Tuesday, June 29, 2010

કટોકટીઃ ભૂતકાળની એક, વર્તમાનની અનેક

દેખીતી દુર્ઘટનાઓ અને આફતોમાં હજાર દુઃખની વચ્ચે એક સુખ હોય છેઃ તેમના અસ્તિત્ત્વનો કોઇ ઇન્કાર કરતું નથી. તેમણે સર્જેલું નુકસાન વાસ્તવિક છે અને એ નુકસાન ભરપાઇ કરવા માટે આપણે કંઇક કરવું જોઇએ, એવું તો લોકો સ્વીકારે છે.

ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી એવી એક દુર્ઘટના હતી. ગયા અઠવાડિયે (૨૫ જૂનનાં રોજ) કટોકટી લદાયાને ૩૫ વર્ષ પૂરાં થયાં એ નિમિત્તે તેની યાદ તાજી કરવામાં આવી. સૌ વિચારધારા અને પક્ષના લોકો કટોકટીના વિરોધના કોમન મિનિમમ પ્રોગ્રામ થકી ભેગા મળ્યા હતા. ઈંદિરા ગાંધીએ આણેલી અને તેમના ચિંરજીવી - ખરેખર તો ‘અલ્પજીવી’ - સંજય ગાંધીએ વકરાવેલી કટોકટીએ લોકોને જેવી હતી તેવી, પણ લોકશાહીની કિંમત ઉજાગર કરી આપી.

કટોકટીના તરફદારો પણ હતા. કેટલાક લોકો હજુ અહોભાવથી કહે છે,‘બીજું ગમે તે હોય, પણ કટોકટી વખતે ટ્રેનો રાઇટટાઇમ ચાલતી હતી.’ કોન્સન્ટ્રેશન કેમ્પ/યાતનાશિબિરોની શિસ્તનાં વખાણ કરવા જેવી આ વાત છે. છતાં, એટલું આશ્વાસન હતું કે કટોકટીનો પ્રગટ કે અપ્રગટ વિરોધ કરનારો અને એમ કરવામાં ધર્મ સમજનારો વર્ગ બહુમતિમાં રહ્યો. રાઇટટાઇમ ટ્રેનોથી મુગ્ધ થયેલા લોકોએ પણ કટોકટી પછીની ચૂંટણીમાં ઈંદિરા ગાંધીને મત નહીં આપ્યા હોય અથવા એવા મત બહુ ઓછા હશે. એટલે લોકશાહીની પીઠમાં છરી ભોંકનારાં ઈંદિરા ગાંધી ચૂંટણી હારી ગયાં. પરીક્ષાલક્ષી ભણતરની જેમ ચૂંટણીકેન્દ્રી લોકશાહીના પ્રતાપે એ જ ઈંદિરા ગાંધી ફરી બહુમતિથી ચૂંટાયાં એ જુદી વાત છે.

૩૫ વર્ષ પછી ઈંદિરા ગાંધીની કટોકટીના સ્મરણથી શું યાદ આવે છે? ભાજપ કટોકટીને ‘કોંગ્રેસની પેદાશ’ તરીકે ખપાવીને તેનો ફાયદો લેવાની કોશિશ કરતો રહે છે. કટોકટી સામેની લડતમાં પોતાની ભૂમિકા બતાવીને -અને ઘણી વાર બઢાવીચઢાવીને- ભાજપ સ્વાતંત્ર્ય આંદોલનમાં પોતાનો કોઇ ફાળો નહીં હોવાનું મહેણું પણ ભાંગવા પ્રયાસ કરે છે. છતાં, ઇતિહાસનો કટાક્ષ એવો છે કે અત્યારે ઈંદિરા ગાંધીનાં પુત્રવઘુ સરકારી મોરચાનાં વડાં છે અને સંજય ગાંધીનો પુત્ર વિરોધ પક્ષ (ભાજપ)માં નેતા છે.

