Tuesday, September 28, 2010

અયોઘ્યા: ધર્મભાવના અને નાગરિકભાવનાની ‘કોમનવેલ્થ ગેમ્સ’

ભારત અને ભારતીયો માટે અત્યારે બે મુદ્દા સૌથી મહત્ત્વના બની ગયા છે: કોમનવેલ્થ રમતોત્સવ અને અયોઘ્યા ચુકાદો. બન્ને વચ્ચે સીધો સંબંધ તો નથી. છતાં ઉપલબ્ધ માહિતીની મદદથી, બે ઘડી આશ્ચર્ય ખાતર તેમની વચ્ચે એક સંબંધ સ્થાપિત કરી શકાય એમ છે.

કોમનવેલ્થ ગેમ્સ એ યુગનું સંભારણું છે, જ્યારે ભારત સહિત બીજા અનેક દેશો પર બ્રિટિશ હકૂમત ચાલતી હતી. એક યા બીજા સમયે બ્રિટિશ રાજના તાબામાં રહી ચૂકેલા દેશોનો સમુહ એટલે કોમનવેલ્થ રાષ્ટ્રો, જે પહેલાં બ્રિટિશ કોમનવેલ્થ (મઝિયારી મિલકત) તરીકે ઓળખાતાં હતાં. એ અંગ્રેજી રાજ સામે ભારતમાં આઝાદીનો જંગ છેડનારી (ભારતીય રાષ્ટ્રિય) કોંગ્રેસની સ્થાપના ઇ.સ.૧૮૮૫માં થઇ. એ જ વર્ષે અયોઘ્યામાં મસ્જિદની પાસે આવેલા ચબૂતરા પર અધિકાર માગતી અરજી અદાલતમાં દાખલ થઇ હતી.

ઇ.સ.૨૦૧૦માં કેન્દ્ર સરકારમાં કોંગ્રેસની આગેવાની હેઠળની મોરચા સરકારનું રાજ છે- દરમિયાન કોંગ્રેસ અનેક ચડાઉતાર, પરિવર્તનો અને ઝંઝાવાતો વેઠી ચૂકી છે- પરંતુ અયોઘ્યા વિવાદ આટલાં વર્ષ પછી પણ ઉકલી શક્યો નથી. બલ્કે, ઉકેલી શકાયો નથી.

અયોઘ્યાવિવાદમાં કોણ સાચું છે, ચુકાદો કોની તરફેણમાં આવશે અથવા આજે ચુકાદો આવવા સંબંધે શો ચુકાદો આવશે, એ અટકળબાજીમાં પડવાનો અર્થ નથી. કેમ કે, હાઇકોર્ટનો ચુકાદો આખરી નથી. ખરૂં જોતાં આ મુદ્દો એવો છે કે તેમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ પક્ષકારોને- ખાસ કરીને હારેલા પક્ષકારને- આખરી નહીં લાગે. મતલબ, અત્યાર લગી ચાલતી કાનૂની તકરાર છેવટે પાણીના વલોણા જેવી નિરર્થક પુરવાર થાય એવી પૂરી શક્યતા છે.

ફરી એક વાર કોમનવેલ્થ ગેમ્સને યાદ કરીએ : તેમાં નાગરિક તરીકે આપણે કેન્દ્ર સરકાર અને તેના સંબંધિત ખાતાંની નિષ્ફળતાની આકરા શબ્દોમાં (વાજબી) ટીકા કરવાની છે, પરંતુ તેની સમાંતરે ચાલતા અયોઘ્યાના મામલે નાગરિકોની ભૂમિકા ફક્ત દૂર ઉભા રહીને ટીકા કરતા ટીકાકાર તરીકેની રહેતી નથી. નાગરિકો પણ તેમાં સીધી કે આડકતરી રીતે પક્ષકાર બન્યા છે. કારણ કે આ વિવાદને મળેલું મહત્ત્વ રાજકીય ઉશ્કેરણી, ધર્મની સંકુચિત સમજ અને નાગરિકભાનની ઉણપને આભારી છે. કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં સરકારે શું કરવું જોઇએ એવું ઉત્સાહપૂર્વક વિચારતા સૌએ અયોઘ્યા મુદ્દે નાગરિકોએ શું કરવું જોઇએ, એ અંગે પણ થોડો સમય આપવા જેવો છે.

કાલ્પનિક ભયથી છૂટકારો
અત્યારે મળતા અણસાર પ્રમાણે, અયોઘ્યાના વિવાદનો કાનૂની લડાઇથી પણ સુખરૂપ અંત આવે એવું ન લાગતું હોય, તો તેના બીજા રસ્તા વિશે વિચારવું પડે.

