Tuesday, September 07, 2010

‘ઉદ્ધારક’ રાહુલ: જશ, જવાબદારી અને જોખમો

દેશની રાજ્યવ્યવસ્થા ભલે લોકશાહી હોય, પણ પ્રજાને ઉદ્ધારક વિના ચાલતું નથી. ખરો ઉદ્ધારક ન મળે તો જે મળે તેને ઉદ્ધારક સમજી લેવામાં પણ લોકોને બહુ બાધ નડતો નથી. આચાર્ય કૃપાલાણીએ તેમની આત્મકથામાં એ બાબતનો પારાવાર અફસોસ પ્રગટ કર્યો હતો કે તેમની પેઢીના નેતાઓ પ્રજાકીય ઘડતર કરવામાં સદંતર નિષ્ફળ ગયા. પરિણામે, પ્રજા એક યા બીજા પક્ષના નેતામાં ઉદ્ધારકનાં દર્શન કરીને અહોભાવ અનુભવતી રહી અને પોતાનું કામ ચૂંટીને મોકલેલા લોકોના પગે પડવાનું નહીં, પણ તેમને ખડે પગે રાખવાનું છે એ ભૂલી ગઇ.
આઝાદી પછી જવાહરલાલ નેહરૂથી શરૂ થયેલો ઉદ્ધારકોનો સિલસિલો, વાયા ઇન્દિરા ગાંધી, રાહુલ ગાંધી સુધી પહોંચ્યો છે. વચ્ચેના ગાળામાં આવેલા રાજીવ ગાંધી થોડા કમનસીબ કે ઈંદિરા ગાંધીની જેમ એક વાર લોકનજરમાંથી હડઘૂત થયા પછી, નવેસરથી એ જ લોકોના ઉદ્ધારક તરીકે પુનઃસ્થાપિત થવાની તક તેમને ન મળી.

ફક્ત રાષ્ટ્રિય સ્તરે જ નહીં, રાજ્યમાં પણ ઉદ્ધારકો આવતા-જતા રહે છે. નવનિર્માણ આંદોલનના વિલન તરીકે વગોવાયેલા ચીમનભાઇ પટેલ બે દાયકાથી પણ ઓછા સમયમાં ફરી એક વાર ‘નયા ગુજરાત’ના નારા અને નર્મદા યોજનાને મુદ્દો બનાવીને ગુજરાતના ઉદ્ધારક તરીકની છબી ઉપસાવી શક્યા હતા. વર્તમાન મુખ્ય મંત્રી એ જ પરંપરાની આગલી કડી છે. તેમણે ભારે પ્રચારકૌશલ્યથી આતંકવાદનો મુકાબલો, કોમી લાગણીઓ અને વિકાસના કોકટેઇલ દ્વારા ઉદ્ધારક તરીકેની છાપ દૃઢ કરી છે.

ટૂંકી યાદદાસ્તનો અભિશાપ ધરાવતી પ્રજા વારેઘડીએ ભૂલી જાય છે કે ઉદ્ધારક તરીકે પેશ આવતા કોઇ પણ રાજકીય પક્ષના નેતાને સૌથી પહેલો અને મુખ્યત્વે પોતાના ઉદ્ધારમાં રસ હોય છે. એ મુદ્દે બીજા અનેક રીઢા નેતાઓની યાદીમાં અત્યાર લગી ‘માસૂમ’ ગણાતા રાહુલ ગાંધીએ પણ પોતાનું નામ ઉમેરી દીઘું છે.

‘સિપાઇ’ના સપાટા
ગયા સપ્તાહે ઓરિસ્સાના લાંજીગઢમાં જઇને રાહુલ ગાંધીએ ત્યાંના આદિવાસીઓ આગળ ડાયલોગ ફટકાર્યો, ‘કાલાહાંડીકે ટ્રાઇબલ્સકા એક સિપાહી નઇ દિલ્હીમેં હૈ ઔર ઉસકા નામ હૈ રાહુલ ગાંધી.’ રાહુલ ગાંધી અમસ્તા સિપાઇ તરીકનું બહુમાન લેવા ગયા ન હતા. આદિવાસીઓ માટે પવિત્ર ગણાતી નિયામગિરિની પહાડીઓમાં ‘વેદાંતા’ કંપનીને ખાણકામ કરવા ન દેવું જોઇએ, એવા નિષ્ણાત સમિતિના સૂચન પછી પર્યાવરણ મંત્રાલયે ત્યાં ખાણકામ પર પ્રતિબંધ ફરમાવ્યો. છેતરામણી સરળતાથી કહેવું હોય તો કહી શકાય કે ‘નિયામગિરિમાં ખાણકામ અટકાવવા માટે લડતા આદિવાસીઓની જીત થઇ.’ આ જીત કોના લીધે મળી છે, તેનો આદિવાસીઓને બરાબર ખ્યાલ રહે એ માટે રાહુલની લાંજીગઢ મુલાકાત ગોઠવવામાં આવી. ત્યાં એ આદિવાસીઓના ઉદ્ધારક તરીકે પેશ થયા.
એક લડાઇમાં ઓરિસ્સાના આદિવાસીઓની જીત થઇ છે એવું કહી શકાય. તેમાં રાહુલ ગાંધીનો ફાળો કેટલો અને ખરેખર એ કહે છે એવો તેમનો ફાળો હોય તો તેને સરકારી કામકાજમાં દખલીગીરી કે પોતાની વારસાઇના જોરે કરેલી દાદાગીરી કહેવાય કે કેમ, એ સવાલો બાજુ પર રાખીએ. તો પણ મૂળ સવાલ ઉભો રહે છેઃ હેલિકોપ્ટરમાંથી ઉતરીને આદિવાસીઓ સમક્ષ તેમના હિતરક્ષક તરીકે ઉભેલા રાહુલ ગાંધી આદિવાસીઓની અસલી સમસ્યાઓ વિશે કેટલું જાણે છે? નિયામગિરિમાં ખાણકામ સામે લાલ ઝંડી ધારો કે કાયમ માટે રહેવાની હોય તો પણ, આદિવાસીઓના હિત માટે એટલું પૂરતું છે? એક દલીલ એવી કરવામાં આવે છે કે ‘ખાનગી કંપનીની તરફેણ કરવા માટે આદિવાસીઓના હિત સાથે સમાધાન કરવામાં આવશે તો તેમનો દેશના કાયદામાંથી ભરોસો ઉઠી જશે.’ મતલબ એટલો કે ત્યાર પછી આદિવાસીઓ માઓવાદનો રસ્તો પણ અપનાવી શકે છે.

માઓવાદના ખતરાની બીક વાસ્તવિક છે, પણ તેના મૂળમાં રહેલાં કેટલાંક કારણો ભૂલવા જેવાં નથી. વર્ષો પહેલાં ઘણા લોકો અસહ્ય ગરીબી, ભૂખમરો, બેકારી, શિક્ષણ અને આરોગ્યની સુવિધાનો અભાવ- બીજા શબ્દોમાં કહીએ તો દેશના નાગરિક તરીકે તેમની ગણતરી નહીં થતી હોવાના અહેસાસને કારણે નક્સલવાદી હિંસાના રસ્તે વળ્યા હતા. બહુ લપટો પડી ગયેલો શબ્દ વાપરીને કહેવું હોય તો, તેમના વિસ્તારનો ‘વિકાસ’ થયો ન હતો એ તેમની મુખ્ય ફરિયાદ હતી.