વર્તમાન સંજોગોમાં ઈંદિરા ગાંધીની કટોકટી અને ખાસ તો તેની સામે અપાયેલી લડતની યાદ અકલ્પનીય લાગે એવી છે. કેમ કે, ૩૫ વર્ષ પહેલાંની રાજકીય કટોકટીની સરખામણીમાં અત્યારે અનેકવિધ ક્ષેત્રોમાં કટોકટી જેવી સ્થિતિ છે. છતાં તેની સામેની લડતનું તો ઠીક, તેના અસ્તિત્ત્વના સ્વીકારનું પણ વલણ જોવા મળતું નથી. કેવી છે ૨૦૧૦ની અનેક કટોકટી? એક અઘૂરી યાદીઃ

વિશ્વસનીયતાની કટોકટી
આસ્તિકો ઉપરવાળાની આખરી અદાલતમાં વિશ્વાસ ધરાવે છે, પણ દુનિયાદારીમાં અને ખાસ કરીને લોકશાહીમાં ત્યાર પહેલાંના ઘણા તબક્કા હોય છે. અમેરિકા જેવી લોકશાહીમાં ડિસ્ટ્રીક્ટ જજ બિલ ગેટ્સની શરમ ભર્યા વિના માઇક્રોસોફ્ટ જેવી કંપનીને સજા ફટકારી શકે છે, જ્યારે ભારતમાં? પોલીસતંત્ર અને ખાસ તો ન્યાયતંત્ર અંગેનો લોકોનો વિશ્વાસ ઓગળીને સુકાઇ ગયો છે. રાજકીય નેતાઓ અને પક્ષોમાં વિશ્વાસ ઉઠી ગયા પછી બે પાંખ એવી રહી હતી, જેના થકી પ્રજાનો લોકશાહીમાં, કાયદો-વ્યવસ્થામાં અને દેશની સલામતીમાં વિશ્વાસ ટકી રહે. આ બે પાંખ એટલે ન્યાયતંત્ર અને સૈન્ય. પરંતુ છેલ્લા દાયકામાં આ બન્નેની વિશ્વસનીયતા તળીયે બેઠી. સૈન્ય પર ભ્રષ્ટાચારના અને નાણાંના બદલામાં રાષ્ટ્રિય સલામતી પ્રત્યે ગંભીર બેદરકારી દાખવવાના આરોપ થયા. ન્યાયતંત્રની હાલત બદતર હતી. કેસોના ભરાવાની સમસ્યા તો પહેલેથી જ હતી. તેમાં ન્યાયાધીશોની તટસ્થતા અને તેમના રાજકીય લાભનો ખૂણો ઉમેરાયો. સામાન્ય માણસ માટે મુખ્ય સવાલ એ થયો કે કોઇ પણ પ્રકારનો ન્યાય મેળવવો હોય તો કરવું શું?

ગ્રામ્ય વિસ્તારોમાં અને નીચલા વર્ગના ગણાતા લોકોને વગદારો કે ઉજળીયાતો સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં હજુ નવ નેજાં આવે છે. ફરિયાદ નોંધાય તો પણ ન્યાય મેળવવા સુધીની સફર અત્યંત લાંબી અને થકવી નાખે એવી હોય છે. ન પોલીસ કામ લાગે, ન ન્યાયતંત્ર, તો અન્યાયનો ભોગ બનેલો સામાન્ય માણસ જાય ક્યાં અને કરે શું?

