Wednesday, March 29, 2017

યોગી, સ્વામી અને મહાત્મા

આઝાદ ભારતમાં મઠાધીશ કે ધર્મગુરુ સાંસદ હોય એની નવાઈ તો ક્યારની જતી રહી હતી. હવે એવા એક સાંસદ ‘યોગી’ આદિત્યનાથ બઢતી મેળવીને મુખ્યમંત્રી બન્યા છે. ભારતીય પરંપરામાં યોગનો એક અર્થ સરવાળો કે સંયોજન થાય છે ને બીજી વ્યાખ્યા પ્રમાણે, કર્મમાં કૌશલ્ય એ જ યોગ ગણાયો છે. પહેલા અર્થમાં આદિત્યનાથ યોગી નથી. કારણ કે અત્યાર લગીનો તેમનો ઇતિહાસ સંયોજનનો નહીં, વિભાજનનો છે. ભગવાધારી આદિત્યનાથના મોઢેથી અત્યાર સુધી નીકળેલાં ઘણાં વિધાન ભગવાંને કે હિંદુ ધર્મને શરમમાં મૂકે એવાં છે. (અહીં હિંદુ ધર્મની વાત થાય છે - સંઘ પરિવારે કોમી ધીક્કારના અને રાજકીય સ્વાર્થના પાયા પર ઉભા કરેલા હિંદુત્વની નહીં.) રહી વાત બીજી વ્યાખ્યાની. તેમાં કર્મની સાથે દુષ્કર્મનો સમાવેશ થાય છે કે નહીં, તે આદિત્યનાથબ્રાન્ડ હિંદુ ધર્મના સમર્થકો વધારે અધિકારથી કહી શકે.

આદિત્યનાથના હિંદુત્વનાં વધામણાં ચાલતાં હોય ત્યારે ગાંધી સ્વચ્છતાની (કચરા) ટોપલી ભેગા જ સારા. છતાં, સરકારે સ્વચ્છતાની જાહેરખબરો માટે તફડાવી લીધેલાં ગાંધીચશ્માં ભૂલેચૂકે પહેરી લઇએ તો શું દેખાય? તેમાં દેખાય કે અમેરિકા-રિટર્ન્ડ સ્વામી સત્યદેવ પરિવ્રાજક ગાંધીજીને મળવા આવ્યા છે. તેમની ધાર્મિકતા નહીં, પણ તેમનો હિંદીપ્રેમ જોઇને ગાંધીજી તેમને હિંદીપ્રચાર માટે મદ્રાસ મોકલે છે. સ્વામી સાબરમતી આશ્રમમાં આવે ત્યારે તેમના ખાવાપીવાનો ખાસ બંદોબસ્ત કરવામાં આવે છે. એક દિવસ સ્વામી આશ્રમવાસી બનવાની વાત કરે છે. ત્યારે ગાંધીજી કહે છે કે ‘આશ્રમમાં દાખલ થવું હોય તો તમારે ભગવાં કપડાં ઉતારવાં પડશે.’

સ્વામી સત્યદેવ આઘાત અને ગુસ્સાથી ધૂંઆપૂંઆ. પણ સામે ગાંધીજી છે. કોઈ પણ સંન્યાસી કરતાં વધારે સમાજલક્ષી દેશસેવક. સ્વામી કારણ પૂછે છે ત્યારે ગાંધીજી કહે છે, ‘હું સંન્યાસ છોડવાનું નથી કહેતો... આપણા દેશમાં ભગવાં કપડાં જોતાં જ લોકો તે ઓઢનારની ભક્તિ અને સેવા કરવા મંડી પડે છે. આપણું કામ સેવા લેવાનું નહીં, સેવા કરવાનું છે. આપણે લોકોની જેવી સેવા કરવા માગીએ છીએ તેવી સેવા તેઓ તમારાં આ ભગવાંને લીધે તમારી પાસે નહીં લે. ઊલટા તમારી સેવા કરવા દોડશે. ત્યારે જે વસ્તુ સેવા કરવાના આપણા સંકલ્પની આડે આવે તે કેમ રાખીએ? સંન્યાસ માનસિક વસ્તુ છે, સંકલ્પની બાબત છે. બાહ્ય પોશાક સાથે તેને શો સંબંધ? ભગવાં છોડવાથી સંન્યાસ ઓછો જ છૂટે છે?’ (‘બાપુની ઝાંખી’, કાકા કાલેલકર)

ખુદ ગાંધીજીના મોઢેથી આ વાત સાંભળ્યા પછી, સ્વામી સત્યદેવ તે સમજ્યા તો ખરા, પણ સ્વીકારી શક્યા નહીં અને આશ્રમમાં ન જોડાયા. ગાંધીજીના નિકટના સાથી અને ઉત્તમ ગુજરાતી લેખક સ્વામી આનંદ રામકૃષ્ણ મતના સંન્યાસી હતા. હિમાલયમાં ફર્યા પછી તેમને દેશની સેવામાં સાર્થકતા લાગી. એટલે તે પહેલાં લોકમાન્ય ટિળકના અને પછી ગાંધીજીની અહિંસક લડાઈના સાથી બન્યા - પણ ભગવાંનો મોહ તજીને.

હા, સંન્યાસના પર્યાય જેવા ભગવાંનો પણ મોહ હોય છે. એટલું જ નહીં, તે લાલ બત્તીવાળી કાર કરતાં વધારે હોઈ શકે છે. આદિત્યનાથના મુખ્યમંત્રીપદમાં ભગવાં કપડાં ને લાલ બત્તી - એમ બબ્બે પાવરનો સરવાળો થયો છે. હિંદુ ધર્મને બદલે સંઘપ્રેરિત હિંદુત્વની બોલબાલા થાય ત્યારે  ભગવાંધારી મુખ્યમંત્રી બને, તેમાં ઘણા લોકોને ઔચિત્યભંગ લાગતો નથી - અને વાત પાછી હિંદુ ધર્મના રક્ષણની થાય છે.
હિંદુ ધર્મની જેમ ગાયના રક્ષણના નામે- ગોવધ અટકાવવાના નામે ચાલતું રાજકારણ પણ દાયકાઓ જૂનું, બલ્કે સદી જૂનું છે અને ઉત્તર પ્રદેશ તેનું મુખ્ય કેન્દ્ર રહેલું છે. આજકાલ આદિત્યનાથની ગાયની સાથેની તસવીરો જોવા મળે છે. ગોવધ અટકાવવા અને કતલખાનાં બંધ કરાવવા માટે તેમણે લીધેલાં પગલાંનાં મથાળાં બંધાઈ રહ્યાં છે, પરંતુ ઇતિહાસકાર બિપન ચંદ્રે નોંધ્યું છે તેમ, અંગ્રેજોના રાજમાં ઇ.સ.1890ના દાયકામાં ઉત્તર પ્રદેશ-બિહારમાં ગોહત્યાવિરોધી પ્રચારઝુંબેશ ઉપાડવામાં આવી. તેનાં મૂળીયાં કોમવાદી મુસ્લિમ રાજકારણની સમાંતરે ઉભા થઈ રહેલા કોમવાદી હિંદુ રાજકારણમાં હતાં. અંગ્રેજ ઇતિહાસકાર જેમ્સ મિલે 19મી સદીના આરંભમાં ભારતીય ઇતિહાસના ધર્મવાર ભાગ પાડ્યા. તેમણે ભારતના પ્રાચીનકાળને ‘હિંદુ કાળ’ અને મધ્યયુગને ‘મુસ્લિમકાળ’ ગણાવ્યો. (બિપન ચંદ્ર લખે છે કે ભારતમાં અંગ્રેજોના શાસનકાળને મિલે ‘ખ્રિસ્તી કાળ’ તરીકે ન ઓળખાવ્યો)

1857ના સંગ્રામમાં હિંદુ-મુસ્લિમ એકતા જોયા પછી અંગ્રેજોએ કોમવાદના રાજકારણને તેમની નીતિ બનાવી દીધું. અંગ્રેજોને વહાલા થવા ઇચ્છતા ને તેમના રાજતંત્રમાં પ્રતિનિધિત્વ મેળવવા ઇચ્છતા કેટલાક મુસ્લિમ નેતાઓ અંગ્રેજોના ખોળે બેઠા. તેમને અંગ્રેજોએ હિંદુ બહુમતીની બીક દેખાડી, તો કેટલાક ઉત્સાહી હિંદુઓએ હિંદુ-મુસ્લિમ સહઅસ્તિત્ત્વને બદલે મુસ્લિમ રાજના અત્યાચારોની કથાઓ હોંશથી ઉપાડી લીધી. મુસ્લિમવિરોધને તેમણે ધર્મ બનાવી દીધો. ગાયનું રાજકારણ પણ તેમાંથી આવ્યું. ઇતિહાસકારોએ નોંધ્યું છે કે ગોવધના મામલે કેટલાક હિંદુઓ અને મુસ્લિમો વચ્ચે ઉગ્રતા અને કડવાશ વ્યાપી, ત્યારે અંગ્રેજ લશ્કરી છાવણીઓમાં બેરોકટોક ગોહત્યા થતી હતી, પરંતુ ગોરક્ષકોને તે વિશે કંઇ કહેવાનું ન હતું. કારણ કે ગોવધ તો બહાનું હતું. અસલી હેતુ મુસ્લિમવિરોધનો અને તેને શક્ય એટલી દરેક રીતે વાજબી ઠરાવવાનો હતો.
ઇતિહાસકારો નોંધે છે કે 1896 સુધીમાં ગોહત્યાનો વિવાદ ઠરી ગયો. પણ ત્યાર પછીનાં આશરે સવાસો વર્ષમાં એ વિવાદ સતત (અને સગવડે) માથું ઉંચકતો રહ્યો છે. તેમાં ક્યારેક મુસ્લિમો નિશાન બને છે તો ક્યારેક (ઉના જેવા ઘણા કિસ્સામાં) દલિતો. પરંતુ ગાયોને રખડતી રાખનારા અને તેમને રસ્તા પરનું અનિષ્ટ બનાવી દેનારા વિશે કદી ગોરક્ષકોનો રોષ જાગી ઉઠતો નથી કે ગાયોનાં ગોચર હડપ કરી જનારા નેતાઓનો ગોરક્ષાના રાજકારણમાં કદી ઉલ્લેખ થતો નથી. ‘ગોપ્રેમીઓને’ બીજાએ શું ન કરવું, તેના દંડુકા પછાડવાનું જ ફાવે છે.

