Monday, October 14, 2024

ચૂંટી ચૂંટીને ગલગોટો ચૂંટ્યો?

નવરાત્રિ આનંદઉત્સવનો, નાચગાનનો, ધાંધલધમાલનો, મોડી રાત સુધી હરવાફરવાનો, પ્રેમ અને રોમાન્સનો તહેવાર છે, એવું કહેવાથી લાગણીદુભાઉ વર્ગની લાગણી દુભાય એમ છે, એ તો સૌ જાણે છે, પણ અત્યારે મનાવાતી નવરાત્રિ માતાજીની ઉપાસનાનો તહેવાર છે, એવું જાહેર કરવાથી માતાજીની લાગણીનું શું થશે? તેનો વિચાર પણ કરવા જેવો છે.

પણ એ મુદ્દો બાજુએ રાખીને, હળવા હૈયે થોડી વાત કરીએ. નવરાત્રિના જાણીતા ગરબાની. કોઈને થાય કે ગરબા તે કંઈ વાત કરવાનો વિષય છે?. તે બહુ ગમતા હોય તો ગાવાના-જોવાના ને ન ગમતા હોય તો સહન કરી લેવાના. તે લાગણી છેક ખોટી નથી. છતાં, એ બધું કર્યા વિના પણ ગરબામાંથી કેવી રીતે આનંદ લઈ અને આપી શકાય, તેના એક નમૂના તરીકે અહીં ગરબાક્વિઝ આપી છે. તેનો આનંદ લેવા માટે માટે લાગણી દુભાવાનું બાજુ પર મુકીને, ખુલ્લા મને જોવાની અને હસવાની તૈયારી હોવી જોઈએ.

 1. ગલગોટો મેં ચૂંટીને લીધો—એ પંક્તિ કવિએ કોને ઉદ્દેશીને લખી છે?

(ક) ચૂંટાયેલા ધારાસભ્ય (ખ) ચૂંટાયેલા સાંસદ (ગ) ચૂંટાયેલા વડાપ્રધાન (ઘ) આ ત્રણમાંથી કોઈ નહીં.

 2. ઈંધણાં વીણવા ગઈતી મોરી સહિયર—એ ગીત પર સરકારદ્રોહનો કેસ થઈ શકે. કારણ કે--

(ક) તેમાં સહિયર એલપીજી સિલિન્ડરને વાપરવાને બદલે ઈંધણાં વીણતી અને એ રીતે સરકારની ઉજ્જવલા યોજનાની નિષ્ફળ પુરવાર કરતી આલેખવામાં આવી છે. (ખ) તેમાં સરવાળે જંગલપેદાશો પરના આદિવાસીઓના હકની વાત આવે છે અને લોકોના, ખાસ કરીને આદિવાસીઓના, હકની કોઈ પણ વાત કરવી તે સરકારદ્રોહ છે-નક્સલવાદ છે. (ગ) ઇંધણાં પર જીએસટી લાગતો નથી, જ્યારે એલપીજી પર લાગે છે. એટલે ઇંધણાં વીણનારી સહિયર સરકારની તિજોરીને નુકસાન પહોંચાડે છે. (ઘ) સહિયર સ્કૂલે જવાને બદલે ઇંધણાં વીણે છે, એમ દર્શાવીને, સરકારના પ્રવેશોત્સવો અને કન્યા કેળવણીના દાવા ખોટા હોવાનું આડકતરું સૂચન તેમાં છે.

3. તારા વિના શ્યામ મને સૂનું સૂનું લાગે—એ પંક્તિમાં ગાનાર અને શ્યામનાં પ્રતિકો કોના માટે વપરાયાં છે?

(ક) ભ્રષ્ટ અધિકારી અને કડદાબાજ કોન્ટ્રાક્ટર (ખ) કટકીને બદલે આખેઆખા કટકા આપતા કોન્ટ્રાક્ટરો અને તેના માટે નવા પ્રોજેક્ટ ઊભા કરતા રહેતા નેતાઓ (ગ) પ્રેસ કોન્ફરન્સ અને વડાપ્રધાન (ઘ) કરોડોની લોન ગુપચાવીને નાસી ગયેલા લેણદારો અને તેમને લોન આપનારી બેન્કો

4. પાવલી લઈને હું તો પાવાગઢ ગઈતી—એ પંક્તિનો ગૂઢાર્થ શો છે?

