Saturday, May 09, 2026

ઝેરનો પ્રતિકાર

 નરેન્દ્ર મોદીના ભક્તોને ચાલુ વર્તમાનકાળમાં વસવું પડે છે. કારણ કે થોડા જ દૂરના ભૂતકાળમાં જતાં જુમલાઓના ને ભ્રષ્ટ-ગુનાઇત બેશરમીના ખડકલા ધડાધડ બહાર નીકળવા માંડે છે.

નરેન્દ્ર મોદીના વડાપ્રધાન બન્યા પહેલાંના સંખ્યાબંધ વિડીયોમાં તેમણે પછીથી વડાપ્રધાન તરીકે લીધેલા નિર્ણયોની ટીકા સાંભળી શકાશે, પણ ના... ભક્તો ત્યારે પણ હોંશે હોંશે છેતરાયા હતા ને આજે પણ હોંશે હોંશે છેતરાય છે. ત્યારે રવાડે ચડીને છેતરાયા હતા ને આજે આંખ સામે દેખાતી અસલિયત નજરઅંદાજ કરીને છેતરાય છે.
તેનો તાજો દાખલો આજે ટ્વિટર પર ચાલેલી સુવેન્દુ અધિકારી વિશેની મોદીની જૂની વિડીયોનો છે. તેમાં મોદી લાંચ લેતાં રંગેહાથ પકડાયેલા અને ત્યારે મમતા બેનર્જીના સાથીદાર એવા સુવેન્દુ અધિકારીની બરાબર ટીકા કરે છે અને એ પણ તેમના ખાસ, સડકછાપ અંદાજમાં. સાદા ગુજરાતીમાં જેને 'કૂદી કૂદીને' કહી શકાય એવી રીતે.
--અને આજે એ જ મોદી એ જ સુવેન્દુને બંગાળના મુખ્ય મંત્રી બનાવે છે ને ડાહી ડાહી વાતો કરે છે. ત્યારે ભક્તોએ શું કરવાનું? મમતા બેનરજી કેટલાં ખરાબ છે અને એક સમયે સુવેન્દુ તેમના માણસ હતા, તેની પર ફોકસ કરવાનું. તટસ્થતાની વાતો કરવાની અને 'તમે તો મોદીની પાછળ પડી ગયા છો'--એવી લાઇન ચલાવવાની.
આટલો અંધાપો રાજકીય સ્વાર્થ ધરાવતા લોકોમાં હોય તો તેને સ્વાર્થઅંધતા કહેવાય, પણ સ્વાર્થઅંધતા કરતાં વિચારઅંધતા અને ધિક્કાર-અંધતા ઘણી વધારે ખતરનાક છે. કેમ કે, તેની અસરો ફક્ત રાજકારણ પૂરતી સીમિત ન રહેતાં સમાજમાં ઝેર પ્રસારે છે અને છેક મૂળીયાં સુધી પહોંચી જાય છે. તેનો અનુભવ આપણે કરી રહ્યા છીએ.
કેટલાક લોકો માને છે ને એવી ચિંતા પણ કરે છે કે હું મોદીને ધિક્કારું છું ને ચોવીસે કલાક તેમની ટીકા કરવામાં ગાળું છું. એવા લોકોને આશ્વસ્ત કરવા માટે કહી દઉં કે હું તેમની નીતિઓનો, જૂઠાણાંનો, સડકછાપ વક્તવ્યોનો, દેશને ડૂબાડતાં તેમનાં કશી દીર્ઘ કે સાદી દૃષ્ટિ વગરનાં પગલાંનો, ભયંકર (વેપનગ્રેડ) આત્મમુગ્ધતાનો, ધિક્કારને રાજ્યાશ્રય આપવાની રસમનો, તેમના છીછરાપણાનો અને હળહળતા દંભનો, રાજાબાબુ-એડિટ્યુડનો આકરો ટીકાકાર છું, પણ તેમના માટે મનમાં ધિક્કાર નથી. તેમણે દેશને અને સમાજને ભરપાઈ ન થઈ શકે એટલું નુકસાન પહોંચાડ્યું છે એવું પૂરતી હકીકતો સાથે માનું છું. છતાં, તેમના વિશે મનમાં ઝેર નથી. કારણ કે, એવો ધિક્કાર-એવું ઝેર સરવાળે મને જ મારી નાખે. તેમના વિશેના અભિપ્રાયો મારી વિચારસૃષ્ટિનો એક નાનો હિસ્સો છે, પણ તેમના પ્રેમીઓને મારી આખી વિચારસૃષ્ટિમાંથી ફક્ત એટલું જ દેખાય છે અથવા એટલું જ યાદ રહે છે. (તે સિવાય મારા મનોજગતમાં બીજું શું શું છે, તેની એક જ ઝલક લેવી હોય તે મારો બ્લોગ અથવા 'મારી પત્રકારત્વ-લેખનની સફર' પુસ્તક જોઈ શકે છે. )
બીજી તરફ, ઘણાખરા પ્રગટ ભક્તો ઝેરના વેપારી થઈ ગયા છે. સીધાંસાદાં મૂલ્યોની વાત, માનવતાની વાત, સહઅસ્તિત્વની વાત તેમનાથી ખમાતી નથી. તેના ઉલ્લેખમાત્રથી તે ઝેરની ઉલટીઓ કરવા માંડે છે. તેમને લાગે છે કે માનવતાનાં મૂલ્યોની વાત થશે તો આટલા દાયકાઓની મહેનતથી ઊભો કરેલો ને મોટો થયેલો ધિક્કાર ને વેરઝેરનો માંચડો પાછો ફસકી પડશે. એટલે એવી વાત કરનારા લોકો પર ટ્રોલિંગથી માંડીને બીજીત્રીજી રીતે દબાણ કરીને તેમને ચૂપ કરાવવા મથે છે.
અને પ્રચ્છન્ન ભક્તો.
તેમને પૂરેપૂરું સમજાતું નથી અથવા પોતાની ભક્ત-અવસ્થા તે પૂરેપૂરી સ્વીકારી શકતા નથી. એટલે તે 'અમારે તો તમારા જેવું નથી. અમે તો મોદીની મુદ્દાઆધારિત ટીકા કરીએ છીએ'--એવી દલીલ કરીને જાતને આશ્વાસન આપે છે, પણ રોજેરોજ તેમના સાહેબની મુદ્દાઆધારિત ટીકા થાય ત્યારે, 'આ તો હદ કરે છે' એવું તેમને રોજેરોજ વાજબી ટીકાના મુદ્દા પૂરા પાડનારા મોદી વિશે નહીં, પણ એ મુદ્દે મોદીની ટીકા કરનારા લોકો વિશે થાય છે. મુદ્દા ખોટા છે, એવું તે કહી શકે એમ નથી. એટલે પછી તે બીજી ભળતી દલીલો કરે છે. એ તેમના પ્રચ્છન્ન ભક્ત હોવાનું લક્ષણ છે. (ભક્ત શબ્દ આકરો લાગે તો તે પોતાને પ્રેમી કે સમર્થક પણ ગણી શકે છે.)
એવા સંજોગોમાં, ઝેરનાં વાવેતર, ઝેરની ખેતી, ઝેરની ફસલ ને ઝેરનો વેપલો કરનારાઓ સાથે જીભાજોડી કરવા પણ તેમની દુકાને ઊભવું નહીં ને આપણા બારણે નજરે પડે તો પોતપોતાની પ્રકૃતિ પ્રમાણે તેમને રવાના કરવા અથવા અવગણવા.
ઝેરીલા લોકો સાથે સંવાદની મહત્ત્વાકાંક્ષા મેં તો છોડી દીધી છે. તેમના ઝેરથી સલામત રહેવું એને જ પ્રાથમિક કર્તવ્ય ગણ્યું છે. તમે પણ તેમના ઝેરથી અળગા ને સલામત રહો એવી શુભેચ્છા.