હવે માઓવાદનો પ્રભાવ ધરાવતા ઘણા ઇલાકામાં ‘વિકાસ’ ઉકેલ મટીને સમસ્યા બન્યો છે. કારણ કે ‘વિકાસ’ની વ્યાખ્યા અને તેનું મોડેલ બદલાયાં છે. ગરીબમાં ગરીબ નાગરિકને માણસ તરીકેનું ગૌરવ પૂરો પાડતા વિકાસને બદલે, ધનવાનોના હાથમાં સઘળાં સંસાધનો સોંપીને તેમનાં હિતોની આડપેદાશ તરીકે થતાં થોડાઘણાં કામ ‘વિકાસ’માં ખપવા લાગ્યાં છે. આ બન્ન અંતિમોની વચ્ચે ‘સંતુલિત વિકાસ’નો ચીલો ચાતરવો એ સમયનો તકાદો છે. છાપેલાં કાટલાં જેવા નેતાઓ પોતાનાં હિત અને પક્ષીય રાજકારણની ગણતરીથી ઉપર ઉઠી શકે એવી કોઇ ગુંજાશ નથી. નવા નિશાળીયા જેવા રાહુલ ગાંધી કદાચ દરેક ચીજની તત્કાળ રાજકીય રોકડી કરી લેવાને બદલે, સંતુલિત વિકાસની દિશામાં લોકોને આગળ લઇ જવા પ્રયાસ કરે એવી આશા ઉભી થઇ હતી. પણ ઓરિસ્સામાં ખાણકામ પર બ્રેક મારવાનો જશ ઉઘરાવીને રાહુલે સંકુચિત પક્ષીય રાજકારણના પૂરજા બનવાની પોતાની તાલાવેલી દર્શાવી આપી છે.

‘ફ્રી હિટ’ ક્યાં સુધી?
રાહુલ ગાંધી માટે અત્યારે જાણે ‘ફ્રી હિટ’નો ગાળો ચાલે છેઃ છગ્ગા-ચોગ્ગા વાગે તો તેમના સ્કોરમાં ગણાય, પણ ક્લીનબોલ્ડ થઇ જાય તો આઉટ ન ગણાય. તેનો પૂરો ફાયદો લઇને રાહુલ બિહાર, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, ગુજરાતથી માંડીને દેશભરમાં ફરી રહ્યા છે અને ક્યારેક દલિતના ઝૂંપડામાં રોટલો ખાઇને તો ક્યારેક કોલેજની અણધારી મુલાકાત લઇને સૌને પ્રભાવિત કરી રહ્યા છે.

કહેવા ખાતર એ કોંગ્રેસના જનરલ સેક્રેટરી છે અને જાહેર વ્યવહારોમાં તે વડાપ્રધાન સહિત સૌનું માન જાળવે છે, પરંતુ એ.કે.૫૬ લઇને ફરતો માણસ ગમે તેટલી નમ્રતા દાખવે, લોકોની નજર કદી એ.કે.૫૬ પરથી હટતી નથી. એવી જ રીતે, રાહુલ ગાંધી કોંગ્રેસનાં સર્વસત્તાધીશ પ્રમુખના પુત્ર અને કોંગ્રેસ તરફથી વડાપ્રધાનપદના ભાવિ ઉમેદવાર છે, એ કોઇ ભૂલી શકે એમ નથી.

એટલે જ કોંગ્રેસ પક્ષના જનરલ સેક્રેટરી જેવો ઊંચો હોદ્દો ધરાવતા હોવા છતાં તેમના ભાગે કદી અઘરા સવાલો આવતા નથી. દેશના યુવાધનના નેતાની ખાલી જગ્યા ભરવા ઉત્સુક રાહુલ પાસેથી યુવાસહજ તાજગી અને પ્રામાણિકતા-પ્રતિબદ્ધતાની અપેક્ષા હોય. પણ કોમનવેલ્થ ગેમ્સના ભ્રષ્ટાચારથી માંડીને ભોપાલ ગેસકાંડના ગોટાળા જેવા અનેક મુદ્દે તેમને કંઇ કહેવાનું હોતું નથી. બીજી તરફ, ગુજરાતમાં મહુવામાં અત્યાર લગી બિનરાજકીય સ્વરૂપે ચાલતા લોકઆંદોલનમાં તેમણે આંદોલનના પક્ષે પોતાનું વજન મૂક્યું છે. રાહુલ ગાંધી આવે એટલે તેમની મૂઢમતિ ફોજ પણ ઝાલી રહે? પરંતુ તેમની અઘૂરી, અધકચરી અને જશ લેવા પૂરતી દરમિયાનગીરીને કારણે લોકઆંદોલનમાંથી ‘લોક’નું વજન ઘટી ન જાય તેની વાજબી ચિંતા રહે છે. ચિંતાનું કારણ દેખીતું છે ઃ નિયામગીરી હોય કે મહુવા, રાહુલ ગાંધીને ઉદ્ધારકની ભૂમિકા ખપે છે.