પોતાની જાતને પ્રખર ગોપ્રેમી ગણતા ગાંધીજીએ ગોહત્યા, ગોરક્ષણ અને હિંદુ-મુસલમાન એકતા વિશે ઘણું લખ્યું છે.  સ્વદેશી અને ખિલાફત આંદોલન પુરબહારમાં હતું ત્યારે તેમણે લખ્યું હતું,’(ગાયને બચાવવાની બાબતમાં) આપણે મુસલમાન ભાઈઓ ઉપર જેટલું દબાણ કરવા જઇશું તેટલો વધુ ગોવધ થવાનો. તેમના પોતાના જ ખાનદાની અને ફરજના ખ્યાલ ઉપર આપણે આ બાબત છોડવામાં આપણે હાથે ગાયની ભારેમાં ભારે સેવા રહેલી છે...ગાયને બચાવવાની ખાતર સુદ્ધાં માણસને મારવા તૈયાર થવું એ હિંદુ ધર્મ નથી. હિંદુ ધર્મમાં ક્યાંય એવો વિધિ નથી. હિંદુ ધર્મમાં સ્વધર્મની ખાતર - એટલે કે જ્યાં ગોરક્ષા સ્વધર્મ છે ત્યાં ગાયની રક્ષાને ખાતર - પણ જાતે મરી છૂટવાનો જ વિધિ છે.’

ખેદની વાત એ છે કે ગોરક્ષાનું સદી જૂનું રાજકારણ ‘ન્યૂ ઇન્ડિયા’માં પણ યથાવત્ છે

Monday, March 27, 2017

ડો.પ્રાણજીવન મહેતાઃ ગાંધીજીના એકમાત્ર અને આજીવન અંગત મિત્ર

ગાંધીજીના પાંચેક દાયકા જેટલા લાંબા જાહેર જીવનમાં તેમને અનેક સક્ષમ સાથીદારો, અનુયાયીઓ, મદદકર્તા મળ્યા, પણ જેમની સાથે 'મહાત્મા' બન્યા પહેલાંથી દોસ્તીનો સંબંધ હોય અને તે આજીવન ટક્યો હોય એવા તો એક જઃ પ્રાણજીવન મહેતા./ Pranjivan Mehta અભ્યાસે ડોક્ટર અને વકીલ, વ્યાવસાયિક આવડતથી ઝવેરી, દેશ અને દેશવાસીઓના સક્રિય હિતચિંતક, રંગુન(તે વખતના બર્મા)માં 1906માં 'યુનાઇટેડ બર્મા' નામનું સાપ્તાહિક શરૂ કરનાર, ગાંધીજીમાં રહેલા ગુણ બહુ વહેલા પારખી જનાર અને તેમને આજીવન ગરીમાપૂર્ણ ઉદારતાથી મદદ કરનાર એટલે પ્રાણજીવન મહેતા.
Dr.Pranjivan Mehta / ડો. પ્રાણજીવન મહેતા

ગાંધીજી વિશે કેટલીક વાર કુતૂહલથી કે શંકાથી એવો સવાલ કરવામાં આવે છે કે ભારતમાં એ કમાતા ન હતા, તો તેમનું ઘર અને પ્રવૃત્તિ કેવી રીતે ચાલતાં હતાં? તેમનું મોટું તંત્ર અને દફતર કેવી રીતે નભતું હતું? આ સવાલો પૂછાય અને તેના જવાબ લોકોને ખબર ન હોય, તે સમાજની વિસ્મૃતિ છે ને ડો.પ્રાણજીવન મહેતાની ખાનદાની છે. કેમ કે, 1909માં દક્ષિણ આફ્રિકાથી બ્રિટન ગયેલા ગાંધીજીને ડો.મહેતા મળ્યા ત્યારે બન્ને વચ્ચે નક્કી થયું હતું કે ગાંધીજી 1911માં ભારત પહોંચી જાય. ત્યાર પહેલાં દક્ષિણ આફ્રિકામાં વકીલાતની પ્રેક્ટિસ બંધ કરે અને તેમના બહોળા સંયુક્ત પરિવારની આર્થિક જવાબદારી ડો.મહેતા ઉપાડી લે.

1911માં ગાંધીજીએ ફિનિક્સ આશ્રમના ચાલુ ખર્ચ ઉપરાંત બીજા એક હજાર પાઉન્ડની મદદ ડોક્ટર પાસે માગી. જવાબમાં ડોક્ટરે પંદરસો પાઉન્ડનો ચેક મોકલી આપ્યો. ભારત આવ્યા પછી પણ એ ગોઠવણ યથાવત્ રહી. ગાંધીજીએ સ્થાપેલા સાબરમતી આશ્રમ માટે ડો.મહેતાએ ફક્ત ઉદારતાથી જ નહીં, આત્મીયતાથી અને ગાંધીજીના-દેશના કામને પોતાનું કામ ગણીને, કીર્તિનો લોભ રાખ્યા વિના અવિરત મદદ કરી. ડો.મહેતાના જીવનકાર્યને પ્રકાશમાં આણતા તેમના જીવનચરિત્ર 'ધ મહાત્મા એન્ડ ધ ડોક્ટર’માં ઇતિહાસકાર શ્રીરામ મહેરોત્રાએ નોંધ્યું છેઃ અમદાવાદમાં આશ્રમ સ્થાપવા માટે જરૂરી તમામ આર્થિક મદદની વ્યવસ્થા કરવાની ડો.મહેતાએ ખાતરી આપી હતી.

વર્ષ 2014માં આ પુસ્તક પ્રકાશિત થયું તે પહેલાં પ્રાણજીવન મહેતાનું નામ ગાંધીજીના સંદર્ભે આદરથી છતાં સાવ અછડતું લેવાતું હતું. શ્રીરામ મહેરોત્રાલિખિત ચરિત્ર થકી ડો.મહેતાનું જીવનકાર્ય અને તેમનું  અસાધારણ પ્રદાન ઉજાગર થયાં. ગાંધીજી કહેતા હતા કે ડો. મહેતા સાબરમતી આશ્રમના 'ફક્ત સ્તંભ જ નથી. તેમના વિના આશ્રમ અસ્તિત્ત્વમાં જ ન આવ્યો હોત.’  1 જુલાઇ, 1917ના રોજ મગનલાલ ગાંધી પરના એક પત્રમાં ગાંધીજીએ લખ્યું હતું, ‘ડોક્ટરસાહેબ દર વર્ષે આપણને બે હજાર રૂપિયા મોકલશે.’ (રૂપિયાના આંકડા વાંચતી વખતે યાદ કરી લેવું કે સો વર્ષ પહેલાંની વાત ચાલે છે.)

ડો.મહેતાએ ગાંધીજીને લાખો રૂપિયાની મદદ કરી. તેમાંની ઘણીખરી અંગત સંપત્તિમાંથી અને થોડી લોકફાળા સ્વરૂપે હતી. રંગૂનના જાહેર જીવનમાં મોખરાનું સ્થાન ધરાવતા ડો.મહેતા ત્યાંના હિંદીઓ પાસેથી ફાળો ઉઘરાવીને, તેમને પણ ભારતની આઝાદીની લડત સાથે સાંકળતા હતા. દક્ષિણ આફ્રિકાથી ભારત પાછા આવ્યા પછી ગાંધીજીએ જાહેર કામ શરૂ કર્યું તે પહેલાંના પ્રવાસમાં તે પરમ મિત્ર ડો.મહેતાના મહેમાન બન્યા હતા. રંગુનમાં ડો. મહેતાએ તેમનું શાહી સ્વાગત કર્યું હતું અને તેમના માનમાં ઘણા કાર્યક્રમ યોજ્યા હતા.

દક્ષિણ આફ્રિકામાં કરેલી કામગીરીને લીધે ભારતમાં ગાંધીજીની ખ્યાતિ પ્રસરી.  છતાં તેમણે 'હિંદ સ્વરાજ' (1909) લખ્યું ત્યારે તેમાં વ્યક્ત થયેલા વિચારોને કારણે ગોખલે જેવા કેટલાકની ગાંધીજી વિશેની આશા ડગુમગુ થઈ.  ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં ગાંધી જે કરી શક્યા, તે ભારતમાં પણ થાય એ વિશે તેમને શંકા હતી. એ વખતે (1912માં) ડો.મહેતાએ ગોખલેને ગાંધીની ભલામણ કરતો પત્ર લખ્યો હતો. ગોખલે ત્યારે દક્ષિણ આફ્રિકા જવાના હતા. એટલે ડોક્ટરે તેમને લખ્યું, ‘ટૂંક સમયમાં તમારે એમને (ગાંધીને) મળવાનું અને તેમની સાથે વાત કરવાનું બનશે. તેમના વિશે આપણી વચ્ચે જે કંઇ થોડીઘણી વાત થઈ તેની પરથી મને લાગ્યું કે તમે એમનો બરાબર અભ્યાસ કર્યો નથી. મારા નમ્ર મત પ્રમાણે આવા માણસ ભાગ્યે જ પેદા થાય છે અને થાય તો પણ ભારતમાં જ. મને લાગે છે કે તેમની બરાબરીનો દીર્ઘદૃષ્ટા રાજકીય પેગંબર છેલ્લી પાંચ-છ સદીમાં જન્મ્યો નથી. તે અઢારમી સદીમાં આવ્યા હોત તો ભારતની ભૂમિ અત્યારે છે તેના કરતાં સાવ જુદી હોત અને તેનો ઇતિહાસ પણ સાવ જુદો લખાયો હોત. તેમના વ્યક્તિગત પરિચયમાં આવ્યા પછી તેમની ક્ષમતા વિશેનો તમારો હાલનો અભિપ્રાય ઘણો બદલાયો છે, એવું તમારા મોઢે સાંભળવા હું આતુર રહીશ. તેમને અંગત રીતે જાણ્યા પછી તમને તેમનામાં એવા માણસના ગુણ દેખાશે, જે પોતાની જન્મભૂમિના લોકોને ઉપર લઇ જવા માટે ક્યારેક જ અવતરે છે.’
Signature of Dr.Pranjivan Mehta in a letter / પત્રના અંંતે ડો.મહેતાની સહી

દેશની સેવા કરનારા આવા મિત્ર અને નેતા માટે ડો.મહેતાએ પોતાની નાણાંકોથળી કેવી ખુલ્લી મૂકી દીધી હતી, તેનો ખ્યાલ આપતો ગાંધીજીનો (મગનલાલ ગાંધી પરનો) વધુ એક પત્રઃ ડો.મહેતાએ આપણને આશ્રમ માટે રૂ. દોઢ લાખ આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ રૂપિયા બે વર્ષના અરસામાં જરૂર મુજબ ઉપાડી શકાશે. તે બાંધકામ માટેના છે. તેમાંથી રૂ.વીસ હજાર તમે તત્કાળ રેવાશંકરભાઈ (ડો.મહેતાના ભાઈ) પાસેથી ઉપાડી શકો છો...રૂ.દોઢ લાખની આ રકમ આપણા આત્માની પ્રાર્થનાનો જવાબ છે, એ તમારે જાણવું જોઇએ.’

