Tuesday, April 29, 2025

થોડું અંદર ઉતરીને, થોડું વિચારધારા વિશે...

મોદીપ્રેમી/મુસલમાનવિરોધી લોકોની લાક્ષણિકતા એ છે કે તેમનો વિરોધ કરનારા બધા તેમને ડાબેરી, હિંદુવિરોધી, દેશદ્રોહી, કોંગ્રેસી લાગે છે.

તેમના વલણનો વિરોધ કરનારા લોકોમાં કેટલા પ્રકારો અને પેટાપ્રકારો હોઈ શકે એની તેમને ખબર જ નથી અથવા તે યાદ કરવા માગતા નથી.
તેમની ધિક્કારની વિચારધારાનો જે વિરોધ કરે, એ બધા ડાબેરી, વામપંથી વિચારધારાવાળા--એવું પણ કેટલાક માને છે. ડાબેરી એટલે શું ને ડાબેરી એટલે કોણ નહીં--એટલી સાદી સમજણ કે સ્પષ્ટતા તેમનામાં હોતી નથી. પણ સમજણનો બધો અભાવ તે ધિક્કારથી અને વ્યક્તિપૂજાથી સરભર કરી લે છે. એટલે તેમને કશી ખોટ સાલતી નથી.
ડાબેરી કોને કહેવાય, તે વિશેનું અજ્ઞાન જોકે ગુજરાતમાં જ્ઞાનપીઠવિજેતા સુધી પહોંચેલું છે. વર્ષો પહેલાં એવા એક વિજેતાએ કોઈને મારી ઓળખાણ આપતાં કહ્યું હતું,'આ ઉર્વીશ કોઠારી. ડાબેરી છે, પણ સારું લખે છે.'

