Monday, November 11, 2013

સરદાર- નેહરુ મતભેદ : સાચો ઇતિહાસ, સ્વાર્થી રાજકારણ

(સરદાર-નેહરુ વિશે રવિપૂર્તિમાં લખેલા બે લેખનો એક સંયુક્ત લેખ)

સામાન્ય સંજોગોમાં સહેલાઇથી જૂઠું બોલી શકતા રાજનેતાઓની જીભ ચૂંટણીટાણે કંઇક વધારે છૂટી થઇ જાય છે. જૂઠાણાં તે એટલા આત્મવિશ્વાસથી ગબડાવે છે, જાણે એ જ સાચો ઇતિહાસ હોય અને એ ઇતિહાસ તેમની સમક્ષ બન્યો હોય. આ શરમજનક પરંપરાનું તાજું અને વઘુ એક ઉદાહરણ વડાપ્રધાન બનવા માટે તલપાપડ એવા ગુજરાતના મુખ્ય મંત્રીએ પૂરું પાડ્યું. તેમણે સરદારની સૌથી ઊંચી પ્રતિમા વિશેની એક પ્રચાર-મુલાકાત દરમિયાન કહી દીઘું કે સરદારની અંતિમ યાત્રામાં તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુ હાજર રહ્યા ન હતા.

હકીકતમાં, સરદાર વિશેનાં ધોરણસરનાં પુસ્તકોમાં નેહરુ સાથેના તેમના મતભેદોની સાથોસાથ, તેમની અંતિમયાત્રામાં નેહરુ હાજર હતા એ વાત સાવ સ્વાભાવિક ક્રમમાં નોંધાયેલી )છે. એટલું જ નહીં, બ્રિટિશ પાથે કંપનીએ ઉતારેલી ન્યૂઝરીલમાં સરદારની અંતિમ ક્રિયામાં નેહરુની હાજરી એકથી વઘુ વાર દેખાય છે. બ્રિટિશ પાથે કંપનીની વેબસાઇટ પર આ ન્યૂઝરીલ ‘ફ્‌યુનરલ ઑફ સરદાર પટેલ’ એ મથાળા સાથે ઉપલબ્ધ છે. તેમાંથી લીધેલાં અને નેહરુની હાજરી દર્શાવતાં કેટલાંક દૃશ્યો આ લેખની સાથે મૂકવામાં આવ્યાં છે. (http://www.britishpathe.com/video/funeral-of-sardar-patel)





ભારતના વડાપ્રધાન બનવા ઇચ્છુક નેતા આટલા નજીકના ઇતિહાસના એક તથ્યને પોતાના સ્વાર્થ માટે મરોડી શકે અને સગવડીયા જૂઠાણાને નવા ઐતિહાસિક તથ્ય તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ કરે, એ કેવું કહેવાય? અલબત્ત, રાજકારણીઓ માટે આવાં નિવેદન ગાજરની પીપુડી જેવાં હોય છે ઃ એ ચાલી જાય તો એનો ભરપૂર ફાયદો લઇ લેવાનો અને તેની સામે પડકાર ઊભો થાય તો સલુકાઇથી કહી દેવાનું, ‘મેં તો આવું કશું કહ્યું જ નથી.’

નેહરુ અને સરદાર વચ્ચેના મતભેદ તથા તેને વટાવી ખાવાના કુટિરઉદ્યોગ-કમ-કુટિલઉદ્યોગ બહુ જૂનાં છે. આઝાદી પછી ફક્ત ત્રણ વર્ષમાં અવસાન પામેલા સરદાર પટેલને જવાહરલાલ નેહરુની આગેવાની હેઠળની કોંગ્રેસે ભૂલાવી દીધા. તેમના વિશે અનેક ગેરસમજણો પેદા થઇ. ત્યાર પછી રેઢા પડેલા સરદાર પટેલને ભાજપે અપનાવી લીધા. આઝાદીના આંદોલનમાં ભાગ લીધો હોય કે તેમાં નોંધપાત્ર પ્રદાન ધરાવતો હોય એવો કોઇ નેતા ભાજપ પાસે ન હતો. સરદાર પટેલને ‘પોતાના’ બનાવી દેવાથી ભાજપને બેવડો ફાયદો થયો : નેહરુ સાથે મતભેદ ધરાવતું અને જેના નામે નેહરુની આકરી ટીકા કરી શકાય એવું મજબૂત નામ મળ્યું. બીજો ફાયદો એ થયો કે ભાજપના લધુમતીવિરોધી- મુસ્લિમવિરોધી રાજકારણમાં પણ સરદાર જેવા નેતાનો દુરુપયોગ શક્ય બન્યો.

