Sunday, September 12, 2010

દાઘેસ્તાનઃ કવિનું અને ત્રાસવાદીઓનું...

સહેલાણીઓના સ્વર્ગ તરીકેની ખ્યાતિમાંથી કાશ્મીર જેમ આતંકના અડ્ડા તરીકે વગોવાઇ ગયું, એવું જ કંઇક જુદી રીતે અને જુદાં કારણોસર રશિયાના પાડોશી દેશ દાઘેસ્તાન સાથે થઇ રહ્યું છે.

દૂર કોકેસસની પહાડીઓમાં, કાસ્પિયન સમુદ્રના કિનારે, ચેચેન્યા જેવા લોહિયાળ સંગ્રામ માટે જાણીતા મુલકની પાડોશમાં આવેલા દાઘેસ્તાન સાથે આપણે શી લેવાદેવા? એવો સવાલ થઇ શકે. દાઘેસ્તાનની બહુમતિ મુસ્લિમ વસ્તીમાંથી થોડા અંતિમવાદીઓ રશિયન પોલીસ કે લશ્કર પર હુમલા કરે, ખૂનામરકી મચાવે તેમાં આપણે શું? દાઘેસ્તાન ક્યાં અમેરિકા-ઓસ્ટ્રેલિયા-બ્રિટન છે કે ત્યાં રહેતા ગુજરાતી-ભારતીય નાગરિકોની આપણે ચિંતા કરવી પડે?

ખરી વાત છે. દાઘેસ્તાનને ગુજરાત સાથે કશો સીધો સંબંધ નથી. તેમ છતાં, ઘણા ગુજરાતી વાચનપ્રેમીઓની લાગણીનો તંતુ દાઘેસ્તાન સાથે જોડાયેલો છે. દાઘેસ્તાન સાથે તેમને લાગેવળગે છે. તેનું કારણ છે: દાઘેસ્તાની લોકકવિ રસૂલ હમઝાતોવનાં કાવ્યાત્મક, આત્મકથાત્મક સંભારણાંનો ગુજરાતી અનુવાદ ‘મારૂં દાઘેસ્તાન’.
મોસ્કોમાં વસેલા ગુજરાતી અતુલ સવાણીએ ૧૯૭૪માં કરેલો આ અનુવાદ ‘પ્રગતિ પ્રકાશન’ (મોસ્કો)ના યાદગાર પ્રદાનોમાં મોખરાની હરોળમાં બિરાજે એવો છે.

દાઘેસ્તાન (એટલે કે ‘પહાડોનો મુલક’) માંડ પચીસ-ત્રીસ લાખની વસ્તી ધરાવે છે, પણ એટલા વિસ્તારમાં જુદી જુદી ચાળીસેક સ્થાનિક ભાષાઓ બોલાય છે. તેમાં સૌથી વઘુ પ્રચલિત અવાર ભાષાના લોકકવિ એટલે રસૂલ હમઝાતોવ. તેમની ભાષા બોલનારા લોકોનું પ્રમાણ દાઘેસ્તાનમાં સૌથી વધારે (૩૦ ટકા) છે, પણ સરખામણી ખાતર જોઇએ તો સાડા પાંચ કરોડ પ્લસ ગુજરાતીઓની સામે અવાર ભાષા બોલનારા લોકો માંડ આઠેક લાખ હશે. છતાં, એ ભાષામાં લખીને રસૂલ હમઝાતોવ દાઘેસ્તાનના લોકકવિ તરીકે આખા રશિયામાં અને રશિયાની બહાર પણ વિખ્યાત થઇ શક્યા છે.

‘મારૂં દાઘેસ્તાન’ તેમનું પહેલું ગદ્ય પુસ્તક છે. એ પુસ્તકની શૈલી એવી વિશિષ્ટ છે કે જાણે રસૂલ હમઝાતોવ લેખન-બેખનનો ભાર અને તેની શિસ્ત ફગાવીને, બસ પોતાના મુલકની વાર્તા માંડીને બેઠા હોય. રાતનો પહોર જામ્યો હોય, પવન સિવાય બીજા કશાનો અવાજ ન આવતો હોય, આસપાસના ઘરોમાં દીવા ઠરી ચૂક્યા હોય, પણ રસૂલ હમઝાતોવની વાતો અને એમાં રહેલો રસ ખૂટે જ નહીં. એમની પોતાની વાત આવે, એમના પિતાની અને પિતાના કવિ-મિત્ર અબુતાલિબની વાત આવે, અવાર ભાષાની કહેવતો, ડહાપણની વાતો, જીવનની સીધીસરળ ફિલસૂફી, શહેરની ખટપટ અને દોડધામથી દૂર પ્રકૃતિના ખોળે, એકબીજાની હૂંફમાં સંઘર્ષો ઓગાળીને સુખસંતોષ સાથે વીતતી જિંદગી...એ વર્ણન વાંચીને વાચકને શબ્દદેહે સ્વર્ગની સફરનો આભાસ થાય.

