Thursday, September 12, 2019

લદ્દાખ, ‘જિપ્સી’ અને હર્ષલ પુષ્કર્ણાઃ ગુજરાતી પત્રકારત્વની વિશિષ્ટ ઘટનાઓનો સંગમ

સારા કાર્યક્રમોને મોટે ભાગે ચોક્કસ લાગણી સાથે સાંકળી શકાતા હોય છે. સાડા છ વર્ષ પહેલાં થયેલા સાર્થક પ્રકાશનના આરંભના કાર્યક્રમને યાદ કરતી વખતે મનમાં થતી પહેલી લાગણી રોમાંચની છે. તેની પણ પહેલાં ૨૦૦૮માં અનેક ગુરુજનો-પ્રિયજનોની સક્રિય સહભાગિતા સાથે યોજાયેલી મારી મોક કોર્ટ સાથે સંકળાયેલો છેઃ અંતરના ઊંડાણ સુધી ટાઢક પહોંચાડનારો સંતોષ. હમણાં યોજાયેલી પ્રકાશભાઈ (ન. શાહ)ની મોક કોર્ટ યાદ કરું ત્યારે મનમાં આવતો પહેલો શબ્દ છેઃ ‘ધમાલ’ એવી જ રીતે, ૧ સપ્ટેમ્બર, ૨૦૧૯ની સાંજે હર્ષલ પુષ્કર્ણાએ યોજેલા કાર્યક્રમના અંતે ફક્ત મારા મનમાં જ નહીં, મોટા ભાગના લોકોના મનમાં ઉભરી આવેલી લાગણી હતીઃ ગરિમા. ગ્રેસ.

નિમંત્રણમાં કરાયેલી જાહેરાત પ્રમાણે કાર્યક્રમ ત્રેવડી ઉજવણીનો હતોઃ 1) પત્રકારત્વમાં હર્ષલનાં ત્રીસ વર્ષ 2) ગુજરાતના એકમાત્ર અને અનન્ય પ્રવાસ માસિક 'જિપ્સી'નું એક વર્ષ 3)  નવા પુસ્તકનું પ્રાગટ્ય.

નવજીવન ટ્રસ્ટના પરિસરમાં આવેલા જિતેન્દ્ર દેસાઈ સ્મૃતિ હોલમાં રવિવારની સાંજે નજીકથી તેમ જ દૂર દૂરથી ચાહકો-સ્નેહીઓ-શુભેચ્છકો આવવા માંડ્યા હતા અને છેવટે તો હોલ ભરચક થઈ ગયો. શરૂઆતમાં પાંચ-સાત મિનીટ હર્ષલની પત્રકારત્વની યાત્રા અને બાવીસ-ત્રેવીસ વર્ષ પહેલાં નગેન્દ્રભાઈ થકી અમારો નાતો શી રીતે જોડાયો તેની, ૧૯૯૮માં અમદાવાદના ‘સીટીલાઇફ ન્યૂઝ’ મેગેઝીનમાં સાથે કામ કરવાના અનુભવોની અને બીજી થોડી વાતો થઈ.  ત્યાર પછી હર્ષલે તેની સ્ટાઇલના, સંપૂર્ણપણે ટેકારૂપ અને જરાય નડતરરૂપ નહીં એવા પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશનથી દોઢેક કલાક સુધી વિગતે વાત કરી.
યાદગાર પ્રસંગનું સ્મૃતિ-અંકનઃ હર્ષલ પુષ્કર્ણા, હમસફર ફાલ્ગુની અને પુત્ર પરંતપ
L to R : Harshal Pushkarna, wife Falguni and son Parantap

કૌટુંબિક પરંપરા, દાદા વિજયગુપ્ત મૌર્ય તરફથી પિતા નગેન્દ્ર વિજયને અને પિતા નગેન્દ્ર વિજય તરફથી પોતાને મળેલા વાચનના સંસ્કાર અને વાતાવરણ, શાળાકીય ઔપચારિક અભ્યાસમાં અરુચિ,  ‘ભૌતિક વિજ્ઞાન એટલે શું?’ એવો પાયાનો સવાલ પૂછવા બદલ સ્કૂલમાં મળેલી સજા અને સાથે વિજ્ઞાનમાસિક ચલાવતા પિતાના ચિરજીવીને આટલી પણ ખબર નથી‘ એવો ટોણો, પિતાજીની વિગતવાર અને ચકિત કરનારી સમજૂતી, જિજ્ઞાસાનો આરંભ..... ધીમે ધીમે ‘સફારી’ની ઓફિસે જવાનું શરૂ થયું. પહેલાં તો સ્ટાફ માટે ચા લઈને. પછી ઓફિસકામ. સાયકલ કે લુના પર બેસીને ફેરિયાઓને મેગેઝીન પહોંચાડવાં, ઉઘરાણી કરવી...ભૂતકાળની આ બધી વાતો હર્ષલ કરતો હતો, ત્યારે સામે બેઠેલાંમાંથી ઘણાંને ફક્ત સાંભળવાની નહીં, જોવાની અનુભૂતિ પણ થઈ હશે.

