Thursday, July 17, 2025
મુસાફરીમાં સીટ-શેરિંગ
બેઠકોની વહેંચણી માટે વપરાતો ‘સીટ-શેરિંગ’ આમ તો રાજકારણનો શબ્દ છે. સામાન્ય માણસે વિવિધ પક્ષો વચ્ચે થતી સીટ-શેરિંગની તકરારો વિશે ફક્ત સમાચારોમાં જ વાંચવાનું હોય છે. તે વાંચીને લોકોને એવું પણ થાય છે કે આ રાજકીય પક્ષો આટલું અમથું કામ સંપીને, સુમેળ ને સમજૂતીથી કેમ કરી શકતા નથી? આવા વિચારથી ‘નેતાઓ જ ખરાબ છે. બાકી, વી, ધ પીપલમાં તો કંઈ કહેવાપણું નથી’ એવો લોકોનો ખ્યાલ દૃઢ થાય છે, પરંતુ ટ્રેન કે બસમાં મુસાફરી કરવાનો પ્રસંગ આવે ત્યારે તે માન્યતાની કસોટી થાય છે. (છકડા કે શેર-રીક્ષા જેવાં વાહનોમાં સીટ-શેરિંગ ભારતની યોગ પરંપરાનું ઉજ્જવળ અનુસંધાન હોવાથી, અહીં તેની વાત નથી.)
બસ કે ટ્રેનમાં અનરીઝર્વ્ડ બેઠક પર એટલે કે કોઈ પ્રકારનાં વિભાજન વગરની સળંગ જગ્યા ધરાવતી બેઠક પર કબજો જમાવવાની ખેંચતાણ અસ્તિત્વના સંઘર્ષ જેવી ભીષણ હોઈ શકે છે. તે જોઈને ‘મારે તેની તલવાર’ અને ‘બળીયાના બે ભાગ’ જેવી કહેવતોનાં નવાં સ્વરૂપ મનમાં ઊભરે છે. જેમ કે, ‘પહોળા થઈને બેસે તેની સીટ’ અને ‘બળીયાની બે સીટ જેટલી જગ્યા’. જનરલ ડબ્બામાં કે બસોમાં થતી આવી ખેંચતાણ જોઈને રીઝર્વ્ડ બેઠકો ધરાવતા લોકો વિચારે છે,‘આપણી પ્રજા સુધરી નહીં...લોકોમાં મેનર્સ જેવું કંઈ છે જ નહીં.’ પરંતુ તે પોતાની રીઝર્વ કરેલી બેઠક પર પહોંચે ત્યારે તેમની મેનર્સની અને સુધરેલા હોવાની કસોટી શરૂ થાય છે.
બેઠક ત્રણ જણ માટે નિર્ધારિત હોય, પણ તે સળંગ સ્વરૂપની હોય ત્યારે ઘણા લોકો ચીનની વિસ્તારવાદી શૈલીને અનુસરીને આખી બેઠક પર પોતાનો મહત્તમ પથારો ફેલાવવાનો પ્રયાસ કરે છે. બારી તરફ તો જેનું બુકિંગ હોય તેને જ બેસવા મળે, પણ તે સિવાયની જગ્યામાં પોતાના શારીરિક કદ કરતાં વધુ જગ્યા કેવી રીતે અંકે કરી શકાય, તેની કશ્મકશ કેટલાક ઉત્સાહીઓના મનમાં સતત ચાલતી રહે છે. આવી વૃત્તિમાં તે કશું ખોટું જોતા નથી, બલકે એ તેમનો આરક્ષણ-સિદ્ધ અધિકાર અને ‘વેલ્યુ ફોર મની’--ખર્ચેલા રૂપિયાનો કસ કાઢવાનું વલણ છે, એવું તે માને છે અને આવી વૃત્તિ જેનામાં ન હોય તેને બેદરકાર કે અણઆવડતવાળા ગણે છે.
