Wednesday, November 12, 2025

ત્રાસવાદ, ધર્મ અને પ્રતિકાર

ધર્મ એટલે ફરજ-નૈતિકતા-સદાચારનો સરવાળો. ટૂંકમાં, પોતે છીએ તેના કરતાં વધુ સારા બનવા માટે શું કરવું જોઈએ તેની વાત. તેમાં ઝનૂન નથી હોતું. બીજા માટેનો વેરભાવ બિલકુલ નહીં. ધર્મની આ એવી વ્યાખ્યા છે, જેના બહુ લેવાલ નથી.

ધર્મની બીજી વ્યાખ્યા છે ક્રિયાકાંડો-રીતરિવાજો-અંધશ્રદ્ધાઓ-ધર્મગુરુઓ. આ અર્થઘટન સૌથી પ્રચલિત છે. તેમાં મુક્ત વિચાર, વિવેકબુદ્ધિ, તર્ક વગેરેને ઓછું સ્થાન હોય છે કે જરાય સ્થાન હોતું નથી. ઉપરાંત, તેમાં તાર્કિક ટીકા કરનારા સામે બધાને નહીં, પણ થોડાઘણાને ગુસ્સો હોઈ શકે છે અને તેમાંથી કેટલાક હિંસક પણ બની શકે છે. આ સમુદાય સૌથી મોટો છે, પણ તેમાં બધા ગુસ્સાવાળા કે હિંસક હોતા નથી. તેમને એ રસ્તે લઈ જવા માટે તેમની ચાવી ટાઇટ કરવી પડે. તે રાજકીય સ્તરે રૂપિયાથી થાય કે ધાર્મિક સ્તરે ઉશ્કેરણીથી થાય કે બંનેના મિશ્રણથી પણ થાય.
ધર્મની ત્રીજો ફાંટો છે નેતાઓ દ્વારા થતો તેનો સગવડીયો ઉપયોગ. મુસલમાનોને કહો કે ઇસ્લામ ખતરામાં છે ને હિંદુઓને કહો કે 'વિધર્મીઓ'થી હિંદુ ધર્મને ખતરો છે. આ ફાંટામાં ધર્મના એકેય તત્ત્વનો સમ ખાવા પૂરતો પણ સમાવેશ થતો નથી. તેમાં બીજા માટેનો ધિક્કાર એ જ પોતાના ધાર્મિક હોવાની એકમાત્ર કે મુખ્ય સાબિતી છે. ધર્મના આ ફાંટાનું અસ્તિત્વ ધિક્કાર પર ટકેલું છે. આ ફાંટાવાળા બીજા પ્રકારના બહોળા સમુદાયામાંથી લોકોને પકડે છે, પલોટે છે અને તેમને ત્રાસવાદી બનાવે છે.
દિલ્હીના બોમ્બવિસ્ફોટના આરોપીમાં મુસલમાન ડોક્ટરો પણ છે. કોઈ માણસ ફક્ત ડોક્ટર હોવાને કારણે તેના વિશે ઊંચો અભિપ્રાય બંધાઈ જાય, એવું તો દાયકાઓથી થતું નથી. પણ ડોક્ટર થયેલો માણસ ધર્મના ઝનૂનમાં લોકોને મારવા કે તેમાં સાથ આપવા તૈયાર થઈ જાય, એ ભયંકર બાબત છે. અને તેને આ રસ્તે ચડાવવામાં કે તેના આ રસ્તાને બળ આપવામાં ધર્મની--એટલે કે તેની વિકૃત સમજની-- ભૂમિકા નજરઅંદાજ કરી શકાય એવી ન હોય.