 ‘સફારી’ ઓફિસના માહોલમાં લખવાની ઇચ્છા ન થાય તો જ નવાઈ. બીજા લોકોને ગઝલ લખવાની ઇચ્છા થાય, તે વયે હર્ષલને વિજ્ઞાનલેખ લખવાનું મન થયું. નગેન્દ્રભાઈએ પહેલાં તો બે-ચાર વાર કહ્યું, ‘હજુ વાંચ.’ પછી એક વાર લખવાની હા પાડી. રજા તો મળી ગઈ, પણ પછી વાચન વિના લેખ લખતાં કેવો પરસેવો પડી ગયો અને તેના પગલે વાચનનું મહત્ત્વ સમજાયું, તેની વાત હર્ષલે સરસ રીતે કરી. એવી રીતે, પહેલો લેખ લખવામાં અને શરૂઆતના તબક્કામાં દાદા વિજયગુપ્ત મૌર્ય તરફથી મળેલા ઉપયોગી માર્ગદર્શનનું પણ ભાવસ્મરણ કર્યું.

‘સફારી’માં તંત્રીના પુત્ર હોવું એ લાયકાત ગણાતી ન હતી. કશું હોદ્દાની કે સગપણની રૂએ ન મળે. તેના કારણે દરેક તબક્કે તેનું ઘડતર થયું-નગેન્દ્રભાઈનાં લખાણ વાંચીને, તેમને કામ કરતા જોઈને અને બહારના સંજોગોથી-વાસ્તવિકતાથી ટીપાઈને પણ. ‘સફારી’માં દાખલ થયા પછી, તેની સામગ્રી આટલી મજબૂત હોવા છતાં બે પાંદડે થવાને બદલે આર્થિક સંઘર્ષનો છેડો કેમ આવતો નથી, તેનું પ્રાથમિક કારણ હર્ષલે શોધ્યું, તોતિંગ વ્યાજે લીધેલાં નાણાં ચૂકતે કર્યાં અને ‘સફારી’ ને આર્થિક સ્થિરતા આપવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી. નગેન્દ્રભાઈ તેમની બધી શક્તિ લખવામાં કેન્દ્રીત કરી શકે, એવું વાતાવરણ સર્જવાની તેની નેમ હતી અને એમાં તે સફળ પણ થયો.  મેગેઝીન ઉપરાંત થયેલાં અનેક પ્રકાશનોએ ‘સફારી’નો વાવટો ફરકાવી દીધો. ત્યારથી શરૂ થઈ સફળતાના રાજમાર્ગ પરની સફર. પરંતુ તેમનું ધ્યેય આર્થિક સફળતાથી ઓડકાર ખાઈને બેસી જવાને બદલે, વાચકોને વધુ ને વધુ શું આપી શકાય એ વિચારવાનું હતું.

નગેન્દ્રભાઈએ ૧૯૯૮માં એક બિલ્ડર-ફાઇનાન્સરના પ્રેમાગ્રહથી 'સિટીલાઇફ ન્યૂઝ' પાક્ષિક કાઢ્યું.  મારા માટે તે ત્રણ વર્ષ પહેલાં શરૂ થયેલી કારકિર્દીનો પહેલો અને મહત્ત્વનો-સુખદ ટર્નિંગ પોઇન્ટ હતો. હર્ષલ માટે તે સ્વતંત્ર અસાઇન્મેન્ટ હતું. મોટે ભાગે અમે બંને એ કાઢતા. શરૂઆતના અંકો પછી તંત્રી તરીકે નગેન્દ્રભાઈનું નામ આવતું હોવા છતાં, અમારો સ્વતંત્ર હવાલો રહેતો. હર્ષલે 'સીટીલાઇફ'ના દિવસો યાદ કરીને એ વખતની અમારી એક યાદગાર સમુહ તસવીર બતાવીને કહ્યું કે 'સીટીલાઇફ' ભલે થોડું ચાલ્યું, પણ તેમાંથી એ તનાવને બદલે હળવાશથી કામ કરવાનું શીખ્યો.