Tuesday, May 05, 2026

બંગાળવિજયના વિશ્લેષણમાં અપાયેલાં કારણો અને હકીકત

બંગાળમાં ભાજપની જંગી જીતનાં ઉત્સાહી વિશ્લેષણોમાં અપાયેલાં મુખ્ય કારણો અને સંબંધિત હકીકત.
1. લોકો મમતાની ગુંડાગીરીથી કંટાળી ગયા હતા.
- મમતા બેનરજીની ગુંડાગીરી જાણીતી છે. તેનાથી લોકો કંટાળે એ ચોક્કસ એક કારણ હોઈ શકે. પરંતુ ગુંડાગીરીથી કંટાળેલા લોકો મોદી-શાહને પસંદ કર? અને તેમનો આટલાં વર્ષોનો રાજ્યોનો અને કેન્દ્રનો રેકોર્ડ સદંતર ન જુએ?
2. મમતા બહુ ભ્રષ્ટાચારી છે.
- એકેય નેતાના ભ્રષ્ટાચારી ન હોવા વિશે બાંહેધરી આપી શકાય એવું રહ્યું નથી. એક સમય હતો જ્યારે મમતા ભૂરી પટ્ટીની સ્લીપર પહેરીને ફરતાં હતાં ને સામાન્ય ઘરમાં રહેતાં હતાં. પછી તો હુગલીમાંથી બહુ પાણી વહી ગયાં. પરંતુ વાંધો મમતાના ભ્રષ્ટાચાર સામે હોય તો તેનો વિકલ્પ રાષ્ટ્રીય સ્તરે અને રાજ્યના સ્તરે ભ્રષ્ટાચારના તમામ રેકોર્ડ તોડનાર ભાજપ હોઈ શકે?
3. લોકોને વિકાસ જોઈએ છે અને મમતા વિકાસવિરોધી છે.
- મોદીની ભાજપે અપનાવેલું વિકાસનું મોડેલ હવે આટલાં વર્ષે ઉઘાડું પડી ગયું છે. ખુલ્લી આંખે જોઈ શકતા કોઈ પણ માણસને સમજાય કે પહેલાં લોકોની સુવિધા માટેનાં કામ થતાં હતાં અને તેમાં ભ્રષ્ટાચાર થતો હતો, જ્યારે હવે તોતિંગ અને અભૂતપૂર્વ સ્તરનો ભ્રષ્ટાચાર કરવા માટે અનિવાર્ય આડપેદાશ તરીકે વિકાસનાં કામ ઊભાં કરવામાં આવે છે, અને તેનો અમલ કેવો થાય છે, એ તો તેની ગુણવત્તા પરથી સ્પષ્ટ છે.
વર્ષ 2014માં ગુજરાતબહારનું કોઈ સામાન્ય માણસ કહે કે અમે વિકાસ માટે મોદીને મત આપ્યો, તો તેની દલીલ સમજી શકાય, પણ 2026માં નિષ્ફળ વિદેશ નીતિ, નિષ્ફળ અર્થનીતિ,તોતિંગ ભ્રષ્ટાચારની અનિવાર્ય પેદાશ તરીકે ઊભી થતી માળખાકીય સુવિધાઓનું અણઘડ આયોજન, લોકોની સુવિધાને બદલે પોતાના જયજયકારને કેન્દ્રમાં રાખીને થતા વેનિટી પ્રોજેક્ટ--આ બધા પછી પણ મોદીના વિકાસના વાવટા ફરકાવવા માટે ને વિશ્લેષણોમાં તેને આગળ કરવા માટે જબરી બેશરમી જોઈએ.
5. મોદીની યોજનાઓ અને વચનોની સામાન્ય લોકો પર બહુ અસર થાય છે.
- શક્ય છે, પણ ચૂંટણી વખતે ચૂંટણીપંચની રહેમનજર તળે, સત્તાવાર સરકારી લાંચ તરીકે જાહેર કરાતી આ યોજનાઓના અમલનો ઇતિહાસ કોઈ નહીં જોતું હોય? જોકે, હકીકત એ પણ છે કે મુખ્ય ધારાનાં પ્રસાર માધ્યમોમાં એ બધાને સાવ ઓછું સ્થાન મળે છે.
6 .મમતા મુસલમાનતરફી છે ને એ જીતશે તો બંગાળમાં ઉર્દુ બોલાતું થઈ જશે.
- મમતા મુસલમાનતરફી છે એ સાબીત કરવું અઘરું પડી શકે, પણ ભાજપ મુસલમાનવિરોધી છે અને ડોગવ્હિસલિંગ કરવામાં--મુસલમાનો સામે સરેઆમ ઉશ્કેરણી ફેલાવવામાં--અતિશય ઉત્સાહી છે, એનો લાંબો ઇતિહાસ અને વર્તમાન છે. તેને પ્રતિસાદ મળે અને તેના લીધે મતોમાં ફાયદો થાય, ત્યારે વિશ્લેષકોએ તેને સ્ટ્રેટેજી કે ચાણક્યનીતિ તરીકે વધાવવાનું હોય કે ચિંતા વ્યક્ત કરવાની હોય?
7. મમતાની આપખુદશાહી ભારે પડી.
-- અને લોકોએ મમતાની આપખુદશાહીથી કંટાળીને મોદી-શાહની ભાજપને મત આપ્યો. 😃 😃 😃
8. મમતાના લાંબા સમયના શાસનથી લોકો કંટાળી ગયા હતા. એટલે સત્તાપક્ષવિરોધી લાગણી- એન્ટીઇન્કમ્બન્સી-એ કામ કર્યું.
- બરાબર. એ લાગણી તો ફક્ત વિપક્ષોની સરકારને જ નડે. કારણ કે, ભાજપની સરકારોમાં તો સુશાસનનો પાર નથી. (જીતના વરઘોડામાં જોડાઈને નાચવાનું ચાલુ કરી દીધા પછી હકીકત ગૌણ બની જાય છે અને કંઈ પણ કહી શકાય છે.)
9. ભાજપના કાર્યકરોએ બહુ મહેનત કરી. અમિત શાહે જોરદાર આયોજન કર્યું.
- આ બંને બાબતો સાચી, પણ અમિત શાહના 'આયોજન'ની વિવિધ દિશાઓ અને પદ્ધતિઓ વિશે પણ પ્રકાશ પાડવાનો કે નહીં?
*

