Tuesday, November 07, 2017

નોટબંધીની વરસીએ 'સ્મરણાંજલિ'

આવતી કાલે નોટબંધીની જાહેરાતને એક વર્ષ પૂરું થશે. આટલા સમય પછી ‘તમને વડાપ્રધાનનું આ પગલું મહાન લાગે છે કે નહીં? હા કે ના.’ એવું સરળીકરણ કરવાને બદલે, વિવિધ માહિતી-હકીકતના ટુકડા જોડવાથી ચિત્ર વધારે સ્પષ્ટ રીતે જોઈ શકાશે.

નોટબંધી જાહેર થઈ ત્યારે તેને કાળાં નાણાં પર સર્જિકલ સ્ટ્રાઈક તરીકે ઓળખવામાં આવી હતી. શરૂઆતમાં એવી છાપ ઉભી કરવામાં આવી કે કાળાં નાણાં ધરાવતા લોકોની પાંચસો-બે હજારની નોટો કાગળીયાં થઈ જશે અને એ લોકો રાતા પાણીએ રડશે. બીજું નિશાન હતા ત્રાસવાદીઓ. તે પાંચસો અને હજારની નકલી નોટો દેશમાં ઘુસાડીને તે અર્થતંત્રને ફટકો મારે છે ને તેમનું ભંડોળ પણ મોટી રકમની નોટોમાંથી આવે છે. નોટબંધી પછી ત્રાસવાદીઓ નાણાંકીય ભીંસમાં આવી જશે ને ઢીલા પડશે.

નોટબંધી જેવા આત્યંતિક પગલા પાછળનો મુખ્ય આશય સરકાર એટલે કે વડાપ્રધાન કાળાં નાણાંના મુદ્દે કેટલા ગંભીર છે, તે દર્શાવવાનો હતો. નોટબંધીની અર્થતંત્ર પરની ટૂંકા, મધ્યમ ને લાંબા ગાળાની અસરો નિષ્ણાતો માટે પણ ચર્ચા અને મતભેદનો વિષય છે. દરમિયાન, નોટબંધીનાં હકારાત્મક પરિણામો મુખ્યત્વે આટલાં ગણાવાયાં છેઃ

1) તેનાથી ડિજિટલ લેવડદેવડમાં નોંધપાત્ર વધારો થયો છે. રીઝર્વ બેન્કના આંકડા પ્રમાણે, નવેમ્બર 2016માં ડિજિટલ લેવડદેવડની કુલ સંખ્યા આશરે 70 કરોડથી થોડી ઓછી હતી અને લેવડદેવડની કુલ રકમ રૂ. 94,004 અબજ હતી. માર્ચ, 2017માં એ રકમમાં સૌથી મોટો વધારો નોંધાયો (રૂ.1,49,589 કરોડ) અને ઓગસ્ટ, 2017માં તે આંકડો હતોઃ રૂ.1,09,818 અબજ. એટલે કે નવેમ્બર, 2016 કરતાં 16.8 ટકાનો વધારો. પરંતુ ડિજિટલ લેવડદેવડનો વધારો એ તો નોટબંધીની આડપેદાશ હતી (જેને સમય જતાં મુખ્ય જાહેર કરવામાં આવી) તેના માટે થઈને, ભારતના બહુમતી લોકોને રોજગારી આપતા અસંગઠીત ક્ષેત્રમાં મોટુંં ગાબડું પાડવાનું અને બહુમતી નિર્દોષ લોકોને પારાવાર મુશ્કેલીમાં મુકવાનું વાજબી ઠરાવી શકાય?

2) આવકવેરો ભરનારની સંખ્યામાં વધારો થયો. સરકારના જ ઇકોનોમિક સર્વે 2017માં નોંધાયા પ્રમાણે, 5.7 લાખ નવા કરતાદાતા એવા છે, જે નોટબંધીને કારણે વેરો ભરતા થયા હોવાની સંભાવના છે. (ભારતની વસ્તી અને નોટબંધીના અમલથી કરોડો લોકોને પડેલી તકલીફો ધ્યાનમાં રાખતાં 5.7 લાખનો આંકડો સંતોષકારક લાગે કે ‘ફક્ત’? વિચારી જોજો)

3) સરકારી જાહેરાત પ્રમાણે, આશરે 2 લાખ બનાવટી કંપનીઓનાં રજિસ્ટ્રેશન નોટબંધી પછી રદ કરવામાં આવ્યાં છે.