ગાંધીજીના શબ્દો-અભિવ્યક્તિમાં કહી શકાય કે ફક્ત રૂ.દોઢ લાખ નહીં, આખેઆખા પ્રાણજીવન મહેતા અને તેમની દોસ્તી આત્માએ કરેલી પ્રાર્થનાના ફળ જેવા હતાં. આજીવન સમૃદ્ધિ ભોગવનાર ડો.મહેતાના છેલ્લા દિવસો બિમારી અને આર્થિક ખેંચમાં વીત્યા હતા. ત્યારે પણ વસિયતનામું કર્યું તેમાં સાબરમતી આશ્રમ માટે રૂ.6,500ની રકમ એ મૂકીને ગયા હતા. મહાદેવભાઈએ તેમના માટે પ્રયોજેલું વિશેષણ 'પ્રિન્સ ઓફ ફિલાન્થ્રોપિસ્ટ્સ’ (દિલદાર દાનેશ્વરી) ભવ્ય હોવા છતાં, ડો.મહેતાની ગુ્પ્ત મદદનો અને ખાસ તો તેમની દેશભાવનાનો પૂરેપૂરો ખ્યાલ આપનારું નથી. ગાંધીજીની જેમ જ ડો.મહેતા માટે પણ દેશ એટલે દેશના સામાન્ય લોકો. એટલે ગ્રામવિકાસ, ગૃહઉદ્યોગ અને ખેતીના વિકાસ માટે એક સ્વદેશી ફંડ હોવું જોઇએ, એવો તેમનો વિચાર હતો. તેમણે ગાંધીજીને 'ગુજરાત સ્વદેશી શરાફ મંડળ'ની યોજના મોકલી હતી, જે ગરીબોને રાહત દરે નાણાં ધીરે અને બેન્ક જેવું કામ કરે. (એ સમયે ગરીબો પાસે લોહીચૂસ શરાફો સિવાય બીજા કોઈ વિકલ્પ ન હતા.) રૂ.એક લાખનું દાન આપવાની તૈયારી સાથે તેમણે સૂચવેલી આ યોજનામાં ભૂખમરો ટાળવા માટે અનાજ ભરવાનાં ગોડાઉનની પણ વ્યવસ્થા કરવાનું આયોજન હતું. પરંતુ એ યોજના કોઈ કારણસર આગળ વધી શકી નહીં.

ડો.મહેતાએ રંગૂનની જનરલ હોસ્પિટલમાં 3 ઓગસ્ટ, 1932ના રોજ દેહ છોડ્યો. છેલ્લા દિવસો બિમારીમાં વીત્યા. એ વખતે ગાંધીજી યરવડા જેલમાં હતા, પણ તેમને રોજ ટેલીગ્રામથી તેમના એકમાત્ર પરમ મિત્રની તબિયતના સમાચાર મોકલવામાં આવતા હતા. ડોક્ટરના અવસાનના સમાચાર મળતાં ગાંધીજીએ જેલમાંથી તેમના પરિવારજનોને ટેલીગ્રામ કર્યો અને લાંબા પત્ર પણ લખ્યા. પોતાની સંપત્તિનો મોટો હિસ્સો દેશસેવામાં ખર્ચી નાખનાર ડો.પ્રાણજીવન મહેતાનું નામ ગુજરાતની દાનપરંપરામાં કે ગાંધીપરંપરામાં ક્યાંય ઝળહળતું ન જણાય, તો તેમાં નુકસાન સમાજનું છે.

Thursday, March 23, 2017

ગાંધીજીના સૌથી નજીકના છતાં સૌથી ઓછા જાણીતા રહેલા મિત્ર પ્રાણજીવન મહેતા

એક માણસ જીવનમાં કેટકેટલું બની શકે? ડોક્ટર? વકીલ? દેશહિતચિંતક? વિદેશમાં રહીને ત્યાંના જાહેર જીવનમાં મહત્ત્વનો ભાગ ભજવનાર? કોઇ યુગસર્જકનો અંગત મિત્ર? તેની અંગત તેમ જ જાહેર બાબતોની આર્થિક જવાબદારી ચૂપચાપ ઉપાડી લેનાર દાનેશ્વરી? એક મહાન પુસ્તકનું પાત્ર?

આ યાદીમાંથી એકાદ ભૂમિકા મળે તો સરેરાશ માણસનું જીવન સફળ થઈ જાય. વ્યવસાય સિવાયની ભૂમિકાઓમાંથી કોઈ એક મળે તો જીવન સફળ જ નહીં, ધન્ય થઈ જાય. પરંતુ કોઈ માણસ આ તમામ ભૂમિકાઓ એકસરખી કાબેલિયતથી અદા કરે, છતાં તે મહદ્ અંશે ગુમનામ રહે, તે શક્ય છે?

શક્ય-અશક્યનો સવાલ નથી. આમ જ બન્યું છે અને એવું જેની સાથે બન્યું તેમનું નામ છેઃ પ્રાણજીવન મહેતા. ગુજરાત વિદ્યાપીઠમાં ભણનારા તેમને 'પ્રાણજીવન છાત્રાલય' અને તેમાં એમણે 1920ના દાયકામાં આપેલા રૂ. અઢી લાખના દાનથી કદાચ જાણતા હોય. ગાંધીજીની સૌથી મૌલિક અને પ્રભાવશાળી કૃતિ 'હિંદ સ્વરાજ'ના વાચકો તેમને સવાલ પૂછનાર મિત્ર તરીકે કદાચ ઓળખતા હોય. (મિત્ર સવાલ પૂછે અને અધિપતિ જવાબ આપે એવું સ્વરૂપ ધરાવતા 'હિંદ સ્વરાજ'માં મિત્ર એટલે પ્રાણજીવન મહેતા.) મુંબઇના મણિભવનથી પરિચિત લોકો પ્રાણજીવન મહેતા અને તેમના ભાઈ રેવાશંકર મહેતા (ઝવેરી)ને એ મકાનના માલિક તરીકે જાણતા હોઈ શકે અને શ્રીમદ્ રાજચંદ્રના ભક્તજનોએ તેમનું નામ રાજચંદ્રના કાકાસસરા તરીકે સાંભળ્યું હોય.
Dr. Pranjivan Mehta / ડો. પ્રાણજીવન મહેતા
(courtesy : The Mahatma And The Doctor)

આ બધા હકીકતમાં એક લીટીના પરિચય છે. ઓળખ જેવી ઓળખ નથી. ડો.પ્રાણજીવન મહેતાના પ્રતાપી વ્યક્તિત્વને ન્યાય આપી શકે એવી તો બિલકુલ નહીં. પરંતુ હમણાં સુધી ડો. મહેતા આવી જ રીતે ઓળખાતા રહ્યા. ચીવટપૂર્વકનું દસ્તાવેજીકરણ ધરાવતા ગાંધીસાહિત્ય અને તેના આનુષંગિક અનેક પુસ્તકોમાં પણ ડોક્ટરના ઉલ્લેખ અલપઝલપથી વધારે ન રહ્યા. એટલે પૂરા કદના ચરિત્રનો નાયક બે-પાંચ લીટીઓમાં આવજા કરતો રહ્યો ને થોડા જિજ્ઞાસુઓને વધુની તલપ લગાડતો રહ્યો. આખરે એ મહેણું ભાંગ્યું ઇતિહાસના વિદ્વાન અધ્યાપક શ્રીરામ મહેરોત્રાએ. ત્રણ વર્ષ પહેલાં તેમણે પ્રાણજીવન મહેતાનું બૃહદ ચરિત્ર, દુર્લભ તસવીરો અને તેમનાં લખાણોના અંશ 'ધ મહાત્મા અેન્ડ ધ ડોક્ટર’/ The Mahatma And The Doctor શીર્ષક હેઠળ તૈયાર કર્યા. ગાંધીમાં કે ગુજરાતની અસ્મિતામાં કે ગુજરાતે પેદા કરેલાં મહાન વ્યક્તિત્વોમાં રસ હોય એ સૌ માટે અનિવાર્ય ગણાય એવું આ પુસ્તક ડો.મહેતાની ત્રીજી પેઢીના અરુણભાઈ મહેતાએ તેમના વકીલ્સ પબ્લિકેશન અંતર્ગત પ્રકાશિત કર્યું. ગયા વર્ષે તેની ગુજરાતી આવૃત્તિ થઈ છે. અલબત્ત, જિજ્ઞાસુ વાચકો અનેક દસ્તાવેજો અને ભૂલચૂક વગરનું મૂળ લખાણ ધરાવતી અંગ્રેજી આવૃત્તિ જુએ તે જ ઇચ્છનીય છે.

