Tuesday, September 14, 2010

તહેવારોની ઉજવણી, પરંપરાગત ‘ત્રાસોલ્લાસ’થી

આપણા અનેકવિધ તહેવાર વિશે કાકાસાહેબ કાલેલકર કે ફાધર વાલેસે શું લખ્યું છે, એ યાદ કરવાનું આ ટાણું નથી. શ્રાવણ, પર્યુષણ અને રમજાન હમણાં જ પૂરા થયા. ગણેશચતુર્થીથી ગણેશભક્તિની સીઝન બેઠી છે. પછી મહિનામાં નવરાત્રિ...

તહેવારોના મૂળમાં રહેલા ધર્મ જુદા જુદા છે, રીતરિવાજ, આચારો અને ઇષ્ટદેવતા પણ અલગ અલગ. છતાં ઘણા બધા તહેવારોની ઉજવણી એક જ રીતે થવા લાગી છે: ‘ભારતીય’ ઢબે.

‘ભારતમાં તહેવારો ભારતીય ઢબે નહીં, તો બીજી કેવી રીતે ઉજવાય?’ એવો સ્વાભાવિક સવાલ પૂછવાને બદલે ‘ભારતીય ઢબ એટલે શું?’ એ સ્પષ્ટતા સૌથી પહેલાં કરીએ.

ધર્મનો માઇક-અવતાર
ઉજવણીની ‘ભારતીય’ પદ્ધતિ એટલે એવી રીત, જેમાં બીજા લોકોને હેરાનગતિ, ત્રાસ, અડચણ કે નુકસાન પહોંચાડ્યા વિના ઉજવણી થઇ જ ન શકે. ‘ભારતીય’ રીતનો એક અર્થ એવો પણ થાયઃ ‘અમે વગાડીએ એટલે બધાએ ઝૂમવું જોઇએ’ અથવા ‘અમે ગાઇએ એટલે બધાએ નાચવું જોઇએ’ એવી ઘેલછાભરી સામુહિક માનસિકતા. ‘ભારતીય’ રીતે ઉજવણી કરનારાના મનમાં સિવિક સેન્સ/નાગરિકભાનનું ખાનું સદંતર ખાલી હોય અને એ ખાલી જગ્યા મોટે ભાગે છીછરી-ઉપરછલ્લી ધાર્મિકતાથી ભરેલી હોય- એવી ધાર્મિકતા, જેને અસલી ધર્મ કે તેના હાર્દ સાથે ભાગ્યે જ કશી નિસબત હોય. ખરેખર તો એ ધાર્મિકતાના લિબાસમાં રહેલી ધાંધલવૃત્તિ જ હોય.

ધાર્મિક તહેવારોના નામે સામુહિક અશાંતિ અને અવ્યવસ્થા ફેલાવનારાં પરિબળો ઘણાં છે. તહેવારો નિમિત્તે નીકળી પડેલા પદયાત્રીઓના લાભાર્થે રાજ્યના મુખ્ય રસ્તા બંધ કરી દેવા કે બીજા રૂટની સંખ્યાબંધ બસ ખસેડીને ઉજવણીના રૂટ પર મૂકી દેવી- એવી સત્તાવાર અવ્યવસ્થાઓ હવે સામાન્ય બની ચૂકી છે. છતાં, ‘સામુહિક ત્રાસનાં શસ્ત્રો’માં સૌથી પહેલા સ્થાને આવે છે ઘોંઘાટ.

મોટા ભાગના ધાર્મિક લોકોનું ગણિત સાદું છેઃ ઘોંઘાટ જેટલો વધારે, એટલી ઉજવણી વધારે સારી. એ સમીકરણ પ્રમાણે માઇક- લાઉડસ્પીકર ન હોય તો એવું લાગે છે, જાણે ધર્મોનું અસ્તિત્ત્વ જોખમમાં આવી પડે! સદીઓથી રમજાન મહિનો આવે છે, સદીઓથી મુસ્લિમો રોજા કરે છે, પરંતુ છેલ્લાં થોડાં વર્ષથી રમજાન મહિનામાં વહેલી પરોઢે મસ્જિદોનાં માઇક પર થતી ઘાંટાઘાંટ સાંભળીને એવું લાગે, જાણે માઇક પરથી સૂચનાઓ નહીં અપાય, તો રોજા ચાલુ થઇ જ નહીં શકે.

