Wednesday, March 26, 2025
રજનીકુમાર પંડ્યાઃ મનની માયાનગરીના ભોમિયા
(ગુજરાતમિત્ર, દર્પણ પૂર્તિ, 26-3-25)
વાર્તાકળા અને માનવમનના પ્રવાહોનો અભ્યાસ જેમના રોજિંદા જીવન સાથે વણાયેલાં હતાં, એવા સાહિત્યકાર-સંગીતમર્મજ્ઞ રજનીકુમાર પંડ્યાએ 15 માર્ચ 2025ના રોજ 86 વર્ષની વિદાય લીધી. ‘ઝબકાર’ શ્રેણીમાં આવતાં તેમનાં વ્યક્તિચિત્રો-સંસ્થાચિત્રો હોય કે ‘બિલોરી’ શ્રેણીમાં પ્રગટ થયેલી તેમની કથાઓ કે પછી ‘શબ્દઠઠ્ઠા’ અને ‘તીરછી નજર’ શીર્ષકો હેઠળની હાસ્યકથાઓ—એ દરેકમાં કલ્પનાનું તત્ત્વ કેવળ કૃતિને ઘાટ આપવા જ વપરાયું હોય એવું લાગે. બાકીની બધી સામગ્રી આસપાસના જીવાતા જીવનમાંથી જોગવી શકે, એવો રજનીકુમારનો જીવન સાથેનો નિકટનો નાતો હતો.એટલે જ, સંપૂર્ણપણે કલ્પનાનો પ્રદેશ કહેવાય એવી નવલકથાઓમાં પણ રજનીકુમારે સત્ય ઘટનાઓને આધાર બનાવીને, તેની પરથી કલ્પનાની ઉડાન ભરી હતી. તથ્યો તેમની સર્જકતા માટે બેડી બનવાને બદલે કે તેમની સર્જકતાની ઉડાન રુંધવાને બદલે, પાંખમાં જોર પૂરતાં હોય એવું લાગતું હતું. તથ્યમાં ક્યાં, કેવો ને કેટલો રંગ પૂરવો એ મામલે તેમનો આંતરિક વિવેક અડીખમ રહ્યો. ક્યારેય તે લાગણીવેડામાં સરી ન ગયા. છતાં તેમનાં કેટલાં બધાં લખાણ એવાં હતાં કે જે વાંચનારમાં સમસંવેદન પ્રેરે અને તેને સાહિત્યતત્ત્વની ઉચ્ચ અનુભૂતિ કરાવે.
નાટકીય ઘટનાઓના અવિરત સિલસિલા જેવા જીવનમાં રજનીકુમાર સુખદુઃખના અંતિમો પર અને કેટલીક વાર બંને અંતિમો પર સમાંતરે ઝૂલતા રહ્યા. માણસ હતા, એટલે વ્યથિત અને હતાશ થતા, રોષે ભરાતા અને જરાસરખા અન્યાયબોધ સામે તીવ્ર પ્રતિક્રિયા આપતા હતા. પરંતુ તેમનામાં રહેલી કુદરતી બક્ષિસને કારણે, લાગણીના બધા આવેગો અનુભવ્યા પછી અને ઘણી વાર તેનાથી દોરવાયા પછી પણ, આખરે તેમાંથી તે મનના ચિત્રવિચિત્ર પ્રવાહો અને જીવનનાં ચિરંતન સત્યોનો અર્ક તારવી શકતા હતા અને તેને પોતાનાં લખાણોમાં યથાતથ ઉતારી શકતા હતા.
અનેકરંગી જીવનમાં મળેલાં અવનવાં પાત્રોમાંથી સાહિત્યિક મૂલ્ય ધરાવતો ઘટક તારવીને, તેને સાંધા કે રેણ વિના કૃતિમાં પરોવવાની તેમની ફાવટ ગજબની હતી. તેમનાં લખાણોમાં ભભરાવેલી ફિલસૂફી કદી ન મળે, પણ જિંદગીના ઉતારચઢાવની વચ્ચે વ્યક્ત થતી રહેતી ઉદાત્તતા, અધમતા અને તેની વચ્ચેનાં લક્ષણોની આખી રેન્જ તેમના લખાણને અનોખું પરિમાણ આપતી હતી. તેમના એક સ્નેહી પુસ્તકોના જબ્બર પ્રેમી અને સંગ્રાહક. ઝટ પુસ્તક વાંચવા ન આપે અને આપે તો તેની સાચવણીની કેટલીય સૂચનાઓ આપે. એક વાર રજનીભાઈએ તેમની કસોટી કરવા પૂછ્યું,’તમારી બધી વાત બરાબર, પણ ધારો કે આ પુસ્તક મારાથી ખોવાઈ ગયું તો?’ પેલા ભાઈએ ક્ષણના પણ વિલંબ વિના, એકદમ શાંતિથી કહ્યું,’ગયું તો ગયું.’ રજનીભાઈના મનના અમર્યાદ ડેટાબેઝમાં સંઘરાયેલી આ વાત ‘કુંતી’ નવલકથામાં હરિરાજ સ્વામીના પાત્રાલેખન દરમિયાન ઉભરી આવી અને એક સ્વસ્થ-રેશનલ સન્યાસીની સ્વસ્થતા દર્શાવવા માટે પ્રયોજાઈ હતી.
