Tuesday, September 21, 2010

દાઘેસ્તાનઃ કવિનું અને ત્રાસવાદીઓનું (૨) - પહાડી શાણપણની ભૂમિમાં લોહીયાળ સંઘર્ષ

Rasul Hamzatov/ રસૂલ હમઝાતોવ

રસૂલ હમઝાતોવનું દાઘેસ્તાન તેનો રસ અકબંધ રાખીને ગુજરાતી વાચકો સુધી પહોંચતું કરનાર અતુલ સવાણીઃ મોસ્કોના ખોવાન્સ્કો કબ્રસ્તાનમાં પત્ની કુદ્સિયા સવાણીની પહેલી તિથી નિમિત્તે

(તસવીર સૌજન્યઃ ‘ઓપિનિયન’ પત્રના અધિપતિ- વડીલ મિત્ર બ્રિટનનિવાસી વિપુલ કલ્યાણી )

ભૂતપૂર્વ સોવિયેત રશિયાના એક પ્રાંત દાઘેસ્તાનમાં ગુજરાતી વાચકોને રસ પડવાનું મજબૂત કારણ હોય તો એક જઃ કવિ રસૂલ હમઝાતોવે લખેલું -અને પ્રગતિ પ્રકાશન, મોસ્કોના અતુલ સવાણીએ ગુજરાતીમાં ઉતારેલું- પુસ્તક ‘મારૂં દાઘેસ્તાન’.

પહાડી સરળતા, પ્રકૃતિ સાથેની નિકટતા, કોઠાસૂઝ, ડહાપણ, સાદગી જેવાં જીવનમૂલ્યો પુસ્તકમાં આલેખીને રસૂલ હમઝાતોવે પોતાના વતન દાઘેસ્તાનની સ્વર્ગ જેવી છબી ઉભી કરી. સ્મૃતિકથા/આત્મકથામાં રસૂલે દાઘેસ્તાનનાં- પોતાની અવાર ભાષાનાં કવિતા, કહેણી, પ્રસંગોનો છૂટથી ઉપયોગ કર્યો અને પુસ્તકને આત્મીયતાથી ધબકતું બનાવી દીઘું.

દાઘેસ્તાનના લોકકવિ તરીકે ઓળખાતા પોતાના પિતા હમઝાત વિશે રસૂલે લખ્યું હતું,‘વરૂનું ઘાતકીપણું અને સસલાનું બીકણપણું, આપખુદ શાસન અને ગુલામ જેવી તાબેદારી બાપુને પસંદ નહોતાં. એ કહેતા,‘કડકડ કરતાં ભાંગી જવાય એટલા સૂકા ન બનવું અને ચીંથરાની જેમ નીચોવી શકાય એટલા ભીના પણ ન બનવું.’ કોઇ પણ મહેમાનની ત્રણ દિવસ સુધી તો કંઇ પણ પૂછ્યા વિના જ આગતાસ્વાગતા કરવી પડે, એવો રિવાજ ધરાવતા દાઘેસ્તાન વિશે પુસ્તકમાં એક કહેણી એવી પણ નોંધાઇ છે કે ‘મહેમાન બધી બાજુએથી દેખાવડો લાગે, પણ એની પીઠનો દેખાવ સૌથી મજાનો લાગે.’

પહાડી લોકો શાંતિપ્રિય એટલા જ ગરમ મગજના. સંવેદનશીલ એવા જ આક્રમક. એવા એક કવિનો કિસ્સો રસૂલ હમઝાતોવે આપ્યો છે. તેમની કવિતા નવા વર્ષના અંકમાં છાપતી વખતે સંપાદકે તેમાંથી ચાર લીટી કવિને પૂછ્યા વિના ઉડાડી દીધી. નારાજ કવિએ સંપાદકને પૂછ્યું,‘તમારા અખબારના વિશાળ ચરાણમાં મેં ચરવા મૂકેલાં ઘેટાંમાંથી ચાર બહેતરીન ઘેટાંનાં ગળાં કોણે કાપી નાખ્યાં? મારા કાવ્યમાંથી ચાર પંક્તિઓ કોણે ઉડાવી દીધી?’

‘બીજું તાકીદનું લખાણ આવ્યું એટલે જગ્યાની જરૂર પડતાં મેં ચાર પંક્તિ ઉડાડી દીધી.’ એવો સંપાદકનો ખુલાસો સાંભળીને કવિનો પિત્તો છટક્યો. ‘તું કવિનાં કાવ્યોમાંથી એની રજા વગર પંક્તિઓ ઉડાવી શકે તો હું તને બારીમાંથી બહાર ફગાવી શકું.’ એમ કહીને તેમણે સંપાદકને ગળચી અને ટાંટિયા પકડીને પહેલા માળની બારીમાંથી બહાર-નીચે ફેંકી દીધો. સારૂં થયું કે ઓફિસ પહેલા માળ પર હતી અને નીચે ફૂલોની ક્યારી હતી.

