Tuesday, June 13, 2017

‘...તો મંટો આજ મરનેકો તૈયાર હૈ'

(મંટો વિશેના લેખનો પહેલો ભાગઃ મેરે દિમાગકી જેબેં અભી ખાલી નહી હુઈઃ મંટો)

વિશ્વના શ્રેષ્ઠ વાર્તાકારોમાં જેની ગણના થાય છે તે મંટોએ મુંબઈની હિંદી ફિલ્મકંપનીઓ માટે ઘણું કામ કર્યું હતું. વાર્તાકાર તરીકે ત્યારે મંટોનું નામ જાણીતું થઈ ચૂક્યું હતું, પણ ટૂંકી વાર્તાઓ પર લાંબું ન ચાલે. એટલે ફિલ્મી લેખન રોજગારીના ભાગરૂપે હતું. કવિ-લેખક-નાટ્યકાર અહમદ નદીમ કાસમીને લખેલા પત્રોમાં આ અંગે મંટોના વિચારો અને વ્યાવસાયિક બનવાના પ્રયાસનું બયાન મળે છે.

Manto / મંટો
અહમદ નદીમ કાસમી 

ફિલ્મલાઈનમાં રૂપિયા સારા મળતા હોવાથી મંટો કાસમીને સતત મુંબઈ આવી જવા આગ્રહ કરતા હતા--અને કાસમી માટે ફિલ્મોમાં ગીતો ને સીન લખવાનું કામ શોધતા હતા. 'કીચડ' ઉર્ફે MUD મંટોએ ફિલ્મ માટે લખેલી સ્ટોરી હતી. તેના વિશે જાન્યુઆરી, ૧૯૩૯ના પત્રમાં મંટોએ કાસમીને લખ્યું હતું, ‘MUDમેં આપકો બહુતસી નયી ચીજેં નઝર આયેંગી. 'નયા કાનૂન' કે ઉસ્તાદ મંગૂકી ઝલક આપકો નથ્થૂકે કૈરેક્ટરમૈં મિલેગી. ફિર મૈંને અપને હર કૈરેક્ટરકે ઉસકી બુરાઈયોં ઔર અચ્છાઇયોં સમેત પેશ કિયા હૈ. અગર યે સ્ટોરી ફિલ્માયી ગયી ઔર ડાયરેક્શન ઉસ ચીજકો બરકરાર રખ સકી જો મેરે સીનેમેં હૈ તો મેરા ખ્યાલ હૈ કિ આપ મેરે MUDમૈં સારા હિન્દોસ્તાન દેખ લેંગે.’

આ ફિલ્મનાં ગીત કાસમી લખે એવું મંટો ઇચ્છતા હતા. એપ્રિલ, ૧૯૩૯ના પત્રમાં તેમણે કાસમી સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો અને સાથે મૂળ કથા પણ મોકલી આપી. પરંતુ એ બન્ને બાબતો શક્ય બની નહીં. કાસમીએ મોકલેલાં કેટલાંક ગીત મંટોને પસંદ ન પડ્યાં. તેમાંથી એક ગમ્યું, તે સંગીતકાર રફીક ગઝનવીને તર્જ બનાવવા આપી દીધું અને બીજાં ફરી લખી આપવા કહ્યું. પરંતુ જુલાઈ ૧૯૩૯ના પત્રમાં મંટોએ લખ્યું, ‘મુઝે બેહદ અફસોસ હૈ કિ અબ યે ગીત ફિલ્મમેં શામિલ નહીં કિયે જા સકેંગે ઇસલિએ કિ મૈંને ફિલ્મકી પ્રોડક્શનમૈં દિલચસ્પી લેના છોડ દિયા હૈ. ડાયરેક્ટર સાહબકો મેરા મુકાલમા (સંવાદ) પસંદ નહીં આયા. વહ કહતે હૈં કિ જો કુછ તુમ લિખતે હો, મેરી સમઝસે બાલાતર હૈ...મૈં બહુત ખુશ હૂં કિ રોજ રોજકે ઝગડોંસે નિજાત મિલી ઔર વહ ખુશ હૈં ઉનકો મેરી જિરહ (ઉલટતપાસ)કા સામના નહીં કરના પડેગા. ચૂંકિ મુકાલમા કોઈ ઔર લિખ રહા હૈ, ઇસલિએ મૈંને આપકે ગીત પેશ કરના મુનાસિબ નહીં સમઝા... ’