રીઝર્વેશનના રૂપિયા વસૂલ કરવાની ભાવના ધરાવનારા લોકોમાંથી કેટલાકને કુદરતે તેમની વૃત્તિને અનુરૂપ દેહયષ્ટિ આપી હોય છે. તે કશું પણ વધારાનું કર્યા વિના ફક્ત બેસે તેનાથી જ એક માણસ રોકે તેના કરતાં વધારે જગ્યા રોકાઈ જાય છે. પરંતુ કુદરત પાસેથી મળેલા દેહનું તો શું થઈ શકે? સવાલ શરીરના પ્રમાણમાં અકુદરતી રીતે વધુ જગ્યા રોકનારા લોકોનો હોય છે. એવા જણ બેઠક નજીક આવે એટલે નિર્દોષતાથી, એકદમ, ધબ દઈને બેસી જવાને બદલે પહેલાં ઊભાં ઊભાં બેઠકનું નિરીક્ષણ કરે છે. ત્યાં કોઈ પહેલેથી બેઠેલું હોય તો તેણે કેટલી જગ્યા રોકી છે, કેટલી જગ્યા બાકી છે, તેના મહત્તમ હિસ્સા પર શી રીતે કબજો જમાવી શકાય—આવી ગણતરી તેમના મનમાં ચાલે છે. પહેલેથી બેઠેલા જણ પર જમાદારી ચાલી શકે તેમ છે કે નહીં, તેનો પણ અંદાજ બાંધવા તે પ્રયાસ કરે છે. કામ બળથી પાર પાડી શકાશે કે કળ, તેની સંભાવનાઓ વિશે પણ તે વિચારે છે.
તેમના મનમાં આવા બધા વ્યૂહ એટલી આસાનાથી અને કશા આયાસ વિના ગોઠવાતા હોય છે કે તેમને જોનારને એનો ખ્યાલ સુદ્ધાં આવતો નથી. તેમની મુખરેખા નિશ્ચલ હોય છે. એક વાર બેઠક પર ગોઠવાયા પછી તે જરૂર કરતાં પહોળા થઈને બેસે છે અને કેટલોક સામાન પણ બેઠક પર આજુબાજુમાં રાખે છે. બેઠેલામાંથી કેટલાક સ્વાભાવિક રીતે જ કંઈક રસ અને કંઈક ઉચાટથી તેમની ગતિવિધિ જોતા હોય છે. તેમની સમક્ષ બેસનાર એવો દેખાવ રાખે છે, જાણે આ તો બધું કામચલાઉ છે. એક વાર ગાડી બરાબર ઉપડે, એટલે તે વિસ્તાર સંકોરીને તે બરાબર બેસશે અને સામાન પણ યોગ્ય સ્થાને મુકી દેશે. ધીરજવાનો એવો આશાવાદ સેવે છે, પણ કોઈ અધીરીયા ધીરજ ગુમાવે અને નવાગંતુકને ‘સરખા’ બેસવા કે સામાન બેઠક પરથી બીજે મુકવા સૂચવી જુએ, તો પાણીપતનું પહેલું યુદ્ધ છેડાવાની પૂરી સંભાવના રહે છે.
સળંગ બેઠકને બદલે ચેરકાર પ્રકારની બેઠકોમાં પાણીપતની આવી કશી સંભાવના લાગતી નથી. સામાન્ય માણસ વિચારે છે, ‘આ બેઠકોમાં સારું. દરેકની બેઠક જોડાયેલી છતાં અલગ. વળી, તેની આસપાસ હેન્ડલ હોય એટલે હદ પણ અંકાયેલી. એટલે ખેંચતાણની ને આપણી બેઠક પર બીજાની દખલની શક્યતા જ નહીં.’ પરંતુ એક વાર આવી બેઠકો ધરાવતા રીઝર્વ્ડ ડબ્બામાં મુસાફરી કર્યા પછી ભોળા જણનો ભ્રમ ભાંગી જાય છે. તેમનો નંબર પેશકદમીખોર જણની સાથે આવે ત્યારે તે જુએ છે કે તે બેઠા પછી સૌથી પહેલાં તો પાડોશી સાથેના સહિયારા હેન્ડલ પર આખો હાથ જમાવી દે છે. કમરથી નીચેનો હિસ્સો તો મર્યાદિત જગ્યામાં સમાવવાનો હોય છે, પણ ઉપરના હિસ્સાને તે બાજુની બેઠકની હદમાં લઈ જવાનો પ્રયાસ કરે છે અને પોતાના પગ સામેની જગ્યા પર ટેસથી પગ લાંબા કરીને, સામાન બાજુવાળાની બેઠક નીચે ગોઠવવા પેરવી કરે છે.
ત્યારે ભોળા જણને સમજાય છે કે કાળા માથાનો માણસ ગમે તેટલી કૃત્રિમ રચનાઓ કરે, પણ વૃત્તિઓ, ખાસ કરીને આવી વૃત્તિઓ, તેમનો રસ્તો શોધી જ લે છે.