ખરેખર એવું હોય? ગમે તેટલા ગરીબમાં ગરીબ મુસ્લિમ પાસે પણ ઘડિયાળ કે સમય જાણવાની વ્યવસ્થા ન હોય? દિલની ભાવનાથી રોજા કરનાર શું મસ્જિદના માઇક પરથી બરાડા પડે તેની રાહ જોવાના છે? (હા, મસ્જિદ હોય કે મંદિર, માઇક હાથમાં આવે એટલે મોટા ભાગના લોકો રાજાપાઠમાં આવીને બૂમબરાડા શરૂ કરી દે છે.)

ફક્ત રમજાનમાં જ શા માટે? આડા દિવસે પણ નમાજ અદા કરવા માટે મસ્જિદો પર ભૂંગળાં મૂકવાની શી જરૂર હોવી જોઇએ? વર્ષો વીતવાની સાથે ભૂંગળાંની સંખ્યા અને તેનાથી પેદા થતા ઘોંઘાટમાં સતત વધારો થઇ રહ્યો છે. મસ્જિદનાં માઇકને પોતાની ધર્મભાવના સાથે સાંકળતા મુસ્લિમોએ ચડસાચડસી વિના, શાંતિથી એટલું જ વિચારવું જોઇએ કે ભારતમાં માઇક કેટલાં વર્ષથી છે? અને ઇસ્લામ કેટલાં વર્ષથી? મસ્જિદોનાં માઇક વિશે આવા પ્રાથમિક સવાલો બીજા કોઇ કરતાં વધારે મુસ્લિમ સમાજના લોકોને થવા જોઇએ.

અધકચરા અને હોંશીલા ભગતો માઇકને ધર્મ સાથે કેવું જોડી દે છે તેનો એક નમૂનો: થોડાં વર્ષ પહેલાં એક પરિચિતના ઘરે ભજન રાખવાનું હતું, પણ યજમાન શાંતિપ્રિય, નાગરિકભાવના ધરાવતા અને સંગીતપ્રેમી હતા. તેમની શરત હતીઃ ‘ભજન માઇક વિના થવું જોઇએ. તો જ એ મઘુર લાગે.’ સામે પક્ષે ભજનમંડળીની શરત હતી કે ‘માઇક નહીં, તો ભજન નહીં.’ છેવટે યજમાને ભજન રાખવાનું માંડી વાળ્યું, પણ મંડળી માઇક વિના ભજન કરવા તૈયાર ન થઇ.

મોટા ભાગના યજમાનો આટલા મક્કમ નથી હોતા. તે ધર્મને ખાતર એક રાત માઇકનો ત્રાસ વેઠી લે છે, પરંતુ સવાલ ફક્ત એ યજમાનનો નથી. તેમના નિર્દોષ પાડોશીઓનો શું વાંકગુનો?

ઘોંઘાટસ્વાતંત્ર્ય
એકાદ-બે દાયકા પહેલાં ગણેશોત્સવ મહારાષ્ટ્રનો તહેવાર ગણાતો હતો અને વડોદરા જેવાં ગાયકવાડી નગરોને બાદ કરતાં બાકીના ગુજરાતમાં મહારાષ્ટ્રી લોકો શાંતિથી ઘરમેળે ગણેશસ્થાપના અને પૂજાઅર્ચના કરીને ધર્મભાવના સંતોષતા હતા.

અને હવે? ગણેશચતુર્થીના દિવસે જે મળ્યું તે સાધન લઇને ગણેશની મૂર્તિ લઇ આવતા ‘ભક્તો’ રસ્તામાં કિકીયારીઓ પાડે છે, ઘોંઘાટ કરે છે અને જંગલમાં છૂપાયેલા સિંહને શિકાર માટે બહાર કાઢવાનો હોય એટલા મોટા અવાજે જાહેર રસ્તા પર ઢોલનગારાં વગાડતા નીકળી પડે છે. તેમને કોઇ કહેનાર નથી. કારણ કે તે ‘ધાર્મિક કાર્ય’ કરી રહ્યા છે.

