Wednesday, August 16, 2023

વર-કન્યા, (સરકારથી) સાવધાન

ગુજરાત સરકાર પ્રેમલગ્નમાં માતા-પિતાની મંજૂરી ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે. ના, આ વાતમાં સરકાર વિચારી રહી છે-તે વિચારી શકે છે, તે સમાચાર નથી. અને સરકાર તે જોગવાઈ લાવવાનું વિચારી રહી છે, તે સમાચાર ઓછામાં ઓછા 18 વર્ષ જૂના છે.
વર્તમાન વડાપ્રધાન ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે મણિપુર એકંદરે શાંત હતું ને મહિલા પહેલવાનોની કશી માથાકૂટ ન હતી. તે વખતે મુખ્ય મંત્રીને દીકરીઓની ઘણી ચિંતા રહેતી. એક દીકરીની તો તેમને એટલી બધી ચિંતા હતી કે તેની પાછળ ગૃહ ખાતું સંભાળતા મંત્રીની દેખરેખ હેઠળ રાજ્યની એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડ કામે લગાડી દેવામાં તેમને ખચકાટ થયો ન હતો. તે મામલો છેવટે અદાલતે પહોંચ્યો ત્યારે દીકરીના પિતાએ કહ્યું હતું કે મુખ્ય મંત્રી તેમના જૂના પરિચિત છે અને તેમના (પિતાના) કહેવાથી જ મુખ્ય મંત્રીએ તેમની દીકરીનું ‘ધ્યાન’ રાખ્યું હતું.
વ્યક્તિગત કિસ્સો જવા દઈએ તો પણ, જૂના-નવા સમાચાર એ છે કે લગ્નમાં માતા-પિતાની સંમતિ ફરજિયાત બનાવવાની જાહેરાત 18 વર્ષ પહેલાં જેટલા મોટા ઉપાડે કરવામાં આવી હતી, એટલા જ પાછા પગલે જઈને સરકારે તેને રદ કરવી પડી હતી. હવે, ગુજરાતની દીકરીઓની સલામતીની સરકારે નવેસરથી ચિંતા જાગી છે. એ અલગ વાત છે કે આ જ સરકાર બળાત્કારના ગુનામાં દોષી ઠરી ચૂકેલા લોકોની સજાનો બાકી રહેલો થોડો હિસ્સો માફ કરી શકે છે. તેમાં પણ દીકરીઓ પ્રત્યે ચિંતા દર્શાવવાની સરકારની એવી કોઈ રીત છુપાયેલી હશે, જે આપણા જેવા સામાન્ય માણસોને ન સમજાય.
ચિંતા કરવાની-લાગણી બતાવવાની બાબતમાં (અને આમ તો બીજી ઘણી બાબતોમાં) સરકારોનું કામકાજ ધૃતરાષ્ટ્ર જેવું હોય છેઃ તે પ્રેમ દેખાડવા માટે જેને ભેટે તેનું પણ ઘણી વાર આવી બને. હવે સરકાર લગ્નલાયક છોકરાછોકરીઓનાં માતાપિતા પ્રત્યે પ્રેમ દેખાડવાના મૂડમાં છે. તેની પાછળ અપાતું સામાન્ય કારણ છોકરીઓના હિતનું છે. ગ્રાઉચો માર્ક્‌સ નામના એક અવળચંડા હાસ્યકારે કહ્યું હતું કે જે ક્લબ મારા જેવા માણસને સભ્યપદ આપે, એવી ફાલતુ ક્લબોમાં હું સભ્ય બનતો નથી. ગુજરાત સરકાર પણ ગ્રાઉચોના અંદાજમાં વિચારી શકે કે જે યુવાનો-યુવતીઓ વારંવાર અમને જ મત આપ્યા કરે, તેમની નિર્ણયશક્તિ પર કેટલો ભરોસો મૂકી શકાય? અને જે માતાપિતાઓ વારંવાર અમને સત્તા સોંપતાં હોય તેમની લાગણીનો વિચાર કરવો પડે કે નહીં? (જમણેરીઓનો વિરોધ કરનારાને ડાબેરી તરીકે ખપાવવા ઉત્સુક જનોના લાભાર્થે ખાસ નોંધઃ ગ્રાઉચો માર્ક્‌સ ડાબેરી વિચારસરણીના પ્રણેતા કાર્લ માર્ક્‌સના કશા સગપણમાં ન હતો.)
સરકારનો નવો-જૂનો વિચાર, અગાઉ થયો હતો તેમ, ફરી એક વાર કચરાપેટીભેગો થાય અને આ બાબતે સમય 18 વર્ષ આગળ ચાલ્યો છે—પાછળ નહીં, તેનો ઝાંખોપાંખો પુરાવો મળી રહે, એવી ગુજરાતવાસીઓને શુભેચ્છા. સાથોસાથ, ભૂલેચૂકે સરકારનું ગતકડું કાયદો બની જાય તો કેવી સ્થિતિ સર્જાઈ શકે, તેની મસ્તીભરી કલ્પના.
*
એક વ્યાવસાયિક પાસે લખાવેલી અરજી
વિષયઃ પ્રેમલગ્નમાં માતાપિતાની સંમતિ મેળવી આપવા/સંમતિમાંથી મુક્તિ મેળવી આપવા માટે ઘટતું કરવા માટે જરૂરી સૂચના આપવા માટેનો સત્તાવાર નિર્દેશ કરવા માટેની વિનંતી
મહેરબાન સાહેબ,
આથી અમો, નીચે સહી કરનાર ફલાણાભાઈ ને ઢીંકણાબહેન, આપણા દેશના બંધારણના, ઇષ્ટ દેવતાના અને બેકરી આઇટેમોના પ્રેમી હોવાને કારણે યીસ્ટ દેવતાના પણ સોગંદ ખાઈને જણાવીએ છીએ કે અમો લગ્નલાયક ઉંમર વટાવી ગયેલ છીએ. અમો એકબીજા સાથે રાજીખુશીથી, કોઈની ધાકધમકી વિના, બિનકેફી અવસ્થામાં, પૂરા સાનભાન સાથે પ્રેમમાં પડેલ છીએ. અને અમને કોઈ પ્રકારની ઇજા થયેલ નથી. તેનું સિવિલ સર્જનનું પ્રમાણપત્ર આ સાથે સામેલ છે.
અમારા પ્રેમસંબંધના પુરાવા તરીકે અમારી વચ્ચેના પત્રવ્યવહારની નોટરી કરાવેલી પ્રમાણિત નકલો, સિનેમાની ટિકિટો, રેસ્ટોરાંનાં બિલ, એકબીજાને ઘરે મુકવા જવા પેટે થયેલો પેટ્રોલખર્ચ વગેરે આ અરજી સાથેના બીડાણમાં સામેલ છે. આ નકલોની અસલ પણ અમો જરૂર પડ્યે કચેરીમાં રજૂ કરવા બંધાયેલા છીએ તે હકીકતથી અમો વાકેફ છીએ અને તેને કબૂલમંજૂર રાખીએ છીએ.
અમો કોર્ટમાં લગ્ન રજિસ્ટર કરાવવા ગયાં ત્યારે ખબર પડી કે સરકાર માઈબાપ તરફથી લગ્નનું પ્રમાણપત્ર મેળવવા માટે પહેલાં અમારાં માતા-પિતાની સંમતિ મેળવવી જરૂરી છે. અમારી વિનંતી છે કે અમે જાહેરમાં બેસીને શાંતિથી વાતો કરતાં હતાં ત્યારે જે ગુંડાભાઈઓ સંસ્કૃતિના નામે અમને નસાડવા આવતા હતા ને અમારી તરફ લાકડીઓ વીંઝતા હતા, તે જ ગુંડાભાઈઓને તમે અમારાં માતા-પિતાની સંમતિ મેળવવા માટે મોકલી આપી શકો? તેમને અમારા ઘરે મોકલવામાં જે કંઈ ટીએ-ડીએ અને સંબંધિત ખર્ચ થાય, તે અમે તેમને રોકડેથી આપવાનું કબૂલીએ છીએ.
આપસાહેબને માલુમ થાય કે અમારાં માતાપિતા સાથે અમારી કોઈ અદાવત નથી, પણ અમારાં માતાપિતાને અમારો સંબંધ મંજૂર નથી. કારણ કે અમારામાંથી છોકરાના પપ્પા સાયબર સેલની એક શાખામાં કામ કરે છે અને છોકરીના પપ્પા વિરોધ પક્ષ સાથે જોડાયેલ છે. તેમની વચ્ચે વાતચીત કરાવવા અને સંબંધ માટે મનાવવા સંયુક્ત રાષ્ટ્રસંઘમાંથી શાંતિરક્ષક દળ મંગાવવું પડે, જેનો ખર્ચ ભોગવવાની અમારી ક્ષમતા નથી. તે સંજોગોમાં આપસાહેબને વિનંતી કે અમને માતાપિતાની સંમતિ મેળવવામાંથી મુક્તિ આપવામાં આવે અથવા સરકારશ્રી પોતે અમારાં માતા-પિતા પાસેથી અમને એવી સંમતિ મેળવી આપે. આ માટે ઘટતું કરવા માટેની વિનંતી સાથે,

આપના વિશ્વાસુ અરજદાર-- 

Saturday, August 05, 2023

અચ્યુતભાઈ યાજ્ઞિકનો ઇન્ટર્વ્યૂ (30 એપ્રિલ, 2006) : સગવડિયા ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક અને ક્રૂર બનાવ્યાં છે

વર્ષ 2006-07માં 'દિવ્ય ભાસ્કર' સાથે સંકળાયો ત્યારે ગુજરાતી પત્રકારો કરતાં સાવ જુદાં વલણો ધરાવતા, પ્રયોગશીલ અને મૌલિક એવા આકાર પટેલ તેના ગ્રુપ એડિટર હતા. તેમણે રવિવારની પૂર્તિને નવું રૂપ આપ્યું અને તેમાં એક આખા પાનાના ઇન્ટર્વ્યૂનો સમાવેશ કર્યો. તે સ્વરૂપમાં મારે પાંચ-છ ઇન્ટર્વ્યૂ કરવાના થયા. તેમાંથી એક અચ્યુતભાઈનો હતો. થોડા વખત પહેલાં તેમનું ગુજરાત વિશેનું પુસ્તક આવ્યું હતું. એટલે તે વાંચીને તેમનો ઇન્ટર્વ્યૂ કરવો એવું ઠર્યું. તે ઇન્ટર્વ્યૂ નિમિત્તે અચ્યુતભાઈ સાથે શરૂ થયેલો સંબંધ પછી તો સતત જળવાઈ રહ્યો.

અચ્યુતભાઈની વિદાય પછી વડીલ મિત્ર વિપુલ કલ્યાણીએ તેમના ઇન્ટર્વ્યૂની વર્ડ ફાઇલ માગી. જાતે ટાઇપ કરવાનું અનુકૂળ ન હતું. એટલે મિત્ર સુજાતને કહ્યું. તેણે તત્કાળ કરીને તે મોકલી આપી. એટલે 17 વર્ષ પહેલાંનો આ ઇન્ટર્વ્યૂ અહીં મૂક્યો છે. 

*

 બેસ્ટસેલર પુસ્તક શેપિંગ ઓફ મોડર્ન ગુજરાતના સહલેખક તરીકેની સૌથી તાજી ઓળખ ધરાવતા અચ્યુત યાજ્ઞિક છેલ્લા ત્રણેક દાયકાથી ગુજરાતના જાહેરજીવન સાથે સંકળાયેલા રહ્યા છે. તેમના કૌટુંબિક સંસ્કાર કર્મકાંડી બ્રાહ્મણના. તેની પર રામમનોહર લોહિયાના સમાજવાદનો રંગ ચડ્યો. એટલે ગુજરાત સમાચારમાં દસ વર્ષની નોકરી દરમિયાન યુનિયન પ્રવૃત્તિ અને કામદાર સંઘની પ્રવૃત્તિઓ સાથે નજીકથી સંકળાયેલા રહ્યા. ગુજરાતી પત્રકારત્વમાં એક દાયકો વિતાવ્યા પછી અચ્યુતભાઈ મુક્ત થયા. સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ (સુરત)ના સંશોધનપત્ર અર્થાત્ના સ્થાપક-સંપાદક બન્યા. પાંચેક વર્ષ સુધી ઇકોનોમિકલ એન્ડ પોલિટિકલ વીકલી જેવા પ્રતિષ્ઠિત સામયિક માટે ગુજરાતમાં રહીને કામ કર્યું. લોકાયન પ્રોજેક્ટથી તે સમાજકાર્ય સાથે સંકળાયા અને સેતુ – સેન્ટર ફોર સોશિયલ નોલેજ એન્ડ એક્શનની સ્થાપના કરીને સમાજકાર્યમાં ઝંપલાવ્યું. તેમના શબ્દોમાં કહીએ તો, સાહસ કરી શકું એવી સ્થિતિમાં હતો, એટલે સાહસ કર્યું. બૌદ્ધિક પ્રતિભા અને સંશોધક તરીકેનું ઊંડાણ તેમના પુસ્તકમાં જ નહિ, તેમની સાથેની વાતચીતમાં પણ સતત (તેમના મુક્ત હાસ્યની જેમ) પ્રગટતું રહે છે. તેમની સાથેની વિશેષ મુલાકાતના અંશો અત્રે પ્રસ્તુત છે:

સાહિત્યનો સમાજ સાથેનો નાતો તૂટી ગયો છે, એવી ફરિયાદ ભૂકંપ અને ૨૦૦૨નાં રમખાણો પછી તીવ્ર બની છે. આવું થવાનું શું કારણ?

