Friday, September 10, 2010

આ લેખ ફરાળી કહેવાય?

લેખનું મથાળું જેમને ખાઉધરૂં, ખણખોદીયું કે ખેપાની લાગતું હોય, તેમના માટે સોજ્જું, સુંદર અને ચિંતનીયા-ચિંતનીયા લાગે એવું મથાળું છેઃ ‘ઉપવાસનો ઓડકાર’.

ઉપવાસ પવિત્ર થવા માટે છે કે પેટ સાફ કરવા માટે, એ મુદ્દે મતભેદ હોઇ શકે છે. પરંતુ ઉપવાસ કરવા જોઇએ- પોતાનાથી ન થાય તો છેવટે બીજા લોકોએ પણ કરવા જોઇએ અને એ રીતે પૃથ્વી પર પુણ્ય ટકાવી રાખવું જોઇએ- એવું માનનારો વર્ગ બહુ મોટો છે. ભોજનપ્રેમીઓ જેમ પેટમાં પધરાવવાના મોકા શોધી કાઢે છે ને ન હોય ત્યાં ઉભા કરે છે, તેમ ઉપવાસપ્રેમીઓ ઉપવાસનાં બહાનાં શોધી કાઢે છે ઃ વ્રત, વાર, તિથી, ટાણાં...આવા છૂટાછવાયા મોકા અપૂરતા લાગતાં કેટલાક આખેઆખો શ્રાવણ મહિનો ઉપવાસ કરે છે. પૃથ્વીને ટકી રહેવા માટે હજુ વધારે પુણ્યની જરૂર પડશે, એવી અસલામતી ધરાવતા લોકો એક માસથી (શ્રાવણથી) સંતુષ્ટ થઇ થવાને બદલે ચાતુર્માસ કરે છે.

ગુજરાતીઓનું ભોજન વધારે જાણીતું છે કે તેમના ઉપવાસ, એ ચર્ચાનો વિષય છે. ગાંધીજીએ જેમ વિરોધી સામેના સત્યાગ્રહમાંથી શત્રુતાની બાદબાકી કરી નાખી હતી, તેમ ગુજરાતીઓએ ઉપવાસમાંથી ભૂખમરાનો હિસ્સો દૂર કરી દીધો છે. આળસુ દિમાગ શેતાનનું કારખાનું ગણાતું હોય, તો ભૂખ્યું પેટ અનેક અનિષ્ટોની કોર્પોરેટ ઓફિસ બનવાની ક્ષમતા ધરાવે છે. ગુજરાતીઓ આ હકીકત ન જાણતા હોય એવું બને? એટલે જ, ગુજરાતી શબ્દકોશ અને વ્યાકરણમાં જે લખાતું હોય તે, પણ વ્યવહારમાં ‘ઉપવાસ’ અને ‘ભોજન’ વિરોધાર્થી નહીં, સમાનાર્થી શબ્દો છે. ગુજરાતમાં ઉપવાસ અને ભોજન એક સિક્કાની બે બાજુ નહીં, પણ બફવડામાં ઉપરની લોટયુક્ત સપાટી અને અંદરના માવા જેવાં અભિન્ન, અવિભાજ્ય અને એકરૂપ છે.

કવિ ઉમાશંકર જોશીએ ‘ભૂખ્યાંજનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરોની ભસ્મકણી ન લાધશે’ એવું જુદા સંદર્ભે લખ્યું હતું. એ સંદર્ભ સાચો પડે ત્યારે ખરો, પણ અત્યારે તો ઉપવાસી ભૂખ્યાજનોનો જઠરાગ્નિ કવિને આર્ષદૃષ્ટા પુરવાર કરી રહ્યો છે. ઉપવાસ વિશે સામાન્ય ગેરસમજણ એવી છે કે ઉપવાસ કરનારા લોકો ભૂખ્યા રહે છે. કેટલાક લોકો ઉપવાસમાં ખરેખર ભૂખ્યા રહીને, પ્યાલો દૂધ પીને કે એકાદ કેળું ખાઇને આ ગેરમાન્યતા વધારે મજબૂત બનાવે છે. પરંતુ એવા થોડા લોકોની ચેષ્ટાઓથી કે શરીરને કષ્ટ આપતા તેમના ઉપવાસથી ભોળવાઇ જવાની જરૂર નથી. સત્ય- અને ફરાળી વાનગીઓ-ની શોધમાં નીકળેલો જણ કદી અડધા રસ્તે ભટકી જતો નથી. એ પોતાના ઘ્યેય સુધી પહોંચીને, પોતાને જે જોઇએ છે તે મેળવીને જ જંપે છે.