વ્યક્તિગત કે પારિવારિક અન્યાયનો ભોગ બનેલો માણસ ત્રાસવાદી કૃત્ય કરે, તે માફ ન થાય એવું હોવા છતાં, તેનું કંઈક કારણ આપી શકાય એવું તો હોય છે. પરંતુ ભારત જેવા દેશમાં સામુદાયિક અન્યાયનો મુકાબલો કરવા કે એવો અન્યાય કરનારને પાઠ ભણાવવાના હેતુથી કરાતા ત્રાસવાદી હુમલા સાવ નકામા પુરવાર થાય છે, એટલું જ નહીં, તે આવો અન્યાય કરનારાના હાથ મજબૂત કરે છે. તેનાથી અન્યાય કરનાર પોતે કરેલા ભૂતકાળના તમામ અન્યાયોને અને ભવિષ્યમાં કરનારા તમામ અન્યાયોને વાજબી ચેષ્ટા તરીકે ખપાવીને, ઘણા લોકોનાં બ્રેઇનવોશ કરી શકે છે.
મને હંમેશાં એવું લાગતું હતું કે લાદેન અને જ્યોર્જ બુશ જુનિયર એકબીજાના વિરોધી નહીં, પૂરક હોય છે--અને આપણા જેવા લોકો એ બંનેના વિરોધી અને એ બંનેથી પીડિત. એટલે, ત્રાસવાદી હુમલો થાય ત્યારે ભોગ બનેલા પ્રત્યે સંપૂર્ણ લાગણી રાખીને, ત્રાસવાદને અક્ષમ્ય ગણીને, તેનો પ્રતિકાર કરવો પડે. પણ પ્રતિકાર એટલે શું?
પ્રતિકારનું એક સ્તર સત્તાવાર છે. વહીવટી તંત્રની કામગીરી અને પક્ષીય હિત વિનાની સરકારી કામગીરી. તે અનિવાર્ય હોવું જોઈએ. બીજું સ્તર રાજકીય (પક્ષીય) છે--એટલે કે, ત્રાસવાદની ઘટનાનો પણ પોતાના ફાયદામાં મહત્તમ રાજકીય કસ કાઢીને પોતાનો એજન્ડા આગળ ચલાવવો. સમાજમાં ફેલાયેલા ધ્રુવીકરણને દૃઢ બનાવવું. આ સ્તર ત્રાસવાદી હુમલા જેટલું જ ખતરનાક હોય છે. કારણ કે, તે માણસને અંતિમવાદી બનાવવાની દિશામાં પ્રેરી શકે છે અને સમાજમાં અસુખ-અજંપો ફેલાવે છે તે અલગ.
ત્રીજું સ્તર આપણા જેવા સામાન્ય લોકોનું છે. તેમણે બીજા સ્તરની જાળમાં આવી ગયા વિના, પહેલા સ્તરે બરાબર કામ થાય અને તામઝામભર્યું જોણું કરવામાં પહેલા સ્તરની જવાબદારીનો ઉલાળીયો ન થઈ જાય, તેનું ધ્યાન રાખવું પડે. સાથોસાથ, એ પણ વિચારવું પડે કે ત્રાસવાદની ઇમારત જે પાયા પર ખડી કરવામાં આવી તે ધાર્મિક ધિક્કારથી આપણે છેટા રહેવું કે તેને હોંશે હોંશે અપનાવી લેવો.
આપણા હાથમાં આપણો પ્રતિભાવ છે. તેમાં પહેલા, સત્તાવાર સ્તરે સખ્તાઈથી કામ લેવાય તેને સમર્થન અને બીજા સ્તર સાથે તેની ભેળસેળ ન થાય તેની સાવચેતી--એ બંને જરૂરી છે. થોડા મુસલમાન ધર્મના નામે હિંસા કે ત્રાસવાદ આચરે તેમાં ઇસ્લામની બદનામી થવી અનિવાર્ય છે, જેમ રાજકીય હિંદુત્વમાં સરવાળે હિંદુ ધર્મની બદનામી થાય છે. એવા સંજોગોમાં સૌ પોતપોતાના ધર્મનું સાચું, લખાણના આરંભે ઉલ્લેખેલું સ્વરૂપ સાચવે, એ જ પ્રાથમિકતા લાગે છે.