હા, ભારતમાં જાહેર રસ્તા પર, ટ્રાફિકને અને માણસોને અડચણ પડે એ રીતે ઘોંઘાટ ફેલાવવો અને અસભ્યતાથી વર્તવું એ પણ ધાર્મિક કાર્ય હોઇ શકે છે. ભક્તોની જંગાલિયત માટે બિચારા દેવતાઓને શી રીતે દોષ દઇ શકાય? કયા ધર્મના પવિત્ર ગ્રંથમાં એવું લખ્યું હશે કે દેવતાની ભક્તિ માઇક પરથી, બીજાના કાનમાં ધાક પડી જાય એટલો ઘોંઘાટ મચાવતાં જ કરવી?

ગણેશોત્સવ કે નવરાત્રિ જેવા ઉત્સવોમાં સવાલ એક વાર ત્રાસ સહી લેવાનો નથી હોતો. મોટે ભાગે અવરજવરના મુખ્ય રસ્તા પર મંડપ તાણી બાંધીને ગણેશજીની સ્થાપના કર્યા પછી, સાંજ પડ્યે તેમની આરતી વખતે રસ્તા પર ભીડ થાય ત્યારે ટ્રાફિક રામભરોસે કે ગણેશભરોસે થઇ જાય છે. પરંતુ રસ્તાની બાજુ પર મૂકેલાં વાહનો ઉપાડવામાં અદ્ભૂત કાર્યક્ષમતા દાખવતાં ટોઈંગ વાહનો કે દબાણ ખસેડનાર મ્યુનિસિપલ કોર્પોરેશન આખેઆખા મંડપને કશું કરી શકતાં નથી. કારણ કે સ્થાનિક નેતાઓ અને દાદાઓના આ પ્રવૃત્તિને આશીર્વાદ હોય છે.

મંડપ પણ ગણ્યાગાંઠ્યા નહીં. અમદાવાદમાં તો રસ્તા પર કિલોમીટર દીઠ બે-ત્રણની સંખ્યામાં ફૂટી નીકળેલી દેરીઓ કે મંદિરોની જેમ, ગણેશના મંડપો પણ એક કિલોમીટરમાં ત્રણ-ચાર મળી આવે. તેમાં કોણ વધારે ખર્ચ કરે, આરતી વખતે કોણ વધારે ઘોંઘાટ મચાવે ને કોના ગણપતિ વધારે મોટા, એવી નખશીખ દુન્યવી બાબતો અંગે (ધર્મના નામે જ) તીવ્ર ચડસાચડસી થાય, પ્લાસ્ટર ઓફ પેરિસની ગણેશજીની મૂર્તિઓ હજારોની સંખ્યામાં તળાવ કે નદીમાં પધરાવવામાં આવે ત્યારે તેનાં રસાયણોથી પાણી પ્રદૂષિત થાય અને જીળસૃષ્ટિને પણ તે નુકસાન કરે.

ગણેશચતુર્થી હોય કે રથયાત્રા, વધામણાં કરવા માટે મોટાં સ્પીકરો અને ભૂંગળા લગાડીને તેની પર દેશભક્તિનાં ગીતોથી માંડીને ભજનો-ગીતો મોટા અવાજે વગાડ્યા વિના તો ચાલે જ નહીં. ઘોંઘાટ ફેલાવવાના નવા મોકા શોધતા હોય તેમ લોકો હવે દિવાળી, ઇદ કે ખ્રિસ્તી નવા વર્ષ જેવા દિવસોએ પણ ડેકોરેટર પાસેથી મોટાં ભૂંગળાં મંગાવીને, પાડોશીઓની પરવા કર્યા વિના ઘરઆંગણે ઘોંઘાટ મચાવતા થયા છે. ત્યારે જ તેમને ઉત્સવ ઉજવ્યાનો સંતોષ થાય છે.

