Tuesday, February 04, 2014

રાહુલ ગાંધી : પુખ્તતા અને રીઢાપણા વચ્ચેની પસંદગી

રાહુલ ગાંધીના રાજકારણપ્રવેશને ભલે દસ વર્ષ થઇ ગયાં હોય, પરંતુ આટલા લાંબા અને બિનઉપજાઉ સમય પછી બીજા કોઇ નેતાને ભાગ્યે જ મળે એવી તક તેમની પાસે હતી. અર્ણવ ગોસ્વામીને આપેલા ટીવી ઇન્ટરવ્યુમાં રાહુલ ગાંધી પોતાની દસ વર્ષ લાંબી એપ્રેન્ટિસશીપ, અવઢવ અને અસફળતા ભૂલાવીને, નવેસરથી શરૂઆત કરી શકે એમ હતા. જો તે સાચી દિશામાં થોડા ખોંખારા ખાય તો ઘણા લોકો તેમની દસ વર્ષની ‘દૂધપાક’ કારકિર્દી નજરઅંદાજ કરવા તૈયાર હતા.

પરંતુ રાહુલે એ તક લીધી નહીં. તેમનાં દાદી ઇન્દિરાએ લાદેલી કટોકટી વખતે ભલે રાહુલ દૂધપીતા બાળક હોય અને શીખ હત્યાકાંડ વખતે નિર્દોષ કિશોર. પણ અત્યારે તે પારિવારિક સત્તાની સાથે આ બન્ને કલંકોનો પણ વારસો ધરાવતા કોંગ્રેસી નેતા છે. બીજા પરંપરાગત કોંગ્રેસી નેતા પાસેથી તો કશી અપેક્ષા ન હોય, પણ જુદા હોવાનો દાવો કરતા રાહુલ આ બાબતે શું કહી શક્યા હોત? કેવી રીતે આ બન્ને કલંકોની રાખમાંથી તે પક્ષને ફિનિક્સની જેમ બેઠો કરી શક્યા હોત? અથવા કમ સે કમ પક્ષને અને રાજકારણને નવી દિશા ચીંધી શક્યા હોત?

‘ધારો કે હું રાહુલ ગાંધી હોઉં તો’- એવી કોઇ બાળબોધી  નિબંધાત્મક કલ્પનાની આ વાત નથી, પરંતુ ઘણા નાગરિકો કોંગ્રેસ-ભાજપના રાજકારણથી ત્રાસ્યા છે. તેમાં સુખદ પરિવર્તન આવે એવું તે ઇચ્છે છે. આવા નાગરિકો સીસ્ટમને બદલવાની વાત કરતા રાહુલ ગાંધી પાસેથી કેવી અપેક્ષા રાખે, એ અસલ મુદ્દો છે. આ બાબત આદર્શ કે અવાસ્તવિક લાગે, તો એટલું યાદ રાખવું કે આમઆદમી પક્ષ મુખ્ય ધારાના રાજકારણમાં હરીફ તરીકે ઉભરી ચૂક્યો છે. ભલે હજુ તે અથડાતો-કૂટાતો-ખોડંગાતો લાગે, પણ કોંગ્રસ-ભાજપ તેને નજરઅંદાજ કરી શકે એમ નથી. (વઘુ માહિતી માટે મળો યા લખો : શીલા દીક્ષિત, ભૂતપૂર્વ મુખ્ય મંત્રી, નવી દિલ્હી)

આમઆદમી પક્ષ ‘સંતત્વના રાજકારણ’માં છે. આ પ્રકારના રાજકારણની અનેક મર્યાદાઓ છે. પોતે ઊભી કરેલી અપેક્ષાઓના અસહ્ય ભારથી તૂટી પડવું અને લોકોને (વિરોધીઓને) ૧૦૦માંથી ૭૦ ખૂબીઓને બદલે ૩૦ ખામીઓ ચગાવવાની કાયમી તક આપવી, એ પણ આ પ્રકારના રાજકારણની મર્યાદા છે. છતાં કોંગ્રેસ-ભાજપના રાજકારણની દુર્ગંધમાં ‘આપ’થી આવેલી એક પ્રકારની તાજી હવાનો અને કોંગ્રેસ-ભાજપ છાપ રાજકારણ સામે ઉભા થયેલા પડકારનો ઇન્કાર થઇ શકે નહીં. સરાહુલ સાવ સંતત્વના રાજકારણનું અપનાવી લે એવી અપેક્ષા નથી. પરંતુ એક નવોદિત (કે ‘અનુભવી નવોદિત’) તરીકે તે ચીલો ચાતરીને, અહીં જણાવ્યું છે એવું કશુંક કહી શક્યા હોત તો?