દાઘેસ્તાનની રોજિંદી જિંદગીમાં વપરાતાં કટારી, પથ્થર, ચાવી, પારણું, ટોપી જેવી નિર્જીવ ચીજો પર લખવામાં આવેલાં સુવાક્યો અથવા ચોટદાર ઉક્તિઓથી પ્રકરણોની શરૂઆત થાય. જેમ કે, એક બારણા પર લખેલા શબ્દો: ‘દ્વાર તોડીને ફેંકતા નહીં, ચાવી ખોલશે સહેલાઇથી’. કટાર પર અંકિત શબ્દોઃ ‘મ્યાનમાંથી કદી ન ખેંચાતી કટારે કાટ ચડી જાય/ સદા નીંદરમાં રાચતો મર્દ સ્થૂળ બની જાય’ અથવા એક પથ્થર પર અંકિત પંક્તિઓ: ‘છીએ પથ્થર, જલદી અમે ચણાઇ જવાના/ જેલ, મંદિર કે ઘરદીવાલે જડાઇ જવાના’

પોતાના પ્રિય વતન દાઘેસ્તાનને ‘જગતના અફાટ મહાસાગરમાં પડતી નાનકડી બારી’ તરીકે ઓળખાવતા રસૂલે પુસ્તકમાં અવાર કહેણીઓ, પ્રસંગકથાઓ, ચોટડૂક ઉક્તિઓ, પિતાની અને પોતાની નોટબુકમાંથી ટાંકેલા કિસ્સા અને કાવ્યો જેવી છૂટીછવાયી સામગ્રીનું પહેલી નજરે ખરબચડું લાગે એવું છતાં મનમોહક ગૂંથણ કર્યું છે કે ભરતગૂંથણ-આભલાં-કોડીઓ અને બીજી સામગ્રીથી દીપી ઉઠતો ચાકળો યાદ આવી જાય.

પુસ્તકની શરૂઆતમાં જ તે પોતાનો કલકત્તાનો પ્રવાસ યાદ કરીને રવીન્દ્રનાથ ટાગોરે દોરેલું એક કાલ્પનિક પંખીનું ચિત્ર યાદ કરે છે. ‘એ તો ટાગોરની કલ્પનાના સુફળરૂપે તેમના આત્મામાં જન્મીને જીવતું હતું...હું પણ એવું અદ્ભૂત પંખી ધરાવું છે. મારૂં દાઘેસ્તાન.’ અને લખે છે,‘પહાડી ભૂમિમાં મહેમાન જેવી રીતે આવી ચડે છે, એવી જ રીતે આ પુસ્તકનો ખ્યાલ મને આવેલો.’

પુસ્તકમાં પહાડી જીવનની ઉપમાઓ અને તેની જીવનશૈલીનો ઉલ્લેખ એટલી સાહજિક રીતે, વાતચીતની ભાષામાં આવે છે કે વાંચનાર તે જરાય ખટકે નહીં. ‘ચરબીદાર દુમ ખાતર આખું ઘેટું કુરબાન કરવું’, ‘એક હાથમાં બે તરબૂચ પકડવાની કોશિશ કરવી’, જેવા શબ્દપ્રયોગો, ‘તમે પિસ્તોલ લઇને ભૂતકાળ પર ગોળીબાર કરો તો ભવિષ્ય તમારી પર તોપથી ગોળા વરસાવશે’ અથવા ‘બાળકને બોલવાનું શીખતાં બે વર્ષ લાગે છે, માણસને ચુપ રહેવાનું શીખતાં સાઠ વર્ષ લાગે છે’ એવાં અબુતાલિબનાં કથન કોઠાસૂઝનાં ઉત્તમ ઉદાહરણ બની રહે છે. અવાર સ્ત્રીઓની કદુવાઓ (શાપ) પણ જીવન અને જીવનમૂલ્યો વિશેની તેમની માન્યતાઓનો ખ્યાલ આપે છે. શ્રાપ વરસાવવામાં માહેર ગણાતી એક અવાર સ્ત્રીની ‘સરસ્વતી’ના નમૂના: ‘તારી જીભ કરમાઇ જાય, તારી માશુકનું નામ તું ભૂલી જાય, તું કોઇને કામસર મળવા જાય ત્યારે એ માણસને તારી સાથે ગેરસમજ થાય, તું દૂરદેશાવર રખડીને પાછો ફરે ત્યારે તારા વતનના ગામને સલામ કહેવાનું ભૂલી જાય, તારૂં મોં બોખું થઇ જાય ત્યારે એમાં પવન સુસવાટા બોલાવે...’ પરંતુ અવાર પ્રજામાં સૌથી આકરામાં આકરી કદુવાઓ માટે તેમણે બે સ્ત્રીઓ વચ્ચે થયેલા ઝઘડાની વાત લખી છેઃ
‘અલ્લા તારાં બચ્ચાંને તેમની ભાષા શીખવનાર વગરનાં કરી દે.’
આ સાંભળીને સામેવાળી સ્ત્રીએ એક ડગલું આગળ વધીને કહ્યું,‘અલ્લા તારાં બચ્ચાંને, એ લોકો પોતાની ભાષા જેમને શીખવી શકે એવા ઇન્સાનો વગરનાં કરી દે.’