સાહિત્ય હોય કે સામાજિક પ્રવૃત્તિ, તેમાં પડેલા માણસે ડી-લર્નિંગની પ્રક્રિયામાંથી પસાર થવું પડે. કૌટુંબિક વારસાને લીધે જે ભાષા અને સમજ પ્રાપ્ત થઈ હોય તેનો પ્રભાવ ધીમે ધીમે ઓછો થવો જોઈએ કારણ કે બહુજન સમાજ સાથે સંકળાવાનું છે. એ પ્રક્રિયા ન થાય, તો બહુજન સમાજ સાથે સીધું સંધાન થઈ શકતું નથી. સાહિત્યમાં લેખકોએ પોતાના પરિવેશની બહાર જવાનો પ્રયાસ ન કર્યો. ગાંધીયુગમાં શહેરના ભણેલાગણેલા લોકોને પોતાના પરિવેશની બહાર ખેડા કે બારડોલીના ખેડૂતો સાથે વાત કરવાનો સંબંધ ઊભો થયો, પણ આઝાદી પછી એ પ્રક્રિયા અટકી ગઈ. આઝાદી પછીના સાહિત્યને હું માસ્તરિયું સાહિત્ય કહું છું. તે ચારસો-પાંચસો અધ્યાપકો-પ્રાધ્યાપકોનું સાહિત્ય થઈ ગયું છે. એ લોકો જ વાંચે અને એ જ સમજે. લોકમાનસ સાથેના તંતુવિચ્છેદની વાત પણ રસિકલાલ પરીખે સાહિત્ય પરિષદના અધ્યક્ષપદેથી ૧૯૬૪-૬૫માં કરી હતી. બીજું કારણ એ કે સાહિત્યનો ઇતિહાસ સાથેનો સંબંધ તૂટી ગયો. તેના સંયુક્ત પરિણામ તરીકે ઘોર વ્યક્તિવાદ ઊભો થયો, જેને રે મઠની પ્રવૃત્તિ કહેવામાં આવે છે, તેમાં પણ ઘોર વ્યક્તિવાદ હતો. વર્તમાન અને ભૂતકાળ સાથેનો સંબંધ તૂટી જતાં સાહિત્યકારો સ્વકેન્દ્રી બની જાય છે અને રોગિષ્ટ મનોદશા ઊભી થાય છે. અત્યારનું આપણું સાહિત્ય રૂગ્ણ મનોદશાનું પરિણામ છે.

કનૈયાલાલ મુનશીએ જે લખ્યું તેને ઇતિહાસ કહેશો?

મુનશીએ ગુજરાતની અસ્મિતાના તેમના ખ્યાલને પોષે એવું ઇતિહાસમાં જે હતું એ લીધું. ચૌલુક્ય સમયને તેમણે ઊંચી પાયરી પર મૂકી આપ્યો. નવલકથા હોય તેમાં છૂટછાટ તો લઈ શકાય, પણ મુનશી-ધૂમકેતુની ઐતિહાસિક નવલકથાઓના પરિણામે ગુજરાતનું એક દર્શન એવું ઊભું થયું, જે હિંદુ ભૂતકાળની વાત કરતું હતું. મુસ્લિમ શાસન શરૂ થયું તેના પહેલાંના સમયની ચર્ચા કરતું હતું. દાખલા તરીકે, આજે અમદાવાદને કોઈ સંબંધ હોય તો એ જૂના અમદાવાદની સ્થાપના સાથે છે. તેને ઐતિહાસિક રીતે સોલંકીસમય સાથે કોઈ સંબંધ નથી. પણ (નવલકથાઓ પછી) પ્રવૃત્તિ એવી થઈ કે અમદાવાદને સોલંકીસમય કે ચૌલુક્ય સમય સાથે જોડી દેવામાં આવે છે. બીજી રીતે એવું પણ કહેવાય કે આ પ્રકારની નવલકથાઓને કારણે ગુજરાતમાં પ્રતિવાદ ન હતો એ પ્રગટ્યો.

નર્મદે જય જય ગરવી ગુજરાત ગાયું હતું...

નર્મદે કરેલી ગુજરાતી અસ્મિતાની વાત ભાષાકીય અને શું શાં પૈસા ચારના સંદર્ભમાં હતી. નર્મદથી પહેલાં પ્રેમાનંદે ગરવો દેશ ગુજરાત લખ્યું છે, પણ કયું ગુજરાત એ પ્રેમાનંદે કહ્યું નથી. મુનશી-ધૂમકેતુની નવલકથાઓમાં જે ગુજરાત આવે છે, એ મુસ્લિમોના આગમન પૂર્વેનું છે એટલે કે ગુજરાતની બહુવિધતાનો એમાં સ્વીકાર નથી. કરણઘેલોમાં નંદશંકર મહેતાએ પણ એવું કર્યું છે. એ વખતે સવાલ થાય છે કે તમે કયા ગુજરાતની વાત કરો છો? એ ગુજરાતની જેમાં સુરત, અમદાવાદ, જામનગર અને ભુજ પણ નહોતું? એ પ્રકારના સાહિત્યમાં, ગુજરાતની સંસ્કૃતિમાં રહેલા સમન્વયની વાત આગળ ન વધી. સાહિત્યમાં ઇતિહાસ આવ્યો, પણ વિશિષ્ટ રીતે આવ્યો. તેમાં ઇતિહાસબોધ ન આવ્યો.

પુસ્તકમાં વર્તમાન પરિસ્થિતિ માટે તમે બૌદ્ધિક ગરીબીને જવાબદાર ગણાવી છે. એના માટે જવાબદાર કોણ?

એક તો આપણી વણિકવૃત્તિ. અત્યારે અમદાવાદની એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટમાં પોણો લાખ હસ્તપ્રત છે. કોબામાં એક લાખ હસ્તપ્રત છે. ગુજરાતમાં હસ્તપ્રતોનો મોટો ભંડાર છે. જૈન મુનિઓ જિનવિજયજી અને પુણ્યવિજયજીએ પ્રયત્નો કરીને આ ભંડાર એકઠો કર્યો. તેનાથી એ ખજાનો સચવાયો અને અત્યારે સુરક્ષિત છે. એની વારસા તરીકે વાત કરવાની – ગૌરવ લેવાનું પણ તેને આગળ લઈ જવાનું શું? હસ્તપ્રતો વાંચનારા કેટલા?’ એવું પૂછીએ, તો એનો જવાબ મળતો નથી કારણ કે તેના માટે જૂની ગુજરાતી, પ્રાકૃત અને અપભ્રંશનો અભ્યાસ કરવો પડે અને તેમાં મુદ્દાનો સવાલ આવીને ઊભો રહે: એમાંથી મળે શું?’

અત્યારના સમાજમાં સંપ્રદાયોનું વર્ચસ્વ ઘણું છે. સમાજ પર અસર વિશે બહુ સાંભળવા મળતું નથી.

હિંદુત્વની વાત થાય છે, ત્યારે સંઘ પરિવાર અને તેના જુદા જુદા સભ્યોની જ ચર્ચા થાય છે. તેને કારણે હિંદુત્વને ગુજરાતમાં આગળ લઈ જવામાં સંપ્રદાયોના પ્રદાનની વાત થતી નથી. આ સંદર્ભમાં ત્રણ મુદ્દા અગત્યના છે: (૧) પહેલાં ભક્તિ આંદોલનમાં સમન્વયની વાત હતી. નવા સંપ્રદાયોથી એ તત્ત્વ કોરાણે મુકાઈ ગયું. (૨) સાયન્સ-ટેક્નોલૉજીમાં નકારાત્મક પરિણામોની ચર્ચા નહિ કરવાની. ઉપરથી, તેમને સિદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. અણુબોમ્બથી વધારે અધાર્મિક બીજું શું હોઈ શકે? પણ એ અધાર્મિક છે એવું કહેવાતું જ નથી, એટલે સંપ્રદાયોના લોકો એવા મહાન ભારતની કલ્પના કરે છે, જે ખરેખર પશ્ચિમની નાની આવૃત્તિ છે. (૩) ઉપભોક્તાવાદની પણ ચર્ચા નહિ કરવાની. તેના કારણે, મધ્યમવર્ગને બહુ મજા પડી ગઈ.

આ ત્રણેય રીતે એક એવો નવો હિંદુવાદ અને હિંદુધર્મ ઊભો કર્યો, જે તેની પ્રશિષ્ટ પરંપરાથી દૂર થઈ ગયો.

એટલે કે અત્યારના હિંદુત્વનો હિંદુ ધર્મ સાથેનો સંબંધ નામ પૂરતો જ રહ્યો.

કુટુંબની દૃષ્ટિએ અમારા કુળદેવતા રામ છે. મેં કોઈ દિવસ રામચંદ્રજીના હાથમાં ધનુષ્ય અને બાણ હોય એવી મૂર્તિ જોઈ નથી. આખા ગુજરાતમાં કોઈ પણ ઠેકાણે મંદિરમાં જુઓ તો રામની જોડે સીતા બેઠાં હોય. એ આખી કુટુંબવિશેષની વાત છે. એને બદલે, નવા રામ ઊભા કરવામાં આવ્યા. તેમના હાથમાં ધનુષ્યબાણ મૂકી દેવામાં આવ્યું. વિશ્વ હિંદુ પરિષદ લંકાદહનની વાત કરીને કહે છે કે આતતાયીઓ-રાક્ષસોનું દહન કરવું જોઈએ. પણ લંકાદહન પછી હનુમાનજી કેવું દુઃખ પ્રગટ કરે છે, તેની વાત જ નહિ કરવાની. અત્યારે હિંદુ ધર્મનું ફક્ત એવું જ સ્વરૂપ રજૂ કરવામાં આવે છે, જેનો મધ્યમ વર્ગની જીવનપદ્ધતિ સાથે મેળ બેસી જાય છે. તેમના મનમાં કોઈ શંકા થતી નથી. જે ઇતિહાસમાંથી, તેમ પુરાણોમાંથી કે રામાયણ-મહાભારત જેવા મહાગ્રંથોમાંથી ચૂંટેલી વસ્તુ મૂકવાથી બુદ્ધિભ્રમ ઊભો થાય છે. એ ભ્રમ તોડવાનો પ્રયત્ન કરનાર માટે વાદવિવાદનો કોઈ અવકાશ રહેતો નથી. મારામારી જ થાય છે. સગવડિયા ઇતિહાસ અને સગવડિયા ધર્મથી પેદા થયેલા મતિભ્રમે ગુજરાતીઓને વધારે હિંસક અને ક્રૂર બનાવી દીધા છે. શાંતિપ્રિય, વણિકબુદ્ધિવાળી અને વચલો રસ્તો કાઢનારી પ્રજા તરીકેની છબિ સાથે તેને ક્યાંય મેળ ખાતો નથી.

બીજી અગત્યની વાત એ છે કે અત્યારે જે રીતે હિંદુ અને મુસ્લિમના ભાગલા કરવામાં આવે છે, એવા ભાગલા પહેલાં હતા જ નહિ. વસતી ગણતરી કે મ્યુનિસિપાલિટીની ચૂંટણીઓ જેવી પાશ્ચાત્ય અસરોએ આવા ભાગલામાં મોટો ભાગ ભજવ્યો. એ સંસ્થાનવાદની નીપજ છે. એ રીતે, અત્યારનો હિંદુવાદ પણ સંસ્થાનવાદની નીપજ છે. એ આપણી ભક્તિ પરંપરા પ્રમાણેનો કે હિંદુ ધર્મમાંથી ફિલસૂફીનું તત્ત્વ પકડીને પુનઃજીવિત કરાયેલો નથી.