મોરબીમાં જન્મેલા પ્રાણજીવન મહેતા (1864-1932)ની કારકિર્દી કોઈ પણ ધોરણે અને ભણતરનો આટલો મહિમા ધરાવતા અત્યારના યુગમાં પણ અસાધારણ લાગે એવી હતી. ફક્ત 22 વર્ષની ઉંમરે તે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાંથી તે સમયે મળતી LM&S (લાયસન્સીએટ ઇન મેડિસીન એન્ડ સર્જરી)ની ડિગ્રી સાથે ડોક્ટર બન્યા. તેમાં ગોલ્ડમેડલ પણ મેળવ્યો. પછી મોરબી રાજ્યની સ્કોલરશીપ પર યુરોપ ભણવા ગયા અને બ્રસેલ્સમાંથી બે જ વર્ષમાં એમ.ડી. થયા. એ વર્ષ હતું 1889નું. કમાલની વાત એ છે કે બેલ્જિયમમાં એમ.ડી.નો અભ્યાસ કરતાં કરતાં પ્રાણજીવન મહેતાએ લંડનની મિડલ ટેમ્પલ માં બેરિસ્ટર તરીકે અભ્યાસ શરૂ કર્યો અને જે વર્ષે એમ.ડી. થયા એ જ વર્ષે બેરિસ્ટર (બાર-એટ-લો) પણ થયા.
ગાંધીજી સાથેનો તેમનો પરિચય પણ યુરોપમાં અભ્યાસ દરમિયાન થયો. ગાંધીજીએ તેમની આત્મકથામાં નોંધ્યું છે તેમ, લંડનમાં તેમને મળનાર પહેલા જણ પ્રાણજીવન મહેતા હતા. ઉંમરમાં તે ગાંધીજી કરતાં પાંચ વર્ષ  અને તેજસ્વીતામાં-દુનિયાદારીમાં તો ગાંધીજી કરતાં તે વખતે ઘણા મોટા.  19 વર્ષની કાચી ઉંમરે બેરિસ્ટર બનવા બ્રિટન ગયેલા શરમાળ મોહનદાસ પાસે ચાર-ચાર તો ભલામણચિઠ્ઠી હતી. એક  ડોક્ટર પી.જે. (પ્રાણજીવન) મહેતા પર, એક દલપતરામ શુક્લ પર, એક આગલી પેઢીના દેશનેતા દાદાભાઈ નવરોજી પર અને એક ક્રિકેટર તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા જામનગરના પ્રિન્સ રણજીતસિંહ પર.

લંડન પહોંચીને મોહનદાસ પહેલા દિવસે તો મોંઘીદાટ વિક્ટોરીયા હોટેલમાં ઉતર્યા. સાંજે જ ડો.પ્રાણજીવન મહેતા તેમને મળવા આવી ગયા. ડો.મહેતાએ ટેબલ પર મુકેલી ફરની ટોપી પર કાઠિયાવાડી યુવાન મોહનદાસે હાથ ફેરવ્યો એટલે તેનાં રૂંછાં વેરવિખેર થયાં. ત્યારે ડો. મહેતાએ ગાંધીજીને પહેલી સલાહ તો એ આપી કે 'બીજાની વસ્તુને અડવું નહીં અને ભારતમાં પૂછીએ છીએ એવા અંગત સવાલ પૂછવા નહીં.’ એ સિવાય આપેલી ઘણી શીખામણોમાં હોટેલને બદલે કોઇના ઘરે રહેવાની અને લોકોને સર નહીં કહેવાની શીખામણો ગાંધીજીએ ખાસ નોંધી છે. ડો.મહેતાએ તેમને કહ્યું હતું, 'હિંદમાં નોકરો સાહેબને સર કહે, તેવું કરવાની અહીં જરૂર નથી.’

ભૂગોળના સીમાડા અતિક્રમીને આજીવન ટકનારી વિશિષ્ટ મૈત્રીની આ શરૂઆત હતી. ડો.મહેતા ડોક્ટર-કમ-બેરિસ્ટર થઇને 1889માં મુંબઈ પાછા ફર્યા અને મુંબઇમાં પોતાના ભાઈ રેવાશંકર ઝવેરી સાથે રહેવા લાગ્યા. (ડો. મહેતા ઝવેરાતની પરખમાં પણ અત્યંત કુશળ ગણાતા હતા.)  પરદેશની ભૂમિ પર શરૂ થયેલી ગાંધી-મહેતાની દોસ્તી બે વર્ષ પછી મોહનદાસની ભારતમુલાકાત વખતે કાયમી બની. એ વખતે મોહનદાસ અને તેમના મોટા ભાઈ લક્ષ્મીદાસ પ્રાણજીવન મહેતાના ઘરે રોકાયા. આ જ મુલાકાત દરમિયાન તે શ્રીમદ્ રાજચંદ્રને પહેલી વાર મળ્યા. પચીસ વર્ષના રાજચંદ્ર આમ તો કાકાસસરા રેવાશંકર ઝવેરીની પેઢીના ભાગીદાર હતા, પણ   ગાંધી તેમના ચારિત્ર્ય અને આધ્યાત્મિક જ્ઞાનથી બહુ પ્રભાવિત થયા. આત્મકથામાં તેમણે લખ્યું છે કે 'વિવિધ ધર્મોના જ્ઞાનવેત્તાઓને પણ હું મળ્યો છું. પણ મારે કબૂલ કરવું જોઇએ કે શ્રીમદ્ રાજચંદ્ર જેટલા પ્રભાવશાળી વ્યક્તિઓ મારા જીવનમાં મેં બહુ ઓછા જોયા છે. એમની આધ્યાત્મિક પ્રતિભાની મારા ઉપર જે અસર પડી છે તે અન્ય કોઈ નથી કરી શક્યું...મારા અંતરમાં એક વાત દૃઢ થઇ કે આધ્યાત્મિક મુંઝવણ પ્રસંગે તેઓ મારા આશ્રયદાતા અને માર્ગદર્શક બની રહેશે.’

પરંતુ શ્રીમદ્ રાજચંદ્રનો પરિચય એ તો ડો.મહેતા તરફથી ગાંધીજીને મળેલી સૌથી આડકતરી ભેટ હતી. ગાંધીમાં રહેલું વિત્ત બહુ પહેલાથી પારખી ગયેલા તેમના આદિમિત્ર ડો.મહેતાની બીજી ભેટો ગાંધીજીના યુગકાર્યમાં મોટો ટેકો પૂરો પાડનારી બની રહી. તેની વિગતો આવતા સપ્તાહે.

(સુધારોઃ મૂળ લખાણમાં ભલામણચિઠ્ઠી વિશેના ઉલ્લેખમાં સરતચૂક હત, જે લેખ આવી ગયા પછી અચાનક ધ્યાને આવી હતી. તે હવે સુધારી લીધી છે.)

Wednesday, March 22, 2017

ચૂંટણીનાં પરિણામ અને 'ન્યૂ ઇન્ડિયા'

ઉત્તર પ્રદેશમાં ભવ્ય જીત પછી વડાપ્રધાને તો ઠીક, ઘણા રાજકીય સમીક્ષકોએ પણ જણાવ્યું છે કે આ પરિણામો ‘ન્યૂ ઇન્ડિયા’નો ઉદય સૂચવે છે. ભાજપને મળેલી 312 બેઠકથી ઘણા સમીક્ષકોની વિચારશક્તિ પર વીજળી પડી હોય એવું લાગે છે. વડાપ્રધાન મોદી અને ભાજપ આવો દાવો કરે તેમાં નવાઈ નથી. પરંતુ એ દાવા ગળે ઉતારવા કે નહીં, તે સમીક્ષકોએ અને નાગરિકોએ નક્કી કરવાનું રહે છે.વિરોધ પક્ષોમાં પરિણામનો સાચો અર્થ આપવા જેટલા પણ વેતા હોય એવું જણાતું નથી.

વોટિંગ મશીનનો વાંક કાઢનારા વિપક્ષો અને ‘ન્યૂ ઇન્ડિયા’ના દાવા કરનારા વડાપ્રધાન (તથા તેમના સમર્થકો)ની વચ્ચે, મતની ટકાવારી નાગરિકોને પ્રાથમિક માહિતી પૂરી પાડે છે. આ ટકાવારીથી ભાજપની જીતનો જશ કે તેનો પ્રભાવ રતીભાર ઓછાં થતાં નથી, પણ અતિશયોક્તિભર્યા દાવાની અસલિયત સહેલાઈથી ઉઘાડી પડી જાય છે. ઘણા સમીક્ષકોએ ઉત્તર પ્રદેશનાં પરિણામોને એવી રીતે રજૂ કર્યાંં કે તે વડાપ્રધાનની (નોટબંધી સહિતની) નીતિઓને મળેલું પ્રચંડ જનસમર્થન સૂચવે છે.

પ્રચંડ એટલે કેટલું?

જવાબ છેઃ 403 બેઠકોમાંથી 312 બેઠકો જેટલું, એટલે કે 78 ટકા.

પરંતુ આ અર્થઘટન સાચું નથી. મતની ટકાવારી જોતાં સ્પષ્ટ છે કે કુલ મતદાનમાંથી ભાજપને 39.7 ટકા, બહુુજન સમાજ પક્ષને 22.2 ટકા, સમાજવાદી પક્ષને 21.8 ટકા અને કોંગ્રેસને 6.2 ટકા મત મળ્યા. તેનાથી ભાજપની જીત જરાય ઝાંખી પડતી નથી ને વિપક્ષોની હાર જરાય ઉજળી થતી નથી, તેમ એ પણ સમજાવું જોઈએ કે ઉત્તર પ્રદેશના મતદારોમાંથી 78 ટકા મતદારોએ નહીં, 39.7 ટકાએ ભાજપને મત આપ્યા છે. એ મત વડાપ્રધાનની અને તેમની નોટબંધી સહિતની નીતિની તરફેણમાં હોય, તો 50.2 ટકા લોકોએ તેની વિરુદ્ધમાં (બીજા મોટા પક્ષોને) મત આપ્યા છે.