કોંગ્રેસપ્રેરિત કે ડાબેરી વર્તુળોના રાજકારણમાં સરદાર પટેલની છબી ખોટી રીતે કોમવાદી નેતા  તરીકેની હતી. ભાજપે સરદારને એ ખોટી છબી સાથે હોંશેહોંશે અપનાવી લીધા અને એ ખોટી છબી બરાબર ધૂંટી આપી. આખી વાતમાં સરદારને બેવડું નુકસાન થયું : પહેલાં કોંગ્રેસે ઉપેક્ષા કરી અને પછી ભાજપે તેમને અપનાવીને કોમવાદી-હિંદુત્વવાદી તરીકે રજૂ કર્યા, જેવા એ ન હતા.

સરદાર અને તેમના કરતાં ૧૪ વર્ષ નાના જવાહરલાલ વચ્ચેના મતભેદોનો ઇતિહાસ લાંબો છે. તેમાં ઘણા નાટ્યાત્મક ચઢાવઉતાર છે અને સરવૈયું કાઢતાં આ મતભેદોમાં સરદાર મૂઠી ઊંચેરા સાબીત થાય છે, એ હકીકત છે. પરંતુ આ વાત કોઇ તટસ્થ અભ્યાસી કહે અને કોઇ ભાજપી રાજકારણી કહે, ત્યારે બન્ને વચ્ચેનો ફરક સમજવો રહ્યો. સરદાર પટેલની અંતિમ યાત્રા નિમિત્તે થયેલા વિવાદને પણ એ રીતે જોવો રહ્યો.

વડાપ્રધાન તરીકે જવાહરલાલ નેહરુએ તો સી.રાજગોપાચારી સાથે સરદારની અંતિમ યાત્રામાં હાજરી આપી હતી, પરંતુ રાષ્ટ્રપતિના હોદ્દે રહેલા રાજેન્દ્રપ્રસાદે ત્યાં હાજર ન રહેવું જોઇએ, એવો નેહરુનો મત હતો. આ મુદ્દે નેહરુ અને રાજેન્દ્રપ્રસાદ વચ્ચે થોડું ઘર્ષણ પણ થયું. નવી લોકશાહીમાં કાયમી શિરસ્તા સ્થપાઇ રહ્યા હોય ત્યારે, રાષ્ટ્રપતિએ (રાજેન્દ્રપ્રસાદે) નાયબ વડાપ્રધાન (સરદાર)ની અંતિમ વિધિમાં હાજર રહેવાનો રિવાજ ન પાડવો જોઇએ, એવી નેહરુની દલીલ હતી. પ્રોટોકોલની રીતે એ ગમે તેટલી સાચી લાગે તો પણ, રાજેન્દ્રબાબુ સહિત બીજો કોઇ પણ નેતા એ કેવી રીતે માની લે કે સરદાર કેવળ ‘નાયબ વડાપ્રધાન’ ન હતા? કોંગ્રેસના સંગઠન પર સરદારની પકડ અને તેના આંતરિક રાજકારણમાં સરદારના એકચક્રી પ્રભાવ ઉપરાંત, સરદાર એક જૂના, વરિષ્ઠ અને ગાંધીપ્રમાણિત સાથીદાર હતા, એ રાજેન્દ્રપ્રસાદ શી રીતે ભૂલી શકે? એટલે નેહરુની સલાહને અવગણીને તે ધરાર સરદારની અંતિમ વિધિમાં ઉપસ્થિત રહ્યા. એ સમયના અહેવાલો પ્રમાણે, મુંબઇના સોનાપુર સ્મશાનમાં સરદારને અગ્નિદાહ અપાયો ત્યારે એકઠા થયેલા લોકોને વડાપ્રધાન જવાહરલાલે નહીં, પણ રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે સંબોધન કર્યું.

આઝાદી પહેલાંની કોંગ્રેસમાં સરદાર અને જવાહરલાલની રાજકીય કારકિર્દી લગભગ સમાંતરે શરૂ થઇ. નેતા બનતાં પહેલાં બન્ને જણ બેરિસ્ટર બનવા માટે પણ લગભગ એક જ સમયે લંડન ગયા હતા. ૩૫ વર્ષના વિઘુર અને બે છોકરાંના પિતા વલ્લભભાઇ કાયદાના અભ્યાસની ચાર સંસ્થાઓમાંથી એક ‘મિડલ ટેમ્પલ’માં દાખલ થયા, ત્યારે ૨૧ વર્ષના ઊર્મિશીલ અમીરજાદા અને વલ્લભભાઇ કરતાં ૧૪ વર્ષ મોટા, બેરિસ્ટર મોતીલાલ નેહરુના પુત્ર જવાહરલાલ ‘ઇનર ટેમ્પલ’માં ભણવા રહ્યા. કોંગ્રેસમાં બન્નેનો સિતારો લગભગ એક જ અરસામાં બુલંદ થયો. એકાદ દાયકા સુધી મુખ્યત્વે ક્ષેત્રીય સ્તરે જાણીતા રહેલા વલ્લભભાઇ ૧૯૨૮ના બારડોલી સત્યાગ્રહ પછી રાષ્ટ્રિય નેતા બન્યા, તો પૂર્ણ સ્વરાજની ઘોષણા માટે વિખ્યાત કોંગ્રેસના ૧૯૨૯ના લાહોર અધિવેશનમાં જવાહરલાલ કોંગ્રેસપ્રમુખ બન્યા.