બીજા સંભવિત રસ્તામાંથી એક - અંતિમવાદનો રસ્તો ભારતીય જનતા પક્ષ અને તેની વિચારધારા સાથે સંકળાયેલાં બીજાં સંગઠનો અપનાવી ચૂક્યાં છે. એ રસ્તે ભારતીય જનતા પક્ષને થોડા સમય માટે સત્તા મળી, પણ દેશના નાગરિકોને તેનાથી કશો ફાયદો નથી અને ઘણું નુકસાન થયું છે. ૬ ડિસેમ્બર, ૧૯૯૨ પછીનાં ૧૮ વર્ષ આટલું સમજવા માટે પૂરતાં ગણાવાં જોઇએ.

સાથોસાથ, એ કમનસીબ હકીકત છે કે મુસ્લિમો દેશનો અવિભાજ્ય હિસ્સો છે, ભારતમાંથી તેમને કદી હાંકી શકાવાના નથી અને વસ્તીવધારાના ‘શસ્ત્ર’થી ભારત પર કદી ‘મુસ્લિમરાજ’ સ્થપાવાનું નથી, એ સમજવા માટે ૧૯૪૭ પછીના છ દાયકા પણ પૂરતા નીવડ્યા નથી.

‘મુસ્લિમરાજ’ની બીકને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે અમેરિકાનો દાખલો આપવામાં આવે છે, જ્યાં કાળા લોકોની બહુમતિ ન હોવા છતાં તેમનું અને થોડા ઉદારમતવાદી ધોળા લોકોનું એટલું પ્રમાણ થઇ ગયું કે એક કાળો માણસ અમેરિકાનો પ્રમુખ બની શકે. ‘જે રીતે એક કાળો માણસ ધોળા અમેરિકા પર રાજ કરી શકે છે, એ જ રીતે થોડાં વર્ષોમાં મુસ્લિમો ભારત પર રાજ કરતા થઇ જશે’ એવી દલીલ પહેલી નજરે બહુ ચોટદાર લાગે છે, પણ સહેજ વિચારતાં તેની પોકળતા છતી થઇ જાય છે. અયોઘ્યા સાથે સીધો સંબંધ ન ધરાવતા આ મુદ્દા વિશે વિચારવાનું એટલા માટે જરૂરી છે કે મંદિર-મસ્જિદ જેવા વિવાદોમાં નાગરિકોના વલણ પર, તેમના મનમાં રહેલી ગ્રંથિઓ ઘણી અસર કરે છે.

‘ધોળા અમેરિકા પર કાળો માણસ રાજ કરે છે’ એ તથ્ય છે છતાં સત્ય નથી. બીજી રીતે કહીએ તો, એ શબ્દાર્થમાં સાચું છે પણ ઘ્વન્યાર્થમાં સાચું નથી. અમેરિકા પર કાળો માણસ રાજ કરતો હોવાને કારણે કેટલાક કાળા લોકોને સશક્તિકરણનો અહેસાસ થતો હશે. અમેરિકાનાં અટપટાં વંશીય સમીકરણો અને કાળા-ગોરાના ભેદભાવના અનેક ખૂણામાં એક વધારાનો ખૂણો ઉમેરાયો હશે. પરંતુ ઓબામાના પ્રમુખ બનવાથી કાળા લોકોએ ધોળા લોકોને સતાવવાનું શરૂ કરી દીઘું હોય કે તેમની અવદશા કરી નાખી હોય એવું બિલકુલ નોંધાયું નથી. જે રીતે ધોળા લોકો કાળા લોકો પર ચડી વાગેલા હતા, એનાથી ઉલટું જરાય બન્યું નથી. બલ્કે, કાળા લોકો સાથે થતા ભેદભાવ હજુ પણ પૂરેપૂરા નાબૂદ થયા નથી. કાળા-ગોરાના મુદ્દે ખુદ ઓબામા પણ છાશ ફૂંકી ફૂંકીને પીવાનું વલણ રાખે છે.