હા, આપણે જે પરિસ્થિતિને પ્રગતિ, આઘુનિકતા અને ગૌરવનું પ્રતિક ગણીન પોરસાઇએ છીએ (‘અમારા બાબાને ગુજરાતીનો પ્રોબ્લેમ છે!’) તે અવાર પ્રજાની ખરાબમાં ખરાબ કદુવા છે. કેવળ સાહિત્યકારોનો નહીં, પણ સામાન્ય પ્રજાનો માતૃભાષા પ્રત્યે પ્રેમ દર્શાવવા રસૂલ હમઝાતોવે એક કિસ્સો નોંઘ્યો છે. ઇટાલીમાં તેમનો ભેટો એક અવાર ચિત્રકાર સાથે થઇ ગયો. વર્ષો પહેલાં એ માણસ વતન છોડીને નીકળી ગયો હતો. તેને મળ્યા પછી રસૂલ પોતાના ગામ જઇને પેલા ચિત્રકારની માતાને મળ્યા. દીકરાના ખબરઅંતર આપ્યા. અચાનક તેની

માતાએ સવાલ પૂછ્યો,‘તમારી વચ્ચેની વાતચીત અવાર ભાષામાં થઇ?’
રસૂલે કહ્યું,‘ના. અમે દુભાષિયા થકી વાત કરી. હું રશિયન બોલતો હતો અને એ ફ્રેંચ.’
પછી શું થયું? રસૂલે લખ્યું છે,‘અમારા પ્રદેશની સ્ત્રીઓ દીકરાના મોતની ખબર મળતાં કરે છે એવી રીતે એ માએ ચહેરા આડો કાળા કપડાનો મલાજો કરી દીધો...લાંબી ચુપકીદી બાદ મા બોલી, ‘તમારી ભૂલ થાય છે રસૂલ. મારા દીકરાના મોતને તો જમાનો વીતી ગયો. એ મારો દીકરો ન હોય. મારો કોઇ દીકરો અવાર માએ એને શીખવેલી ભાષા કદી ન ભૂલે.’

પોતાની ભાષા અને પોતાના વતનના પ્રેમમાં ગળાડૂબ હોવા છતાં, એ પ્રેમ તેમનામાં રશિયા માટે કે બાકીના વિશ્વ માટે વિરોધી લાગણી પેદા કરતો નથી. રસૂલ લખે છે,‘હું જ્યાં હોઊં ત્યાં મને મારા વતન દાઘેસ્તાનનો ખાસ ખબરપત્રી ગણું છું, પરંતુ હું મારા વતન દાઘેસ્તાનમાં પાછો ફરૂં ત્યારે સમગ્ર માનવસંસ્કૃતિના ખાસ ખબરપત્રી તરીકે, મારા સમગ્ર દેશના તેમ જ આખી દુનિયાના પ્રતિનિધિ તરીકે, પાછો ફરૂં છું...હું મને પોતાને એક સાથે અવાર, દાઘેસ્તાનનો બેટો અને સોવિયેત નાગરિક ગણું છું...હું અવાર શાયર છું, પરંતુ મારા દિલમાં કેવળ અવારિસ્તાન કે દાઘેસ્તાન કે સમગ્ર દેશસંબંધી જ નહીં, બલ્કે વિશ્વનાગરિક તરીકેની જવાબદારીની ભાવના ભરેલી છે. આ વીસમી સદી છે. એટલે ભિન્ન રીતનું જીવન જીવી શકાય જ નહીં.’