પ્રકૃતિ અને રાજકારણની દૃષ્ટિએ જવાહરલાલ અને સરદાર વચ્ચે પાયાનો ફરક હતો. બન્ને વચ્ચે લગભગ એક પેઢીનો -૧૪ વર્ષનો- તફાવત હતો એ પણ યાદ રાખવું પડે. જવાહરલાલ ભાવનશાળી અને સરદાર વાસ્તવવાદી. જવાહરલાલ ઝટ દોરવાઇ જાય એવા, સરદાર માણસને ઓળખવામાં પાવરધા. અભિપ્રાય માટે જવાહરલાલ હંમેશાં કોઇ ને કોઇ મજબૂત ટેકા તરફ ઢળતા હોય, જ્યારે સરદાર સ્વતંત્ર અને અડીખમ. કોઇને ટેકો આપી શકે એવા. જવાહરલાલ અત્યંત મોહક વ્યક્તિત્વ ધરાવતા, વાચાળ, સત્તાવાર લખાણો-ઠરાવોમાં ઘણી વાર શબ્દાળુ બની જનારા, જ્યારે સરદાર ધીરગંભીર, પ્રભાવશાળી અને આક્રમક વ્યક્તિત્વના સ્વામી, જરૂર પૂરતું બોલનારા-લખનારા અને ભાષાડંબર પ્રત્યે સખત ખીજ ધરાવનારા.

પરંતુ ગાંધીજીની એ કમાલ હતી કે પોતપોતાની રીતે શક્તિશાળી પણ એકબીજા સાથે પાટો ન બેસે એવા ફક્ત સરદાર-નેહરુ નહીં, બીજા અનેક નેતાઓને તે દેશના હિત ખાતર એક દોરે જોડી શક્યા અને તેમની સહિયારી શક્તિઓનો દેશને લાભ મળે એવો સફળ પ્રયાસ કર્યો. તેમના પ્રતાપે બધા મતભેદો સહિત ગાંધી સાથે સરદાર -નેહરુ મળીને ‘ભારતની સ્વરાજત્રિપુટી’ બની રહ્યા.

આઝાદીની આસપાસનાં વર્ષોમાં સરદાર અને નેહરુ વચ્ચે ગંભીર મતભેદના પ્રસંગ આવ્યા. એકથી વઘુ વાર સરદારે હોદ્દો છોડી દેવાનો વિચાર કર્યો, પરંતુ ગાંધીજી તેમને એવું ન કરવા સમજાવી શક્યા. ગાંધીજીની હત્યા વખતે બન્ને નેતાઓ વચ્ચેના મતભેદ ચરમસીમા પર હતા, પરંતુ પોતાના આદરણીય ગુરુની હત્યાએ બન્નેને હચમચાવી નાખ્યા. ગાંધીજીની હત્યાના ચાર દિવસ પછી નેહરુએ સરદારને અત્યંત લાગણીસભર પત્ર લખ્યો. એ લાગણીનો પડઘો પાડતાં સરદારે જવાહરલાલને પત્રના અંતે લખ્યું,‘આપણા મતભેદો જાહેરમાં કે ખાનગીમાં ગવાયા જ કરે, તે આપણે માટે ખરાબ છે, સરકારી નોકરિયાતો માટે ખરાબ છે અને દેશ માટે પણ ખરાબ છે. જેટલા વહેલા આપણે આ વાતને નિર્મૂળ કરી નાખીએ અને ધૂંધળા વાતાવરણને સ્વચ્છ કરી નાખીએ, એટલું સારું.’