અપેક્ષિત અભિવ્યક્તિ

‘૧૯૭૫ની કટોકટી અને ૧૯૮૪ના હત્યાકાંડ સાથે મારે- રાહુલ ગાંધીને-  સીધો કોઇ સંબંધ નથી. મારી અને મારા પછીની યુવા પેઢીની મોટે ભાગે આવી જ સ્થિતિ હશે. એ વખત હું રાજકારણમાં પણ પ્રવેશ્યો ન હતો. છતાં કોંગ્રેસના વર્તમાન નેતા તરીકે, એક નવી શરૂઆતના ભાગરૂપે, ભૂતકાળની એ બન્ને ઘટનાઓ વિશે હું જરા ખુલીને વાત કરવા માગું છું. ચર્ચા કરવા માટે દેશની અનેક નીતિવિષયક બાબતોને બદલે બે લગભગ ભૂલાઇ ગયેલી કે રાજકીય હેતુ માટે જ યાદ કરાતી ઘટનાઓની શા માટે ચર્ચા કરવી જોઇએ? એવું કોઇને થાય. પણ મને લાગે છે કે આ બોજ હળવો થશે, તો તેની અસર બીજી ઘણી બાબતો પર પડશે. ખાસ કરીને અમારી વિશ્વસનીયતા અને ન્યાય માટેની પ્રતિબદ્ધતા દર્શાવવા માટે પણ મને એ જરૂરી લાગે છે.’

‘દાદીની હત્યાનો આઘાત મેં અંગત રીતે અનુભવ્યો છે ને તેમણે લાદેલી કટોકટી વખતે લોકશાહીની હત્યા થઇ હતી, તેનો આઘાત હું કલ્પી શકું છું. મહાન નેતાઓની ભૂલો પણ મહાન હોય છે, એવી કહેણી મને સાંભરે છે. સાથે એ પણ યાદ રાખવું જોઇએ કે કટોકટી પછીની ચૂંટણીમાં પોતે હારશે એ નક્કી હોવા છતાં, ઇંદિરા ગાંધીએ કટોકટીનો અંત આણીને ૧૯૭૭માં ચૂંટણી જાહેર કરી હતી. એ રીતે તેમણે પોતાની ભૂલ કબૂલી, ચૂંટણીમાં હાર સ્વરૂપે તેની શિક્ષા ભોગવી અને બતાવી આપ્યું કે બંધારણીય લોકશાહી વિના ભારતનો ઉદ્ધાર નથી.’

‘હવે વાત શીખવિરોધી હત્યાકાંડની. આજે એના વિશે વિચાર સુદ્ધાં કરતાં શરમ આવે છે. તેના માટે દેશના વડાપ્રધાન અને કોંગ્રેસી પ્રમુખ દિલગીરી વ્યક્ત કરી ચૂક્યાં છે. માફી પણ માગી ચૂક્યાં છે. છતાં, મારા પહેલા જાહેર ઇન્ટરવ્યુ થકી હું  શીખ સમુદાયની અંતઃકરણથી માફી માગું છું - ફક્ત કોંગ્રેસના હોદ્દેદાર તરીકે જ નહીં, ઇંદિરા ગાંધીના પૌત્ર તરીકે પણ. ૧૯૮૪ના હત્યાકાંડમાં ભોગ બનેલાઓને ન્યાય મળવામાં બહુ વિલંબ થયો છે. તેમાં સંડોવણીનો આરોપ ધરાવતા લોકો સાથે પૂરતી કડકાઇથી કામ લેવાયું નથી. કેટલાક હવે આ દુનિયામાં પણ નથી ને કેટલાક સામે કાયદેસર કામ ચાલી રહ્યું છે. જસ્ટિસ ડીલેઇડ ઇઝ જસ્ટિસ ડીનાઇડ, એવી ઉક્તિ હું પણ માનું છું.’

