Tuesday, October 17, 2023

ફિલિસ્ટાઇન્સ એન્ડ ફેરિસીઝ (અસંસ્કારી અને કટ્ટર) : મુકુલ કેસવન

મૂળ લેખ ધ ટેલીગ્રાફ, 15-10-23


હમાસ એ પેલેસ્ટાઇની રાષ્ટ્રવાદનો પાશવીઇસ્લામી ગુણવિકાર છે. તે સત્તાવાર રીતે ઇઝરાઇલના નિકંદન માટે પ્રતિબદ્ધ છે. ઇઝરાઇલને તે ‘યહુદીવાદી એકમ’ (ઝાયનિસ્ટ એન્ટાઇટી) ગણે છે. હમાસનું બાકાયદા સૈન્ય ન કહેવાય એવું દળ તક મળે ત્યારે ઇઝરાઇલ સામે ગેરીલા યુદ્ધ આદરે છે. વ્યૂહાત્મક ઊંડાણની રીતે ગાઝા માંડ એક શોપિંગ મોલ જેવું છે. સુસજ્જ સૈન્ય ધરાવતી સરકાર જેવી ગરીમાાનો અભરખો હમાસ રાખી શકે તેમ નથી. ઘેરાબદ્ધ પ્રદેશમાં તે માન્યતા વગરનું રાજ ચલાવે છે. હમાસ સંરક્ષણ પૂરું પાડવાનું તરકટસમાજકલ્યાણ માટેનું સંગઠનમુક્તિચળવળ અને આતંકવાદી ટોળકી—આ બધું જ છે. ગાઝા વિશ્વની સૌથી મોટી ખુલ્લી જેલ હોયતો હમાસ તે જેલનું જાતે બની બેઠેલું ટ્રસ્ટી છે અને ઇઝરાઇલ તે જેલનું વોર્ડન.

 

ઇઝરાઇલ યહૂદીવાદી (ઝાયનિસ્ટ) રાષ્ટ્રવાદનું મૂર્તિમંત સ્વરૂપ છે. તેના કબજામાં રહેલા પ્રદેશ પરનો તેનો દાવો એ માન્યતા પર આધારિત છે કે તે પ્રદેશ યહુદીઓનું રાષ્ટ્રીય વતન હોવું જોઈએ. કારણ કેપ્રાચીન કાળમાં તેમના વડવાઓને ત્યાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ દાવો ફક્ત વિચારધારાકીય નથી. દોઢેક સદીથી યહુદીવાદી યહુદીઓ પેલેસ્ટાઇન/ઇઝરાઇલને તેમનું વતન ગણીને ત્યાં સ્થળાંતર કરતા રહ્યા છે. અગાઉના પેલેસ્ટાઇનમાં યહુદીઓની નાનકડી વસ્તીની સતત રહી હતીએ બાબતને યહુદીવાદીઓ તેમના દાવાના સમર્થનમાં ટાંકતા હતા.

 

બીજા વિશ્વયુદ્ધ વખતે થયેલા યહૂદીસંહારની કરુણતામાંથી અને યુરોપની વચ્ચોવચ થયેલા યહૂદીસંહાર અંગે પશ્ચિમી દેશોની ગુનાઈત લાગણીમાંથી યહૂદીઓનો ઇઝરાઇલ પરના અધિકાર ફૂલ્યોફૂલ્યો. જર્મનીના બ્રેન્ડનબર્ગ ગેટ કે બ્રિટનના વડાપ્રધાનના નિવાસસ્થાન 10ડાઉનિંગ સ્ટ્રીટ પર કદી પેલેસ્ટાઇનના ધ્વજના રંગ છવાયેલા જોવા નહીં મળે. યહૂદી જનસંહારની સ્મૃતિને કારણેઇઝરાઇલીઓ દ્વારા થતી પેલેસ્ટાઇનીઓની હત્યા એટલી અધમ અને નઠારી નથી લાગતીજેટલી પેલેસ્ટાઇનીઓ દ્વારા થતી ઇઝરાઇલીઓની હત્યા લાગે છે.