લગભગ અઢી દાયકા પહેલાં એક શીઘ્રકોપી સંગીતપ્રેમી મિત્ર સાથે રસ્તે ચાલતાં કોઈ મુદ્દાની ચર્ચામાં ગરમાગરમી થઈ. પેલા મિત્ર તેમની લાક્ષણિકતા પ્રમાણે એકદમ ઉશ્કેરાઈ ગયા અને ઝનૂનથી રજનીભાઈની ફેંટ પકડી. તે પ્રસંગની વાત કરતાં રજનીભાઈએ કહ્યું હતું,’તેમણે મારી ફેંટ પકડી હતી, ત્યારે હું તેમના ચહેરાના હાવભાવ જોતો હતો અને તેમના મનમાં શું ચાલતું હશે, તે સમજવાનો પ્રયત્ન કરતો હતો.’
માણસના મનમાં ઊંડે, તેના સબકોન્શ્યસમાં ચાલતા ઘણા પ્રવાહ એવા હોય, જે બહાર આવે તો બહુ વસમું પડી જાય. રજનીભાઈ એવા પ્રવાહોને પારખીને, જરાય ન્યાયાધીશની ભૂમિકામાં આવ્યા વિના, ફક્ત માણસ અને જીવન વિશેની સમજના ભાગરૂપે તેને પોતાની કૃતિઓમાં લાવી મુકતા હતા. એટલે જ, વાર્તાકળામાં રજનીકુમાર જેમને ગુરુ માનતા હતા તે મહંમદ માંકડે એક વાર તેમને એ મતલબનું લખ્યું હતું કે ‘તમે બહુ ક્રૂર છો. માણસને આખો ને આખો ઉઘાડો કરી નાખો છો.’
એક ઉદાહરણઃ મિત્રનું આકસ્મિક મૃત્યુ થતાં માણસ સાચેસાચા શોકમાં ડૂબી જાય છે અને વિચારે છે કે ગામલોકોને આટલા કરુણ સમાચાર તે શી રીતે આપશે. પરંતુ ગામે પહોંચીને તેને ખ્યાલ આવે છે કે રસ્તામાં એક સાઇકલસવાર સાથે થયેલી વાત પછી, એ સાયકલસવાર ગામમાં પહોંચીને સમાચાર આપી ચૂક્યો છે. ત્યારે મિત્રના મૃત્યુનો સાચો શોક ઘડીભર બાજુ પર હડસેલાઈ જાય છે અને કંઈક વ્યગ્રતાથી તે ગામલોકોને કહે છે, ‘તમને ભલે પેલા સાયકલવાળાએ કહ્યું હોય, પણ એને તો આ સમાચાર મેં જ આપ્યા હતા.’ આ પ્રકારની, સહેલાઈથી કોઈ ખાનામાં મુકી ન શકાય એવી માનસિકતાનું આલેખન માણસોના વાચનમાંથી આવતું હતી. સાથોસાથ, આ વાત કહેવા માટે તે જે પાત્રોની સૃષ્ટિ, વર્ણનો અને બોલીનો ઉપયોગ કરતા હતા, તે પણ અત્યંત આસ્વાદ્ય અને મૂળ હાર્દ સાથે એકરૂપ-એકરસ બની જતાં હતાં.
માનવમનના ઊંડા અભ્યાસી હોવા છતાં, સ્વભાવગત મદદરૂપ થવાની વૃત્તિ અને ભલમનસાઈને કારણે કેટલાય લોકોથી તે છેતરાતા હતા. ઘણી વાર થતું કે તમે તો માણસના ફોટોની સાથોસાથ તેનો એક્સ-રે પણ જોઈ લેનારા. તમારી સાથે આવું કેમ થાય? પરંતુ લાંબા સહવાસને કારણે જવાબ પણ જાતે જ મળી જતો હતોઃ માણસને વાંચી લેવાની શક્તિ કુદરતી બક્ષિસ હતી અને જાતે ઘસાઈને બીજાને મદદરૂપ થવાની વૃત્તિ એ તેમની પ્રકૃતિ. તેમાંથી મોટે ભાગે પ્રકૃતિનો વિજય થતો હતો. તેના કારણે અંગત ઘા તેમણે ઘણા વેઠ્યા, પણ વાચકોને જે મળ્યું, તેની ગુણવત્તા પર કશી અસર ન પડી. જીવનના છેલ્લા અઠવાડિયા સુધી લખતા રહ્યા અને તેમના જીવનના લગભગ અઢી દાયકાના એક ખંડની આત્મકથાનું લખાણ પૂરું કરીને તે ગયા.