હિંસાના જનીન ગુજરાતીઓમાં ક્યાંથી આવ્યા?

પુસ્તકમાં આંકડા અને નક્શા સાથે અમે તારવ્યું છે કે જે વિસ્તારોમાં ભ્રૂણહત્યાનું પ્રમાણ ઊંચું છે, કૌટુંબિક હિંસા જ્યાં વધુ છે ત્યાં ૨૦૦૨માં કોમી હિંસાને છૂટો દોર મળ્યો, દા.ત. મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, આણંદ, નડિયાદ... હિંસા એક સ્વરૂપે વ્યક્ત થતી નથી. એ વખતે મને કોઈએ પૂછ્યું, ગુજરાતીઓ આટલા બધા હિંસક થઈ ગયા છે?’ મેં કહ્યું, જે પોતાની પુત્રીને મારી શકે એ કોઈને પણ મારી શકે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને બાદ કરતાં, બાકીના ગુજરાતમાં મોટા પાયે હિંસાચાર થયો નથી. સમગ્ર ગુજરાતની વાત કરવામાં આવે ત્યારે આ વાત ભૂલી જવાય છે અને છાપ એવી ચાલ્યા કરે છે કે સમગ્ર ગુજરાતમાં હિંસાચાર થયો.

કોમી હિંસા પછી ગુજરાતને બદનામ કરવાની સાજિશ જેવો શબ્દપ્રયોગ સાંભળવા મળે છે...

પોતાની અંદર ઝાંકીને જોવું ન હોય, તો એ બહુ સહેલો રસ્તો છે. ગુજરાતીઓ પોતાનું આત્મવિશ્લેષણ કરવા માટે તૈયાર નથી. તેમાં માધ્યમો પણ આવી જાય છે. જાહેર જીવન સાથે સંકળાયેલા તમામ પરિબળો એક યા બીજી રીત રાજકારણીઓએ ઊભી કરેલી ભ્રમણાને પોષે છે. ૨૦૦૨માં જે કંઈ બન્યું, એ ગુજરાતમાં જ બન્યું છે. આઝાદી પછીનું સૌથી મોટું કોમી રમખાણ ૧૯૬૯માં ગુજરાતમાં જ થયું. બિનસત્તાવાર આંકડા પ્રમાણે અઢી-ત્રણ હજાર માણસો તેમાં મરી ગયા હતા. તેની તપાસ માટે નિમાયેલા રેડ્ડી તપાસપંચના અહેવાલનું શું થયું? તેની પર ચર્ચા કે અમલ કેમ ન થયો? આપણી પાસે વિશ્લેષણાત્મક અભિગમ નથી એટલે સ્લોગન-શાઉટીંગ અને પેમ્ફ્લેટીઅરિંગની (સૂત્રોચ્ચાર-પત્રિકાયુદ્ધની) બહાર નીકળી શકતા નથી. એનો પડઘો અખબારમાં પડે છે. માધ્યમોમાં આવે ક્યાંથી? કૂવામાં હોય તો હવાડામાં આવે ને? કૂવો તો સમાજ છે.

ભૂમિકાની નિષ્ફળતા બાબતે ગુજરાતી અને અંગ્રેજી મીડિયા વચ્ચે તમે તફાવત પાડો છો?

ગુજરાતી માધ્યમો એ જ મધ્યમ વર્ગ થકી ચાલે છે, જે મધ્યમ વર્ગ આ પરિસ્થિતિ માટે કારણભૂત છે. મધ્યમ વર્ગની આશા-આકાંક્ષાઓ ગુજરાતના ભદ્ર વર્ગની આશા-આકાંક્ષાઓ જેવી જ છે. નીતિની વાત નહિ કરવાની! એટલે શેરબજારમાં જે કંઈ થાય એમાં તેમને કશું ખોટું લાગતું નથી. શેરબજારમાં સટ્ટો કરનારા પણ ગુજરાતીઓ છે. તેની ચર્ચા કોઈ કરતું નથી. ફરી ઇતિહાસબોધની વાત પર આવી જઈએ છીએ. અંગ્રેજી માધ્યમો અતિસરળીકરણનો ભોગ બને છે. સમગ્ર ગુજરાતમાં હિંસાચારની છાપ ઊભી થઈ, તેનું કારણ એ કે અંગ્રેજી માધ્યમોને ગુજરાતની સામાજિક પરિસ્થિતિ વિશે ખબર નથી. ગુજરાતમાં કોઈ મોટી ઘટના બને ત્યારે આવતા અંગ્રેજી અખબારોના પ્રતિનિધિઓ અતિસરળીકરણનો ભોગ બને છે. તેમણે પ્રચલિત કરેલી છાપ રાષ્ટ્રીય કક્ષાએ આગળ ચાલે છે. પણ પત્રકાર તરીકે આખી વસ્તુનો વિચાર કરો: બીજા રાજ્યમાં જઈએ ત્યારે આપણી પણ અતિસરળીકરણ જ કરીએ. પત્રકારત્વની કેટલીક સીમાઓ ત્યાં આપોઆપ આવી જાય છે. તેમાં ઇરાદાનો પ્રશ્ન નથી આવતો. બદનામ કરવાની સાજિશ જેવી વાત તો નેતાઓ પોતાના બચાવ માટે ઉપજાવી કાઢે છે.

ગુજરાતને અન્યાયવાળી વાતમાં કેટલું તથ્ય છે?

ગુજરાત-મહારાષ્ટ્ર સંયુક્ત હતાં અને મુંબઈ જ્યારે રાજધાની હતી ત્યારે એવું લાગતું હતું ખરું, પણ કયા ગુજરાતને અન્યાય થાય છે? ગુજરાતના ભદ્ર સમાજને જ્યારે લાગે છે કે અમને અન્યાય થાય છે ત્યારે એ સમગ્ર ગુજરાતને અન્યાય થાય છે એવું વાતાવરણ ઊભું કરે છે. દા.ત. નર્મદા બંધની વાત કરીએ. તેમાં સમગ્ર ગુજરાતની વાત કરતાં એ ભૂલી જવાય છે કે દરેક સાતમો ગુજરાતી આદિવાસી છે અને દરેક દસમો ગુજરાતી મુસલમાન છે. આદિવાસીઓના દૃષ્ટિકોણથી આખો મુદ્દો જોઈએ તો, ધરોઈનો બંધ બાંધ્યો, એ આદિવાસી વિસ્તારમાં. તાપી-દમણગંગામાં પણ આદિવાસી વિસ્તારોમાં વિસ્થાપન થયું. દરેક સાતમો ગુજરાતી જે છે, તેના દૃષ્ટિકોણથી પણ ગુજરાતની ચર્ચા ન થવી જોઈએ? એ ચર્ચા નથી રાજ્યકર્તાઓ કરતા કે નથી મધ્યમ વર્ગ કે નથી વિશ્વવિદ્યાલયોમાં આવી ચર્ચા થતી કે એક જ સમાજ પાસેથી બલિદાનની અપેક્ષા શા માટે રાખવામાં આવે છે! આમ, ગુજરાતનો ભદ્ર વર્ગ પોતાના હિતને સમગ્ર ગુજરાતના હિત તરીકે ખપાવીને એ મુદ્દો આગળ કરે છે અને આખી વાત એવી રીતે મૂકવામાં આવે છે, જાણે પેલા લોકો ગુજરાતી જ નથી.

ગુજરાતની વર્તમાન હાલતમાં કોંગ્રેસની ભૂમિકા કેવી રીતે જુઓ છો?

માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી હતા ત્યારે મેં લખ્યું હતું, કોંગ્રેસે અન્ય પછાતોને ઇલેક્શનાઇઝ કર્યા, પણ પોલિટિસાઇઝ કર્યા નહિ. (ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કર્યા, પણ રાજકીય પ્રવાહમાં આણ્યા નહિ.) તેને કારણે અન્ય પછાતમાંથી જે નેતાગીરી ઊભી થવી જોઈએ, એ ન થઈ એટલે સવર્ણ મધ્યમ વર્ગ સામે કોઈ પડકાર ન રહ્યો. એ સવર્ણ મધ્યમ વર્ગે પોતાના હિતોની રખવાળી માટે હિંદુત્વનો ઉપયોગ કર્યો. દરમિયાન દલિત અને આદિવાસી સમાજમાંથી પણ એક મધ્યમ વર્ગ ઊભો થયો. તેમણે પોતાની ઓળખ અને અસ્મિતાવાળી ભૂમિકા ન લીધી, પણ સમન્વયની ભૂમિકા લીધી. સમન્વય એટલે હિંદુત્વ સાથે જોડાઈ જવું! ૧૯૮૧-૧૯૮૫માં સવર્ણ-દલિત સામસામે અને મુસ્લિમો શાંત હતા. એ ત્રિકોણીયા પરિસ્થિતિનું ૧૯૯૦ આવતાં આવતાં ધ્રુવીકરણ થયું અને હિંદુ-મુસ્લિમો સામસામે થઈ ગયા. પછાતો તરફથી સવર્ણોને પડકાર ઊભો થયો જ નહિ અને પડકાર ઊભો થાય તે પહેલાં સવર્ણોએ હિંદુત્વને નામે પછાતોનો ઉપયોગ કરી લીધો. આ ઘટનાક્રમ માટે કોંગ્રેસ પૂરેપૂરી જવાબદાર હતી. ગુજરાતમાં જે પ્રકારનું વાતાવરણ અને સાંપ્રદાયિકતા ઊભાં થયાં તેમાં કોંગ્રેસનો પણ ફાળો છે. અત્યારે વિશ્લેષણ થતું નથી એટલે હંમેશાં સંઘ પરિવારનું નામ લેવાય છે. કોંગ્રેસ જો એનો ધર્મ ના ચૂકી હોત, તો ગુજરાતની આ પરિસ્થિતિ ન હોત. આજે ગુજરાતમાં ફેશન પડી ગઈ છે કે બધામાં સંઘ પરિવારનું જ નામ લેવાનું. એમાં સંઘ પરિવારને મજા પડી ગઈ છે. બધી ક્રેડિટ એમને મળી જતી હોય, તો શું ખોટું?

સ્વૈચ્છિક સંસ્થાઓ (એનજીઓ) સામે ગંભીર ફરિયાદો થાય છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલી વ્યક્તિ તરીકે તમે શું માનો છો?

૧૯૮૦-૮૫ના ગાળામાં ત્રણ પ્રકારના લોકો ભેગા થઈને દેશના કે સમાજના પ્રશ્નોની ચર્ચા કરતા હતા: (૧) સામાજિક આંદોલનો કે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો, (૨) માધ્યમોના લોકો અને (૩) વિદ્યાસંસ્થાઓ-સંશોધન સંસ્થાઓના લોકો. એવા તબક્કે જે સંસ્થાઓ ઊભી થઈ, તેના લોકોના રાજકીય સંસ્કારો અગાઉ થઈ ચૂક્યા હતા. વિશ્લેષણ કરવાની વૃત્તિ-પ્રવૃત્તિ તેમનામાં હતી. ૧૯૮૫થી ૧૯૯૦ સુધીમાં એનજીઓમાં પ્રોફેશનલિઝમ આવવા લાગ્યું. ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં કે બીજી કોલેજમાં ભણીને બહાર પડેલા લોકો આવતા થયા. તેમની પાસે અગાઉના લોકો જેવું વ્યાપક રાજકીય શિક્ષણ નહોતું. વ્યાપક સમાજ કે સંસ્કૃતિની દૃષ્ટિએ નહિ, પણ સમાજકાર્યની દૃષ્ટિએ જ એ વિચાર કરતા હતા. કોઈ તબીબ આવે, તો એ ખાલી હેલ્થનો જ વિચાર કરે. તેના પરિણામે સામાજિક સંસ્થાનો દાયરો નાનો થતો ગયો. જેમ માધ્યમોમાં અતિસરળીકરણની વાત કરી, એવું જ અતિસરળીકરણ અહીં થયું. વ્યક્તિગત માન્યતા પ્રમાણે કહું તો ભરયુવાનીમાં આ બધી પ્રવૃત્તિઓ ધર્મ લાગે છે. પછી એ બધાનો ધર્મ નથી એવું લાગતાં એને સ્વધર્મ માનતા થઈએ છીએ. પછી પણ જાતજાતના અનુભવો થાય અને તેની મર્યાદાઓ નજીકથી જોવા મળે, ત્યારે થાય છે કે હવે આ આપદ્દધર્મ છે. પચીસ વર્ષથી હું સમાજકારણમાં છું અને ધર્મથી શરૂ કરીને આપદ્દધર્મ સુધી આવી ગયો છું. હવે તેમાં એટલું જ જોવાનું હોય છે કે મોટી કટોકટી ઊભી થઈ છે. તેમાં આપણાથી જે થઈ શકે એ કરવાનું.

