Sunday, September 19, 2010

450મી પોસ્ટઃ(વધુ એક) નવી શરૂઆત


450ના મુકામે બ્લોગની સમૃદ્ધિમાં અને બની શકે તો તેની ઉપયોગીતામાં ઉમેરો કરવાના આશયથી પુસ્તકો વિશે અનિયમિત રીતે નિયમિત માહિતી આપતો એક વિભાગ શરૂ કરું છું. તેમાં નવાં ગુજરાતી-અંગ્રેજી, ક્યારેક હિંદી પુસ્તકો વિશે જાણકારી આપવાનો આશય છે. એ રીવ્યુ નહીં હોય. ફક્ત જાણકારી હશે. કોઇકમાં સાથે નોંધ લખવાનું મન થાય તો ટૂંકી નોંધ. બસ.

મ્યુનિસિપાલિટીની ટ્રકમાંથી ઉકરડામાં ઠલવાતા કચરા જેવા જથ્થામાં નબળાં પુસ્તકો ઠલવાઇ રહ્યાં છે, ત્યારે વાચનપ્રેમી મિત્રોને કેટલુંક કામનું હોઇ શકે એવું ચીંધી બતાવવાનો આશય આ ઘડીએ મનમાં છે. તેમાં ક્યારેક મિત્રપ્રેમને કે અંગત લાગણીને વશ થઇને કોઇ પુસ્તકની નોંધ લેવાનું થાય એવું પણ બની શકે છે. પરંતુ ઘણું કરીને અહીં અંગત પસંદગીના વિષયો અંગેના પુસ્તકોની નોંધ લેવાનો ખ્યાલ છે, જેથી સૂચિ સાવ પરબ-શબ્દસૃષ્ટિ જેવી ન બની જાય. પુસ્તકો વિશેનું સામયિક ‘ગ્રંથ’ જોયું નથી, પણ તેના વિશે જે સાંભળ્યું છે એની પરથી અત્યારે તેની બહુ ખોટ વર્તાય એવો માહોલ છે. થોડીઘણી જગ્યાએ પુસ્તકો વિશેની જે કોલમો ચાલે છે, તેમાં વિશ્વસનીયતા તો ઠીક, ગંભીરતાના પણ ગંભીર પ્રશ્નો છે.

નમૂનાલેખે 6 ઓગસ્ટ, 2010ના રવિવારની ‘દિવ્ય ભાસ્કર’ પૂર્તિમાં છપાયેલા ડો.આંબેડકર વિશેની એક પુસ્તિકાના રીવ્યુની વાત કરું. માત્ર એંસી પાનાંની આ પુસ્તિકાના રીવ્યુમાં એંસીથી નેવુ ટકા હિસ્સામાં પુસ્તકમાંથી અવતરણો ટાંકવામાં આવ્યાં હતાં અને ક્યાંક અર્થઘટનનો પ્રયાસ થયો ત્યારે કેવો ગોટાળો સર્જાયો હતો, તે રીવ્યુકાર ભોળાભાઇ પટેલના જ શબ્દોમાં વાંચોઃ

‘મૂળે ગુજરાતના બાબાસાહેબને ગુજરાતમાં તલાટીની નોકરી કરવાનો પણ એક એવો મૃત્યુનો સામનો કરવા જેવો અનુભવ માત્ર ને માત્ર અછુત હોવાને કારણે. એ વખતે પણ નોકરી છોડી મુંબઇ પાછા જતું રહેવું પડ્યું હતું. આ છે સત્યની પીડા-સત્ય પીડા- પછી ભારતરત્ન બનેલા બાબાસાહેબે અનુભવેલી.’

ડો.આંબેડકર વિશેની પ્રાથમિક જાણકારી હોય એવા મિત્રો પણ જાણે છે કે તે ‘મૂળે ગુજરાતના’ ન હતા અને તેમણે કદી ગુજરાતમાં તલાટી તરીકે નોકરી કરી ન હતી. ‘વેઇટિંગ ફોર વિસા’ના લેખગુચ્છના આરંભે ડો.આંબેડકરે કરેલી સ્પષ્ટતા પુસ્તિકામાં આ શબ્દોમાં છેઃ ‘અહીં રજૂ કરેલા પ્રસંગો માટે મેં મારા તેમ જ બીજાના અનુભવનો આધાર લીધો છે.’ ત્યાર પછી તલાટીવાળો કિસ્સો આલેખતાં પહેલાં તેમણે ચોખ્ખું લખ્યું છે કે તે મુંબઇમાં 6 માર્ચ, 1938ના રોજ ભરાયેલી સભામાં એક દલિત યુવાને રજૂ કરેલો અનુભવ છે. તેમ છતાં ભોળાભાઇ જેવા (સાચી રીતે) અભ્યાસી ગણાતા લેખક આખેઆખું કોળાનું ખેતર શાકમાં જવા દે ત્યારે આપણે ઉંહકારો પણ કર્યા વિના આગળ વધી જવાનું? અને ‘એમણે પુસ્તકની નોંધ તો લીધી’ એવું આશ્વાસન લેવાનું?