 

પશ્ચિમી સરકારોનું એ કાયમી-સ્વીકૃત વલણ છે કે એક રાષ્ટ્ર તરીકે ઇઝરાઇલ પર અપ્રમાણસરની હિંસાનો આરોપ મુકી શકાયપણ તેને કદી ત્રાસવાદી ન ગણાય. કારણ કેઇઝરાઇલનું શિસ્તબદ્ધ સૈન્ય ત્રાસવાદનો જવાબ વિવેકપૂર્વકની હિંસાથી આપે છે. ઇઝરાઇલના સ્વરક્ષણના અધિકારને કારણે અજાણતાં નિર્દોષો માર્યા જાય એવું બનેપણ તે કદી ત્રાસવાદી અત્યાચાર ન હોઈ શકે. સ્વરક્ષણની કાર્યવાહીમાં જ્યાંના નિર્દોષો અજાણતાં માર્યા જાય છેએ પ્રદેશ તો લડાકુ ટોળકીઓનો છે. તે ટોળકીઓ નાગરિકો અને સૈનિકો વચ્ચે ફરક પાડતા બીજા શિસ્તબદ્ધ દેશના નાગરિકો પર જાણી જોઈને હુમલા કરે છે. માટેઇઝરાઇલની હિંસા અને પેલેસ્ટાઇનની હિંસાની નૈતિક રીતે કદી તુલના કરી શકાય નહીં. કારણ કેઇઝરાઇલની હિંસા તો હંમેશાં પેલેસ્ટાઇનના વણનોતર્યા ઉત્પાતનો વાજબી જવાબ (સ્વરક્ષણનો અધિકાર) જ હોવાની.

 

ઐતિહાસિક દૃષ્ટિએ આ વલણનું સમર્થન કરવું કઠણ છે. કેમ કેપેલેસ્ટાઇનની હિંસા વણનોતરી-કશી ઉશ્કેરણી વિના થયેલી નથી. આધુનિક સમયમાં એક દેશે બીજા પર સૌથી લાંબા સમય સુધી કબજો જમાવી રાખ્યો હોય એવાં ઉદાહરણોમાં ઇઝરાઇલે પેલેસ્વેટાઇન પર જમાવેલા કબજાનો સમાવેશ થાય છે. ઇઝરાઇલે પચાવી પાડેલી  જગ્યાનો સતત વિસ્તાર થતો રહ્યો છે. પેલેસ્ટાઇન માટે અલગ ફાળવેલી જમીન પર સતત યહૂદી વસાહતો ઊભી કરવામાં આવી છેજેથી પેલેસ્ટાઇન ઊભું કરી શકાય એવી કોઈ સળંગ જગ્યા ન બચે. જમીનની આ ચોરીથી પેલેસ્ટાઇનના લોકોની આજીવિકા ખતમ થઈ ગઈ છે. આ પ્રકારે તેમની નાગરિકતા ખતમ થવાને કારણે તેમની હાલત ગુલામો જેવી બની છે. જેરુસલેમના પૂર્વ હિસ્સા પરનો તેમનો દાવો પણ તેમની પાસેથી સતત ખાલી કરાવાતી જગ્યાઓને કારણે ઉત્તરોત્તર નબળો પડી રહ્યો છે. કટ્ટર જમણેરી ચળવળોવસાહતીઓ અને રૂઢિચુસ્ત અંતિમવાદીઓ જેરુસલેમની પવિત્ર ભૂમિની યથાસ્થિતિને સતત પડકારી રહ્યા છે. ઇઝરાઇલના આ પ્રકારના કબજાને કારણે ઉશ્કેરણીનો એવો સિલસિલો ઊભો થાય છેજે ઇઝરાઇલી રાજની પેલેસ્ટાઇની પ્રજાએ રોજેરોજ વેઠવો પડે છે અને એ પણ ફક્ત અસ્તિત્વ ટકાવી રાખવા ખાતર.

 

ઇઝરાઇલીઓ સમુહ વસાહતો (કિબુત્ઝ) પર હમાસનો હુમલો ઉશ્કેરણીનું પરિણામ હતો અને આસુરી હતો. (પરંતુ) માનવપાત્રો ફક્ત તે જે પરિસ્થિતિમાં મુકાયાં હોય, તેનાં લક્ષણરૂપ નથી હોતાં. હમાસના યોદ્ધાઓનો નિર્ણય હતો; તે મહિલાઓને, બાળકોને, નિહથ્થા નાગરિકોને ન મારવાની પસંદગી કરી શક્યા હોત. એવી જ રીતે, ઇઝરાઇલના સૈન્યનો જવાબ પણ ઉશ્કેરણીનું પરિણામ હતો અને આસુરી હતો. સરવાળે તે હમાસના ખરાબમાં ખરાબ પ્રયાસ કરતાં પણ વધારે આસુરી હોવાનો. કારણ કે ઇઝરાઇલનો શસ્ત્રભંડાર આધુનિક છે. હવાઈ મોરચે તેનું વર્ચસ્વ સંપૂર્ણ છે અને (પેલેસ્ટાઇનના) લગભગ વીસ લાખ લોકો બીજે ક્યાંય જઈ ન શકાય એવી રીતે, જમીનની સાંકડી પટ્ટીમાં કેદ છે. ઇઝરાઇલના લશ્કરના એક જનરલે કહ્યું હતું કે બોમ્બમારા વખતે ચોક્સાઈને બદલે મહત્તમ નુકસાન અને વિનાશને પસંદગી આપવામાં આવશે. બીજા જનરલે ગાઝાના લોકો સાથે હ્યુમન એનિમલ્સ (માનવપશુઓ) જેવો વ્યવહાર કરવાનું વચન આપ્યું. 

