Wednesday, February 08, 2017

વીસમી સદીની વિચારધારાઓને અલવિદા

માનવ ઇતિહાસમાં સદીઓ સુધી લોકો ધાર્મિક, સામ્રાજ્યસંબંધિત કે મર્યાદિત પ્રાદેશિક ઓળખ ધરાવતા હતા. ભારતની વાત કરીએ તો, રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યો થકી જુદા જુદા પ્રજાસમુહો વચ્ચે સાંસ્કૃતિક જોડાણ ઊભું થયું હતું, પણ તે જોડાણમાં રહેલી ભાવના રાષ્ટ્રભાવના કરતાં જુદી અને ધાર્મિક ભાવનાથી વધારે નજીક હતી.  ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મોમાં પણ ભૌગોલિક એકતા અને તેની વફાદારીને બદલે ધાર્મિક ઓળખની અને તેના આધારિત એકતાની બોલબાલા હતી.

અઢારમી સદીથી યુરોપમાં રાષ્ટ્રનું ભૌગોલિક એકમ, તેના પ્રત્યેની વફાદારી-ભક્તિ અને અંગત હિત કરતાં રાષ્ટ્રહિતને ચડિયાતું ગણવાનો આદર્શ પેદા થયાં. યુરોપનો રાષ્ટ્રવાદ (નેશનલિઝમ) 19મી-20૨૦મી સદીમાં એશિયામાં પણ આવ્યો. કવિઓ-લેખકો-આગેવાનોએ તેને અપનાવ્યો, એટલું જ નહીં, તેને ભૂતકાળના ઇતિહાસમાં લાગુ પાડ્યો. એટલે કે ભૂતકાળના ઇતિહાસને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાના વર્તમાન માળખામાં બેસાડીને રજૂ કર્યો.  ગુલામીની બેડીમાં જકડાયેલા દેશોના થોડા લોકોને રાષ્ટ્ર માટે ન્યોચ્છાવર થવામાં જીવનની સાર્થકતા જણાવા લાગી.

રાષ્ટ્રવાદની આ લાગણીમાં બીજી વિચારધારાઓ પાંગરવા માટે પ્રતિકૂળતા નહીં, બલ્કે ઘણી વાર અનુકૂળતા હતી.  માટે, વીસમી સદીમાં જોવા મળેલી સામ્યવાદ, ફાસીવાદ, નાઝીવાદ, ગાંધીવાદ, સમાજવાદ જેવી અનેક વિચારધારાઓ કે રાજકીય વાદો રાષ્ટ્રવાદના છત્ર નીચે પાંગરી. તેમાંથી કેટલાકે રાષ્ટ્રવાદને વિકૃતિ સ્વરૂપ આપવામાં-તેને બદનામ કરવામાં મોટો ફાળો આપ્યો. જેમ કે, લાખો યહુદીઓની ઠંડા કલેજે હત્યા કરનારા હિટલરનો નાઝીવાદ એ વખતે જર્મનીના બહુમતી લોકોના  રાષ્ટ્રવાદને પૂરક હતો.

વીસમી સદીના બીજા દાયકામાં રશિયાની ઝારશાહીને લોહીયાળ ક્રાંતિ દ્વારા દૂર કરીને રશિયામાં સામ્યવાદ સ્થપાયો. તેણે વીસમી સદીના મોટા હિસ્સા પર અને દુનિયાના ઘણા દેશો પર પોતાની અસર પાડી. વીસમી સદીના અંતભાગમાં સોવિયેત રશિયાના વિઘટનથી સામ્યવાદનાં વળતાં પાણી થયાં. ત્યાર પહેલાં ચીન સામ્યવાદ અને મૂડીવાદના વિચિત્ર મિશ્રણ જેવું આર્થિક-રાજકીય મોડેલ અપનાવી ચૂક્યું હતું, જેમાં એક જ પક્ષ (સામ્યવાદી પક્ષ) પાસે સત્તા હોય. ચીની સરકાર રશિયાના સામ્યવાદની જેમ લોખંડી સકંજો ધરાવતી હતી અને મૂડીવાદી કંપનીઓની જેમ ધંધાદારી હતી. સામ્યવાદીઓની સરખામણીમાં સમાજવાદીઓ આત્યંતિકતાથી દૂર અને મિજાજની રીતે વધારે લોકશાહીવાદી હતા. પણ તેમને તોડફોડ-હિંસાનો બાધ ન હતો. તે રાજ્યના હાથમાં બધી મિલકત રહે તેને બદલે, મિલકતની સમાન ધોરણે ફેરવહેંચણી થાય તેમાં માનતા હતા.