નવરાત્રિમાં શોખીનો ગરબા ગાય, ઝૂમે-નાચે એમાં શા માટે વાંધો પડવો જોઇએ? પણ શોખીનોના શોખને લીધે ગરબા સાથે કશી લેવાદેવા ન હોય એવા લોકોની નવ રાતની ઊંઘ હરામ થઇ જાય, તેમના ઘરમાં બધાં બારીબારણાં બંધ કરી દીધાં પછી પણ કાનમાં ધાક પડી જાય એવું ‘સંગીત’ સંભળાતું રહે, તો તેની સામે શા માટે વાંધો ન પડવો જોઇએ? સાઉન્ડપ્રૂફ હોલમાં અથવા માઇક અને ઘોંઘાટ વિના જેને પોતાની મરજી પ્રમાણે ઉત્સવ ઉજવવા હોય તે ઉજવે. એ વ્યક્તિગત કે સામુદાયિક સ્વાતંત્ર્યનો વિષય છે. પણ જાહેર વ્યવસ્થા- જાહેર શાંતિનો ભંગ કરવાની ‘સ્વતંત્રતા’ કોઇને ન હોઇ શકે.

લખનૌ કે અમદાવાદ?
ઘોંઘાટ ઘટવાને બદલે વધી રહ્યો છે અને એકલદોકલ ઉત્સવને બદલે બધે છવાઇ રહ્યો છે, ત્યારે શું થઇ શકે?
સ્વાભાવિક રીતે જ સૌથી પહેલાં યાદ આવે કાયદો અને તેનો અમલ કરવાની જવાબદારી ધરાવનાર પોલીસ. જાહેર રસ્તા પર અડચણ ઉભી કરવાથી માંડીને નિરંકુશ ઘોંઘાટ ફેલાવવાની પ્રવૃત્તિઓ અટકાવવાની પોલીસને પૂરેપૂરી સત્તા છે, પરંતુ ‘લોકલાગણી’ સામે અને ખાસ તો કહેવાતી લોકલાગણી સામે લાળ ટપકાવતા નાના-મોટા નેતાઓ સામે પોલીસનું ઝાઝું ઉપજતું નથી. એવા સંજોગોમાં મદદ આપનાર અને મદદ માગનાર બન્નેને ઘોંઘાટ દ્વારા પોતાની મહત્તા સ્થાપિત કરવા ઇચ્છતાં તત્ત્વોનો વિરોધ સહવો પડે છે.

‘લોકલાગણી’ના બહાને ઘોંઘાટને માન્યતા આપતા કે તેને વાજબી ઠરાવતા લોકો પાસે બીજું હાથવગું હથિયાર કોમવાદ અને કોમવાદ આધારિત રાજકારણનું છેઃ નવરાત્રિ કે ગણેશોત્સવના ઘોંઘાટની વાત થાય, એટલે તરત મસ્જિદનાં માઇકને સામે મૂકીને હિસાબ સરભર કરી નાખવામાં આવે. પણ એ તો રાજકારણ થયું. નાગરિકભાનનું શું? મસ્જિદનાં માઇકથી ને મંદિરનાં માઇકથી એકસરખો ત્રાસ થતો હોય એવા લોકોનું શું? તેમના માટે આ વ્યવસ્થામાં કોઇ સ્થાન નથી?

નાગરિકો ભાન ભૂલી જાય ને દુશ્મનાવટ-અસલામતી તથા ઠાલી આપવડાઇમાં ગુલતાન રહે, એવું ઇચ્છતા નેતાઓ માઇકનો પણ ઉપયોગ કરી લે છે. સરેરાશ મુસ્લિમને મસ્જિદ પર મુકાયેલા માઇકથી વધારે ફાયદો થવાનો છે કે શિક્ષણ-રોજગારમાં સમાન તકથી? પરંતુ મુસ્લિમોને નાગરિક તરીકેનો સમાન દરજ્જો અપાવવાને બદલે તેમને ‘અસલામતીથી પીડાતી વોટબેન્ક’ બનાવી દેવા ઇચ્છતા નેતાઓ, માઇક જેવાં રમકડાંથી આખા સમાજને સમજાવી-પટાવી જુએ છે.