કવિના હુમલા અંગે કેસ ચાલ્યો ત્યારે તેમણે પોતાની કેફિયતમાં કહ્યું,‘આંખની સામે આંખ! દાંતની સામે દાંત! એણે મારૂં સંપાદન કર્યું તો મેં એનું સંપાદન કરી નાખ્યું.’

પુસ્તકમાં નામનું મહત્ત્વ વધારે છે કે તેની અંદરની સામગ્રીનું, એ અંગે પોતાની અવઢવ પ્રગટ કરતાં રસૂલે એક કથા લખી છેઃ ત્રણ શિકારીઓ એક વરૂનો શિકાર કરવા ગયા. વરૂ ફક્ત એક જણનું માથું જઇ શકે એટલી સાંકડી ગુફામાં છૂપાઇ ગયું. પહેલા શિકારીએ વરૂને મારવા માટે ગુફામાં માથું નાખ્યું, પણ પછી કલાકો સુધી કોઇ હલનચલન થયું નહીં. એટલે બાકીના બે શિકારીઓએ ગુફાની બહાર દેખાતું ધડ ખેંચ્યું, તો તેની પરનું માથું ગાયબ! બન્ને શિકારીઓ એ જોઇને વિચારમાં પડ્યા અને એકબીજાને પૂછવા લાગ્યા,‘આ અંદર ધૂસ્યો ત્યારે તેનું માથું હતું કે નહીં?’ લાંબી ચર્ચા પછી બન્ને શિકારીઓને યાદ આવ્યું નહીં, એટલે તે મૃત શિકારીની પત્ની પાસે ગયા અને તેને પૂછ્યું. પત્નીએ જવાબ આપ્યો,‘મારા ધણીને માથું હતું કે નહીં એની મને કેવી રીતે ખબર પડે? મને ફક્ત એટલું યાદ છે કે તે દર વર્ષે નવી પાપાખા (દાઘેસ્તાની ટોપી) ખરીદતો હતો.’

આ પ્રકારના ચોટદાર કિસ્સાની જેમ સ્થાનિક સંસ્કૃતિમાંથી નીપજેલી અનેક શાણપણભરી ઉક્તિઓ પણ રસુલે નોંધી છે. જેમ કે ‘ગરૂડને ખડ ખવડાવવાની અને ગધેડાને માંસ ખવડાવવાની કોશિશ કદી ન કરવી.’ અથવા ‘જે સવાર પાસે ઘોડા માટે પલાણ કે ચાબુક ન હોય તેની બીબી તેને છોડીને ભલે ચાલી જતી.’ તેમણે લખ્યું છે, ‘પહાડી વિસ્તારોમાં શાદીની મહેફિલમાં સામેલ થવા આવતો માણસ પોતાનાથી પહેલાં પહોંચેલા લોકોને પૂછે છે: ‘સૌ પૂરતા ભેગા થઇ ગયા છો કે હું પણ આવું અંદર?’ અને મહેમાનો જવાબ વાળે,‘તમે ખરેખર તમે જ હો તો જરૂર અંદર આવો.’

પહાડી લોકો ઝઘડતી વખતે એકબીજા વિશે આકરાં વેણ બોલે ખરા, પણ કોઇના મોઢે ભૂલેચૂકે મા કે બહેન વિશે કંઇક આવી ગયું તો ખલાસ! તરત મ્યાનમાંથી કટારો ઝબૂકે. આ ખાસિયત નોંધીને રસૂલ લખે છે,‘દાઘેસ્તાન, તું મારી મા છે...મને કહેવાતાં તમામ વેણ હું સાંખી લઇશ, પણ મારા દાઘેસ્તાનને બટ્ટો લગાડતા શબ્દો હું કોઇને નહીં બોલવા દઊં.’

દાઘેસ્તાનની અવાર ભાષામાંથી રશિયન ભાષામાં અને પછી તો બીજી અનેક ભાષાઓમાં રસૂલ હમઝાતોવની કૃતિઓના અનુવાદ થયા. તેમને દાઘેસ્તાનના સત્તાવાર લોકકવિ જેવું બહુમાન મળ્યું. સાથોસાથ, એક સૂર એવો પણ ઉઠતો રહ્યો કે રશિયાની સામ્યવાદી સરકારના લોખંડી સકંજા સામે તેમણે કદી અવાજ ન ઉઠાવ્યો અને શાસનના અત્યાચારોનો ભોગ બનેલા સર્જકોની પડખે ઉભા ન રહ્યા. બલ્કે, શાસકો તરફથી મળતાં માનસન્માન-એવોર્ડ વિના સંકોચે સ્વીકારતા રહ્યા. રશિયાની સામ્યવાદી સરકારે બે વર્ષ પહેલાં દાઘેસ્તાનના પાટનગર માખાચકલામાં રસુલ હમઝાતોવની ઓફિસને તેમના મ્યુઝીયમ તરીકે ખુલ્લી મૂકી. બીજી ઘણી રીતે પણ તેમની તિથીની ઉજવણી થઇ.