Monday, November 10, 2025

ઉપમાઃ નાસ્તો કે ભોજન?

ચીન, મેક્સિકો, ઇટાલી જેવા દેશોની ખાણીપીણીએ ગુજરાતી ભોજનરસિયાઓ પર કામણનાં આક્રમણ કર્યાં તે પહેલાં દક્ષિણ ભારતીય વાનગીઓ મોભાનું સ્થાન ભોગવતી હતી. ત્રણ-ચાર દાયકા પહેલાં બહાર જઈને ઢોંસો ખાવો, એ ઇટિંગ આઉટનો એટલે કે બહારની ખાણીપીણીનો પર્યાય હતો. કોઈ દક્ષિણ ભારતીય કે દક્ષિણની પરંપરાથી પરિચિત જણ અગાઉનું વાક્ય વાંચશે તો તે ભડકો થઈ ઉઠશે. કારણ કે, દક્ષિણમાં તે વાનગીને દોસા કે દોસ્સા કહેવામાં આવે છે. ગુજરાતીઓને તેનો સ્વાદ તો અનુકૂળ આવ્યો, પણ ઉચ્ચાર જરા મોળો લાગતો હશે. એટલે તેમણે વાનગી ખાતાં પેટ ભરાય તેનાથી પણ પહેલાં, વાનગીનું નામ બોલવાથી મોઢું ભરાઈ જાય, એ માટે નામ પાડ્યું, ઢોંસા. ઉત્તપ્પમ કે અપમની તરાહ પર કોઈએ ઢોંસમ્ નથી કર્યું એ જ ગનીમત.

પ્રકાશ ન. શાહનો કોપીરાઇટ ધરાવતી એક રમૂજ પ્રમાણે, એક સંશોધકે જાહેર કર્યું કે મહાકવિ કાલિદાસ દક્ષિણ ભારતના હોવા જોઈએ. કોઈએ તેના દાવાનો આધાર જાણવા માગ્યો ત્યારે તેનો જવાબઃ સંસ્કૃતમાં કહ્યું છે ને, ઉપમા કાલિદાસસ્ય. આમ તો આ પ્રકાશભાઈની રમૂજ હતી, પણ ઓસ્ટ્રેલિયાનું નામ અસ્ત્રાલય હોઈ શકે, તો કાલિદાસ દક્ષિણી પણ કેમ ન હોઈ શકે? આમ પણ, ભારતે તક્ષશીલા-નાલંદા યુનિવર્સિટીનો વારસો ક્યાંય પાછળ છોડીને વોટ્સએપ યુનિવર્સિટીનો ચીલો પકડ્યો છે, ત્યારથી ઇતિહાસની વાત કરવામાં રાજદ્રોહ લાગવાનું કે આઇટી સેલમાં હોદ્દેદાર બની જવાનું જોખમ સમાયેલું હોય છે.

એટલે વાત ફક્ત ઉપમાની. ઇડલી-દોસા (ઢોંસા) બહાર જઈને ખાવાની વાનગી, તો ઉપમા ઘરે બનાવાતી ચીજ. પહેલાં તેનું લોકપ્રિય ગુજરાતી નામ હતું તીખો શીરો. તે નામ સફેદ મેશ જેવું પરસ્પર વિરોધી (વદતોવ્યાઘાત) લાગતું હતું. કદાચ એ જ કારણે તેની નવીનતા અને વિશેષતા પણ ઊભી થઈઃ ગળ્યો શીરો તો સૌ કોઈ બનાવે, આ તીખો શીરો છે, તીખો. ઉપમા નાસ્તો કહેવાય કે ભોજન, તે વિશે જેટલાં પેટ, તેટલા અભિપ્રાય છે. કેટલાક લોકો ઉપમાને ભોજન ગણવાના ઉલ્લેખ માત્રથી તાડુકીને કહે છે,ઉપમા સરસ આઇટમ છે. સારી લાગે. ભાવે, પણ ખાવામાં?’ પછી તે એવી તુચ્છકારસૂચક ચેષ્ટા કરે છે, જેનો અર્થ થાય, તમારી સાથે વાત શરૂ કરી, એ જ ભૂલ થઈ.

આવા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે ત્યારે તે માનવતાનો હવાલો આપતાં કહેશે કે જેમને સરખું ખાવા જોઈતું હોય તેમને ગમે તેટલી ઉપમા ખવડાવો તો પણ તેમનું પેટ ન ભરાય. એટલે ભોજનમાં ઉપમા આપવી તે હકીકતમાં માણસને ભૂખ્યો રાખવા બરાબર છે અને ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે તો શું થશે તે હવે બધાને ખબર છે—કશું નહીં થાય, ભૂખ્યો જન કોઈ પક્ષ કે નેતાની ઉશ્કેરણીના રવાડે ચડીને હુલ્લડખોરી કરશે અથવા કોઈકની ઉશ્કેરણીનો ભોગ બનશે અને લાઠી-ગોળી ખાઈને પેટ ભરી લેશે.

