Tuesday, November 19, 2013

સરકારી ફાઇલોમાં દટાયેલી ગુજરાતમાં સોનું મળવાની શક્યતા

વર્ષ ૧૯૮૬-૮૭ની વાત છે. ગુજરાત સરકારના ભૂસ્તરશાસ્ત્ર અને ખાણકામ વિભાગ દ્વારા જામનગર જિલ્લાના આશરે ૨૭૦ ચોરસ કિલોમીટર વિસ્તારમાં સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. તેનો આશય બાંધકામમાં ઉપયોગી અને આર્થિક રીતે ફાયદાકારક હોય એવી  ખનીજોની તલાશ કરવાનો હતો. પરંતુ ‘છીંડું શોધતાં લાધી પોળ’ એ કહેવત પ્રમાણે, બીજી ધાતુઓની શોધખોળ કરતાં એ વિસ્તારનાં કેટલાંક સેમ્પલમાંથી સોનાના અંશ મળી આવ્યા.

તપાસ અભિયાન હાથ ધરનાર આસિસ્ટન્ટ જીઓલોજિસ્ટ ડી.એસ.સુથારે ચમકતા રજકણો ધરાવતાં છ સેમ્પલ ગાંધીનગરમાં આવેલી ભૂસ્તરશાસ્ત્ર વિભાગની લેબોરેટરીમાં મોકલી આપ્યાં. ત્યાંથી મળેલા અહેવાલમાં, તમામ સેમ્પલમાં સોનાના અંશ હોવાનું સ્પષ્ટપણે પુરવાર થયું હતું. છ સેમ્પલમાંથી બે સેમ્પલમાં સોનાનું પ્રમાણ પાંચ પીપીએમ, ત્રણ સેમ્પલમાં ૨૦ પીપીએમ અને એક સેમ્પલમાં તો એ ૩૦ પીપીએમ જેટલું હતું. (‘પીપીએમ’ એટલે ‘પાર્ટ્‌સ પર મિલિયન’. એક પીપીએમનો અર્થ થાય ૧૦ લાખમાં એક) પાંચથી ૩૦ પીપીએમનો આંકડો સાવ નજીવો લાગતો હોય, તો એટલું જાણી લેવું જોઇએ કે ખાણકામને નફાકારક બનાવવા માટે જમીનમાં સોનાનું પ્રમાણ એકથી પાંચ પીપીએમ જેટલું હોય તે પૂરતું ગણાય છે.
આસિસ્ટન્ટ જીઓલોજિસ્ટ ડી.એસ.સુથારે પોતાના તપાસ અહેવાલની સાથે ૧-૫૦,૦૦૦ના સ્કેલમાપથી બનાવેલા નકશામાં સોનું ધરાવતાં સેમ્પલ જ્યાંથી મળી આવ્યાં તે સ્થળો પણ લંબચોરસ સ્વરૂપે એ,બી અને સી નામ આપીને દર્શાવ્યાં હતાં.
આ સ્થળો જામનગરના જામજોધપુર તાલુકાના પાટણ ગામ તથા તેની આસપાસના અલેક હિલ્સ તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલાં હતાં. આ પ્રદેશ ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ ‘ફોલ્ટ ઝોન’ છે.

ભૂસ્તરીય હલનચલન દરમિયાન જમીન નીચે આવેલા બે થર એકબીજા સાથે ટકરાય ત્યારે તેમાં ઠેકઠેકાણે તિરાડો સર્જાય છે. પેટાળમાં ધગધગતો લાવા એ તિરાડોમાં ભરાય છે અને ઘણી વાર પોતાની સાથે ભૂગર્ભની ખનીજોને પણ લેતો આવે છે. અડસટ્ટે લીધેલાં સેમ્પલમાં સોના જેવી કિમતી ધાતુ મળી આવે, તો પછી એ સ્થળે વઘુ તપાસ કરવામાં આવે અને સંભવતઃ સોનાનો વઘુ જથ્થો ધરાવતી આખેઆખી તિરાડ કે તિરાડો/ ચેનલ શોધવાનો પ્રયાસ કરવામાં આવે. પરંતુ જામજોધપુર-અલેક હિલ્સના વિસ્તારમાં ડી.એસ.સુથારના અહેવાલ પછી  પણ કોઇ જાતની તપાસ હાથ ધરવામાં આવી નહીં.
અહેવાલના અંતે ‘કન્ક્લુઝન એન્ડ રેકમેન્ડેશન’ (તારણ અને ભલામણો)માં પણ તેમણે ખાસ ઘ્યાન દોરતાં લખ્યું હતું : ‘ (આ સંશોધનની) સૌથી મહત્ત્વની ઉપલબ્ધિ છે પાટણ ગામ નજીક ફોલ્ટ ઝોનમાં મળી આવેલા, સોનાના અંશ ધરાવતા ખડકો. હાલમાં છ જુદાં જુદાં  સેમ્પલમાં ૫ થી ૩૦ પીપીએમ જેટલા પ્રમાણમાં સોનું મળી આવ્યું છે.  તે સારી નિશાની છે. સંભવિત વિસ્તારોમાં પદ્ધતિસર સેમ્પલ એકઠાં કરીને આ દિશામાં ભારે ઝીણવટથી વઘુ અભ્યાસ કરવાનું જરૂરી છે. આથી ભલામણ કરવામાં આવે છે કે જીઓલોજિકલ મેપિંગ, સીસ્ટમેટિક ગ્રિડ પેટર્ન બેસીસ પિટિંગ એન્ડ ટ્રેન્ચિંગ તથા નિયમિત અંતરે યોગ્ય સેમ્પલિંગ જેવી પદ્ધતિઓથી પાટણ ગામની આસપાસમાં તપાસ હાથ ધરવામાં આવે.’