સપ્ટેમ્બર ૮, ૧૯૨૩માં જન્મેલા રસૂલ હમઝાતોવે વીસમી સદીમાં રશિયાના ચડાવઉતાર જોઇને નવેમ્બર ૩, ૨૦૦૩ના રોજ વિદાય લીધી, પણ ત્યાં સુધીમાં તેમનું સ્વર્ગ દાઘેસ્તાન હિંસાની જ્વાળાઓમાં લપેટાઇ ચૂક્યું હતું.

(to be continued)

12 comments:

  1. રસૂલ હમઝાતોવનું ‘મારૂં દાઘેસ્તાન’ મારું ખૂબ ગમતું પુસ્તક છે. માધ્યમિક શાળાકાળ દરમ્યાન અનેકવાર વાંચ્યું હશે. એની કાવ્યાત્મક અને ચોટદાર ઉક્તિઓ એ વખતે આછું હસાવતી, આજે ઊંડા વિચારમાં ડુબાડી દે છે.


    આ સાથે તમે અતુલ સવાણી જેવા, ધીમે તાએ પોતાનું કામ ચીવટથી કરનાર, સજ્જનને સંભારી પણ આપ્યા એ સારું કર્યું.

    ReplyDelete
  2. Waah sir, you have added something to Majjani Life! Will wait for next article.

    ReplyDelete
  3. Narendra6:56:00 PM

    Kudos and thnx Urvish (this type of material I always await for..U R made for such things, positive)

    ReplyDelete
  4. vary good article .... majja padi gai ! want that book can i get it ????

    ReplyDelete
  5. I have been searching for that translation for years now
    please Urvishbhai can you guide me where i can buy it?
    thanks
    nandita

    ReplyDelete
  6. urvish,

    ‘મારૂં દાઘેસ્તાન’ - what a lovely book! i join all in extending kudos for introducing such a great book.

    the writer and the translator both have done a wonderful job. it is one of my favorite books (other being THE GOOD EARTH by Pearl Buck, UNCLE TOM'S CABIN by Harriet and JONATHAN LIVINGSTON SEAGULL by Bach) and i am proud of having it in my treasure.

    i am sure you must have read Alan Paton's 'CRY, THE BELOVED COUNTRY' and its superb translation by jayant pandya as ' VAHALO MARO DESH'. you can follow up with it in some future post and satisfy the demand of brother 'colors of life'.

    ReplyDelete
  7. urvish kothari4:49:00 PM

    friends, 'Maaru Daghestan' is out of print. I have got a 2nd hand copy. If someone is very keen, i can bring it here & it can be photo-copied.

    ReplyDelete
  8. "દાઘેસ્તાન, તું મારો પ્યાર અને મારું પ્રણ છે, મારી વિનવણી અને મારી પ્રાર્થના છે. માત્ર તું જ મારાં તમામ પુસ્તકોનો વિષય અને મારું સમગ્ર જીવન છે."

    માફ કરજો, રસૂલ હમ્ઝાતોવના વતનપ્રેમને વ્યક્ત કરતી આ ઉક્તિ માટે જ મારે ફરીથી દાખલ થવું પડ્યું છે.

    એની સામે ખરા હ્રિદયની ઉષ્મા અને સચ્ચાઈ વિનાની, કેવળ ગોખીને યાદ કરેલી આપણી દેશપ્રેમ ની પ્રતિજ્ઞાને સહારે આપણે કેટલા સારા નાગરિક કે સારા લેખક બની શકીએ : " bharat maro desh chhe. badha bhartio maran bhaibahen chhe. hun મારા દેશને ચાહું છું..."

    you can not make great literature out of sheer sloganeering : MERA BHARAT MAHAN or INDIA SHINING.

    we all know those who swear by 'patriotism' and 'nationalism' will queue up for American visa if they are offered option of citizenship.

    and that is why we do not have our equivalent of ‘મારૂં દાઘેસ્તાન’ and રસૂલ હમ્ઝાતોવ .

    ReplyDelete
  9. Jabir A. Mansuri5:51:00 PM

    Thanks, would like to read. Might help all of us.

    ReplyDelete
  10. Anonymous7:43:00 PM

    Good piece. Waiting for the next part.

    Sukumar M. Trivedi

    ReplyDelete
  11. Anonymous4:57:00 AM

    The beauty of a good vernacular reincarnation is that while reading, it does not give away itself as being one. This wonderful narrative is scattered with golden nuggets. Are these translations available in English as well? I would love to know if anyone knows. Thanks
    VIJAY JOSHI

    ReplyDelete