Thursday, August 03, 2023

રસ્તો નથી સસ્તો

રસ્તે પડેલી વસ્તુની કિંમત નથી હોતી અથવા નકામી વસ્તુને રસ્તે પડેલી તરીકે ઓળખવામાં આવે છે. પણ રસ્તો પોતે રસ્તામાં નથી પડ્યો. તે કિમતી ચીજ છે. રસ્તા બનાવવાની કામગીરી કેટલા બધા લોકો માટે સમૃદ્ધિ સુધી પહોંચવાનો રસ્તો બની હશે, તે ઠેકઠેકાણે અને છાશવારે થતી રસ્તાની અવદશાથી કલ્પી શકાય. ફિલસૂફો અને ચિંતકોએ રસ્તાનો બહુ મહીમા કર્યો છે. (ખરું મહત્ત્વ મંઝિલનું નહીં, પણ ત્યાં સુધી પહોંચવાના રસ્તાનું છે. વગેરે) છતાં, રસ્તાની વાસ્તવિક-વ્યાવહારિક કિંમત કરવાની બાબતમાં ચિંતકો અને ફિલસૂફો કરતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ઘણા આગળ નીકળી ગયા છે. 

રસ્તા એ વિકાસની નિશાની છે. ભાંગેલાતૂટેલા રસ્તા તો વિશેષ. કેમ કે, સમજુ નાગરિકો એવા રસ્તા જોઈને કલ્પી શકે છે કે રસ્તા બનાવવાના અને તેનું સમારકામ કરવાના કામમાં સંકળાયેલા લોકોનો કેટલો બધો વિકાસ થઈ ગયો હશે. છેવટે, વ્યક્તિનો અને પરિવારોનો વિકાસ એ જ દેશનો વિકાસ નથી? રસ્તા માળખાકીય સુવિધામાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે, એવું અર્થશાસ્ત્રમાં આવે છે, પણ રસ્તાનું વાસ્તવિક અર્થશાસ્ત્ર વધારે મહત્ત્વનું છે અને બીજી ઘણીખરી મહત્ત્વની બાબતોની જેમ તે પણ અભ્યાસક્રમમાં આવતું નથી.

જૂની કહેવત હતી કે હાથી જીવતો લાખનો અને મરેલો સવા લાખનો. એવી જ રીતે કહી શકાય કે રસ્તો નવો લાખોનો અને તૂટેલો લાખ્ખોનો. ફિલસૂફો કહે છે કે જન્મ એ મૃત્યુનું સૌથી મોટું કારણ છે, પણ ફિલસૂફી એ અવતરણ તરીકે ટાંકવાની ચીજ બની ચૂકી હોવાથી, તેની પર તાળીઓ ઉઘરાવવા-પાડવાથી વિશેષ ધ્યાન લોકો આપતા નથી. બાકી, તેમના મનમાં રસ્તા વારંવાર તૂટી કેમ જાય છે?’ એવો સંકુચિત સવાલ થતો ન હોત. તે સમજતા હોત કે રસ્તા છે એટલે તૂટે છે. સરકારશ્રીએ રસ્તા બનાવ્યા ન હોત તો તે તૂટત પણ નહીં. તેને બદલે ગાળો ખાવાનું-અપજશ વહોરવાનું જોખમ ખેડીને પણ વહીવટી તંત્રે રસ્તા બનાવ્યા છે, તો આ સાહસિક અને હિંમતભર્યા પગલા બદલ તેનાં ઓવારણાં લેવાં જોઈએ કે તેમના માથે માછલાં ધોવાં જોઈએ? વહીવટી તંત્ર એટલું સંવેદનશીલ છે કે ચોમાસામાં પાકા રસ્તા પર ઠેર ઠેર નાનાં તળાવની સાઇઝનાં ખાબોચિયાં ભરાઈ શકે તેવી પણ વ્યવસ્થા રાખે છે, જેથી ત્યાં માછલાં આવી શકે અને તંત્રના માથે ધોવા માટેનાં માછલાં લેવા પણ બહાર લેવા જવું ન પડે.

પહેલાં વરસાદ ફક્ત ચોમાસામાં પડતો હતો. હવે ગ્લોબલ વોર્મિંગના પ્રતાપે તે ગમે ત્યારે પડે છે. એવી જ રીતે, પહેલાં રસ્તા ફક્ત ચોમાસામાં તૂટતા હતા. હવે તે વર્ષમાં ગમે ત્યારે તૂટતા હોય છે. તેના માટે ગ્લોબલ વોર્મિંગને જવાબદાર ઠેરવવા જેટલી વૈજ્ઞાનિક સમજ પ્રજામાં હજુ કેળવાઈ નથી—નવી શિક્ષણનીતિમાં તે કેળવાઈ જશે એવી આશા રાખી શકાય—પરંતુ લોકનિંદાથી ડગ્યા વિના વહીવટી તંત્રના કેટલાક અફસરો અને કોન્ટ્રાક્ટરો તેમના કર્તવ્યના રસ્તેથી વિમુખ થતા નથી અને સહેજમાં તૂટી જાય એવા રસ્તા બનાવવાનું નિષ્ઠાપૂર્વક ચાલુ રાખે છે.

ડામરના પાકા રસ્તાની બોલબાલા પછી નવા સંશોધન તરીકે આરસીસીના રસ્તા બનવાના શરૂ થયા, ત્યારે રસ્તાને અમરફળ મળી ગયું હોય એવો આનંદ અબુધ પ્રજામાં ફેલાયો હતો. આરસીસીના રસ્તાની લાંબી આવરદા અને મજબૂતી વિશે દંતકથાઓ ચાલી હતી. પરંતુ આટલાં વર્ષોમાં તેમને સમજાયું છે કે અધિકારીઓ-કોન્ટ્રાક્ટરોના સંબંધો આરસીસી કરતાં પણ વધારે મજબૂત હોય છે. તેના કારણે આરસીસીના ઘણા રસ્તા ડામરના રસ્તા જેટલા જ કે તેથી પણ વધારે બેહાલ જોવા મળે છે. તે જોઈને અહેસાસ થાય છે કે ડામર-આરસીસી એ તો બધી માયા છે. અસલી ચીજ અધિકારી-કોન્ટ્રાક્ટર વચ્ચેનો સંબંધ છે. ખોળીયાં બદલાયા કરે, પણ આત્મા મરતો નથી. એવી રીતે, આ સંબંધ પણ ખોળીયાં બદલીને નીતનવા સ્વરૂપે સતત પુનરાવતાર પામતો રહે છે.

રસ્તા કેવા હોવા જોઈએ? લોકોને નવા, સુંવાળા, અડચણ વગરના રસ્તા જોઈએ છે, જેની પરથી પસાર થતી વખતે વાહન પાણીના રેલાની જેમ સરકતું રહે. તેમને એ ખ્યાલ નથી કે એવા રસ્તા કોઈ વ્યસનની જેમ, કામચલાઉ આનંદ અને લાંબા ગાળે જીવનું જોખમ ઊભું કરનારા નીવડી શકે છે. ચાલક સહેજ ગાફેલ રહે તો, રસ્તા તરફથી કોઈ સંઘર્ષ ન હોવાને કારણે, ચાલકને ઝોકું આવી શકે છે. એટલા સુંવાળા-સમથળ રસ્તાને મોતના કૂવા ન ગણવા જોઈએ? સારા રસ્તા નાગરિકોની સલામતીની દૃષ્ટિએ જોખમી છે એવું સંશોધન હજુ સુધી સરકારે કોઈ સંસ્થા પાસે કે આઇટી સેલ પાસે કરાવ્યું નથી, તે નવાઈની વાત છે. બાકી, સરકારનું આવું સંશોધન માનીને હોંશેહોંશે તેને ફોરવર્ડ કરનારા પૂરતા પ્રમાણમાં મળી રહેશે.  

લોકશાહીની દૃષ્ટિએ વિચાર કરીએ તો પણ, સ્વસ્થ-તંદુરસ્ત લોકશાહી માટે નાગરિકોને જગાડવાનું-જાગતા રાખવાનું જરૂરી છે. તે સ્વીકારીએ તો સમથળ-ખાડામુક્ત રસ્તા બનાવવા એ નાગરિકોની જાગૃતિ સામેનું અને સરવાળે લોકશાહીવિરોધી ષડયંત્ર ન ગણાય? અને વડાપ્રધાન કહે છે કે ભારત લોકશાહીની જનની છે. જનનીના ઘરમાં એટલે કે પિયરમાં લોકશાહી એટલી સુરક્ષિત છે કે વડાપ્રધાનને નવ-નવ વર્ષના શાસનકાળમાં એક પણ પ્રેસ કોન્ફરન્સ ન કરી હોવા છતાં અને દરોડા પાડતી સંસ્થાઓનો બેફામ દુરુપયોગ કર્યો હોવા છતાં લોકશાહીને ઘસરકો સુદ્ધાં પડ્યો નથી. આટલી મજબૂત લોકશાહી સામે સુંવાળા રસ્તા જેવી મામુલી બાબત થકી ખતરો ઊભો ન થાય, તે જોવાની કોન્ટ્રાક્ટરો-અફસરોની પણ ફરજ ખરી કે નહીં? 

Thursday, July 27, 2023

ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને જાહેરમાં ફટકારવા વિશે

  • પોલીસ જાહેરમાં લોકોને ફટકારે તેમાં ઘણાબધા લોકોને બહુ આનંદ આવે છે અને ન્યાય થયો હોય એવું લાગે છે. ગુનેગારોને સીધા કરવાની એ જ સાચી રીત છે, એવું તેમને લાગે છે. 
  • અત્યારે ટ્રાફિકના ગુનાની વાત કરીએ તો, મોટા અકસ્માત પછી એક-બે વિડીયો એવી જોવા મળી, જેમાં ટ્રાફિકનો ગુનો કરનારને એક પોલીસ પકડે અને બીજા પાછળથી ફટકારે. કેટલી લાકડીઓ? પોલીસને મન થાય ને ધરવ થાય એટલી. 
  • લાકડી ફટકારતી વખતે પોલીસ કોનો કોનો કે શાનો શાનો ગુસ્સો ઉતારે છે એની તો આપણે કલ્પના કરવાની રહી, પણ સીધીસાદી સભ્યતાના એક પણ ધોરણે એ સજા વાજબી ઠેરવી શકાય તેમ નથી. ગુનેગાર સાથે ગુનેગાર બનીને કામ પાડવામાં ન્યાય નથી થતો. બરાબરી થાય છે. 
  • ટ્રાફિકના ગંભીરમાં ગંભીર ગુના માટે કાયદાની કલમો હશે અને ન હોય તો તે કલમો બનાવવા માટે રજૂઆતો-આંદોલન કરવું, એ તેનો ઉપાય છે. આ રીતે કોઈને પણ મારવાની પોલીસને સત્તા નથી. તેમ છતાં, પોલીસ એ સત્તા ભોગવે અને તેને લોકોના મોટા સમુદાયનું સમર્થન મળે, એ બંને બાબતો બહુ ખતરનાક છે. 
  • નૈતિકતા કે પ્રમાણભાનની વાત ઘડીભર બાજુએ રાખીએ તો પણ, જાહેરમાં ફટકારવાના પ્રસંગોથી રાજી થતા અને પોરસાતા લોકોને એ ખ્યાલ હોય છે કે કોઈ પણ રેશનલ--તર્ક કે પ્રમાણભાન--વગરના, આવા 'ઇન્સ્ટન્ટ ન્યાય' એટલે કે પોલીસની ધોકાવાળીમાં તેમનો નંબર પણ ગમે ત્યારે લાગી શકે છે? 
  • જેમની પાસે જેની સત્તા નથી, તે એ સત્તા હાથમાં લઈ લે ત્યારે નાગરિક તરીકે આપણે ચેતવાનું હોય અને વિરોધ કરવાનો હોય. કારણ કે, સત્તાના દુરુપયોગની બંદૂક હંમેશાં આપણને ન ગમતા માણસ સામે જ તકાય એવું બિલકુલ જરૂરી નથી હોતું. અને એક વાર સત્તાના દુરુપયોગને વધાવી લીધા પછી, આપણે પણ તેના સાગરીત બનીએ છીએ. 
  • ગુનેગારોને કડક સજા થાય તે માટે 1) કાયદાની જોગવાઈ 2) કાયદા પ્રમાણે ચાલવાની પોલીસની વર્તણૂંક 3) તેના માટે પોલીસ ઉપરીઓની પ્રોફેશનલ (દબંગછાપ નહીં) વર્તણૂંક 4) પોલીસ દ્વારા અસરકારક રીતે થતી કેસની નોંધણી અને સંબંધિત કાચું કામ, જેના આધારે અદાલતમાં પહોંચ્યા પછી કેસ લૂલો ન પડી જાય અને 5) અદાલતમાં આ પ્રકારના કેસની ઝડપી સુનાવણી અથવા આ પ્રકારના કેસ માટેની બીજી અદાલતો-- આટલું જરૂરી છે. 
  • આ પ્રક્રિયા છે, જેના પહેલા પગથિયાની દિશામાં સફર શરૂ થવી જોઈએ. મીડિયાએ હઈસો હઈસો ને ગુનેગારોને અવનવાં લેબલ આપવાને બદલે લાંબા ગાળાના ઉકેલની દિશામાં લોકમત ઘડવો, દોરવો જોઈએ. અને એવું ન કરે તો પણ લોકોને ઉશ્કેરણીના રવાડે ચડાવવા જોઈએ નહીં. 
  • ડંડાવાળી કરવાથી કે ટ્રાફિક ઝુંબેશો કે સ્પેશ્યલ ડ્રાઇવ કરવાથી સનસનાટીપ્રેમી -લોકલાગણી ઉશ્કેરનારાં મીડિયાને ધરવી શકાશે, પણ આપણી નાગરિકોની સમસ્યાનો કશો ઉકેલ નહીં આવે.