***

જવાહરલાલ નેહરુ અને વલ્લભભાઇ પટેલ ગાંધીજીને મળ્યા ત્યાર પહેલાં તેમના રસ્તા સાવ જુદા હતા. વલ્લભભાઇ બેરિસ્ટર તરીકે અમદાવાદની કોર્ટ ગજાવતા અને ધીકતી પ્રેક્ટિસથી રૂપિયાની ટંકશાળ પાડતા હતા. મોટા ભાઇ વિઠ્ઠલભાઇએ તેમની સાથે એવી સમજૂતી કરી હતી કે એ દેશસેવાના કામમાં જાય અને સાંસારિક જવાબદારીઓ નાના વલ્લભભાઇ ઉપાડે. આક્રમક વલ્લભભાઇને પ્રકૃતિગત રીતે પણ અરજી અને રજૂઆતોના રાજકારણમાં જવાની કશી હોંશ ઉપજે એમ ન હતું.

વલ્લભભાઇથી ૧૪ વર્ષ નાના જવાહરલાલને લોહીમાંથી મળ્યું હતું. તેમના પિતા મોતીલાલ નેહરુ ગાંધીજીના આગમન પહેલાંથી રાજકારણમાં સક્રિય હતા. જવાહરલાલ પોતે પણ ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલકૃષ્ણ ગોખલેની ‘સર્વન્ટ્‌સ સોસાયટી ઓફ ઇન્ડિયા’ અને એની બેસન્ટની ‘હોમરુલ લીગ’ સાથે સંકળાઇને રાજકારણમાં ડગ માંડી ચૂક્યા હતા. ગાંધીજીના આગમન પછી ફુંકાયેલી તાજી હવામાં જુવાન જવાહરલાલ એ તરફ ખેંચાયા. વલ્લભભાઇ વિશે કહી શકાય કે ગાંધીજી ન આવ્યા હોત તો એ આખી જિંદગી બેરિસ્ટર રહ્યા હોત. કારણ કે જમાનો જોઇ ચુકેલા બેરિસ્ટર વલ્લભભાઇ સહેલાઇથી કોઇના પ્રભાવમાં આવે એવા ન હતા. ગાંધીજીની સૌમ્ય મક્કમતા અને બ્રિટિશ શાસનને પડકારવાનો હિંમતબાજ અભિગમ જોઇને તે પીગળ્યા અને ગાંધીજી ભણી વહ્યા. તેમણે કહ્યું હતું, ‘મહાત્માએ આવી જાહેર જીવન શરૂ કર્યું ત્યારે (મને) લાગ્યું કે એમાંથી અલગ રહેવું એ અધર્મ છે.’ જવાહરલાલનો મામલો જરા જુદો હતો. ગાંધીજી ન આવ્યા હોત તો પણ એ રાજકારણમાં હોત અને સમય જતાં રાષ્ટ્રિય રાજકારણમાં ઝળક્યા હોત. કારણ કે લખાપટ્ટી અને દલીલબાજીનું જાહેરજીવન પણ નેહરુને બરાબર ફાવ્યું હોત.

ગાંધીજી સાથે જોડાયા પછી થોડાં વર્ષોમાં વલ્લભભાઇ અને જવાહરલાલ વચ્ચે વ્યક્તિગત નહીં, પણ વ્યૂહરચનાના મુદ્દે સંઘર્ષનો પ્રસંગ આવ્યો. ૧૯૨૧માં ચૌરીચૌરાની હિંસા પછી અસહકારનું આંદોલન મોકુફ રહ્યું. તેનાથી ઘણા નેતાઓ નારાજ હતા. મોતીલાલ નેહરુ, વિઠ્ઠલભાઇ પટેલ જેવા વડીલ નેતાઓએ નક્કી કર્યું કે અંગ્રેજોને લડત આપવા માટે ધારાસભામાં જવું. વલ્લભભાઇ, જવાહરલાલ, રાજેન્દ્રપ્રસાદ જેવા નેતાઓને એ વિકલ્પ નકામો લાગતો હતો. કોંગ્રેસના અધિવેશનમાં વડીલોનો મત અમાન્ય ઠર્યો, પણ તેમની આમન્યા જાળવવા માટે એવું નક્કી થયું કે વડીલો ધારાસભાની ચૂંટણી લડે તો તેમની તરફેણ કે વિરોધમાં કશો પ્રચાર કરવો નહીં. આટલું ઓછું હોય તેમ, પુરૂષોત્તમદાસ ટંડને ૧૯૨૨માં કોંગ્રેસ મહાસમિતિની મુંબઇ બેઠકમાં એવો ઠરાવ મૂક્યો કે ધારાસભામાં પ્રવેશની પ્રવૃત્તિનો પણ વિરોધ ન કરવો. મૂળ ઠરાવનો આ બિનજરૂરી વિસ્તાર હતો.