નક્સલવાદની કટોકટી
નક્સલવાદનું અત્યારે જોવા મળતું લોહિયાળ સ્વરૂપ એટલું ખતરનાક છે કે તેનો ગમે તેવી સમજૂતી દ્વારા બચાવ ન થઇ શકે. પરંતુ એક બાબતે મોટા ભાગના લોકો એકમત છે કે નક્સલવાદને આટલી હદે પહોંચાડવામાં અત્યાર લગીની સરકારી ઉપેક્ષાનો ફાળો સૌથી મોટો રહ્યો છે. ભારતનો બહુ મોટો હિસ્સો એવો હતો, જે શાસકોની નજરમાં પ્રજા તરીકે કદી વસ્યો જ નહીં. તેમની સુખાકારીનું તો ઠીક, મૂળભૂત સુવિધાઓનું ઘ્યાન રાખવાનું પણ બધા પક્ષના શાસકો ચૂકી ગયા. ઉપરથી જાલીમ શોષણ. આ સ્થિતિનો લાભ હિંસાની ફિલસૂફીમાં વિશ્વાસ ધરાવતા નક્સલવાદીઓ અને માઓવાદીઓએ ભરપૂર ઉઠાવ્યો. વર્ષોના સંગઠિત સંઘર્ષ પછી હવે નક્સલવાદીઓ એટલા મજબૂત છે કે રાજ્ય સરકાર પ્રેરિત સંગઠિત હિંસા પણ તેમને કાબૂમાં લઇ શકતી નથી. તેમની સામે ભારતીય સૈન્ય ઉતારવા જેવો આત્યંતિક વિકલ્પ પણ વિચારાઇ રહ્યો છે. છતાં, નક્સલવાદનો ઉકેલ બંદૂકથી આવે એ વાતમાં કોઇને વિશ્વાસ નથી. જરૂર છે એવી નેતાગીરીની, જે પોતાની વિશ્વસનીયતા ઉભી કરી શકે અને દેશના બહુ મોટા અને હાંસિયામાંથી પણ બહાર ધકેલાયેલા ગરીબ વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ કરે.

નેતાગીરીની કટોકટી
પ્રજાવિરોધી નીતિની વાત આવે ત્યારે ભારતના તમામ રાજકીય પક્ષો એકબીજાના ક્લોન જેવા લાગે છે. લોકોના હિતના ભોગે કંપનીઓ અને ઉદ્યોગગૃહોને ફાયદો કરાવી આપવાની અનીતિમાં બધા પક્ષની સરકારો સામેલ છે. બઘા પક્ષો વચ્ચેના સૈદ્ધાંતિક તફાવત મટી ગયા છે. હિંદુત્વના રાજકારણ ઉપર ફક્ત ભાજપનો ઇજારો રહ્યો નથી. વખત આવ્યે કોંગ્રેસ પણ ‘સોફ્ટ હિંદુત્વ’નો ખેલ પાડી લે છે, તો ‘દંભી બિનસાંપ્રદાયિકતા’ ઉપર માત્ર કોંગ્રેસનો પણ ઇજારો રહ્યો નથી. ભાજપના નેતાઓ લાગ મળ્યે લીલા સાફા પહેરીને ફોટા પડાવી નાખે છે. ડાબેરીઓ, સમાજવાદીઓ, બહુજનવાદીઓ...સહેજ ચામડી ખોતરતાં આ બધાની અંદરનો રંગ એક જ માલૂમ પડે છે. એ સૌનું ‘વોટબેન્ક’ અંકે કરવા સિવાય અને મળે એટલી સત્તા ભોગવી લેવા સિવાય બીજું કોઇ ઘ્યેય નથી. સત્તા મળે ત્યારે તેમનું એકમાત્ર લક્ષ્ય અઢળક સંપત્તિ એકઠી કરવાનું અને સામાજિક ભાગલાનો ફાયદો ઉઠાવીને નવી નવી વોટબેન્ક અંકે કરવાનું હોય છે. ‘દલિત સમસ્યા પ્રત્યે લક્ષ્ય’ આપવાની તેમની વ્યાખ્યા વરસના વચલે દહાડે દલિતની ઝૂંપડીમાં જઇને જમી આવવા જેટલી જ હોય છે. વહીવટી તંત્રને કાબૂમાં રાખી શકનારા નેતાઓ તંત્રને પોતાના જયજયકારમાં લગાડી દે છે અને અફસરો પર કાબૂ ન રાખી શકતા નેતાઓ વહીવટ પડતો મૂકીને તિજોરી ભરવામાં ઘ્યાન કેન્દ્રિત કરે છે. કેમ કે, ચૂંટણી કાર્યક્ષમતાના નહીં, પણ તિજોરીના જોરે જીતવાની હોય છે. ચૂંટણી લડવા માટે નિયમ પ્રમાણે પક્ષોએ ચૂંટણીઢંઢેરો બનાવવો પડે, એટલે તે બનાવે છે. પણ ચૂંટણી જીત્યા પછી તેમની પ્રાથમિકતામાં લોકોનું સ્થાન ક્યાંય હોતું નથી. સરકારી ભંડોળમાંથી મળતાં નાણાં વડે, પોતાની તકતીઓ ધરાવતાં થોડાં કામ કરાવીને મફતિયા પ્રસિદ્ધિ હાંસલ કરવી એ તેમનું મુખ્ય કામ બની રહે છે. ખરા અર્થમાં પ્રજાના પ્રશ્નો કહેવાય તેને ઉકેલવાની તો ઠીક, તેના વિશે જાણવાની પણ તેમને ફુરસદ કે દાનત હોતાં નથી.