કોંગ્રેસ હોય કે ભાજપ, ડાબેરીઓ હોય કે મમતા, એ સૌની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમને માટે પોતાનું સત્તાકારણ સર્વોપરી છે. પ્રજાકીય હિત સાથે તેમણે દૂર દૂરનો સંબંધ રાખ્યો નથી. અલબત્ત, પ્રજા પાસેથી મત લેવાના હોવાથી, તેમને રિઝવવા માટે સૌ પોતપોતાની રીતે ખેલ પાડી લે છે. પરિણામે તેમનું રાજકારણ ધરી વગરનું અને પોતાની જ વાતોનો છેદ ઉડાડતું બન્યું છે ઃ આતંકવાદ સામે લડવાની બડાશો હાંકતા નેતાઓ જુદા સ્વરૂપે આતંકને પેદા કરતાં જ નહીં, પોષતાં પણ ખચકાતા નથી. આમઆદમી કે ‘સીએમ’ (કોમનમેન)ની વાત કરનારા હજારો આમઆદમીઓના હિતને જોખમમાં મૂકતાં કે તેમના આંદોલન પ્રત્યે ઠંડી ઉપેક્ષા સેવતાં જરાય ખચકાતા નથી. જૂના રાજકારણીઓ સામેની આ ફરિયાદો જરાય નવી નથી, પરંતુ નવી પેઢીના નેતાઓ પણ એ જ માર્ગે આગળ વધે ત્યારે રહીસહી આશા ઓસરી જાય છે.

ઓરિસ્સાની મુલાકાતે ગયેલા રાહુલ ગાંધીએ ‘વેદાંત’ના ખાણકામ સામે આદિવાસીઓના હિતને સર્વોપરી ઠેરવી બતાવ્યું, પરંતુ આ ‘જીત’માંથી રાહુલની પર્યાવરણ કે આદિવાસી હિત અંગેની પ્રતિબદ્ધતા વિશે કશું જાણવા મળતું નથી. એટલે કે બીજી જગ્યાએ આ પ્રકારના પ્રોજેક્ટ હાથ ધરાશે ત્યારે રાહુલ આ જ પ્રકારનું વલણ અપનાવશે, એવું કોઇ ખાતરીપૂર્વક કહી શકે એમ નથી. એ જ ઓરિસ્સામાં, એ જ વેદાંત કંપની દ્વારા પુર-કોણાર્ક વચ્ચે દરિયાકિનારાના રસ્તે ૬ હજાર એકર જેટલી જમીનમાં યુનિવર્સિટી ઉભી થવાની છે. એક યુનિવર્સિટી માટે ૬ હજાર એકર જમીન જોઇએ કે કેમ, ત્યાંથી માંડીને લગડી જેવી જમીન ફાળવી દેવાના મુદ્દે કચવાટ છે. પરંતુ ત્યાં વિરોધ કરવા માટે આદિવાસીઓ નથી. કદાચ એટલે જ તેમના ઉદ્ધારક તરીકે રાહુલ ગાંધી પણ નથી.