ચૂંટણીપંચ અને અદાલતની સંદેહાસ્પદ ભૂમિકા તથા લાખો મત કપાઈ ગયાની વાત જે વિશ્લેષણમાં પૂરા વજન સાથે ન આવતી હોય અને સાહેબલોકનો, તેમની વ્યૂહરચનાનો, તેમના વક્તૃત્વનો, તેમના આયોજનનો, તેમની રણનીતિનો, તેમની મહેનતનો ગણીગણીને, વીણીવીણીને જયજયકાર થતો હોય, તેને વિશ્લેષણ ન કહેવાય. શું કહેવાય તે અલગથી કહેવાની જરૂર નથી. 

Monday, May 04, 2026

આજનાં અને અગાઉનાં પરિણામો વિશેઃ કેટલીક જમીની હકીકતો

કેન્દ્રમાં અને રાજ્યોમાં શાસનના આટલા લાંબા ગાળામાં સુશાસનનું ઠેકાણાસરનું એકેય કામ કર્યા વિના, અને કુશાસનનાં કામોની લાંબીલસરક યાદી હોવા છતાં, ભાજપ એક પછી એક રાજ્યોમાં ચૂંટણીઓ જીત્યા જ કરે, જીત્યા જ કરે. તેના કારણ તરીકે તટસ્થતાના વહેમમાં ભીંત ભૂલતા વિશ્લેષકો કે સરકારી પત્રકારો-વિશ્લેષકો અમિત શાહના મહાન મેનેજમેન્ટની આરતી ઉતારે તેનાથી ભોળવાઈ જતા નહીં.


જે લોકો કહે કે ભાજપને જીતાડનારા લોકોએ વર્તમાન કુશાસનને જાકારો આપ્યો છે, તેમની વાત પણ યથાતથ માની લેતા નહીં. કારણ કે, કુશાસનના પુરવાર થયેલા રેકોર્ડની બાબતમાં ભાજપ નંબર વન છે. એટલે, કોઈ પ્રજા માત્ર ને માત્ર મમતાના કુશાસનથી કંટાળીને ભાજપને આવી રીતે જીતાડે અને તેમાં બીજી કશી ગોલમાલ ન હોય, એવું માનવા બહુ ભોળપણ જોઈએ.

શાંતિથી વિચારતાં ફક્ત આજનાં જ નહીં, છેલ્લા ઘણા સમયનાં પરિણામો માટે કોઈ એક નહીં, અનેક કારણ જવાબદાર લાગ્યાં છે. કોઈ ચોક્કસ ક્રમ વિના, એવાં થોડાં કારણોની યાદી.

1. ચૂંટણીપંચનો પક્ષપાત.
બીજાં બધાં કારણ પછી. આ કારણ સૌથી પહેલું મુકવું પડે. ચૂંટણીપંચ અને ખાસ કરીને મુખ્ય ચૂંટણી કમિશનર સામે પાયાદાર અને ગંભીર આરોપો હોવા છતાં, તેમણે એ મુદ્દે તદ્દન ઉડાઉ વલણ દાખવ્યું છે અને પછી તો તટસ્થતાનો દેખાવ કરવાનું પણ છોડી દીધું છે.