4) બેન્કોમાં અઢળક નાણાં જમા થવાથી લોનના દર ઘટ્યા.

5) નોટબંધી પછી તરતના અરસામાં નાણાં મંત્રીએ કહ્યું હતું કે ત્રાસવાદી તથા અશાંતિ જગાડનારી પ્રવૃત્તિઓમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. આટલા વખત પછી કહી શકાય કે નોટબંધીની ત્રાસવાદ પર કશી જ અસર પડી નથી.

6) એવી ધારણા હતી કે 10થી 20 ટકા જેટલી નોટો પાછી નહીં આવે ને સરકારે ભારે ફાયદો (વિન્ડફોલ ગેઇન) થશે. પરંતુ રીઝર્વ બેન્કના આંકડા પ્રમાણે 99 ટકા નોટો પાછી જમા થઈ ગઈ. તીર માર્યા પછી તેની ફરતે કુંડાળું દોરી કાઢવાની પદ્ધતિ પ્રમાણે, એવું જાહેર કરવામાં આવ્યું કે લગભગ બધી નોટો સીસ્ટમમાં આવી ગઈ હોવાથી, નોટબંધી સફળ થઈ છે. હવે ઇન્કમટેક્સ વિભાગ તેમાંથી તપાસ કરીને શંકાસ્પદ લોકો સામે કાર્યવાહી કરશે.

પરંતુ મહેશ શાહના કિસ્સા પછી સરકારની દાનત પરનો ભરોસો ટકાવી રાખવો અઘરો છે. વેપારધંધાનો કશો ઠેકાણાસરનો રેકોર્ડ ન ધરાવતા મહેશ શાહે નોટબંધી પછી કાળાં નાણાંની સ્વૈચ્છિક જાહેરાત યોજના અંતર્ગત રૂ. 13,860 કરોડની જાહેરાત કરીને સનસનાટી મચાવી દીધી. તેમની સ્વૈચ્છિક જાહેરાતનું સરકારી ફોર્મ જવાબદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મારફતે ભરવામાં આવ્યું હતું. આટલી મોટી રકમની જાહેરાત થઈ ત્યારે એવી પાકી આશંકા હતી કે આ નાણાંમાં અનેક મોટાં માથાં સંકળાયેલાં હોવાં જોઈએ. પછીથી ખુદ મહેશ શાહે એક ટીવી ચેનલ પર કહ્યું કે એ નાણાં વગદાર લોકોનાં હતાં. પણ જાહેર કરેલી રકમના આવકવેરાનો પહેલો હપ્તો મહેશ શાહ ભરી શક્યા નહીં. એટલે નિયમ મુજબ તેમની સ્વૈચ્છિક જાહેરાત રદબાતલ ઠરી.

પરંતુ આટલી મોટી અને સ્વૈચ્છિક રીતે જાહેર થયેલી રકમનું શું થયું? તેનું પગેરું કેમ શોધવામાં ન આવ્યું? કાળાં નાણાં બાબતે ગર્જનાઓ કરતી સરકારે, જાહેર કરાયેલાં નાણાં મોટાં માથાંનાં હોવાની મહેશ શાહની જાહેર કબૂલાત પછી પણ, તે દિશામાં કેટલી અને કેટલા ઉત્સાહથી તપાસ કરી? અને કાળાં નાણાંના મુદ્દે ‘ભાંગી નાખું-તોડી નાખું’ કરતા અભિનયસમ્રાટો પાસેથી આ કેસ વિશે છેલ્લું ક્યારે સાંભળ્યું હતું?