Monday, July 24, 2023

છત્રીસલક્ષણી છત્રી

 સામાન્ય લોકોને મન છત્રી એટલે વરસાદથી પલળતાં બચાવતું સાધન. વધારે તૈયાર લોકો છત્રીના સ્વરક્ષણ કમ, આક્રમણ જ્યાદાવાળા ઉપયોગ પણ (કરી) જાણતા હશે. પરંતુ છત્રીના સમાજશાસ્ત્રીય મહત્ત્વ વિશે કેટલા લોકો જાણતા હશે? બીજાને તો ઠીક, સમાજશાસ્ત્રીઓને પણ ભારતીય કુટુંબવ્યવસ્થા સાથે છત્રીના સંબંધ વિશે પૂછવામાં આવે તો માથું ખંજવાળી શકે છે.

જૂના સમયની છત્રીઓનો ઘેરાવો યાદ કરો. તે સમયની લગભગ દરેક ચીજની જેમ, છત્રી પણ મોટી હતી. એટલી મોટી કે શિરછત્ર જેવી લાગે. રાજાઓના માથે રહેલું શિરછત્ર સોનાનું ને મોંઘું હોય, જ્યારે સામાન્ય માણસના શિર પર ધારણ કરાતું છત્રી-છત્ર કાળું અને સીધુંસાદું હોય. પણ બંનેથી મળતા રક્ષણમાં કોઈ ફરક નહીં. ઘણાં ઘરમાં દાદાજીની લાકડીમાંથી બનેલી છત્રીઓ પણ જોવા મળતી. એવી છત્રી ખુલે ત્યારે માથે કુટુંબના વડાનું છત્ર હોય એવો સલામતીભર્યો અહેસાસ થતો હતો.

સમાજશાસ્ત્રની રીતે વિચારતાં કહી શકાય કે તે છત્રીઓ સંયુક્ત પરિવારનું પ્રતિક હતી. પરિવાર મોટો. છત્રીઓ પણ મોટી. નાનાં બાળકોને એવી છત્રીઓ ઝટ ખોલ-વાસ કરતાં ફાવે નહીં. ચપટી ભરાવાની બીક લાગે. તે ખોલવા માટે પણ જોર લગાડવું પડે. વડીલો બાળકોને સલામત રીતે છત્રી ખોલતા શીખવાડીને આગામી પેઢીનો જીવનપથ પ્રશસ્ત કરે. બાળકને મોટી છત્રી બરાબર ખોલતાં-બંધ કરતાં આવડી જાય, ત્યારે તે મોટું થયું ગણાય અને વડીલને સંતાન પ્રત્યેનું એક કર્તવ્ય અદા કર્યાનો સંતોષ થાય.

દેશમાં કુટુંબના વિસ્તારની સાથે છત્રીઓનો વિસ્તાર સંકોચાતો ગયો કે પછી, છત્રીઓના વિસ્તારની સાથે કુટુંબોનો વિસ્તાર સંકોચાતો ગયો, તે ચર્ચાસ્પદ મુદ્દો છે, પણ બંનેના વિસ્તાર સંકોચાયા એ હકીકત છે. પ્રેમગલી અતિ સાંકરી, તામેં દો ના સમાયે એવું કબીરજીનું વચન જુદી રીતે નવી છત્રીઓને બરાબર લાગુ પડ્યું. તે છત્રીઓ એટલી સાંકડી હતી કે તેમાં બે તો ઠીક, એક જણ માંડ સમાઈ શકે. વિભક્ત પરિવારોમાં માણસો ઇન, મીન ને તીન હોવા છતાં, તે પણ પોતાની સ્પેસ માટે ફાંફાં મારતાં હોય છે. એવી જ રીતે, નવા જમાનાની છત્રી ધારણ કરનાર એકલો હોવા છતાં, તે છત્રી નીચે વરસાદથી બચવા માટે સંઘર્ષ કરતો જોઈ શકાય છે.

નવી છત્રીઓ ગાંધીજીએ ચીંધેલાં સુધારાનાં—એટલે કે કુધારાનાં—લક્ષણોવાળી નીકળી. ચાંપ દબાવો એટલે ભફ્ફ અવાજ સાથે ઓચિંતી ખુલી જાય. ખોલનાર સાવધ ન હોય તો આજુબાજુના કોઈને તે વગાડી બેસે. જેમ ઝડપ એ સુધારાનું લક્ષણ છે તેમ, બીજાના હિત કરતાં પોતાની સુવિધાને પ્રાધાન્ય આપવું એ પણ સુધારાની ખાસિયત છે. તેમાં પોતાની સુવિધા વધારવા માટે બીજાના હિતનો ભોગ લેવાનો પણ છોછ હોતો નથી. બલ્કે, તેને અનિવાર્ય અનિષ્ટ અથવા આવડત ગણવામાં આવે છે.

જૂની છત્રીઓ વર્ષો સુધી અને કેટલાક કિસ્સામાં પેઢી દર પેઢી ચાલતી હતી. છત્રી કરતાં છત્રી વાપરનારની જીવનલીલા વહેલી સંકેલાઈ જાય એવું ઘણી વાર બન્યું હશે. એકની એક છત્રીને થીંગડું મરાવીને વાપરનારા લોકો પણ હતા. તે છત્રી વરસાદ સિવાયની ઋતુઓમાં ટેકણલાકડીથી માંડીને પોશાકના અભિન્ન અંગ તરીકે ખપમાં લેવાતી હતી. તારક મહેતાએ સર્જેલું કાંડે છત્રી ઝુલાવતા તેમના જમાનાના પત્રકાર પોપટલાલનું પાત્ર એ હકીકતનો પુરાવો છે. ઘરની બહાર બંધ છત્રી ઊભી ટેકવેલી હોય તે વડીલની હાજરીની નિશાની ગણાતી હતી અને બાળવર્ગમાં તે છત્રીનાં દર્શનમાત્રથી અનુશાસન પર્વ વ્યાપી જતું હતું.

હવે વડીલની છત્રી અને વડીલની ધાક બંને ઘણી હદે, શહેરોમાં તો ખાસ, લુપ્ત થયાં છે. નવી છત્રીઓના વરસાદમાં જૂની છત્રી જાણે તણાઈ ગઈ. ટકાઉપણાને પરિવર્તનવિરોધી અને જૂનવાણી ગણતા યુગમાં જૂની છત્રીઓનું ઉઠમણું ન થાય તો જ નવાઈ. તેમની સરખામણીમાં સ્વિચવાળી છત્રીનું તકલાદીપણું તેની કમનીયતામાં અને સુવિધામાં ખપવા લાગ્યું. ત્યાર પછી છત્રી બગડે તે આપત્તિ નહીં, પણ અવસર ગણાવા લાગ્યો. નાની બચત પછીના, રીફીલ પૂરી થાય ત્યારે આખેઆખી પેન જ ખરીદવી પડે એ યુગમાં જન્મેલા લોકો કહે છે, સારું થયું, હવે નવી છત્રી આવશે. બે વર્ષથી એકનું એક છત્રું વાપરીને કંટાળો આવ્યો હતો.

સ્વિચવાળી છત્રીઓ થોડો વખત વપરાયા પછી સરળતાથી બંધ થવાનો ઇન્કાર કરે, તેના એકાદબે સળીયા આઘાપાછા થઈ જાય, સ્વિચ બગડી જાય અને એવું કશું ન થાય તો એકાદ તોફાની વરસાદમાં છત્રી કાગડો થઈ જાય--જેમ લોકશાહીના રક્ષણ માટે રહેલી ઘણીખરી બંધારણીય સંસ્થાઓની છત્રી અત્યારે કાગડો થઈ ચૂકી છે. પરંતુ બધા પાસે એ પ્રકારની છત્રી હોવાને કારણે અને બધાની છત્રીઓ કાગડો થઈ હોવાને કારણે, કોણ કોને શરમાવે? ત્યાર પછી છત્રીની કાગડો અવસ્થાને ન્યૂ નોર્મલ જાહેર કરવાનું જ બાકી રહે છે.

દાદાજીના જમાનામાં છત્રીઓ સામે કટોકટી આવતી હતી. તોફાની હવામાં ક્યારેક તે છત્રી છત્રીધારકને પોતાની સાથે તાણી જતી હતી. પણ તે કાયમ માટે નકામી થઈ જાય એવી કાગડાવસ્થાને પામતી ન હતી. તેનું સમારકામ કરી શકાતું હતું અને બીજા ચોમાસે તે એવું રક્ષણ આપતી હતી, જાણે અગાઉ કશું થયું જ ન હોય. હવે કાગડો થઈ ગયેલી છત્રીઓ અને સંસ્થાઓ માટે એવી આશા રાખવી કે એવો આશાવાદ સેવવો અઘરો છે. કાશ, કાગડો થયેલી છત્રી જેટલી સહેલાઈથી કાગડો થયેલી સંસ્થાઓ સમારી-સુધારી શકાતી હોત.

Sunday, July 23, 2023

અમદાવાદના અકસ્માત વિશે થોડા પ્રાથમિક-પાયાના વિચાર

 1. ઘણા ગુનામાં કોઈ એક ગુનેગાર નહીં, ઘણા બધા ગુનેગાર હોય છે. આ કિસ્સામાં સૌથી મોટો ગુનેગાર બેદરકાર ડ્રાઇવિંગથી 11 જણને કચડી નાખનાર તથ્ય પટેલ છે. તેનો અર્થ એવો નથી કે બાકીની એજન્સીઓ (ટ્રાફિક પોલીસ, રસ્તાનું ધ્યાન રાખતું કોર્પોરેશન વગેરે) નિર્દોષ ઠરે છે. 

2. એવી જ રીતે, ફ્લાય ઓવર પર અંધારું હતું, ફ્લાયઓવર પર ચડતાં દૃષ્ટિ અવરોધાઈ જાય છે, ટોળું ત્યાં શું કરતું હતું, ટ્રાફિક પોલીસે બેરીકેડ કેમ ન લગાડી--આ બધા મુદ્દા સાચા હોવાને કારણે, તથ્ય પટેલનો ગુનો જરાય ઓછો થતો નથી. એટલે, એ મુદ્દા તથ્ય પટેલના બચાવમાં વાપરી શકાય નહીં. 