વોટચોરીમાં એક ફોટા પર અનેક નામ કે બનાવટી નામોનો ઉમેરો, બનાવટી નામો પકડી પાડતા સોફ્ટવેરનો સગવડ પ્રમાણે ઉપયોગ કે બિનઉપયોગ, સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) દ્વારા અમુક (મુખ્યત્વે ભાજપને પ્રતિકૂળ એવા ભારતના મુસ્લિમ) નાગરિકોનાં નામની બાદબાકી અને નામોનો ઉમેરો-બાદબાકી કરવાની સત્તાનો અપારદર્શક ઉપયોગ—આ ચૂંટણીપંચનાં મુખ્ય પાપ છે. ચૂંટણી પહેલાં સત્તાપક્ષ તરફથી છડેચોક સરકારી રાહે અપાતી લાંચ વિશે ચૂંટણીપંચે કદી વાંધો પાડ્યો નથી. તે તટસ્થ રહેવામાં અને દેખાવામાં, બંને મામલે નિષ્ફળ ગયું છે.

પરંતુ આ સરકારે કાયદો બદલીને ચૂંટણી કમિશનરને વર્તમાનમાં કે ભવિષ્યમાં કોઈ પણ કાયદાકીય કાર્યવાહી સામે અભયદાન આપી દીધું છે. એટલે મુખ્ય ચૂંટણી કમિશનર પણ એવી જ રીતે વર્તે છે. ગૃહ મંત્રી અમિત શાહના ખાસ માણસ તરીકે જાણીતા જ્ઞાનેશકુમારના રાજમાં ચૂંટણી દરમિયાન ભાજપ દ્વારા અનેક વાર થતા આચારસંહિતાના ભંગની કદી નોંધ લેવાતી નથી. તેમની અનેક ગતિવિધિઓ સામે પ્રશ્નાર્થ ઊભા થવા છતાં, તેમણે અણીદાર પ્રશ્નો ઉડાડી દેવાનું કે તેને ટેકનિકાલિટીની ચાદર તળે વલણ દાખવ્યું છે. કારણ કે, તેમને ઉપરના આશીર્વાદની ખાતરી છે. સરકાર કે ન્યાયતંત્ર કોઈને તેની ઊંડી, તલસ્પર્શી અને તટસ્થ તપાસ કરવામાં રસ નથી.
આને અમિત શાહનું મહાન મેનેજમેન્ટ કહેવાતું હોય, તો આપણે કંઈ કહેવાનું નથી.

2. ન્યાયતંત્ર
ન્યાયતંત્રનું નક્કી નહીં. તેને જાગવું હોય ત્યારે જાગે. નહીં તો ન જાગે. ક્યારેક જાગે અને એવું પણ કહી દે (જેમ બંગાળમાં કહ્યું) કે અમુક લાખ લોકો એક ચૂંટણીમાં મત નહીં આપી શકે તો શું ખસી જવાનું છે? આવતી ચૂંટણીમાં મત આપશે.
અને પછી એવું પણ કહી દે કે જે ચૂંટણીનાં પરિણામોમાં જીતનો તફાવત SIRમાં કપાયેલા મતના તફાવત કરતાં ઓછો હોય, તે પરિણામો અમે કન્સીડર કરીશું.
તેનું ગુજરાતી શું થાય, એ તો હવે બંગાળનાં પરિણામોની વિગતવાર માહિતી પછી સમજાશે.

3. કેન્દ્ર સરકારી એજન્સીઓ
અમિત શાહ અને તેમના સાહેબ મન થાય ત્યારે, મન થાય તેની પાછળ કેન્દ્રીય એજન્સીઓને છૂટી મૂકી દે. માણસને જેલમાં ખોસી દે અને તેમનું કામ પૂરું થઈ જાય, પછી પેલો ભાઈ (કે બહેન) નિર્દોષ સાબીત થઈને છૂટી જાય. બહાર આવી જાય. પણ ત્યાં સુધીમાં બધું પૂરું થઈ ગયું હોય. પ્રણય રોય (એનડી ટીવી)થી માંડીને તૃણમૂલ કોંગ્રેસનું પ્રચારતંત્ર સંભાળનાર સંસ્થાના વડા સુધીના આવા અસંખ્ય દાખલા મોજૂદ છે, જેમાં માત્ર ને માત્ર સરકારનો રસ્તો સાફ કરવા માટે લોકોને જેલમાં પુરી દેવાયા હોય ને કામ પૂરું થઈ ગયા પછી તે બહાર આવી જાય.આને વ્યૂહરચના કહેવાતી હોય તો સરકારી તંત્રનો દુરુપયોગ અથવા સરકારી રાહે ગુંડાગીરી કોને કહેવાય?