સૌ પોતપોતાનાં ઘોંઘાટયંત્રો વગાડવામાં મશગૂલ હોય, ત્યારે આ ત્રાસ અટકે શી રીતે? સીધી વાત છે: વ્યક્તિ હોય કે સમુદાય, શરૂઆત ઘરથી કરવી પડે. એક જૂથ પોતાનો ઘોંઘાટ બંધ કર્યા પછી બીજા જૂથને અપીલ કરે, તો એ અપીલની અસર થવાની શક્યતા રહે. ધારો કે અસર ન થાય તો પણ કાયદા, પોલીસ કે કોમવાદ કરતાં વધારે નાગરિકભાનથી કોઇ પણ ધર્મના ઘોંઘાટ કરનારા સામે સહિયારો વિરોધ થઇ શકે.

આ બાબતમાં ‘પહેલે આપ’ની લખનૌગીરી નહીં, પણ વટ કે સાથ ‘પહેલે હમ’ની ‘અમદાવાદગીરી’ (કે ‘ગુજરાતગીરી’) કરવી પડે.

14 comments:

  1. let me be the first to congratulate you.

    and would wish the write-up gets much wider circulation through some newspaper columns.

    in the name of 'freedom of religion' this unique and 'uniformly Indian' style of celebrating festivals is becoming a great nuisance.

    everybody must have gone through his share of such annoying religiosity. let me describe mine : a residential complex neighboring to mine had but one Maharashtrian family and certainly not well off to shoulder burden of festivities alone. but have managed for a big show full with Ganesha idol, pandal, music system and prasad and all the paraphernalia. i live just opposite the site of festivities and bear with the blaring loudspeakers.

    and since it is in the name of and gods and goddesses, the religious persons take it as their natural right to pluck flowers and asopalav leaves from our kitchen garden - not necessitating any courtesy of permission! they don't ever feel that this is nothing but stealing.

    and they don't know their god and goddesses don't condone stealing! refer to the scriptures, all profess they stand for for morality and ethics!

    ReplyDelete
  2. Lead.Religion.True.Sense2:48:00 PM

    Self-restraint is best solution, to avoid mis-use of audio / video equipments.

    ReplyDelete
  3. ભારતમાં જેવા મહામુર્ખોત્સવો ઉજવાય રહ્યા છે તેવા ઉત્સવો બીજે ક્યાંય નહીં ઉજવાતા હોય.ગણેશ ચતુર્થીના દિવસે સુરતના સરદાર બ્રીજ પર અડધો કલાક ફસાયેલો.જે પુલ પાર કરવા માટે પાંચ મિનિટ પણ નથી થતી,તે પુલ પાર કરવામાં મુર્ખોત્સવ નડ્યો.હવે તો પાછૂ D.j આવી ગયુ છે.કાન ફાડી નાખે તેવા ઘોંઘાટથી ગણેશોત્વોમાં 'મુન્ની બદનામ હુઈ'ના ભજનો વગાડે છે.અહીં વિજ્ઞાન અને ધર્મોને એકમેકમાં કેવી રીતે ભેળવવા ? ધર્મ સાથે જોડાયેલાઓમાં બુદ્ધી નામનું તત્વ જ નથી હોતુ.
    છેલ્લે એકદમ સાચીવાત કરી "આ બાબતમાં ‘પહેલે આપ’ની લખનૌગીરી નહીં, પણ વટ કે સાથ ‘પહેલે હમ’ની ‘અમદાવાદગીરી’ (કે ‘ગુજરાતગીરી’) કરવી પડે."

    ReplyDelete
  4. urvish kothari4:57:00 PM

    The piece appeared in my edit page column of GS ('drushtikon')yesterday.
    pl. feel free to circulate it.

    ReplyDelete
  5. Anju Dave6:28:00 PM

    Truth again from Urvishbhai. Thanks
    * Anju Dave,NJ.