એ જ રીતે ભારતમાં હિંદુઓને બીવડાવવા માટે વપરાતી કાયમી કલ્પના પ્રમાણે ધારો કે ભારતમાં ‘મુસ્લિમોનું રાજ’ આવે તો એનો અર્થ શું થયો? ભારત લોકશાહી દેશ છે. એટલે કોઇ મુસ્લિમ ભારતનો રાજા કે સરમુખત્યાર તો બની જવાનો નથી. ધારો કે કોઇ મુસ્લિમ ભારતનો વડાપ્રધાન હોય તો શું થાય? એ જાણવા માટે શીખોને પૂછી જોવું. કેમ કે, એક શીખ ભારતનો વડાપ્રધાન બન્યા પછી પણ પોતાના જ પક્ષના શીખહત્યારાઓને કંઇ કરી શકતો નથી એ લાચારી તેમણે જોઇ લીધી છે.

મનમોહનસિંઘ જેવા રાજકારણીનો બીજો અંતિમ ગુજરાતના મુખ્ય મંત્રી જેવા નેતા છે. ધારો કે તેમના મુસ્લિમ અડધીયા જેવો કોઇ નેતા સર્વોચ્ચ વહીવટી સ્થાને પહોંચે તો શું થાય? ગમે તેટલું દબંગપણું બતાવ્યા પછી પણ છેવટે તો સત્તામાં ટકી રહેવા ઇચ્છનારે વિકાસનાં ને પ્રગતિનાં ગીત ગાવાં પડે છે. કારણ કે કોમી દ્વેષ અને ઝેરીલી ઉશ્કેરણીથી લાંબો સમય ટકી શકાતું નથી. ચુકાદાના પગલે ગુજરાતના મુખ્ય મંત્રી તરફથી થયેલી શાંતિ જાળવવાની અપીલ આવકારદાયક છે અને ભૂતકાળમાં ઘણા પ્રસંગોે તેમણે શું કરવા જેવું હતું છતાં કર્યું ન હતું તે પણ દર્શાવી આપે છે. ટૂંકમાં, ભારતમાં મુસ્લિમરાજની બીક અને એ બીક સામે ‘જેવા સાથે તેવા’ થવાની નીતિમાં દમ નથી.

રહી વાત ગુંડાતત્ત્વોની. તેમના ધર્મ સામે જોયા વિના તેમની સામે કડક પગલાં લેવાના રિવાજને નાગરિકો તરફથી પ્રોત્સાહન મળે અને એવું ન થાય તો નાગરિકો તરફથી સક્રિય વિરોધ થાય- આ સ્થિતિમાં રાજકીય પક્ષો કોને ખુશ રાખવાનું વધારે પસંદ કરશે? મુઠ્ઠીભર ગુંડાઓને કે બહુમતિ નાગરિકોને?

શ્રી રામ કે ઇસ્લામ, કોઇ ખતરામાં નથી
મુસ્લિમરાજ વિશેના અથવા ‘મુસ્લિમો ચડી વાગશે’ એવા કાલ્પનિક ભયથી છૂટકારો મેળવ્યા પછી, એ વિચારવાનું રહે છે કે અયોઘ્યાનો ચુકાદો આવે કે ન આવે, પણ નાગરિક તરીકે આપણું વલણ કેવું હોઇ શકે?

શ્રદ્ધાળુ હિંદુઓએ પોતાની જાતને જ પૂછવું જોઇએ કે શ્રી વર્તમાન સમયમાં રામના માહત્મ્યમાં તેમની વિવાદી જન્મભૂમિનું મહત્ત્વ કેટલું હોઇ શકે? શ્રી રામનું મહત્ત્વ અને માહત્મ્ય તેમની જન્મભૂમિની વિવાદાસ્પદ જગ્યા પર ટકેલું છે?

એક ધર્મનું સ્થાનક તોડીને એ જગ્યાએ બીજા ધર્મનું સ્થાનક બનાવવાની ઘટના વર્તમાન સમયમાં બની હોય, તો તેનો ન્યાય સાવ જુદી રીતે તોળવાનો રહે , પણ પાંચસો-છસો વર્ષ પહેલાંના એક સંભવિત બનાવને કેન્દ્રમાં રાખીને હિંદુઓ ‘શ્રીરામ ખતરેમેં’ની માનસિકતા ધરાવવા લાગે અને રામલલ્લાને મુક્ત કરાવવાની વાતો કરે, એમાં શ્રી રામ પ્રત્યેની શ્રદ્ધા કરતાં રાજકારણ પ્રેરિત અસલામતી વધારે જવાબદાર નથી લાગતી?