4. જૂઠાણાં, કુપ્રચાર અને ઉશ્કેરણી
‘ખાડિયા પાકિસ્તાન બની જશે’થી માંડીને ‘બંગાળમાં ઉર્દુ બોલાતું થઈ જશે’—એવી કોમવાદી ઉશ્કેરણી વિના ભાજપના નેતાઓને ચેન ન પડે. તેમનું ઝેરીલાપણું એટલું કે બાંગલાદેશમાં પણ ઉર્દુ નહીં, બંગાળી બોલાય છે એ જાણવાની તસ્દી ન લે. ગમે તેમ કરીને મુસલમાનોને લઈ આવવાના, બાર-બાર વર્ષથી પોતાનું રાજ હોવા છતાં, દરેક રાજ્યમાં મુસલમાન ઘૂસણખોરોની બીક બતાવવાની (ત્યારે કોઈ તેમને પૂછે નહીં કે તમે એવું કેવું રાજ કરો છો કે હજુ ઘૂસણખોરી ચાલુ છે?), હિંદુઓને ખતરો છે એવું ખોટેખોટું વાતાવરણ ઊભું કરવાનું, બીજાં રાજ્યોમાં પોતાના શાસનનો જે ધબડકાપૂર્ણ રેકોર્ડ છે તેનાથી સદંતર અવળા દાવા ને વાયદા કરવાના (જેમ કે, મહિલાઓની ગરિમા અને સુરક્ષા). પછી ભક્તો તથા તેમના પાળેલા પત્રકારો હોંશે હોંશે, કશા વિશ્લેષણ વિના, આ બધાનો પ્રચાર આગળ વધારે અને વાતાવરણ બનાવે.
વડાપ્રધાન પણ તેમના પદની ગરિમાને વધુ એક વાર અને વારંવાર નેવે મુકીને બધો વખત (વિદેશપ્રવાસ ન કરતા હોય ત્યારે) ચૂંટણીપ્રચાર જ કરતા હોય. તેના માટે સરકારી મશીનરીનો બેફામ, બેરોકટોક દુરુપયોગ થાય અને તેની કશી નોંધ સુદ્ધાં ન લેવાય. તે સાવ બાળબોધી એવાં નાટકો કરે ને આત્મમુગ્ધતાનાં નવાં નવાં શીખરો સર કરે. પરંતુ સોશિયલ મિડીયાને બાદ કરતાં, મુખ્ય ધારામાં એ બધાનું કશું મહત્ત્વ નહીં.

5. ખરીદવેચાણસંઘ
જ્યાં ચૂંટણીઓ હોય ત્યાં ડરાવી-ધમકાવીને, દરોડા પડાવીને શક્ય એટલા વિપક્ષી નેતાઓને પોતાની બાજુ ખેંચવા કોશિશ કરવાની. એ શક્ય ન બને તો પછી અઢળક રૂપિયા બતાવવાના. ભાજપની સરકાર પાસે રૂપિયાનો તોટો નથી. સરકારી રૂપિયાના હિસાબ મળતા નથી અને અમુક હજાર કરોડની રકમના તોતિંગ ગોટાળાની સંભાવના વિશે ‘કેગ’ જેવું ‘કેગ’ ધ્યાન દોરે છે, પણ 2014 પહેલાં જે ‘કેગ’ના શબ્દો પરથી સરકાર હાલી જતી હતી, તે ‘કેગ’નું હવે કોઈ સાંભળતું નથી.
આ ઉપરાંત ગોઠિયા ઉદ્યોગપતિઓની નાણાંકોથળી તો ખરી જ. એટલે, ચૂંટણી પહેલાંથી માંડીને ચૂંટણી જીત્યા પછીના કોઈ પણ તબક્કે, ખરીદવેચાણ અને ધાકધમકી વાપરીને વિપક્ષી નેતાઓને ખેરવી લેવાય છે અને સમર્થકો તો ઠીક, ઘણા વિશ્લેષકો પણ આને ભાજપની આવડત ગણાવે.

