથી અને લાગે છે એટલો સર્વવ્યાપી પણ નથી. અમુક ઉંમર સુધી જમવા જવા વિશે બહુ ઉત્સાહ રહેતો હોય છે. સ્માર્ટ ફોન પહેલાંના યુગના કેટલાક સ્માર્ટ લોકો સીઝનમાં આવેલી કંકોત્રીઓમાં ક્યાં કયા દિવસે, કયા ટંકે (સવારે કે સાંજે) જમવા જવાનું છે, તેની અલગથી યાદી બનાવી રાખતા હતા. તેમની દલીલ હતી, ’યજમાનને ખોટું લાગે ને આપણે ખાધા વગરના રહીએ—એવો ધંધો શું કામ કરવો?’

ત્રણેક દાયકા પહેલાં સુધી બુફે સર્વવ્યાપી બન્યાં ન હતાં, ત્યારે પંગતભોજનનો યુગ હતો. એટલે, ‘હી કેમ, હી સૉ એન્ડ હી કૉન્કર્ડ’ની જેમ, જઈને, જમીને, જોતજોતાંમાં નીકળી જવાનું શક્ય ન હતું. પહોંચીએ ત્યારે પંગત પડી ચૂકી હોય તો પછી અડધો-પોણો કલાક રાહ જોવી પડે. ક્યારેક નિમંત્રીતોની સંખ્યા વધારે હોય તો પંગતમાં દાળ-ભાત પીરસાય, ત્યારે આગામી પંગતમાં જગ્યા રોકવા માટે જમનારની પાછળ જઈને ઊભા પણ રહેવું પડે. છતાં, એ વખતે બહાર હૉટેલમાં કે લારી-ખુમચા પર જમવાના પ્રસંગો જૂજ રહેતા. બહાર જમવું એ પોતે એક ઘટના ગણાતી અને તેનું આકર્ષણ સામાન્ય ગણાતું હતું.  

છેલ્લાં થોડાં વર્ષોમાં પોસાય કે ન પોસાય, છતાં સૌ કોઈ જમણવારો રાખતા થઈ ગયા. સાથોસાથ, બહાર ખાવાનું જોર પણ વધ્યું. સ્વીગી-ઝૉમેટોના જમાનામાં ઘરે રહીને બહાર ખાવાનું પણ શરૂ થઈ ગયું. એટલે હવે સામાન્ય જમણવારોમાં જમવા જવા માટે સૌ કોઈ એકસરખા ઉત્સાહી નથી હોતા. યજમાનો જેને લગ્નનું અને મહેમાનો જેને જમણવારનું આમંત્રણ ગણે છે, તે કંકોત્રી આવતાં ઘરમાં નીતિવિષયક ચર્ચાઓ શરૂ થઈ જાય છે. કેટલાંક નિમંત્રણો ચર્ચાથી પર હોય છે. કેમ કે, તે એટલાં નિકટનાં અથવા એટલા સમૃદ્ધ યજમાનોનાં હોય છે કે ત્યાં જવા વિશે કોઈ અવઢવ નથી હોતી. પણ એ સિવાયના નિમંત્રણો મહેમાનોને મૂંઝવણમાં મુકી શકે છે. તેમાં પણ એક ટંકનાં આવાં એકથી વધુ નિમંત્રણ ભેગાં થાય, ત્યારે મહેમાનો અટવાઈ શકે છે. ‘મૈં ઇધર જાઉં યા ઉધર જાઉં?’ એવા વિચારમાં તે લશ્કરી વ્યૂહબાજની જેમ મુદ્દાસર ચર્ચાવિચારણા કરી જુએ છે.