‘ફર્સ્ટ પાસ્ટ ધ પોલ’ (જેટલા હોય તેમાં સૌથી વધારે)નો નિયમ ધરાવતી ભારતની ચૂંટણીઓમાં પહેલેથી આ ગણિત ચાલ્યું છે. કોંગ્રેસનુું એકચક્રી રાજ હતું ત્યારે તેની તરફેણમાં મત આપનારા કરતાં તેમના વિરોધમાં મત આપનારાનું પ્રમાણ વધારે રહેતું હતું. ત્યારે પણ વેરવિખેર વિપક્ષોને કારણે કોંગ્રેસ ફાવતી રહી. અભ્યાસી મિત્ર સલિલ દલાલે યાદ કર્યું તે પ્રમાણે, જનસંઘના જમાનામાં અડવાણી જેવા વિપક્ષી નેતા જોરશોરથી ચૂંટણીસુધારાની અને ‘ફર્સ્ટ પાસ્ટ ધ પોલ’ની પદ્ધતિને સુધારવાની હિમાયત કરતા હતા.   અત્યારની કોંગ્રેસ ચૂંટણીસુધારાની વાતની તો ઠીક, સાદી બહુમતી મળી હોય એવાં રાજ્યોમાં સત્તા સ્થાપિત કરવાની ત્રેવડ પણ ધરાવતી નથી (જે મણિપુર અને ગોવામાં દેખાઈ ગયું)

અને માયાવતી? એ સમજવા-સ્વીકારવા તૈયાર નથી કે વાંક વોટિંગ મશીનનો નહીં, તેમની વ્યૂહરચનાનો કે પ્રકૃતિનો છે. સમાજવાદી પક્ષ સાથે તેમણે જોડાણ કર્યું હોત તો બિહારની તરાહ પર તે ભાજપને હંફાવી શક્યાં હોત. આ બોધપાઠ તેમને લોકસભાની ચૂંટણી પછી મળી જવો જોઇતો હતો. કેમ કે, ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80માંથી 71 બેઠકો પર ભાજપ જીત્યો ત્યારે 71માંથી 41 બેઠક એવી હતી, જ્યાં સમાજવાદી પક્ષ-બહુજન સમાજ પક્ષ-કોંગ્રેસને મળેલા મતનો સરવાળો ભાજપના મતો કરતાં વધારે થતો હતો. તેમાંથી પણ 29 બેઠકો એવી હતી, જ્યાં ફક્ત સમાજવાદી પક્ષ-બહુજન સમાજ પક્ષ સાથે મળીને ભાજપને હરાવી શક્યાં હોત. પરંતુ વિપક્ષોમાં એકતા અને પોતાના સ્વાર્થની પણ સમજના અભાવને કારણે ઉત્તર પ્રદેશમાં ભાજપની એવી જીત થઈ કે તે સુપર-પાર્ટી લાગવા માંડે (ભલે ત્રણ રાજ્યોમાં તે બેઠકસંખ્યામાં બીજા નંબરે હોય)

પરિણામો પછી વડાપ્રધાને તેમના હોદ્દાને છાજે એવી ભાષામાં નમ્ર બનવાની વાત કરી, તે આવકાર્ય છે. પરંતુ તેમનાં વાણીવર્તનનો વિરોધાભાસ અવગણવો અઘરો છે. એટલે જ તે ઉત્તર પ્રદેશની ચૂંટણી પછી ‘ન્યૂ ઇન્ડિયા’ની વાત કરે અને તેના પગલે સમુહગાન શરૂ થઈ જાય, ત્યારે તે રમુજી એટલું જ કરુણ લાગે છે. દાવો એવો છે કે ઉત્તર પ્રદેશમાં જ્ઞાતિનાં સમીકરણનો અને જ્ઞાતિઆધારિત રાજકારણનો અંત આવ્યો અને બધાએ નાતજાતના ભેદભાવ ભૂલીને મોદીને-ભાજપને જીતાડી દીધા. ટાઢકથી વિચારનાર કોઇને પણ સમજાશે કે જ્ઞાતિનાં સમીકરણનો-જ્ઞાતિવાદના રાજકારણનો અંત આવ્યો નથી. તેનો ચહેરો બદલાયો છે. અત્યાર લગી એ ગણિત પર માયાવતી-મુલાયમની પકડ હતી, પણ મોદી-અમિત શાહ અને તેમના બીજા વ્યૂહકારોએ વિપક્ષોને એ સરવાળાબાદબાકીમાં પછાડી દીધા છે (અને અગાઉ જણાવ્યા પ્રમાણે, વિપક્ષોએ એકજૂથ ન થઈને ભાજપને જ મદદ કરી છે.)

વિપક્ષો એટલે જ્ઞાતિવાદ-ભ્રષ્ટાચાર અને ભાજપ એટલે જ્ઞાતિવાદમુક્ત-ભ્રષ્ટાચારમુક્ત એવું સમીકરણ વડાપ્રધાન અને તેમના સમર્થકો તો રજૂ કરે, પણ બીજા લોકોએ તેનાથી અંજાઈ જવાની કે ભક્તજનોના ઉગ્ર આક્રમણથી બચાવની મુદ્રામાં આવી જવાની જરૂર નથી. મોદીસમર્થકો ઇચ્છે છે કે 312 બેઠકોના ઝળહળાટમાં બીજું કશું જોવામાં ન આવે અને એ જે દાવા કરે તે ચૂપચાપ, નીચી મુંડીએ સ્વીકારી લેવામાં આવે. પણ 312 બેઠકોથી સચ્ચાઈ બદલાતી નથી અને સચ્ચાઈ એ છે કે ભાજપે પણ જ્ઞાતિનાં સમીકરણો માંડ્યાં હતાં ને તેમાં કોમી ધ્રુવીકરણનો પૂરતી માત્રામાં વઘાર કર્યો હતો. હવે જીત્યા પછી તે આ બધું ભૂલાવીને ‘ન્યૂ ઇન્ડિયા’ની વાત કરે તે કેમ ગળે ઉતરે? બીજા લોકો તો ઠીક, જીતના મુખ્ય શિલ્પી મનાતા વડાપ્રધાન મોદી અને પક્ષપ્રમુખ અમિત શાહનાં ચૂંટણીપ્રચારનાં ભાષણની ઝલક સાંભળી જોજો. આ ‘ન્યૂ ઇન્ડિયા’ હોય તો એ ચિંતા ઉપજાવનારું છે--અને હકીકતમાં એ ‘ન્યૂ’ છે જ નહીં. એ કોપીરાઇટર વડાપ્રધાનનું વધુ એક શબ્દાળુ સર્જન છે.

આ એ ‘ન્યૂ ઇન્ડિયા’ છે, જેમાં કોંગ્રેસી સ્ટાઇલમાં રાજ્યપાલોને સાથે રાખીને ગાફેલ વિપક્ષો પાસેથી સત્તા આંચકી લેવામાં આવે છે, જ્યાં વિકાસની ઠાલી વાતો કરીને યોગી આદિત્યનાથ જેવા કટ્ટર અને ગોવધ-લવજેહાદના નામે ધર્મઝનૂન ફેલાવતા માણસને મુખ્ય મંત્રી બનાવવામાં આવે છે, જ્યાં વ્યાપમંથી માંડીને GSPCથી માંડીને ભાજપરાજમાં થતી ગેરરીતિ-ગોટાળા સહેલાઈથી વિસારે પડી જાય છે, જ્યાં ‘સ્ટાર્ટ અપ’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ જેવા નારા ખાલી ખખડે છે, સત્તાધારી પક્ષનો છાંયડો ધરાવતાં સંગઠન કોલેજ કેમ્પસથી અદાલતના પ્રાંગણ સુધી સરેઆમ ગુંડાગીરી ચલાવે છે… આ છે ‘ન્યૂ ઇન્ડિયા’?

વડાપ્રધાનના ચાહકો વિશ્લેષણની કોઈ પણ કવાયતને ‘વિજયનો અસ્વીકાર’થી માંડીને ‘ બળતરા’ જેવાં લેબલ લગાડે, એટલે એ કરવાનું છોડી ન દેવાય. તેમની મર્યાદા આપણી મર્યાદા શા માટે બનવી જોઇએ? 

Tuesday, March 14, 2017

સફેદ રંગનાં ચહેરામહોરાં


પ્રચલિત માન્યતા પ્રમાણે સફેદ રંગ એટલે સારપનું પ્રતિક. જેટલાં હકારાત્મક વિશેષણ યાદ આવે તેટલાં સફેદ રંગની સેવામાં લગાડી શકાય. સદીઓ સુધી એવું મનાતું હતું કે સફેદ એ રંગ નહીં, પણ રંગનો અભાવ સૂચવે છે. ચહેરાનો રંગ ઉતરી જાય ત્યારે એ ધોળો પૂણી જેવો થઈ જાય ને કોઈ ચીજ સફેદ હોય તો તે બેરંગ કહેવાય. શુભ-અશુભના ચિરંતન દ્વંદ્વમાં સફેદ રંગ શુભ મનાયો અને યુરોપી આક્રમણખોરી પછી સફેદ રંગ જુદી રીતે સર્વોપરી બની રહ્યો. પરંતુ મહાન વિજ્ઞાની ન્યૂટને દર્શાવી આપ્યું કે સફેદ રંગ લાગે છે એવો ‘પવિત્ર’ (કે નીરસ, જેવો જેનો વિચાર) નથી. હકીકતમાં તે મેઘધનુષ્યના સાત રંગ જાનીવાલીપીનારાનો સરવાળો છે.

સામાજિક રીતે પણ સફેદ રંગમાં કેટકેટલા રંગ જોઈ શકાય છે? ગાંધીની ખાદીનો ને સ્વેદેશીસૂચક ટોપીનો રંગ સફેદ, તો આ સફેદીને વટાવીને અઢળક કાળાં નાણાં સર્જતા ભ્રષ્ટાચારનો રંગ પણ સફેદ. શાહુકારીના દાવા કરીને થતી લૂંટ તે સફેદ લૂંટ ને હિંદી ફિલ્મના દાણચોરો-વિલનોના બૂટ પણ સફેદ. બેસણામાં શોકના દેખાડા માટે સફેદ ને જાહેર જીવનમાં સાદગીના દંભ માટે પણ સફેદ. આ બાબતમાં સફેદ એટલે જાણે કાળું ઢાંકવા માટેનો રંગ.

બેદાગ ચારિત્ર્યનું પ્રતિક સફેદ રંગ. પણ પોત જેટલું સફેદ એટલું જ નાનામાં નાના ડાઘથી ખરડાવાને પાત્ર. અંદરનો મેલ જેટલી સહેલાઈથી ઢાંકે, એટલી જ ઉતાવળથી બહારનો મેલ જાહેર કરી દે. પહેલાં સફેદ પહેરવેશથી આંતરિક ચારિત્ર્યનો દાવો થતો હતો, હવે બાહ્ય સફેદીનો મુખ્ય ઉપયોગ વોશિંગ પાવડરની જાહેરખબરોમાં થાય છે અને જે કામ ચપટીક વોશિંગ પાવડરથી થઈ જતું હોય, તેના માટે ચારિત્ર્યકેળવણી જેવી ભારેખમ વાતોમાં ક્યાં પડવું?

સફેદ એટલે ગોરું અને ગોરું એટલે ભારતીય માનસિકતા પ્રમાણે ચડિયાતું. ‘ગોરાં તો ગધેડાં પણ હોય છે’ એવી કહેવત છતાં, લોકોને ગોરા બનાવવાના ધંધામાં કંપનીઓ કંઇક કાળાંધોળાં કરે છે. ભારતીયોને ગોરાપણાનો એવો મોહ કે ફેરનેસ ક્રીમનું કરોડો રૂપિયાનું બજાર એ દેશમાં વિકસ્યું, જ્યાં ગોરી ચામડીવાળાએ બસો વર્ષ રાજ કર્યું હતું. એ વખતે ભારત માટે સફેદ ગુલામીનો રંગ પણ હતો. તેથી કહી શકાય કે આઝાદી પહેલાં (શાસકરંગ તરીકે) સફેદ કરતાં વધારે ‘કાળો’ કોઈ રંગ ન હતો.