પ્રજાકીય કટોકટી
ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે પ્રજાલક્ષી નેતાગીરીની છેલ્લી છેલ્લી ઝલક દેખાઇ. ત્યાર પછી સ્થિતિ સતત કથળતી રહી છે. એ જોતાં કહી શકાય કે નેતાગીરીની કટોકટી નવી નથી. પરંતુ સૌથી મોટી કટોકટી ગાંધીજીએ અને આંબેડકરે દાયકાઓ પહેલાં વ્યક્ત કરેલી બીકની છે. આ બન્ને મહાનુભાવોએ શિક્ષિત વર્ગમાં વધતી સંવેદનહીનતા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. વર્તમાન સમયમાં એ સંવેદનહીનતાનો આલેખ ઉંચો ને ઉંચો જતો જાય છે. કોમી હિંસા હોય કે દલિતોનું શોષણ, આદિવાસીઓના જમીનહકનો પ્રશ્ન હોય કે સરકારી તંત્ર દ્વારા કાયદો હાથમાં લેવાનો મુદ્દો- સમૃદ્ધ, મઘ્યમ કે મઘ્યમ બનવા ઇચ્છતા વર્ગને આ કશું જાણે સ્પર્શતું જ નથી.

એક તરફ સરકારી તંત્ર પોતાની ભ્રમજાળ પાથરી રહ્યું હોય, બીજી તરફ સ્વૈચ્છિક સંસ્થાઓમાં જમીની કામ કરનારા જૂજ અને લધુઉદ્યોગ પ્રકારની સંસ્થાઓ વધી પડી હોય, ત્યારે ‘સિવિક સોસાયટી’ કહેવાતા સમાજના જાગ્રત વર્ગના માથે ઘણી જવાબદારી આવી પડે છે. પરંતુ જાગ્રત થઇને નિદ્રાસુખ ખોવામાં હવે બહુ ઓછા લોકોને રસ પડે છે. ચોતરફ વિકાસ-વિકાસના હાકલા પડકારા થતા હોય ત્યારે વિકાસને અવગણ્યા વિના કે તેને ઓછો આંક્યા વિના નજરઅંદાજ થઇ રહેલી વાસ્તવિક સમસ્યાઓ યાદ કરાવવાનું જરૂરી બની જાય છે. પરંતુ વિકાસવાર્તાની બાળાગોળી પીને મહાસુખ માણતા લોકોને જગાડવાના કામમાં અપજશ સિવાય બીજું શું મળે? બાકીના લોકો જાગતા હોય તો પણ તે એટલા માટે જાગે છે કે તેમને પોતાના બે ટંકના રોટલાની પળોજણમાં ઊંઘવું પોસાતું નથી. એવા બહુમતિ વર્ગને ફક્ત સરકાર પ્રત્યે જ નહીં, સ્વૈચ્છિક સંસ્થાઓ પ્રત્યે પણ અવિશ્વાસ આવી ગયો છે. એમાં બધો વાંક તેમનો નથી.