હવે તમે જ કહો, તેમની આ દશા હોય, તો ફેસબુક પરના લોકોનો શો વાંક કાઢવો?
હકીકતમાં, મારા જેવા ઘણા લોકો કોઈ જડ વિચારધારામાં માનતા નથી. ડાબેરી એટલે હળવાથી આત્યંતિક ક્રમમાં જઈએ તો, સમાજવાદી, સામ્યવાદી, માઓવાદી અને તેમના અસંખ્ય પેટાપ્રકારો. હું નથી આંબેડકરવાદી, નથી ગાંધીવાદી. મને ગાંધી અને આંબેડકર બંને બહુ ગમે છે, ફૂલે તો મારા માટે હીરો છે, પણ ગમતા લોકો સાથે, પાયાના-મૂળભૂત ન હોય એવા મુદ્દે,અસંમતિ હોઈ શકે અને હોય છે. છતાં, તેમને, ગાંધી-આંબેડકરને, દિલથી ચાહી શકાય છે.
વિચારધારાના અર્થમાં હું સેક્યુલર પણ નથી. કારણ કે, વિચારધારા એને કહેવાય, જે સભાનતાથી અપનાવી હોય. મારી સાદી સમજ સહઅસ્તિત્ત્વમાં, સમાનતામાં અને માનવતામાં માનવાની છે. એ સમજ આખી જિંદગી ઘડતાં રહેવું પડે છે. શાસનનો-સ્થાપિત હિતોનો શક્ય એટલો વિરોધ, એ તેનો એક ભાગ છે. તેનો અંત નથી.
આ સમજ સતત ફાઇનટ્યુન કરવી પડે છે અને છેવટે તો, ઉપર જઈએ પછી જ નક્કી થાય કે 100માંથી કેટલા માર્ક આવ્યા. પણ આવી જે કંઈ સમજ છે તેને સેક્યુલરિઝમ, સ્યુડો-સેક્યુલરિઝમ, વામપંથ, ડાબેરી, હિંદુત્વવિરોધી--એવું બધું કહેવાય, એ તો આવી સમજથી જેમને તકલીફ થતી હતી ને થાય છે, તેમણે આપેલાં લેબલ છે. એટલે જ, એવાં લેબલ મને કદી અડતાં નથી.
ઘણા લોકો માને છે કે મારો એકમાત્ર ધંધો ને કામ ને હોબી મોદીને ગાળો દેવાની છે. સ્વાભાવિક રીતે જ આવા લોકોની સામાન્ય સમજના ગંભીર પ્રશ્નો હોય છે (એ તો આપણે ઉપર જોયું.) બાકી, રોજ પા-અડધા કલાકની મારી ફેસબુકચર્યા જોઈને અને તેમાં પણ બીજું કંઈ યાદ રાખ્યા વિના, ફક્ત મોદીની ટીકા યાદ રાખીને પછી, તે આવો અભિપ્રાય બાંધે તો તેમાં હું કશી મદદ કરી શકું નહીં. હકીકત એમ છે કે, મારા અનેક પ્રકારના રસ અને લખાણમાંથી મોદીપ્રેમીઓને ફક્ત મોદીની ટીકા જ 'સ્પર્શી' જાય છે અને મારો ફક્ત એટલો જ ભાગ યાદ રહી જાય છે.
મુદ્દાઆધારિત મૂલ્યાંકનના નામે, નરેન્દ્ર મોદીની આરતી ઉતારીને, તેમની કથિત કુશળતાના કી-બોર્ડસિપાહી બનીને, અમિત શાહ વિશે કદી કશું ન ઉચ્ચારીને, પછી સરકારના કે સરકારી તંત્રના છોંતરા કાઢી નાખવા--એવા ખેલ ગુજરાતમાં બહુ વખતથી ચાલે છે. યુટ્યુબ ચેનલોમાં પણ, જૂજ અપવાદોને બાદ કરતાં એ લગભગ ધોરણ બની ગયું છે. આખરે તો, પાપી વ્યૂનો સવાલ છે.