શાંતિનાં કબૂતરોનો રંગ સફેદ, સુલેહના ઝંડાનો રંગ સફેદ, પણ એ સફેદીમાં સંતાયેલી એક કે બન્ને પક્ષોની લાચારી-મજબૂરીનો ઘેરો રંગ તરત કળાતો નથી. અસંખ્ય રંગ બતાવતો સિનેમાનો પડદો સફેદ, રાજ કપુરની ફિલ્મમાં હીરોઇનોનાં વસ્ત્રોનો રંગ સફેદ, પણ એ જ સફેદ રંગને વિશ્લેષણના પ્રિઝમમાંથી પસાર કરતાં મહત્ત્વાકાંક્ષા, મજબૂરી, મદ, વાસના, ઝાકઝમાળ, સર્જકતા, શોષણ જેવી કેટકેટલી રંગછટાઓ જોવા મળે?

ફક્ત શાંતિનો જ નહીં, ચિરશાંતિનો રંગ પણ સફેદ. કફનના કલરશેડ ન મગાય. સફેદ એટલે નિષ્પ્રાણ, ધબકારવિહોણું, ઠંડાગાર બરફ જેવું, થીજી ગયેલું – ઠરી ગયેલું. પણ હિમાચ્છાદિત પર્વતો પર પથરાયેલી સફેદ રંગની ચાદર પહાડના કફન જેવી નહીં, જૂની વાર્તાઓમાં આવતી વિધવા માએ પહેરેલા સફેદ સાડલા જેવી કરુણામય અને લાગણીભરી લાગે છે.

રંગ તો એક જ છે. તેનો શેડ તમે પસંદ કરો તે તમારો.

(ધૂળેેેટી સ્પેશ્યલ પૂર્તિનો લેખ) 

Saturday, March 11, 2017

પરિણામ પછી થોડી વાત~

એક તરફ ઉશ્કેરાટભર્યા જયઘોષ અને બીજી તરફ વાસ્તવ ન સ્વીકારવાના- તેના માટે બહાનાં શોધવાનો પલાયનવાદ-- આ સિવાયની લાગણી ધરાવતા લોકો પણ આ દેશમાં વસે છે. તેમના પ્રતિનિધિ તરીકે મહત્ત્વનાં ચૂંટણી પરિણામ સમજવાનો પ્રયાસ 


(courtesy : The Indian Express, 5:10 pm)


  • આ પરિણામો વડાપ્રધાન મોદીની પ્રચંડ જીત છે. લોકસભામાં હતી એના કરતાં પણ મોટી, કારણ કે વડાપ્રધાન બન્યાનાં આટલાં વર્ષ પછી, તેમનો રેકોર્ડ જોઇને (કે અવગણીને) ઉત્તર પ્રદેશના લોકોએ તેમને આટલા બધા મત આપ્યા છે. 
  •  લોકોએ જ્ઞાતિનાં કે ધર્મનાં બંધન (કે ભેદભાવ) ફગાવ્યા નથી, પણ સમાજવાદી પક્ષ- બહુજન સમાજ પક્ષ- કોંગ્રેસ પ્રત્યેની વફાદારીઓ ફગાવી દીધી છે. પોતે જ્ઞાતિ કે ધર્મની રૂએ કોઇ પક્ષની વોટબેન્ક નથી, એ મતદારોએ સ્પષ્ટ કરી આપ્યું છે અને નરેન્દ્ર મોદીને મત આપ્યા છે. સમાજવાદી પક્ષની વિકાસવાર્તાને બદલે તેમણે તેમણે વડાપ્રધાનની વિકાસવાર્તા પર મહોર મારી છે.  એટલે કે આ પરિણામ મા્ત્ર વિકાસ વિરુદ્ધ કોમવાદ કે વિકાસ વિરુદ્ધ જ્ઞાતિવાદનાં નહીં, વિકાસના વાયદા વિરુદ્ધ વિકાસના વાયદાનાં છે. બાકી, વડાપ્રધાન અને ભાજપના પક્ષપ્રમુખ વિકાસ સિવાયનું ન બોલવા જેવું પણ ઘણું બધું બોલ્યા જ છે. પણ લોકોએ તેને ગણકાર્યું નથી.
  • સમાજવાદી પક્ષમાં ઓછી વયને કારણે અખિલેશ યાદવ પાસે રાજકારણમાં હજી તક રહેવાની છે. માયાવતીનું રાજકારણ અપ્રસ્તુત જેવું બની ગયું છે. 2014 પછી પણ નહીં જાગેલી કોંગ્રેસનું એ જ થયું છે, જે થવું જોઇએ. હજુ સુધી ભાજપમાં ન જતા રહેલા કોઇ મજબૂત નેતાને કોંગ્રેસ આગળ કરે, તો તેના માટે લાંબા ગાળે હરીફાઈમાં ઉભા રહેવાની તક છે. બાકી, કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા પછી સમાજવાદી પક્ષની જે દશા થઈ, એ જોતાં ભવિષ્યમાં બીજો કોઈ પક્ષ રાહુલ ગાંધીની આગેવાની હેઠળની કોંગ્રેસ સાથે હાથ મિલાવવાની હિંમત નહીં કરે...અને ભાજપને તો સોનિયા ગાંધી પરિવાર સિવાયના બધા કોંગ્રેસીઓ ખપે જ છે. 
  • સામાન્ય રીતે (ગુજરાત જેવા કિસ્સામાં) યોગ્ય વિકલ્પનો અભાવ ભાજપની જીતનાં મુખ્ય કારણમાંનું એક ગણાતો રહ્યો છે. પણ ઉત્તર પ્રદેશમાં એ લાગુ પડતું નથી. ત્યાં સમાજવાદી પક્ષ જેવો મજબૂત (સત્તાધારી) વિકલ્પ હોવા છતાં, ભાજપને મત મળ્યા છે--અને અત્યારના અહેવાલો પ્રમાણે, એ મત ભાજપી ઉમેદવારોને નહીં, પણ વડાપ્રધાન મોદીને મળ્યા છે. 
  • છેલ્લા શ્વાસ ભરતી કોંગ્રેસે પંજાબમાં આમઆદમી પક્ષને પાછળ પાડીને અકાલી દળ- ભાજપ પર જીત મેળવી છે. તેના કારણે દિલ્હીની બહાર--અને ખાસ તો રાષ્ટ્રિય સ્તરે-- ભાજપને થોડી ટક્કર આપવાની આમઆદમી પક્ષની મહત્ત્વાકાંક્ષા ખીલતાં પહેલાં જ રૂંધાયેલી જણાય છે. 
  • કનુભાઈ કળસરિયા હોય કે ઇરોમ શર્મિલા, ભપકાબાજીના રાજકારણ-ચૂંટણીકારણમાં તેમનું ફાવવું અઘરું ને અઘરું બનતું જાય છે-- ભલે તેમનું કામ કે તેમની પ્રતિબદ્ધતા ગમે તેટલાં સાચાં હોય.
  • ચૂંટણીવિજય લોકસ્વીકૃતિ સૂચવે છે. લોકસ્વીકૃતિ પાછળનાં અનેક કારણ હોય છે. લોકસ્વીકૃતિ મળી એટલે વાજબી ટીકાના બધા મુદ્દા અપ્રસ્તુત થઇ ગયા, જેણે ટીકા કરવી હોય તે દેશ છોડીને જતા રહે--એવું કહેવા-સમજવાની જરૂર નથી. કટોકટી ઉઠાવ્યા પછીનાં બે-અઢી વર્ષમાં ઇંદિરા ગાંધી ફરી ચૂંટાઈ આવે, તેનાથી કટોકટીનાં પાપ ટળી જતાં નથી અને આવાં ભારે પાપ છતાં લોકસ્વીકૃતિ (અનેક કારણોસર) મેળવી શકાય છે, એવું ઇતિહાસ શીખવે છે. 

વડાપ્રધાન મોદીના ટેકેદારોને-સમર્થકોને અભિનંદન અને
સાદા ટેકેદારોને બદલે ભક્તની હરોળમાં આવતા જનો કદીક નાગરિક તરીકે 'વિકાસ' પામે એવી શુભેચ્છા. 

Tuesday, March 07, 2017

સચ્ચાઈનું સેલઃ ભારે ડિસ્કાઉન્ટ, શરતો લાગુ

દૂધના વધેલા ભાવ, પેટ્રોલ-એલપીજીનો ભાવવધારો, ડોલર સામે રૂપિયાના ગગડેલા ભાવ, સરહદપારનો ત્રાસવાદ, કાશ્મીર સમસ્યા, ચીનની દાંડાઈ, વિદેશમાં ઠલવાયેલાં કાળાં નાણાં, બેરોજગારી... સમસ્યાઓની આ અછડતી યાદી 2014 સુધી કોંગ્રેસી શાસનની નિષ્ફળતા સૂચવતી હતી.

2014માં શાસન બદલાયું, પણ 2017માં સમસ્યાઓની એ યાદી નથી બદલાઈ. હા, એ યાદી ભણી જોવાની ઘણાની દૃષ્ટિ બદલાઈ છે. હવે દૂધના ભાવ વધે તેમાં સરકાર બિચારી શું કરે? આંતરરાષ્ટ્રીય સ્તરે બેરલદીઠ ક્રૂડના ભાવમાં પ્રચંડ ઘટાડો થયો હોય, છતાં ઘરઆંગણે પેટ્રોલ-ડીઝલના ભાવ ન ઘટે, તો પણ વાંધો પડતો નથી. કાશ્મીર સળગતું રહે ને જવાનો પર સતત હુમલા થતા રહે તો? સરકારે એક વાર સર્જિકલ સ્ટ્રાઇક તો કરી. એવી કાર્યવાહી વારેઘડીએ થોડી થાય? ચીન સંયુક્ત રાષ્ટ્રસંઘમાં ધરાર આડું ફાટે અને મસુદ અઝહરને આતંકવાદી જાહેર ન કરવા દે... તો એ ડિપ્લોમસીનો મામલો છે. (પાકિસ્તાન-ચીન ગાંઠે નહીં તેમાં તત્કાળ કશું ન થાય એ બરાબર છે, પણ એ દરેક સરકાર માટે સાચું હોય.) ડોલર સામે રૂપિયાના ભાવ 2014થી ચડતી ગતિ જ દેખાડે છે. પરંતુ હવે વ્યાપક નાણાકીય ચિત્ર જોવાનો મહિમા છે. એ બરાબર છે, પણ એ સત્ય સરકાર પ્રમાણે બદલાઈ ન શકે.