ઉપમાની વાત લાઠી-ગોળી સુધી પહોંચેલી જોઈને ઉપમાપ્રેમીઓ ખળભળી ઉઠશે. કેમ કે, તે ઉપમાને શ્રેષ્ઠ આહાર માને છે. તેમની માન્યતાના સમર્થનમાં તે યુટ્યુબ પર ફાટી નીકળેલા આરોગ્યનિષ્ણાતોની જેમ, ઉપમા કેવી રીતે સૌથી આરોગ્યપ્રદ હોઈ શકે છે, તેમાંથી કયાં ફાયદાકારક તત્ત્વો મળશે ને કયાં નુકસાનકારક તત્ત્વો નહીં મળે તેની વાતો વિજ્ઞાનના આધારો આપીને કરશે.

દલીલ ખાતર તેમની વાત સાચી માનવામાં આવે તો પણ, એક મહત્ત્વની સચ્ચાઈ તે ભૂલી જાય છેઃ ભોજનપ્રીતિ અને ભોજનપસંદગીનો સંબંધ વિજ્ઞાન સાથે નહીં, મનોવિજ્ઞાન સાથે વધારે હોય છે. આરોગ્યઘેલા થઈને પોતાનું શારીરિક અને બીજાનું માનસિક આરોગ્ય બગાડી શકતા આરોગ્યપ્રેમીઓને બાદ કરતાં, સામાન્ય-સ્વસ્થ લોકો કેલરી ગણીગણીને અને પોષક તત્ત્વો વીણી વીણીને ભોજન કરતા નથી. તેમને માટે સ્વાદ અને જથ્થો બંનેનું મહત્ત્વ હોય છે. એવા વર્ગ માટે ઉપમાને ભોજન ગણવી, તે ફિલ્મફેર એવોર્ડને ઓસ્કાર એવોર્ડ ગણવા જેવું લાગી શકે.

કેટલાક કદરદાનો ઉપમાની સાહિત્યિકતા પર ફીદા હોય છે. તે કહે છે,વાનગીઓનાં બીજાં નામોની સરખામણીમાં ઉપમા નામ જ કેટલી મધુર અનુભૂતિ પેદા કરે છે. તેનામાં સાહિત્યનો રણકાર છે. અમને તો ઉપમા ઉપ મા જેવી લાગે છે—જેમ ઉપરાષ્ટ્રપતિ હોય, ઉપપ્રમુખ હોય એમ ઉપમા. તેનાથી માની રસોઈની અને માની યાદ આવી જાય છે.

ઉપમા બનાવતી વખતે તેમાં મરચાના ટુકડા, મીઠો લીમડો વગેરે અનેક એવી ચીજો નાખવામાં આવે છે, જે સ્વાદ માટે જરૂરી, પણ ખાઈ જવાની હોતી નથી. એટલે ઉપમા ચમચીમાં ભરતાં પહેલાં, તેમાંથી આ બધી બિનજરૂરી સામગ્રી દૂર કરીને ઉપમાને ચોખ્ખી કરવી પડે છે. તે પ્રક્રિયા ભાષા-સાહિત્યના કેટલાક પ્રેમીઓને પ્રૂફરીડિંગ જેવી લાગે છે. જેમ લખાણમાંથી ભૂલોરૂપી કાંકરા દૂર કર્યા પછી તે છાપવાલાયક બને છે, તેમ ઉપમાનું પણ પ્રૂફરીડિંગ કર્યા પછી જ તે ખાવાલાયક બને છે અને યોગ્ય રીતે તેનું પ્રૂફરીડિંગ ન થાય તો મરચું ચવાઈ જવાનો સંભવ રહે છે.

આટલા વર્ણન પરથી કોઈ રખે માને કે ઉપમા એક તકરારી કે સાહિત્યિક ગૂંચ ધરાવતી ખાદ્યસામગ્રી છે. હકીકતમાં તે બીજી ઘણી ચીજો કરતાં સાત્ત્વિક અને પૌષ્ટિક છે. તકરાર તો ફક્ત તેને ભોજન ગણવી કે નાસ્તો, તેની જ હોઈ શકે છે. તે ચર્ચામાં પડવાને બદલે, જમવા બેસીએ ત્યાં સુધી ઉપમા ચાલશે—એવી સમાધાનકારી ભૂમિકા પર આવી ગયા પછી, બંને પક્ષો ઉપમાનો પૂરો આનંદ લઈ શકે છે.