Thursday, March 13, 2025
મોદી-ટ્રમ્પ સંવાદ
થોડા વખત પહેલાં વડાપ્રધાન મોદી અમેરિકાની મુલાકાતે જઈ આવ્યા અને નવેસરથી અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ટ્રમ્પને મળી આવ્યા.આ વાક્યરચનાથી કોઈને ‘હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલીએ હાથ દઈ આવ્યો’—એવી કહેણી યાદ આવે, તો તેને કેવળ સંયોગ ગણવો. ટ્રમ્પ બેફામ અને આડેધડ બોલવા માટે તથા એ બંને વિશેષણોને લાયક એવાં જૂઠાણાં બોલવા માટે જાણીતા છે. એ તો ગિનેસ બુકવાળા ‘ડીપ સ્ટેટ’ના (દેશોની સરકારોને નુકસાન પહોંચાડે એવી ગુપ્ત કાર્યવાહી કરનાર ટોળકીના) માણસો છે. એટલે, રેકોર્ડ બુકના વિવિધ વિભાગોમાં જૂઠાણાંનો વિભાગ રાખ્યો નથી. તેમને થતું હશે કે રેકોર્ડ બુકમાં જૂઠાણાંનો પ્રકાર ઉમેરવામાં આવે તો સર્વોચ્ચ હોદ્દે રહીને સૌથી વધુ જૂઠું બોલવા બદલ આ મહાનુભાવો સહેલાઈથી જીતી જાય. અલબત્ત, બંને વચ્ચે હરીફાઈ થાય અને શક્ય છે કે ટ્રમ્પ 100 મીટર તેમ જ 200 મીટરનાં જૂઠાણાંના રેકોર્ડ તોડે, તો તેમના ભારતીય મિત્ર 10 કિલોમીટરના મેરેથોન જૂઠાણાંના રેકોર્ડમાં અતૂટ વિક્રમ સ્થાપી દે.
મોદી ટ્રમ્પના ખાસમખાસ મિત્ર છે એવી (વધુ એક ખોટી) છાપ મોદીપ્રચારકોએ અગાઉ ઉભી કરી હતી. મોદી ટ્રમ્પને મોદી સ્ટેડિયમમાં લઈ આવ્યા હતા અને અમેરિકામાં એક સભામાં તેમણે ‘અગલી બાર...’નો નારો આપ્યો હતો, જે ઓડિસન્યમાંથી ‘ટ્રમ્સ સરકાર’ના નાદ સાથે પૂરો થયો હતો. ટ્રમ્પ હજુ એટલા નમ્ર છે કે મોદીએ સરદાર સ્ટેડિયમને મોદી સ્ટેડિયમ નામ આપી દીધું એવી રીતે, ટ્રમ્પે અમેરિકામાં લિંકન મેમોરિયલને ટ્રમ્પ મેમોરિયલનું નામ આપ્યું નથી અને ત્યાં મોદીનો તમાશો કર્યો નથી. બંનેની દોસ્તી વિશે ટીવી ચેનલો અને સોશિયલ મિડીયા પર એવી છાપ ઊભી કરવામાં આવી હતી, જાણે મોદી ને ટ્રમ્પ વડનગરમાં જોડે ગિલ્લીદંડા રમ્યા હશે. પરંતુ મોદીની ગઈ મુલાકાત દરમિયાન ટ્રમ્પ અને મોદી વચ્ચેનું સમીકરણ જોતાં, ટ્રમ્પ અત્યારે મોદી સાથે ગીલ્લી-દંડા નહીં, ફક્ત દંડા દંડા રમ્યા હોય એવું લાગે છે.