 

ઇઝરાઇલ-પેલેસ્ટાઇન વચ્ચેના સંઘર્ષના ઇતિહાસમાં ઇઝરાઇલે દસ ગણા વધારે પેલેસ્ટાઇનીઓને માર્યા છે. આંકડાકીય દૃષ્ટિએ તો, પેલેસ્ટાઇનીઓની યાતના અને ઇઝરાઇલના અત્યાચારનો કેસ બને છે—સિવાય કે તમે એવું માનતા હો કે માર્યા ગયેલા બધા પેલેસ્ટાઇનીઓ ત્રાસવાદી, ત્રાસવાદીના સાથી કે ત્રાસવાદીઓ દ્વારા ઢાલ તરીકે વપરાયેલા લોકો હતા. એટલે કે, આ લખાય છે ત્યારે ઇઝરાઇલના ગાઝા પરના હવાઈ હુમલામાં માર્યા ગયેલાં 500 બાળકો અને 276 મહિલાઓ જેવાં. અડધી સદીના ઇતિહાસમાં પહેલી વાર સેંકડો ઇઝરાઇલીઓ માર્યા ગયા છે અને તેની સરકાર તથા ઉચ્ચ અફસરોએ સ્પષ્ટ કરી દીધું છે કે તે પણ મૃત્યુઆંકને સરભર કરી દેશે. ગાઝામાં વસ્તીની ગીચતા જોતાં તો એ બહુ ઝડપથી થઈ જવું જોઈએ. ગાઝા પર બોમ્બમારો કરવો એ પીપડામાં તરતી માછલીને ઠાર કરવા જેવું (સહેલું) છે.  

 

ઇઝરાઇલ-પેલેસ્ટાઇન સંઘર્ષમાં કોના પક્ષે કેટલી ખુવારીઃ
આ લેખથી અલગ, ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાં પ્રગટ થયેલો,
પણ આ લેખના મુદ્દા સાથે સીધો સંબંધ ધરાવતો આલેખ

બ્રિટનના ધ ટેલીગ્રાફમાં ઇઝરાઇલ દ્વારા થનારા અત્યાચારોને ધ્યાનમાં રાખીને એક આક્રમક લેખ પ્રગટ થયો હતો. તેમાં જણાવાયું હતું, બેશક, પ્રચંડ બળપ્રયોગ પ્રક્રિયાની દૃષ્ટિએ હંમેશાં ચોખ્ખો રહી શકતો નથી. એવા બળપ્રયોગનાં પરિણામ વખતે નેરેટીવની અને પીઆરની--એટલે કે, બળપ્રયોગનાં પરિણામોને કારણે થતા ઉહાપોહની અને તે વખતે છબી જાળવી રાખવાની--મુશ્કેલીઓ આવશે. એટલા માટે જ, ઇઝરાઇલને પશ્ચિમી સરકારોની સમજદારીની અને તેમના ટેકાની ક્યારેય ન હતી એટલી જરૂર અત્યારે છે. જાણે સંકેતની જ રાહ જોતા હોય તેમ, અમેરિકાના પ્રમુખ, બ્રિટનના વડાપ્રધાન અને વિરોધ પક્ષના વડા તથા યુરોપીઅન કમિશનનાં અધ્યક્ષે ઇઝરાઇલના સ્વરક્ષણના અને ગાઝા પર પ્રતિબંધો લાદીને તેને ઘેરો ઘાલવાના અધિકારનું સમૂહગાન કર્યું. ત્યાંના નિર્દોષ નાગરિકોના રક્ષણ વિશે સમ ખાવા પૂરતો પણ ઉલ્લેખ કરવાનું તેમને જરૂરી ન લાગ્યું.