જવાહરલાલ પોતે ધારાસભાપ્રવેશના વિરોધી હતા, પણ તેમાં બાંધછોડ કરીને તેમણે ટંડનના ઠરાવને ટેકો આપ્યો. વલ્લભભાઇને આ ઠરાવ વાંધાજનક લાગ્યો. એટલે તેમણે રાજેન્દ્રપ્રસાદ-રાજગોપાલાચારી જેવા સાથીદારો સાથે કારોબારીમાંથી રાજીનામું આપી દીઘું. કોંગ્રેસની પ્રાંતિક સમિતિઓએ પણ કોંગ્રેસના જૂના ઠરાવનું પાલન કરીને ટંડનવાળા ઠરાવનો અમલ નહીં કરવાનો નિર્ણય લીધો.  જવાહરલાલને એ વસમું લાગ્યું. તેમના પ્રયાસોથી ગુજરાત અને તામિલનાડુની પ્રાંતિક સમિતિઓ સામે શિસ્તભંગનાં પગલાંની દરખાસ્ત મુકાઇ, જેને એક રીતે વલ્લભભાઇ અને બીજા આગેવાનો સામેની પણ ગણી શકાય. મતદાનમાં ૬૩ વિરુદ્ધ ૬૫ મતથી આ દરખાસ્ત ઉડી જતાં જવાહરલાલે પણ નારાજ થઇને કારોબારીમાંથી રાજીનામું આપ્યું. આમ બન્ને વચ્ચેના સાવ આરંભિક મતભેદ માટે પુરૂષોત્તમદાસ ટંડન નિમિત્ત બન્યા.

સમયનું ચક્ર કેવી વક્રતા પેદા કરે છે તેનું એક ઉદાહરણ : આઝાદી પછી એ જ પુરૂષોત્તમદાસ ટંડન કોંગ્રેસપ્રમુખ બને તેની સામે જવાહરલાલને વાંધો હતો અને સરદાર ટંડનના પક્ષે હતા. આચાર્ય કૃપાલાનીને હરાવીને ટંડન કોંગ્રેસપ્રમુખ બન્યા, તેનાથી જવાહરલાલ ઘણા દુભાયા હતા. સરદાર અને નેહરુ વચ્ચેના મોટા મનદુઃખનો એ સંભવતઃ છેલ્લો પ્રસંગ હતો.

સરદાર-નેહરુ વચ્ચે સીધા મતભેદનો મોટો પ્રસંગ ૧૯૩૬માં ભરાયેલા કોંગ્રેસના લખનૌ અધિવેશનમાં આવ્યો હતો. કોંગ્રેસની અંદર રહેલા સમાજવાદી ફાંટા પ્રત્યે નેહરુની સહાનુભૂતિ બહુ જાણીતી હતી. વાસ્તવદર્શી સરદારને સમાજવાદીઓ માટે ખાસ ભાવ ન હતો. તેમને એ લોકો ‘અનેક પેટાજૂથોમાં વહેંચાયેલા અને આઝાદી મળ્યા પહેલાં, આઝાદી પછી તંત્ર કેવું હોવું જોઇએ તેની ચર્ચામાંથી ઊંચા ન આવનારા અને માત્ર વાતો કરનારા’ ગણતા હતા. છતાં, ગાંધીજીની ઇચ્છાથી  ત્રણ સમાજવાદી નેતાઓને કોંગ્રેસની કારોબારીમાં લેવામાં આવ્યા. નેહરુને આ ઓછું ને સરદાર સહિતના કેટલાક નેતાઓને તે વઘુ પડતું લાગ્યું. ત્યાર પછી જે થયું તેને ગાંધીજીએ ‘કરુણ ફારસ’ ગણાવ્યું. કારણ કે એક તરફ સરદાર, રાજગોપાલાચારી અને રાજેન્દ્રપ્રસાદે, તો સામે પક્ષે નેહરુએ પણ સામસામા વિરોધમાં રાજીનામાં આપી દીધાં. વ્યથિત થયેલા ગાંધીજીએ નેહરુને કહ્યું,‘તમારા સાથીઓ અસહિષ્ણુ હોય, તો તમે તેમનાથી વધુ અસહિષ્ણુ છો. તમારા લોકોની અસહિષ્ણુતાનો ભોગ હિંદુસ્તાનને બનાવશો નહીં.’