ગુજરાતની ભૂમિમાં સોનું ધરબાયેલું હોવાની સંભાવના છે, એવું વૈજ્ઞાનિક આધારપુરાવા સાથે  દર્શાવતો પહેલો અહેવાલ હતો. ‘સૌરાષ્ટ્રનો ઇતિહાસ’માં મળતા ઉલ્લેખ પ્રમાણે, ‘કેપ્ટન મેકમર્ડોએ ૧૮૧૮માં નોંઘ્યું હતું કે આજી નદીની રેતીમાંથી સોનાની રજકણો મળતી હતી, પરંતુ પછીના અન્ય કોઇ ગ્રંથમાં તેનો ઉલ્લેખ મળતો નથી. ગિરનાર પર્વતમાંથી નીકળતી સોનરેખા નદીની રેતી ધોઇને તેમાંથી સોનાની રજકણો મેળવાતી હતી તેવો ૧૮૪૨નો ઉલ્લેખ મળે છે, પરંતુ સોનાની રજકણોના મૂલ્ય કરતાં તેને મેળવવાનો ખર્ચ વઘુ થતો હતો તેથી તે કામગીરી બંધ થઇ ગઇ હતી.’

સૌરાષ્ટ્રમાંથી સોનું મળવાની શક્યતાનો પહેલવહેલો વ્યવસ્થિત ઉલ્લેખ ૧૯૧૪માં હાવર્ડ એડીએ કર્યો હતો. અલેક ડુંગર અને બરડા ડુંગરના અભ્યાસ પછી તેમણે નોંઘ્યું હતું કે સતપર નજીક આવેલી સાડા પાંચ કિ.મી. લાંબી રીજ-જમીનની બહાર ઉપસી આવેલી ધાર-માં સોનું મળવાની શક્યતા છે. આઝાદી પછી ૧૯૫૩માં ડો.બી.સી.રોયે એ વિસ્તારનો અભ્યાસ કરીને ત્યાં સોનાના અંશ મળ્યાની નોંધ કરી હતી. ત્યાર બાદ કેટલાક નિષ્ફળ પ્રયાસ પછી ૧૯૮૬-૮૭ના સર્વેક્ષણમાં મળેલાં સેમ્પલ અને તેના લેબોરેટરી રીપોર્ટના આધારે ડી.એસ.સુથારે પોતાના અહેવાલમાં નોંધ કરી કે ‘આ પરિણામોએ (જામનગર) જિલ્લામાં સોનું ધરાવતા નવા વિસ્તાર મળી આવે, એવી શક્યતાના દરવાજા ઉઘાડી નાખ્યા છે.’
ભૂસ્તરશાસ્ત્ર વિભાગે તૈયાર કરેલો જામનગરનો ખનિજસૂચક નકશો : 
તેમાં સોનાનું નામોનિશાન નથી
આ અહેવાલને લગભગ અઢી દાયકા વીતી ગયા છતાં  એ દિશામાં કોઇ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. ‘શા માટે?’ એનો કોઇ એક જવાબ નથી. નિવૃત્ત થઇ ચૂકેલા ભૂસ્તરશાસ્ત્રી ડી.એસ.સુથાર કહે છે,‘ખાતાકીય ખેંચતાણ જેવાં પરિબળોથી માંડીને, તપાસ કરતાં સોનું મળી આવશે તો ગામડાંમાં પડ્યાપાથર્યા રહેવું પડશે અને ઓફિસમાં પોસ્ટિંગ નહીં મળે એવી માનસિકતા પણ કારણભૂત હોઇ શકે છે.’

ઉત્તર પ્રદેશમાં કોઇ સ્થાનિક સાઘુના સ્વપ્નના આધારે અને કહેવાતા વૈજ્ઞાનિક પુરાવાના આધારે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા સ્થળને ઘેરી લીઘું ને મોટા ઉપાડે ખોદકામ ચાલુ કરાવ્યું. દેશવિદેશનાં પ્રસાર માઘ્યમો અને લોકોનાં ધાડેધાડાં માટે એ જોણું બની ગયું. એ જમીનમાં ‘ધાતુ જેવું કંઇક કઠણ’ હોવાનો દાવો કરતા આર્કિયોલોજિકલ સર્વેને છેવટે મળ્યું શું? પથરા. શબ્દાર્થમાં પથરા. તેની સરખામણીમાં ગુજરાતમાં સોનું મળવાની શક્યતા ખરા અર્થમાં વૈજ્ઞાનિક તપાસ પછી વ્યક્ત થઇ હતી. અલબત્ત, તેનાથી એવું બિલકુલ માની લેવાની જરૂર નથી કે જમીનમાં સોનાનાં બિસ્કિટ દટાયેલાં હશે અને કુહાડી-કોદાળી લઇને ખોદતાં એ ધડાધડ નીકળવા લાગશે. ‘ગુજરાતમાં ગોલ્ડ રશ’ જેવાં ઉત્તેજનાપ્રેરક મથાળાં બાંઘ્યા વિના કે આખી વાતને આબરૂનો-દેખાડાનો મુદ્દો બનાવી દીધા વિના, કેવળ વૈજ્ઞાનિક ઢબે તેની તપાસ કરવાની જરૂર છે. તેમાં સફળતા મળે તો દેશનો ફાયદો છે, પણ નિષ્ફળતા મળે તો કોઇની આબરૂ જવાનો સવાલ નથી. કારણ કે તે અદ્ધરતાલ, કોઇના સ્વપ્નના આધારે નહીં, પણ લેબોરેટરીના અહેવાલોમાં દેખાયેલી સંભાવના આધારે થયેલી તપાસ હશે. 

No comments:

Post a Comment