ઘણાંખરાં ઠેકાણાં એવાં હોય છે કે જ્યાં જમવા ન જવાથી યજમાનને ખરાબ લાગવાનો પ્રશ્ન હોતો નથી. પણ ન જઈએ તો પેટને કે સ્વાદરસિકતાને અન્યાય થાય, એ શક્યતા તો ચકાસવાની રહે છે. તેથી સૌ પહેલાં ‘પાર્ટી’ (યજમાન)ની સદ્ધરતા, આયોજનશક્તિ, અગાઉના પ્રસંગોની છાપ જેવાં પરિબળ ધ્યાનમાં લેવાય છે.  તેમાંથી એક કે વધુમાં યજમાનનો ટ્રેક રેકોર્ડ નબળો હોય, તો તેમને ત્યાં જમવા જવાની ઇચ્છા મંદ પડે છે. ભૂતકાળમાં એ યજમાનને ત્યાં રસોઈ ખૂટી હોય, બટાટાવડાં ખૂટતાં સમોસા મંગાવાયાં હોય, દાળમાં પાણી કે શાકનો રસો રેડાયાં હોય, ગાજરનો હલવો ખુટતાં દુધીનો હલવો આવ્યો હોય, પાણીપુરીના કાઉન્ટર પર સર્જાયેલી ધક્કામુક્કીમાં બે-ચાર જણ ઘાયલ થયાં હોય...તો એવાં ઠેકાણે જમવા જવાની ઇચ્છા મોળી રહે છે. વડીલોનું વલણ સામાન્ય રીતે સમાધાનકારી હોય છે. તે આશ્વાસન આપતાં કહે છે, ‘આ વખતે તો સાંભળ્યું છે કે ‘એ લોકો પાણીપુરી રાખવાના જ નથી.’ પણ નવી પેઢી વડીલોને જ્ઞાન આપતાં કહે છે,‘એમનો ભત્રીજો મારા ગ્રુપમાં છે. એ કહેતો હતો કે લાઇવ પિત્ઝાનું કાઉન્ટર છે. એટલે બધું એકનું એક જ.’

પાણીપુરી અને લાઇવ પિત્ઝા ધક્કામુક્કીના મામલે એકસરખાં હોઈ શકે, તે જૂની પેઢીને સમજતાં તકલીફ પડી શકે છે. પણ તે સમાધાનકારી રસ્ત કાઢતાં કહી શકે છે, ’હશે. પિત્ઝા તો તું આડેદહાડે ક્યાં નથી ખાતો? એવું હોય તો આપણે લાઇવ કાઉન્ટરોમાં નહીં જવાનું. એ સિવાય પણ બધું હશે તો ખરું ને.’ હા, હોય તો ખરું જ. એક લાલ શાક (પંજાબી), એક લીલું શાક, એક ચાઇનીઝ ફરસાણ, બે-ત્રણ સ્વીટ. કેમ કે, હવેના જમણવારોમાં વાનગીઓની સંખ્યાનો પ્રશ્ન ભાગ્યે જ હોય છે અને એ વાનગીઓના સ્વાદનો પ્રશ્ન ન હોય, એવું ભાગ્યે જ બને છે. યજમાન તો ડીશની સંખ્યાનો ઑર્ડર અને વાનગીઓની યાદી આપીને પરવારી જાય છે. પછી તે કેવું બન્યું, તેના અખતરા મહેમાનોના પર હોય છે. યજમાનો સૌથી છેલ્લા કેમ જમે છે તેનાં કારણો વિશે સંશોધન કરતાં, ઉપરના કારણની પણ આશંકા ગઈ હતી. અલબત્ત, તે આરોપમાં વજૂદ જણાતું નથી. છતાં ભોજનની ગુણવત્તાથી દુઃખી લોકો એવું માનવા પ્રેરાય છે.
 

આ પ્રકારની વૈચારિક કવાયત અને મૂંઝવણનો અંત લગભગ નક્કી હોય છેઃ અનેક વિચારો કર્યા પછી, ‘મેલ કરવત, મોચીના મોચી’ ન્યાયે જમવા તો જવાનું અને પાછા આવીને, ફરી એવા ઠેકાણે જમવા નહીં જવાની પ્રતિજ્ઞા પણ લેવાની.