6. કશું બાકી ન રાખવું
ભાજપની નેતાગીરીની એક ખાસિયત છે કે આગળ જણાવેલું બધું કર્યા પછી પણ તે નિરાંત અનુભવતી નથી અને તેમના હાથમાં હોય ત્યાં સુધીનું બધું સંજોગો પર છોડવાને બદલે, તેની પર સંપૂર્ણ કાબૂ મેળવવાનો પ્રયાસ છેલ્લી ઘડી સુધી ચાલુ રાખે છે. આવું ઝનૂન હકારાત્મક બાબતમાં હોય તો બહુ ઉપયોગી નીવડે—અને ભાજપ માટે તે ઉપયોગી નીવડે છે પણ ખરું. પરંતુ તટસ્થ દેખાવાની લ્હાયમાં ઘણા વિશ્લેષકો ભાજપની જીતનું બહુ મોટું શ્રેય આ એક જ મુદ્દાને આપીને, તેમનું ભોળપણ અથવા ભક્તિ અથવા વહેણ સાથે વહેવાની વૃત્તિ અથવા આ બધું છતું કરે છે.

7. વિપક્ષોની મર્યાદાઓ
વિપક્ષોમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાજપના રાક્ષસી અને અબજોપતિ ચૂંટણીયંત્રને ટક્કર આપી શકે એવા કોંગ્રેસ સિવાયના ઘણાખરા વિપક્ષો વ્યક્તિકેન્દ્રી છે. અરવિંદ કેજરીવાલ, મમતા બેનરજી, અખિલેશ યાદવ, તેજસ્વી, સ્તાલિન અને બીજા. તેમનું ધ્યેય છેવટે પોતાની સત્તા ટકી રહે એટલા પૂરતું હોય છે. તેમાં વ્યાપક દેશહિતની ગણતરી બહુ પછીના નંબરે આવે છે. કોંગ્રેસ જૂનો ને ઝંખવાયેલો પક્ષ છે. તેની નેતાગીરીમાં રાહુલ ગાંધી વખતોવખત અણીદાર પ્રશ્નો પૂછે છે, પણ પક્ષની મશીનરી પર તેમનો કાબૂ નથી અને જૂનાં જામી પડેલાં ચોકઠાં ઉખડતાં નથી, તે સ્પષ્ટ છે.

નરેન્દ્ર મોદી-અમિત શાહની આગેવાની હેઠળના ભાજપ સામેનો સૌથી મોટો વાંધો મારા જેવા ઘણાને એ છે કે તેમણે દેશમાં લોકશાહી, બંધારણીય સંસ્થાઓની કાર્યક્ષમતા અને તટસ્થતા, સાવ પ્રાથમિક કક્ષાની ગરિમા, સારપ, વિનયવ્યવહાર, કેટલીક બાબતોને ચેડાંથી પર રાખવાની પરંપરા—આ બધાની ઘોર ખોદી અને તેમાં તેમને ગળા સુધી ઊભી દફન કરી દીધી છે. દેશના ફક્ત રાજકીય નહીં, સમાજજીવનમાં પણ તેમણે ઝેર રેડ્યું છે, એક દેશ તરીકે વિદેશોમાં ભારતનું સ્થાન નબળું બનાવ્યું છે, ખાડે ગયેલા અર્થતંત્રને જૂઠાણાં અને સગવડીયા આંકડાબાજીના મેકઅપથી ફુલગુલાબી ચિતર્યું છે, ધર્મને નામે ગુંડાગીરી કરતાં તત્ત્વો અને સરકારી તત્ત્વોને છૂટો દોર આપ્યો છે. આ બધી બાબતોમાં તે અગાઉના ખરાબમાં ખરાબ દાખલા કરતાં અનેક ગણા આગળ નીકળી ચૂક્યા છે.

પરંતુ વિપક્ષો માટે આ બધું એટલું મહત્ત્વનું હોય એમ લાગતું નથી. જો એવું હોત તો એ લોકો અંગત સ્વાર્થને અને સત્તાકાંક્ષાને ઘડીભર બાજુએ મુકીને, બધા સાથે એક થયા હોત અને આ રાક્ષસી તંત્રની સામે મેદાનમાં ઉતર્યા હોત. પરંતુ એવું થયું નથી. જે કંઈ દાખલા છે તે છૂટાછવાયા અને એકલદોકલ છે. તેમાં દેશની ચિંતા ઓછી ને પોતાની સત્તાની ચિંતા વધારે લાગે છે.