Monday, July 07, 2025
વરસાદનું ‘રાશી’ ભવિષ્ય
કહેવત તો એવી છે કે વહુ અને વરસાદને જશ નહીં, પણ એ યાદીમાં ત્રીજું નામ હવામાન ખાતાનું ઉમેરવા જેવું નથી? વરસાદની આગાહીનું શાસ્ત્ર ભડલી વાક્યો અને ટીટોડીનાં ઇંડાથી માંડીને સુપરકમ્પ્યુટર સુધી વિસ્તર્યું છે. છતાં, હવામાન ખાતાના ખાતામાં ખાસ કંઈ જશ જમા થતો હોય એવું જણાતું નથી.
ઇશ્વરની જેમ હવામાન ખાતાના મામલે મુખ્યત્વે ત્રણ પ્રકારના લોકો જોવા મળે છે. એક હોય છે ‘આસ્તિક’, જે હવામાન ખાતાની આગાહીમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે અને તેમની શ્રદ્ધા સાચી હોવાનો તેમને પૂરેપૂરો વિશ્વાસ હોય છે. તેમાંથી તેમને કોઈ ડગાવી શકતું નથી—ખુદ હવામાન ખાતું (એટલે કે તેમાં અંદરથી કામ કરતા માણસો) પણ નહીં. બીજા પ્રકારમાં ‘નાસ્તિક’ લોકો આવે છે, જેમને હવામાન ખાતા પર ઝાપટાંભાર તો શું, છાંટાભાર પણ વિશ્વાસ નથી. તે પ્રકારના લોકો માને છે કે હવામાન ખાતાની આગાહી સાચી પડી જાય તો તે કેવળ કાકતલીય ન્યાય—કાગડાનું બેસવું ને ડાળીનું પડવું—પ્રકારની ઘટના હોય છે. તેનો જશ ખાતાના માથે લાદીને ખાતાના માથાનો ભાર વધારવો ન જોઈએ.
આવું માનતા લોકો હવામાન ખાતાની ભારે વરસાદની આગાહી હોય ત્યારે અચૂક બહાર જાય છે અને તેમની ‘નાસ્તિકતા’ પ્રદર્શિત કરવાનો મોકો છોડતા નથી. એમ કરવા જતાં ખરેખર ભારે વરસાદ પડે ને તેમને પલળવાનું થાય તો પણ તે કેવળ વરસાદથી જ પલળે છે—હવામાન ખાતાની આગાહીની સંભવિત ચોક્સાઈ તેમને પલાળી શકતી નથી.
ત્રીજો પ્રકારમાં એવા લોકો આવે છે, જેમને વરસાદની આગાહીમાં કશો રસ હોતો નથી અથવા તેનાથી કશો ફરક પડતો નથી. આવા ‘અજ્ઞેયવાદી’ લોકો હવામાન ખાતાની આગાહી વિશે જાણવાનો કદી પ્રયાસ કરતા નથી, હવામાન ખાતું આજના કે આવતી કાલના દિવસ વિશે શું કહે છે એવી દિલચસ્પી તેમને કદી થતી નથી. વોટ્સએપ- ફેસબુક-ટીવી ચેનલો પર ક્યાંક તેને લગતા સમાચાર આંખે-કાને ચડી પણ જાય, તો તે નાના રણમાં થયેલી ઘુડખરોની વસ્તી ગણતરીના સમાચાર સાંભળતા હોય, એટલી નિર્લેપતાથી સાંભળ્યું-ન સાંભળ્યું કરીને આગળ વધી જાય છે.
આમ તો ચોથો પણ એક પ્રકાર પાડી શકાય, જે પહેલી નજરે ત્રીજા પ્રકાર જેવો લાગે, પણ ફિલસૂફીની દૃષ્ટિએ તે વધારે ઉચ્ચ ભૂમિકા પર હોય છે. ક્યારેક તે વરસાદમાં ભીંજાયેલી અવસ્થામાં મળી જાય અને તેમને કોઈ ‘આસ્તિક’ પૂછે કે ‘ભલા માણસ, ઘેરથી નીકળતાં પહેલાં આગાહી જોઈ ન હતી? હવામાન ખાતાએ કહ્યું તો હતું કે આજે હળવાં ઝાપટાંની સંભાવના છે.’ લાગણી અને જ્ઞાનનું સંયોજન વ્યક્ત કરવા માટે બોલાયેલાં આ વચનો સાંભળીને ચોથા પ્રકારનો જણ પહેલાં તો બુદ્ધ જેવું કરુણાસભર સ્મિત કરશે. તે સ્મિતમાં ઘડીક તો સામેવાળાને આભારવશતાનો ભાવ લાગી શકે, પણ તે ગેરસમજ લાંબું ટકશે નહીં.