બીજો મુદ્દો અત્યંત જરૂરી એવાં આયોજન અને પ્રક્રિયાનો. 1978માં વડાપ્રધાન મોરારજી દેસાઈએ મોટી રકમની નોટો રદબાતલ કરી, તે પહેલાં તેના માટે જરૂરી પ્રક્રિયાઓ બાકાયદા, યોગ્ય રીતે પૂરી કરી હતી. એ વખતે જનતા સરકારના નાણાં મંત્રી અને સરદાર પટેલના વિશ્વાસુ રહી ચૂકેલા એચ.એમ.(હીરુભાઈ) પટેલે તથા રીઝર્વ બેન્કના (ગુજરાતી) ગવર્નર આઇ.જી. પટેલે મોરારજીભાઈને કહ્યું હતું કે કાળું નાણું ધરાવતા લોકો તેને ઘણું ખરું રોકડ સ્વરૂપે રાખતા નથી. થોડા સમય પહેલાં ઇન્કમટેક્સ વિભાગના 2012-13થી ગયા વર્ષ સુધીના આંકડાના અભ્યાસ પરથી એ જ તારણ નીકળ્યું હતુંઃ કાળું નાણું રાખનારા તેમની કુલ બે નંબરી સંપત્તિનો માંડ 5-6 ટકા હિસ્સો રોકડ સ્વરૂપે રાખે છે.

તો કાળા નાણાંની સમાંતર અર્થવ્યવસ્થામાં આટલું ઓછું પ્રમાણ ધરાવતી રોકડ માટે, કુલ ચલણમાંથી 86 ટકા જેટલી રકમની ચલણી નોટો રદબાતલ કરતાં પહેલાં વડાપ્રધાને કઈ ગણતરીઓ માંડી હતી? કયા તર્ક લગાડ્યો હતો? કે પછી તીર માર્યા પછી તેની આસપાસ કુંડાળાં દોરવાની આવડત પર ભરોસો રાખ્યો હતો? માન્યું કે નિર્ણય લેતાં પહેલાં એ પ્રક્રિયા ગુપ્ત હોય, પણ હવે તો એ જાહેર કરી શકાય કે ફાયદો-નુકસાનનો કેવી રીતે તોલ કરીને, કયા નિષ્ણાતોના સૂચન અને કોના વિરોધ વચ્ચે આ નિર્ણય લેવાયો હતો? અથવા, આવી કોઈ પ્રક્રિયા થઈ હતી ખરી?

નોટબંધીનું અણઘડ-અપૂરતું આયોજન, તેના કારણે ઉભી થતી મુશ્કેલીઓ અને તેના આધારે સતત બદલાતું રહેતું નોટબંધીનું લક્ષ્ય, કેવળ ભાષણોથી લોકોના અસંતોષ પર કાબૂ મેળવી લેવાનો આત્મવિશ્વાસ, ગંભીર અસરો ધરાવતા નિર્ણયો ઉતાવળે લઈ લીધા પછી છેવટે, તેનાં પરિણામો સાથે પનારો પાડવા આર્થિક નિષ્ણાતોની સલાહકાર સમિતિ નીમવાનું ‘શાણપણ’—આ બધું સાથે મૂકીને શું દેખાય છે? એ નાગરિકોએ નક્કી કરવાનું છે.
***

નોટબંધીની વાર્તા

1 comment:

  1. Indian Rupees demonetisations was vary complex and intricate issue,many opinions and views have been aired in favour of and in opposition,only time will tell,who was right!
    In general Indian media/press/TV have presented
    and analysed conflicting reports,one of it is yours.
    One is sure that the people who were doing business without declareing their revenue,and not paying rightful tax are more troubled and opposed with this 'NOT BANDHI',as well corrupt bureaucrats
    and petty offcers in administrations.
    No doubt Mr Modi on very first day of declaraions
    given hints of the difficulties and harships.
    Well a whole big thesis can be written on this subject,the more you discussed more your are entagled in this web of 'NOT BANDHI',now it should
    left for time and future to sort out.
    In general the political purpose of Mr Modi has
    been serves,and certain extent a lesson for
    'TAX CHORS'(thiesves looting public purse).
    Thnks for giving this spece.

    ReplyDelete