લોકોની સાથે રહીને, તેમના સુખદુઃખમાં સહભાગી બનીને, તેમના જીવનને નજીકથી જોયાજાણ્યા વિના, ફક્ત નાણાંના જોરે તેમનો ઉદ્ધાર કરી નાખવાના પ્રયાસો હંમેશાં અવળું પરિણામ લાવે છેઃ લોકો જાગ્રત થવાને બદલે સુસ્ત બને છે અને પોતાના હક માટે વેઠવાનું તો બાજુ પર રહ્યું, જ્યાં લગી આર્થિક ફાયદો ન હોય ત્યાં લગી બેઠા હોય ત્યાંથી ઉઠવા પણ તૈયાર થતા નથી. જૂજ નિષ્ઠાવાન કાર્યકરોનું કામ એ સંજોગોમાં બહુ અઘરૂં અને નિરાશાપ્રેરક બની રહે છે.

પ્રજાકીય સત્ત્વ નષ્ટ થાય કે જ્ઞાતિ-સમાજ જેવા સંકુચિત હેતુઓ પૂરતું જ જાગ્રત થાય, ત્યારે બાકીની બધી કટોકટીઓ ‘કટોકટી’ મટીને રોજબરોજની સામાન્ય સ્થિતિ બની જાય છે.

કટોકટી રોજિંદા જીવનનો હિસ્સો બની જાય અને તેને વેઠીને જીવવાનું ફાવી જાય એનાથી મોટી કટોકટી બીજી કઇ હોઇ શકે?

4 comments:

  1. Narendra6:44:00 AM

    Urvish,
    Nice article after long time.
    This is what I call Urvish style. Kudos.

    ReplyDelete
  2. Jabir A. Mansuri11:05:00 AM

    Dear Urvish, you have honestly penned down and crystalized correct scenerio of common to social, judiciary, administration, visionary (short sighted), politcians who ultimately took mileage of nexus phenomenon. Converting issues. Perhaps Future Indian Strategic Analysts would learn a lesson from above such article which are our fact-experience of Rajniti (1947-2010), of course an honest approach would lead to healthy Indian Society which has potential to survive high degree of piousness and menaces that's why we are stronger or weak.

    Most unfortunate part of Muslim (pre-independence) who enjoyed legacy of co-brotherhood and experienced success in liberation from imperialist-British are now experiencing margin (post-independence), perhaps because of not excelling at socio-eco-polity responsibility and became victim (2002-progrom) of identity-crisis as minority.

    It reminds a western-thinker-sattire on sub-continent suggest about hypocricy & untruthfullness. If we all would re-experience honesty and truthfulness the more healthy our state and country would be (2010++).

    ReplyDelete
  3. urvishbhai..gujarat ma pan mini katokati chhe j...local newschannel panch varsh chalavi chhe..ane mane eno anubhav chhe...katokati ne vakhodnara-ladnara have satta ma betha to indira karta vadhu kharab mansikta thi raj kari rahya chhe...samaj ne todi nakhyo etle andolan pan kon kare???

    ReplyDelete
  4. Anonymous3:07:00 PM

    apne tya gujarat ni praja ne rajkiya-fascist afin sadi gayu che. Have kadach afin no nasho badlay to koi vat bane. rajkiya mutsadigiri gujarat ni political-lexicon ma thi delete karva ma avyo che. 'apne ketla taka' ane 'mara ketla taka'.

    ReplyDelete