મોદીનો ટ્રમ્પ માટેનો પ્રેમ કેવો હશે કે ભારતમાં દસ વર્ષના શાસનમાં જે તેમણે કદી નથી કર્યું એ બહાદુરીભર્યું, હિંમતભર્યું, વીરરસપ્રધાન કામ તેમણે અમેરિકાની ધરતી પર કર્યુઃ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારના સવાલના જવાબ આપ્યા. ભલે ટેલીપ્રોમ્પ્ટરની મદદ લીધી, ભલે જવાબ કંઈક ભળતો આપ્યો. પણ આપ્યો તો ખરો. પત્રકાર પરિષદમાં તેમ જ ટ્રમ્પ અને તેના ગોઠિયા મસ્ક સાથે વાત કરવામાં નરેન્દ્ર મોદીને ભાષાની તકલીફ નડે એ સમજાય એવું છે. દુભાષિયા એ દુભાષિયા. માતૃભાષામાં ગબડાવવાની જે મઝા આવે, તેનો અંગ્રેજી અનુવાદમાં શો સ્વાદ રહે? અને ટ્રમ્પ જોડે ધરાર હિંદી કે ગુજરાતીમાં બોલવા જતાં, તે અમેરિકામાં હિંદી કે ગુજરાતી બોલવા પર ટેરિફ નાખી દે તો?
સવાલ એ નથી કે મોદીને સડસડાટ અંગ્રેજી આવડતું હોત તો શું થાત. કલ્પનાનો વિષય એ છે કે ટ્રમ્પ અને મસ્કને ગુજરાતી આવડતું હોત, તો વડાપ્રધાન મોદી સાથેનો તેમનો સંવાદ કેવો ચાલ્યો હોત?
*
ટ્રમ્પઃ આવો, આવો, બાળનરેન્દ્ર.
મોદીઃ (સમજણ ન પડવાથી ગુંચવાય છે અને બીજું કંઈ ન સૂઝતાં હસે છે)
ટ્રમ્પઃ અરે, હું તો મજાક કરતો હતો. મને કોઈકે કહ્યું કે બાળનરેન્દ્ર તરીકે તમે બહુ પરાક્રમો કર્યાં હતાં. મગરનું બચ્ચું ઘરે લઈ આવ્યા હતા. એ વખતના મગરનું બચ્ચું ઘરે લઈ આવવા બદલ તમારા દેશમાં કેટલો ટેક્સ હતો?
મોદીઃ (શો જવાબ આપવો એ વિચારે છે અને ત્યાં સુધી ટાઇમપાસ કરવા કહે છે) અમારો દેશ તો વસુધૈવમ કુટમ્બકમ એ સિદ્ધાંત પ્રમાણે ચાલે છે. માણસ હોય કે મગર, અમે કોઈનો પણ અમારા રાજકીય ફાયદા માટે ઉપયોગ કરી શકીએ છીએ. અમારે ત્યાં તો બાળકો મગરથી નથી બીતાં, પણ સરકારી રેઇડથી બીએ છે. એ વખતે મારું રાજ હોત તો મગરના બચ્ચા પર 18 ટકા જીએસટી નાખ્યો હોત.
મોદીઃ હા, એવું જ સમજોને. આવા સવાલોમાં તો જીભે ચડે તે જવાબ અને એક વાર અપાયેલા જવાબને પછી વળગી રહેવાનું, એવી સ્પષ્ટ સૂચના આપેલી જ છે.
ટ્રમ્પઃ એક વાત તો છે. તમારે ત્યાં પ્રેસનું બહુ સુખ છે. મને ઘણી વાર એવું થાય છે કે કાશ હું ભારતનો વડાપ્રધાન હોત.
મોદીઃ લે કર વાત. મને ઘણા એવું કહે છે કે તમે તો અમેરિકાના પ્રમુખ થાવ એમ છો. કહે છે કે તમે ને ટ્રમ્પ વૈકલ્પિક સત્યો ઉચ્ચારવામાં એકબીજાની હંફાવો એમ છો.
ટ્રમ્પઃ તેમ છતાં, મારે ત્યાં પ્રેસ હજુ પૂરેપૂરું ગોદી મિડીયા બન્યું નથી.
મોદીઃ (વિજયી સ્મિત સાથે) એના માટે તમારે મસ્ક નહીં, અમારા અમિતભાઈ જોઈએ.
ટ્રમ્પઃ ઓહ યસ, મેં પણ સાંભળ્યું છે એમના વિશે. આપણે ટેરિફની વાત થઈ પછી મને પણ કોઈએ કહ્યું હતું કે હમણાં થોડા દિવસ મોર્નિંગ વોક માટે ન જતા...બોલો, કરવી છે અદલાબદલી? તમે મને અમિત આપો ને હું તમને મસ્ક આપું.
મોદીઃ (હસતાં હસતાં) ના ભાઈ ના. મસ્કનું મારે શું કામ છે? તેમની હારોહાર ઊભા રહી શકે એવા એક નહીં, બબ્બે મારી પાસે છે—અને એ તેમનાં છોકરાં ને છોકરાંની આયાઓને લઈને મારી ઓફિસમાં નથી આવી પડતા.
(એ સાંભળીને ટ્રમ્પ ઊભા થઈ જાય છે અને ચીનના પ્રમુખને ફોન જોડે છે, એટલે સંવાદનો અંત આવે છે.)