અત્યારે પરિસરમાં મૂકાયેલી શ્રી રામની મૂર્તિ પાછળથી મુકવામાં આવેલી છે એ નોંધાયેલી હકીકત છે. મૂળ ઝગડો મંદિર તોડીને મસ્જિદ બની કે નહીં તેનો છે. અદાલત જો ચુકાદો આપે તો તે આ જ સ્પષ્ટતા કરવાની છે. મર્યાદાપુરૂષોત્તમ ગણાતા શ્રી રામનો ભક્તો એક શક્યતા તરીકે એવું ધારી લે કે મંદિર તોડીને મસ્જિદ બનાવાઇ છે. જો એવું હોય તો પણ આજે આટલાં વર્ષે એટલું જ સિદ્ધ થાય છે કે મંદિર તોડનારો હાર્યો છે. કારણ કે મંદિર તોડ્યા પછી પણ તે લોકોની શ્રદ્ધા તોડી શક્યો નથી.

આ જાતના અર્થઘટનનો અર્થ એવો બિલકુલ જ ન થાય કે ‘મંદિર તોડવાથી શ્રદ્ધા તૂટતી નથી, એટલે મંદિર તૂટવાં દેવાં.’ પરંતુ આ બનાવ પાંચ-છ સદી પહેલાંનો, જુદી રાજકીય-સામાજિક પરિસ્થિતિમાં બનેલો મનાતો હોય અને ખરેખર તે બન્યો છે કે નહીં એ વિશે પણ અવઢવ હોય, ત્યારે તેના વિશે ઉપર જણાવ્યા પ્રમાણે વિચારવું વધારે યોગ્ય નથી?

બાબરી મસ્જિદ અને રામજન્મભૂમિ વચ્ચેની ખેંચતાણ આટલાં વર્ષોથી ચાલે છે, તે બન્ને પક્ષે પુખ્તતાનો અભાવ સૂચવે છે. રાજકીય પક્ષોએ બળતામાં પાણીને બદલે પેટ્રોલ નાખવાનું અને એ રીતે ભડકેલી આગ પર પોતાના રોટલા શેકી લેવાનું કામ કર્યું છે. એ આગની ઝાળ લાગવાથી સામાન્ય નાગરિકોએ ઘણું નુકસાન વેઠ્યું છે. બદલાયેલા સમયમાં, ઇ.સ.૨૦૧૦માં હિંદુઓએ ‘શ્રીરામ ખતરેેમેં’ કે મુસ્લિમોએ ‘ઇસ્લામ ખતરેમેેં’ની ઝનૂનીઓ પ્રેરિત માનસિકતામાંથી બહાર આવવાની જરૂર છે. કેમ કે, આ બન્નેના અસ્તિત્ત્વને તો નહીં, પણ તેમની પ્રતિષ્ઠાને સૌથી મોટો ખતરો બહારથી નહીં, પોતાના અનુયાયીઓ તરફથી છે.

આટલું સમજાય તો અયોઘ્યા મુદ્દે શું ચુકાદો આવે છે તેનું જિજ્ઞાસાથી વધારે કશું મહત્ત્વ નહીં રહે અને ન્યાયના નામે ચાલતી, અવિરતમાંથી અપ્રસ્તુત બની જતી પ્રક્રિયા સાથે લેવાદેવા નહીં રહે.

5 comments:

  1. Anonymous9:26:00 PM

    ઉર્વીશભાઈ સરસ ધારદાર લેખ બદલ આભાર. એક જ સવાલ પૂછવાનું મન થાય છે,અત્યારે ઈન્ટરનેટ પર અને news channel કે news paper પર હિંદુ અયોધ્યામાં રામ મંદિર ની માંગણી કરે છે અને મુસ્લિમ હોસ્પિટલ કે ગાર્ડન બનાવવાની માંગણી કરે છે.....આવું કેમ?????
    સાહેબશ્રી કોઈ પણ મુસ્લિમ દેશમાં મંદિર બનાવવાની છૂટ કેમ નથી અપાતી?????અરે,મક્કામાં તો મુસ્લિમ સિવાય બીજા કોઈ ધર્મના અનુયાયીને બંદગી કરવાની પણ પરવાનગી નથી...તમે પણ જાણો જ છો કે ભારતમાં ૯૦ કરોડથી વધારે હિંદુ રહે છે.....તો પછી એમની લાયક માંગણી નો સ્વીકાર કરવામાં વાંધો શું આવે છે?