ભારતમાં ગાંધીજીએ બધા વાદોથી અલગ પોતાનો ચીલો ચાતર્યો.  તેમના અનુયાયીઓએ તેને ‘ગાંધીવાદ’ નામ આપ્યું. વર્તમાન ભારત સરકારે જેમ સ્વચ્છતા જેવી નિર્દોષ બાબતને ગાંધીવાદ તરીકે ખપાવી દીધી છે, તેમ જૂના વખતના ઘણા ગાંધીવાદી આગેવાનોએ દંભી સાદગી, ખાદીનો દુરાગ્રહ અને દંભી બ્રહ્મચર્યને ગાંધીવાદનો પર્યાય બનાવી દીધા.  સ્વાવલંબન, તેમાંથી પેદા થતી રોજગારી,  તેમાંથી નીપજતું ગ્રામસ્વરાજ, ગામડાંને જ્ઞાતિવાદથી ખદબદતાં બનાવતી અસ્પૃશ્યતાનો વિરોધ, હિંદુ-મુસ્લિમ એકતા પર ભાર, સાધનશુદ્ધિ, જાહેર જીવનમાં મહિલાઓની સક્રિય સામેલગીરી...આ બધાં ગાંધીજીનાં--અથવા કહો કે, ગાધીવાદનાં-- પ્રમુખ લક્ષણ ગણાય. પરંતુ એવા ગાંધીવાદના લેવાલ ઓછા જ રહ્યા--અને એ પણ સરકારી સ્તરે તો નહીં જ.

મૂડીવાદી ગણાતા અમેરિકામાં રૂઢિચુસ્ત અને પ્રગતિશીલ પરિબળો વચ્ચેનો સંઘર્ષ મુખ્ય રહ્યો. બે રાજકીય પક્ષો પણ એ આધારે વહેંચાયેલા રહ્યા. જેમ કે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી(GOP) તરીકે ઓળખાતા રીપબ્લિકન પાર્ટીના સરેરશ સભ્યો સજાતીય લગ્નો, ગ્લોબલ વોર્મિંગ, ઉત્ક્રાંતિવાદ વગેરેનો વિરોધ કરતાં હોય, જ્યારે સરેરાશ ડેમોક્રેટ્સનો આ બાબતો પ્રત્યેનો અભિગમ નવા જમાના પ્રમાણેનો હોય. રૂઢિચુસ્તોમાં પણ વળી જે એકદમ આત્યંતિક હોય તેવું જૂથ દસેક વર્ષ પહેલાં ‘ટી પાર્ટી’ તરીકે ઓળખાતું હતું. આ ‘ટી પાર્ટી’ના મુખિયા હોઈ શકે એવા ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક તો ઠીક, રીપબ્લિકન પક્ષના હરીફોને પણ મહાત કરીને, અમેરિકાનું પ્રમુખપદું મેળવી લીધું. તેમનો દાવો છે કે તે ‘અમેરિકા ફર્સ્ટ’માં માને છે.  આ અભિવ્યક્તિ મૂડીવાદ-મુક્ત બજાર સાથે સુસંગત હોય કે ન હોય, તેની ટ્રમ્પને પરવા નથી.  આખરે વાદ પ્રમાણે દેશ ચાલતો નથી, દેશ પ્રમાણે વાદ ઊભા થાય છેે.