ઉપવાસ એક દિવસનો હોય કે આખા મહિનાનો, ઉપવાસ એ ઉપવાસ છે. રોજ જે બસમાં ટિકીટ લઇને બેસતા હોઇએ, તેમાં એક દિવસ ટિકીટ લીધા વિના બેસીએ તો ચાલે? એવી જ રીતે, શરીર જોડેથી કામ લેવાનું ચાલુ રાખીએ, પણ ઉપવાસનું બહાનું કાઢીને તેને ‘ભાડું’ ન ચૂકવીએ તે બેઇમાની ન કહેવાય? અને એવો ઉપવાસ કરવા પાછળ પવિત્રતા કે ભક્તિનો આશય હોય તો તે ફળે ખરો? આ બાબતે શાસ્ત્રાર્થનો અવકાશ ઉભો રાખીને સાચા ઉપવાસના વર્ણન ભણી આગળ વધીએ.

ઉપવાસમાં કાર્યક્ષમતા ટકી રહે અને પ્રભુભક્તિ કરવા જતાં કામચોરી ન થઇ જાય એ માટે કેટલાક ઇમાનદાર લોકોએ ફળાહારનો રિવાજ શરૂ કર્યો હશે. ‘ફળાહાર’ શબ્દ વ્યવહારમાં ચલણી બન્યો, ત્યારે તેમાંથી એક અક્ષર ઓછો થયો અને અઢળક વાનગીઓ ઉમેરાઇ ગઇ. હવે ફળાહારને ‘ફરાળ’ તરીકે ઓળખવામાં આવે છે અને ફરાળી વાનગીઓનું ‘પેરેલલ યુનિવર્સ’ (સમાંતર વિશ્વ) ઉભું થયું છે. ફ્રેન્ચ ક્રાંતિ પહેલાં ‘બ્રેડ નથી, તો કેક ખાઓ’ એવી સલાહ આપનારાં રાણી મેરી એન્તોનેત ગુજરાતી ઉપવાસી હોત તો તેમણે લોકોને કહ્યું હોત,‘રોટલા નથી, તો ફરાળ કરો.’ (હા, ગઝલનો શેર જેમ લખવામાં નહીં, પણ ‘કહેવામાં’ આવે છે, તેમ ફરાળ ‘ખાવામાં’ નહીં, પણ ‘કરવામાં’ આવે છે. ‘ફરાળ ખાઘું’ નહીં, પણ ‘ફરાળ કર્યું’ એમ કહેવાય.)

કેટલાક લોકો આખો શ્રાવણ મહિનો ઉપવાસ કરે છે. સીધી રીતે વિચારતાં એવું લાગે કે મહિના સુધી ઉપવાસ કરવા એ કંઇ ખાવાના ખેલ નથી, પણ પછી સમજાય છે કે આપણી પરંપરામાં ઉપવાસ ખરેખર ખાવાના ખેલ જ છે. ‘ભગવાન એક રસ્તો બંધ કરે તો દસ રસ્તા ખોલી આપે છે.’ એવી શ્રદ્ધા સાચી પાડવાની હોય, તેમ શ્રાવણ મહિનામાં ઉપવાસીઓની થાળીમાંથી અનાજ અને ઘણાં શાકભાજી છીનવાઇ જાય છે, તો સામે બીજા અનેક નવા રસ્તા ખુલી આવે છે.

ઉપવાસની શરૂઆતમાં સવારે ચા સાથે પુરી, ખારી કે પૌંઆ જેવો નાસ્તો ન થઇ જાય તેનું ઘ્યાન રાખવું પડે છે, પણ પછી તો બટાટાની કાતરી, વેફર, ફરાળી ચેવડો, કેળાંનાં ખરખરિયાં, સાબુદાણાની ચકરી, સાબુદાણાની ખીચડી જેવા સમૃદ્ધ નાસ્તાની એવી આદત પડી જાય છે કે સુખી વહુને સાસરે ગયા પછી પિયર ન સાંભરે તેમ ઉપવાસીઓને સાદો નાસ્તો યાદ આવતો નથી. ખોટ સાલવાનો તો સવાલ જ ક્યાં રહ્યો?