    ReplyDelete
  6. ઉર્વીશભાઈ બિલકુલ સાચી વાત લખી છે. તહેવારો આવેછે તો એક પ્રકારની બીક લાગેછે. કહીપણ નથી શકાતું નહીંતો મી ભક્તો કે દાદાના ભક્તો નો ધાર્મિક ભાવ આપના ઉપર તૂટી પડે છે. આ બધાનો ઉપાય શું? જણાવશો.

    ReplyDelete
  7. yes,correct, in season of festival,ppl do competitions to prove their religionity better in terms of making noise pollution.

    ReplyDelete
  8. Self.Audit.Plural.Society10:08:00 AM

    A plural society, absence of proper education is suffering from dharmandhata instead of dharmikta, which could be easily led by cunning politician.

    Besides Regulating Authority are experiencing nexus, corruption, intervention and feel teeth of law being led like ass-phenomenon.

    Only we first, preferred self-restraint would help to support peaceful & noiseless, which our earlier society experienced.

    ReplyDelete
  9. Urvish, if I dont forget or falter, use of loud speaker by mosques were given stay from courts, so police is helpless. Also, we have to remember that this goes on for all 365 days, irrespective of festival.
    I give donation for Ganesh selebration to my society boys only on one condition- they have to control volume and stop it @10PM and they do follow it.
    Thnx for highlighting good point.

    ReplyDelete
  10. SAMOOH-MAADHYAMO PAN UTTE'JAN' AAPE CHHE SAHEB!ETLE 'JAN-JAN' MAA AA VIRUS FELAATO JAAY 6.

    ReplyDelete
  11. BILKUL SACHU LAKHYU CHE,

    ReplyDelete
  12. મસ્જિદોના લાઉડ સ્‍પીકરો વિશે દેવબંદના મદરસા દ્વારા રમઝાનમાં જ ફતવો બહાર પાડવામાં આવ્‍યો હતો, યુ.એન. આઇ. અને પી.ટી.આઇ.માં બેઠેલા અમુક તત્‍વો દેવબંદના અમુક ફતવાઓને મદરસા વિરોધી કે મુસલમાનો - ઈસ્‍લામને બદનામ કરવા વાપરે છે, એને આપણા ફકીર પેપરો અનુવાદ કરીને છાપી મારે છે,
    પણ યુ.એન.આઇ. કે પી.ટી.આઇ. ને આવા ફતવા દેખાતા નથી.
    તમને ઉર્દૂ આવડે છે કે નહિ, ખબર નથી, જમાઅતે ઈસ્‍લામી દ્વારા દિલ્‍હીથી પ્રકાશિત થતા એક ત્રિદિવસીય સમાચાર પત્રમાં આ વિશે સમાચાર અને એના ઉપર તંત્રી દ્વારા રોજ પાચ સમયે સ્‍પીકર ઉપર અઝાન પોકારવાના પ્રશ્ને મુસ્લિમ ઉલમાઓને આગળ આવીને કંઇક કરવાની અપીલ કરવામાં આવી છે... લિન્‍ક.....

    http://dawatonline.com/Archive_KHABAR_0_NAZAR.aspx?sDate=01-sep-2010
    http://dawatonline.com/Archive_Page1.aspx?sDate=01-sep-2010

    ReplyDelete
  13. utkantha8:08:00 PM

    આ વાંચીને કબીરજીની પંક્તિ યાદ આવી. આખી તો યાદ નથી, પણ અર્થ કંઈક આવો છે. કીડીના પગમાં નૂપુર બાજે તો પણ મારો માલિક તે સાંભળે છે.

    ReplyDelete
  14. Anonymous1:34:00 AM

    Laws are there but needs inforcement.........

    http://en.wikipedia.org/wiki/Noise_regulation

    Indian Judiciary on religion and noise pollution
    http://www.goforthelaw.com/articles/fromlawstu/article23.htm
    http://www.agreenerfestival.com/noise.html
    http://www.thehindu.com/opinion/open-page/article2309015.ece

    http://youtu.be/MqtAaAyYRP4

    ReplyDelete