હું સમજું છું કે મોદી-શાહને સાચવી લઈને, વારેતહેવારે તે કેવા મહાન છે તેની બિરદાવલીઓ ગાઈ લેવી એ કસદાર ધંધો છે. એવા ધંધાર્થીઓ વિશે મારે કશું કહેવાનું નથી. કારણ કે, તે ધંધાદારીઓ છે અને તેમનું વિશ્લેષણ ન હોય.
હું સમજું છું કે સરકારનું બહુ દબાણ હોઈ શકે છે. હું કોઈને શહીદ બનવાની સલાહ નથી આપતો. જેનો આટલો મોટો હિસ્સો સારાસારવિવેક ગિરવે મુકીને બેઠો હોય, એવી પ્રજા માટે શહીદ ન થવાય--એટલી સમજણ મને પણ પડે છે. તેનો અર્થ એવો નહીં કે મોદી-શાહની આરતીઓ ઉતારીને, બાકીના તંત્ર કે સરકારની છાલ કાઢીને બહાદુરીના ફડાકા મારવાના. પણ બહુ મોટી સંખ્યામાં વાચકો આવા ખેલ પારખી શકતા નથી, એ હકીકત છે--પ્રજાકીય લક્ષણ કહી શકાય એટલી વ્યાપક હકીકત.
જોકે, ગુજરાતી પ્રજાને તેજાબી કલમ કે તેજાબી અભિપ્રાયો કે છોતરા કાઢી નાખવાના નામે મૂરખ બનાવવાનો ને પોતે કેવા બહાદુર છે તે દેખાડવાનો ખેલ આજકાલનો નથી. મારું એવું ખાનગી અને બિનઆધારભૂત છતાં પાયાદાર 'સંશોધન' છે કે ગુજરાતની પ્રજાને કેટલી આસાનીથી મૂરખ બનાવી શકાય છે, તેની જાણ નેતાઓ કરતાં પણ પહેલાં આપણા ઘણા કટારલેખકોને થઈ ગઈ હતી. એટલે વાચકો-દર્શકો આગળ તટસ્થતાના નામે આરતીઓ ઉતારવાનો, સાચવીને ટીકા કરવાનો ને ધૂર્તતાને બહાદુરી તરીકે રજૂ કરવાનો ઉદ્યોગ ધમધમી રહ્યો છે. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ, યુ નો.
મોદીની કે શાસનની ટીકા કરવામાં મને કદી બહાદુરીનો અનુભવ નથી થયો. મારે મન એ કેવળ પ્રતીતિનો--મને જે લાગે છે તે કહેવાનો--મામલો છે. એથી ઓછો નહીં. એથી વધારે નહીં. તે કોઈ અદૃશ્ય કે દૃશ્ય વાચકવર્ગને કે શ્રોતાવર્ગને ધ્યાનમાં રાખીને, કે તેમને અંકે કરવા માટે કરાતી કસરત નથી.
હા, એવું બને છે કે ટીકા કરવા લાયક બધી બાબતોની એકસરખી તીવ્રતાથી ટીકા કરી શકાતી નથી. સમય, સંજોગો, પૂરતી જાણકારીનો અભાવ, બીજી પ્રતિકૂળતાઓથી માંડીને પ્રાથમિકતા જેવાં ઘણાં પરિબળો તેમાં કામ કરે છે. મંત્રી ન હોય એવા માણસ માટે આવું કરવું ફરજિયાત નથી, એ બાબતે હું નિશ્ચિત અને નિશ્ચિંત છું.
મને એક બાબતનું સૌથી વધારે ગૌરવ છેઃ મેં કદી કોઈના પણ હીન, માનવતાવિરુદ્ધ કામનો બચાવ કર્યો નથી, તેને છાવર્યું નથી કે તેને ધોકા પડતા હોય ત્યારે તેમના બચાવ ખાતર ધ્યાન બીજે ભટકાવવા દોડી ગયો નથી. મોદીપ્રેમીઓ તેમના વિચારવિરોધીઓ માટે જાતજાતનાં અને સમજ વગરનાં વિશેષણો વાપરવાની સાથેસાથે ક્યારેક આવી રીતે પણ પોતાની જાતનું મૂલ્યાંકન કરી જુએ.
બને કે તેમને પોતાના વિશે કંઈક વધુ જાણવાનું મળે.