આ ફિલ્મ રજૂ થઈ, પણ તેણે ખાસ કશું ઉકાળ્યું નહીં.  વાર્તામાં થયેલા અઢળક ફેરફારોથી મંટોને બહુ દુઃખ થયું હતું, પણ 'ફોટોગ્રાફી ને કેટલાક એક્ટરોની એક્ટિંગ સારી છે'  એવું તેમણે કાસમીને લખ્યું. ફિલ્મલાઇનમાં સંપર્કો હોવાને કારણે મંટો બીજેથી પણ કાસમી માટે કામ શોધી લાવતો હતો. જાન્યુઆરી, ૧૯૪૦ના પત્રમાં મંટોએ કાસમીને વિ.સ.ખાંડેકરની 'ધર્મપત્ની’ શીર્ષક ધરાવતી ફિલ્મી સ્ટોરી મોકલી અને કહ્યું કે તેના સંવાદ લખવાનું કામ કેદાર શર્માને સોંપાયું હતું. પણ એ પ્રોડ્યુસરને ગમ્યા નથી. એટલે તમને લખવા મોકલું છું. સંવાદ લખવા વિશે કાસમીને સલાહસૂચનો આપીને મંટોએ લખ્યું હતું, ‘બરાહે કરમ યે કામ ખૂબ મહેનતસે કીજિયેગા. મેરી ખ્વાહિશ હૈ કિ આપ ફિલ્મી લાઇનમેં આયેં ઔર અપના નામ રૌશન કરેં.’

ગુજરાતી-હિંદી-ઉર્દુ નાટ્યકાર અસલમ પરવેઝ દ્વારા સંપાદિત 'મંટોકે ખત'માં મહત્તમ (૯૨) પત્રો અહમદ નદીમ કાસમી પર છે. તેમાં મંટોની કેટલીક ટૂંકી વાર્તાઓ અને ફિલ્મી કથાઓના સર્જનસમયના અણસાર મળે છે. જાન્યુઆરી, ૧૯૪૦ના પત્રમાં જ મંટોએ પોતાના મનમાં રહેલી એક વાર્તા વિશે લખ્યું છે, જેનું શીર્ષક 'પડોસ’ રાખવાનો મંટોનો વિચાર હતો. હિંદુ-મુસ્લિમ વિખવાદ વિશેની એ વાર્તાનો કેન્દ્રીય વિચાર મંટોએ પત્રમાં આ શબ્દોમાં લખ્યો હતો, ‘...ચૂંકિ મસ્જિદ ઔર મંદિરમેં ઇન દોનોં કૌમોકા મિલાપ મુહાલ હૈ ઇસલિએ મૈંને એક ઐસા પ્લેટફાર્મ ઢૂંઢા હૈ, જહાં યે દોનો મિલ સકતે હૈં, યા મિલતે રહતે હૈં. યહ પ્લેટફાર્મ વેશ્યાકા મકાન હૈ જો ના મંદિર હૈ ઔર ન મસ્જિદ. બસ ઇસી મકાન પર મૈં અપને સારે અફસાનેકા બોઝ ડાલના ચાહતા હું. ’

આવી જ એક અજાણી અને કદાચ ન બનેલી ફિલ્મ STEEL વિશે પણ મંટોના પત્રમાંથી જાણવા મળે છે. સપ્ટેમ્બર, ૧૯૪૦ના પત્રમાં મંટોએ લખ્યું હતું,’ઇસકો ફિલ્માનેકા ફૈસલા કર લિયા ગયા હૈ. મુઝે ઇસકે છઃ સૌ રૂપયે મિલેંગે. (ઇસકા જિક્ર કિસીસે ન કિજિયેગા) દોસૌ વસૂલ કર ચૂકા હું. દૂસરે અલફાઝમેં જો કર્જ મેરે સર પર થા મૈંને ઇન રૂપયોંસે ઉતાર દિયા હૈ.’ એક પત્રમાં મંટોએ 'જેબકતરા' એ શીર્ષક હેઠળ ફિલ્મી વાર્તા લખવાનો ઇરાદો જાહેર કરીને કાસમીને પૂછ્યું હતું, (આ) કેવું નામ છે?