 

(તમને થતું હશે કે) પેલેસ્ટાઇનીઓએ ઇઝરાઇલી નાગરિકોની હત્યાનાં પરિણામ વિચારવાં જોઈતાં હતાં, ઇઝરાઇલની વાસ્તવિકતા સ્વીકારી લેવા જેવી હતી અને હિંસા-સશસ્ત્ર સંઘર્ષ તજીને ઇઝરાઇલ સાથે શાંતિપૂર્ણ ઢબે વાટાઘાટો કરવી જોઈતી હતી. ગાઝાની પૂર્વે વેસ્ટ બેન્કમાં પેલેસ્ટાઇની નેશનલ ઓથોરિટીના મહમુદ અબ્બાસે એવું જ કર્યું. પેલેસ્ટાઇન નેશનલ ઓથોરિટી પેલેસ્ટાઇનના લોકોની પ્રતિનિધિ તરીકે આંતરરાષ્ટ્રિય માન્યતા ધરાવે છે. તેને શાંતિપૂર્ણ વાટાઘાટોના પ્રયાસનો શો બદલો મળ્યો? રોકી ન શકાય એવી રીતે વિસ્તરતી યહૂદી વસાહતો, બે અલગ દેશના ઉકેલનો ઇઝરાઇલના વડા નેતાન્યાહુ દ્વારા અને ઇઝરાઇલની રાજસત્તા દ્વારા તુચ્છકારભર્યો ઇન્કાર, અને તે જેમનું પ્રતિનિધિત્વ કરે છે તેવા લોકોમાં નમાલા તરીકેનો દરજ્જો.  

 

બે અલગ રાષ્ટ્રોનો ઉકેલ ફગાવી દીધા પછી ઇઝરાઇલ વાટાઘાટો દ્વારા ઉકેલ નહીં, સંપૂર્ણપણે શરણાગતિ ઇચ્છે છે. વાટાઘાટો નહીં કરવાની તેની નીતિમાં હમાસ બહુ અગત્યનું પરિબળ છે. ગાઝા પર હમાસની પકડને લીધે ઇઝરાઇલ એવો દાવો કરવાની તક મળે છે કે તે જેમની સાથે વાતચીત કરી શકે એવો (ઠેકાણાસરનો) પેલેસ્ટાઇનની પ્રજાનો કોઈ પ્રતિનિધિ જ નથી. કતાર દ્વારા હમાસને થતી નાણાંકીય સહાયમાં નેતાન્યાહુની ભૂમિકા વિશે ઇઝરાઇલના અગ્રણી અખબાર Haartezમાં અહેવાલ પ્રકાશિત થઈ ચૂક્યો છે. હમાસ સાથે નેતાન્યાહુનો સંબંધ ઇંદિરા ગાંધીના ભીંદરાનવાલે સાથેના સંબંધ જેવો છે. ઇંદિરા ગાંધીએ અકાલીઓને માપમાં રાખવા માટે ભીંદરાનવાલેને ઊભા કર્યા હતા. નેતાન્યાહુ અને ઇંદિરા ગાંધી બંનેએ એવા અસુર પેદા કર્યા, જે તેમના કાબૂમાં પણ ન રહ્યા.  

 

નેતાન્યાહુની વ્યૂહરચના બેપાંખીયા છે. એક, જેરુસલેમમાં અને કબજે કરેલા બીજા વિસ્તારોમાં એવી પરિસ્થિતિ ઊભી કરવી કે જેથી બે અલગ રાષ્ટ્રોનો (પેલેસ્ટાઇન સ્વતંત્ર રાષ્ટ્ર બને એવો) ઉકેલ અપ્રસ્તુત બની જાય. બીજું, પેટ્રોલિયમના ભંડાર ધરાવતાં આરબ રાજ્યોને અલગ પેલેસ્ટાઇનનું વચન આપ્યા વિના, તેમની સાથેના સંબંધ સામાન્ય બનાવવા. આ યોજનાનો પહેલો હિસ્સો (નેતાન્યાહુથી પણ પહેલાં) દાયકાઓથી અમલમાં છે. બીજો હિસ્સો એટલે ડોનાલ્ડ ટ્રમ્પે વચ્ચે રહીને (ઇઝરાઇલ અને કેટલાંક આરબ રાષ્ટ્રો વચ્ચે) કરાવેલી અબ્રાહમ એકોર્ડ નામની સમજૂતી, જેને બાઇડેને પણ યથાતથ અપનાવી લીધા. આ રીતે ઇઝરાઇલના કબજાનો ભોગ બનેલા અને પોતાના હક ગુમાવી બેઠેલા લોકોની કરુણ સ્થિતિ કેવળ અપ્રસ્તુત ગણગણાટી બનીને, ઝૂંપડપટ્ટીઓમાં સમાઈને રહી જાય.