Wednesday, April 23, 2025

ત્રાસવાદી હુમલોઃ નાગરિક ભૂમિકાએ

ઇસ્લામની સૌથી વધુ બદનામી તેના નામે હત્યાકાંડો આચરતા ત્રાસવાદીઓએ પહોંચાડી છે. કોઈ પણ ધર્મ તેના નામે આચરાયેલાં પાપના દોષથી મુક્ત રહી શકે નહીં. એ ધર્મના ઠેકેદારોએ આવા હત્યાકાંડોનો વિરોધ કરવો રહ્યો. એ પ્રાયશ્ચિત તો ન હોઈ શકે, પણ પોતાના ધર્મના નામે જે ધંધા ચાલે છે, તેના અહેસાસ તરીકે જરૂરનું છે.

ત્રાસવાદી હુમલા ખાળવાનું કામ કોઈ પણ સરકાર માટે અઘરું હોય છે. છતાં, એવા હુમલા થાય ત્યારે સરકારી તંત્ર પાસે કડકાઈથી જવાબો માગવામાં આવે છે ને તેણે આપવા પણ પડે છે. સરકારનું કામ જવાબો આપવાનું છે. 2014 સુધી તો આ બાબતે એકમત હતો.
હવે આવું કંઈ થાય ત્યારે સરકાર ફરિયાદીની ભૂમિકામાં આવી જાય છે, તેનાં પ્રચારયંત્રો કરુણ ઘટનાક્રમોમાં સરકારની પણ કોઈ ભૂમિકા (કે તેનો અભાવ) હોઈ શકે, એવું વરતાવા દેતાં નથી. બહુ ધ્યાન રાખે છે કે વાત સરકારી તંત્રની સંભવિત નિષ્ફળતા તરફ ન વળે. સરવાળે, સરકારને બચાવવાનો અને ધાર્મિક સૌહાર્દ અને સમભાવની વાત કરનારને લોકોને વિલન તરીકે ચીતરવાનો કાર્યક્રમ જોશભેર શરૂ થઈ જાય છે.
ત્રાસવાદી હુમલામાં હિંદુઓને મારવામાં આવ્યા છે, એટલે જે તેનો બોલીને વિરોધ નથી કરતા, એ બધા મુસલમાનો આ ઘટનાના સમર્થક છે અથવા તેનાથી ખુશી અનુભવે છે--આવું સરળીકરણ સગવડીયું અને મહદ્ અંશે રાજકીય છે. ભાગલાનાં 77 વર્ષ પછી બધા મુસલમાનોને તેમની વફાદારી સાબીત કરવાનું કહેવામાં આક્રમક રાજકારણ કે ધર્મઝનૂન સિવાય બીજું કશું નથી. ત્રાસવાદીઓના હિંસક ધર્મઝનૂન સામે આપણું ધર્મઝનૂન પણ કમ નથી, એવું બતાવી દેવાના પ્રયાસોમાં સરવાળે રાજકીય ફાયદાથી વધારે કશું નીપજતું નથી. નરેન્દ્ર મોદીના રાજનાં આટલાં વરસમાં તેની ખાતરી થઈ જવી જોઈતી હતી, પણ નથી થઈ. કારણ કે, વેપન ગ્રેડ જૂઠાંણાંનો સતત, નિરંતર વરસાદ પડે છે.
નિવેદનો આપવાનું કામ સત્તાધીશોનું કે વિવિધ પક્ષના નેતાઓનું છે. સોશિયલ મિડીયા પર આવી ઘટનાઓનો વિરોધ કરવો કે ન કરવો--એ કોઈનું માપ ન હોઈ શકે. મારા મતે, માણસનું ખરું માપ એ છે કે તે કેવી અક્ષમ્ય ઘટનાઓનો અને તેના આચરનારાનો ખુલીને, ગૌરવભેર અને સક્રિય બચાવ કરે છે. અત્યારનું ઉદાહરણ આગળ વધારીએ તો, નિર્દોષ મુસલમાનોની હત્યા કે નિર્દોષ ખ્રિસ્તીઓની મારપીટ વખતે ચૂપ રહેનારા લોકો માટે કશું કહેવાનું હોતું નથી--હોઈ શકે નહીં, પણ એવી મારપીટ કે હત્યાનું ગૌરવ લેતા, તેમાં હિંદુત્વનો જયજયકાર જોતા કે આખી ઘટનાને બીજા પાટે ચડાવીને, અત્યાચારીઓના લાભાર્થે તેની ગંભીરતા મોળવી નાખતા લોકો ટીકાને પાત્ર બનવા જોઈએ. એવા લોકો પછી બીજાને તેમના મૌન બદલ આંતરવા કે સવાલો કરવા નીકળે ત્યારે થાય છે કે રહેવા દે ભાઈ. બહુ થયું.
માર્યા ગયેલાઓ ભલે હિંદુ હોય, તે કેવળ હિંદુ ન હતા. તે ભારતીય પણ હતા. તેમના અપમૃત્યુનું દુઃખ કેવળ હિંદુત્વનું રાજકારણ કરતાં સંગઠનોનું સુવાંગ ન હોઈ શકે. તે દેશના સામાન્ય નાગરિકોનું પણ છે, જેમને આ ઘટનામાંથી કશો રાજકીય લાભ તારવવાનો નથી કે રાજકીય નુકસાન થતું અટકાવવાનું નથી.
ઇસ્લામી ધર્મઝનૂનીઓના દેખતા અંધાપાને લીધે જેમને અકાળે મૃત્યુ આવી પડ્યું, તે સૌ મૃતકો ને તેમનાં પરિવારજનો માટે પ્રગટ કે મનોમન લાગણી અને પીડા અનુભવીએ. આ દેશના નાગરિક તરીકે એટલું તો કરી જ શકાય.

Wednesday, April 16, 2025

પ્રેરણાનાં ખાબોચિયાંમાં છબછબિયાં

એમનું નામ તો પરેશભાઈ, પણ તેમને થોડુંઘણું ઓળખનારા ઘણી વાર તેમને પ્રેરકભાઈ કહીને બોલાવતા. તે સાંભળીને નામબગાડાથી નારાજ થવાને બદલે, ખિતાબ મળ્યો હોય એમ પરેશભાઈ હરખાતા. ચહેરા પર સ્થિતપ્રજ્ઞતા જાળવવી જોઈએ. એટલે તે જળવાતી. પણ તેમના હોઠના ખૂણા હસું હસું થઈ જતા. ક્યારેક તે નમ્રતાનો તકાદો જાળવવા કહેતા,અરે...અરે... તમારી કદર સર આંખો પર, પણ હું પરેશ જ ઠીક છું...આટલું બધું ન હોય.

જવાબમાં સામેવાળા તરફથી પ્રશંસાનાં બે-ચાર વાક્યો વધુ આવતાં અને જોનારને લાગતું, જાણે પરેશભાઈ ક્ષોભસંકોચથી ઓગળીને વહેવા માંડશે.

લોકોની જીભે સરસ્વતી હોય છે. પરેશભાઈની જીભે પ્રેરણાદેવીનો વાસ હતો. પ્રેરક વક્તા, અંગ્રેજીમાં કહીએ તો મોટિવેશનલ સ્પીકર, તરીકે તેમનો ડંકો વાગતો હતો. સામાજિક ક્લબોથી માંડીને પોલીસ વેલફેર સુધીની એકેય સંસ્થા એવી નહીં હોય, જ્યાં પરેશભાઈ બોલી ન આવ્યા હોય.