એ ખરૂં કે દરેક પ્રોજેક્ટનું મૂલ્યાંકન સ્વતંત્ર ઢબે થવું જોઇએ અને તેનાં વિરોધ કે તરફેણની કોઇ કાયમી, નક્કી કરેલી નીતિ ન હોઇ શકે. છતાં, વિરોધ કે તરફેણ પાછળનાં કારણો એકસરખાં હોવાં જરૂરી છે. આ જાતના નિર્ણયો કારણને બદલે રાજકારણથી લેવાય ત્યારે તેમાં સાતત્ય જળવાતું નથી અને પ્રજાકીય હિતના મુદ્દા છેવટે રાજકીય અખાડાબાજીમાં ફેરવાઇ જાય છે.

નિયામગીરી હોય કે મહુવા, ઓરિસ્સા હોય કે ગુજરાત, પ્રજા માટે એક જ બોધ છે ઃ આમજનતાએ પોતાના હિતના રક્ષણ જેવા મહત્ત્વના કામ માટે રાજકીય પક્ષો કે નેતાઓના ખોળે માથું મૂકીને ગાફેલ થઇ જવું નહીં. બને કે ઊંઘ ઉડે ત્યારે નેતાઓ તો હોય, પણ આપણું માથું ન જડે.

5 comments:

  1. Kalpesh Sathwara10:50:00 AM

    Excellent, Urvishbhai.

    Very balance analysis of intence and conclusion about what should be?

    પ્રજા એક યા બીજા પક્ષના નેતામાં ઉદ્ધારકનાં દર્શન કરીને અહોભાવ અનુભવતી રહી અને પોતાનું કામ ચૂંટીને મોકલેલા લોકોના પગે પડવાનું નહીં, પણ તેમને ખડે પગે રાખવાનું છે એ ભૂલી ગઇ.

    ReplyDelete
  2. Sir, It's really nice article. ek dam muddani vaat kari chhe. badha ne uddhark ni chhap ubhi kari ne potano udhdhar karvo chhe. ama bemat nathi. praja e jagvu j rahyu. neta o ne aapne naukri e rakhya chhe. teo aapna kharche ane jokhame jalsa kare e na posay. amne khade page rakhva jetla jagrut nagrik nu ghadtar thay tyare desh uncho aavshe.

    ReplyDelete
  3. Leadhealthyindia4:37:00 PM

    Congress is gambling with Poster boy philosophy with inexperienced young Gandhi.

    Unfortunate is minusing of audit concept & political will first to understand agonies of Adivasis, Dalit, Minorities.

    Thanks.

    ReplyDelete
  4. dear LEADHEALTHYINDIA and COLORS OF LIFE,

    from your 'impersonal' nomenclature, i guess you are names of some movements or organizations.

    or may be individuals camouflaging under such pseudonyms, afraid as many are of letting out their real identities for reasons best known to them!

    could you please be honest and bold enough to reveal your real identities so that you can be made to 'personally' or 'organizationally' own up your comments in any debate that may ensue out of your off-the sleeve comments?

    and the readers of the post can have some clues to your ideological leanings and political agenda, if any.

    as COLORS OF LIFE has rightly noted, the post speaks about all the 'UDDHARAKS' although the immediate and handy reference for the post is provided by Rahul and Congress. so dear LEADHEALTHYINDIA, you need to read the post in its entirety and not pick up only your 'favorite dog' to flog.

    ReplyDelete
  5. દેશની અખંડિતતા ને જોખમમાં નાખે તેવા બાલિશ ચૂંટણીલક્ષી ભાષણો આપતા પોતાના જ પિતરાઈ શેખીખોર વરૂણ ગાંધી કરતા, કે જાહેર મંચ પરથી નરેશ કનોડિયા જેવા ભાષણો ઠોકીને લોકોનું મનોરંજન કરતા નેતાઓની સરખામણીમાં રાહુલ ગાંધી રાજકીય જવાબદારીની રીતે વધુ પરિપક્વ છે.

    ReplyDelete