રઘુવીરભાઇ (ચૌધરી) આવો રીવ્યુ કરે તો આઘાત કે નવાઇ ન લાગે. પ્રવચનની જેમ રીવ્યુમાં પણ ‘એક યહાં ગીરા, એક વહાં ગીરા’ એમની સ્ટાઇલ છે. થોડા વખત પહેલાં ભાઇ બીરેને લખેલા પ્રો.રાવજીભાઇ પટેલ ‘મોટા’ના ચરિત્ર વિશે રઘુવીરભાઇએ ભાસ્કરમાં અવલોકન લખ્યું હતું. તેમાં એમણે પ્રખર બૌદ્ધિક પ્રો. રાવજીભાઇ ‘મોટા’ અને અધ્યાત્મવાળા પૂજ્ય મોટાના ચરિત્રોની એવી જબરી ભેળસેળ કરી હતી કે ભલભલા ગૂંચવાઇ જાય. છતાં, ‘રીવ્યુ કોણ વાંચે છે? એ બહાને છાપામાં પુસ્તક વિશે આવ્યું તો ખરું’ એમ વિચારીને રાજી થવાનું?

પુસ્તકપરિચયની કોલમો વિશેના આવા અનેક વિચારોની વચ્ચે, કમ સે કમ કેવી રીતે નોંધ ન લેવી તેની સ્પષ્ટ ભૂમિકા સાથે આ વિભાગનો આરંભ કરું છું. 'ગ્રંથાગાર' (સાહિત્ય પરિષદના મકાનમાં, ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના ખાંચામાં, આશ્રમ રોડ, અમદાવાદ)નાં નાનકભાઇ મેઘાણી અને હંસાબહેનનો મૈત્રીભર્યો ઉમળકો ન હોત તો આ વિચારને અમલમાં મૂકી શકાયો ન હોત. તેમની સાથે ગપ્પાંગોષ્ઠિ કરતાં કરતાં જોયેલાં નવાં પુસ્તકોને કારણે જ એ પુસ્તકોની વિગતો મિત્રો સાથે વહેંચવાનું મન થયું અને અનુકૂળતા પણ થઇ શકી છે.

વતનથી દૂર ઘર મારું

મારિયા શ્રેસ મિસ્કા (રંગદ્વાર)

કિંમતઃ રૂ.120, પાનાં 182

નોંધઃ પરદેશી સાધ્વી તરીકે ભારતમાં-ગુજરાતમાં આવેલાં અને સેન્ટ ઝેવિયર્સ સાથે સંકળાયા પછી 37 વર્ષથી સાબરકાંઠાના આદિવાસીઓ સાથે ગાળનારાં મારિયાબહેન ‘સવાયા ગુજરાતીઓ’ની બહુ ચવાયેલી પણ કાકા કાલેલકર સિવાય ભાગ્યે જ ગવાયેલી કેટેગરીમાં આવે. તેમના પુસ્તક ‘ગીરાસમાં એક ડુંગરી’ ને દોઢેક દાયકા પહેલાં સાહિત્ય અકાદમીનું ઇનામ પણ મળ્યું ત્યારે એ તરફ ઘણા લોકોનું ધ્યાન ગયું હતું. આ પુસ્તકમાં પણ વિવિધ પાત્રોની સત્યકથાઓ આલેખાયેલી છે. પાત્રોનાં નામ જ પ્રકરણનાં નામ તરીકે રાખવામાં આવ્યાં છે.