ઉપવાસ કરનારનાં હિતેચ્છુઓ પણ ભાઇ કે બહેનના ઉપવાસી દરજ્જા વિશે સભાન અને ચિંતિત હોય છે. એટલે એ નાસ્તો કરીને ઉભો થાય ત્યાં તો ‘લે, આ એક સિંગનો લાડુ ખાઇ લે. હજુ તો આખો દિવસ કાઢવાનો છે.’ અથવા ‘કોપરાપાક ખાઇ જવાશે બે ચકતાં. નાનાં જ છે. અત્યારે ભલે ઇચ્છા ન થાય, પણ દિવસ ચડે એમ આકરૂં લાગશે.’ એવાં સૂચનો થવા લાગે છે.

ઘડિયાળના કાંટા આગળ વધે છે, તેમ ‘સમયનો સાથ નિભાવતી’ ફરાળી વાનગીઓ તૈયાર હોય છે. પહેલાં રાજગરાના ચોપડા, બટાટાનું શાક, શિંગોડાના લોટનાં બફ અને કઢી-મોરિયો ખાઇને શ્રદ્ધાળુઓ ઉપવાસ ખેંચી કાઢતા હતા. હવે ‘ફરાળી પ્લેટર’નો જમાનો છે. સવારનો નાસ્તો હાલે અને પેટમાં થોડી ખાલી જગ્યાનો અહેસાસ થાય એટલે ઠંડું ટિફીન ન ભાવે તો હોટેલમાં જઇને ફરાળી પ્લેટર જમી શકાય છે. એ મોંધું હોવાથી તેમાં ઉપવાસ માટે વધારાની તસ્દી લીધાનો અને ઘસારો વેઠ્યાનો સંતોષ પણ ઉમેરાય છે અને ગૌરવભેર કહી શકાય છે કે ‘ગમે તે (ખર્ચ) થાય, પણ મારે ઉપવાસ તો કરવાનો જ.’

ધારો કે આખું ભાણું (પ્લેટર) ખાવાની ઇચ્છા ન હોય તો ફરાળી પિત્ઝાથી ફરાળી પાતરાં સુધીની વાનગીઓ ઉપવાસીજનોની ધર્મભાવના ટકાવી રાખવા માટે ઉપલબ્ધ હોય છે. પહેલાંના વખતમાં શું ફરાળી કહેવાય અને શું ન કહેવાય, એ મુદ્દે ઘણી વાર ઉગ્ર વિવાદ થતા હતા અને સીમાપંચની જેમ કોઇ વડીલને વચ્ચે નાખવા પડતા હતા. સંયુક્ત રાષ્ટ્રસંઘના પાંચ બળુકા સભ્યદેશોની જેમ ‘વીટો પાવર’ પર મુસ્તાક વડીલો મોટે ભાગે ઉપવાસીઓની વિરૂદ્ધમાં ચુકાદો આપતાં હતા અને ‘હા, હા, એ બઘું ફરાળી જ કહેવાય’ એવું કહેનારા વડીલ ‘પ્રેક્ટિકલ’ અને ‘મોડર્ન’નું માનભર્યું બિરૂદ મેળવતાં હતાં.

સવારે ફરાળી નાસ્તો અને બપોરે ફરાળી જમણ લેનાર ઘણા ઉપવાસીઓ સાંજે ચાર-પાંચ વાગ્યે ન રહેવાય ત્યારે વેફરના એકાદ પેકેટથી થોડો સમય ગુજારો કરી લે છે. પછી તો ઘરે જવાનું જ છે. બને કે સાંજે કદાચ સવાર જેવું સંપૂર્ણ ‘ઉપવાસી ભોજન’ એટલે કે ‘ફરાળી ભોજન’ ન મળે, પણ ઉપવાસ કર્યા હોય તો એટલું બલિદાન આપવું પડે છેઃ ફક્ત બફવડાં, સવારનાં મોરિયો-કઢી, ફરાળી ચેવડો અને બે-ચાર ચકતાં કોપરાપાક કે શિંગોડાના લોટમાં બનાવેલાં ગુલાબજાંબુથી પેટ ભરી લેવું પડે છે. પછી વહેલી પડે સવાર.