વિપક્ષોનું કામ જરાય સહેલું નથી. તેમને આગળ ગણાવેલાં બધાં પરિબળો નડે છે. તેમ છતાં, ધીમે ધીમે કરીને તેમણે જે રીતે જમીન સરકી જવા દીધી, તેને બદલે વેળાસર એકજૂથ થયા હોત તો સાવ આવા દિવસો ન આવત. હવે બહુ મોડું થયું છે, છતાં તે તક સાવ જતી રહે તે પહેલાં તે કંઈક કરે તો ઝાંખીપાંખી આશા રહે. સાવ ફારસરૂપ બની ગયેલી ચૂંટણીઓ લડીને, ગેરવાજબી રીતે હાર હાર કરવાને બદલે, આવી ચૂંટણીઓનો સાગમટે બહિષ્કાર કરવા જેવું પગલું પણ તે લઈ શકે. બધું તંત્ર સરકારી ક્લોરોફોર્મ સુંઘીને એટલું બેહોશીમાં જતું રહ્યું છે કે તેને અહિંસક છતાં અસરકારક રસ્તે મોટા પાયે ઢંઢોળવાનો એક જ વિકલ્પ તેમની પાસે રહે છે. છતાં, હજુ સુધી વિપક્ષોમાં આવું કોઈ સહિયારું અને દેશકેન્દ્રી ચિંતન શરૂ થયું હોય એવું જાણમાં નથી.

8. ધ્રુવીકરણ પામેલો સમાજ
મોટા પાયે ધ્રુવીકરણ પામેલા સમાજમાં મોદીભક્ત તરીકે ઓળખાતા લોકો બહુમતીમાં નથી. જે હતા તેમાંથી ખડી રહ્યા હોવાનું પણ લાગે છે. છતાં, તે જથ્થો સાવ નગણ્ય પણ નથી. એ એવો વર્ગ છે જેમને ધોળા દિવસે જોઈ શકાય એવી દેશની દુર્દશા અને દરેક ક્ષેત્રમાં (અગાઉના મુદ્દામાં વર્ણવેલી) દેશની પીછેહઠ દેખાતાં નથી. કારણ કે, તે નહીં જોવા માટે પ્રતિજ્ઞાબદ્ધ છે. તેમણે મુસલમાનવિરોધ કે મુસલમાનવિરોધી-આક્રમક-બીમાર હિંદુત્વ સાથે પોતાની એકરૂપતા સાધી લીધી છે. મોદીની ટીકા થાય ત્યારે તેમને પોતાની ટીકા થતી હોય એવું લાગે છે. તેમની સાથે સાર્થક અને તાર્કિક સંવાદની કોઈ ગુંજાશ નથી. તે ‘આયેગા તો મોદી’ની ચિચિયારીઓ પાડીને તાનમાં રહે છે. મોદીની આત્મમુગ્ધતા તેમને મહાનતા લાગે છે. તેમને મોદીની આંગળી પકડેલા કે તેમના ખભે માથું ઢાળીને ઊભેલા ભગવાન રામ મંજૂર છે, કારણ કે તેમને લાગે છે કે મોદીએ ભારતને નવેસરથી મહાનતાના રસ્તે દોર્યું છે. તેનાથી વિરુદ્ધના દરેકેદરેક પુરાવા તેમને મન દેશદ્રોહની અને ધર્મદ્રોહની નિશાની છે અને એ પુરાવા આપનારા દેશદ્રોહી-ધર્મદ્રોહી.

આઝાદ ભારતના ઇતિહાસમાં આવું આ હદે પહેલી વાર બન્યું છે, પણ દુનિયાના ઇતિહાસમાં-વીસમી સદીના ઇતિહાસમાં એવા ઘણા દાખલા છે. તે બધાના મૂળ સિદ્ધાંતો સાથે વર્તમાન સ્થિતિ બરાબર બંધ બેસે છે.
એવા સમાજો આવો શરમજનક સમયગાળો વીત્યા પછી તેના વિશે શરમ અનુભવે છે અને ભવિષ્યના વિદ્વાનો અભ્યાસ કરે છે કે આટલા મોટા સમુદાયને એવું તે શું થઈ ગયું હતું.

આપણે ત્યાં એ સમયને હજુ કેટલી વાર છે, ખબર નથી.