3. બુલડોઝરની કાર્યવાહી ક્યાંય પણ થાય, તે ગુફાયુગની પ્રથા છે. બુલડોઝર ચલાવી દેવું એ ટોળાંનો બદલો હોઈ શકે, ન્યાય નહીં. સરકાર જેવી સરકાર ટોળાંશાહીની રીતે, ટોળાંની લાગણી સંતોષવા હિંસા આચરતી થઈ જાય, ત્યારે કોઈ સલામત નથી રહેતું --અને એ અત્યારે આપણે જોઈ જ રહ્યાં છીએ. 

4. ગુનેગારને ફાંસી થવી જોઈએ--એવું બૂમરાણ મચાવવાથી કીક આવે છે અને સરકારને તેના મનગમતા--કાયદો હાથમાં લેવાના--રસ્તે આગળ વધવા પ્રોત્સાહન આપી શકાય છે. પણ મૂળ મુદ્દો એ છે કે કાયદામાં આ પ્રકારની સજાની જોગવાઈ છે ખરી? 

5. એક પણ નિર્દોષનો જીવ જાય, તો તેનો જીવ લેનારને કે જીવ લેવામાં પોતાની બેદરકારીથી કારણભૂત બનનારને તેની આકરી કિંમત ચૂકવવી પડે--એ ન્યાય છે. સૌથી પહેલાં એની ચર્ચા થવી જોઈએ કે તથ્ય પટેલ પ્રકારના કિસ્સામાં કાયદાની શી જોગવાઈ છે? અને તેમાં કશા ફેરફારની જરૂર છે? દરેક કેસ વખતે આરંભિક હોબાળા પછી, ગુનેગાર રૂપિયાના જોરે છૂટી જાય (કે ન પણ છૂટે) તેના કરતાં,  કાયમી ધોરણે કાયદામાં ફેરફાર થાય અને આ પ્રકારના ગુનાની સજા ગંભીર બને તે વધારે જરૂરી છે. 

6. તથ્ય પટેલે કે તેના પિતાએ કે તેના વકીલે અગાઉ શું કરેલું, એની કથાઓ રસિક હોઈ શકે છે, પણ તે મીડિયા ટ્રાયલ માટે કામની છે-અસલી ન્યાય માટે નહીં. અત્યારે તથ્ય પટેલને શક્ય એટલી મહત્તમ સજા થાય અને રૂપિયાના આધારે બધું મેનેજ થઈ જાય છે--એવો મેસેજ ન જાય, તે સૌથી મહત્ત્વનું છે. 

7. તથ્ય પટેલને સજા થઈ જાય એટલા માત્રથી પણ ન્યાય થઈ જતો નથી. તથ્ય પટેલને સજા થાય અને મૃતક પરિવારોને તથ્ય પટેલની કૌટુંબિક સંપત્તિમાંથી દાખલો બેસે એટલી મોટી રકમ વળતર સ્વરૂપે આપવાનો હુકમ થાય, તે પણ જરૂરી છે. 

8. અમીર હોવું એ તથ્ય પટેલનો ગુનો નથી, પણ આ ગુનામાં તેની અમીરી તેની તાકાત ન બની જાય, તેનું ધ્યાન રાખવું એટલું જ મહત્ત્વનું છે. 

9. આખી ઘટનાને કરુણ સિરીયલ કે એશોઆરામમાં જીવતા નબીરાનાં કરતૂતની વેબ સિરીઝ તરીકે રજૂ કરવાથી બચવા જેવું છે. કારણ કે, એમ કરવા જતાં ગુનેગારને સજા-પીડિતને ન્યાયનો મુખ્ય મુદ્દો કેન્દ્રમાંથી ખસી જાય છે અને મનોરંજન-સનસનાટી-રોમાંચ મુખ્ય બની જાય છે.

Wednesday, July 05, 2023

રેઇન કોટમાં વરસાદ

 શહેરી લોકોનું ચાલે તો તે કુદરત સમક્ષ એવી માગણી મુકે કે વરસાદ ફક્ત ખેતરો, જળાશયો અને નદીઓ ઉપર જ પડવો જોઈએ, પણ વરસાદ કે કુદરત એટલું સમજતાં નથી. એટલે ‘વહુને અને વરસાદને જશ નહીં’—એવી કહેવતો ચલણમાં આવી. 

‘ચોમાસું શાની ઋતુ છે?’ એવો સવાલ આમ હાસ્યાસ્પદ લાગે, પણ તેનો જવાબ સીધોસાદો નથી. ખેડૂતો માટે વરસાદ ખેતીની ઋતુ ખરી, પણ કવિઓ કે સંભાવિત કવિઓ માટે તે કવિતાના વરસાદની મોસમ છે. ખાણીપીણીના પ્રેમીઓ માટે તે ભજિયાંની સીઝન છે. ઘણા લોકોના મનમાં ભજિયાં-વરસાદનો સંબંધ એટલો ગાઢ હોય છે કે કોઈ વરસાદી ગીત સાંભળીને પણ તેમને ભજિયાં ખાવાનું મન થઈ જાય. પરંતુ આ બધી લીલાઓ ઘરની કે ઓફિસની છત નીચે બેઠેલા લોકોની. બાકીના મોટા ભાગના લોકો માટે વરસાદ એટલે કપડાં બચાવતાં બચાવતાં, ‘લાગા ચુનરીમેં દાગ છુપાઉં કૈસે’ ગાવું ન પડે એ રીતે, સહીસલામત ઓફિસે પહોંચવાની કસોટી. 

દર વર્ષે લાખો રૂપિયા ખાઈ જતા રસ્તા વરસાદની ચેલેન્જને પાંચ-દસ ગણી વધારી મુકે છે. એવા રસ્તા પર પલળ્યા વિના ચાલવા-ચલાવવાનું કામ કોઈ સાહસપૂર્ણ રીઆલીટી શો જેવું બની રહે છે. છત્રીઓ હોય છે, પણ મસમોટા પડકારો સામે બાથ ભીડવાની હોય ત્યારે એક હાથ છત્રી રોકી લે તે કેમ પોસાય? એટલે માણસે પોતાની જાત રેઇન કોટને હવાલે કરવી પડે છે. 

પહેલી વાર રેઇન કોટ અને એ પણ શર્ટ-પેન્ટ પ્રકારના ટુ પીસ રેઇન કોટ જોઈને માણસને થાય છે કે ‘બસ, હવે તો વરસાદ છે ને હું છું.’ રેઇન કોટ તેને વરસાદનો સામનો કરવા માટે ઉપરવાળાએ મોકલેલું દિવ્ય વસ્ત્ર હોય એવું ભાસે છે. તેને પહેર્યા પછી ગમે તેવા વરસાદમાં બહાર નીકળી શકાશે અને કોરાકટાક રહી શકાશે એવી આત્મશ્રદ્ધા તેનામાં પ્રગટે છે. જાડા રબર જેવા રેઇન કોટની સપાટી પર હાથ ફેરવીને તે મનોમન પોરસાય છે, ‘જોયું? વરસાદ તો શું? તેજાબ પણ અંદર જઈ ન શકે એવો મજબૂત રેઇન કોટ છે.’ રેઇન કોટ પાતળો હોય તો તેને થાય છે, ‘પાતળું પ્લાસ્ટિક છે, પણ છે કેવું મજબૂત? વરસાદ ઉપરથી જ લપસી જશે.’ 

પરંતુ રેઇન કોટનાં પહેલાં દર્શનથી થયેલીર હાત સરકારના મોન્સૂન પ્લાન જેવાં નીવડે છે. શરૂઆતમાં બે-ચાર નાનાં ઝાપટાં પડે ત્યાં સુધી રેઇન કોટની અસરકારકતાની માન્યતા ટકી રહે છે. અખંડ રહે છે. તે દૃષ્ટિએ રેઇન કોટ મોન્સૂન પ્લાન કરતા વધારે મજબૂત કહેવાય. કેમ કે, ચોમાસા પહેલાં નક્કર લાગતો મોન્સૂન પ્લાન મોટે ભાગે આરંભિક દોઢ-બે ઇંચ વરસાદમાં જ પ્રવાહી બનીને વહી જાય છે. 

વરસાદમાં રેઇન કોટ પહેરીને બહાર નીકળતાં સૃષ્ટિ જુદી લાગે છે. હેવ્સ અને હેવ નોટ્સ (ખાટી ગયેલા ને રહી ગયેલા) વચ્ચેનો તફાવત સ્પષ્ટ થઈ જાય છે અને પોતે ‘હેવ્સ’ના જૂથમાં હોવાનો ગૌરવવંતો અહેસાસ થાય છે. પરંતુ ચોમાસું આગળ વધે તેમ સામાજિક ભેદરેખા ભૂંસાતી જાય છે અને રેઇન કોટધારીઓને સમજાય છે કે એમ ફક્ત રેઇન કોટના જોરે ‘હેવ નોટ્સ’માંથી ‘હેવ્સ’માં ન આવી જવાય. ભરવરસાદમાં દ્વિચક્રી ચલાવતી વખતે કે ટૂંકા અંતર સુધી ચાલતી વખતે, રેઇન કોટ પહેર્યો હોવા છતાં એકાએક શીતળ અહેસાસ થાય છે. પહેલાં તો એવું માનવાનું મન થાય છે કે રેઇન કોટ પહેરવાને કારણે મનમાં જે ઠંડક થઈ તે બહાર રેલાતી હોય છે. પછી ખ્યાલ આવે છે કે ઠંડકની સાથોસાથ ભીનાશ પણ સામેલ છે અને તે પાણીની છે. એ સાથે સવાલ થાય છેઃ રેઇન  કોટ પહેર્યો હોય તો તેની અંદર પાણી શી રીતે ઘુસી શકે? એ લાગણી ‘હમારી જેલમેં સુરંગ?’ જેવી હોય છે. પછી તરત વિચાર આવે છેઃ રેઇન કોટ તો બરાબર જ હોય. નક્કી તે પહેરવામાં ક્યાંક ગરબડ થઈ હશે અને ત્યાંથી પાણી અંદર જતું હશે. 

થોડી વાર પછી પાણીની બીજી ધારાનો અહેસાસ થાય છે અને જોતજોતાંમાં લાગે છે કે રેઇન કોટ ફક્ત બહારથી જ નહીં, અંદરથી પણ ભીનો થવા લાગ્યો છે અને તેની સાથે કપડાં ભીંજાવા લાગ્યાં છે. એટલે, ‘મારી સાથે આવું શી રીતે થઈ શકે?’ એ વિચારે પહેલાં તો માણસને રોષ ચડે છે. પછી રોષનો મુદ્દો બદલાય છેઃ ‘નક્કી રેઇન કોટની દુકાનવાળાએ મારી સાથે છેતરપીંડી કરીને મને હલકો માલ પધરાવ્યો લાગે છે. બાકી, રેઇન કોટ પહેર્યા પછી પણ ભીંજાવાનું હોય તો તે પહેરવાનો અર્થ શો રહ્યો?’ તેને ગુસ્સો અપાવનારી ત્રીજી બાબત એ છે કે રેઇન કોટમાં અંદર પાણી ગયું તેમાં મ્યુનિસિપાલિટીનો વાંક કાઢી શકાતો નથી ને તેની પર ગુસ્સે થઈ શકાતું નથી. 

પહેલી વાર રેઇન કોટમાં પલળ્યા પછી તે જ્ઞાનની શોધમાં બીજા અનુભવી રેઇન કોટધારીઓને મળે છે. ત્યારે તેને સમજાય છે કે રેઇન કોટથી ન પલળાય એવી કોઈ ગેરન્ટી હોતી નથી. રેઇન કોટ પહેરવાથી ફક્ત એટલું જ સૂચિત થાય છે કે તે પહેરનાર સ્વેચ્છાએ પલળવા ઇચ્છતો ન હતો ને તેણે કોરા રહેવાના યથાશક્તિ પ્રયત્ન કર્યા. છતાં તે પલળ્યો એ તેની (ઓફિસમાં) ગેરશિસ્ત કે (ઘરમાં) બેદરકારી નથી. છતે રેઇન કોટે તેનું પલળવું એ કુદરતનો સંદેશો છે કે વરસાદ સત્ય છે ને રેઇન કોટ મિથ્યા.