Thursday, December 09, 2021

રસ્તો શોધવા વિશે

મોબાઇલ કે ટીવીના સ્ક્રીન વગરના બાળપણમાં રસ્તો શોધવો એ સસલાને ગાજર સુધી કે બાળકને ચોકલેટ સુધી પહોંચાડવાની રમત હતી. એવા અટપટા રસ્તા હોય કે શરૂઆતથી અંત સુધી એક ઘાએ પહોંચાય નહીં. ત્યારે એ રમત બહુ અઘરી લાગતી. મોટપણે સમજાયું કે ઘણા ખરા લોકોને બે ટંકના સારા ભોજન સુધી પહોંચવાનું ને બાકીના થોડાને સુખ સુધી પહોંચવાનું આનાથી પણ ઘણું વધારે અઘરું પડે છે—અને એ તો રમત પણ નથી કે ‘નથી રમતા’ કહીને ઊભા થઈ જવાય.

ગુગલ મેપ્સ પહેલાંના યુગમાં ધારેલા સરનામે પહોંચવાની પ્રક્રિયા ખરેખર અઘરી હતી અને હજુ પણ તે પૂરેપૂરી આસાન થઈ નથી. ઘણા લોકો એવા હોય છે કે તેમને એવરેસ્ટ જવાનું કહીએ તો, ત્યાં પહોંચવાનો રસ્તો શી રીતે શોધીશું, એવો જરાય વિચાર ન કરે. તેમને એવું ન થાય કે એવરેસ્ટ એટલે કંઈ સોસાયટીના નાકે પડ્યું છે? ત્યાં પહોંચાય શી રીતે? એ તો ફિલ્મ જોવા જવાનું હોય એટલી સહેલાઈથી તૈયાર થઈ જાય. બીજી બાજુ કેટલાક આત્માઓ એવા હોય, જેમને એવરેસ્ટ જવાની વાત સાંભળીને સૌથી પહેલો વિચાર એવો આવે કે ‘આપણે કેટલા વાગ્યે નીકળવું પડશે? શું છે કે અમારા ઘરની બહારથી રાત્રે નવથી સવારના સાત સુધી રિક્ષા મળતી નથી.’ ટૂંકમાં, તે જીવોની ચિંતાની શરૂઆત એવરેસ્ટની ઊંચાઈએ કેવી રીતે પહોંચીશું તેનાથી નહીં, પણ ઘરની બહારથી રેલવે કે બસ સ્ટેશને જવા રિક્ષા સુધી શી રીતે પહોંચીશું, તેનાથી શરૂ થાય. તેમને તમે વાસ્તવવાદી કહી શકો કે ચિંતાખોર. પણ મૂળે ભૂગોળ સાથેનો તેમનો સંબંધ સારો નહીં એટલી જ હકીકત.

દરેક તબક્કાના સવાલોના સંતોષકારક જવાબ મળ્યા પછી તેમને આખરી તબક્કાના સવાલો જાગેઃ ‘એવરેસ્ટ તો કેટલું મોટું છે. ત્યાં 360 ડિગ્રીમાંથી કોઈ પણ ડિગ્રીએ જઈ શકાય. તો આપણે કઈ ડિગ્રીએથી ચઢાઈ કરવાની છે, તેની શી રીતે ખબર પડે? એક વાર હિમાલયમાં પહોંચી ગયા પછી, આપણને જે દેખાય છે તે એવરેસ્ટ જ છે અને કાંચનજંઘા શીખર નથી, એની શી ખાતરી? તમને થશે કે આ ખોટી ચૂંથ કરે છે, પણ ભઈ, પૂછી લીધેલું સારું. એક વાર ભૂજ જતી વખતે મેં ટિકીટ સ્વામિનારાયણ ટ્રાવેલની લીધેલી ને બેસી ગયો સહજાનંદમાં. મને એમ કે બધું એકનું એક જ ને? એ તો ઠીક છે, બીજા મુસાફરે આવીને વેળાસર ખબર પાડી. પણ એવરેસ્ટ-કાંચનજંઘા છેવટે તો હિમાલય જ. ત્યાં એવું થાય તો ક્યાં જવું? અને મેં પૂરતો અભ્યાસ કર્યો છે. તેમાં ક્યાંય એવું જોવા મળ્યું નથી કે કાંચનજંઘા કે એવરેસ્ટ પર તેમનાં નામનાં બોર્ડ માર્યાં હોય.’