    ReplyDelete
  2. there is no intention to hurt anybody and i think i am quite pertinent in my following comment. kindly bear and ponder:


    Hindus all the while boasting of non-violence and 'vasudhaiva kutumbkam' wouldn't like to believe in the uncomfortable version of history but even then let me paste an extract from Wikipedia on persecution of the Buddhists:

    Pusyamitra Sunga (reigned 185 to 151 BCE) assassinated the last Mauryan emperor Brhadrata in 185 BCE, and subsequently founded the Sunga dynasty. From the mid 3rd century BC, under Ashoka, Buddhist proselytization had begun to spread beyond the subcontinent. Buddhist texts such as the Ashokavadana and Divyavadana, written about four centuries after his reign, they contain accounts of the persecution of Buddhists during his reign. They ascribe to him the razing of stupas and viharas built by Ashoka, the placement of a bounty of 100 dinaras on the heads of Buddhist monks and describe him as one who wanted to undo the work of Ashoka.

    accounts like this only prove that fanaticism is an integral part of every religion, and even so-called non-violent religions loudly professing prem, kshama, karuna, bhratrubhav and such other platitudes also are not exception.

    as long as religions are there, their zealot adherents will kill each other and demolish not only each other's 'holy' places but also civilizations. it is as clear as daylight that each religion divides people in twos - its own community and the other i.e. the non-believers or other-religionists. the net result is two camps of adversaries and enemies.


    as long as religion is there, there can be no peace. be it 'Israel and Palestine' or 'Ayodhya and Babri', there will always be fire in some corner of the earth.

    religion is the solace of the primitive man. i wonder why modern man needs religion when he has literature, arts like music-dance-films-drama-painting etc, sports, philosophy, psychology, science and a host of other faculties to fall back on.

    man suffers not because of his non-belief in religion or his godlessness, he suffers because of inegalitarian socio-economic systems. religion is but the tool of the exploiters.

    scientists say THERE IS NO GOD and historians say GOD IS DEAD and psychologists say GOD IS NOT GREAT. and we find it proved in our daily life. we can easily live without both of them. it is my personal experience i have been living without believing in both of them. and i bet i am more humane than any religious man. then why believe in such superstitions like god and religion and destroy civilizations built up by the labours of all human race?

    ReplyDelete
  3. @yash dalal
    Mr.Yash Dalal tamari tippani ma j tamara prashn no jawab chupayelo che...aape janavyu tem MUSLIM RASTRA ma su thay che....je thatu hoy te bhale thay pan...aap e bhuli gaya lago cho ke bharat des BINSAPRADAYIK des che... nahi ke HINDU RASTRA(bhale ne hinduo ni vasti 100 crore hoy) ke nathi MUSLIM RASTRA..ahi badha dharma na loko ne swamanbher raheva no purna adhikar che...
    vadi aape kahyu tem banne dharma na loko na vivadit bhumi par badhkam ange na vicharo je te dharma na loko ni paripakvata chati kare che...ahi prasna e che ke ram mandir e BHAGWAN RAM ni jaruriyat che ke aapni te apne vicharvanu che...vadi su dharma aapni raksha mate che ke aapne dharma ni raksha mate?

    ReplyDelete
  4. Anonymous6:08:00 PM

    America gaya vina googliya lekh lakhi lakhi ne bas koi pan hisabe, evu sabit karvu chhe k Hinduo no bhay khota chhe, ne aavu kai thavanu nathi. Ane muslimo ne bharatmathi hankvani vat j nathi. Pan hinduo ne potana j ghar ma modhu nichu rakhi ne rahevu pade che. Tamara jeva 'komvadi psudo secularistoe' aa desh, samaj nu bahu nuksan karyu chhe. Ane tamara jeva psudo intelectuals na karane j hinduo aatla varsho pachhi thoda asahishnu bani gya chee.

    ReplyDelete
  5. અલ્યા એનોનીમસ બેટા, તારા સાચા નામ સાથે કોમેન્ટ લખવામાં તારી .....ફાટે છે કેમ ?..... બેટા આવું સ્યુડો સેક્યુલારિસ્ટ.....સ્યુડો ઇન્ટેલેક્ચુઅલ... .ને એવું ગંદુ... ગંદુ...આપણાથી ના બોલાય હોં .... બેટા.......આપણે કમર મટકાવી મટકાવી ને માત્ર ગરબે જ ઘૂમવાનું નથી બેટા..... કુવા ની બહાર નીકળીને જુવો કે બહાર ની દુનિયા ની સરખામણી માં આપણે ક્યાં છીએ ...એકલું હિંદુ- મુસ્લિમ.. હિંદુ- મુસ્લિમ જ નહિ રમ રમ કરવાનું ...બીજા દેશોના વિકાસ જોશો ને બેટા તો.... આકાશમાંથી જમીન પર આવી જશો ..... ખોટું ના લગાડતો હોં બેટા...... લી. તારા ચંપક કાકા ના જય હિન્દ .

    ReplyDelete