સિનિયર સીટીઝન-જુનિયર ચેમ્બર, મહિલા મંડળો-કીટી પાર્ટીઓ, લગ્ન સમારંભો ને પ્રાર્થનાસભાઓ, નવી પેઢી-જૂની પેઢી, એનઆરઆઇ-આરઆઇ, ઓડિયન્સ ગમે તે હોય, પરેશભાઈની પ્રેરણાની પાઇપલાઇનમાંથી પુરવઠો કદી ખૂટતો નહીં.

વહેલામાં વહેલી તકે કરોડપતિ બનવા માગતા લોકોને સંબોધીને પરેશભાઈ કહેતા તમે ઇચ્છો તો આવતી કાલે ધીરુભાઈ અંબાણી બની શકો એમ છો. તે બોલતી વખતે તેમના અવાજમાં રહેલો રણકો સાંભળનારને એવો અડી જતો કે તે પોતાની જાતને રિલાયન્સની મુખ્ય ઓફિસની મુખ્ય ખુરશી પર બેઠેલા જણ તરીકે જોવા માંડતો.

હકડેઠઠ ભરાયેલા હોલમાં પરેશભાઈ પૂછતા,કોને કોને મર્સિડીઝ લેવી છે?’

સવાલ સાંભળતાં ફી ભરીને હોલમાં ખુરશીઓ પર બેઠેલા તો ઠીક, દરવાજે ઊભેલા ગાર્ડની આંગળી પણ ઊંચી થઈ જતી હતી. એ દૃશ્ય જોઈને પરેશભાઈ પોરસ ચઢાવતા,વાહ, મારા મર્સિડીઝમાલિકો, તમે અહીં આંગળી ઊંચી કરીને જે તીવ્રતાથી ઇચ્છા વ્યક્ત કરી છે, તેનું બહુ મહત્ત્વ છે. તેના લીધે તમે મર્સિડીઝથી એક ડગલું નજીક ગયા છો. તમારી અને મર્સિડીઝ વચ્ચેના અંતરમાંથી એક ડગલું ઓછું થયું છે. પરેશભાઈ એકેએક શબ્દ એવો છૂટો પાડીને, મમળાવીને બોલતા કે તેમના મોઢેથી મર્સિડીઝ સાંભળનારને મર્સિડીઝ આંખ સામે દેખાવા લાગતી.

પણ બાકીનાં પગથિયાં સહેલાં નથી પરેશભાઈ કહેતા. એ સાથે જ ઊંચી થયેલી બધી આંગળીઓ, પવનમાં ઉંચે ઉડ્યા પછી નીચે આવી પડતાં કાગળિયાંની જેમ, નીચે આવીને, લપાઈ જતી. નિરાશ થવાનો સવાલ ન હતો. ખબર હતી કે સહેલું નથી. એટલે તો પરેશભાઈના શરણે આવ્યા હતા.

પરેશભાનો પાવર એવો કે બુદ્ધના જમાનામાં થયા હોત અને બુદ્ધ રાજકુમાર-અવસ્થામાં હતા ત્યારે તેમને ભેટી ગયા હોત, તો તેમણે રાજકુમાર સિદ્ધાર્થને પણ સમજાવી દીધું હોત કે બુદ્ધ બનવા માટે ઘરબાર છોડવાની જરૂર નથી. મીન્સ કે, ઘર છોડવું પડે, પણ એ તો ઠેકઠેકાણે, શહેરે શહેરે વ્યાખ્યાનો આપવા માટે—કાયમ માટે ને બૈરાંછોકરાંને તજીને નહીં.

પરેશભાઈ નમ્ર હતા અને તેની સાબિતી એ હતી કે તે પોતે આવું માનતા હતા. એટલે, રજનીશની જેમ તેમણે પોતાની જાતને બુદ્ધ કે ઓશો કે એવું કશું નામ આપ્યું ન હતું. પરંતુ તેમને એટલી ખબર હતી કે આ દુનિયાને તેમની પ્રેરણાની બહુ જરૂર છે અને એ નહીં મળે તો લોકો બિચારા શું કરશે? તેમના વિધ્નસંતોષી ટીકાકારો કહેતા, ધરમ-સંપ્રદાયના નામે લોકોને છેતરાવાનાં ઠેકાણાં ઓછાં હતાં, તે  પરેશભાઈએ તેમાં પ્રેરણાનું નવું તૂત ઘૂસાડ્યું?’ અલબત્ત, પ્રેરકભાઈ, એટલે કે પરેશભાઈ, તેમાંથી પણ હકારાત્મક અર્થ તારવીને એ બાબત પર ભાર મૂકતા કે આ વાક્ય હકીકતમાં તેમને પ્રેરણાવિશ્વના આદિપુરુષ તરીકે સ્થાપિત કરે છે અને સૂચવે છે કે પ્રેરણાવિહોણી આ ધરતી પર પ્રેરણાની ગંગાના ભગીરથ જો કોઈ હોય તો તે પરેશભાઈ હતા.