Thursday, May 18, 2023

ગરમી ખાળવાના ઉપાય

કેટલાક લોકો પાસે દરેક સમસ્યાનું સમાધાન હોય છે—પછી ભલે તે સમાધાનમાં બીજી સમસ્યાઓ છુપાયેલી હોય. એવા જ્ઞાનીજનો ક્યારેક મોટિવેશનલ સ્પીકર સ્વરૂપે તો ક્યારેક સ્વઘોષિત ગુરુ તરીકે, ક્યારેક મૂલ્યનિરપેક્ષ પોઝિટિવ થિંકિંગના પડીકા તરીકે તો ક્યારેક વિશુદ્ધ સરકારી અફસર તરીકે  સમાજ પર ખાબકતા રહે છે. ગરમીનો ચઢતો પારો અચ્છાખાસા સ્વસ્થ માણસોને દેવદાસ (હારેલા) બનાવવા લાગે, ત્યારે ગરમી વિશેનું ચિંતન શરૂ થાય છે. ગરમી ચાળીસ ડિગ્રીને વટાવી જાય તો તેનાથી બચવા શું કરવું જોઈએ? એવો સવાલ આગળ જણાવેલી પ્રજાતિને કરવામાં આવે તો કેવા જવાબ મળી શકે? કેટલીક કલ્પનાઃ

આ બધું તો ભાઈ, આપણી પર છે. આપ ભલા તો જગ ભલા. તેમને યાદ કરાવવામાં આવે કે તમારું જેનરિક માર્ગદર્શન નહીં, પણ ચોક્કસ વિષય પરની તમારી સલાહ માગવામાં આવી રહી છે. ત્યારે તે કહી શકે છે, ઓહો, ગરમી. ગરમી વિશે અને ઉનાળાની બપોરના સૌંદર્ય વિશે કાકાસાહેબ કાલેલકરનો એક સરસ નિબંધ છે. એમ તો મેં પણ કાકાસાહેબના પગલે ચાલીને એક નિબંધ લખેલો. બસ, એ હવે પાઠ્યપુસ્તકમાં આવે એની જ રાહ છે. તેમની વાત સાંભળીને એવું જ લાગે, જાણે પાઠ્યપુસ્તકમાં તેમના નિબંધના સમાવેશથી ગ્લોબલ વોર્મિંગની સમસ્યા ઉકલી જશે.

મોટિવેશનલ સ્પીકરોને ઉકેલ પૂછતાં એ કહી શકે છે, એક વાર હું અમેરિકામાં હતો અને અચાનક ગરમી વધી ગઈ. તેમને ખબર હોય છે કે લોકોને વાર્તા બહુ ગમે છે અને વિચારવાનો બહુ કંટાળો છે. એટલે તેમને વાર્તાઓ કહેવી અને એવું ઠસાવવું કે આવી વાર્તાઓથી તમારી વિચારશક્તિ બહુ ખીલશે અથવા ખીલી ચૂકી છે, તમે જ જગતનું શ્રેષ્ઠ ઓડિયન્સ છો અને અમેરિકા પણ મારી સલાહ માગે તો હું આપવા તૈયાર છું. તમને થશે કે આખી વાતમાં ગરમીનો મુકાબલો શી રીતે કરવો એ વાત તો આવી જ નહીં. પણ મોટિવેશનલોનું ઘણુંખરું એવું જ હોય. તેમાં મુદ્દો નહીં, તે મુદ્દાની આસપાસ પોતાને કે પોતાના ધારી લીધેલા શાણપણને કેન્દ્રમાં રાખીને તેમણે બનાવેલી વાર્તા મુખ્ય હોય છે.

છૂટકના ભાવે જથ્થાબંધમાં મોટિવેશન વેચતા બીજા પ્રકારના મોટિવેશનવિક્રેતાઓની પીન એ વાત પર ચોંટી ગઈ હોય છે કે આપણે ધારીએ તો કશું અશક્ય નથી. પાણીપુરીમાંથી પાણી રકાબીમાં ન ઢળે એવી રીતે કેમ ખાવું ત્યાંથી માંડીને ટેસ્લા અને સ્પેસ એક્સ જેવી કંપનીઓ કેમ ચલાવવી, ત્યાં સુધીની વાતો અને ખાસ તો માલેતુજારોનાં કિસ્સાકહાણી હાથવગાં રાખે છે--ન જાણે ક્યારે તેની જરૂર પડી જાય. તેમને ગરમી વિશે પૂછવામાં આવે તો તે કહી શકે છે, લોકોને ધીરુભાઈ અંબાણી થવું છે, પણ ગરમી સહન થતી નથી. એવું શી રીતે ચાલે? અને પછી ધીરુભાઈએ વેઠેલી ગરમીના ધીરુભાઈને પણ ખબર ન હોય એવા કિસ્સા તે કહી શકે છે. ઝકરબર્ગ, મસ્ક, બિલ ગેટ્સ, વોરન બફેટ જેવાં નામ તેમના મોઢેથી એવી રીતે નીકળે છે, જાણે એ બધા એક પાટલી પર બેસીને ભણ્યા હોય અને આ જણ એકલો જ આ મહત્ત્વના કામ માટે પડતર રહી ગયો હોય.

કેટલાક વક્તાઓ રોજ પોતાના વિશે જૂઠો ભ્રમ સેવવાને કારણે જોતજોતાંમાં પોતે જ પોતાની મહાનતાના પ્રેમમાં પડી જાય છે. નાર્સિસસ એકલો અમથો બદનામ થયો. તે આ પ્રજાતિને સાંભળે તો તેને ખ્યાલ આવે કે તેમણે કેટલો વિકાસ સાધ્યો છે. આ જૂથના લોકો સમક્ષ ગરમી વિશે ફરિયાદ કરતાં તે કહી શકે, મને તો કદી ગરમી લાગતી જ નથી. કારણ કે હું કાયમ એસીમાં રહું છું. આટલું સિમ્પલ સોલ્યુશન છે, પણ આપણા લોકોને ખોટી ફરિયાદો કરવાની ખોટી ટેવ પડી ગઈ છે. હાય ગરમી, હાય ગરમી શું કરવાનું? તરબૂચ ખાવ, કેરીનો રસ ખાવ (કે પીઓ), ફાલસાનો જ્યુસ પીઓ, છાશ પીઓ, લસ્સી પીઓ—આટલા બધા તો વિકલ્પ છે. દરેક બાબતમાં ગરીબી-ગરીબીને શું રડવાની? પણ જાતે હાડકાં હલાવવાં ન હોય તેનું શું થઈ શકે? આપણો દેશ આમ જ પાછળ રહી ગયો છે. બાકી, હું જ્યારે ટિમ્બકટુ ગયો ત્યારે ત્યાંના મેયરે સ્વાગતપ્રવચનમાં મારા વિચારોથી અભિભૂત થઈને કહ્યું હતું કે...

થોડા સમય પહેલાં મહારાષ્ટ્રમાં કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમ વખતે ગરમીને કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા હતા. અલબત્ત, એન્કાઉન્ટરમાં મૃત્યુ પામેલાઓમાં જેમનો કશો વાંક નીકળ્યો ન હોય, તેમનો ગરમીમાં થયેલાં મરણ માટે તો શી રીતે વાંક હોઈ શકે? આવા મહાનુભાવોની ભક્તસેના અને ટ્રોલસેના સમક્ષ ભૂલેચૂકે ગરમીના પ્રકોપની વાત કરવામાં આવે તો તે તરત મેદાનમાં આવી જશે, તમને તો બધું વાંકું જ દેખાય છે. અગાઉની સરકારો વખતે તમે ક્યાં ગયા હતા? તમે બધા દંભી સેક્યુલરિયા ડાબેરી રાષ્ટ્રવિરોધી હિંદુવિરોધી (આ બધું એક સાથે જ અને બને ત્યાં સુધી સમજ્યા વિના બોલવાનો રિવાજ છે)... કંઈ ન ચાલ્યું તો છેવટે ગરમીની ફરિયાદ કરીને સરકારને બદનામ કરવા આવી પહોંચ્યા? ખબરદાર હવે ફરી ગરમીના પ્રકોપ વિશે ફરિયાદ કરી છે તો. અમારે ધાર્મિક-સમકક્ષ બની ગયેલી રાજકીય લાગણી દુભાવવા બદલ તમને સીધા કરવા પડશે.

દુભાવાના-દુઃખી થવાના કિસ્સામાં માનવીય લાગણી ગૌણ અને બાકીની લાગણીઓ મુખ્ય બની જાય, ત્યારે પેદા થતું (પ્ર)દૂષણ સમાજના પર્યાવરણ માટે જોખમી બની જાય છે. ઉદાહરણ ટાંકવાની જરૂર લાગે છે?

Tuesday, May 02, 2023

દાંતના દુખાવા પર સર્જિકલ સ્ટ્રાઇક

દાંત કાઢવા ને કઢાવવામાં કેટલો ફેર છે, તે સમજવા ભાષા શીખવાની જરૂર નથી. એક વાર દાંતનો (કે દાઢનો) દુખાવો ઉપડે, એટલે તે સમજાઈ જાય છે. સમાધાનના બધા પ્રયાસ કર્યા પછી યુદ્ધ એ જ કલ્યાણની ભૂમિકાએ પહોંચતા જણની જેમ, દાંતનો દુખાવો નાથવાના નિષ્ફળ પ્રયાસ પછી છેવટે સર્જિકલ સ્ટ્રાઇકનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે. દુખાવગ્રસ્તને ખબર હોય છે કે પીડામુક્તિનો વિકલ્પ પોતે ઓછો પીડાદાયી નથી. છતાં, લાંબા ગાળાની પીડા ટાળવા તે ટૂંકા ગાળાની પીડા વહોરી લેવાનું અને ખાંડણિયામાં માથું મુકવાનું પસંદ કરે છે.

દુખતા દાંતના કિસ્સામાં ખાંડણિયાની ભૂમિકા ખુરશી ભજવે છે, પણ તેના વિશે દુખાવાગ્રસ્તને ધીમે ધીમે જાણ થાય છે. દુખતો દાંત લઈને તે ડોક્ટર પાસે પહોંચે ત્યારે વેઇટિંગ રૂમમાં દાંતની સારવારને લગતી સામગ્રી ચોતરફ દાંતીયાં કરતી હોય એવું લાગે છે. કેટલાંક દવાખાનાંમાં વેઇટિંગ રૂમ અને દંતચિકિત્સાખંડ વચ્ચે અભેદ્ય પડદો કે બારણું હોય છે. તેથી અંદર શું ચાલતું હશે તેની દર્દીએ કલ્પના કરવાની રહે છે. દાંતના દુખાવાને કારણે અને ખાસ તો અંદર ગયા પછી શું થશે, તેની કલ્પનાને કારણે દંતપીડિત પર વેઇટિંગ રૂમના એસીની અસર થતી નથી. કેટલાંક દવાખાનાં પારદર્શકતામાં માને છે. તેમાં બહાર બેઠેલો દર્દી અંદર શું ચાલે છે તે જોઈ શકે છે. તે સમયની દંતપીડિત હવે મારો વારો છે–ની બેચેની અનુભવે છે.

આખરે તેડું આવે છે અને દંતપીડિતને અંદર પ્રવેશ મળે છે. ત્યાંની સૌથી ધ્યાનાકર્ષક ચીજ હોય છે ખુરશી. ખુરશીની ખેંચતાણમાં કોઈ પણ હદે જેવું, એ માણસની સામાન્ય તાસીર હોય છે, પરંતુ ડેન્ટિસ્ટની ખુરશીને તેમાં અપવાદરૂપ ગણવી પડે. તેને જોતાં જ માણસના મનમાં ખુરશી પ્રત્યે વૈરાગ્યભાવ પેદા થાય છે. એવો વિચાર પણ આવે છે કે હોદ્દેદારો માટે ગાદીવાળી રિવોલ્વિંગ ચેરને બદલે ડેન્ટલ ચેર રાખી હોય તો કદાચ હોદ્દા માટે બહુ ખેંચતાણ ન થાય.

ડેન્ટિસ્ટની ખાસ પ્રકારની ખુરશીમાંથી બીજાં બધાં લટકણિયાં કાઢી લેવામાં આવે તો તે એટલી આરામદાયક હોય છે કે તેની પર આરામથી લાંબા થઈને સુઈ શકાય. પરંતુ દર્દી તરીકે ત્યાં બેસવાનું હોય ત્યારે તે બધા આરામ સહિત કાંટાળી લાગે છે. કોઈ માણસને કહેવામાં આવે કે તારા જીવનના ત્રીસ દિવસ બાકી રહ્યા છે અને એટલા દિવસમાં તારે જે મોજ કરવી હોય તે કર, તો મોટા ભાગના લોકોને ભલભલી આનંદદાયક પ્રવૃત્તિ વખતે પણ મનમાં અજંપો રહે. એવું જ આ ખુરશીનું હોય છે. જે સંજોગોમાં તેની પર બેસવાનું થાય છે, તેમાં તેની આરામદાયકતાની નિરાંતને બદલે અમંગળની આશંકા જ મનમાં છવાયેલી રહે છે. સાથે, સ્વસ્થ રહેવાના પ્રયાસરૂપે એવો વિચાર પણ આવી જાય છે કે ચાર્લી ચેપ્લિન આવી ખુરશીને લઈને કેટકેટલી ગમ્મતો કરી શકે?