રસૂલ હમઝાતોવનું ૩ નવેમ્બર, ૨૦૦૩ના રોજ મૃત્યુ થયું તે પહેલાં દાઘેસ્તાન અને તેના પાડોશી મુલક ચેચન્યામાં રશિયાના શાસન સામે બે વિદ્રોહ થઇ ચૂક્યા હતા. બન્ને વખત રશિયાએ બળપ્રયોગ કર્યો અને બીજા યુદ્ધ પછી ચેચન્યામાં રશિયાની કહ્યાગરી સરકાર સ્થાપવામાં સફળતા મેળવી. તેમ છતાં શાંતિ સ્થપાઇ નહીં. ૧૯૯૯માં ચેચન્યા સ્થિત કટ્ટરપંથી ‘ઇસ્લામિક ઇન્ટરનેશનલ બ્રિગેડ’ના હથિયારબંધ માણસોએ ક્રુડ ઓઇલ અને ગેસથી સમૃદ્ધ છતાં ગરીબ દાઘેસ્તાનના વિદ્રોહીઓનો પક્ષ લઇને રશિયન સત્તા સામેના સંઘર્ષમાં ઝુકાવ્યું. યુદ્ધમાં રશિયાનાં દળોનો વિજય થયો, પણ દાઘેસ્તાનની શાંતિ હણાઇ ગઇ. રઝૂલ હમઝાતોવની કવિતાઓથી ઓળખાતું દાઘેસ્તાન ત્યાર પછી હિંસાની ઘટનાઓને કારણે સમાચારોમાં આવવા લાગ્યું.

કટ્ટરપંથી ઇસ્લામી વિદ્રોહીઓએ રશિયાનો મજબૂત ટેકો ધરાવતી સ્થાનિક સરકાર, તેની પોલીસ અને સરકારી સંસ્થાઓને નિશાન બનાવવાનું ચાલુ રાખ્યું. આ મહિનાના બીજા અઠવાડિયામાં સરકારનો ત્રાસવાદવિરોધી વિભાગનો વડો પાટનગર માખાચકલામાં પોતાની ઓફિસે જઇ રહ્યો હતો, ત્યારે ઉગ્રવાદીઓએ તેને વીંધી નાખ્યો. ત્યાર પહેલાં એક કારમાં બોમ્બ ફાટતાં એક પોલીસને ગંભીર ઇજા પહોંચી હતી. તેના અઠવાડિયા પહેલાં દાઘેસ્તાનના વિદેશ નીતિ અને માહિતી ખાતું સંભાળતા મંત્રી પર ખૂની હુમલો થયો હતો, જેમાંથી મંત્રી તો બચી ગયા પણ તેમનો ડ્રાયવર માર્યો ગયો અને બે અંગરક્ષકો ઘાયલ થયા. સપ્ટેમ્બરના આરંભે દાઘેસ્તાનમાં આવેલી એક સૈન્યછાવણી પર સુસાઇડ કાર બોમ્બિંગના હુમલામાં ૫ જવાન મૃત્યુ પામ્યા અને ૪૦ ઘાયલ થયા. ત્રાસવાદવિરોધી દળના વડાની હત્યા પછી ગયા રવિવારે રશિયાની પોલીસના સ્પેશ્યલ ઓપરેશનમાં માખાચકલામાં ૧૦ ઉગ્રવાદીઓને ઠાર કરવામાં આવ્યા.

બન્ને પક્ષો એકબીજાના અંતિમવાદી વલણ વિશે ફરિયાદ કરી રહ્યાં છે- અને કદાચ બન્ને પક્ષ સાચા છે, પણ તેમની વાત સાચી હોય તેનાથી ખૂનામરકીનો અંત આવતો નથી. તે આગળ વધતી રહે છે. રસૂલ હમઝાતોવે લખ્યું હતું,‘બીજા બધા દેશોનો ઇતિહાસ લોહી ઉપરાંત શાહીથી પણ લખાયેલો છે, જ્યારે દાઘેસ્તાનને એ મોકો વીસમી સદીમાં પહેલી વાર મળ્યો.’ પરંતુ લાગે છે કે માંડ મળેલો એ મોકો એકવીસમી સદીના આરંભે જ હાથથી સરી રહ્યો

દાઘેસ્તાનના પહાડી લોકોમાં કહેવાય છે કે ‘અમારા પહાડોની જડીબુટ્ટીઓથી ન મટે એવો કોઇ રોગ દુનિયામાં છે જ નહીં.’ પરંતુ લાગે છે કે રાજકીય અશાંતિ, સુસાઇડ બોમ્બિંગ અને ઉગ્રવાદ એવા રોગ છે, જેની જડીબુટ્ટીઓ કોઇ પહાડ પર ઉગતી નથી. રસૂલ હમઝાતોવના દાઘેસ્તાનમાં પણ નહીં.

No comments:

Post a Comment