પરેશભાઈ જે પ્રતીતિથી બુલંદ અવાજે કહેતા કે નથિંગ ઇઝ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ, તે સાંભળીને લાગતું કે ઉપરથી નેપોલિયન બેઠો બેઠો પરેશભાઈ પર ફૂલ વરસાવતો હશે. એને પણ થશે કે ફ્રાન્સમાં નહીં તો ગુજરાતમાં, મારો કોક વારસદાર નીકળ્યો ખરો.

હું એસએસસીમાં નાપાસ થયો ત્યારે મારાં માબાપને લાગ્યું હતું કે આ છોકરો હવે શું કરશે?’ એ પરેશભાઈની પ્રિય પ્રેરક કથા હતી—પોતાની હતી એટલે નહીં, પણ ખરેખર પ્રેરક હતી એટલે. શૂન્યમાંથી સર્જનની કે અંગ્રેજીમાં જેને રેગ્સ ટુ રીચીઝ—રંકમાંથી રાય બનવાની કથાઓ કહે છે, એમાં કશી ધાડ મારવાની હોતી નથી. એવી કથાઓમાં મોટે ભાગે તો માણસ ઊંધો પડીને મહેનત કરે કાં કોઈ હાથ પકડનાર મળી જાય કાં હાથ મારવાની તક મળી જાય, એટલે કામ પત્યું. તેમાં પરેશભાઈવાળી પ્રેરણાની કશી જરૂર નહીં.

પરેશભાઈની કમાલ એ હતી કે તેમણે એક શૂન્યમાંથી અનેક શૂન્યોનું સર્જન કર્યું. ફક્ત બેન્ક બેલેન્સમાં દેખાતાં એકડા પછીનાં શૂન્યોનું જ નહીં, ભવ્ય રીતે નિરર્થક હોય એવાં પ્રેરણાનાં શૂન્યોનું પણ. તેમને સાંભળનારા અશ્રદ્ધાળુઓ કહેતા કે આવું તો સામાન્ય બુદ્ધિ ધરાવતો કોઈ પણ માણસ કહી શકે. તેમાં નવું શું છે?’ ખુદ પરેશભાઈ કહેતા કે સફળ થવામાં કશું રોકેટ સાયન્સ કે કોકા કોલા જેવી સિક્રેટ ફોર્મ્યુલા નથી. તમે ઇચ્છો તે ક્ષેત્રમાં તમે પણ સફળતા મેળવી શકો—એવી સફળતા કે દુનિયા જોતી રહી જાય.

જોકે, શ્રોતાઓને અમેરિકાના પ્રમુખપદે શી રીતે પહોંચાય તેનો નકશો સુદ્ધાં આંકી આપતા પરેશભાઈ એક કારકિર્દીની દિશા ને તેના દરવાજા શ્રોતાઓ માટે સદા બંધ રાખતા હતા.

તે કારકિર્દી વિશે ફોડ પાડીને કહેવાની જરૂર ખરી?  

Tuesday, April 08, 2025

સંભવામિ સ્વાર્થે સ્વાર્થે

(દિવંગત વાર્તાકાર રજનીકુમાર પંડ્યાની બિલોરીશ્રેણીની કથાઓને અંજલિ તરીકે આ વ્યંગકથા)

મરનારનું સ્થાન મારા જીવનમાં ઇસુ ખ્રિસ્ત જેવું હતું. બોલીને વાલ્મિક ભટ્ટે લાંબો પોઝ લીધો. ઊંડો શ્વાસ ભર્યા પછી, સ્ટીમ એન્જિન વરાળ કાઢે તેવા અવાજ સાથે શ્વાસ બહાર કાઢ્યો અને એક નજરે ઓડિયન્સ તરફ જોયું.