 

આ યોજનાને પશ્ચિમી દેશોનો ટેકો હોવાનું ઘણા સમયથી સ્પષ્ટ છે, પણ હમાસે સમુહ વસાહતો (કિબુત્ઝ) પર કરેલા હુમલા અને ઇઝરાઇલે ગાઝા પર કરેલા બોમ્બમારા પછી પશ્ચિમી દેશોએ નાટકીય અશાંતિ સિદ્ધ કરી છે, જે વિકૃત છે. અમેરિકા અને બ્રિટને ગાઝા સામે ઇઝરાઇલની અસ્તિત્વની લડાઈમાં જહાજો, વિમાનો અને હથિયાર મોકલ્યાં છે. અમેરિકાના ગૃહ મંત્રીએ હમાસને નાઝીઓ સાથે સરખાવ્યું છે. ઇઝરાઇલના સૈન્યે ISISના ઝંડા ઉપજાવી કાઢ્યા છે અને અત્યાચારો આચરવા માટેની સફરો યોજી છે. બાઇડેને હમાસ પર બાળકોના શિરચ્છેદનો આરોપ મુક્યો છે, જે બાબતે તેમના જ પ્રવક્તાએ પીછેહઠ કરવી પડી, કારણ કે હકીકતની ખરાઈ કર્યા વિના તે આરોપ કરવામાં આવ્યા હતા.

 

પેલેસ્ટાઇનના લોકો વિસ્ફોટોમાં મૃત્યુ પામેલાં તેમનાં બાળકોની તસવીરો ટિક ટોક પર મુકવાનું શરૂ કરે, તો બાઇડન તેને શેર કરે એ બનવાજોગ નથી. અમેરિકાના ગૃહમંત્રી પણ ઇઝરાઇલની ગાઝા પર અત્યાચારોની સફરને મંજૂરી નહીં આપે. નાગરિકોની નજીકથી હત્યા કરવી તે દૂર રહીને કે ઊંચાઈ પરથી નાગરિકોને મારી નાખવા જેટલું ખરાબ નથી. પશ્ચિમી નેતાઓ અને અખબારોએ હમાસના હત્યાકાંડને ઇઝરાઇલના 9/11 તરીકે ઓળખાવ્યું છે. એ ન્યાયે ઇઝરાઇલે કચડી નાખેલું ગાઝા પેલેસ્ટાઇનનું ડ્રેસ્ડન ગણાય. (બીજા વિશ્વયુદ્ધમાં જર્મનીના ડ્રેસ્ડન શહેર પર અમેરિકા અને બ્રિટનના વાયુ દળના ઘાતક બોમ્બમારામાં હજારો નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં અને શહેર ખંડેર બની ગયું હતું.) ફરક એટલો કે દરેક પશ્ચિમી રાષ્ટ્ર ઇઝરાઇલના લોહીયાળ બોમ્બમારાને સમર્થન આપે છે. જાણે કહેતાં હોય, અમને રોજરોજ ડ્રેસ્ડન બતાવો. 

 

ઇઝરાઇલનું સૈન્ય લોન સાફ કરે છે અને મનુષ્યપ્રાણીઓ સાથે પનારો પાડે છે, ત્યારે રશિયા સામે (યુક્રેનના) ન્યાયી યુદ્ધના તરફદારો ઇઝરાઇલ-પેલેસ્ટાઇનના સંઘર્ષમાં કબજો જમાવનાર ઇઝરાઇલને મદદ કરવા અને હથિયારો આપવા હડી કાઢે છે. બે અલગ રાષ્ટ્રોના ઉકેલનું છેલ્લું અંગવસ્ત્ર પણ રહ્યું નથી. હવે જે છે તે સંપૂર્ણ, ઉઘાડેછોગ નગ્નતા છે. બાઇબલના નવા કરારમાં કહ્યું છે, જે માણસ જાગતો રહે છે અને પોતાનાં વસ્ત્રો સાચવે છે તે પરમસુખી છે. કારણ કે તેને નિર્વસ્ત્ર નહીં ફરવું પડે અને લોકો આગળ તેની એબ ઉઘાડી નહીં પડે. (નવો કરાર, દર્શન 16:15) 

1 comment:

  1. Anonymous4:50:00 PM

    Very tragic for oppressed Palestinians and humanity. We all may see very cruel escalation. 😪

    ReplyDelete