તરત કરુણામૂર્તિ કહેશે, ‘હું આવી આગાહીઓ-બાગાહીઓ જોવામાં માનતો નથી. એમ કંઈ આગાહીઓ જોઈને ઘેર થોડા બેસી રહેવાય? વરસાદ વરસાદનું કામ કરે ને આપણે આપણું કામ કરવાનું. એવા બધા પોપલાવિદ્યામાં પડીએ તો જીવાય જ નહીં.’ આવાં અસંદિગ્ધ, સ્પષ્ટ વચનો સાંભળીને, ઘડીભર પહેલાં જ્ઞાની તરીકે રજૂ થનાર ડગમગી જાય છે અને તાજો એનાયત થયેલો પોપલાપણાનો મુગટ ધારણ કરવો કે નહીં, તેની દ્વિધામાં પડી જાય છે.
કેટલાક ટીકાકારો હવામાન ખાતાની આગાહીને રાશિ ભવિષ્ય સાથે સરખાવે છે અને તેમાં ‘રાશિ’નો અર્થ ચરોતરી બોલી મુજબનો કરે છે. (ચરોતરમાં વસ્તુ ખરાબ હોય ત્યારે વેપારી કહે છે, ‘આ વખતે સાવ રાશી માલ આવ્યો છે.’) પોતાની ટીકામાં આંતરરાષ્ટ્રિય દૃષ્ટિકોણ ઉમેરીને તેને વધુ વજનદાર બનાવવા માટે તે બ્રિટન-અમેરિકાનાં હવામાન ખાતાંનાં દાખલા ટાંકે છે અને આપણા ખાતાની સરખામણીમાં તેમની આગાહીઓ કેવી જડબેસલાક હોય છે, તેનાં કેટલાંક (સાંભળેલાં) ઉદાહરણ પણ ટાંકે છે. તે સાંભળીને કેટલાકને વાંધો પડે છે. તેમને લાગે છે કે દલિતો પ્રત્યેના જ્ઞાતિઆધારિત દુર્વ્યવહારની જેમ, હવામાન ખાતાની ખોટી આગાહીઓ પણ આપણા દેશનો આંતરિક પ્રશ્ન છે અને તેનું આંતરરાષ્ટ્રીયકરણ કરવું જોઈએ નહીં.
ધારો કે, ખોટી આગાહીઓ બદલ આપણા ખાતાની ટીકા કરવી હોય તો પણ, તેના માટે બીજા દેશોનાં ખાતાંનાં વખાણ કરીને, ફક્ત ખાતાને બદલે આપણા આખા દેશને નીચો પાડવાની જરૂર નથી—એવી દલીલ, વ્યક્તિ-દેશ વચ્ચેનો ફરક ભૂંસી નાખનારા ઉત્સાહી દેશપ્રેમીઓ કરી શકે છે. તેમની પ્રતિક્રિયા પરથી એવું લાગે છે, જાણે ભારતના હવામાન ખાતાની ટીકા કરનાર લોકો ખાતાની વિરુદ્ધમાં ઇન્ટરનેશલ કોર્ટમાં કે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ફરિયાદ કરશે અને જોતજોતાંમાં ધોળા નિરીક્ષકોનાં ટોળાં હવામાન ખાતાની દેશભરની કચેરીઓ ઉપર ઉતરી પડશે. ઇરાન-ઇઝરાઇલ-અમેરિકા વચ્ચે સર્જાયેલા યુદ્ધ પ્રકારના સંજોગોમાં કોઈને એવી કલ્પના પણ આવી શકે કે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ સુધી ભૂલેચૂકે આ વાત પહોંચાડવામાં આવે અને તેમને સોલો ચડે તો તે, હવામાન ખાતાનો ખોટી આગાહીઓ કરતું અટકાવવા માટે તેની કચેરીઓ પર બોમ્બર વિમાનો મોકલવાનું વિચારી શકે છે.
વરસાદનું શાસ્ત્ર બહુ અટપટું છે અને ગ્લોબલ વોર્મિગને કારણે વાતાવરણના વંકાયેલા મિજાજમાં વરસાદનની આગાહી વધારે પેચીદી બની છે—એવી દલીલો વિજ્ઞાનમાં કામ લાગે, રાજકારણમાં નહીં. તેમાં તો આગાહી સાચી પડે ત્યારે તેનો જશ લેવાનો અને ખોટી પડે ત્યારે... તેની નિષ્ફળતા બીજા પર ઢોળી દેવાની, એવો રિવાજ નથી હોતો?