ઉપવાસ એક દિવસના હોય તો વાંધો નહીં, પણ આખો મહિનો આ રીતે કાઢવાનો હોય તો સ્વાભાવિક રીતે અઘરૂં પડે. આ પદ્ધતિએ ઉપવાસ કરવાથી વજન તો ઉતરે છે, પણ ઉપવાસ કરનારનું નહીં, તેમના માટે રસોઇ બનાવનારનું! ઉપવાસી જીવ તો વિચારે છે કે ‘જોયું? પ્રભુમાં આસ્થા હોય તો ઉપવાસ કરવાથી પણ વજન વધે છે. આખરે શ્રદ્ધાનો સવાલ છે.’

6 comments:

  1. Anonymous5:48:00 PM

    Agiyar-ras no to ahi evo mahima chhe k varsh ma chovis to agiyar-ras aave chhe. & because of all these people having 'fast', fruit prices hike fast... groundnut oil prices touches sky... the original logic behind fast in monsoon has been floated in flood of years...

    ReplyDelete
  2. it can never be boring being religious !

    for religion provides great entertainment : all fine arts are at your disposal. all goodies of life are there for your asking.

    and you can relish to your heart's content all those 'Agiyar-ras' brother anonymous is referring to - yes, the SHRINGAR RAS is very much there and with it, it is assured it can never be boring to be religious.

    why wait? join some 'pagpala sangh' or book for 'char dham yatra'; rush towards the temple or some place of pilgrimage. god is great and you will have all the fun for being religious.

    where are the feminists?
    where are the rationalists?
    you are boring and have little to offer to these pleasure-seeking women and men.

    ReplyDelete
  3. ઉર્વીશભાઈ,
    આપનો સદર લેખ વાંચ્યો. વ્યંગ્યાત્મક શૈલીમાં આપે ઘણી માર્મિક વાતો હળવાશથી કહી છે. સમજવાવાળા તો સમજી જ જશે, પણ જેને સમજવાની જરૂરત છે તેઓ સમજે તો ઘણું સારું...

    ReplyDelete
  4. Anonymous9:41:00 AM

    I agree Vijaybhai...

    & neeravbhai, you are right from your perspective.. we shall not get serious about this topic as discussion is endless.. but the only point is that we forget most of the scientific logic behind our religious traditions. & now its getting similer to playing on janmastmi.. there is no oppose but one shall know that its matter of own health...

    ReplyDelete
  5. ha ha ha...maja padi...keen observation. aavu j hoy chhe generally upvasi jivo nu...marathi to upvas thay j nahi...pan peli faral ni badhi vangi bhave...hu vagar upvase change mate khai lau ane eni tev na pade enu dhyan rakhu...randhvanu to jate j ne!

    ReplyDelete
  6. what happens when we do not eat? what are the physiological effects of fasting?

    let me quote a 'scientific opinion' on physiological effects of fasting:

    'When food is not eaten, the body looks for other ways to find energy, such as drawing on glucose from the liver's stored glycogen and fatty acids from stored fat and eventually moving on to vital protein tissues. Body, brain and nerve tissue depend on glucose for metabolism. Once the glucose is significantly used up, the body's metabolism changes, producing ketone bodies (acetoacetate, hydroxybutyrate, and acetone). Even where this transition to alternative forms of energy has been made, some parts of the brain still require glucose, and protein is still needed to produce it. If body protein loss continues, death will ensue.'


    while agreeing therefore in part with brother Anonymous that "we forget most of the scientific logic behind our religious traditions", we also forget those very atrocious socio-religious traditions that compel women to forgo food on one pretext or other, and thereby causing malnutrition and consequent diseases and death.

    the practice of 'dieting' by rich women and 'fasting' by poor women are two different manifestations and have their own sociological explanations.

    in addition to the religion and science, therefore, the sociology of affluence and the deprivation also play their part in popularizing such traditions.

    ReplyDelete