ઓડિયન્સ આ નવીન ઉપમાથી ચકિત થઈ ગયું. તાળીઓનો ગડગડાટ થયો. એકાદ ખૂણેથી અવાજ આવ્યો, ક્યા બાત હૈ...

પણ એમાં ઓડિયન્સનો કે દાદ આપનારનો વાંક નહીં. વાલ્મિક ભટ્ટ તેમનાં લખાણમાં આવતી મૌલિકતાના ચમકારા—ના, ઝગારા-- માટે બ્રહ્માંડવિખ્યાત હતા. મંગળ પર જીવસૃષ્ટિ નથી તેનો સૌથી મહત્ત્વનો પુરાવો એ ગણાતો હતો કે મંગળ પરથી વાલ્મિકભાઈના કોઈ ચાહકનો પત્ર, કે હવેના જમાનામાં વોટ્સએપ સંદેશો, આવ્યો ન હતો. લેખકઆલમમાં છૂટક સંવેદનના જથ્થાબંધ વેપારી તરીકે તેમની નામના હતી.

મેં મનોમન વિચાર્યું, તેમના જેવા મહાન માણસ માટે વેપારી જેવો શબ્દ વપરાય? એ તો શબ્દોના... શબ્દોના..શબ્દોના સોદાગર? ના, સહેલાણી? ના, સારથી. શબ્દના સારથી. હા, આ બરાબર છે.

વાલ્મિક ભટ્ટ શબ્દોના સારથી હતા અને શબ્દો તેમના ઘોડા. તે ઇચ્છે ત્યારે શબ્દો રેસના ઘોડા થઈ જાય ને ઇચ્છે ત્યારે વરઘોડાના ઘોડા. શબ્દો પરની તેમની માલિકી જોઈને લોકો ક્યા બાત હૈ... કરી ઉઠતા હતા.

પણ ઇસુ ખ્રિસ્ત જેવું સ્થાન એટલે એક્ઝેક્ટલી શું?’ એવો મુદ્દાનો સવાલ આવી સભાઓમાં ન થવો જોઈએ. છતાં થયો.

જાણે અંતર્યામી હોય તેમ, વાલ્મિક ભટ્ટના મોઢેથી બીજું વાક્ય નીકળ્યું, આપણે સમયના બે ભાગ કેવી રીતે પાડીએ છીએ?’

હોલના અંધારમાંથી કોઈ હળવેકથી બોલ્યું,તમારા ભાષણ પહેલાં ને તમારા ભાષણ પછી. પણ તે એટલું ધીમેથી બોલાયું હતું કે ઓડિયન્સ તરીકે મને સંભળાય. મંચ પરથી લાગણીની લહાણી કરી રહેલા વાલ્મિક ભટ્ટ સુધી ન પહોંચે.

સમયને આપણે બે તબક્કામાં વહેંચીએ છીએ ઓડિયન્સના કૂતૂહલનું શમન કરતાં વાલ્મિક ભટ્ટ બોલ્યા, ઇસુ પહેલાં અને ઇસુ પછી. બી.સી. અને એ.ડી. એવી રીતે, મારા જીવનના પણ બે ભાગ પાડી શકાયઃ દીક્ષિતસાહેબને મળતાં પહેલાં અને તેમને મળ્યા પછી.

ઓહો. તો આમ વાત છે. ઓડિયન્સમાં રહસ્યોદ્ઘાટન થયું. વાલ્મિક ભટ્ટે આગળ ચલાવ્યું,હું તો વકીલ હતો. તમે જે વાલ્મિક ભટ્ટને ઓળખો છો તેને બનાવનાર તો દીક્ષિતસાહેબ.

શું વાત છે? આવડો મોટો લેખક અને પાછો આવડો મોટો વકીલ ને એને લેખક બનાવનાર આ દીક્ષિતસાહેબ?’ મને નવેસરથી અહોભાવનો એટેક આવ્યો. વાલ્મિક ભટ્ટનાં લખાણોમાં તો કદી ઉલ્લેખ વાંચ્યો નથી. તેમની ચોપડીઓનાં બધાં ફંક્શનમાં જોશી મને લઈ જતો હતો. તેમાં પણ કદી વાલ્મિકના મોઢે દીક્ષિતસાહેબનો દ સરખો સાંભળ્યો નથી. કદાચ જોશીને ખબર હશે. એ વાલ્મિક ભટ્ટનો અઠંગ વાચક છે