પહેલી બોલતી ફિલ્મ 'આલમઆરા' બનાવનાર ઇમ્પીરિયલ મુવિટોને ભારતની પહેલી રંગીન ફિલ્મ 'કિસાનકન્યા' બનાવી, તેમાં સિનારિયો મંટોએ લખ્યો હતો.  મે, ૧૯૩૮ના મંટોના પત્રમાં એવો પણ ઉલ્લેખ મળે છે કે તેમની વાર્તા 'મુઝે પાપી કહો’ પરથી 'ઇમ્પીરિયલ'માં ફિલ્મનું શૂટિંગ ચાલે છે. આ વાત મંટોના મુંબઇમાં પહેલી વારના નિવાસની. વચ્ચે દિલ્હી આકાશવાણીમાં નોકરી કરી આવ્યા પછી તે ફરી મુંબઈ આવ્યા. એ વખતે એસ.મુખર્જીએ સ્થાપેલી સંસ્થા ‘ફિલ્મીસ્તાન’માં તેમણે નોકરી લીધી.  ફિલ્મી સિતારાઓ વિશેના મંટોના પુસ્તક 'ગંજે ફરિશ્તે’ની ઘણી સામગ્રી મંટોને ત્યાંથી મળી. ‘આઠ દિન’ જેવી ફિલ્મમાં મંટોએ નાનકડી ભૂમિકા પણ અદા કરી. પરંતુ ભાગલાના થોડા સમય પહેલાં મંટોએ કાસમીને લખ્યું હતું,’યહાં ફિલ્મીસ્તાનવાલોંસે મૈં કરીબ કરીબ નારાજ હો ચુકા હું. લાહૌરમૈં એક ફિલ્મસાઝ મુઝે એક હજાર રૂપયા માહવાર દેનેકે લિએ તૈયાર હૈ. સોચ રહા હું કિ ચલા જાઉં...’

ભાગલાનાં થોડાં વર્ષ પછી સોહરાબ મોદીએ મંટોની વાર્તા પરથી ભારતભૂષણ—સુરૈયાને લઈને બનાવેલી ફિલ્મ 'મિર્ઝા ગાલિબ’ (૧૯૫૪) બહુ વખણાઈ. રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો. પરંતુ ગાલિબની વિશે ફિલ્મની વાર્તા લખવાની મંટોની તૈયારીનો ઉલ્લેખ છેક સપ્ટેમ્બર ૧૯૪૦ના પત્રમાં મળે છે. 'તમે મુંબઈ હોત તો કેટલું સારું' નો ભાવ વધુ એક વાર પ્રગટ કરતાં કાસમીને લખ્યું હતું, ‘...મૈં ગાલિબકે નામસે એક ફિલ્મી કહાની લિખનેકા ઇરાદા કર રહા હૂં. આપ શાયર હૈં. અગર આપ યહાં હોતે તો મુઝે કિતની મદદ મિલતી મૈંને ગાલિબસે મુતાઅલ્લિક બહુતસી કિતાબેં ઇકઠ્ઠી કર લી હૈેં. ઔર ભી કિતાબેં જમા કર રહા હું. ’

આજીવન સ્વભાવપ્રેરિત અને સંજોગોપ્રેરિત સંઘર્ષ સામે ઝઝૂમેલા અને તેની વચ્ચે અમર કૃતિઓ રચી ગયેલા મંટોએ કાસમીને એક પત્રમાં લખ્યું હતું, 'અગર કોઈ સાહબ મેરે સાથ વાદા કરેં કિ વહ મેરે દિમાગમેંસે સારે ખ્યાલાત નિકાલ કર એક બોતલમેં ડાલ દેંગે તો મંટો આજ મરનેકો તૈયાર હૈ. મંટો, મંટોકે લિએ જિન્દા નહીં હૈ...મગર ઉસસે કિસીકો ક્યા? મંટો હૈ ક્યા બલા? છોડિયે ઇસ ફુજુલ કિસ્સેકો.. આઇયે કોઈ ઔર બાત કરેં.’

3 comments:

  1. Very Beautifully and nicely written about Manto. So many things and anecdotes became clear. Manto is Manto and there is nobody equal to him.
    In the future please write some thing about Sahir. He was also an unique character. Thanks for the nice article about Manto.

    ReplyDelete
    Replies
    1. મિત્ર અને ઉત્તમ લેખક દીપક સોલિયાએ સાહિર વિશે લાંબી શ્રેણી લખી હતી. તેમની ફેસબુક વૉલ પરથી કદાચ મળી શકે.

      Delete