Thursday, May 28, 2020

જય 'માતાજી' (પ્રહ્લાદ જાની) નહીં, જય અંધશ્રદ્ધા

મિત્ર-સાથી પ્રણવ અધ્યારુ સાથે ‘માતાજી’ પ્રહ્લાદ જાનીને  મળ્યા પછી લખેલો લેખ, (’આરપાર’ ૮ ડિસેમ્બર,૨૦૦૩) જ્યારે દસ દિવસના કહેવાતા અને અવિશ્વસનીય ટેસ્ટિંગના આધારે માતાજી ૬૮ વર્ષથી અન્નજળ વિના જીવતા હોવાનાં પ્રમાણપત્રો ડૉક્ટરોએ ફાડી આપ્યાં અથવા તેમના નામે તે ચાલવા દીંધાં ને અખબારોએ સવાલ કરવાને બદલે તે છાપી માર્યાં.

અફસોસની વાત છે કે આપણાં છાપાં અને પ્રસાર માધ્યમો પણ ધંધા ખાતર કે અંધશ્રદ્ધાળુઓની નારાજગીની બીકે અંધશ્રદ્ધાનાં હોંશીલાં ખેપિયાં બને છે. અહીં મૂકેલા લેખનાં ત્રણ પાનાં ફોટો તરીકે સેવ કરીને, એન્લાર્જ કરીને વાંચી શકાશે.



***

થોડાં વર્ષ પહેલાં સ્ટેન લીની સિરીઝ ‘સુપરહ્યુમન્સ’ જોઈ હતી. તેમાં કોઈ કહે તો માન્યામાં ન આવે એવી વિશિષ્ટ શક્તિ ધરાવતા લોકોની વાત દર અઠવાડિયે રજૂ થતી હતી. દર હપ્તે રજૂ થનાર વ્યક્તિની વિશિષ્ટ શક્તિની એક પછી એક, અઘરામાં અઘરી કસોટીઓ લેવામાં આવે અને છેલ્લે તેમની એ શક્તિનું વૈજ્ઞાનિક ઢબે પૃથક્કરણ કરવામાં આવે.

શરીર બહુ કમાલની ચીજ છે. ડીએનએનાં મ્યુટેશન સહિત બીજાં પરિબળોને કારણે કોઈ કોઈ જણમાં વિશિષ્ટ શક્તિઓ નીપજી આવે એવું બિલકુલ શક્ય છે. પણ એ સિરીઝમાં આવતા લોકો એટલા ઈમાનદાર હતા કે તે પોતાની શક્તિને ચમત્કાર ગણાવતા ન હતા ને અંધશ્રદ્ધાનું પ્રદૂષણ ફેલાવતા ન હતા.

ધારો કે, પ્રહ્લાદ જાની આવી કોઈ શક્તિ ધરાવતા પણ હોય (જેના કશા શ્રદ્ધેય પુરાવા હજુ સુધી મળ્યા નથી અને હવે મળે એમ નથી) તો પણ, તે માતાજીના નામે ચલાવવામાં આવે ત્યારે તૂત જ બની રહે છે. તેમની આવી કથિત શક્તિથી સમાજને કશો ફાયદો થતો નથી. ઉલટું, અંધશ્રદ્ધાની લાંબી પરંપરામાં વધુ એક મણકો ઉમેરાય છે અને એ રીતે સમાજની કુસેવા જ થાય છે. એ કુસેવામાં પોતપોતાના ક્ષેત્રના નિષ્ણાતો પણ ભળે ત્યારે ‘એ દેશની ખાજો દયા..’ સિવાય બીજું શું યાદ આવે?
***
ગઈ કાલે  'માતાજી' ના અવસાનના સમાચાર આવ્યા ત્યારે તેમને અંજલિ આપતાં મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ લખ્યું
"ચૂંદડીવાળા માતાજી ( શ્રી પ્રહલાદભાઈ જાની ) ના નિધનથી દુઃખની લાગણી અનુભવું છું. વર્ષો સુધી અન્ન અને જળ ન લેનાર ચૂંદડીવાળા માતાજી વૈજ્ઞાનિકો માટે પણ સંશોધનનો વિષય હતા. પરમકૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. જય અંબે..."

માનનીય મુખ્ય મંત્રીએ ફોડ ન પાડ્યો કે વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું કે નહીં અને કર્યું તો શું પરિણામ આવ્યું. પંદર વર્ષમાં નેતાઓ ન જ સુધર્યા. અને હવે તો નહીં સુધરવાનો લાભ એટલો મોટો છે કે 'હમ નહીં સુધરેંગે' એ માત્ર જડતા નહીં, વ્યૂહરચના પણ હોય છે.

1 comment:

  1. Hiren Joshi USA5:01:00 PM

    Your articles are eye opener if someone wants to see the truth. In India it is a mob mentality especially while worshiping religious clan or its promoter. It has been going on for years and will hardly changed!

    ReplyDelete