કહેવાનો અર્થ એ જરાય નથી કે આ સરકાર કામ નથી કરતી. એ કામ કરે જ છેે, પણ પ્રચારપડદા હટાવીને જુઓ તો, આગળની સરકાર પણ કામ કરતી જ હતી. તેમની વચ્ચેનો સૌથી મોટો તફાવત હોય તો એ આક્રમક પ્રચાર અને આત્મવિશ્વાસભર્યાં જૂઠાણાંનો છે. બાકી, ગામડાં સુધી એલપીજી પહોંચાડવાથી માંડીને વડાપ્રધાનની કેટલીક યોજનાઓના અમલમાં કેન્દ્રીય સ્થાન ધરાવતા આધારકાર્ડથી માંડીને મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના જેવી વર્તમાન સરકારની કેટલીક મહત્ત્વની બાબતો અને કામગીરી અગાઉની સરકારનો વારસો છે. પરંતુ જશતત્પર અને જૂઠું બોલવાનો છોછ ન ધરાવતા વડાપ્રધાન પાસેેેેથી કદી એવું સાંભળવા નહીં મળે.

ચૂંટણી પહેલાંના દાવા પ્રમાણે, વિદેશમાં અબજો નહીં, ખર્વો (ટ્રિલિયન્સ)નાં કાળાં નાણાં ઠલવાયેલાં હતાં અને છ મહિનામાં તે ભારતમાં આવીને અર્થતંત્રને ન્યાલ કરવાનાં હતાં. નવી સરકારના શાસનમાં સર્વોચ્ચ અદાલતે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેટિવ ટીમ (SIT) રચી હતી. તેના ઉપાધ્યક્ષ જસ્ટિસ પસાયતે ગયા સપ્તાહે આપેલા નિવેદન પ્રમાણે, અત્યાર સુધીમાં રૂ.70 હજાર કરોડ રૂપિયાનું કાળું નાણું શોધી કઢાયું છે. તેમાંથી રૂ.16 હજાર કરોડની ભાળ વૈશ્વિક સ્તરે (પનામા લીક્સ દ્વારા, સરકારની કોઈ કમાલ વિના) બહાર આવેલી માહિતીથી મળી છે. અલબત્ત, કેટલાક અહેવાલમાં એવું સૂચવાયું છે કે સરકારની વિવિધ યોજનાઓ થકી આ કાળું નાણું બહાર આવ્યું છે. આમ, કાળું નાણું મળ્યું છે, પણ ચૂંટણી પહેલાં ઊભા કરાયેલા ચિત્ર કરતાં ઘણું ઓછું.

જૂના વારસા ઉપરાંત વડાપ્રધાનેે કેટલાક મૌલિક પહેલ પણ કરી છે. પરંતુ તેમાં જ્વલંત સફળતાના સરકારી દાવા ભારોભાર અવિશ્વાસ ઉપજાવનારા અને સચ્ચાઈથી બહુ દૂર જણાયા છે. જેમ કે, સ્ટાર્ટ અપ ઇન્ડિયા. વડાપ્રધાને વહેતા મૂકેલા ઘણા બઝવર્ડ (નવા ચલણી થયેલા શબ્દો)માંનો એક. ભારતના યુવાનોને રોજગારી અને નવા આઇડિયાને પ્રોત્સાહન તરીકે તેમણે આ યોજના અતંર્ગત રૂ.10 હજાર કરોડના ભંડોળની જાહેરાત કરી. સ્મોલ ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (SIDBI) આ ભંડોળનો વહીવટ કરવાની હતી. એ રકમ ‘સેબી’ માન્ય ફંડમાં રોકાવાની હતી અને તેમાંથી નવા સ્ટાર્ટ અપને આર્થિક ટેકો મળવાનો હતો. ગયા સપ્તાહે બિઝનેસ સ્ટાન્ડર્ડના અહેવાલ પ્રમાણે, SIDBIએ રૂ. 10 હજાર કરોડને બદલે અત્યાર સુધીમાં માંડ રૂ.1,315 કરોડનું ભંડોળ ઊભું કર્યું છે. આ ભંડોળમાંથી ચાર કંપનીઓને કુલ રૂ. 110 કરોડની રકમ આપવાની વાત કરવામાં આવી છે અને ચારમાંથી એક કંપનીને રૂ. 5.66 કરોડ ફાળવવામાં આવ્યા છે. સાદો હિસાબઃ રૂ.10 હજાર કરોડની વાત, એક વર્ષ પછી રૂ.5.66 કરોડની ફાળવણી.

વડાપ્રધાનની બીજી મહત્ત્વાકાંક્ષી યોજના ‘મેક ઇન ઇન્ડિયા’ આવકાર્ય છે. વર્ષ 2011માં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંઘે નેશનલ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર કરી હતી. તેના નવા રૂપરંગ સાથેના વિસ્તાર તરીકે મેક ઇન ઇન્ડિયા આવે તેમાં કશું ખોટું નથી, પરંતુ વિશ્વમાં સૌથી યુવાન સમૂહ ધરાવતા ભારતમાં સૌથી ગંભીર એવી નોકરીઓની સમસ્યા ઉકેલવામાં સરકારે નક્કર કામ કરવું બાકી છે. ઉદ્યોગો શ્રમજીવી-કેન્દ્રિત ઓછા ને મશીન-ટેક્નૉલોજીકેન્દ્રી વધારે થતાં રોજગારીની તકો ઘટી છે, ખેતી સાથે સંકળાયેલા સરેરાશ જણની હાલત કફોડી છે, ત્યારે થોડી મોટી કંપનીઓ ભારતમાં તેમની દુકાનો કે કારખાનાં ચાલુ કરે તેનાથી વડાપ્રધાનનો વટ પડી શકે છે (જેમ સાણંદમાં નેનોની ફેક્ટરીનો તેમણે પોતાની ઇમેજ માટે ઉપયોગ કર્યો) પરંતુ બેકારીની વ્યાપક સમસ્યા તેનાથી હલ થાય એમ નથી.

વડાપ્રધાને પહોંચતાપામતા લોકોને કહ્યું કે, ‘તમારી એલપીજી સબસિડી જતી કરો તો ગરીબ પરિવારનો ચૂલો સળગે.’ એક અંદાજ પ્રમાણે આ યોજનાની જાહેરખબરમાં વડાપ્રધાને જેટલા રૂપિયા ખર્ચ્યા તેટલા આ કામ માટે વપરાયા હોત, તો બીજા લોકોએ એલપીજી સબસિડી જતી કરવાની જરૂર ન પડત. તેમનો બીજો દાવો એ હતો કે સબસિડી લોકોનાં ખાતામાં સીધી જમા કરાવવાના અને બીજા આનુષંગિક નિર્ણયોથી દેશને રૂ.14,672 કરોડનો ફાયદો થયો. પરંતુ પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલના આંકડા પ્રમાણે, ફક્ત એક જ વર્ષમાં વૈશ્વિક ભાવઘટાડાને પગલે એલપીજીની આયાતના બિલમાં આશરે રૂ.11 હજાર કરોડનો કાપ આવ્યો. કેનેડાની ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ફોર સબસ્ટેન્શિયલ ડેવલપમેન્ટે કરેલી ગણતરી પ્રમાણે, ભારત સરકારે રૂ. 14,700 કરોડ (2.2 અબજ ડોલર) નહીં, 2.1 કરોડ ડોલરની બચત કરી હતી.

વડાપ્રધાન ગામડાંમાં વીજળીના ફેલાવાનો જશ ઉઘરાવતા ફરે છે. તેમની સરકારે બેશક આ દિશામાં કામ કર્યું છે. પરંતુ આવું કામ કરનારા તે એકલા નથી. 2015-16માં 7,008 ગામમાં વીજળી પહોંચી. એપ્રિલ 2016થી 7 ફેબ્રુઆરી, 2017 સુધી 5,271 ગામમાં વીજળી પહોંચી. ત્યાર પહેલાંનાં ત્રણ વર્ષમાં પહેલી વાર વીજળી ધરાવનારાં ગામડાંનું પ્રમાણ ઘટ્યું હતુંઃ 2012-13 (2,587), 2013-14 (1,197), 2014-15 (1,405). પરંતુ ત્યાર પહેલાંનાં વર્ષોમાં આ આંકડા જોયા પછી શબ્દાર્થમાં અજવાળું થઈ શકે છે. 2008-09 (12,056), 2009-10 (18,374), 2010-11 (18,306), 2011-12 (7,285). પરંતુ વડાપ્રધાનના દાવા સાંભળીને એવું લાગે જાણે તેમના આવતા પહેલાં ભારતનાં ગામડાંમાં અંધારું હતું અને વડાપ્રધાનપદે તેમના પ્રાગટ્ય પછી જ પ્રકાશ થયો.

પણ આપણું તો સૂત્ર છેઃ  એ ન વિચારો કે સરકારે તમને કેટલી ગોળીઓ પીવડાવી. એ વિચારો કે તમે હોંશેહોંશે કેટલી ગોળીઓ પીધી.

Monday, March 06, 2017

પૃથ્વીની 'પડોશ’માં આવેલા સાત ગ્રહો પર ક્યારે પહોંચાશે?

પૃથ્વીથી આશરે ૩૯ પ્રકાશવર્ષ છેટે, બ્રહ્માંડની વિશાળતાના હિસાબે 'નજીક'માં, એક તારો અને તેની પ્રદક્ષિણા કરતા સાત ગ્રહો મળી આવ્યા. સમાચારે ગયા મહિને સંશોધકો ઉપરાંત સામાન્ય લોકોમાં પણ ઉત્તેજના પેદા કરી. કારણ કે, હજુ સુધી પૃથ્વીવાસીઓને જીવસૃષ્ટિ ધરાવતો બીજો ગ્રહ મળ્યો નથી.