I P Desai- A pioneering Indian sociologist

Ragini P. Shah (Rawat Publication, Jaipur)

કિંમતઃ રૂ.575, પાનાં 291

નોંધઃ ગુજરાતે દેશને આપેલા પહેલી હરોળના સમાજશાસ્ત્રીઓમાં આઇ.પી.નું નામ ગણાય છે. પહેલી વાર તેમનો ઉલ્લેખ ઘનશ્યામભાઇ શાહ સાથે તેમણે કરેલા અસ્પૃશ્યતાનિવારણના ઐતિહાસિક સર્વેક્ષણ બાબતે સાંભળ્યો હતો. હજુ સુધી આ બન્નેનો એ સર્વે અધિકૃત ગણાય છે. વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં એક સમયે આઇ.પી. જેવા અધ્યાપકો ડીન તરીકે હતા. સુરતના સેન્ટર ફોર સોશ્યલ સ્ટડીઝના એ સ્થાપક ડાયરેક્ટર હતા. ફ્લેપ પરના લખાણમાં આ પુસ્તકને આઇ.પી.ની ‘ઇન્ટલેક્ચુઅલ બાયોગ્રાફી’ તરીકે ઓળખાવવામાં આવ્યું છે. પુસ્તકમાં તસવીરો પણ છે. ગુજરાતનું ગૌરવ અનુભવવા માગતા લોકોએ ખાસ ઓળખવા જેવા માણસ.

A Masterful Spirit - Homi J Bhabha

Indira Chowdhury & Ananya Dasgupta (

Penguin)

કિંમતઃ રૂ.1299, પાનાં રૂ.1260

એક પુસ્તકપ્રેમીની કલ્પનાનું પુસ્તક કેવું હોઇ શકે તેનો સરસ નમૂનો. ભાભાએ લખેલી થીયરીઝથી માંડીને તેમણે દોરેલા સ્કેચ, તસવીરો, અંગત પત્રોને ગૂંથીને એક એવું પુસ્તક બની આવ્યું છે કે વારંવાર જોયા પછી પણ ધરવ ન થાય અને પુસ્તક જોયા કરવાનું જ મન થાય. ભાભાએ દોરેલો તેમના મિત્ર-સાથીદાર વિક્રમભાઇનાં પત્ની મૃણાલિની સારાભાઇનો સ્કેચ, એમ.એફ.હુસેનનો ભાભાએ દોરેલો સ્કેચ....અનેક મહાન વૈજ્ઞાનિકો સાથે ભાભાની તસવીરો, તેમના મૃત્યુના સમાચાર છપાયા એ દિવસના અખબારનું પહેલું પાનું...પુસ્તકનું લખાણ તો વાંચ્યા પછી ખબર પડે, પણ તેની સામગ્રીની સમૃદ્ધિ અને ગૂંથણી મુગ્ધ કરે એવાં છે.

8 comments:

  1. 'એક પુસ્તકપ્રેમીની કલ્પનાનું પુસ્તક કેવું હોઇ શકે તેનો સરસ નમૂનો.'

    i do take Urvish seriously
    but even if these words had come from anybody else (including, of course, Bholabhai and Raghuvirbhai), i would have decided to buy the book for my personal library.

    but alas, its કિંમતઃ રૂ.1299 is a big deterrent. but the temptation is too big : વારંવાર જોયા પછી પણ ધરવ ન થાય અને પુસ્તક જોયા કરવાનું જ મન થાય... so i will go for window shopping in 'crossword' or in 'ગ્રંથાગાર' and have a look.

    it's really a nice idea to introduce good books in this blog. that will save us flipping through different catalogs for good reading.

    ReplyDelete
  2. વાહ! આ બહુ સારું કામ થયું છે. આજ કાલ ગુજરાતી પ્રકાશનમાં ક્વોન્ટીટી લેખે પુસ્તકો બહાર પડી રહ્યા છે. એના વિષે લખાય એ બહુ અનિવાર્ય છે. તમે આ સારી પહેલ કરી છે. રીવ્યુ એટલે ખાલી વખાણ એવી પરંપરા પડી ગઈ છે ત્યારે આ રીતે સાચી માહિતી કામ લાગશે.

    ReplyDelete
  3. Let us lead to promote a journal which would review the book/s, article, write-up, in terms of relevancy of respective subject.

    ReplyDelete
  4. Narendra4:47:00 PM

    Very nice Urvish..just one request, to keep it limited to quality content, specifically.

    ReplyDelete
  5. Congratulations for 450 number.
    I heartily welcome this new section on casual but causal style book information/introduction.

    ReplyDelete
  6. haas... koiye to saru ane saachu kam maathaa par upaadyu.

    ReplyDelete
  7. Three cheers to Urvishbhai.I was especially enthused by the book review pertaining to IP Desai, a maha pundit sociologist Gujarat does not know much about.I have details for a piece on interesting experiment in removsl of the evil of untouchsbility. I wish it could go somewhere in Gujarati.

    ReplyDelete
  8. અભિનંદન, 450મી પોસ્ટ પ્રસંગે.

    ReplyDelete