‘આ પ્રશ્ન રાજકીય ફાયદા-નુકસાનનો ન હોઇ શકે. હું એટલું જ કહેવા માગું છું કે આ દેશમાં ન્યાય સૌને મળવો જોઇએ અને શક્ય એટલો ઝડપથી મળવો જોઇએ. મને લાગે છે કે આ દેશની સીસ્ટમ બદલવાની શરૂઆત મારે મારા પક્ષથી કરવી જોઇએ. હું એટલી ખાતરી આપું છું કે  હત્યાકાંડનો ભોગ બનેલાને ન્યાય અપાવવામાં કોંગ્રેસ તરફથી કોઇ કસર નહીં રખાય અને ચાલી રહેલી ન્યાયપ્રક્રિયામાં તે જરૂર પડ્યે રાજકીય નુકસાન વહોરીને પણ સહકાર આપશે.’

૧૯૮૪ અને ૨૦૦૨સરાહુલ ગાંધીએ આ જાતની પહેલ કરી હોત તો ૧૯૮૪ની હિંસા અને ૨૦૦૨ની હિંસાને સામસામાં પલ્લામાં મૂકીને એકબીજાનાં પાપો સરભર કરવાના કોંગ્રેસી-ભાજપી રાજકારણનો અંત આવત અને ન્યાયી નાગરિક-કારણની દિશામાં દરવાજો ખુલ્યો હોત. પરંતુ તેમણે પણ ૧૯૮૪ની સાથે ૨૦૦૨ની સરખામણી કરીને પોતાના પક્ષને ગેરવાજબી રીતે બે આંગળ ઊંચો મૂકવાનો પ્રયાસ કર્યો. તેમની સઘળી નિર્દોષતાને આ બચાવે ખરડી નાખી.

૧૯૮૪ સાથે ૨૦૦૨ વચ્ચેનો ફરક સમજાવતાં તેમણે કહ્યું કે ‘૧૯૮૪માં સરકાર હુલ્લડબાજી અટકાવા બઘું જ કરી રહી હતી, જ્યારે ગુજરાતમાં સ્થિતિ સાવ અવળી હતી. સરકાર હુલ્લડબાજીને ફેલાવી રહી હતી. એટલે બન્ને વચ્ચે મોટો તફાવત છે.’સસામાન્ય યાદદાસ્ત અથવા થોડો અભ્યાસ ધરાવતી કોઇ પણ વ્યક્તિ સમજી શકશે કે રાહુલનું મૂલ્યાંકન કેટલું સગવડિયું અને ખોટું છે. તેમાં બહુચર્ચિત એવી નબળી અભિવ્યક્તિનો સવાલ નથી. (કોઇ નેતાનું કેવળ તેની અભિવ્યક્તિથી માપ કાઢવું, એ કોઇ કળાકારની અભિનયશક્તિ પરથી તેની રાજકીય આવડત નક્કી કરવા બરાબર ગણાય.) મોટો સવાલ રાહુલની સમજણ અથવા દાનત અથવા બન્નેના અભાવનો છે. ૧૯૮૪માં કોંગ્રેસી નેતાઓ ખુલ્લેઆમ હત્યાઓ કરાવતા ઘૂમી રહ્યા હતા. સરકારે ‘શક્ય એટલા બધા’ પ્રયાસ ન કર્યા હોત અને કેવળ જગદીશ ટાઇટલર, સજ્જનકુમાર, એચ.કે.એલ.ભગત જેવા કેટલાક કોંગ્રેસી નેતાઓેને ઘરે (ખરેખર તો જેલમાં) બેસાડી દીધા હોત તો શક્ય છે કે શીખવિરોધી હિંસા કાબૂમાં રહેત. અને હા, રાહુલ ગાંધીએ સમજવું- સ્વીકારવું પડે કે ૧૯૮૪માં જે થયું તે (દ્વિપક્ષી) હુલ્લડ નહીં, (એકપક્ષીય) શીખ હત્યાંકાડ હતો. જલિયાંવાલા બાગ પછી કદાચ પહેલી વાર આટલા નિર્દોષોને આટલી એકપક્ષીય અને ઘાતકી રીતે સત્તાધીશોની ટોળકીઓ દ્વારા મોતને ઘાટ ઉતારાયા હશે.