આવા સવાલો મનમાં ઉઠે તે દર્શાવે છે કે પૂછનારનો કશો વાંક નથી. બસ, તેમના મનમાં ભૂગોળનો સોફ્ટવેર બરાબર લોડ થયેલો નથી. એવા લોકોને એવરેસ્ટ-કાંચનજંઘા તો દૂર, કોઈને મળવા ઑફિસની કૅબિનમાં દાખલ થયાના અડધા કલાક પછી બહાર નીકળતી વખતે કૅબિનનું કાચનું બારણું કઈ તરફ હતું, એ પણ યાદ રહેતું નથી. તેમાં તે નિર્દોષ છે. દોષ તો ભૂગોળનો અને બરાબર લોડ નહીં થયેલા ભૂગોળના સોફ્ટવેરનો છે. એવા લોકો પાછા બીજી બાબતમાં સાવ નૉર્મલ હોય અને કેટલાક તો વળી અભ્યાસી પણ હોય. એટલે, તે જેટલું વધારે જાણે એટલા વધારે ગુંચવાય. તેમને એવું પણ થાય કે ‘એવરેસ્ટ પર પહોંચી તો ગયા, વાવટો-બાવટો ફરકાવી દીધો, પણ પછી પાછા ક્યાંથી ઉતરવાનું? અહીં તો ઑફિસમાં દાખલ થયાના કલાક પછી બહાર નીકળવાનો રસ્તો યાદ રહેતો નથી, તો એવરેસ્ટથી પાછા ઉતરવાના ઘણા રસ્તા હોય. તેમાં આપણો કયો, એ કેમ ખબર પડે?’

આવા લોકોમાંથી કેટલાક પોતાની ભૌગોલિક મર્યાદાનો સ્વીકાર કરીને પ્રામાણિકતાપૂર્વક જાહેર કરી દે છે અને ભૂગોળસજ્જ સાથી હોય તો જ અજાણી જગ્યાએ જાય છે. ખતરનાક પ્રજાતિ એ હોય છે, જેમને ભૂગોળ સાથે સુમેળ ન હોવા છતાં, પોતાને તો રસ્તામાં બરાબર ખબર પડે છે, એવો દેખાવ તે ચાલુ રાખે છે. કોઈ રસ્તે બે-ત્રણ ફાંટા આવે ત્યારે આવા લોકો ખાતરીપૂર્વક જાહેર કરે છે, ’ડાબી બાજુ.’ તેમની વાત પર વિશ્વાસ મુકવો કે નહીં, તે ચાલક વિચારી રહે એ પહેલાં તો વિધાન બદલાય છે, ’જોકે, હું એક વાર આવ્યો ત્યારે પાનનો ગલ્લો ડાબેથી બીજી બાજુના રસ્તે હતો.’ ચાલક વધુ ગુંચવાય છે, ત્યાં ત્રીજું નિવેદન આવે છે, ‘આમ તો જમણી બાજુએ વળીએ તો પણ પહોંચી જવાય.’

ચાલક વિચાર કરે છે કે આટલી ઝડપથી તો વડાપ્રધાન પણ નિવેદનો નથી બદલતા. પછી તે પરિસ્થિતિની નજાકત સમજીને, રાજકીય ચિંતન છોડીને અથડાતા-કૂટાતા, ફરી ફરીને સાચા રસ્તે પહોંચે છે. ત્યારે પેલા જાણકાર બોલી ઉઠે છે, ’મેં નહોતું કહ્યું?’ તેમની વાત ખોટી નથી હોતી. કારણ કે, તેમણે એક પછી એક બધા રસ્તા વિશે કહ્યું જ હોય છે.

આવા લોકો વાહનમાં સવાર હોય, ત્યારે વાહનચાલકના મનમાં કેટલીક વાર ખૂન કે આત્મહત્યા, એ બે જ વિકલ્પ ઉભરતા હોય છે. પણ માણસ કેટલીક બાબતોમાં ગુફાયુગમાંથી આધુનિક યુગમાં પ્રવેશ્યો છે. એટલે તે બંને વિકલ્પ ટાળીને ચૂપચાપ વાહન ચલાવ્યે રાખે છે.