'સીટીલાઇફ' પછી તરતના અરસામાં હર્ષલે સ્વતંત્ર રીતે કરેલું પહેલું પ્રકાશન હતુંઃ 20th Century: ઐતિહાસિક સદીની પચાસ અજોડ ઘટનાઓ. તેના લેખનમાં હર્ષલ સાથે હું અને હિમાંશુ કીકાણી સંકળાયા હતા. એકાદ લેખ નગેન્દ્રભાઈના 'ફ્લેશ'ના સમયના સાથી (હવે દિવંગત) દિવ્યેશભાઈ વ્યાસે પણ લખ્યો હતો. સંપાદન સંપૂર્ણપણે હર્ષલનું. એ પ્રકાશન ઘણું સફળ થયું અને હજુ પણ તેની માગ ઓસરી નથી. એવી જ રીતે, આઠેક વર્ષ સુધી હર્ષલે અંગ્રેજી 'સફારી' સફળતાપૂર્વક પ્રગટ કર્યું. પ્રકાશન વ્યવસાયનાં બદલાયેલાં સમીકરણો અને મોટા ખેલાડીઓ દ્વારા અપનાવાતી તરકીબોને કારણે, ખાસ્સો સંઘર્ષ વેઠ્યા પછી, પણ અંગ્રેજીમાં અંગ્રેજીના વાચકોને ગમે તેવું માસિક ગુજરાતમાંથી કાઢ્યાનો સાર્થક સંતોષ લઈને આઠેક વર્ષ પછી હર્ષલે તેનું પ્રકાશન આટોપી લીધું.  હવે એ તેના ત્રીજા અવતારમાં ફરી પ્રગટ થયું છે.

ઉત્તરોત્તર સફળતાનાં અને આર્થિક સ્થિરતાનાં નવાં શીખરો સર કરવાની નગેન્દ્રભાઈ અને હર્ષલની યાત્રા કોઈ પણ વાચનપ્રેમીની-જ્ઞાનવિજ્ઞાનપ્રેમીની આંખ ઠારે એવી હતી. પરંતુ થોડા સમય પહેલાં તેમાં ખટકો આવ્યો. એવા સંજોગો નિર્માયા કે હર્ષલે લગભગ ત્રણ દાયકા જ્યાં સૂઝ-સજ્જતા અને સંપૂર્ણ સમર્પણથી કામ કર્યું, એ જ 'સફારી' છોડવાનું કહેવામાં આવ્યું.  માત્ર 'સફારી' જ નહીં, ઘર અને ઓફિસ પણ.  ત્રણ દાયકાની કામગીરીની જે કંઈ ભૌતિક ઉપલબ્ધિ હતી, તે છીનવાઈ ગઈ. આ હકીકત જીરવવાની ને જીવવાની કઠણાઈની તો વાત જ ક્યાં, તે શબ્દોમાં મૂકવી પણ કેટલી કાઠી પડે?
હર્ષલ પુષ્કર્ણા / Harshal Pushkarna
પરંતુ કાર્યક્રમમાં આ વાત કરતી વખતે હર્ષલે રજમાત્ર કડવાશ વિના, આશ્ચર્યજનક લાગે એટલી સ્વસ્થતાથી અને શાલીનતાથી વાસ્તવિકતાનું વર્ણન કર્યું. અફસોસ પ્રગટ કર્યો તો પણ એ વાતનો કે આવા આઘાતજનક બનાવને લીધે 'સફારી'ની બીજી ભાષાની આવૃત્તિ કાઢવાથી માંડીને બીજાં કેટલાંક વાચકલક્ષી આયોજનો વિચાર્યા હતાં, તે રહી ગયાં.