કારણપૃથ્વી આપણી સૂર્યમાળામાં નહીંબ્રહ્માંડમાં પણ લાખોંમેં એક અથવા અબજોમેં એક છે. બ્રહ્માંડમાં આપણા સૂર્ય જેવા ગણ્યા ગણાય નહીં એટલા તારા છે.   તારાની આસપાસ ગ્રહ ફરતા હોય તો ત્યાં પ્રાથમિક તપાસ કરવાપણું રહેતારાની આસપાસ ભ્રમણ કરતા અને એક્ઝોપ્લેનેટ તરીકે ઓળખાતા ગ્રહો શોધવાની શરૂઆત પચીસેક વર્ષ પહેલાં થઈઅત્યાર લગી બ્રહ્માંડમાં આપણી સૂર્યમાળા સિવાયની બીજી ઘણી સૂર્યમાળાઓ (એટલે કે તારો અને તેનાં ચક્કર કાપતા ગ્રહનો આખો સેટમળી આવી છે. પરંતુ જીવન પાંગરવા માટે તો પહેલી ને સાવ પ્રાથમિક શરત છે--ડોક્ટર બનવા માટે એસ.એસ.સી. પાસ થવું પડે એવી.

ત્યાર પછી 'જો'અને 'તો'ના અનેક દરવાજા આવે છે : ફરતા ગ્રહ પર જીવન પાંગરી શકે, પણ ગ્રહ તારાથી માપસરના અંતરે હોવો જોઇએ. વધારે નજીક હોય તો તારાની ગરમીથી પાણી ઉડી જાય અનેેે વધારે દૂર હોય તો ગરમીના અભાવે બધું ઠરી જાય. જીવન માટે પાણી અનિવાર્ય ગણાય છેસૂર્યનાં કિરણોની ઘાતક અસરોથી બચાવવા માટે ગ્રહની ફરતે વાતાવરણ હોવું જોઈએ. પૃથ્વીને છે એવી નક્કર સપાટી હોવી જોઇએમંગળ પરની તપાસમાં ત્યાં ભૂતકાળમાં પાણી હોવાનાં અેંધાણ મળ્યાં છે, પણ ત્યાં બીજા સંજોગો અનુકૂળ નથી.

નવા મળી આવેલા સાત ગ્રહો અને તેમના 'સૂર્ય'ની કેટલીક ખૂબીઓ તેમને જીવસૃષ્ટિ માટે અત્યાર સુધીના સૌથી આશાસ્પદ ઉમેદવાર બનાવે છે. અભ્યાસીઓના મતે, કોઈ એક સૂર્યની ફરતે આટલા બધા ગ્રહો સાગમટે પ્રદક્ષિણા કરતા મળ્યા હોય એવી (આપણી સૂર્યમાળા સિવાયની) પહેલી શોધ છે. સાતેસાત ગ્રહોનું કદ લગભગ પૃથ્વી જેવડું છેતે તારાની આસપાસ ચુસ્ત, નિયમિત ભ્રમણકક્ષામાં ફરે છેસંશોધકોએ તેને નામ આપ્યું છેઃ TRAPPIST-1.  નામકરણ તેને શોધી કાઢનાર ટેલીસ્કોપને આભારી છે, જે TRAPPIST તરીકે ઓળખાય છે.  TRAPPIST  એટલે ટ્રાન્ઝિટિંગ પ્લેનેટ્સ એન્ડ પ્લેટેનેટેસિમલ્સ સ્મોલ ટેલીસ્કોપ. ચિલીની એક વેેેેધશાળામાં આવેલું ટેલીસ્કોપ તેના નામ પ્રમાણે, તારા પર નજર રાખે છે અને તારાની આગળથી ટ્રાન્ઝિટ/અધિક્રમણ કરતા નાના-મોટા ગ્રહોની હાજરી પારખે છે. તેનો નિયમ સાદો છેતારાનો અખંડ પ્રકાશ આવતો હોય અને તેમાં વચ્ચે અવરોધ પડે તથા તેનો સમયગાળો નિયમિત હોય, તો તેનો અર્થ થયો કે એક ગ્રહ તારાની ફરતે ચોક્કસ ભ્રમણકક્ષામાં પ્રદક્ષિણા કરી રહ્યો છે. તે તારાનો કેટલો પ્રકાશ અવરોધે છે તેની પરથી ગ્રહ વિશેની કેટલીક વિગતો મેળવી શકાય છે.


TRAPPIST-1 તારાના ત્રણ ગ્રહોનો પત્તો ગયા વર્ષે મળી ગયો હતો. પરંતુ વધુ અભ્યાસ પછી જણાયું કે તારાના પ્રકાશ આડેનો એક અવરોધ એવો હતો, જેના માટે અગાઉ એક ગ્રહને કારણભૂત ગણવામાં આવ્યો હતો. પણ ખરેખર તે ત્રણ જુદા જુદા ગ્રહોને આભારી હતો. ઉપરાંત, બે નવા ગ્રહ પણ નવા અભ્યાસમાં મળી આવ્યા. આમ TRAPPIST-1ના ગ્રહોની કુલ વસ્તી સાતના આંકડે પહોંચી. તેમાંથી ત્રણ જીવસૃષ્ટિ માટે સૌથી વધુ સંભવિત મુરતિયા ગણાય છે. આપણી સૂર્યમાળામાં સૂર્ય પછી તરતનો ગ્રહ બુધ છે. તે વધુ પડતો નજીક હોવાથી ત્યાં જીવન પાંગરવાની સંભાવના નથી. TRAPPIST-1 અને તેના ગ્રહો વચ્ચેનું અંતર સૂર્ય અને બુધ વચ્ચેના અંતર કરતાં પણ ઓછું છે. પરંતુ તારા તરીકે આપણો સૂર્ય TRAPPIST-1 કરતાં આશરે બે હજાર ગણો વધારે તેજસ્વી છે ઓછા પ્રકાશને લીધે TRAPPIST-1થી નજીક હોવા છતાં, તેની પર ગરમી એટલી હોય કે પાણી વરાળ થઈને ઉડી જાય. માટે ત્યાં જીવનની સંભાવના રહે છે. ગ્રહો પૃથ્વીની જેમ ખડકાળ સપાટી ધરાવે છે. તારાની સૌથી નજીક રહેલા બે ગ્રહો પર ગુરુત્વાકર્ષણના પગલે જ્વાળામુખીઓ પણ હોઈ શકે છે. TRAPPIST-1ની ફરતે એક ભ્રમણ પૂરું કરવામાં સૌથી નજીકના ગ્રહને (પૃથ્વીના) દોઢ દિવસ જેટલો સમય લાગે છેે, જ્યારે નજીકના ગ્રહોમાં સૌથી છેલ્લો રહેલો ગ્રહ કામ ૧૨. દિવસમાં પૂરું કરે છે.

અલબત્ત, બધું વર્ણન વાંચીને 'મનમેેં લડ્ડુ ફુટા'એવું થતું હોય તો ધીરજ ધરો. ટ્રમ્પની ફિલમ ઉડાડવા માટે એવી રમૂજ પણ થઈ કે 'જુઓ, ટ્રમ્પના રાજને મહિનો પણ નથી થયો ને નાસાએ રહેવા માટેનાં બીજાં ઠેકાણાં શોંધી કાઢ્યાં.’  રમુજ તરીકે તે ઉત્તમ છે, પણ રમુજથી વિશે કંઈ નથી. કારણ કે હવે પછીના વિગતવાર ઊંડા અભ્યાસો પછી TRAPPIST-1ના એક કે વધારે ગ્રહ જીવસૃષ્ટિ માટે અનુકૂળ લાગે તો પણ, ત્યાં સુધી પહોંચવાનું કઠણ છે. અહેવાલોમાં ૩૯ પ્રકાશવર્ષના અંતરની આગળ 'ફક્તજેવો શબ્દ લાગવાનું અને તારો પૃથ્વીથીનજીકહોવાનું કહેવાયું, તેનું કારણ છે કે અફાટ બ્રહ્માંડમાં ૪૦ પ્રકાશવર્ષ અંતર કોઈ હિસાબમાં નથી. પરંતુ વાત બ્રહ્માંડની ફુટપટ્ટીને બદલે માણસની માપપટ્ટી વાપરીને કરીએ તો ૩૯ પ્રકાશવર્ષ અંતર એટલે પ્રકાશ ૩૯ વર્ષમાં કાપી શકે એટલું અંતર. કિલોમીટરમાં આંકડો જાણવામાં સાર નથી. છતાં જાણવો હોય તો  આશરે ૩૬૯ ટ્રિલિયન કિલોમીટર.

તેની સામે માણસે બનાવેલાં ઝડપીમાં ઝડપી યાનની ઝડપ કેટલી? અમેરિકાની અવકાશ સંસોધન સંસ્થા 'નાસા 'જુનોનામનું યાન ગુરુ તરફ રવાના કર્યું હતું. તેની શરૂઆતની ઝડપ તો પ્રમાણમાં ઓછી હતી, પણ પછી ગુરુના ગુરુત્વાકર્ષણના પ્રતાપે તેની ઝડપ વધીને કલાકના બે લાખ પાંસઠ હજાર કિલોમીટર સુધી પહોંચી હતીધારો કે ઝડપ પહેલેથી હાંસલ કરવામાં આવે તો પણ યાનનેે TRAPPIST-1 સુધી પહોંચવામાં દોઢ લાખથી પણ વધારે વર્ષો લાગે. ચીલઝડપી યાનોની હાલત હોય ત્યાં પ્રમાણમાં ઓછી ઝડપ ધરાવતાં સમાનવ સ્પેેસ શટલનો ગજ ક્યાં વાગે? તેને તો TRAPPIST-1 સુધી પહોંચવામાં ૧૫ લાખ વર્ષ નીકળી જાય. વિખ્યાત ભૌતિકશાસ્ત્રી સ્ટીવન હોકિંગે લેસરના જોરે પ્રચંડ ઝડપે ચાલતાં ટચુકડાં યાનની કલ્પના મૂકી છે. તે પ્રકાશની ઝડપ કરતાં પાંચમા ભાગની ઝડપે ચાલી શકે. (કલાકના ૨૧. કરોડ કિલોમીટર). આવાં યાન ધારો કે બને તો તેમને પહોંચતાં પણ લગભગ બસો વર્ષ નીકળી જાય.

આમ, સૂર્યમાળાના-ગ્રહસૃષ્ટિઆના વિકાસ અને તેનાં વિવિધ પાસાંના અભ્યાસ તરીકે નવી મળી આવેલી સૂર્યમાળા ઉપયોગી નીવડવાની છે, પણ નજીકના ભવિષ્યમાં બિસ્તરાંપોટલાં લઈને માણસજાત ત્યાં ઉપડી જશે એવો ખ્યાલ રાખવા જેવો નથી