૧૯૪૨ની ચળવળ પછી તમામ નેતાઓની ધરપકડ થઇ ત્યારે ગાંધીજી સિવાયના બીજા નેતાઓ સાથે સરદાર અને નેહરુ પણ અહમદનગર જેલમાં સાથીદાર તરીકે હતા. જેલમાંથી છૂટ્યા પછી કેબિનેટ મિશનની દરખાસ્તો અને ભારતના ભાગલા સ્વીકારવાની વાત આવી, ત્યારે સરદાર ગાંધીજીની ઇચ્છાથી ઉપરવટ ગયા. એ વખતે નેહરુ સરદારની સાથે પૂરેપૂરા સંમત હતા. ભાગલાનો વિરોધ કરતા ગાંધીજી સામે સરદાર જેવા મજબૂત નેતાનો સાથ મળ્યો, એ બાબતે નેહરુએ કદાચ છૂપી રાહત પણ અનુભવી હશે. કોઇની તરફ ઢળવાની અને તેના પર આધાર રાખવાની પ્રકૃતિ પ્રમાણે, આઝાદી પહેલાંના એકાદ વર્ષ દરમિયાન નેહરુ માઉન્ટબેટન અને અમુક અંશે સરદાર ભણી ઢળેલા રહ્યા. આઝાદ ભારતના પહેલા પ્રધાનમંડળમાં શ્યામાપ્રસાદ મુખરજી, સરદાર બલદેવસિંઘ અને ડો.આંબેડકર જેવા સભ્યોના સમાવેશનું શ્રેય પણ સરદાર પટેલને આપવામાં આવે છે.

સરદાર અને નેહરુ વચ્ચેની પસંદગીમાં ગાંધીજીએ નેહરુને પોતાના વારસદાર જાહેર કર્યા, ત્યારે ઘણો ચણભણાટ થયો. મહત્ત્વાકાંક્ષી ન હોવા છતાં, પોતાની જગ્યાએ નેહરુને પસંદ કરાયા એ બદલ સરદારને માનવસહજ નારાજગી થઇ હશે, પણ તેનાં કિન્નાખોરી કે કચવાટ સરદારના ત્યાર પછીના વર્તનમાં દેખાયાં નહીં. આઝાદીના ચારેક મહિના પહેલાં એક જાહેર સભામાં તેમણે કહ્યું હતું,‘આ રાજ્યતંત્ર ઉખેડી નાખવામાં અમારા નેતા ગાંધીજી હતા. રાજ્યતંત્ર ચલાવવામાં અમારા નેતા જવાહરલાલ નેહરુ છે. એની બાહોશી, ત્યાગ અને કુશળતાની જોડી નથી.ગાંધીજીની સિપાઇગીરી જેટલી વફાદારીથી કરી, તેટલી જ વફાદારીથી પંડિત જવાહરલાલજીની સિપાઇગીરી કરવા ત્યાં ગયો છું. એને મારાથી થાય તેટલી મદદ કરવાનો મારો ધર્મ છે અને તે પ્રમાણે કરું છું.’

જમ્મુ-કાશ્મીર, સિવિલ સર્વિસનું ભવિષ્ય, આર્થિક બાબતો, હિંદુ મહાસભા પ્રત્યેનું વલણ જેવા ઘણા પ્રશ્નો અંગે નેહરુ-સરદારના દૃષ્ટિકોણ અલગ હતા. સરદાર સિવિલ સર્વિસના અફસરોને વિશ્વાસમાં લઇને, ભારતના પુનઃનિર્માણ માટે તેમનો ઉપયોગ કરવા ઇચ્છતા હતા, જ્યારે નેહરુ આઇ.સી.એસ. અધિકારીઓને અંગ્રજોના ખાંધીયા ગણીને તેમના પ્રત્યે ફુંગરાતા હતા. ગૃહ પ્રધાન તરીકે પોતાના અધિકારક્ષેત્ર માટે સરદાર અત્યંત સભાન અને સાવધ હતા.  આઝાદીના દોઢેક મહિના પછી એક લાંબા પત્રમાં સરદારે નેહરુ સમક્ષ કેટલીક બાબતોના ખુલાસો કર્યા પછી લખ્યું હતું, ‘મારા ખાતાની જવાબદારીમાં સમાઇ જતી બાબત અંગે તમે અધિકારીઓને સીધેસીધા હુકમો આપો તે મારા માટે અને અધિકારીઓ માટે પણ કેટલાક અંશે મૂંઝવણભર્યું થાય છે...તમે કોઇ સૂચના આપી પણ હોય તો તમારે ઓછામાં ઓછું મને જણાવવું તો જોઇએ અને આવી સૂચનાઓ કોઇ બિનસરકારી તંત્ર દ્વારા આડકતરી રીતે મારા ઘ્યાનમાં આણવામાં આવે એવું ન થવું જોઇએ.’