—અને સભામાં દીક્ષિતસાહેબનું નામ લેતી વખતે વાલ્મિક ભટ્ટના ચહેરા પર કંઈક અજબ પ્રકારનો ભાવ નહોતો આવ્યો? આમ તો હું બેઠો હતો એટલે પાછળથી ન દેખાત. પણ મોટા સ્ક્રીન પર વાલ્મિકના ચહેરાનો ક્લોઝ અપ ટપકાં ટપકાં સ્વરૂપે દેખાતો હતો. એ ટપકાંનાં લીધે એવું લાગ્યું હશે? ખબર નથી. હોય તો હોય પણ ખરું. જેના માટે બહુ આદર હોય એવા જણ માટે ભૂતકાળમાં વાત કરવાનું સહેલું છે કંઈ? શોભા હજુ મને નથી કહેતી કે તમારા બાપાની વાત નીકળે ત્યારે હજુ તમે બાળક થઈ જાવ છો?

કાર્યક્રમના થોડા દિવસ પછી એક બેસણામાં જોશી મળી ગયો. મેં તેના પ્રિય લેખક વિશે તેને પણ ખબર ન હોય એવી માહિતી આપવાના ભાવથી કહ્યું, જોશી, એક સવાલનો જવાબ આપઃ વાલ્મિક ભટ્ટના જીવનમાં ઇસુ ખ્રિસ્તના સ્થાને કોણ છે?’

જોશી બેસણામાં ભજનની વચ્ચે વચ્ચે અધ્યાત્મ વચનો ઉચ્ચારતા સંચાલકની શબ્દાળુતા વિશે વિચારી રહ્યો હોય એવું તેના ચહેરા પરથી લાગ્યું. એટલે, મારો સવાલ સમજ્યા વિના, લગભગ પ્રતિક્રિયારૂપે તેણે કહ્યું, વાલ્મિક તો હિંદુ છે. તેના જીવનમાં ઇસુ વળી ક્યાંથી આવ્યા?’ પણ મને તેની સામે તાકી રહેલો જોઈને તે બેસણાની તકલાદી અધ્યાત્મસૃષ્ટિમાંથી બહાર આવ્યો.અરે, તું વાલ્મિકની ક્યાંક પેલી કાલખંડ ને સમયના ભાગ ને ઇસુ પહેલાં-પછીની વાત તો નથી કરતો ને?’

મને થયું, જણ છે તો પાકો. એને બધી ખબર છે. પણ હવે પૂછ્યું જ છે તો તેના મોઢે નામ પણ જાણી લઉં.

જોશી નામ મમળાવતો હોય એમ બોલ્યો, વાલ્મિકના જીવનમાં ઇસુ... ઘોઘારીસાહેબ? મીરચંદાણીસાહેબ? પારેખસાહેબ? સાગઠિયાસાહેબ?’

ના. મેં વિજયી સ્મિત સાથે કહ્યું, દીક્ષિતસાહેબની શોકસભામાં વાલ્મિકે કહ્યું હતું કે તેના જીવનમાં ઇસુ ખ્રિસ્તના સ્થાને દીક્ષિતસાહેબ છે. તેના જીવનને બે ભાગમાં...

ખબર છે...ખબર છે, હવે...જોશી મને વચ્ચેથી અટકાવીને બોલ્યો. વાલ્મિકના ઇસુ ખ્રિસ્તો સમય, સંજોગો ને સ્વાર્થ પ્રમાણે બદલાયા કરે. વિમાન એક વાર રન વે પર દોડ્યા પછી ઉડે ત્યારે રન વેને સાથે લઈને ઉડે છે?’

અચાનક, હોલમાં દીક્ષિતસાહેબનું નામ લેતી વખતે વાલ્મિકના ચહેરા પર દેખાયેલો ભાવ મનમાં તાજો થયો અને ઝબકારો થયોઃ વાલ્મિક ભટ્ટના જીવનસમયને નહીં, તેમના જીવનસંબંધને બે ભાગમાં વહેંચવા પડેઃ કોઈને પોતાના જીવનના ઇસુ ખ્રિસ્ત જાહેર કરતી વખતે અને જાહેર કરીને ભૂલી ગયા પછી...

એ સાથે મનમાં અનેક ક્રોસ ખોડાયેલા દેખાયા, જેની પર વાલ્મિક ભટ્ટના ઇસુ ખ્રિસ્તોની લાઇન પડી ગઈ હતી.