(ક) જેને લઈને પાવાગઢ ગઈતી તે પાવલી હતો. (ખ) પાવલી લઈને પાવાગઢ જઈ શકાય એટલી સોંઘવારી હતી. (ગ) પાવાગઢમાં રોપ વે ચાલુ થયો ન હોવાથી વધારે રૂપિયાની જરૂર ન હતી. (ઘ) જાહેર જીવનમાં ભગવાન પણ દર્શન ન આપે તો તેમની પાસેથી પૈસા પાછા માગી શકાય, એટલા સ્વચ્છ વ્યવહારો અને ઉત્તરદાયિત્વનાં ધોરણ હતા.

5. હું તો ગઈતી મેળે, મન મળી ગયું એની મેળે મેળામાં—એ પંક્તિમાં કવિ વર્ણાનુપ્રાસ સિવાય બીજું શું કહેવા માગે છે?

(ક) આ સાદા મેળાની નહીં, લગ્નમેળાની વાત છે. (ખ) મનને કોઈ જાતની ધાકધમકી, દબાણ, પ્રલોભન કે લાલચ વિના, સદંતર બિનકેફી અવસ્થામાં મળેલું જાહેર કરવામાં આવ્યું છે (ગ) મેળાનું વાતાવરણ—ના, માહોલ--જ એવો હતો કે મન મળી જાય. (ઘ) આપણને અર્થપૂર્ણ વર્ણાનુપ્રાસ ફાવે છે.

6. ચાર બંગડીવાળી ગાડી લઈ દઉં—એ ગરબો--

(ક) મહિલા સશક્તિકરણનો મહિમા કરે છે. કારણ કે તેમાં બહેન ભાઈને ગાડી લાવી આપવાની વાત કરે છે. (ખ) મહિલાવિરોધી છે. તે મહિલાઓને ખરાબ પ્રકાશમાં ચીતરે છે. કારણ કે મહિલા તો ઓડી જેવી મોંઘી ગાડીની વાત પણ બંગડી જેવા સંદર્ભથી જ કરે, એવું તેમાં નિહિત છે. (ગ) સંબંધોના વસ્તુકરણ-ઓબ્જેક્ટિફિકેશનનું સૂચન કરે છે. કારણ કે, બહેનને ભાઈ પ્રત્યેનો તેનો પ્રેમ વ્યક્ત કરવા માટે ચાર બંગડીવાળી ગાડીની યાદ આવે છે અથવા તેની જરૂર લાગે છે. (ઘ) એસ્પિરેશનલ—નવા ભારતની આકાંક્ષાઓનો સૂચક છે. કારણ કે, તેમાં બહેન અમથી અમથી ભાઈને ભેટ આપવાની વાત કરે તેમાં પણ ઓડીથી નીચે ઉતરતી નથી.

7. ગલગોટો મેં ચૂંટીને લીધો—શા માટે રાષ્ટ્રવિરોધી ગરબો છે?

(ક) ગલગોટો પરદેશી ફૂલ છે. થોડી સદી પહેલાં જ ભારતમાં આવ્યું હતું. તેને ચૂંટવાથી આપણી સંસ્કૃતિ અને પરંપરાને ઘસારો પહોંચે છે. (ખ) કમળ ચૂંટાતું હોય ત્યારે ગલગોટો ચૂંટવો એ દેખીતી રીતે જ રાષ્ટ્રવિરોધી છે. (ગ) તેમાંથી એવો ધ્વનિ નીપજે છે કે ચૂંટીને પસંદ કરેલા ગલગોટા જેવા, કશા નક્કર કામના નહીં, ફક્ત શોભાના છે. (ઘ) ગલગોટો પ્રમાણમાં સસ્તું ફૂલ છે, જે ભારતને ગરીબ દેશ તરીકે ચીતરીને વિશ્વમાં તેની છબી ખરાબ કરે છે.

8. મારી મહીસાગરને આરે ઢોલ વાગે છે—એ ગરબો શું સૂચવે છે?

(ક) ઢોલ વગાડવાનું શેરી કે સોસાયટીમાં શક્ય ન હોવાથી મહિસાગરને આરે જવું પડ્યું છે. (ખ) મહીસાગર જિલ્લો અલગ કરવાની પ્રક્રિયાના ઢોલ વાગી રહ્યા છે. (આ ગરબો આવ્યો ત્યારે મહીસાગર અલગ જિલ્લો ન હતો.) (ગ) મહી નદી સાગર જેવી છે. તેનો ઘુઘવાટ એટલો મોટો છે કે છેક તેના આરે ઢોલ વાગતો હોવા છતાં, ઢોલનો અવાજ સંભળાતો નથી. (ઘ) ચોમાસા વખતે વિશ્વામિત્રીમાંથી વડોદરામાં ઘૂસી ગયેલા મગરોને નસાડવા માટે મહીસાગરના આરે ઢોલ વગાડવો પડે છે.

 

No comments:

Post a Comment