ગાંધીજીની હત્યાના થોડા દિવસ પહેલાં સરદાર-નેહરુ વચ્ચેનો મતભેદ લેખિત સ્વરુપમાં ગાંધીજી પાસે પહોંચ્યો. નેહરુની નોંધના જવાબમાં સરદારે ગાંધીજીને લખ્યું, ‘સ્વભાવના તફાવત અંગે તથા આર્થિક બાબતો અને હિંદુ-મુસ્લિમ સંબંધોને લગતી બાબતો વિશે અમારાં દૃષ્ટિબિંદુ જુદાં છે, એમાં બેમત નથી. તેમ છતાં, અમે બન્ને દેશના હિતને અમારા અંગત મતભેદ કરતાં ઊંચાં ગણીએ છીએ...અમારી સામે આવેલી ઘણીયે આંધીઓનો અમે સંયુક્ત પુરુષાર્થથી સામનો કર્યો છે...હવે અમે આને આગળ ચલાવી શકીએ એમ નથી, એવો વિચાર કરવો દુઃખદ અને કરુણ પણ છે...પણ વડા પ્રધાનની ફરજો અંગે એમનો ખ્યાલ સ્વીકારવામાં આવે તો વડા પ્રધાનનો દરજ્જો લગભગ સરમુખત્યાર જેવો થઇ જાય...મારા ખ્યાલ પ્રમાણે તે ‘ફર્સ્ટ એમન્ગ ઇક્વલ્સ’ (બધા સરખા, પણ એ બધામાં તે પહેલા) છે...સમાધાન ન થઇ શકે તો પોતે પદત્યાગ પસંદ કરશે, એવું વડા પ્રધાને કહ્યું છે, પણ હું નિશ્ચયપૂર્વક કહું છું કે જો કોઇએ જવાનું હોય તો મારે જ જવું જોઇએ. સક્રિય સેવાની વય હું લાંબા સમય પહેલાં વટાવી ચૂક્યો છું. વડા પ્રધાન દેશના સ્વીકૃત નેતા છે...મને જરાય શંકા નથી કે મારી અને એમની વચ્ચેની પસંદગી એમની તરફેણમાં જ થવી જોઇએ.’

ગાંધીજીની હત્યા થતાં આ કટોકટી ટળી અને સરદારના મૃત્યુપર્યંત, ચઢાવઉતાર છતાં,  બન્ને વચ્ચે સત્તાવાર વિચ્છેદનો પ્રસંગ ન આવ્યો. સરદારે અનેક વાર નેહરુનું માન અને મન સાચવ્યાં. જાહેરમાં કે સાથીદારો સમક્ષ તેમની ટીકાના પ્રસંગ ટાળ્યા અને ગાંધીના સિપાઇ તરીકેની પોતાની કામગીરીને બરાબર દીપાવી. વર્ષો પછી આ બન્ને નેતાઓ વિશે વાત થાય ત્યારે વર્તમાન રાજકીય સ્વાર્થ ખાતર તેમને આમનેસામને ગોઠવવાને બદલે, ગાંધીરથનાં બે ચક્રો તરીકે અથવા એ ત્રણેને ‘સ્વરાજત્રિપુટી’ તરીકે જોવાથી જ તેમને ન્યાય કરી શકાય.

14 comments:

  1. Anonymous11:40:00 PM

    Hope, General Public ne tamaro aa lekh ankho ughadnaro lage, otherwise, loko ni ankho ne to have chasma pehrey dekhay em nathi, DODA j futi gaya che , ek baju thi atlo badho prakash ave che (prachar noj to), and ek baju thi andhkar ave che (brastachar no)

    ReplyDelete
  2. Congress projected Gandhi (the original) and subverted him through their actions. BJP is now projecting Sardar Patel and they are subverting him through their words. Two largest political parties have subverted two tallest leaders of the country. How sad!

    Thanks for writing this. We have to keep reminding people of 'who is who' all the time when the political leaders are continuously twisting history.

    ReplyDelete
  3. it cannot be denied that many congress leaders were in favour of sardar being elected as the congress president and but for gandhji's desire that nehru be the president, sardar would hae been the congrass president and the first prime minister of india .it canoe be denied that in that case, india's history would have been a lot different.

    ReplyDelete
    Replies
    1. Anonymous6:00:00 AM

      Does different always mean "better"? Regardless of who I admire more, it is ignorant of us to make blind statement such as this to say that all the problems of the India would not have happened only because of one person!

      Delete
  4. સ્વાર્થ માટે તથ્યોને મરોડવાની આદત ફક્ત રાજનેતાઓની જ નથી, પત્રકારોની પણ છે. નરેન્દ્ર મોદીના નામે સરદારની અંતિમયાત્રાનો જે વિવાદ ઉભો થયો તે દિવ્યભાસ્કરની ભૂલ હતી, જેની તેણે માફી પણ માંગી લીધી. નરેન્દ્ર મોદીએ આવું કશો ઇન્ટર્વ્યુ નહોતો આપ્યે તે ભાસ્કરે કબુલ કર્યું.