ભારતમાં જવાહરલાલ નહેરુએ અમેરિકાને બદલે રશિયાનું આર્થિક મોડેલ અપનાવ્યું. પોતાના સમાજવાદી-આદર્શવાદી ખયાલોને કારણે, ૧૯૩૦ના દાયકાથી કોંગ્રેસમાં અલગ ચોકો ધરાવતો થયેલો સમાજવાદ નહેરુના જમાનામાં ચરમસીમાએ પહોંચ્યો. હિંદી પટ્ટાના ઘણા વર્તમાન નેતાઓ લોહિયા-જયપ્રકાશ જેવા સમાજવાદી નેતાઓનાં આંદોલનોની નીપજ છે. પરંતુ તેમને સમાજવાદના હાર્દ કે તેના સિદ્ધાંત સાથે એટલી જ લેવાદેવા છે, જેટલી (પેલા પ્રખ્યાત અવતરણ પ્રમાણે) માછલીને સાયકલ સાથે હોય. ભારતના સ્વતંત્રતા આંદોલનના અગ્રસ્થાને ગાંધીજી રહ્યા અને તેમના અનુયાયીઓએ સરકાર બનાવી, છતાં સત્તાવાર ઢબે ભારતને ગાંધીવાદ સાથે--તેનાં મૂળભૂત તત્ત્વો સાથે કશી લેવાદેવા ન રહી. પંડિત નેહરુએ સોવિયેત આર્થિક મોડેલ પ્રમાણે દેશને દોર્યો. તેમાં જાહેર સાહસો તરીકે ઓળખાતી મોટી કંપનીઓ સરકારની માલિકીની રહી અને ખાનગી ઉદ્યોગોને-મુક્ત બજારને-સ્પર્ધાને પ્રોત્સાહન આપવામાં આવ્યું નહીં. ઇંદિરા ગાંધીએ જૂની આર્થિક નીતિઓ અને સમાજવાદનો દંભી અમલ આગળ વધાર્યાં.

સોવિયેત રશિયાના વિઘટન પછી સામ્યવાદની ખોખલી દીવાદાંડી આખરે ધ્વસ્ત થઈ.  ભારતને આર્થિક ઉદારીકરણ માટે અર્થતંત્રના ભીડાયેલા દરવાજા ખોલવાની ફરજ પડી. સામ્યવાદના પતન પછી અમેરિકાના મોડેલની સર્વોપરિતા સ્થાપિત થયાનું ગણી લેવાયું. પરંતુ એક-દોઢ દાયકામાં અમેરિકાનું મોડેલ પણ પડી ભાંગ્યું. 2008ની મંદી અને પરદેશની ભૂમિ પર આક્રમણો કરીને વહોરેલી દેવાદારીને લીધે અમેરિકાનો સુપરપાવર વૈશ્વિક સ્તરે નબળો બન્યો. મુક્ત બજારમાં ગુણવત્તા અને ભાવની સ્પર્ધાથી સૌ સારાં વાનાં થશે, એવી મુક્ત બજારવાદીઓની આશા ફળી નથી.

આર્થિક અસમાનતામાં થતો વધારો--અને આઇ.ટી.ની શોધો પછી, મર્યાદિત ક્ષેત્રોને બાદ કરતાં વધતી જતી બેરોજગારી, એ બધી વિચારધારાઓને વળોટીને સામે આવી ઊભેલા સવાલ છે. તેના જવાબમાં ફરી કટ્ટર રાષ્ટ્રવાદ, પ્રોટેક્શનિઝમ (ખુલ્લાપણાના ભોગે દેશનાં આર્થિક હિતોના રક્ષણનો દાવો) અને બધી સમસ્યાઓનો ટોપલો એકાદ પરાયા જનસમુહ (‘ધ અધર’)ના માથે ઢોળવાની બોલબાલા ભારત-અમેરિકા જેવી લોકશાહીમાં પણ વધી રહી છે. આ વિશ્વવ્યવસ્થામાં વીસમી સદીના વાદો હવે દેખાડાપૂરતા પણ ઉપયોગી રહ્યા નથી અને અઢારમી સદીના યુરોપનો રાષ્ટ્રવાદ એકવીસમી સદીના મંચ પર ફરી મુખ્ય ભૂમિકામાં આવ્યો છે.

1 comment:

  1. તમારા લેખ સાથે સંપૂર્ણ સંમત થતાં સાથે મને જે એક બીક લાગી રહી છે એ પ્રદર્શિત કરવા માંગું છું. ચક્રનો નીચે તરફની દિશાનો આંટો ચાલુ થઈ ગયો છે કે શું? આ ગતિ ચાલુ રહી તો ઈદી અમીનો ઠેર ઠેર ફૂટી નીકળશે.

    ReplyDelete