૪૪ વર્ષની વયે, પોતે પણ જેમાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હોય તે છોડી દેવું પડે અને ભાડાના ઘરમાં, ભાડાની ઓફિસમાં, આર્થિકથી માંડીને કારકિર્દીની રીતે નવેસરથી એકડો ઘૂંટવાનો આવે તે સ્થિતિની કલ્પના કરવી અઘરી છે. પરંતુ છેલ્લા એકાદ વર્ષથી તેને આ સ્થિતિમાંથી પસાર થતો અને છતાંય ફરિયાદ કે કડવાશના કોઈ ભાવ વિના, ગજબની સ્થિતપ્રજ્ઞતાથી હંમેશની જેમ કામ કરતો જોયો છે. નથી કોઈ પ્રત્યે અનાદર, નથી હરાવી-હંફાવી દેવાનું ઝનૂન. એટલે જ આવા વિપરીત સંજોગોમાં તેને  ગુજરાતનું પહેલું પ્રવાસ સામયિક કાઢવા જેવો મૌલિક આઇડીયા આવી શક્યો છે. તેની ઝીણવટભરી બ્લુ પ્રિન્ટ તૈયાર કરવા અને તેને ઉત્તમ રીતે અમલમાં મૂકવા સિવાય બીજી ચર્ચામાં જાણે તેને રસ જ નથી.  'જિપ્સી'ની ઓફિસમાં એક ઓફિસ આસિસ્ટન્ટ સિવાય બીજું કોઈ નથી. હર્ષલની અડીખમ સાથી ફાલ્ગુની અને હવે કોલેજમાં ભણતો પુત્ર પરંતપ તેની પડખે છે અને એ સિવાય સેંકડોની સંખ્યામાં વાચકો-શુભેચ્છકો. એ બધાનો હર્ષલે કાર્યક્રમમાં ખરા દિલથી આભાર માન્યો. કપરા સંજોગોમાં સાથ આપવા બદલ કૃતજ્ઞતા પણ વ્યક્ત કરી.

***
વર્ષ ૨૦૧૪ની દિવાળીમાં માં હર્ષલ લદ્દાખ ફરીને, તેના પ્રેમમાં પડીને આવ્યો, ત્યારે એ પ્રવાસ અંગે અમારે વિગતે વાત થઈ હતી. તેના આધારે મેં હર્ષલને 'સાર્થક જલસો' માટે લદ્દાખના પ્રવાસની વાત લખી આપવા આગ્રહ કર્યો. પોતાનો ઉલ્લેખ આવતો હોય એવાં લખાણ લખવામાં તેને કેટલી તકલીફ હતી એ હું જાણતો હતો. અમારી ઘણીખરી મિત્રમંડળી પણ એ માટે બહુ ઉત્સાહી નથી હોતી. પણ તેને 'સાર્થક જલસો'ની સમજ વિશે વાત કરીઃ 'આપણો વાંધો આઇ કેપિટલ રાખવા સામે છે. એમ કરવાથી લેખ આપવડાઈથી ગંધાઈ ઉઠે. પણ આઇ સ્મોલ રાખીએ તો એ જ વાત લેખની તાકાત બની જાય છે. કેમ કે, લેખમાં અધિકૃતતા ઉમેરાય છે. ' આવી ચર્ચા પછી તેણે તેની કારકિર્દીનો એ પ્રકારનો કદાચ પહેલો લેખ સાર્થક જલસો-૪ માં લખ્યો.  'જલસો'રીતિ પ્રમાણે, તે પૂરાં પચીસ પાનામાં પથરાઈને પ્રગટ થયો. આમ, હર્ષલનાં સ્મોલ આઇ કેન્દ્રી લખાણો અને લદ્દાખના લેખ સાથે એક પ્રકારનો અનુબંધ હતો. તેથી કાર્યક્રમમાં પ્રગટ થનારું પુસ્તક લદ્દાખ વિશેનું છે, તે જાણીને વિશેષ આનંદ થયો. (ત્યાં સુધી મને પણ ખબર ન હતી કે પુસ્તક શાના વિશેનું છે.) ત્યાર પહેલાં હર્ષલે તેના જ નહીં, ભારતીય પત્રકારત્વ-લેખનમાં અનન્ય કહી શકાય એવા પુસ્તક 'આ છે સિઆચેન’, તેના જ વિસ્તાર તરીકે શરૂ કરેલી 'સિઆચેન જનજાગૃતિ ઝુંબેશ' અને બીજા ખ્યાતિપ્રાપ્ત પુસ્તક 'પરમવીર ચક્ર'ની પણ વાત કરી. પરમવીર ચક્ર બાના સિંઘ સાથેની તેની મુલાકાતની વિડીયો પણ જોવા મળી.