    આ વાતનો ઉલ્લેખ તમારા લેખમાં નહીં કરવાનું કોઇ ખાસ કારણ છે?

    ReplyDelete
    Replies
    1. તમારો (રાબેતા મુજબનો) ઉત્સાહ સમજી શકું છું.
      મેં ભાસ્કરની માફી વાંચી છે અને તમે પણ એ ફરી ધ્યાનથી વાંચી જાવ એવી ભલામણ છે. તેમાં લખ્યું હતું કે 'મોદીએ કોઇ સત્તાવાર ઇન્ટરવ્યુ કે નિવેદન આપ્યું ન હતું.'
      તેનો અર્થ સ્પષ્ટ છે - ભાસ્કરે અનૌપચારિક વાતચીતમાં કરાયેલી વાતને છાપી દીધી અને એ 'ભૂલ' બદલ માફી માગી હતી.
      મોદી આવું બોલ્યા જ ન હતા, એવું ભાસ્કરે લખ્યું નથી. એ તમારી જાણ માટે.

      Delete
    2. આ તો શબ્દો સાથે રમત કરવાની વાત થઇ.

      નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટ દ્વારા 'દિવ્યભાસ્કર દ્વારા આ વાક્ય ખોટી રીતે મારી સાથે સાંકળવામાં આવ્યું હતું. તેની સ્પષ્ટતા તેમણે કરી લીધી છે.' આ વાત કહેલી છે. તેનો દિવ્યભાસ્કરે કોઇ સત્તાવાર વિરોધ નોંધાવેલ નથી. એનો મતલબ એજ થયો કે ભાસ્કર મોદીના ટ્વીટથી સંમત છે. આ વાક્ય ભાસ્કરે ખોટી રીતે મોદી સાથે સાંકળિ હતી.

      Delete
    3. જે હકીકત હતી એ તમને કહી. ઇચ્છો તો ભાસ્કરમાંથી કે મોદી છાવણીમાંથી કોઇને પૂછી જોશો. બાકી સ્વીકાર-અસ્વીકારની મુન્સફી તો તમારી જ હોય.

      Delete
  5. "સરદારે અનેક વાર નેહરુનું માન અને મન સાચવ્યાં." સાચી વાત છે.
    પણ નહેરૂએ કદી સરદારનું માન અને મન સાચવ્યાં?નહેરૂએ અનેક વખત સરદારની કાર્યરીતી પર ગંભીર અણગમા વ્યક્ત કર્યા છે. સ્વાતંત્ર્યચવળમાં નહેરૂના પ્રદાન વિશે કોઇ શંકા નથી.

    પણ, જો સરદાર સાગર જેવા વિશાળ હ્રદયના હતા, તો નહેરૂ તેટલા મોટા મનના ન હતા. ગાંધીજીની મહાનતાએ જ સરદારને નહેરૂ જેવા વ્યક્તિના તાબા નીચે કામ કરવા રાજી કરેલા. આ દરેક વાત સરદારની મહાનતા દર્શાવે છે. નહેરૂની આમા શી મહાનતા?

    ReplyDelete
  6. How is a deliberate falsification of history supposed to be an equivalent of the deliberate suppression of history that the dynasty has been serving so far? Even if a critique of Nehru has to be attempted, it should around well-documented facts - as Urvish rightly does here and without malice towards anyone which is what that giant Patel was all about in his lifetime anyway.

    Until we have honest and able historians without party biases we can't even attempt to understand these giants. In fact more often than not we will only end up doing injustice to them with our clumsy potshots. In thirty years we will go another circle when Patel will be brought down and Nehru will be pumped up again depending on who rules the narrative. This is a truly, truly sad way of dealing with this country's rich pre-partition history. Points very well-made Urvish.

    ReplyDelete
    Replies
    1. Anonymous7:44:00 AM

      At different level, we need to check our maturity and try to deliver the best, instead of receiving the worst from political ends.

      Delete
  7. Anonymous6:04:00 AM

    Well, unfortunately - regardless of what was said by whom - it takes one 15 minutes to read an article or facts vs about 30 seconds to feel good about what their beloved leader is saying :-) That's the reality of information overloaded 21st century!

    ReplyDelete
  8. I subscribe your viewpoint.

    ReplyDelete
  9. Anonymous7:08:00 PM

    TAMNE CONGRESS VISHE KAI MALTU NATHI LAKHAVANU K MODI NI PACHHAL PADI GAYA CHHO

    ReplyDelete