છબીમાંના ભગવાનની જેમ ડેન્ટિસ્ટની ખુરશી પણ ચાર હાથવાળી હોય એવું લાગે છે. તેની દરેક બાજુએ કોઈ ને કોઈ પ્રકારની સામગ્રી ગોઠવાયેલી હોય છે. એટલે તે કોઈ સાઇ-ફાઇ ફિલ્મના સજ્જ યંત્રમાનવ જેવી પણ લાગી શકે છે. ડોક્ટર ન આવે ત્યાં સુધી એ ખુરશી પર માથું ઢાળીને બેઠેલો જણ ખુરશીનાં આજુબાજુનાં લટકણીયાં જોવા-સમજવાનો પ્રયાસ કરે છે. પણ તેનાથી મન બીજે વળવાને બદલે, ખુરશીના જુદા જુદા હિસ્સા શી રીતે દાંત પરના આક્રમણ માટે ઉપયોગમાં લેવાશે, તેના વિચારે ચડી જાય છે. તેનાથી બેચેની વધતાં તે ખુરશીનો અભ્યાસ માંડવાળ કરીને, શાંતિથી ડોક્ટરની રાહ જોવાનું પસંદ કરે છે.

ડોક્ટર આવતાં પહેલાં તેમના સહાયકો આવીને નિર્જીવ લાગતી ખુરશીમાં પ્રાણપ્રતિષ્ઠાનો આરંભ કરે છે. ખુરશી પર બેઠેલા જણ ઉપર ત્યારે કશું જ થતું ન હોવા છતાં, તેની આસપાસની ગતિવિધિ જે રીતે શરૂ થાય તે જોઈને તેને લાગે છે કે હવે સર્જિકલ સ્ટ્રાઇકનો સમય આવી પહોંચ્યો છે. એવામાં કમાન્ડર-ઇન-ચીફ જેવા ડોક્ટર પ્રગટ થાય છે. તે આવીને બધું જુએ છે, દર્દીને થોડું આશ્વાસન અને થોડી હૈયાધારણ આપે છે અને દર્દીનું મોં પહોળું કરીને કામગીરીનો આરંભ કરે છે.

ડેન્ટિસ્ટને ત્યાં જતાં પહેલાં, મોં મહત્તમ પહોળું કરવાની પ્રેક્ટિસ પાણીપુરી ખાતી વખતે હોય છે. પરંતુ ખુમચા પર મોં પહોળું કરીને પુરી અંદર પધરાવ્યા પછી, તરત મોં બંધ કરવાની રજા હોય છે. ડેન્ટિસ્ટને ત્યાં મોં પાણીપુરી મુકતાં કરવું પડે તેનાથી પણ વધારે ખોલવું અને પછી ખુલ્લું રાખવું પડે છે. ત્યાંથી કસોટીની શરૂઆત થાય છે. મોં પહોળું રાખવાનું અઘરું પડે ત્યારે ડોક્ટર આશ્વાસન, પ્રોત્સાહન અને ઠપકાના મિશ્રણ જેવાં વચનો ઉચ્ચારીને, દર્દીના મોંમાં કશોક નક્કર પદાર્થ મુકીને મોં પહોળું રાખે છે. ત્યારે મનોદશા એવી હોય છે કે તે નક્કર પદાર્થ પણ ચાવી જવાનું મન થાય.

એનેસ્થેશિયાનું ઇન્જેક્શન આપ્યા પછી દર્દીની દશા વર્તમાન શાસકોના સમર્થકો જેવી થઈ જાય છે. તેમને એવું લાગે છે કે આ બધું તો બીજા સાથે થઈ રહ્યું છે ને મારે એની સાથે કશી લેવાદેવા નથી. છેવટે ડોક્ટર કામગીરી પૂરી થયાની જાહેરાત કરે ત્યારે, એનેસ્થેશિયાની અસરથી મોં દડા જેવું થઈ ગયું હોય એવું લાગે છે, પણ ખુરશીમાંથી મુક્તિ મળ્યાના આનંદમાં બાકીનું બધું ભૂલાઈ જાય છે. 

Wednesday, April 26, 2023

દાંતનો દુખાવો

આસ્તિકો માને છે કે દાંત આપનાર ચાવણું (ચવાણું નહીં) પણ આપશે. તે વિશે મતમતાંતર હોઈ શકે છે, પણ એક વાત નક્કી છેઃ દાંત આપનાર દાંતનો દુખાવો પણ આપે છે. (દાંતમાં દાઢનો પણ સમાવેશ ગણી લેવો)

એવી કથા સાંભળેલી કે ઇસુ ખ્રિસ્તને વધસ્તંભે લઈ જતા હતા, ત્યારે એક માણસને તેના દુખતા દાંતની પરવા હતી. આ વાત ભલે તે માણસની અસંવેદનશીલતાની ટીકા માટે હોય, પણ એક વાત નકકી છેઃ તે કથા રચનારને પોતાને કદી દાંતનો દુખાવો નહીં થયો હોય. બાકી, તેને સમજાયું હોત કે દાંતના દુખાવાની પીડા ઉપડ્યા પછી માણસને ઇસુ ખ્રિસ્તના નહીં, પોતાના વધસ્તંભની પીડા પણ ગૌણ લાગી શકે. કારણ કે, તે પીડા અભૂતપૂર્વ હોય છે.

મહાન સર્જકો પરકાયાપ્રવેશ કરીને બીજાનાં મનોજગત આલેખી શકે છે, પણ સ્વાનુભવ વિના બીજાના દાંતની પીડાનું આલેખન લગભગ અશક્ય છે. તે સચ્ચાઈ પહેલી વાર દાંતની પીડા ઉપડે ત્યારે જ સમજાય છે. સાથે એ પણ ખ્યાલ આવે છે કે આપમુઆ વિના સ્વર્ગે ભલે ન જવાય, પણ નરકે તો જઈ શકાય છે. કેમ કે, દાંતમાં ઉપડેલી ભયંકર પીડા સદેહે નરકનો અનુભવ કરાવે એવી હોય છે.

દાંતનો દુખાવો ઉપડવાનું કોઈ તત્કાળ કારણ હોય એવું જરૂરી નથી. માણસ હસતો-રમતો હોય અને અચાનક તેની મુખરેખાઓ વંકાઈ જાય છે, મોંમાંથી હળવો સીસકારો નીકળી જાય છે. તેને થાય છે કે અચાનક મોંમાં જઈને કોણ પીડાબોમ્બ ફોડી આવ્યું. જડબું આમતેમ હલાવીને, તે પીડા પર કાબૂ મેળવવા પ્રયાસ કરે છે. ત્યારે તેને ખ્યાલ નથી હોતો કે યે તો અભી ઝાંકી હૈ.

ઘણા કિસ્સામાં પીડા બેસી જાય છે, પણ કેટલીક વાર સમય જતાં દુખાવાની માત્રા વધવા લાગે છે અને માણસને સમજાતું નથી કે તેની સાથે આ શું અને શા માટે થઈ રહ્યું છે. પહેલી વાર પ્રેમમાં પડનાર જેવી વિશિષ્ટ, મૂંઝવણભરી અનુભૂતિ તેને થાય છે. ન બેસવાથી સારું લાગે, ન ચાલવાથી, ન સુવાથી સારું લાગે, ન જાગવાથી, પણ આ પીડા મીઠી નહીં, અસહ્ય હોય છે. કર્મફળમાં માનતા લોકોને થાય છે કે નક્કી ગયા જન્મનાં કર્મો આ જન્મે આંટી ગયાં લાગે છે. પ્રામાણિક માણસો પોતાનાં આ જન્મનાં કર્મો વિશે વિચારતા થઈ જાય છે.

સામાન્ય માણસોને દાંતના ડોક્ટરની જરૂર પડતી નથી. એટલે ફેમિલી ડોક્ટર હોય, તેમ દાંતના ફેમિલી ડોક્ટર, કમ સે કમ અમુક ઉંમર સુધી, હોતા નથી. બીજી તરફ દુખાવાગ્રસ્તની પીડા એવા અસહ્ય સ્તરે પહોંચે છે કે તેને પકડ, સાણસી, હથોડી જેવાં ઘરગથ્થુ ઓજારો વડે દુખતા દાંતનું ઉચ્છેદન કરી નાખવાના વિચાર આવે છે. પહેલાં દુખાવો કાબૂમાં રાખવા અને પછી તેની માત્રા ખૂબ વધી જતાં, દુખાવો સહી શકાય તે માટે તે મોમાં લવિંગ રાખે છે, પાણી ભરેલું રાખે છે, દુખતો ભાગ બહારથી ને અંદરથી દબાવી જોવા પ્રયાસ કરે છે, એ તરફ બરફનો ગાંગડો રાખે છે—પરંતુ દુખતો દાંત ગાંઠતો નથી.

પરિવારજનોમાંથી કોઈને દાંતના દુખાવાનો અનુભવ ન હોય તો તેમને નવાઈ લાગે છે કે આને અચાનક શું થઈ ગયું? આટલી બધી હાયવોય કેમ કરે છે? દાંતની અસર મગજ પર થાય કે કેમ, એ વિશે પણ તે ઇન્ટરનેટ પર સર્ચ કરી જુએ છે. પરંતુ ઘરમાં એકાદ અનુભવી હોય તો તે તરત સમજી જાય છે અને દાંતના ડોક્ટરને ફોન કરે છે. દુખાવાનો પ્રકાર જાણ્યા પછી, દર્દીને તપાસતાં પહેલાં તે દુખાવાશામક ગોળી આપે, ત્યારે દર્દીને પહેલાં તો શંકા જાય છે. તેને લાગે છે કે આટલી અમથી ગોળીથી મરણતોલ લાગતો દુખાવો શી રીતે મટશે? પણ તેને બંદૂકની ગોળીની અસર યાદ આવતાં, તે ગોળીના કદને બદલે તેની અસર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને હવે મારાં દુઃખોનો અંત હાથવેંતમાં છે એવી હાશ અનુભવે છે. તેના દુઃખનો ઇન્ટરવલ પડ્યો છે અને ધ એન્ડ તો હજુ ઘણો દૂર છે—એ કઠોર વાસ્તવિકતાથી તે અજાણ હોય છે.

ગોળીઓથી દુખાવો શમી ગયા પછી દર્દીને આવતો પહેલો વિચાર એ હોય છે કે હવે ડોક્ટરને ત્યાં જવાની શી જરૂર?’ પણ ભારે ગોળીઓની ઓસરતી અસર અને સંભવિત આડઅસરથી તેની સાન ઠેકાણે આવે છે અને કાશીએ કરવત મુકાવવા જતો હોય એવી ગંભીર તૈયારી સાથે તે ડોક્ટર પાસે જવા તૈયાર થાય છે. ઘણા લોકોએ દાંતના ડોક્ટરની કામગીરી જોઈ નથી હોતી. એટલે તેમના મનમાં અવનવાં કલ્પનાચિત્રો રચાય છે, જેમાં તે દોડતો હોય અને દાંતના ડોક્ટર પક્કડ હાથમાં લઈને તેની પાછળ દોડતા હોય, પાછળ તેમનો આખો સ્ટાફ પણ ધસી આવતો હોય અથવા દવાખાનાનો યુનિફોર્મ પહેરેલા ચાર લોકોએ તેને પકડ્યો હોય અને દાંતના ડોક્ટર હાથમાં હથોડી ને ડિસમિસ લઈને, તેમના દાંત દેખાય એવું અટ્ટહાસ્ય કરતા હોય. દાંતના ડોક્ટરો ને દવાખાનાં વિશે સાંભળેલી રમૂજો યાદ આવી જાય છે અને ડોક્ટર મારી ચીસ સાંભળીને નાસી ગયેલા લોકોનું બિલ મારી પાસેથી વસૂલ નહીં કરે ને—એવો વિચાર પણ આવી જાય છે.

આવી મનોસ્થિતિમાં દાંતના દવાખાને પહોંચ્યા પછી શરૂ થતા નવા અનુભવની વાત આવતા અઠવાડિયે.