પુસ્તકના વિમોચન માટે હર્ષલે યોગ્ય રીતે જ, લદ્દાખ કરતાં પણ વધારે કઠણ સફરમાં સરખા હિસ્સાનો સાથ આપનાર પત્ની ફાલ્ગુનીને બોલાવી. બંનેએ મળીને ‘ચાલો લદ્દાખ’ પુસ્તકનું અનાવરણ કર્યું, ત્યારે મારા જેવા ઘણાની આંખ આનંદથી ભીની થઈ હશે. એવી જ રીતે હર્ષલે 'જિપ્સી'નો બારમો અંક પણ ઝાઝી ઔપચારિકતા વિના રજૂ કર્યો અને છેલ્લે 'જિપ્સી' આઉટડોર્સની વાત કરી.  (પુસ્તક અને જિપ્સીના અંકો મેળવવા માટેની લિન્કઃ http://iamgypsy.in/)
હર્ષલ પુષ્કર્ણા- ફાલ્ગુની પુષ્કર્ણા

Harshal Pushkarna- Falguni Pushkarna releasing a book
on Ladakh

અંતે ફરી એક વાર તેણે દાદા અને પિતા પાસેથી મળેલા વારસાનો કૃતજ્ઞતાપૂર્વક ઉલ્લેખ કર્યો અને ભવિષ્યમાં પણ નવું-અવનવું કરતા રહેવાની ખાતરી આપી. કેમ કે, તેનું ચાલકબળ નાણાં નહીં, પણ પ્રવૃત્તિ અને તેમાંથી પેદા થતી સાર્થકતાની લાગણી છે.

કાર્યક્રમના અંતે જોવા મળેલા, કાર્યક્રમની ગરિમાને અનુરૂપ એવા એક દૃશ્યથી સમાપન કરવું જોઈએ, એક બાજુ ગરમાગરમ દાળવડાંનું ટેબલ હતું ને બીજી તરફ 'જિપ્સી'ના બારમો અંક તથા 'ચાલો લદ્દાખ' પુસ્તકનું. ક્યાં વધુ ગીરદી થઈ હશે. તમે કલ્પી શકો છો. છતાં, જોઈને તેનો આનંદ માણવા માટે આ તસવીરો.
કાઉન્ટરઃ દાળવડાનું...

કાઉન્ટરઃ પુસ્તકોનું-સામયિકનું

4 comments:

  1. હું પણ ત્યાં હાજર હતો એ વાત પર મને ઘણી ખુશી થઈ હર્ષલ ભાઈ તથા આપને મળવાનો ખૂબ આનંદ થયો. ખરેખર હર્ષલ ભાઈ નું મન ખૂબજ શાંત અને વિચારશીલ છે જે તેમને દરેક આફતો માંથી બહાર કાઢવાનું જ નહીં પણ સફળતાના શિખરો પર પહોંચાડે છે અને આપના જેવા ઉમદા મિત્રો તો તેમાં ચાર ચાંદ લગાવી દે છે. ચાલો લદાખ પુસ્તક મેં વાંચ્યું અને ખરા અર્થ માં માણ્યું છે.ભવિષ્યમાં પણ આવા પુસ્તકો રૂપી જ્ઞાન ફેલાવતા રહે તેવી શુભેચ્છાઓ

    ReplyDelete
  2. Sache j... maan thai gayu

    ReplyDelete
  3. આ અહેવાલ લખવા માટે આપનો ખુબ-ખુબ આભાર !

    હર્ષલભાઈ ને રજુઆત કરી જ ચુક્યા છે, પણ તમારા થકી ફરી વાર, જો તમે આ કાર્યક્રમ નું રેકોર્ડીંગ એમના વાચકો/ચાહકો માટે ઉપલબ્ધ કરાવી શકો તો આપની ખુબ મહેરબાની રહેશે.

    ReplyDelete
  4. આ કાર્યક્રમમાં હાજર રહેવા પાલઘર (મહારાષ્ટ્ર) થી હું ખાસ આવ્યો અને કાર્યક્રમ માણી આટલે દૂર આવવાનો ફેરો વસુલ થયો. ગાડીનું સ્ટેયરીંગ પોતાની પાસે કેમ હોવુ જોઈએ તે પોતાના અનુભવથી હર્ષલભાઈ એ બખૂબી થી સમજાવ્યું.આ લેખ વાચતા, આજે 3 વર્ષ બાદ પણ કાર્યક્રમ ની એ ક્ષણો યાદ આવી ગઈ. ધન્યવાદ.

    ReplyDelete