એ દૃષ્ટિએ ૧૯૮૪ અને ૨૦૦૨ની સરખામણી નાગરિક તરીકે હતાશા અને રોષ ઉપજાવનારી છે- જાણે કેન્સર અને એઇડ્‌સ ‘તારા કરતાં હું સારો’ની હરીફાઇ થતી હોય. બન્ને વચ્ચેનો અગત્યનો  તફાવત રાહુલ ગાંધી ન કહી શક્યા એ ખેદજનક - અને ન જાણતા હોય તો આઘાતજનક- છે : ૧૯૮૪ની શીખવિરોધી હિંસાનો વ્યાપ આંગળીના વેઢે ગણાય એટલા દિવસો પૂરતો સીમિત હતો, જ્યારે ૨૦૦૨ની કોમી હિંસા મહિનાઓ સુધી ચાલી. તેના પરિણામે સર્જાયેલી મુસ્લિમોની રાહતછાવણીઓ વર્ષો સુધી ચાલી અને ગુજરાત સરકારે કદી એ ઘા પર મલમ લગાડવાનો પ્રયાસ કર્યો નહીં. ઉલટું વખતોવખત મુખ્ય મંત્રી અને બીજા નેતાઓ આ ઘા પર નમક છાંટતા રહ્યા. ‘મુખ્ય મંત્રીએ ૨૦૦૨ની હિંસામાંથી પોતાની રાજકીય કારકિર્દી બનાવી લીધી’ એવું એક્ટિવ વોઇસ- કર્તરિ પ્રયોગમાં ન લખવું હોય તો પેસિવ વોઇસ-કર્મણિ પ્રયોગમાં કહેવું પડે કે ‘આ હિંસા અને ત્યાર પછી સતત ટકાવાયેલા વિષયુક્ત વાતાવરણને લીધે મુખ્ય મંત્રીની કારકિર્દીને મોટો ફાયદો થયો.’

નાગરિકો માટે દુઃખની વાત એ થઇ કે બન્ને હિંસાચારમાં સરકારો ન્યાય માટે પગલાં ભરવાને બદલે ન્યાયના રસ્તે શક્ય એટલી અડચણો ઊભી કરતી રહી. શીખવિરોધી કે મુસ્લિમવિરોધી ઝનૂનને ‘ક્ષણિક’ કે ‘થોડા સમય પૂરતું’ ગણીને, ‘જાગ્યા ત્યાંથી સવાર’ની નીતિ એકેય સરકાર ઝડપથી કે હૃદયપૂર્વક અપનાવી શકી નથી. એ દૃષ્ટિએ રાહુલ ગાંધીના ૧૯૮૪ અંગેના નિવેદનની સરખામણી નરેન્દ્ર મોદીએ થોડા સમય પહેલાં લખેલા ૨૦૦૨ વિશેના બ્લોગ સાથે કરી શકાય. એ બન્નેમાં કબૂલાતને બદલે દિલચોરીનો અને જવાબદારીમાંથી છટકવાનો ચોખ્ખો ભાવ દેખાય છે. રાહુલ ૧૯૮૪ સાથે વારસાઇનો સંબંધ ધરાવે છે, જ્યારે મુખ્ય મંત્રી તરીકે મોદી ૨૦૦૨ માટે નૈતિક રીતે સીધા જવાબદાર છે. છતાં, નિર્દોષોનાં મૃત્યુ માટે કોણ જવાબદાર હતું એની વાત ગુપચાવી દઇને, મગરનાં - કે માણસનાં પણ- આંસુ સારવાથી ડાઘ ધોવાઇ જતા નથી.

રીઢા રાજકારણીઓ અત્યાર લગી આવું જ કરતા આવ્યા છે. પહેલા ટીવી ઇન્ટરવ્યુ પછી રાહુલે પણ એ યાદીમાં પેન્સીલથી પોતાનું નામ લખી દીઘું છે. 

1 comment:

  1. સચોટ અવલોકન.એકદમ ઝીણું કાંતો છો.આમજ કાંતતા રહો.આભાર.

    ReplyDelete